પૂર્વછાયો :-

વર્ણી  કહે  અભેસિંહજી,  તમે  સુણો  થઇ  સાવધાન;

ભૂપતિ ભગવાનસિંહનું, એક ઉત્તમ કહું આખ્યાન.1

ચોપાઈ :-

ભૂપ  ભગવાનસિંહજી  જેહ,  ગામ  કૂકડના  ધણી  તેહ;

ક્ષત્રિ  ગોહેલ  કુળના  ગણાય,  બુદ્ધિમાન  તે  જોતાં  જણાય.2

પણ  ઇશ્વરનું  નહીં  જ્ઞાન,  રહે  સંસારમાં  સાવધાન;

એક  ચારણ  મળિયો  તેને,  વેર  શ્રીહરિ  ઉપર  એને.3

મહા  અસુર  તણો  અવતાર,  પણ  વાણીથી  મન  હરનાર;

આડું  અવળું  એણે  સમજાવ્યું,  વૈર  શ્રીહરિ  સાથે  ઠરાવ્યું.4

હરિને  નિત્ય  પ્રાતઃકાળ,  દેતો  ચારણ  તે  શત  ગાળ;

ભૂપ  સાંભળતો  કરી  હાસ,  જમે  તે  પછી  બેસી  બે  પાસ.5

પીયે  હોકા  ને  ખાય  અફીણ,  બેય  એમ  થયા  મતિહીણ;

આપે  ચારણને  તે  પગાર,  હરિનો  ડર  ન  ધરે  લગાર.6

એક  અવસરે  રાતને  ટાણે,  ભૂપ  સુતેલો  શયન  ઠેકાણે;

કાંઇ સ્વપ્ન ને કાંઇક જાગ્યો, ત્યાં તો દેખાવ અદ્ભુત લાગ્યો.7

દીઠા  સુંદર  શ્રીઘનશ્યામ,  વસ્ત્ર  ભૂષણ  અંગે  તમામ;

સોટી હાથમાં લીધી છે સ્વામી, મહીનાથના સામી ઉગામી.8

કૃષ્ણ બોલ્યા કરી ઘણો ક્રોધ, કેમ રાખો છો અમશું વિરોધ ?

તમારું શું બગાડ્યું છે અમે ? ગાળો કેમ ભંડાવો છો તમે ?9

દૂત  જમના  કહો  તો  દેખાડું,  જમપુર  કહો  તો  પહોંચાડું;

અમ  ઉપર  રાખે  જે  વેર,  પામે  પીડા  તે  તો  ઘણી  પેર.10

દેવરાવશો  જો  હવે  ગાળ,  નકી  જાણજો  આવિયો  કાળ;

સુણી  ઉપજયો  ભૂપને  ત્રાસ,  કાયા  કંપે  ને  નાંખે  નિશ્વાસ.11

પદ વંદી બોલ્યા તેહ સ્થાન, ભૂલ્યો ભૂલ્યો હું હે ભગવાન !

જાણ્યા  તમને  મેં  ઇશ્વર  આજ,  વાંક  માફ  કરો  મહારાજ.12

કહો  જેમ  હું  તેમ  કરીશ,  આજ્ઞા  આપની  શીશ  ધરીશ;

કહે  શામ  હુકમ  ધારો  મારો,  વર્તમાન  નિયમ  તમે  ધારો.13

મદ્ય માંસ અને ચોરી જારી, સદા તે તજો સમજી વિચારી;

આપ્યાં  એમ  કહી  વર્તમાન,  થયા  શ્રીહરિ  અંતરધાન.14

વીતી રાત ઊગ્યો રવિ જયારે, આવ્યો ચારણ ઊઠીને ત્યારે;

હરિને તેણે ગાળો ઉચ્ચારી, ત્યારે ભૂપતિયે રાખ્યો વારી.15

કહ્યું રાત્રી તણું ત્યાં વૃત્તાંત, ભૂપે ચારણની ભાંગી ભ્રાંત;

