પૂર્વછાયો :-

દીનદયાળ  દિયોરથી,  ચાલી  ગયા  લાકડીયે  ગામ;

ચૌટાવચે  ત્યાં  ચાલિયા,  હસતે  મુખે  ઘનશામ.1

ઠક્કર  ખોજા  પ્રેમજી,  હાટે  બેઠા  હતા  તે  વાર;

ઘાસની  ગૂંથેલી  સાદડી,  પાથરી  હતી  ઘણી  સાર.2

હે  નૃપ  ઓળખો    એહને,  કારભારી  શ્રીહરિના  જાણ;

લાધો  ઠક્કર  ગઢપુર  તણા,  ભાઇ  પ્રેમજી  તેના  પ્રમાણ.3

તેને  હસીને  કોઇયે  કહ્યું,  આપો  જોગીને  સાદડી  એહ;

પ્રેમજી  કહે  મહાજોગી  જો,  કોઈ  મળે  તો  આપું  તેહ.4

હસીને  બોલ્યા  શ્રીહરિ,  જોગી  જોઇ  વળો  સહુ  ઠાર;

અમ  જેવા  જોગી  નહિ  મળે,  કોટિ  બ્રહ્માંડની  મોઝાર.5

એમ  કહી  હસી  ચાલિયા,  હરિ  ગયા  નાને  ગોપનાથ;

જળ  ચડાવી  શંભુને,  ગયા  પીપરલે  મુનિનાથ.6

ત્યાં એક દ્વિજ તીર્થવાસીને, નિત્ય આપતો હતો આમાન્ન;

તેને  જઇ  હરિએ  કહ્યું,  આપો  અમને  તો  સિદ્ધાન્ન.7

ત્યારે  તે  દ્વિજની  નારીયે,  કર્યો  રોટલો  હરિને  કાજ;

પછી  તેમાં  ઘી  પૂરીને,  કહ્યું  જમો  તમે  મહારાજ.8

ચોપાઈ :-

બેઠા જમવાને જીવન જયારે, મુખકમળ વિકાશિયું ત્યારે;

નર નારીયે નેહે નિહાળ્યું, આખું બ્રહ્માંડ તે મધ્ય ભાળ્યું.9

દીઠી નદિયો ને સાગર સાત, દીઠો પર્વત મેરુ પ્રખ્યાત;

સાતે પાતાળ પણ દીઠાં એમાં, દીઠાં કૈલાસ વૈકુંઠ તેમાં.10

દીઠા  સૂર્ય  શશી  ગ્રહ  તારા,  દીઠા  મેઘ  વૃષ્ટિ  કરનારા;

દીઠા થાવર જંગમ પ્રાણી, દીઠાં વન નગ પૃથ્વી અજાણી.11

એવી રચના નિહાળી અપાર, પામ્યાં અચરજ તે નરનાર;

કર્યું ઉરમાં  એવું  અનુમાન,  નરદેહ  ધર્યો  ભગવાન.12

કરી વિનતિ રહેવા બે માસ, તોય ત્યાં કર્યો બે દિન વાસ;

ગયા  ત્યાંથી  તળાજે  ગામ,  નાહ્યા  શેત્રુંજીમાં  ઘનશામ.13

એક બાવાની જગ્યા નિહાળી, ઊતર્યા જઇ ત્યાં વનમાળી;

એક વાણિયે એ સ્થળ આવી, સીધું શામને આપિયું લાવી.14

જમ્યા રાંધીને શ્રીજગદીશ, દૈવી જાણીને દીધી આશીષ;

ગગો શેઠ થયા સુત તેના, સદ્ગુણ શા વખાણિયે એના.15

હરિભકત થયા અતિ ભારી, જાણે સૌ હરિજન નરનારી;

ચાલ્યા  રાત  રહીને  મુરારી,  ગોપનાથ  ગયા  ગિરધારી.16

શિવમંદિરે  કીધો  ઉતારો,  હતો  ત્યાંનો  મહાંત  તે  સારો;

તેણે સેવા સારી રીતે કરી, રાંધ્યું વિપ્રે જમ્યા તહાં હરી.17

રાખ્યા પ્રેમ કરી પાંચ રાત, નાહ્યા સિંધુમાં હરિ સાક્ષાત;

નીર  ખારા  મીઠાના  છે  કુંડ,  નાહ્યા  તે  વિષે  બાલમુકુંદ.18

એમ  તીરથ  પાવન  કરી,  ઝાંઝમેર  ગયા  પછી  હરી;

