પૂર્વછાયો :-

શિમરગામથી સંચરી, ગયા શ્રીહરિ તુળસીશામ;

ત્યાં થકી ગુપ્તપ્રયાગ જૈ, કુંડ ઉત્તરે કીધો વિરામ.1

ચોપાઈ :-

ભલી રાયણતળે શિલા ભાળી, કર્યુંઆસન શ્રીવનમાળી;

જન  જે  નિજ  આગળ  આવે,  તેને  શાસ્ત્રની  વાત  સુણાવે.2

નિત્ય  કુંડ  વિષે  કરે  સ્નાન,  તીર્થ  પાવન  કરવાનું  તાન;

વિપ્ર  ત્યાં  તો  હતો  એક  સારો,  દેલવાડા  વિષે  વસનારો.3

હતો  નાતે  તે  નાગર  ગોર,  ભનોપાઠક  દ્વિજ  શિરમોર;

નિત્યપ્રત્યે  પ્રભુ  તેને  ઘેર,  જમી  આવે  જઇ  રુડીપેર.4

તેણે પૂછ્યું તમારું શું નામ ? ભાવિ નામ કહ્યું તેહ ઠામ;

મારું  નામ  છે  સહજાનંદ,  સુણી  ઉપજયો  અધિક  આનંદ.5

શેષશાયી  મંદિર  બ્રહ્મચારી,  જમાડે  હરિને  સાધુ  ધારી;

તેનું  નામ  છે  નૃસિંહાનંદ,  તેની  આગળ  બોલ્યા  મુકુંદ.6

તીર્થ જગ્યા ને કુંડ છે સારો, જોગ સાધવા જોગ્ય કિનારો;

સુણી બોલ્યા વળી બ્રહ્મચારી, તીર્થ જગ્યા તો છે ઘણી સારી.7

પણ જળ નથી રેજાતું ઊનાળે, આપ જેવા જો કરુણાથી ભાળે;

કુંડે  નીર  રહે  બારે  માસ,  સુણી  બોલિયા  શ્રીઅવિનાશ.8

હવે રહેશે ઘણાકાળ પાણી, થઇ સુફળ તે શામની વાણી;

એવી  રીતે  રહ્યા  દોઢ  માસ,  કીધો  આપ  પ્રતાપ  પ્રકાશ.9

ત્યાંથી  ઉને  ગયા  નરવીર,  ત્રણ  દિવસ  વસ્યા  સરતીર;

પુરથી  વળી  પશ્ચિમમાંય,  સારી  વાવ્ય  દીઠી  એક  ત્યાંય.10

તેમાં  જૈ  હરિએ  કર્યું સ્નાન,  વળી  પ્રીતે  કર્યું જળપાન;

હંસરાજ  ને  શેઠ  ગણેશ,  પ્રીતે  સેવ્યા  તેણે  પરમેશ.11

તેનો  દેખીને  પૂરણ  પ્યાર,  શામે  સેવા  કરી  અંગિકાર;

ત્યાંના  લોકોને  ચમતકાર,  દેખાડ્યો  હરિએ  એહ  વાર.12

કોઇયે  વિરાટરૂપ  નિહાળ્યું,  કોઇયે  રૂપ  ચતુર્ભુજ  ભાળ્યું;

ધાર્યા  કોઇયે  પ્રગટ  મુરારી,  કહે  કોઇ  પુરુષ  અવતારી.13

પ્રભાતે  ઊઠી  મારગે  ચડ્યા,  ખોળતાં  જનોને  નવ  જડ્યા;

ગામ  ડોળાહે  વાલો  વિચરિયા,  ભરવાડને  ધેર  ઉતરિયા.14

સીધું  આપ્યું  તથાપિ  ન  લીધું,  દુધ  ગાયનું  પ્રેમથી  પીધું;

ગુરુ ભરવાડનો એક બાવો, એ જ ભરવાડને ઘેર આવ્યો.15

રાતે  બાવો  ને  શ્રીઅવિનાશ,  સૂતા  એક  સ્થળે  પાસપાસ;

કહ્યું  બાવે  સ્વભાવે  હે  રામ,  દીધો  હોંકારો  શ્રીઘનશ્યામ.16

એ  જ  રીતે  બીજી  ત્રીજી  વાર,  દીધો  હોંકારો  ધર્મકુમાર;

