પૂર્વછાયો :-
દીનદયાળ દિયોરથી, ચાલી ગયા લાકડીયે ગામ;
ચૌટાવચે ત્યાં ચાલિયા, હસતે મુખે ઘનશામ.1
ઠક્કર ખોજા પ્રેમજી, હાટે બેઠા હતા તે વાર;
ઘાસની ગૂંથેલી સાદડી, પાથરી હતી ઘણી સાર.2
હે નૃપ ઓળખો એહને, કારભારી શ્રીહરિના જાણ;
લાધો ઠક્કર ગઢપુર તણા, ભાઇ પ્રેમજી તેના પ્રમાણ.3
તેને હસીને કોઇયે કહ્યું, આપો જોગીને સાદડી એહ;
પ્રેમજી કહે મહાજોગી જો, કોઈ મળે તો આપું તેહ.4
હસીને બોલ્યા શ્રીહરિ, જોગી જોઇ વળો સહુ ઠાર;
અમ જેવા જોગી નહિ મળે, કોટિ બ્રહ્માંડની મોઝાર.5
એમ કહી હસી ચાલિયા, હરિ ગયા નાને ગોપનાથ;
જળ ચડાવી શંભુને, ગયા પીપરલે મુનિનાથ.6
ત્યાં એક દ્વિજ તીર્થવાસીને, નિત્ય આપતો હતો આમાન્ન;
તેને જઇ હરિએ કહ્યું, આપો અમને તો સિદ્ધાન્ન.7
ત્યારે તે દ્વિજની નારીયે, કર્યો રોટલો હરિને કાજ;
પછી તેમાં ઘી પૂરીને, કહ્યું જમો તમે મહારાજ.8
ચોપાઈ :-
બેઠા જમવાને જીવન જયારે, મુખકમળ વિકાશિયું ત્યારે;
નર નારીયે નેહે નિહાળ્યું, આખું બ્રહ્માંડ તે મધ્ય ભાળ્યું.9
દીઠી નદિયો ને સાગર સાત, દીઠો પર્વત મેરુ પ્રખ્યાત;
સાતે પાતાળ પણ દીઠાં એમાં, દીઠાં કૈલાસ વૈકુંઠ તેમાં.10
દીઠા સૂર્ય શશી ગ્રહ તારા, દીઠા મેઘ વૃષ્ટિ કરનારા;
દીઠા થાવર જંગમ પ્રાણી, દીઠાં વન નગ પૃથ્વી અજાણી.11
એવી રચના નિહાળી અપાર, પામ્યાં અચરજ તે નરનાર;
કર્યું ઉરમાં એવું અનુમાન, નરદેહ ધર્યો ભગવાન.12
કરી વિનતિ રહેવા બે માસ, તોય ત્યાં કર્યો બે દિન વાસ;
ગયા ત્યાંથી તળાજે ગામ, નાહ્યા શેત્રુંજીમાં ઘનશામ.13
એક બાવાની જગ્યા નિહાળી, ઊતર્યા જઇ ત્યાં વનમાળી;
એક વાણિયે એ સ્થળ આવી, સીધું શામને આપિયું લાવી.14
જમ્યા રાંધીને શ્રીજગદીશ, દૈવી જાણીને દીધી આશીષ;
ગગો શેઠ થયા સુત તેના, સદ્ગુણ શા વખાણિયે એના.15
હરિભકત થયા અતિ ભારી, જાણે સૌ હરિજન નરનારી;
ચાલ્યા રાત રહીને મુરારી, ગોપનાથ ગયા ગિરધારી.16
શિવમંદિરે કીધો ઉતારો, હતો ત્યાંનો મહાંત તે સારો;
તેણે સેવા સારી રીતે કરી, રાંધ્યું વિપ્રે જમ્યા તહાં હરી.17
રાખ્યા પ્રેમ કરી પાંચ રાત, નાહ્યા સિંધુમાં હરિ સાક્ષાત;
નીર ખારા મીઠાના છે કુંડ, નાહ્યા તે વિષે બાલમુકુંદ.18
એમ તીરથ પાવન કરી, ઝાંઝમેર ગયા પછી હરી;
કરી વિપ્રને ઘેર આહાર, ત્યાંથી કૃષ્ણ ગયા કળસાર.19
રહ્યા રાત ત્યાં જગજીવન, પણ કોઇએ આપ્યું ન અન્ન;
સુવા દીધા ન નિર્દય થઇ, શામ સૂતા ખળા માંહી જઇ.20
કતપર ગયા ઊઠી સવારે, લીધો મહુવાનો મારગ ત્યારે;