કરી  વિપ્રને  ઘેર  આહાર,  ત્યાંથી  કૃષ્ણ  ગયા  કળસાર.19

રહ્યા રાત ત્યાં જગજીવન, પણ કોઇએ આપ્યું ન અન્ન;

સુવા દીધા ન નિર્દય થઇ, શામ સૂતા ખળા માંહી જઇ.20

કતપર ગયા ઊઠી સવારે, લીધો મહુવાનો મારગ ત્યારે;

નદી માળણ ત્યાં જતાં આવી, ભકિતપુત્રતણે મન ભાવી.21

શામે ત્યાં જ કર્યુંસ્નાનાદિક, આવ્યો મહુવેથી એક વણિક;

નામ  શેઠ  પીતાંબર  એહ,  દશા  શ્રીમાળી  શ્રાવક  તેહ.22

મહુવામાં  એનું  ઘરબાર,  અધવારું  હતું  કળસાર;

ગાડું એક વસાણાનું ભરી, આવ્યો માળણ નદી ઊતરી.23

તેણે મોટા તપસ્વી તે દીઠા, લાગ્યા અંતરમાં અતિ મીઠાં;

પ્રેમે  પદજુગ  વંદન  કરી,  ભેટ  ટોપરાં  સાકર  ધરી.24

ધરી  ઠાકોરને  ફળાહાર,  જમ્યા  તે  પછી  જગ  કરતાર;

શ્યામે શિષ્ટ પ્રસાદી તે દીધી, સ્નેહે શેઠ પીતાંબરે લીધી.25

કહે કૃષ્ણ રહો કિયે ગામે ? કહો જાઓ છો તમે શા કામે ?

સુણી  શેઠે  કર્યો  ત્યાં  ઉચ્ચાર,  મારું  છે  મહુવે  ઘરબાર.26

હું  છું  દુર્બળ  દીનદયાળ,  રહી  કળસારે  કાઢું  છું  કાળ;

આવ્યો હતો વસાણું હું ભરવા, કળસારમાં વેપાર કરવા.27

સુણી  બોલિયા  જગજીવન,  મહુવામાં  રહો  મહાજન;

જશે  દુર્બળતા  તે  તમારી,  મારું  વેણ  લેજો  શિર  ધારી.28

કુગ્રામમાં ન વસવા વિષે :- ઉપજાતિવૃત્ત :-

જે ગામમાં લોક વસે ઉદાર, વેપાર ધંધા વળી જયાં અપાર;

તહાં  રહેવું સુખ જો ચહીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.29

જે ગ્રામમાં નિર્દય લોક હોય, સુણે નહીં કૃષ્ણ કથા જ કોય;

તહાં વસ્યાથી કદિ કષ્ટ લીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.30

જે ગામમાં પુષ્કળ હોય પાણી, પાળે પ્રજા ભૂપતિ પ્રેમ આણી;

વિચારીને વાસ તહાં વસીજે, કુગ્રામાં વાસ કદી ન કીજે.31

જયાં આપણા વેરી વિશેષ હોય, સગો નહીં કે નહીં મિત્ર કોય;

તો તે તજીને જવું ગામ બીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.32

જે ગ્રામમાં વૈદ્ય વસે ન કોય, વિદ્યાની શાળા પણ જયાં ન હોય;

તહાં રહીને સુખ શું લહીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.33

જડે ન જયાં સજ્જનનો પ્રસંગ, જહાં રહ્યાથી નિજધર્મ ભંગ;

વસ્યા થકી જયાં વ્યસની બનીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.34

જયાં આપણો ઊદ્યમ તો ન થાય, કરે ન કો સંકટમાં સહાય;

નાણું છતાં જયાં નહિ વસ્તુ લીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે.35

કુગ્રામમાં  વાસ  કુપાત્રસેવા,  કુટુંબમાં  કલેશ  કુમિત્ર  એવા;

પત્નિ કુભાર્યા જડી હોય જેને, પ્રત્યેક પાંચે પરિતાપ તેને.36

ચોપાઈ :-

બોલ્યા  શેઠ  પીતાંબર  વેણ,  શીર    ધારીશ  આપનું  કેણ;

મહુવામાં  હવેથી  વસીશ,  કાંઇ  વેપાર  સારો  કરીશ.37

શેઠ એમ કહીને  સિધાવ્યા, મહુવામાં  મહાપ્રભુ આવ્યા;

અભેસિંહ બોલ્યા મુદ આણી, અહો વર્ણી સુણો મુજ વાણી.38

શેઠે આપ્યો પ્રભુને આહાર, એના પુણ્ય તણો નહિ પાર;