કહે બાવો તમે છો શું રામ ? કેમ હોંકારો દ્યો છો આ ઠામ ?17

કહે  કૃષ્ણ  બાવા  સુણી  લૈયે,નકી  જાણો  અમે  રામ  છૈયે;

પછી  રામરૂપે  ભગવાન,  દીધું  બાવાને  દર્શનદાન.18

બાવે  રામ  જથારથ  જાણ્યા,  હરિકૃષ્ણને  હેતે  વખાણ્યા;

ત્યાંથી છાંના ચાલ્યા ઘનશામ, ગયા ગોવિંદ લોઢવે ગામ.19

નાતે  ચારણ  ત્યાં  લખુબાઇ,  તેને  ઘેર  રહ્યા  સુખદાઇ;

લખુબાઇ  છે  સમાધિનિષ્ઠા,  જ્ઞાન  વૈરાગ્યમાં  તે  વરિષ્ઠા.20

મત  અદ્વૈતને  માનનારી,  જાણે  ઇશ્વરને  નિરાકારી;

સાધુઓને  સદાવ્રત  દેતી,  તપની  પરીક્ષા  કરી  લેતી.21

તેણે  મોટા  તપસ્વી  તે  જાણ્યા,  સનકાદિક  તુલ્ય  પ્રમાણ્યા;

તેથી  રાખ્યા  પોતાતણે  ઘેર,  સ્નેહે  સેવા  સજે  સારીપેર.22

વિઠ્ઠલાનંદ  ને  બાલાનંદ,  બ્રહ્મચારી  હતા  નિર્દ્વદ્વ;

તેની  પાસે  રસોઇ  કરાવે,  મહારાજને  થાળ  ધરાવે.23

ઘેર  ભેંસો  તણું ખાડું  હતું,  નિત્ય  નિત્ય    ઘણું  દૂધ  થતું;

દૂધની  તર  સાકર  સાથ,  જમતા  નિત્ય  ત્યાં  મુનિનાથ.24

ઘણો ભાવ ભાળી અવિનાશ, ત્રણ માસ રહ્યા ત્યાં નિવાસ;

ત્યાંથી પ્રાચીયે નાવાને કાજ, કોઇ દિવસ જતા મહારાજ.25

સર્વ  જાણે  હરિ  સાક્ષાત,  તોય  પૂછી  તે  બાઇને  વાત;

ભકિતદીક્ષા તમે કયાંથી ધારી ? કહો કોણ છે આ બ્રહ્મચારી?26

કહે  બાઇ  ગુરુ  તો  અમારા,  આતમાનંદજી  હતા  સારા;

આવ્યા આ ગામમાં તેહ જયારે, ઘણા શિષ્ય તેના થયા ત્યારે.27

વિપ્ર વિઠ્ઠલ અહીં રહેનારો, તેનો શિષ્ય થયો ઘણો સારો;

થયો  તે  દ્વિજનારીનો  કાળ,  મુકિયો  ત્રણ  માસનો  બાળ.28

આત્માનંદને  વિઠ્ઠલે  પૂછ્યું,  બાળ  દેખીને  દાઝી  મરું  છું;

મળતું  નથી  ધવરાવનારું,  એને  કેમ  કરીને  ઉગારું  ?29

સુણી  કહે  આત્માનંદસ્વામી,  ધવરાવ  તું  આનંદ  પામી;

જહાંસુધી  તે  બાળક  ધાવે,  સ્તન  તારા  વિષે  દૂધ  આવે.30

એવું  દીધું  એને  વરદાન,  ધવરાવે  તે  માતસમાન;

જયારે  બાળકે  ધાવણ  મૂકયું,  સ્તનમાંથી  ત્યારે  દૂધ  સૂક્યું.31

દશ  વર્ષનો  સુત  થયો  જયારે,  ગુરુને  કહ્યું  વિઠ્ઠલે  ત્યારે;

દયાવંત  દયા  દિલ  ધારી,  અમો  બેને  કરો  બ્રહ્મચારી.32

સુણી  ગુરુજીએ  કરુણા  કીધી,  દીક્ષા  તે  જણ  બેયને  દીધી;

