દોહા :-

કર  જોડી  નરપતિ  કહે,  અહો  અચિંત્યાનંદ;

કહો  કથા  હરિકૃષ્ણની,  સુણી  ટળે  દુઃખદ્વન્દ્વ.1

કહે   અચિંત્યાનંદજી,   ધન્ય   ધન્ય   ધરણીશ;

શ્રવણ ભકિત ભલિ ભાળીને, આપું શુભ આશીષ.2

આઠ  ભુજા  ને  આઠ  પદ,  ખટ  મુખ  લોચન  બાર;

તુજ  મનમાં  ત્રણ  મૂર્તિ  તે,  સદા  વસો  કરી  પ્યાર.3

એક  સહસ્ત્ર  ને  ઉભય  મુખ,  ષટ  કર  ને  પદ  ચાર;

તે  તમારી  રક્ષા  કરે,  પૂચ્છ  એક  ધરનાર.4

ચોપાઈ :-

સુણો  ભૂપ  અભેસિંહભાઇ,  કહું  કૃષ્ણકથા  સુખદાઇ;

મહુવામાં  ગયા  મહારાજ,  કૈક  જીવનાં  કલ્યાણ  કાજ.5

તહાં  લક્ષ્મીનારાયણ  કેરું,  એક  મંદિર  સારું  ઘણેરું;

હનુમાનની  દેરી  છે  જયાંય,  દીઠું  આંબલીનું  ઝાડ  ત્યાંય.6

કર્યુંઓટલે ત્યાં જ આસન, વસ્યા ત્રણ દિન પ્રાણજીવન;

બાવે એક દિવસ દીધું સીધું, બીજે દિન એક વાણિયે દીધું.7

બાવા ફુલવણકેરી જગ્યાથી, ત્રીજે દિવસ મળ્યું સીધું ત્યાંથી;

નદી  માળણને  તટ  સારો,  તલગાજરડાનો  છે  આરો.8

કોઠો બાવાનો છે તેહ સ્થાન, નાહ્યા બે દિન ત્યાં ભગવાન;

નદી  માળણ  પાવન  કરી,  જોગસાધન  ત્યાં  કર્યું હરી.9

મવાબંદરને   મહારાજે,   તીર્થર્રૂપ   કર્યું  જનકાજે;

ગામ  ડોળિયે  જૈ  હરિ  ખમ્યા,  વિપ્ર  વિઠ્ઠલને  ધેર  જમ્યા.10

ગામ પટવે ગયા ત્યાંથી માવ, ત્યાં છે પૂર્વમાં એક તળાવ;

તેને  પૂર્વતટે  વિના  વાડ્ય,  રુડું  એક  રોહણનું  છે  ઝાડ.11

થોડીવાર  બેસી  તેહ  ઠામ,  ગયા  ગુણનિધિ  ચાંચવે  ગામ;

ત્યાંથી  પૂર્વે  તળાવ  છે  ત્યાંનું,  પૂર્વતટ  તરુ  છે  રુખડાનું.12

બેઠા  બે  ઘડી  ત્યાં  બળવંત,  પછી  ત્યાંથી  ચાલ્યા  ભગવંત;

ગામ ડુંગરે ત્યાં થકી આવ્યા, પિપાવાવ્યે તહાંથી સિધાવ્યા.13

પિપા ભકત તણી જ જગ્યાથી, લીધું શામે સદાવ્રત ત્યાંથી;

જમીને  ગયા  વાવેરે  ગામ,  શિવમંદિર  દીઠું  તે  ઠામ.14

તેના  ધાબા  ઉપર  બેય  રાત,  રહ્યા  શામસુંદર  સાક્ષાત;

ત્યાંથી  રાજુલે  થઇ  વડગામ,  એ  જ  ગામથી  ઉત્તર  ઠામ.15

એક  મશીદ  છે  તેની  પાસ,  રાતવાસો  રહ્યા  અવિનાશ;

રામપર  વિચર્યા  વનમાળી,  ગામથી  પૂર્વ  ખીજડો  ભાળી.16

બેઠા  બે  ઘડી  ત્યાં  કરી  દયા,  પછી  ગામથી  પશ્ચિમે  ગયા;

વેજાતો વારીનો વોકળો દીઠો, લાગ્યો મોહનને મન મીઠો.17

ઉંધમતિયો  છે  એહનું  નામ,  તેમાં  સ્નાન  કર્યું ઘનશામ;

ગયા  ગામમાં  થઇને  લેરી,  દૂર  ચાંચુડા  શિવની  દેરી.18

નદી  ધાતરવડી  વહે  છે,  ઝાડ  તમરતણું  એક  જે  છે;

