પૂર્વછાયો :-
શિમરગામથી સંચરી, ગયા શ્રીહરિ તુળસીશામ;
ત્યાં થકી ગુપ્તપ્રયાગ જૈ, કુંડ ઉત્તરે કીધો વિરામ.1
ચોપાઈ :-
ભલી રાયણતળે શિલા ભાળી, કર્યુંઆસન શ્રીવનમાળી;
જન જે નિજ આગળ આવે, તેને શાસ્ત્રની વાત સુણાવે.2
નિત્ય કુંડ વિષે કરે સ્નાન, તીર્થ પાવન કરવાનું તાન;
વિપ્ર ત્યાં તો હતો એક સારો, દેલવાડા વિષે વસનારો.3
હતો નાતે તે નાગર ગોર, ભનોપાઠક દ્વિજ શિરમોર;
નિત્યપ્રત્યે પ્રભુ તેને ઘેર, જમી આવે જઇ રુડીપેર.4
તેણે પૂછ્યું તમારું શું નામ ? ભાવિ નામ કહ્યું તેહ ઠામ;
મારું નામ છે સહજાનંદ, સુણી ઉપજયો અધિક આનંદ.5
શેષશાયી મંદિર બ્રહ્મચારી, જમાડે હરિને સાધુ ધારી;
તેનું નામ છે નૃસિંહાનંદ, તેની આગળ બોલ્યા મુકુંદ.6
તીર્થ જગ્યા ને કુંડ છે સારો, જોગ સાધવા જોગ્ય કિનારો;
સુણી બોલ્યા વળી બ્રહ્મચારી, તીર્થ જગ્યા તો છે ઘણી સારી.7
પણ જળ નથી રેજાતું ઊનાળે, આપ જેવા જો કરુણાથી ભાળે;
કુંડે નીર રહે બારે માસ, સુણી બોલિયા શ્રીઅવિનાશ.8
હવે રહેશે ઘણાકાળ પાણી, થઇ સુફળ તે શામની વાણી;
એવી રીતે રહ્યા દોઢ માસ, કીધો આપ પ્રતાપ પ્રકાશ.9
ત્યાંથી ઉને ગયા નરવીર, ત્રણ દિવસ વસ્યા સરતીર;
પુરથી વળી પશ્ચિમમાંય, સારી વાવ્ય દીઠી એક ત્યાંય.10
તેમાં જૈ હરિએ કર્યું સ્નાન, વળી પ્રીતે કર્યું જળપાન;
હંસરાજ ને શેઠ ગણેશ, પ્રીતે સેવ્યા તેણે પરમેશ.11
તેનો દેખીને પૂરણ પ્યાર, શામે સેવા કરી અંગિકાર;
ત્યાંના લોકોને ચમતકાર, દેખાડ્યો હરિએ એહ વાર.12
કોઇયે વિરાટરૂપ નિહાળ્યું, કોઇયે રૂપ ચતુર્ભુજ ભાળ્યું;
ધાર્યા કોઇયે પ્રગટ મુરારી, કહે કોઇ પુરુષ અવતારી.13
પ્રભાતે ઊઠી મારગે ચડ્યા, ખોળતાં જનોને નવ જડ્યા;
ગામ ડોળાહે વાલો વિચરિયા, ભરવાડને ધેર ઉતરિયા.14
સીધું આપ્યું તથાપિ ન લીધું, દુધ ગાયનું પ્રેમથી પીધું;
ગુરુ ભરવાડનો એક બાવો, એ જ ભરવાડને ઘેર આવ્યો.15
રાતે બાવો ને શ્રીઅવિનાશ, સૂતા એક સ્થળે પાસપાસ;
કહ્યું બાવે સ્વભાવે હે રામ, દીધો હોંકારો શ્રીઘનશ્યામ.16
એ જ રીતે બીજી ત્રીજી વાર, દીધો હોંકારો ધર્મકુમાર;
કહે બાવો તમે છો શું રામ ? કેમ હોંકારો દ્યો છો આ ઠામ ?17
કહે કૃષ્ણ બાવા સુણી લૈયે,નકી જાણો અમે રામ છૈયે;
પછી રામરૂપે ભગવાન, દીધું બાવાને દર્શનદાન.18
બાવે રામ જથારથ જાણ્યા, હરિકૃષ્ણને હેતે વખાણ્યા;
ત્યાંથી છાંના ચાલ્યા ઘનશામ, ગયા ગોવિંદ લોઢવે ગામ.19
નાતે ચારણ ત્યાં લખુબાઇ, તેને ઘેર રહ્યા સુખદાઇ;
લખુબાઇ છે સમાધિનિષ્ઠા, જ્ઞાન વૈરાગ્યમાં તે વરિષ્ઠા.20
મત અદ્વૈતને માનનારી, જાણે ઇશ્વરને નિરાકારી;
સાધુઓને સદાવ્રત દેતી, તપની પરીક્ષા કરી લેતી.21
તેણે મોટા તપસ્વી તે જાણ્યા, સનકાદિક તુલ્ય પ્રમાણ્યા;
તેથી રાખ્યા પોતાતણે ઘેર, સ્નેહે સેવા સજે સારીપેર.22