સર્વ  વાત  તે  જુઠી  ઠરાવા,  લાગ્યો  ચારણ  બહુ  સમજાવા.16

પણ  ચારણને  ઉપદેશે,  સતસંગ  તજયો  ન  નરેશે;

જમ્યા  હતા  પ્રસાદી  જરૂર,  એના  ઉદય  થયા  અંકુર.17

કહે  ચારણને  અવનીશ,  જો  તું  સ્વામીની  નિંદા  કરીશ;

કાઢી  મુકીશ  તો  નકકી  તને,  સતસંગ  થયો  હવે  મને.18

ઉપજાતિવૃત્ત :-

શુનીતણું  જોર  જણાય  જેવું,  કુસંગતીનું  બળ  હોય  એવું;

કચાશ દેખે બળ ત્યાં કરે છે, ખરા થકી તો દિલમાં ડરે છે.19

હૈયા વિષે હિંમત જો ધરાય, શ્રીજી કરે તેની સદા સહાય;

જો શ્યામનો આશ્રય છોડી જાય, કુસંગતિ તો કરડી જ ખાય.20

ચોપાઈ :-

ભાળ્યો ભૂપનો નિશ્ચય ભારી, ત્યારે ચારણ બોલ્યો વિચારી;

તમે નિયમ ધર્યા સ્વામી પાસ, ત્યારે હું પણ સ્વામીનો દાસ.21

ચાલો  ગઢપુર  આપણે  જૈયે,  પદ  પરસીને  પાવન  થૈયે;

બન્ને  અશ્વે  થયા  અસવાર,  ગયા  તે  ગઢપુર  મોઝાર.22

જીવો  ઠક્કર  નિજ  કામદાર,  સગા  તેના  તે  પુર  મોઝાર;

લાધો  ઠક્કર  નામ  છે  જેનું,  ઊતર્યા  ઘર  પૂછીને  તેનું.23

અશ્વ  બાંધીને  એને  આવાસ,ગયા  બે  જણ  શ્રીહરિપાસ;

પદ  વંદી  બેઠા  ગુણવાન,  આપ્યું  મોહને  આદર  માન.24

બન્ને  જણની  પરીક્ષા  લેવા,  જણાયા  હરિ  માણસ  જેવા;

દિવ્યભાવ ન કાંઇ જણાવ્યો, તેથી બંન્નેને સંશય આવ્યો.25

ગયા  લાધા  ઠકકરને  ધેર,  પછી  ચાલવાની  કરી  પેર;

લાધો  ઠક્કર  બોલિયા  એમ,  ચાલવાનું  તરત  થાય  કેમ?26

રજા  શ્રીહરિની  લઇ  આવો,  પછી  ઘેર  સુખેથી  સિધાવો;

આપ  આવ્યા  છો  દર્શન  કરવા,  સર્વ  સંશયને  પરહરવા.27

રાજી  થૈને  રહો  તમે  રાત,  સુણો  સદ્ગુરુઓ  તણી  વાત;

મહારાજની  મૂર્તિ  નિહાળો,  પૂછી  પ્રશ્ન  ને  સંશય  ટાળો.28

સુણી  સાંજે  ચાલ્યા  રજા  લેવા,  ભૂપ  ઘાટ  ઘડે  મન  એવા;

હવે  જાઉં  ત્યારે  મુનિનાથ,  ઝાલે  જો  જમણો  મુજ  હાથ.29

અહીં  બેસો  કહીને  બેસારે,  તેને  સાચા  પ્રભુ  ગણું  ત્યારે;

કહે  ચારણ  વાત  વિચારો,  વળી  કાંઇ  એવું  બીજું  ધારો.30

એક  વાનું  કદી  બની  જાય,  બીજું  થાય  તો  સત્ય  ગણાય;

કહે  ભૂપ  આપે  મને  હાર,  તો  હું  જાણું  તે  જગ  કરતાર.31

વદ્યો ચારણ તે સમે વાચા, ત્રીજું ધારો તે થાય તો સાચા;

