પૂર્વછાયો :-

કુકડગામથી  ચાલિયા,  ગયા  દિયોર  ગામ  દયાળ;

જઇને ચોરામાં ઊતર્યા, જન જોવા મળ્યાં વૃદ્ધ બાળ.1

ઉપજાતિવૃત્ત :-

પ્રભુ તહાં પથ્થર જોઇ બેઠા, બેઠા બીજા ત્યાં બહુ લોક હેઠા;

દયાનિધિએ ઉપદેશ દીધો, શ્રોતાજનોએ સુણી સર્વ લીધો.2

સંસાર આ સ્વપ્નસમાન જાણો, પાપો તથા પુણ્ય ખરાં પ્રમાણો;

આ લોકમાં ઈશ્વરભકિત સાચી, તેના વિના વાત સમસ્ત કાચી.3

સ્વપ્ના વિષે દ્રવ્ય મળ્યું જુવે છે, તે જાય તો છાતી કુટી રુવે છે;

જાગ્યા પછી દ્રવ્ય નથી જણાતું, છાતી કુટ્યાનું નથી દુઃખ જાતું.4

સંસારકેરું સુખ સત્ય જાણી, કરે સુખાર્થે બહુ પાપ પ્રાણી;

તે સુખ સ્વપ્નાવત નાશ થાય, જે કર્મ કીધાં નહિ તેહ જાય.5

માટે કદી પાપ કરો ન કોઇ, મુવા મરે છે જન તેહ જોઇ;

કરો સદા ઈશ્વરભકિત ભાવે, ભવાબ્ધિનો જેથકી પાર આવે.6

ચોપાઈ :-

વાત  સાંભળીને  શુભ  પેર,  જનો  ચાલ્યા  ગયા  નિજ  ઘેર;

ભાવસારની  ભામિની    એક,  જેના  ઉરમાં  વિશેષ  વિવેક.7

તેનો  બાળક  મુળજી  નામ,  બન્ને  ઊભાં  હતાં  એહ  ઠામ;

કર્યો  બાઇયે  ચિતમાં  વિચાર,  તપસી  રહ્યા  છે  નિરાહાર.8

પૂછે  ભોજનનું  નહીં  કોઇ,  આણી  આપું  હું  એને  રસોઇ;

લેવા તપસીને વિનંતિ કરી, લાવી આપ્યું બેડું જળ ભરી.9

પ્રીતે  પોતાના  પુત્રને  સંગે,  શીધું  મોકલ્યું  અધિક  ઉમંગે;

જમ્યા રાંધીને ઇશ અનાદી, આપી એહને શિષ્ટ પ્રસાદી.10

અવશેષ  પ્રસાદી  તે  લઇ,  માતા  પુત્ર  જમ્યાં  ઘેર  જઇ;

પુત્ર  પાસે  સાંજે  કેજાવરાવ્યું,  જોગી  પોઢો  પલંગ  હું  લાવું.11

ત્યાગીના ધર્મ વિષે :- ઉપજાતિવૃત્ત :-

કહે મહારાજ સુણો સુભકત, સંસારથી હોય સદા વિરકત;

ઇચ્છે ન સંસારિક સુખ અંગે, પોઢે નહીં કષ્ટ વિના પલંગે.12

માંદા થયાનો મિષ ઉર આણી, પોઢે પલંગે જન ત્યાગી જાણી;

ઠગે જનોને પ્રભુ શું ઠગાશે ? જોગી થયાનું ફળ વ્યર્થ જાશે.13

અસંત એ તો નહિ સત્ય સંત, આવે ન એને ભવદુઃખ અંત;

સેવા સજે એની સુસંત જાણી, ન પુણ્ય પામે પસ્તાય પ્રાણી.14

જોગી  થઇને  ભરતાદિ  જેમ,વર્ત્યા  સદા  જે  વરતે  ન  તેમ;

ગૃહસ્થને જોગ્ય પદાર્થ અર્થ, જો તેહ ઇચ્છે વ્રત તેનું વ્યર્થ.15

સંસારકેરું સુખ સર્વ છોડ્યું, તેવાં સુખોમાં વળી ચિત્ત જોડ્યું;

માનાપમાને સુખ દુઃખ થાય, તો ત્યાગી સાચો નહિ તે ગણાય.16

જો વૃદ્ધ કે આતુર તે ન હોય, બેસે જતી વાહનમાં ન કોય;

કાયા કરી કૃષ્ણ પ્રસન્ન કાજ, ધરે નહીં તે લવ લોકલાજ.17

ચોપાઈ :-

કહ્યા શ્રીજીએ ત્યાગીના ધર્મ, જન સમજુ તે સમજી લે મર્મ;