આત્માનંદ  સ્વામીને  તે  ઠાર,  કર્યો  હતો  ઉત્તરસંસ્કાર.19

સર્વ જાણે છે અંતરજામી, જગ્યા જોયામાં રાખી ન ખામી;

નદી  ઊતરીને  તેહ  ઠામ,  ગયા  કૃષ્ણજી  કોવૈયે  ગામ.20

ત્યાં  છે  સાગરતટ  રુચિર,આદિવરાહજીનું  મંદિર;

ત્યાંના  દેવનાં  દર્શન  કરી,  રાતવાસો  રહ્યા  તહાં  હરી.21

ગાંગડાગામે  વડ  હેઠ  જઇ,  પાણી  પીધું  કુવામાંથી  લઇ;

સામતેજ  જઇ  રહ્યા  રાત,  શામકુંડે  નાહ્યા  સાક્ષાત.22

ગયા  શીમર  ઊઠી  સવારે,  એ  જ  ગામને  દક્ષિણ  દ્વારે;

સૂર્યકુંડે  નાહ્યા  સાક્ષાત,  ધર્મશાળા  વિષે  રહ્યા  રાત.23

એક  આવ્યો  વણિક  તે  સ્થાન,  દિસે  લોભ  તે  મૂરતિમાન;

અંગે  ફાટેલ  વસ્ત્ર  ધરેલાં,  ઘણાં  મેલાં  ને  જુવો  ભરેલાં.24

લોભી વિષે :- ઉપજાતિવૃત્ત :-

લોભી પુરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય;

માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહી ઓસડનો અપાય.25

લોભી કને જો બહુ દ્રવ્ય હોય, ફરે જ થૈને અતિ રાંક તોય;

ચિંતા ધરે તે નિજમૃત્યુ કાળે, રખે ચિતામાં બહુ કાષ્ઠ બાળે.26

લોભી ન જાણે મન પુણ્ય પાપ, જાણે મહિમા ધનનો અમાપ;

માંખી તણો સંગ્રહ જેમ જાય, લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય.27

લોભી ન રાખે દિલમાં દયાય, તે ક્રોધી કામી સરખો ગણાય;

છે પાપનું મૂળ સદૈવ  લોભ, છે છાપરું ધારક જેમ મોભ.28

લોભી તણું દ્રવ્ય કુમાર્ગ જાય, ચૌરાગ્નિ કે ભૂપ કચેરી ખાય;

માતા પિતાને નહિ લોભી પાળે, લોભી પ્રજાનું  પણ પેટ બાળે.29

જોગી જતીને જન લોભી સેવે, જાણે મને તે જડી બુટ્ટી દેવે;

જયાં લોભીયા લોક વસે ઘણાય, ત્યાં ધૂર્તકેરું ગુજરાન થાય.30

ચોપાઈ :-

મહાલોભી તે એવો વણીક, તેણે જાણ્યું જે જોગી છે ઠીક;

સોળે ચિહ્ન નિહાળ્યાં છે પગમાં, તેથી જાણ્યું આવા નથી જગમાં.31

માટે  સેવા  કરું  સારી  રીતે,  તો  તે  રીઝશે  મુજપર  પ્રીતે;

સારું  સારું  કરાવું  ભોજન,  તો  તે  આપશે  પુષ્કળ  ધન.32

જોગીને  જઇ  વંદન  કીધું,  પછી  જમવાનું  નોતરું  દીધું;

ઉર  દ્રવ્યની  ઇચ્છા  છે  એને,  બીજો  અર્થ  કશો  નથી  તેને.33

સર્વ  જાણે  છે  શામ  સુજાણ,  પણ  કરવું  છે  તેનું  કલ્યાણ;

માટે  જમવાનું  નૌતરું  માન્યું,  મન  રાજી  થયું  વાણિયાનું.34

વિપ્ર  પાસે  રસોઇ  કરાવી,  દૂધપાક  ને  પુરી  બનાવી;

બહુ સ્વાદિષ્ટ શાક કરાવ્યાં, ભાતભાતનાં ભજીયાં તળાવ્યાં.35

બેઠા જમવાને શ્રીહરિ જયારે, બેઠો વાણિયો વેગળો ત્યારે;

જમી આસને જઇ રહ્યા રાત, પછી ઊઠીને ચાલ્યા પ્રભાત.36

ચાલ્યો વાણિયો સાથે વળાવા, ઇચ્છા અંતરે શ્રીમંત થાવા;

એક  ગાઉ  સુધી  સાથે  ગયો,  ધાર્યો  સ્વારથ  સિદ્ધ  ન  થયો.37

વળો પાછા કહ્યું હરિ જયારે, બોલ્યો વાણિયો વાણી તે વારે;