નદી માળણ ત્યાં જતાં આવી, ભકિતપુત્રતણે મન ભાવી.21
શામે ત્યાં જ કર્યુંસ્નાનાદિક, આવ્યો મહુવેથી એક વણિક;
નામ શેઠ પીતાંબર એહ, દશા શ્રીમાળી શ્રાવક તેહ.22
મહુવામાં એનું ઘરબાર, અધવારું હતું કળસાર;
ગાડું એક વસાણાનું ભરી, આવ્યો માળણ નદી ઊતરી.23
તેણે મોટા તપસ્વી તે દીઠા, લાગ્યા અંતરમાં અતિ મીઠાં;
પ્રેમે પદજુગ વંદન કરી, ભેટ ટોપરાં સાકર ધરી.24
ધરી ઠાકોરને ફળાહાર, જમ્યા તે પછી જગ કરતાર;
શ્યામે શિષ્ટ પ્રસાદી તે દીધી, સ્નેહે શેઠ પીતાંબરે લીધી.25
કહે કૃષ્ણ રહો કિયે ગામે ? કહો જાઓ છો તમે શા કામે ?
સુણી શેઠે કર્યો ત્યાં ઉચ્ચાર, મારું છે મહુવે ઘરબાર.26
હું છું દુર્બળ દીનદયાળ, રહી કળસારે કાઢું છું કાળ;
આવ્યો હતો વસાણું હું ભરવા, કળસારમાં વેપાર કરવા.27
સુણી બોલિયા જગજીવન, મહુવામાં રહો મહાજન;
જશે દુર્બળતા તે તમારી, મારું વેણ લેજો શિર ધારી.28
કુગ્રામમાં ન વસવા વિષે :- ઉપજાતિવૃત્ત :-
જે ગામમાં લોક વસે ઉદાર, વેપાર ધંધા વળી જયાં અપાર;
તહાં રહેવું સુખ જો ચહીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.29
જે ગ્રામમાં નિર્દય લોક હોય, સુણે નહીં કૃષ્ણ કથા જ કોય;
તહાં વસ્યાથી કદિ કષ્ટ લીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.30
જે ગામમાં પુષ્કળ હોય પાણી, પાળે પ્રજા ભૂપતિ પ્રેમ આણી;
વિચારીને વાસ તહાં વસીજે, કુગ્રામાં વાસ કદી ન કીજે.31
જયાં આપણા વેરી વિશેષ હોય, સગો નહીં કે નહીં મિત્ર કોય;
તો તે તજીને જવું ગામ બીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.32
જે ગ્રામમાં વૈદ્ય વસે ન કોય, વિદ્યાની શાળા પણ જયાં ન હોય;
તહાં રહીને સુખ શું લહીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.33
જડે ન જયાં સજ્જનનો પ્રસંગ, જહાં રહ્યાથી નિજધર્મ ભંગ;
વસ્યા થકી જયાં વ્યસની બનીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.34
જયાં આપણો ઊદ્યમ તો ન થાય, કરે ન કો સંકટમાં સહાય;
નાણું છતાં જયાં નહિ વસ્તુ લીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.35
કુગ્રામમાં વાસ કુપાત્રસેવા, કુટુંબમાં કલેશ કુમિત્ર એવા;
પત્નિ કુભાર્યા જડી હોય જેને, પ્રત્યેક પાંચે પરિતાપ તેને.36
ચોપાઈ :-
બોલ્યા શેઠ પીતાંબર વેણ, શીર ધારીશ આપનું કેણ;
મહુવામાં હવેથી વસીશ, કાંઇ વેપાર સારો કરીશ.37
શેઠ એમ કહીને સિધાવ્યા, મહુવામાં મહાપ્રભુ આવ્યા;
અભેસિંહ બોલ્યા મુદ આણી, અહો વર્ણી સુણો મુજ વાણી.38
