દોહા :-
કર જોડી નરપતિ કહે, અહો અચિંત્યાનંદ;
કહો કથા હરિકૃષ્ણની, સુણી ટળે દુઃખદ્વન્દ્વ.1
કહે અચિંત્યાનંદજી, ધન્ય ધન્ય ધરણીશ;
શ્રવણ ભકિત ભલિ ભાળીને, આપું શુભ આશીષ.2
આઠ ભુજા ને આઠ પદ, ખટ મુખ લોચન બાર;
તુજ મનમાં ત્રણ મૂર્તિ તે, સદા વસો કરી પ્યાર.3
એક સહસ્ત્ર ને ઉભય મુખ, ષટ કર ને પદ ચાર;
તે તમારી રક્ષા કરે, પૂચ્છ એક ધરનાર.4
ચોપાઈ :-
સુણો ભૂપ અભેસિંહભાઇ, કહું કૃષ્ણકથા સુખદાઇ;
મહુવામાં ગયા મહારાજ, કૈક જીવનાં કલ્યાણ કાજ.5
તહાં લક્ષ્મીનારાયણ કેરું, એક મંદિર સારું ઘણેરું;
હનુમાનની દેરી છે જયાંય, દીઠું આંબલીનું ઝાડ ત્યાંય.6
કર્યુંઓટલે ત્યાં જ આસન, વસ્યા ત્રણ દિન પ્રાણજીવન;
બાવે એક દિવસ દીધું સીધું, બીજે દિન એક વાણિયે દીધું.7
બાવા ફુલવણકેરી જગ્યાથી, ત્રીજે દિવસ મળ્યું સીધું ત્યાંથી;
નદી માળણને તટ સારો, તલગાજરડાનો છે આરો.8
કોઠો બાવાનો છે તેહ સ્થાન, નાહ્યા બે દિન ત્યાં ભગવાન;
નદી માળણ પાવન કરી, જોગસાધન ત્યાં કર્યું હરી.9
મવાબંદરને મહારાજે, તીર્થર્રૂપ કર્યું જનકાજે;
ગામ ડોળિયે જૈ હરિ ખમ્યા, વિપ્ર વિઠ્ઠલને ધેર જમ્યા.10
ગામ પટવે ગયા ત્યાંથી માવ, ત્યાં છે પૂર્વમાં એક તળાવ;
તેને પૂર્વતટે વિના વાડ્ય, રુડું એક રોહણનું છે ઝાડ.11
થોડીવાર બેસી તેહ ઠામ, ગયા ગુણનિધિ ચાંચવે ગામ;
ત્યાંથી પૂર્વે તળાવ છે ત્યાંનું, પૂર્વતટ તરુ છે રુખડાનું.12
બેઠા બે ઘડી ત્યાં બળવંત, પછી ત્યાંથી ચાલ્યા ભગવંત;
ગામ ડુંગરે ત્યાં થકી આવ્યા, પિપાવાવ્યે તહાંથી સિધાવ્યા.13
પિપા ભકત તણી જ જગ્યાથી, લીધું શામે સદાવ્રત ત્યાંથી;
જમીને ગયા વાવેરે ગામ, શિવમંદિર દીઠું તે ઠામ.14
તેના ધાબા ઉપર બેય રાત, રહ્યા શામસુંદર સાક્ષાત;
ત્યાંથી રાજુલે થઇ વડગામ, એ જ ગામથી ઉત્તર ઠામ.15
એક મશીદ છે તેની પાસ, રાતવાસો રહ્યા અવિનાશ;
રામપર વિચર્યા વનમાળી, ગામથી પૂર્વ ખીજડો ભાળી.16
બેઠા બે ઘડી ત્યાં કરી દયા, પછી ગામથી પશ્ચિમે ગયા;
વેજાતો વારીનો વોકળો દીઠો, લાગ્યો મોહનને મન મીઠો.17
ઉંધમતિયો છે એહનું નામ, તેમાં સ્નાન કર્યું ઘનશામ;
ગયા ગામમાં થઇને લેરી, દૂર ચાંચુડા શિવની દેરી.18
