પૂર્વછાયો :-
કુકડગામથી ચાલિયા, ગયા દિયોર ગામ દયાળ;
જઇને ચોરામાં ઊતર્યા, જન જોવા મળ્યાં વૃદ્ધ બાળ.1
ઉપજાતિવૃત્ત :-
પ્રભુ તહાં પથ્થર જોઇ બેઠા, બેઠા બીજા ત્યાં બહુ લોક હેઠા;
દયાનિધિએ ઉપદેશ દીધો, શ્રોતાજનોએ સુણી સર્વ લીધો.2
સંસાર આ સ્વપ્નસમાન જાણો, પાપો તથા પુણ્ય ખરાં પ્રમાણો;
આ લોકમાં ઈશ્વરભકિત સાચી, તેના વિના વાત સમસ્ત કાચી.3
સ્વપ્ના વિષે દ્રવ્ય મળ્યું જુવે છે, તે જાય તો છાતી કુટી રુવે છે;
જાગ્યા પછી દ્રવ્ય નથી જણાતું, છાતી કુટ્યાનું નથી દુઃખ જાતું.4
સંસારકેરું સુખ સત્ય જાણી, કરે સુખાર્થે બહુ પાપ પ્રાણી;
તે સુખ સ્વપ્નાવત નાશ થાય, જે કર્મ કીધાં નહિ તેહ જાય.5
માટે કદી પાપ કરો ન કોઇ, મુવા મરે છે જન તેહ જોઇ;
કરો સદા ઈશ્વરભકિત ભાવે, ભવાબ્ધિનો જેથકી પાર આવે.6
ચોપાઈ :-
વાત સાંભળીને શુભ પેર, જનો ચાલ્યા ગયા નિજ ઘેર;
ભાવસારની ભામિની એક, જેના ઉરમાં વિશેષ વિવેક.7
તેનો બાળક મુળજી નામ, બન્ને ઊભાં હતાં એહ ઠામ;
કર્યો બાઇયે ચિતમાં વિચાર, તપસી રહ્યા છે નિરાહાર.8
પૂછે ભોજનનું નહીં કોઇ, આણી આપું હું એને રસોઇ;
લેવા તપસીને વિનંતિ કરી, લાવી આપ્યું બેડું જળ ભરી.9
પ્રીતે પોતાના પુત્રને સંગે, શીધું મોકલ્યું અધિક ઉમંગે;
જમ્યા રાંધીને ઇશ અનાદી, આપી એહને શિષ્ટ પ્રસાદી.10
અવશેષ પ્રસાદી તે લઇ, માતા પુત્ર જમ્યાં ઘેર જઇ;
પુત્ર પાસે સાંજે કેજાવરાવ્યું, જોગી પોઢો પલંગ હું લાવું.11
ત્યાગીના ધર્મ વિષે :- ઉપજાતિવૃત્ત :-
કહે મહારાજ સુણો સુભકત, સંસારથી હોય સદા વિરકત;
ઇચ્છે ન સંસારિક સુખ અંગે, પોઢે નહીં કષ્ટ વિના પલંગે.12
માંદા થયાનો મિષ ઉર આણી, પોઢે પલંગે જન ત્યાગી જાણી;
ઠગે જનોને પ્રભુ શું ઠગાશે ? જોગી થયાનું ફળ વ્યર્થ જાશે.13
અસંત એ તો નહિ સત્ય સંત, આવે ન એને ભવદુઃખ અંત;
સેવા સજે એની સુસંત જાણી, ન પુણ્ય પામે પસ્તાય પ્રાણી.14
જોગી થઇને ભરતાદિ જેમ,વર્ત્યા સદા જે વરતે ન તેમ;
ગૃહસ્થને જોગ્ય પદાર્થ અર્થ, જો તેહ ઇચ્છે વ્રત તેનું વ્યર્થ.15
સંસારકેરું સુખ સર્વ છોડ્યું, તેવાં સુખોમાં વળી ચિત્ત જોડ્યું;
માનાપમાને સુખ દુઃખ થાય, તો ત્યાગી સાચો નહિ તે ગણાય.16
જો વૃદ્ધ કે આતુર તે ન હોય, બેસે જતી વાહનમાં ન કોય;
કાયા કરી કૃષ્ણ પ્રસન્ન કાજ, ધરે નહીં તે લવ લોકલાજ.17