વિઠ્ઠલાનંદ  ને  બાલાનંદ,  એવાં  નામ  ધર્યા  સુખકંદ.33

તેઓને  ગુરુએ  કહ્યું  એવું,  લખુબાઇની  પાસે  રહેવું;

વળી ગુરુએ મને કહી વાણી, આ બે રાખજો આપના જાણી.34

સદાવ્રત  વિઠ્ઠલાનંદ  દેશે,  ભેંશો  ચારવા  બીજો  રહેશે;

કહે બાઇ અહો તપ ધારી! બેય છે એ જ આ બ્રહ્મચારી.35

આત્માનંદસ્વામી  છે  જેહ,  અમે  માનિયે  ઈશ્વર  તેહ;

તેને ભજીયે છૈયે ભાવ આણી, દાતા કલ્યાણના એ જ જાણી.36

બીજી  વાત  કહું  એક  વળી,  તમે  સ્નેહથી  લેજો  સાંભળી;

મોટા  સંત  રામાનંદનામ,  ગયા  શ્રીરંગક્ષેત્રને  ઠામ.37

રામાનુજ  થકી  દીક્ષા  લીધી,  પાછી  સોરઠમાં  ગતિ  કીધી;

આત્માનંદ  સાથે  વાદ  ધર્યો,  વાદ  અદ્વૈત  ખંડન  કર્યો.38

સ્વામીએ શિષ્ય સૌને બોલાવી, સારી રીતે કહ્યું સમઝાવી;

રામાનંદસ્વામી  કહે  જેમ,  સર્વે  જન  તમે  વર્તજો  તેમ.39

એની સમઝણ છે ઘણી સારી, માટે જાણજો જનહિતકારી;

એમ  કહી  આત્માનંદ  તેહ,  જઇ  રામપરે  તજયો  દેહ.40

તેના  શિષ્ય  સરવ  જે  રહ્યા,  રામાનંદ  તણા  શિષ્ય  થયા;

મત  માને  વિશિષ્ટાદ્વૈત,  નવ  માને  કદી  તે  અદ્વૈત.41

પણ હું અને આ બ્રહ્મચારી, ત્રણ જણ તો રહ્યાં ટેક ધારી;

આત્માનંદને ઇશ્વર ગણિયે, મત અદ્વૈત તે ભલો ભણિયે.42

રામાનંદે  તો  આગ્રહ  કર્યો,  અમે  શબ્દશ્રવણ  નવ  ધર્યો;

તેણે અમને કર્યા છે વિમુખ, તેનું અમને નથી કાંઇ દુઃખ.43

અહીંના હરિજન નરનારી, તે તો માને છે વાત અમારી;

સંપ્રદાય  ગાદીપતિ  જેવી,  મને  માને  છે  સૌ  જન  તેવી.44

ધર્મપુત્ર  છે  અંતરજામી,  તોય  વાત  પૂછી  લીધી  સ્વામી;

કરુણાનિધિ  કરુણા  કરી,  લખુબાઇ  પ્રત્યે  કહે  હરી.45

સત્ય  માનો  વિશિષ્ટાદ્વૈત,  મત  સત્ય  નથી  જ  અદ્વૈત;

વ્યાસસૂત્ર  તથા  જે  વેદાંત,  સંભળાવી  તેની  ભાંગી  ભ્રાંત.46

ત્રણ જણને કર્યા નિજમતનાં, કાઢ્યાં ખોદીને મૂળ અસતનાં;

લખુબાઇને  કહે  ભગવાન,  તમે  માગો  મુખે  વરદાન.47

કહે  બાઇ  સુણો  તપધામ,  મારો  પુત્ર  જે  છે  વીરો  નામ;

સુત  તે  અને  ભેંશો  છે  જેહ,  સદાકાળ  સુખી  રહે  તેહ.48

સુણી  ભાખે  મુખે  ભગવંત,  તે  તો  માગ્યું  તમે  નાશવંત;

વરદાન  બીજું  મુખે  માગો,  પશુપુત્રની  વાસના  ત્યાગો.49

લખુબાઇ  વળી  એમ  કહે,  આ  અખંડ  સદાવ્રત  રહે;

એ  જ  માગું  છું  હું  વરદાન,  આપો  એટલું  કરુણાનિધાન.50

સુણી  બોલિયા  ત્યારે  શ્રીહરિ,  નાશવંત  માગ્યું  તમે  ફરી;