કહે  ભૂપ  અહો  ધર્મવાન,  કહો  મૂળજીનું  આખ્યાન.18

જમ્યા હરિની પ્રસાદી તે જેહ, કેવા ભકત થયા પછી તેહ;

એ તો સાંભળવાને ચહું છું, કહો વર્ણીજી વિનંતિ કરું છું.19

બોલ્યા  એવું  સુણી  બ્રહ્મચારી,  ધરણીશ  સુણો  મન  ધારી;

થયા  મૂળજી  જયારે  જુવાન,  દીધું  સંતે  તેને  જ્ઞાનદાન.20

થયું  ભકતપણું  અતિ  ભારી,  ધન્ય  ધન્ય  કહે  નરનારી;

સારી વસ્તુ જે જે મળી આવે, જઇને સ્વામીને ભેટ ધરાવે.21

મૂળજીને  મળે  હરિ  જયારે,  ત્યારે  શ્રીમુખે  એમ  ઉચ્ચારે;

મુકત અક્ષરધામના આ છે, અમસંગે ત્યાંથી જ આવ્યા છે.22

સુણો  ભૂપ  અભેસિંહ  ભ્રાત,  કહું  મૂળજી  ભકતની  વાત;

એક  અવસરે  મૂળજીભાઇ,  ચાલ્યા  ગઢપુર  ચિત્ત  ચહાઇ.23

દીઠો  રસ્તામાં  આંબો  રસાળ,  ધણી  તેનો  હતો  રખવાળ;

રુપામોર  એને  એક  દીધી,  મોંઘામાં  મોંઘી  કેરીઓ  લીધી.24

પ્રભુપાસે  જઇ  તેણે  નેટ,કરી  ભાવથી  કેરીઓ  ભેટ;

દાદાખાચર  આદિક  જેહ,  લાગ્યા  કેરી  વખાણવા  તેહ.25

ભાવ મૂળજી ભકતનો ભાળી, બહુ મનમાં રીઝ્યા વનમાળી;

કહે  મૂળજીને  મહારાજ,  મુખે  માગો  તે  આપું  હું  આજ.26

કર  જોડીને  મૂળજી  કહે,  જહાં  સુધી  આ  કેરીઓ  રહે;

જમો  નિત્ય  તે  જનપ્રતિપાળ,  એ  જ  માગું  છું  દીનદયાળ.27

આપ્યું એ જ વચન ધરી ટેક, જમ્યા નિત્ય કેરી એની એક;

જમતાં  રસ  તેનો  વખાણે,  રસ  ભકતના  ભાવમાં  જાણે.28

બોર શબરીનાં સ્વાદિષ્ટ જેવાં, માન્યાં મૂળજીનાં ફળ એવાં;

ભલી લાગી વિદૂરની ભાજી, એમ કેરી જમી થયા રાજી.29

સ્વાદ ભકતના ભાવમાં જાણે, વિના ભાવ ન સ્વાદ વખાણે;

આખી સૃષ્ટિ તણા સ્રજનારા, એ જ આંબાનાં ફળ રચનારા.30

એવી  વસ્તુ  નથી  વિશ્વમાંઇ,  જેની  શ્રીહરિ  જાણે  નવાઇ;

દેવા  ભકતને  આનંદ  ભારી,  કોઇ  વસ્તુ  વખાણે  મુરારી.31

પૂર્વછાયો :-

કહે  અચિંત્યાનંદજી,  સુણો  ભૂપ  ધરીને  સ્નેહ;

મૂળજી  ભકતની  ભાવના,  વળી  કહું  વરણવી  તેહ.32

ચોપાઈ :-

ગામ  દીયોરમાં  વણનારા,  વણે  બોરીના  ચોફાળ  સારા;

દીઠો  મૂળજીએ  ભલો  જયારે,  ધાર્યું  અંતરમાં  એમ  ત્યારે.33

સારો  ચોફાળ  એક  વણાવું,  છેડે  સોનાના  તાર  મૂકાવું;

પછી  ગઢપુર  જઇ  રુડી  રીતે,  મારા  ઇષ્ટને  ઓઢાડું  પ્રીતે.34

કેવું  શોભશે  વસ્ત્ર  રૂપાળું,  ઘણા  નેહથી  મૂર્તિ  નિહાળું;

રાખું  અંતર  માંહી  ઉતારી,  કોઇ  કાળે  ન  મેલું  વિસારી.35

એવો અંતરમાં ભાવ આણ્યો, પછી સારો જે વણકર જાણ્યો;