વિઠ્ઠલાનંદ ને બાલાનંદ, બ્રહ્મચારી હતા નિર્દ્વદ્વ;
તેની પાસે રસોઇ કરાવે, મહારાજને થાળ ધરાવે.23
ઘેર ભેંસો તણું ખાડું હતું, નિત્ય નિત્ય ઘણું દૂધ થતું;
દૂધની તર સાકર સાથ, જમતા નિત્ય ત્યાં મુનિનાથ.24
ઘણો ભાવ ભાળી અવિનાશ, ત્રણ માસ રહ્યા ત્યાં નિવાસ;
ત્યાંથી પ્રાચીયે નાવાને કાજ, કોઇ દિવસ જતા મહારાજ.25
સર્વ જાણે હરિ સાક્ષાત, તોય પૂછી તે બાઇને વાત;
ભકિતદીક્ષા તમે કયાંથી ધારી ? કહો કોણ છે આ બ્રહ્મચારી?26
કહે બાઇ ગુરુ તો અમારા, આતમાનંદજી હતા સારા;
આવ્યા આ ગામમાં તેહ જયારે, ઘણા શિષ્ય તેના થયા ત્યારે.27
વિપ્ર વિઠ્ઠલ અહીં રહેનારો, તેનો શિષ્ય થયો ઘણો સારો;
થયો તે દ્વિજનારીનો કાળ, મુકિયો ત્રણ માસનો બાળ.28
આત્માનંદને વિઠ્ઠલે પૂછ્યું, બાળ દેખીને દાઝી મરું છું;
મળતું નથી ધવરાવનારું, એને કેમ કરીને ઉગારું ?29
સુણી કહે આત્માનંદસ્વામી, ધવરાવ તું આનંદ પામી;
જહાંસુધી તે બાળક ધાવે, સ્તન તારા વિષે દૂધ આવે.30
એવું દીધું એને વરદાન, ધવરાવે તે માતસમાન;
જયારે બાળકે ધાવણ મૂકયું, સ્તનમાંથી ત્યારે દૂધ સૂક્યું.31
દશ વર્ષનો સુત થયો જયારે, ગુરુને કહ્યું વિઠ્ઠલે ત્યારે;
દયાવંત દયા દિલ ધારી, અમો બેને કરો બ્રહ્મચારી.32
સુણી ગુરુજીએ કરુણા કીધી, દીક્ષા તે જણ બેયને દીધી;
વિઠ્ઠલાનંદ ને બાલાનંદ, એવાં નામ ધર્યા સુખકંદ.33
તેઓને ગુરુએ કહ્યું એવું, લખુબાઇની પાસે રહેવું;
વળી ગુરુએ મને કહી વાણી, આ બે રાખજો આપના જાણી.34
સદાવ્રત વિઠ્ઠલાનંદ દેશે, ભેંશો ચારવા બીજો રહેશે;
કહે બાઇ અહો તપ ધારી! બેય છે એ જ આ બ્રહ્મચારી.35
આત્માનંદસ્વામી છે જેહ, અમે માનિયે ઈશ્વર તેહ;
તેને ભજીયે છૈયે ભાવ આણી, દાતા કલ્યાણના એ જ જાણી.36
બીજી વાત કહું એક વળી, તમે સ્નેહથી લેજો સાંભળી;
મોટા સંત રામાનંદનામ, ગયા શ્રીરંગક્ષેત્રને ઠામ.37
રામાનુજ થકી દીક્ષા લીધી, પાછી સોરઠમાં ગતિ કીધી;
આત્માનંદ સાથે વાદ ધર્યો, વાદ અદ્વૈત ખંડન કર્યો.38
સ્વામીએ શિષ્ય સૌને બોલાવી, સારી રીતે કહ્યું સમઝાવી;
રામાનંદસ્વામી કહે જેમ, સર્વે જન તમે વર્તજો તેમ.39
એની સમઝણ છે ઘણી સારી, માટે જાણજો જનહિતકારી;
એમ કહી આત્માનંદ તેહ, જઇ રામપરે તજયો દેહ.40
તેના શિષ્ય સરવ જે રહ્યા, રામાનંદ તણા શિષ્ય થયા;
મત માને વિશિષ્ટાદ્વૈત, નવ માને કદી તે અદ્વૈત.41
પણ હું અને આ બ્રહ્મચારી, ત્રણ જણ તો રહ્યાં ટેક ધારી;
આત્માનંદને ઇશ્વર ગણિયે, મત અદ્વૈત તે ભલો ભણિયે.42
રામાનંદે તો આગ્રહ કર્યો, અમે શબ્દશ્રવણ નવ ધર્યો;
તેણે અમને કર્યા છે વિમુખ, તેનું અમને નથી કાંઇ દુઃખ.43
અહીંના હરિજન નરનારી, તે તો માને છે વાત અમારી;
સંપ્રદાય ગાદીપતિ જેવી, મને માને છે સૌ જન તેવી.44
ધર્મપુત્ર છે અંતરજામી, તોય વાત પૂછી લીધી સ્વામી;