નદી ધાતરવડી વહે છે, ઝાડ તમરતણું એક જે છે;
આત્માનંદ સ્વામીને તે ઠાર, કર્યો હતો ઉત્તરસંસ્કાર.19
સર્વ જાણે છે અંતરજામી, જગ્યા જોયામાં રાખી ન ખામી;
નદી ઊતરીને તેહ ઠામ, ગયા કૃષ્ણજી કોવૈયે ગામ.20
ત્યાં છે સાગરતટ રુચિર,આદિવરાહજીનું મંદિર;
ત્યાંના દેવનાં દર્શન કરી, રાતવાસો રહ્યા તહાં હરી.21
ગાંગડાગામે વડ હેઠ જઇ, પાણી પીધું કુવામાંથી લઇ;
સામતેજ જઇ રહ્યા રાત, શામકુંડે નાહ્યા સાક્ષાત.22
ગયા શીમર ઊઠી સવારે, એ જ ગામને દક્ષિણ દ્વારે;
સૂર્યકુંડે નાહ્યા સાક્ષાત, ધર્મશાળા વિષે રહ્યા રાત.23
એક આવ્યો વણિક તે સ્થાન, દિસે લોભ તે મૂરતિમાન;
અંગે ફાટેલ વસ્ત્ર ધરેલાં, ઘણાં મેલાં ને જુવો ભરેલાં.24
લોભી વિષે :- ઉપજાતિવૃત્ત :-
લોભી પુરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય;
માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહી ઓસડનો અપાય.25
લોભી કને જો બહુ દ્રવ્ય હોય, ફરે જ થૈને અતિ રાંક તોય;
ચિંતા ધરે તે નિજમૃત્યુ કાળે, રખે ચિતામાં બહુ કાષ્ઠ બાળે.26
લોભી ન જાણે મન પુણ્ય પાપ, જાણે મહિમા ધનનો અમાપ;
માંખી તણો સંગ્રહ જેમ જાય, લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય.27
લોભી ન રાખે દિલમાં દયાય, તે ક્રોધી કામી સરખો ગણાય;
છે પાપનું મૂળ સદૈવ લોભ, છે છાપરું ધારક જેમ મોભ.28
લોભી તણું દ્રવ્ય કુમાર્ગ જાય, ચૌરાગ્નિ કે ભૂપ કચેરી ખાય;
માતા પિતાને નહિ લોભી પાળે, લોભી પ્રજાનું પણ પેટ બાળે.29
જોગી જતીને જન લોભી સેવે, જાણે મને તે જડી બુટ્ટી દેવે;
જયાં લોભીયા લોક વસે ઘણાય, ત્યાં ધૂર્તકેરું ગુજરાન થાય.30
ચોપાઈ :-
મહાલોભી તે એવો વણીક, તેણે જાણ્યું જે જોગી છે ઠીક;
સોળે ચિહ્ન નિહાળ્યાં છે પગમાં, તેથી જાણ્યું આવા નથી જગમાં.31
માટે સેવા કરું સારી રીતે, તો તે રીઝશે મુજપર પ્રીતે;
સારું સારું કરાવું ભોજન, તો તે આપશે પુષ્કળ ધન.32
જોગીને જઇ વંદન કીધું, પછી જમવાનું નોતરું દીધું;
ઉર દ્રવ્યની ઇચ્છા છે એને, બીજો અર્થ કશો નથી તેને.33
સર્વ જાણે છે શામ સુજાણ, પણ કરવું છે તેનું કલ્યાણ;
માટે જમવાનું નૌતરું માન્યું, મન રાજી થયું વાણિયાનું.34