તેને  જઇને  કહ્યું  તતકાળ,  વણી  આપો  સરસ  ચોફાળ.36

જેવી  જાણો  તમે  ચતુરાઇ,  એવી  કારીગરી  કરો  ભાઇ;

સૂત્ર  સારામાં  સારુ  વાવરજો,  છેડા  કંચન  કસબના  કરજો.37

કશી ખામી ન રાખશો લેશ, મૂલ માગ્યાથી દઇશ વિશેષ;

મહારાજા  અધિરાજ  જે  છે,  તેને  ભેટ  કર્યા  સારુ  તે  છે.38

મને  મળશે  ઇનામ  અથાગ,  મળશે  તને  તેમાંથી  ભાગ;

તે  તો  ખાતાં  કદી  નહીં  ખૂટે,  કોઇ  ચોર  લૂંટારા  ન  લંૂટે.39

એમ કહીને મરમ સમઝાવ્યો, બહુ સારો ચોફાળ વણાવ્યો;

ગયા  ગઢપુર  દર્શન  કાજ,  જહાં  રાજે  રાજાઅધિરાજ.40

હતો દિવસ સમૈયાનો સારો, મળ્યા હરિજન સંત હજારો;

સભામાં  બેઠાં  સુંદર  શામ,  ગયા  મૂળજી  ભકત  તે  ઠામ.41

હરિની  કરી  પૂજા  ઉમંગે,  પછી  ચોફાળ  ઓઢાડ્યો  અંગે;

પછી  આરતી  પોતે  ઉતારી,  છબી  અંતરમાં    લીધી  ધારી.42

સ્તુતિ ગદગદ સ્વરથી ઉચ્ચરે, આંસુ પ્રેમના આંખથી ખરે;

ભાવ મૂળજી ભકતનો ભાળી, રહ્યા હરિજન સંતનિહાળી.43

સભામાં  બેઠા  રાણાને  રાય,  જોઇ  ચોફાળ  વિસ્મિત  થાય;

કહે ચોફાળ કેણે બનાવ્યો ? કે શું સ્વર્ગપુરી થકી આવ્યો.44

મૃત્યુલોક  સમસ્ત  મોઝાર,  આવો  કોઇ  નથી  કરનાર;

આની  આગળ  શાલ  દુશાલા,  વખાણે  તે  કહેવાય  કાલા.45

એમ   ઉચ્ચરે સૌ નરનારી, રીઝ્યા ભકત ઉપર ભયહારી;

તેથી  દેખાડ્યું  દિવ્યસ્વરૂપ,  કોટિ  સૂર્યશશીથી  અનૂપ.46

હતી ચોફાળે ચોકડી જયાં જયાં, કોટિ સૂર્ય શશી દીઠા ત્યાં ત્યાં;

તેજ  શીતળ  ને  સુખકારી,  જુવે  મૂળજી  તે  ધારી  ધારી.47

રહે  અક્ષરધામમાં  જેમ,  દીઠી    મૂર્તિ  તે  તેજમાં  તેમ;

એવું  બે  ઘડીસુધી  જણાવ્યું,  પછી  તો  હતું  તેવું  દેખાયું.48

ધર્મસુત  નરનાટક  ધારી,  કરે  દિવ્યચરિત્ર  મુરારી;

ભકત  મૂળજીને  ભગવાન,  દીધું  દિવ્ય  તે  દર્શનદાન.49

એવા ભકત  રહે જેહ જાગ્યા, ધન્ય ધન્ય તે ભૂમિનાં ભાગ્ય;

ધન્ય માતાપિતા પરિવાર, ધન્ય કુળ જયાં ધર્યો અવતાર.50

કહે  વર્ણી  સુણો  રાજન,  કહ્યું  મૂળજીનું  આખ્યાન;

સંભળાવે  સુણે  જન  જેહ,  પામે  ચારે  પદારથ  તેહ.51

પુષ્પિતાગ્રાવૃત્ત :-

હરિ હરિજનની સુણે કથાય, ધરી તનુ ધન્ય બીજા બધા વૃથાય;

મુનિજન પણ તે કથા સુણે છે, અવસર ધન્ય અમૂલ્ય તે ગણે છે.52

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્રઅભયસિંહનૃપસંવાદે દિયોગરગ્રામનિવાસી ભાવસાર મૂળજી ભકત આખ્યાનકથનનામા એકવિંશતિતમો વિશ્રામઃ ।।21।।