કૃપાનાથ  કૃપા  ઊર  ધરો,  મને  સર્વથી  શ્રીમંત  કરો.38

મુજને  અગણિત  ધન  આપો,  દયાળુ  મુજ  દારિદ્ર  કાપો;

મોટા જાણી કરી છે મેં સેવા, નથી જોગી બીજા તમ જેવા.39

સુણી  બોલિયા  સુંદરશામ,  તને  આપું  હું  અવિચળ  ધામ;

આપું  વૈકુંઠ  ગોલોકવાસ,  સુખ  આપું  તને  અવિનાશ.40

ધનમાં  તો  નથી  કશો  માલ,  ધન  લૈને  શું  થૈશ  નિહાલ;

સુણી બોલિયો વાણીયો વાણી, મને દ્રવ્ય આપો દયા આણી.41

બીજી  વાત  કશી  નવ  જાણું,  આપો  નાથ  મને  ઘણું  નાણું;

દ્રવ્યતુલ્ય  બીજું  નવ્ય  મળે,  દ્રવ્યે  મુનિવરનાં  મન  ચળે.42

દ્રવ્ય વિષે :- ઉપજાતિવૃત્ત :-

નાણા થકી યજ્ઞ ઘણા કરાય, નાણા વડે સ્વર્ગ વિષે જવાય;

નાણા થકી સંકટ તો ટળે છે, નાણા વડે વસ્તુ બધી મળે છે.43

મદત્વ  કેવું  કનકે  રહે  છે,  જો  ધતુરાનું  પણ  નામ  તે  છે;

આશ્ચર્ય મોટું અતિ એક એ છે, નામ પ્રમાણે મદ તે કરે છે.44

ન કોઇનો કિંકર કોઇ જાણો, પૈસા તણા કિંકર સૌ પ્રમાણો;

ગરીબ શ્રીમંત જનો જણાય, એવી સ્થિતિ સૌ ધનથી ગણાય.45

જેને  ઘણું  દ્રવ્ય  કુલીન  એહ,  ડાહ્યા  તથા  સર્વ  ગુણજ્ઞ  તેહ;

તેને જ સૌ કો નમવા ધસે છે, સર્વે ગુણો કાંચનમાં વસે છે.46

બનેવી કો નિર્ધનનો ન થાય, સાળો થવાને ધનિનો ચહાય;

જો ગાંડું ઘેલું ધનવંત બોલે, સર્વે વખાણે શ્રુતિવાકય તોલે.47

પુત્રો સખા પત્નિ તથા પિતા છે, આ લોકમાં સૌ ધનના સગા છે;

પૈસા વડે છે જનની વડાઇ, ભાખે મુખે સૌ જન ભાઇભાઇ.48

વિદેશ જાશે જન દ્રવ્ય માટે, માથું કપાવે વળી વિત્ત માટે;

ઊંડે  સમુદ્રે  જઇને  પડે  છે,  જાણે  અહિં  મોતિ  મને  જડે  છે.49

પૈસો  પ્રભુતા  જગમાં  ધરે  છે,  જૈ  જંગલે  મંગળ  તે  કરે  છે;

પૈસા વસે પુષ્કળ જેની પાસ, દેખાય તેના જન સર્વ દાસ.50

વિદ્યા તણી તો ન રસોઇ થાય, ગુણો તણાં શું બચકાં ભરાય ?

કીર્તિ સુણી ભૂખ કદી ન જાય, સર્વોપરી તો ધન છે સદાય.51

જો માનતા દેવ તણી કરે છે, રોગાદિ પીડા જનની હરે છે;

દેવો  રીઝે  છે  બહુ  દ્રવ્યદાને,  છે  દ્રવ્ય  તો  દુર્લભ  દેવતાને.52

વિના પગે જે જગમધ્ય ચાલે, વિના કરે ઇચ્છિત લાવી આલે;

નિર્જીવ છે તોય બલિષ્ઠ જે છે, આ વિશ્વનું જીવન દ્રવ્ય એ છે.53

જો લક્ષ્મી દાતા કદી લાત મારે, લાગે નહીં દુઃખ દિલે લગારે;

મારી ભૃગુયે હરિને જ લાત, ન કોપ કીધો ગણી લક્ષ્મીતાત.54

વસંતતિલકાવૃત્ત :-

લક્ષ્મી  વિના  જગતમાં  જન  હોય  જયારે, બોલાવશે   જન   બધા   મુખથી   તુંકારે;

