પૂર્વછાયો :-
ધોળેરા થકી ધર્મસુત, ચાલી ગયા ગોરાસે ગામ;
પશ્ચિમ તીર તળાવને, ખોડિયાર દેવી જે ઠામ.1
ચોપાઈ :-
રહે ત્યાં સેવાગર ગોસાંઇ, દિસે દૈવીપણું દિલમાંઇ;
પ્રભુ ત્યાં રહ્યા રજની નિવાસ, જમ્યા રાંધીને રોટલો છાશ.2
ગયા ત્યાં થકી વાગડ ગામ, હતો એક કુંભાર તે ઠામ;
રાણો બાવળવો જ વિખ્યાત, તેને ઘેર રહ્યા હરિ રાત.3
ઘણી મૃત્તિકા ત્યાં પડી હતી, સૂતા તે ઉપરે પ્રાણપતિ;
કુંભકારે તો ગોદડું દીધું, પણ તે ધર્મપુત્રે ન લીધું.4
બીજે દિવસ ઊઠી બળવાન, ભીમનાથ ગયા ભગવાન;
નીલકા નદીમાં કર્યું સ્નાન, કરી નિત્ય ક્રિયા તેહ સ્થાન.5
ભીમનાથનાં દર્શન કરી, સદાવ્રત લઇને જમ્યા હરી;
ગયા પોલાર પર અવિનાશ, જેઠા બનાણી કણબીને વાસ.6
તેજ દિવસ તેની માતાનું, હતું ખર્ચ જનોને જમ્યાનું;
જોગીરાજને તપશી જાણી, આપી ઉત્તમ સુખડી આણી.7
ગયા લૈને તળાવને તીર, કાઢ્યું ત્યાંના કુવામાંથી નીર;
ખીજડા તળે આસન કીધું, જમ્યા સુખડી ને જળ પીધું.8
પછી બાકી પ્રસાદીનું પાણી, નાંખ્યું તે કૂપમાં કૃપા આણી;
પુરવાસી કરે જળપાન, થાય નિર્મળ બુદ્ધિ નિદાન.9
તે કુવાને પ્રસાદીનો જાણી, મહિમા મોટો મનમાં આણી;
સુત ત્રીકમ ને શા ઝવેર, તેણે બંધાવ્યો છે રુડીપેર.10
બરવાળે ગયા ગિરધારી, દીઠી દેરી નદીતટ સારી;
ગામ કુંડળ જયાંથી જવાય, રહ્યા તે દેરીમાં મુનિરાય.11
રુડી રીતે રહી એક રાત, પ્રભુ ઉઠીને ચાલ્યા પ્રભાત;
વળા ગામ ગયા વનમાળી, નાથે પ્રાચીન જગ્યા નિહાળી.12
ત્યાંથી શામ શિહોર પધારી, બ્રહ્મકુંડે ગયા બ્રહ્મચારી;
નરનારીની ગડબડ ભાળી, માટે નાયા નહીં વનમાળી.13
ત્યાંથી દક્ષિણે ગૌતમકુંડ, પછી ત્યાં ગયા બાલમુકુંદ;
સ્નાન સંધ્યા કરી તેહ સ્થાન, ગયા પૂર્વ દિશે ભગવાન.14
ગૌત્તમેશ્વર પૂજન કીધું, ત્યાંના વર્ણીએ ભોજન દીધું;
રહ્યા ત્યાં જ પ્રભુ એક રાત, ગયા ભાવનગર પરભાત.15
ભકત દેવજીની ધર્મશાળા, રહ્યા ત્યાં જઇ દીનદયાળા;
ત્યાંના બાવાજીએ કરી સેવા, અન્ન પાણી અને દીધા મેવા.16
દીધો બાવાજીને ઉપદેશ, તેથી જાણ્યા તેણે પરમેશ;
બાવે તો વિનતિ કરી ઘણી, તમે થાઓ આ જગ્યાના ધણી.17
ધર્મપુત્રે તો તેની ના પાડી, પણ ત્યાં ત્રણ રાત વિતાડી;
ગયા કુકડ ત્યાંથી કૃપાળ, હતા ભગવાનસિંહ ભૂપાળ.18
ખોજા જીવો ઠકર કામદાર, બેઠાં બંન્ને તે ડેલી મોઝાર;
ઊભા ત્યાં જઇ શ્રીઘનશામ, પૂછ્યું નરપતિએ નામ ઠામ.19
કહે હરિ ફરતા અમે છૈયે, અનિર્દેશ વિષે અમે રહિયે;
જન્મકર્મથી નામ અનંત, ગણતાં કોઇ પામે ન અંત.20
ગણતાં બહુ જુગ વહી જાય, મુજથી પણ તે ન ગણાય;
એટલું કહીને હરિ ગયા, કારભારી તે વિચારી રહ્યા.21
હતો મંત્રી મહામતિમાન, તેણે જાણિયા જોગી મહાન;
તેથી અંતરમાં ગુણ આણી, વદ્યા ભૂપની આગળ વાણી.22
ઉપજાતિવૃત્ત :-
તે જોગી મોટા જન કોઇ હોય, મોટા વિના એમ કહે ન કોય;
કર્યો ન તેનો સતકાર જેહ, ખોયો ખરો લાભ અલભ્ય તેહ.23
કહે ગૃહસ્થાશ્રમ શાસ્ત્ર એવું, અતિથિને અન્ન સદૈવ દેવું;
કદી મહાપુરુષ કોઇ આવે, તો જન્મ મૃત્યુ થકી તે મુકાવે.24
જો વિપ્ર કે કોઇક ભેખધારી, અન્નાર્થી આવે વળી જે ભિખારી;
ગૃહસ્થને ઘેર નિરાશી જાય, સમર્થને તો અતિપાપ થાય.25
જો સર્વને અન્ન નહીં અપાય, તથાપિ રાખે દિલમાં દયાય;