માગો  એવું  જે  નાશ  ન  થાય,  રહે  અક્ષય  કાળ  સદાય.51

માગ્યો  બાઇએ  શ્રીપ્રભુપાસ,  અંતે  અક્ષરધામમાં  વાસ;

વરદાન  પછી  એ  જ  આપ્યું,  કષ્ટ  જન્મમરણતણું  કાપ્યું.52

કહે  વર્ણી  સુણો  વસુધેશ,  લખુની  કહું  વાત  વિશેષ;

રામાનંદને હરિ મળ્યા જયારે, કર્યો હરિએ પ્રયત્ન તો ત્યારે.53

લખુને  સતસંગમાં  લેવા,  જુઓ  કૃષ્ણ  કૃપાળુ  છે  કેવા;

પણ  માને  નહીં  લખુબાઇ,સમાધિ  તણા  ગર્વે  ભરાઇ.54

કહે  શિષ્ય  થવાથી  લજાઉં,  રામાનંદની  શિષ્ય  ન  થાઉં;

રામાનંદ  રહ્યા  સાક્ષાત,  તેણે  માની  ન  ત્યાં  સુધી  વાત.55

પણ  શ્રીહરિને  અનુસરી,  અંતે  અક્ષરધામ  વિચરી;

જયારે જીવમાં મમત ભરાય, સત્ય વાત ન ત્યારે મનાય.56

હવે  કૃષ્ણ  તણી  કહું  વાત,  લોઢવાથી  ચાલ્યા  જગતાત;

પુર  પાટણ  નામ  પ્રભાસ,  ત્રણ  રાત્રી  કર્યો  ત્યાં  નિવાસ.57

નદી  હીરણ  ને  સરસ્વતી,  મળે  ત્રીજી  તહાં  મધવતી;

તેથી  નામ  ત્રિવેણી  ગણાય,  નાહ્યા  તે  વિષે  ત્રિભુવનરાય.58

વળી  સાગરને  તટ  જઇ,  જમ્યા  ત્યાંથી  સદાવ્રત  લઇ;

પુર  પાટણથી  પૂર્વ  ઠામ,  એક  ભલકા  તળાવડી  નામ.59

ત્યાં છે પીપળાનું ઝાડ જેહ, જહાં કૃષ્ણે તજયો હતો દેહ;

કૃષ્ણ  સૂતા  હતા  જેવી  રીતે,  તેમ  શામ  સૂતા  તહાં  પ્રીતે.60

આવ્યો ત્યાં એક બ્રાહ્મણ કોઇ, બોલ્યો ચરણ વિષે ચિહ્ન જોઇ;

તમે કૃષ્ણ  દિસો છોજી આપ, માટે મુજને કરો નિષ્પાપ.61

કૃષ્ણરૂપે  જ  દર્શન  આપો,  મારા  મન  તણો  સંશય  કાપો;

સુણી  કરુણા  કરી  મુનિભૂપે,  દીધું  દર્શન  કૃષ્ણસ્વરૂપે.62

એહ  બ્રાહ્મણનું  કરી  કાજ,  આવ્યા  પાટણમાં  મહારાજ;

એમ  પુનીત  કરી  તેહ  સ્થાન,  ગયા  ભંડુરિયે  ભગવાન.63

ઊતર્યા  ત્યાં  લુહારને  ઘેર,  તેણે  સેવા  કરી  સારી  પેર;

પછી માળિયે થઇ મહારાજ, શેરગઢ રહ્યા નિજ જનકાજ.64

શીમાશીને  ચોરે  રહી  નીશ,  જૂનેગઢ  ગયા  શ્રીજગદીશ;

રૈવતાચળ  નજરે  નિહાળ્યો,  પદસ્પર્શે  તેનો  મળ  ટાળ્યો.65

પુષ્પિતાગ્રાવૃત્ત :-

ગિરિવર પર પાવ ધારી દીધો, ગિરિ ગિરનાર પવિત્ર આપ કીધો;

પ્રભુપદ પ્રણમ્યાં સુતીર્થ દેવો, અવસર જાણી લીધો અમુલ્ય એવો.66

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ રૈવતાચળ-પ્રાપ્તનામા ચતુર્વિંશતિતમો વિશ્રામઃ ।।24।।