વિપ્ર પાસે રસોઇ કરાવી, દૂધપાક ને પુરી બનાવી;
બહુ સ્વાદિષ્ટ શાક કરાવ્યાં, ભાતભાતનાં ભજીયાં તળાવ્યાં.35
બેઠા જમવાને શ્રીહરિ જયારે, બેઠો વાણિયો વેગળો ત્યારે;
જમી આસને જઇ રહ્યા રાત, પછી ઊઠીને ચાલ્યા પ્રભાત.36
ચાલ્યો વાણિયો સાથે વળાવા, ઇચ્છા અંતરે શ્રીમંત થાવા;
એક ગાઉ સુધી સાથે ગયો, ધાર્યો સ્વારથ સિદ્ધ ન થયો.37
વળો પાછા કહ્યું હરિ જયારે, બોલ્યો વાણિયો વાણી તે વારે;
કૃપાનાથ કૃપા ઊર ધરો, મને સર્વથી શ્રીમંત કરો.38
મુજને અગણિત ધન આપો, દયાળુ મુજ દારિદ્ર કાપો;
મોટા જાણી કરી છે મેં સેવા, નથી જોગી બીજા તમ જેવા.39
સુણી બોલિયા સુંદરશામ, તને આપું હું અવિચળ ધામ;
આપું વૈકુંઠ ગોલોકવાસ, સુખ આપું તને અવિનાશ.40
ધનમાં તો નથી કશો માલ, ધન લૈને શું થૈશ નિહાલ;
સુણી બોલિયો વાણીયો વાણી, મને દ્રવ્ય આપો દયા આણી.41
બીજી વાત કશી નવ જાણું, આપો નાથ મને ઘણું નાણું;
દ્રવ્યતુલ્ય બીજું નવ્ય મળે, દ્રવ્યે મુનિવરનાં મન ચળે.42
દ્રવ્ય વિષે :- ઉપજાતિવૃત્ત :-
નાણા થકી યજ્ઞ ઘણા કરાય, નાણા વડે સ્વર્ગ વિષે જવાય;
નાણા થકી સંકટ તો ટળે છે, નાણા વડે વસ્તુ બધી મળે છે.43
મદત્વ કેવું કનકે રહે છે, જો ધતુરાનું પણ નામ તે છે;
આશ્ચર્ય મોટું અતિ એક એ છે, નામ પ્રમાણે મદ તે કરે છે.44
ન કોઇનો કિંકર કોઇ જાણો, પૈસા તણા કિંકર સૌ પ્રમાણો;
ગરીબ શ્રીમંત જનો જણાય, એવી સ્થિતિ સૌ ધનથી ગણાય.45
જેને ઘણું દ્રવ્ય કુલીન એહ, ડાહ્યા તથા સર્વ ગુણજ્ઞ તેહ;
તેને જ સૌ કો નમવા ધસે છે, સર્વે ગુણો કાંચનમાં વસે છે.46
બનેવી કો નિર્ધનનો ન થાય, સાળો થવાને ધનિનો ચહાય;
જો ગાંડું ઘેલું ધનવંત બોલે, સર્વે વખાણે શ્રુતિવાકય તોલે.47
પુત્રો સખા પત્નિ તથા પિતા છે, આ લોકમાં સૌ ધનના સગા છે;
પૈસા વડે છે જનની વડાઇ, ભાખે મુખે સૌ જન ભાઇભાઇ.48
વિદેશ જાશે જન દ્રવ્ય માટે, માથું કપાવે વળી વિત્ત માટે;
ઊંડે સમુદ્રે જઇને પડે છે, જાણે અહિં મોતિ મને જડે છે.49
પૈસો પ્રભુતા જગમાં ધરે છે, જૈ જંગલે મંગળ તે કરે છે;
પૈસા વસે પુષ્કળ જેની પાસ, દેખાય તેના જન સર્વ દાસ.50
વિદ્યા તણી તો ન રસોઇ થાય, ગુણો તણાં શું બચકાં ભરાય ?