ત્યારે  ભૂપે  ધારી  ત્રીજી  વાત,  રહો  જો  કહે  બે  ત્રણ  રાત.32

એ  જ  રીતના  શબ્દ  ઉચ્ચારે,  માનું  હું  પરમેશ્વર  ત્યારે;

એવું ધારી સભા માંહિ ગયા, દીનબંધુએ દિલ ધરી દયા.33

એના અંતરની વાત જાણી, હાથ જમણો ઝાલ્યો તેનો તાણી;

અહીં  બેસો  કહીને  બેસાર્યા,  તેથી  કાંઇક  સમરથ  ધાર્યા.34

હરિ  પાસે  હતો  નહીં  હાર,  ચિત્તે  ચારણે  કીધો  વિચાર;

હાર અપાશે કયાં થકી આણી, માટે વ્યર્થ થશે નૃપવાણી.35

હાર હરિએ નરેશને દીધો, કોણ જાણે તે કયાં થકી લીધો;

જોયા  બેય  ચમત્કાર  એવા,  તેથી  જાણ્યા  તે  ઈશ્વર  જેવા.36

રજા માગી જવા તણી જયારે, મુખે બોલ્યા મહાપ્રભુ ત્યારે;

રહો  રાય  હજી  ત્રણ  રાત,  સુણો  સંતના  મુખ  તણી  વાત.37

મનના  સર્વ  સંશય  ટાળો,  પાકી  નિશ્ચયની  ગાંઠ  વાળો;

સુણી ભગવાનસિંહ ઉચરિયા, મારા અંતરમાં આપ ઠરિયા.38

તમે   સર્વોપરી   સરવેશ,   પુરુષોત્તમ   શ્રીપરમેશ;

સર્વ  અવતારના  અવતારી,  કોટિ  બ્રહ્માંડ  રચના  તમારી.39

એવી અંતરમાં ગાંઠ વાળી, હવે નહિ ટળે કોઇની ટાળી;

મનના  થયા  સંકલ્પ  સિદ્ધ,  નથી  બાકી  રહ્યા  કોઇ  વિધ.40

વર્તમાન  નિયમ  મને  આપો,  નાથ  હાથ  મારે  શિર  થાપો;

કહે  હરિ  હરિભકત  છો  તમે,  વર્તમાન  ધરાવ્યાં  છે  અમે.41

સુણી  રાજા  કહે  હે  શામ!  સાચી  વાત  છે  તે  સુખધામ;

સ્વપનામાં  દીધાં  વર્તમાન,  આજ  પ્રત્યક્ષ  દ્યો  ભગવાન.42

જેથી  આપને  આશરે  થાઉં,  નિત્ય  ગુણ  તમારા  હું  ગાઉં;

સુણી સ્વામીએ નિયમ ધરાવ્યા, શ્રેષ્ઠ ભકત પોતાના ઠરાવ્યા.43

બોલ્યા ભકિતતનુજ ભગવાન, કાંઇ માગો મુખે વરદાન;

સુણી ભૂપ કહે હે સ્વામી ! મારે સંસારસુખ નથી ખામી.44

તમે  પુરુષોત્તમ  પરમેશ,  તેમાં  સંશય  થાય  ન  લેશ;

એ જ માગું મુખે વરદાન, ભકત જાણી આપો ભગવાન.45

માગો માગો બીજું વળી કાંઇ, એમ શામ બોલ્યા સુખદાઇ;

મને નિશ્ચે તમારો ન જાય, એ જ માગ્યું બીજી વાર રાય.46

માગો કૃષ્ણે કહ્યું ત્રીજી વાર, તોય એ જ કર્યો ત્યાં ઉચ્ચાર;

સુણી  બોલિયા  ઇશના  ઇશ,  ધન્ય  ધન્ય  તમે  ધરણીશ.47

મુકતાનંદ  ભણી  મુખ  કરી,  વળી  હેતથી  બોલિયા  હરી;