જે દિલથી તો સતકાર દે છે, ગૃહસ્થનો ઉત્તમ ધર્મ એ છે.26
ચોપાઈ :-
મોટો તપસી નિરાશી તે ગયો, એ તો અઘટિત અન્યાય થયો;
એમ મંત્રીએ વાણી ઉચ્ચારી, રાયે સાંભળી ઉરમાં ઉતારી.27
જણ બેય ગયા નદીતીર, આંબા હેઠે હતા મુનિ ધીર;
ભૂપ પ્રણમીને ઉચર્યા વચન, જોગીરાજ જમો મુજ અન્ન. 28
કરો જો મુજ અન્ન આહાર, મારો થાય સુફળ અવતાર;
આપ્યું એમ કહી અન્ન આણી, જમ્યા રાંધીને સારંગપાણી.29
વનમાળીએ કીધો વિચાર, આ છે ઉત્તમ ભકત થનાર;
જમીને આપી પ્રસાદી શેષ, જમ્યા મંત્રીને જમીયા નરેશ.30
ત્યાંથી વિચર્યા પછી વૃષલાલ, ગયા ગામમાં મંત્રી ભૂપાળ;
ધન્ય ધન્ય એવા કામદાર, કહ્યો ભૂપને સત્ય વિચાર.31
પ્રધાનના ગુણ વિશે :- ઉપજાતિવૃત્ત :-
આ લોકનું ને પરલોક કેરું, નરેશનું હીત ચહે ઘણેરું;
આપે સુબુદ્ધિ નૃપને નિદાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.32
અનીતિ માર્ગે નરનાથ જાય, જુકિતથી તેનો અટકાવ થાય;
નૌકા ગતિ જેમ કરે સુકાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.33
જનાનખાને બહુધા ન જાય, દાસી તણી દોસ્તી દિલે ન ચાજાયઃ
પરસ્ત્રી જાણે જનિતા સમાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.34
પોતા તણો અર્થ કદી વિસારે, રાજાતણું શ્રેય સદૈવ ધારે;
જાણે બધાં નીતિ તણાં વિધાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.35
સદા ખુશી રાજ સુધારવામાં, રાજી નહીં વૈર વધારવામાં;
કરે નહીં માદકકેરું પાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.36
કદી ન લે લોકની લાંચ લેશ, કરે નહીં પાપપથે પ્રવેશ;
ધરે નહીં અંતર સ્વાભિમાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.37
જો ભૂપતિની અપકીર્તિ થાય, સુમંત્રી તે તો દિલમાં દઝાય;
સદૈવ રાજાપર પ્રેમવાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.38
આલસ્ય દિસે નહિ લેશ અંગ, કરે નહીં જે કદીયે કુસંગ;
વધારવા કોશ સદૈવ તાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.39
ચોપાઇ :-
જીવો ઠક્કર એવા પ્રધાન, જેણે આપ્યું નરેશને જ્ઞાન;
પેટે અન્ન પ્રસાદીનું ગયું, બીજબળ તેનું અદભુત થયું.40
હતો ભૂપને પ્રથમ કુસંગ, ચડ્યો ભારે કુસંગનો રંગ;
પછી પુણ્ય પ્રગટ થયું જયારે, ભારે ભકત થયા તેહ ત્યારે.41
સૂકી અવની ઉનાળે તો ભાસે, ઊગે અંકુર અધિક ચોમાસે;
કાળ પુણ્ય ઉદય તણો આવે, ત્યારે તેહને સતસંગ ભાવે.42
તેમ ભગવાનસિંહ ભૂપાળ, જયારે પામ્યા પુણ્યોદય કાળ;
ત્યારે શ્રેષ્ઠ થયા સતસંગી, પામ્યા ભકિત પ્રભુની અભંગી.43
સુણી બોલ્યા અભેસિંહ ભૂપ, અહો વર્ણિજી પરમ અનૂપ;
કેમ ભગવાનસિંહને અંગ, ચડ્યો હતો કુસંગનો રંગ ?44
વળી ભકિત પામ્યા કેમ એવી ? એ તો વાત છે અચરજ જેવી;
કથાનો છે પ્રસંગ આ સ્થાન, માટે એનું કહો આખ્યાન.45
એ તો સાંભળવાને અત્યારે, થઇ આતુરતા ઉર મારે;
કરુણાનિધિ કરુણા લાવો, સ્નેહે તેહ કથા સંભાળાવો.46
પુષ્પિતાગ્રાવૃત્ત :-
સુણી વરણી કહે સુણો સુરાય, કહું ભગવાનજીસિંહની કથાય;
સુણી જનમન પ્રેમભકિત પામે, સુધરમ જીવ વિષે વિશેષ જામે.47
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિકુર્કટગ્રામ-પ્રાપ્તનામા અકોનવિંશતિતમો વિશ્રામઃ ।।19।।