શેઠે આપ્યો પ્રભુને આહાર, એના પુણ્ય તણો નહિ પાર;
પુણ્ય પ્રકટ થયું હોય જેહ, મહારાજ કહો મને તેહ.39
બોલ્યા વર્ણી થઇ રળિયાત, સુણો ભૂપ અભેસિંહ વાત;
રાખ્યો શ્રીહરિનો વિશ્વાસ, મહુવામાં કર્યો શેઠે વાસ.40
તેથી દુર્બળતા થઇ દૂર, પામ્યા ધાન્ય ને ધન ભરપૂર;
આપ્યો શ્રીહરિને ફળાહાર, તેનું પ્રગટિયું પુણ્ય અપાર.41
પુણ્યશાળી પામ્યા ત્રણ પુત્ર, સતસંગી થયું ઘરસૂત્ર;
પુત્ર એકનું નરસિંહ નામ, બીજા દામજી સદ્ધર્મધામ.42
ત્રીજા તે તો જેઠોભાઇ જાણું, હવે વાત વિશેષ વખાણું;
સદ્ગુરુ પરમાનંદ જેહ, મળ્યા દામજી શેઠને તેહ.43
સાર ધર્મ તણો ઉર ધર્યો, જૈન મત તજી સતસંગ કર્યો;
ખીમો શેઠ મામો મન ભાવ્યો, તેને પણ સતસંગ કરાવ્યો.44
સુત મામા તણો ફુલચંદ, ફેડ્યો તેનો અજ્ઞાનનો ફંદ;
સગાંવાલાં કર્યા સતસંગી, બીજા પણ કર્યા ભકત અભંગી.45
નાતીલાએ ઉપદ્રવ કર્યો, તેનો ડર દિલમાં નવ ધર્યો;
આવ્યું ચોમાસું ઉત્તમ જયારે, વસ્યા વરતાલમાં શેઠ ત્યારે.46
એક દિન મહુવા બંદરથી, લખ્યો પત્ર સગાઓએ ઘરથી;
તજયાં સગાં તજયાં માતતાત, કેમ વરતાલમાં વસ્યા ભ્રાત?47
એવો કાગળ વાંચિયો જયારે, શેઠે ઉત્તર લખિયો ત્યારે;
તે હું ભૂપતિ તમને સુણાવું, અચરજ મનમાં ઉપજાવું.48
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
લક્ષ્મીનાથ પિતા રમા જનનિ છે માશી ગણું ગોમતી,
ભ્રાતા વાયુકુમાર પુત્ર શિવનો એ છે સહાયી અતી;
પુત્રી પુત્ર દુહિત્ર નિત્ય નિયમો ભાર્યા સદા સંગ છે,
છે વૃત્તાલયમાં કુટુંબ સઘળું આનંદ ઉત્તંગ છે.49
ચોપાઈ :-
લખ્યો ઉત્તર તે એવી રીતે, વરતાલ વિષે વસે પ્રીતે;
દામાશેઠે ધર્યો એવો ધર્મ, સારો સમજીને શાસ્ત્રનો મર્મ.50
શેઠ પીતાંબરે કરી પ્યાર, આપ્યો કૃષ્ણને ફળ આહાર;
તેનું પુણ્ય ઉદય થયું એવું, કોટી જજ્ઞતણું ફળ જેવું.51
કોઇ ભાવ ભલો ઉર ધરે, તુળસીપત્ર અર્પણ કરે;
તોય તેને કરે છે નિહાલ, એવા છે હરિ દીનદયાળ.52
જયારે સોનાની લંકા લૂંટાય, ત્યારે ઊંઘ અભાગીને થાય;
નિધિ અમૃતનો ઉભરાય, તોય તરસ્યો અભાગિયો જાય.53
તેમ હરિએ કરી લીલાલેર, કર્યું કલ્યાણ તો ટકે શેર;
તોય લેવા ન આવે અભાગી, ન જુવે મોહનિદ્રાથી જાગી.54
પુષ્પિતાગ્રાવૃત્ત :-
કરી અતિ કરુણા કૃપાનિધાન, નરતનુ ધારી દીધું સુદર્શ દાન;
પણ જન અતિ જેહ પુણ્યશાળી, નમન કરે પ્રભુને પ્રતાપી ભાળી.55
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિમહુવાબંદર-પ્રાપ્તિનામા દ્વાવિંશતિતમો વિશ્રામઃ ।।22।।