કરુણાનિધિ કરુણા કરી, લખુબાઇ પ્રત્યે કહે હરી.45
સત્ય માનો વિશિષ્ટાદ્વૈત, મત સત્ય નથી જ અદ્વૈત;
વ્યાસસૂત્ર તથા જે વેદાંત, સંભળાવી તેની ભાંગી ભ્રાંત.46
ત્રણ જણને કર્યા નિજમતનાં, કાઢ્યાં ખોદીને મૂળ અસતનાં;
લખુબાઇને કહે ભગવાન, તમે માગો મુખે વરદાન.47
કહે બાઇ સુણો તપધામ, મારો પુત્ર જે છે વીરો નામ;
સુત તે અને ભેંશો છે જેહ, સદાકાળ સુખી રહે તેહ.48
સુણી ભાખે મુખે ભગવંત, તે તો માગ્યું તમે નાશવંત;
વરદાન બીજું મુખે માગો, પશુપુત્રની વાસના ત્યાગો.49
લખુબાઇ વળી એમ કહે, આ અખંડ સદાવ્રત રહે;
એ જ માગું છું હું વરદાન, આપો એટલું કરુણાનિધાન.50
સુણી બોલિયા ત્યારે શ્રીહરિ, નાશવંત માગ્યું તમે ફરી;
માગો એવું જે નાશ ન થાય, રહે અક્ષય કાળ સદાય.51
માગ્યો બાઇએ શ્રીપ્રભુપાસ, અંતે અક્ષરધામમાં વાસ;
વરદાન પછી એ જ આપ્યું, કષ્ટ જન્મમરણતણું કાપ્યું.52
કહે વર્ણી સુણો વસુધેશ, લખુની કહું વાત વિશેષ;
રામાનંદને હરિ મળ્યા જયારે, કર્યો હરિએ પ્રયત્ન તો ત્યારે.53
લખુને સતસંગમાં લેવા, જુઓ કૃષ્ણ કૃપાળુ છે કેવા;
પણ માને નહીં લખુબાઇ,સમાધિ તણા ગર્વે ભરાઇ.54
કહે શિષ્ય થવાથી લજાઉં, રામાનંદની શિષ્ય ન થાઉં;
રામાનંદ રહ્યા સાક્ષાત, તેણે માની ન ત્યાં સુધી વાત.55
પણ શ્રીહરિને અનુસરી, અંતે અક્ષરધામ વિચરી;
જયારે જીવમાં મમત ભરાય, સત્ય વાત ન ત્યારે મનાય.56
હવે કૃષ્ણ તણી કહું વાત, લોઢવાથી ચાલ્યા જગતાત;
પુર પાટણ નામ પ્રભાસ, ત્રણ રાત્રી કર્યો ત્યાં નિવાસ.57
નદી હીરણ ને સરસ્વતી, મળે ત્રીજી તહાં મધવતી;
તેથી નામ ત્રિવેણી ગણાય, નાહ્યા તે વિષે ત્રિભુવનરાય.58
વળી સાગરને તટ જઇ, જમ્યા ત્યાંથી સદાવ્રત લઇ;
પુર પાટણથી પૂર્વ ઠામ, એક ભલકા તળાવડી નામ.59
ત્યાં છે પીપળાનું ઝાડ જેહ, જહાં કૃષ્ણે તજયો હતો દેહ;
કૃષ્ણ સૂતા હતા જેવી રીતે, તેમ શામ સૂતા તહાં પ્રીતે.60
આવ્યો ત્યાં એક બ્રાહ્મણ કોઇ, બોલ્યો ચરણ વિષે ચિહ્ન જોઇ;
તમે કૃષ્ણ દિસો છોજી આપ, માટે મુજને કરો નિષ્પાપ.61
કૃષ્ણરૂપે જ દર્શન આપો, મારા મન તણો સંશય કાપો;
સુણી કરુણા કરી મુનિભૂપે, દીધું દર્શન કૃષ્ણસ્વરૂપે.62
એહ બ્રાહ્મણનું કરી કાજ, આવ્યા પાટણમાં મહારાજ;
એમ પુનીત કરી તેહ સ્થાન, ગયા ભંડુરિયે ભગવાન.63
ઊતર્યા ત્યાં લુહારને ઘેર, તેણે સેવા કરી સારી પેર;
પછી માળિયે થઇ મહારાજ, શેરગઢ રહ્યા નિજ જનકાજ.64
શીમાશીને ચોરે રહી નીશ, જૂનેગઢ ગયા શ્રીજગદીશ;
રૈવતાચળ નજરે નિહાળ્યો, પદસ્પર્શે તેનો મળ ટાળ્યો.65
પુષ્પિતાગ્રાવૃત્ત :-
ગિરિવર પર પાવ ધારી દીધો, ગિરિ ગિરનાર પવિત્ર આપ કીધો;
પ્રભુપદ પ્રણમ્યાં સુતીર્થ દેવો, અવસર જાણી લીધો અમુલ્ય એવો.66
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ રૈવતાચળ-પ્રાપ્તનામા ચતુર્વિંશતિતમો વિશ્રામઃ ।।24।।