પુણ્ય  પ્રકટ  થયું  હોય  જેહ,  મહારાજ  કહો  મને  તેહ.39

બોલ્યા  વર્ણી  થઇ  રળિયાત,  સુણો  ભૂપ  અભેસિંહ  વાત;

રાખ્યો  શ્રીહરિનો  વિશ્વાસ,  મહુવામાં  કર્યો  શેઠે  વાસ.40

તેથી  દુર્બળતા  થઇ  દૂર,  પામ્યા  ધાન્ય  ને  ધન  ભરપૂર;

આપ્યો  શ્રીહરિને  ફળાહાર,  તેનું  પ્રગટિયું  પુણ્ય  અપાર.41

પુણ્યશાળી  પામ્યા  ત્રણ  પુત્ર,  સતસંગી  થયું  ઘરસૂત્ર;

પુત્ર  એકનું  નરસિંહ  નામ,  બીજા  દામજી  સદ્ધર્મધામ.42

ત્રીજા  તે  તો  જેઠોભાઇ  જાણું,  હવે  વાત  વિશેષ  વખાણું;

સદ્ગુરુ  પરમાનંદ  જેહ,  મળ્યા  દામજી  શેઠને  તેહ.43

સાર  ધર્મ  તણો  ઉર  ધર્યો,  જૈન  મત  તજી    સતસંગ  કર્યો;

ખીમો શેઠ મામો મન ભાવ્યો, તેને પણ સતસંગ કરાવ્યો.44

સુત  મામા  તણો  ફુલચંદ,  ફેડ્યો  તેનો  અજ્ઞાનનો  ફંદ;

સગાંવાલાં કર્યા સતસંગી, બીજા પણ કર્યા ભકત અભંગી.45

નાતીલાએ  ઉપદ્રવ  કર્યો,  તેનો  ડર  દિલમાં  નવ  ધર્યો;

આવ્યું ચોમાસું ઉત્તમ જયારે, વસ્યા વરતાલમાં શેઠ ત્યારે.46

એક દિન મહુવા બંદરથી, લખ્યો પત્ર સગાઓએ ઘરથી;

તજયાં સગાં તજયાં માતતાત, કેમ વરતાલમાં વસ્યા ભ્રાત?47

એવો  કાગળ  વાંચિયો  જયારે,  શેઠે  ઉત્તર  લખિયો  ત્યારે;

તે  હું  ભૂપતિ  તમને  સુણાવું,  અચરજ  મનમાં  ઉપજાવું.48

શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-

લક્ષ્મીનાથ પિતા રમા જનનિ છે માશી ગણું ગોમતી,

ભ્રાતા  વાયુકુમાર  પુત્ર  શિવનો  એ  છે  સહાયી  અતી;

પુત્રી પુત્ર દુહિત્ર નિત્ય નિયમો ભાર્યા સદા સંગ છે,

છે  વૃત્તાલયમાં  કુટુંબ  સઘળું  આનંદ  ઉત્તંગ  છે.49

ચોપાઈ :-

લખ્યો  ઉત્તર  તે  એવી  રીતે,  વરતાલ  વિષે  વસે  પ્રીતે;

દામાશેઠે  ધર્યો  એવો  ધર્મ,  સારો  સમજીને  શાસ્ત્રનો  મર્મ.50

શેઠ  પીતાંબરે  કરી  પ્યાર,  આપ્યો  કૃષ્ણને  ફળ  આહાર;

તેનું  પુણ્ય  ઉદય  થયું  એવું,  કોટી  જજ્ઞતણું  ફળ  જેવું.51

કોઇ  ભાવ  ભલો  ઉર  ધરે,  તુળસીપત્ર  અર્પણ  કરે;

તોય  તેને  કરે  છે  નિહાલ,  એવા  છે  હરિ  દીનદયાળ.52

જયારે સોનાની લંકા લૂંટાય, ત્યારે ઊંઘ અભાગીને થાય;

નિધિ  અમૃતનો  ઉભરાય,  તોય  તરસ્યો  અભાગિયો  જાય.53

તેમ  હરિએ  કરી  લીલાલેર,  કર્યું કલ્યાણ  તો  ટકે  શેર;

તોય લેવા ન આવે અભાગી, ન જુવે મોહનિદ્રાથી જાગી.54

પુષ્પિતાગ્રાવૃત્ત :-

કરી અતિ કરુણા કૃપાનિધાન, નરતનુ ધારી દીધું સુદર્શ દાન;

પણ જન અતિ જેહ પુણ્યશાળી, નમન કરે પ્રભુને પ્રતાપી ભાળી.55

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિમહુવાબંદર-પ્રાપ્તિનામા દ્વાવિંશતિતમો વિશ્રામઃ ।।22।।