અમે માગો કહ્યું ત્રણ વાર, ભૂપે એમ જ માગ્યું આ ઠાર.48

માટે છે એ તો પ્રહ્લાદ જેવા, મારા ભકત અનન્ય તે એવા;

ધ્રુવની  પેરે  અવિચળ  સ્થાન,  નવ  માગ્યું  એવું  વરદાન.49

એક અવિચળ નિષ્ઠા જ માગી, માટે ધન્ય તે ભકત સુભાગી;

એની ભકિત ભલી વખણાશે, એનું આખ્યાન ગ્રંથે લખાશે.50

વળી  ભૂપ  કહે  પ્રેમ  આણી,  વરદાતા  સુણો  મારી  વાણી;

મારો  તાત  હતા  ભોળા  જન,  હતું  મૃગયાનું  તેને  વ્યસન.51

પુણ્ય  આજ  સમૈયાનું  એને,  આપું  તો  મળે  સદ્ગતિ  તેને;

સુણી  બોલિયા  શામ  સુરંગી,  તમે  જયારે  થયા  સતસંગી.52

ગયા  ત્યારથી  તાત  તમારો,  જહાં  છે  બ્રહ્મમોલ  અમારો;

જોવા  હોય  તો  તમને  દેખાડું,  સમાધિમાં  તહાં  પહોંચાડું.53

અવનીશ  કહે  અવિનાશ,  મને  આપનો  છે  વિશ્વાસ;

માટે માનુ છું હું સત્ય વાત, દિવ્ય ધામ ગયા મુજ તાત.54

બોલ્યો ચારણ જોડીને હાથ, મને આપો નિયમ મુનિનાથ;

સુણી  એવું  કહે  હરિરાય,  વર્તમાન  તમે  ન  પળાય.55

જુદી  રીતનો  જીવ  તમારો,  ગમે  આશ્રય  કેમ  અમારો;

આવા જોગમાં આવ્યા છો તમે, ફળ ઉદય થશે કોઇ સમે.56

વદે  વર્ણી  અચિંત્યાનંદ,  સુણો  ભૂપ  ચતુર  જનચંદ;

ભકત ભગવાનસિંહ જે કહ્યા, એ તો ઉત્તમ હરિજન થયા.57

રાખી  બાળમુકુંદની  સેવા,  પાળે  આચાર  ઉત્તમ  એવા;

સતસંગી  ભલો  દ્વિજ  જોઇ,  તેની  પાસે  કરાવે  રસોઇ.58

ધરી  નૈવૈદ્ય  તે  પછી  જમે,  બીજા  કોઇનું  રાંધ્યું  ન  ગમે;

તજી  ડુંગળી  હોકો  અફીણ,  ભલે  નિંદા  કરે  મતિહીણ.59

તજી  ભૂપપણાનું  તે  માન,  ગાય  પ્રગટ  તણા  ગુણગાન;

સારી  સાધુ  તણી  સેવા  કરે,  નિજમાથે  ચરણરજ  ધરે.60

એવા  જનનું  સુણે  આખ્યાન,  થાય  પવિત્ર  તેહના  કાન;

સારા તીર્થતણું ફળ જે છે, સુણે આખ્યાન તો ફળ તે છે.61

દોહરો :-

કુકડપતિ  ભગવાનને,  ભેટ્યા  શ્રીભગવાન;

ધામ મળ્યું ભગવાનનું, કર્યા કપડ ભગવાન.62

પુષ્પિતાગ્રાવૃત્ત :-

ઉર ધરી હરિનું સદા સ્વરૂપ, ભજન કરે ભગવાનસિંહ ભૂપ;

કહી મુદ ધરી તેહની કથાય, હરિજન રાજી થશે સુણી સદાય.63

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર – અભયસિંહનૃપસંવાદે કુર્કટગ્રામાધિપતિ ભગવાનસિંહાખ્યાન કથનનામા વિંશતિતમો વિશ્રામઃ ।।20।।