ચોપાઈ :-
કહ્યા શ્રીજીએ ત્યાગીના ધર્મ, જન સમજુ તે સમજી લે મર્મ;
કહે ભૂપ અહો ધર્મવાન, કહો મૂળજીનું આખ્યાન.18
જમ્યા હરિની પ્રસાદી તે જેહ, કેવા ભકત થયા પછી તેહ;
એ તો સાંભળવાને ચહું છું, કહો વર્ણીજી વિનંતિ કરું છું.19
બોલ્યા એવું સુણી બ્રહ્મચારી, ધરણીશ સુણો મન ધારી;
થયા મૂળજી જયારે જુવાન, દીધું સંતે તેને જ્ઞાનદાન.20
થયું ભકતપણું અતિ ભારી, ધન્ય ધન્ય કહે નરનારી;
સારી વસ્તુ જે જે મળી આવે, જઇને સ્વામીને ભેટ ધરાવે.21
મૂળજીને મળે હરિ જયારે, ત્યારે શ્રીમુખે એમ ઉચ્ચારે;
મુકત અક્ષરધામના આ છે, અમસંગે ત્યાંથી જ આવ્યા છે.22
સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, કહું મૂળજી ભકતની વાત;
એક અવસરે મૂળજીભાઇ, ચાલ્યા ગઢપુર ચિત્ત ચહાઇ.23
દીઠો રસ્તામાં આંબો રસાળ, ધણી તેનો હતો રખવાળ;
રુપામોર એને એક દીધી, મોંઘામાં મોંઘી કેરીઓ લીધી.24
પ્રભુપાસે જઇ તેણે નેટ,કરી ભાવથી કેરીઓ ભેટ;
દાદાખાચર આદિક જેહ, લાગ્યા કેરી વખાણવા તેહ.25
ભાવ મૂળજી ભકતનો ભાળી, બહુ મનમાં રીઝ્યા વનમાળી;
કહે મૂળજીને મહારાજ, મુખે માગો તે આપું હું આજ.26
કર જોડીને મૂળજી કહે, જહાં સુધી આ કેરીઓ રહે;
જમો નિત્ય તે જનપ્રતિપાળ, એ જ માગું છું દીનદયાળ.27
આપ્યું એ જ વચન ધરી ટેક, જમ્યા નિત્ય કેરી એની એક;
જમતાં રસ તેનો વખાણે, રસ ભકતના ભાવમાં જાણે.28
બોર શબરીનાં સ્વાદિષ્ટ જેવાં, માન્યાં મૂળજીનાં ફળ એવાં;
ભલી લાગી વિદૂરની ભાજી, એમ કેરી જમી થયા રાજી.29
સ્વાદ ભકતના ભાવમાં જાણે, વિના ભાવ ન સ્વાદ વખાણે;
આખી સૃષ્ટિ તણા સ્રજનારા, એ જ આંબાનાં ફળ રચનારા.30
એવી વસ્તુ નથી વિશ્વમાંઇ, જેની શ્રીહરિ જાણે નવાઇ;
દેવા ભકતને આનંદ ભારી, કોઇ વસ્તુ વખાણે મુરારી.31
પૂર્વછાયો :-
કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ ધરીને સ્નેહ;
મૂળજી ભકતની ભાવના, વળી કહું વરણવી તેહ.32
ચોપાઈ :-
ગામ દીયોરમાં વણનારા, વણે બોરીના ચોફાળ સારા;
દીઠો મૂળજીએ ભલો જયારે, ધાર્યું અંતરમાં એમ ત્યારે.33
સારો ચોફાળ એક વણાવું, છેડે સોનાના તાર મૂકાવું;
પછી ગઢપુર જઇ રુડી રીતે, મારા ઇષ્ટને ઓઢાડું પ્રીતે.34
કેવું શોભશે વસ્ત્ર રૂપાળું, ઘણા નેહથી મૂર્તિ નિહાળું;
રાખું અંતર માંહી ઉતારી, કોઇ કાળે ન મેલું વિસારી.35