જે  કાનુડો  વ્રજ  વિષે  મહી  ચોરી  ખાય, લક્ષ્મી  મળ્યા  થકી  થયા  રણછોડરાય.55

અથ ધનનિષેધ વિષે :- ઉપજાતિવૃત્ત :-

કહે  હરિ  દ્રવ્ય  ઘણું  નઠારું,  કુબુદ્ધિ  ને  કલેશ  વધારનારું;

જો દ્રવ્યનો કાંઇ રહ્યો ન પાર, તો ધર્મરાજા રમિયા જુગાર.56

લડાવી મારે ધન ભાઇભાઇ, લડાવી મારે સસરા જમાઇ;

અધર્મ અન્યાય અનેક થાય, જો દ્રવ્યમાં દોષ ઘણા જણાય.57

જયાં દ્રવ્ય છે ત્યાં રિપુ હોય ઝાઝા, જૂના મટે તો વળી થાય તાજા;

જે માનવી નો ન સરે જ અર્થ, નિંદા કરે મુકી કલંક વ્યર્થ.58

ઘણું  શરીરે  મધ  ચોપડાય,  મંકોડી  માંખી  કરડી  જ  ખાય;

શ્રીમતને  તેમજ  દુઃખ  છેક,  સ્વાર્થી  મળીને  કરડે  અનેક.59

જો દ્રવ્યમધ્યે સુખશાંતિ હોય, તો તુચ્છ જાણી ન તજે જ કોય;

ભર્તૃહરી આદિ નૃપો થયા છે, તે દ્રવ્ય ત્યાગી વનમાં ગયા છે.60

સંભાળ વિશ્વંભર સૌની લે છે, તે  અન્ન વસ્ત્રો પરિપૂર્ણ દે છે;

કોઇ થકી ઝાઝું નહીં ખવાય, શ્રીમંત સ્વાદુ જમી રોગી થાય.61

પેદા કર્યામાં શ્રમ છે અપાર, તે સાચવ્યામાં ભય છે હજાર;

કદી  મળેલું  ધન  નાશ  થાય,  મૃત્યુસમું  સંકટ  તો  જણાય.62

જે કોય  અંતે ધન મૂકી જાય, જેને મળે તે જન રાજી થાય;

શ્રીમંત ચિંતા દિનરાત રાખે, રખે મને કોઇક મારી નાખે.63

જેને હશે વૈભવ જો વિશેષ, તેને દિલે થાય વિશેષ કલેશ;

શ્રીમંતને ઊંઘ સુખે ન આવે, તે દ્રવ્યઇચ્છા જન મૂર્ખ લાવે.64

જો પંથ ચાલે સવળે રમા છે, જો ઊલટે માર દિસે સદા છે;

તે માટ લક્ષ્મી તણી આશ છોડો, પ્રીતિ પ્રભુના પદ માંહિ જોડો.65

ચોપાઈ :-

સુણી બોલિયો વાણિયો વાણી, દ્રવ્ય આપો મને દયા આણી;

મોટા જાણી જમાડ્યા મેં તમને, કરો નાથ અનુગ્રહ અમને.66

બોલ્યા  સુંદરશામ  વચન,  બહુ  છે  ધન  માંહી  બંધન;

તોય છે અતિ ઇચ્છા તમારી, માટે સાંભળો વાણી અમારી.67

દ્રવ્ય  જેટલું  જોગ્ય  જણાશે,  તેટલું  તમને  પ્રાપ્ત  થાશે;

એવી આશીષ સાંભળી લઇને, ગયો વણિક તે રાજી થઇને.68

દોહરા :-

વાટે  જાતાં  વાણિયો,  કરી  વિચાર  વિશેષ;

આપે  લાગ્યો  આપવા,  નિજ  મનને  ઉપદેશ.69

ભલો  જ્ઞાનરસકુંભ  છે,  શ્રીપ્રભુપદતળપાસ;

તેહ  વિષે  તું  માનીલે,  મનવા  ભલો  નિવાસ.70

કલશપ્રબંધ :-

લોભ ન કરવા નરજનમ, નિરધન વા ધનપાસ;

માની જ્ઞાનરસ કુંભમાં, મનવા ભલો નિવાસ.71

પુષ્પિતાગ્રાવૃત્ત :-

અઘટિત ઘટિતાદિ પાત્ર જાણે, વિભવ કરે પ્રભુ પ્રાપ્ત તે પ્રમાણે;

નિજજન હિતકારી તે હરિ છે, સુખ કરવા જ સદૈવ આપ ઇચ્છે.72

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શીમરગ્રામ નિવાસી -લોભિવણિજાખ્યાનકથનનામા ત્રયોવિંશતિતમો વિશ્રામઃ ।।23।।