કીર્તિ સુણી ભૂખ કદી ન જાય, સર્વોપરી તો ધન છે સદાય.51
જો માનતા દેવ તણી કરે છે, રોગાદિ પીડા જનની હરે છે;
દેવો રીઝે છે બહુ દ્રવ્યદાને, છે દ્રવ્ય તો દુર્લભ દેવતાને.52
વિના પગે જે જગમધ્ય ચાલે, વિના કરે ઇચ્છિત લાવી આલે;
નિર્જીવ છે તોય બલિષ્ઠ જે છે, આ વિશ્વનું જીવન દ્રવ્ય એ છે.53
જો લક્ષ્મી દાતા કદી લાત મારે, લાગે નહીં દુઃખ દિલે લગારે;
મારી ભૃગુયે હરિને જ લાત, ન કોપ કીધો ગણી લક્ષ્મીતાત.54
વસંતતિલકાવૃત્ત :-
લક્ષ્મી વિના જગતમાં જન હોય જયારે, બોલાવશે જન બધા મુખથી તુંકારે;
જે કાનુડો વ્રજ વિષે મહી ચોરી ખાય, લક્ષ્મી મળ્યા થકી થયા રણછોડરાય.55
અથ ધનનિષેધ વિષે :- ઉપજાતિવૃત્ત :-
કહે હરિ દ્રવ્ય ઘણું નઠારું, કુબુદ્ધિ ને કલેશ વધારનારું;
જો દ્રવ્યનો કાંઇ રહ્યો ન પાર, તો ધર્મરાજા રમિયા જુગાર.56
લડાવી મારે ધન ભાઇભાઇ, લડાવી મારે સસરા જમાઇ;
અધર્મ અન્યાય અનેક થાય, જો દ્રવ્યમાં દોષ ઘણા જણાય.57
જયાં દ્રવ્ય છે ત્યાં રિપુ હોય ઝાઝા, જૂના મટે તો વળી થાય તાજા;
જે માનવી નો ન સરે જ અર્થ, નિંદા કરે મુકી કલંક વ્યર્થ.58
ઘણું શરીરે મધ ચોપડાય, મંકોડી માંખી કરડી જ ખાય;
શ્રીમતને તેમજ દુઃખ છેક, સ્વાર્થી મળીને કરડે અનેક.59
જો દ્રવ્યમધ્યે સુખશાંતિ હોય, તો તુચ્છ જાણી ન તજે જ કોય;
ભર્તૃહરી આદિ નૃપો થયા છે, તે દ્રવ્ય ત્યાગી વનમાં ગયા છે.60
સંભાળ વિશ્વંભર સૌની લે છે, તે અન્ન વસ્ત્રો પરિપૂર્ણ દે છે;
કોઇ થકી ઝાઝું નહીં ખવાય, શ્રીમંત સ્વાદુ જમી રોગી થાય.61
પેદા કર્યામાં શ્રમ છે અપાર, તે સાચવ્યામાં ભય છે હજાર;
કદી મળેલું ધન નાશ થાય, મૃત્યુસમું સંકટ તો જણાય.62
જે કોય અંતે ધન મૂકી જાય, જેને મળે તે જન રાજી થાય;
શ્રીમંત ચિંતા દિનરાત રાખે, રખે મને કોઇક મારી નાખે.63
જેને હશે વૈભવ જો વિશેષ, તેને દિલે થાય વિશેષ કલેશ;
શ્રીમંતને ઊંઘ સુખે ન આવે, તે દ્રવ્યઇચ્છા જન મૂર્ખ લાવે.64
જો પંથ ચાલે સવળે રમા છે, જો ઊલટે માર દિસે સદા છે;
તે માટ લક્ષ્મી તણી આશ છોડો, પ્રીતિ પ્રભુના પદ માંહિ જોડો.65
ચોપાઈ :-
સુણી બોલિયો વાણિયો વાણી, દ્રવ્ય આપો મને દયા આણી;
મોટા જાણી જમાડ્યા મેં તમને, કરો નાથ અનુગ્રહ અમને.66
બોલ્યા સુંદરશામ વચન, બહુ છે ધન માંહી બંધન;
તોય છે અતિ ઇચ્છા તમારી, માટે સાંભળો વાણી અમારી.67
દ્રવ્ય જેટલું જોગ્ય જણાશે, તેટલું તમને પ્રાપ્ત થાશે;
એવી આશીષ સાંભળી લઇને, ગયો વણિક તે રાજી થઇને.68
દોહરા :-
વાટે જાતાં વાણિયો, કરી વિચાર વિશેષ;
આપે લાગ્યો આપવા, નિજ મનને ઉપદેશ.69
ભલો જ્ઞાનરસકુંભ છે, શ્રીપ્રભુપદતળપાસ;
તેહ વિષે તું માનીલે, મનવા ભલો નિવાસ.70
કલશપ્રબંધ :-
લોભ ન કરવા નરજનમ, નિરધન વા ધનપાસ;
માની જ્ઞાનરસ કુંભમાં, મનવા ભલો નિવાસ.71
પુષ્પિતાગ્રાવૃત્ત :-
અઘટિત ઘટિતાદિ પાત્ર જાણે, વિભવ કરે પ્રભુ પ્રાપ્ત તે પ્રમાણે;
નિજજન હિતકારી તે હરિ છે, સુખ કરવા જ સદૈવ આપ ઇચ્છે.72
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શીમરગ્રામ નિવાસી -લોભિવણિજાખ્યાનકથનનામા ત્રયોવિંશતિતમો વિશ્રામઃ ।।23।।