એવો અંતરમાં ભાવ આણ્યો, પછી સારો જે વણકર જાણ્યો;
તેને જઇને કહ્યું તતકાળ, વણી આપો સરસ ચોફાળ.36
જેવી જાણો તમે ચતુરાઇ, એવી કારીગરી કરો ભાઇ;
સૂત્ર સારામાં સારુ વાવરજો, છેડા કંચન કસબના કરજો.37
કશી ખામી ન રાખશો લેશ, મૂલ માગ્યાથી દઇશ વિશેષ;
મહારાજા અધિરાજ જે છે, તેને ભેટ કર્યા સારુ તે છે.38
મને મળશે ઇનામ અથાગ, મળશે તને તેમાંથી ભાગ;
તે તો ખાતાં કદી નહીં ખૂટે, કોઇ ચોર લૂંટારા ન લંૂટે.39
એમ કહીને મરમ સમઝાવ્યો, બહુ સારો ચોફાળ વણાવ્યો;
ગયા ગઢપુર દર્શન કાજ, જહાં રાજે રાજાઅધિરાજ.40
હતો દિવસ સમૈયાનો સારો, મળ્યા હરિજન સંત હજારો;
સભામાં બેઠાં સુંદર શામ, ગયા મૂળજી ભકત તે ઠામ.41
હરિની કરી પૂજા ઉમંગે, પછી ચોફાળ ઓઢાડ્યો અંગે;
પછી આરતી પોતે ઉતારી, છબી અંતરમાં લીધી ધારી.42
સ્તુતિ ગદગદ સ્વરથી ઉચ્ચરે, આંસુ પ્રેમના આંખથી ખરે;
ભાવ મૂળજી ભકતનો ભાળી, રહ્યા હરિજન સંતનિહાળી.43
સભામાં બેઠા રાણાને રાય, જોઇ ચોફાળ વિસ્મિત થાય;
કહે ચોફાળ કેણે બનાવ્યો ? કે શું સ્વર્ગપુરી થકી આવ્યો.44
મૃત્યુલોક સમસ્ત મોઝાર, આવો કોઇ નથી કરનાર;
આની આગળ શાલ દુશાલા, વખાણે તે કહેવાય કાલા.45
એમ ઉચ્ચરે સૌ નરનારી, રીઝ્યા ભકત ઉપર ભયહારી;
તેથી દેખાડ્યું દિવ્યસ્વરૂપ, કોટિ સૂર્યશશીથી અનૂપ.46
હતી ચોફાળે ચોકડી જયાં જયાં, કોટિ સૂર્ય શશી દીઠા ત્યાં ત્યાં;
તેજ શીતળ ને સુખકારી, જુવે મૂળજી તે ધારી ધારી.47
રહે અક્ષરધામમાં જેમ, દીઠી મૂર્તિ તે તેજમાં તેમ;
એવું બે ઘડીસુધી જણાવ્યું, પછી તો હતું તેવું દેખાયું.48
ધર્મસુત નરનાટક ધારી, કરે દિવ્યચરિત્ર મુરારી;
ભકત મૂળજીને ભગવાન, દીધું દિવ્ય તે દર્શનદાન.49
એવા ભકત રહે જેહ જાગ્યા, ધન્ય ધન્ય તે ભૂમિનાં ભાગ્ય;
ધન્ય માતાપિતા પરિવાર, ધન્ય કુળ જયાં ધર્યો અવતાર.50
કહે વર્ણી સુણો રાજન, કહ્યું મૂળજીનું આખ્યાન;
સંભળાવે સુણે જન જેહ, પામે ચારે પદારથ તેહ.51
પુષ્પિતાગ્રાવૃત્ત :-
હરિ હરિજનની સુણે કથાય, ધરી તનુ ધન્ય બીજા બધા વૃથાય;
મુનિજન પણ તે કથા સુણે છે, અવસર ધન્ય અમૂલ્ય તે ગણે છે.52
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર–અભયસિંહનૃપસંવાદે દિયોગરગ્રામનિવાસી ભાવસાર મૂળજી ભકત આખ્યાનકથનનામા એકવિંશતિતમો વિશ્રામઃ ।।21।।