પૂર્વછાયો :-

ધોળેરા  થકી  ધર્મસુત,  ચાલી  ગયા  ગોરાસે  ગામ;

પશ્ચિમ  તીર  તળાવને,  ખોડિયાર  દેવી  જે  ઠામ.1

ચોપાઈ :-

રહે  ત્યાં  સેવાગર  ગોસાંઇ,  દિસે  દૈવીપણું  દિલમાંઇ;

પ્રભુ ત્યાં રહ્યા રજની નિવાસ, જમ્યા રાંધીને રોટલો છાશ.2

ગયા  ત્યાં  થકી  વાગડ  ગામ,  હતો  એક  કુંભાર  તે  ઠામ;

રાણો  બાવળવો  જ  વિખ્યાત,  તેને  ઘેર  રહ્યા  હરિ  રાત.3

ઘણી  મૃત્તિકા  ત્યાં  પડી  હતી,  સૂતા  તે  ઉપરે  પ્રાણપતિ;

કુંભકારે  તો  ગોદડું  દીધું,  પણ  તે  ધર્મપુત્રે  ન  લીધું.4

બીજે  દિવસ  ઊઠી  બળવાન,  ભીમનાથ  ગયા  ભગવાન;

નીલકા  નદીમાં  કર્યું સ્નાન,  કરી  નિત્ય  ક્રિયા  તેહ  સ્થાન.5

ભીમનાથનાં  દર્શન  કરી,  સદાવ્રત  લઇને  જમ્યા  હરી;

ગયા પોલાર પર અવિનાશ, જેઠા બનાણી કણબીને વાસ.6

તેજ  દિવસ  તેની  માતાનું,  હતું  ખર્ચ  જનોને  જમ્યાનું;

જોગીરાજને  તપશી  જાણી,  આપી  ઉત્તમ  સુખડી  આણી.7

ગયા  લૈને  તળાવને  તીર,  કાઢ્યું  ત્યાંના  કુવામાંથી  નીર;

ખીજડા  તળે  આસન  કીધું,  જમ્યા  સુખડી  ને  જળ  પીધું.8

પછી બાકી પ્રસાદીનું પાણી, નાંખ્યું તે કૂપમાં કૃપા આણી;

પુરવાસી  કરે  જળપાન,  થાય  નિર્મળ  બુદ્ધિ  નિદાન.9

તે  કુવાને  પ્રસાદીનો  જાણી,  મહિમા  મોટો  મનમાં  આણી;

સુત  ત્રીકમ  ને  શા  ઝવેર,  તેણે  બંધાવ્યો  છે  રુડીપેર.10

બરવાળે  ગયા  ગિરધારી,  દીઠી  દેરી  નદીતટ  સારી;

ગામ    કુંડળ  જયાંથી  જવાય,  રહ્યા  તે  દેરીમાં  મુનિરાય.11

રુડી  રીતે  રહી  એક  રાત,  પ્રભુ  ઉઠીને  ચાલ્યા  પ્રભાત;

વળા ગામ ગયા વનમાળી, નાથે પ્રાચીન જગ્યા નિહાળી.12

ત્યાંથી  શામ  શિહોર  પધારી,  બ્રહ્મકુંડે  ગયા  બ્રહ્મચારી;

નરનારીની  ગડબડ  ભાળી,  માટે  નાયા  નહીં  વનમાળી.13

ત્યાંથી  દક્ષિણે  ગૌતમકુંડ,  પછી  ત્યાં  ગયા  બાલમુકુંદ;

સ્નાન  સંધ્યા  કરી  તેહ  સ્થાન,  ગયા  પૂર્વ  દિશે  ભગવાન.14

ગૌત્તમેશ્વર  પૂજન  કીધું,  ત્યાંના  વર્ણીએ  ભોજન  દીધું;

રહ્યા  ત્યાં  જ  પ્રભુ  એક  રાત,  ગયા  ભાવનગર  પરભાત.15

ભકત  દેવજીની  ધર્મશાળા,  રહ્યા  ત્યાં  જઇ  દીનદયાળા;

ત્યાંના બાવાજીએ કરી સેવા, અન્ન પાણી અને દીધા મેવા.16

દીધો  બાવાજીને  ઉપદેશ,  તેથી  જાણ્યા  તેણે  પરમેશ;

બાવે તો વિનતિ કરી ઘણી, તમે થાઓ આ જગ્યાના ધણી.17

ધર્મપુત્રે  તો  તેની  ના  પાડી,  પણ  ત્યાં  ત્રણ  રાત  વિતાડી;

ગયા  કુકડ  ત્યાંથી  કૃપાળ,  હતા  ભગવાનસિંહ  ભૂપાળ.18

ખોજા  જીવો  ઠકર  કામદાર,  બેઠાં  બંન્ને  તે  ડેલી  મોઝાર;

ઊભા ત્યાં જઇ શ્રીઘનશામ, પૂછ્યું નરપતિએ નામ ઠામ.19

કહે  હરિ  ફરતા  અમે  છૈયે,  અનિર્દેશ  વિષે  અમે  રહિયે;

જન્મકર્મથી  નામ  અનંત,  ગણતાં  કોઇ  પામે  ન  અંત.20

ગણતાં  બહુ  જુગ  વહી  જાય,  મુજથી  પણ  તે  ન  ગણાય;

એટલું  કહીને  હરિ  ગયા,  કારભારી  તે  વિચારી  રહ્યા.21

હતો  મંત્રી  મહામતિમાન,  તેણે  જાણિયા  જોગી  મહાન;

તેથી  અંતરમાં  ગુણ  આણી,  વદ્યા  ભૂપની  આગળ  વાણી.22

ઉપજાતિવૃત્ત :-

તે જોગી મોટા જન કોઇ હોય, મોટા વિના એમ કહે ન કોય;

કર્યો ન તેનો સતકાર જેહ, ખોયો ખરો લાભ અલભ્ય તેહ.23

કહે ગૃહસ્થાશ્રમ શાસ્ત્ર એવું, અતિથિને અન્ન સદૈવ દેવું;

કદી મહાપુરુષ કોઇ આવે, તો જન્મ મૃત્યુ થકી તે મુકાવે.24

જો વિપ્ર કે કોઇક ભેખધારી, અન્નાર્થી આવે વળી જે ભિખારી;

ગૃહસ્થને  ઘેર  નિરાશી  જાય,  સમર્થને  તો  અતિપાપ  થાય.25

જો સર્વને અન્ન નહીં અપાય, તથાપિ રાખે દિલમાં દયાય;

જે દિલથી તો સતકાર દે છે, ગૃહસ્થનો ઉત્તમ ધર્મ એ છે.26

ચોપાઈ :-

મોટો તપસી નિરાશી તે ગયો, એ તો અઘટિત અન્યાય થયો;

એમ મંત્રીએ વાણી ઉચ્ચારી, રાયે સાંભળી ઉરમાં ઉતારી.27

જણ  બેય  ગયા  નદીતીર,  આંબા  હેઠે  હતા  મુનિ  ધીર;

ભૂપ પ્રણમીને ઉચર્યા વચન, જોગીરાજ જમો મુજ અન્ન. 28

કરો  જો  મુજ  અન્ન  આહાર,  મારો  થાય  સુફળ  અવતાર;

આપ્યું એમ કહી અન્ન આણી, જમ્યા રાંધીને સારંગપાણી.29

વનમાળીએ  કીધો  વિચાર,  આ  છે  ઉત્તમ  ભકત  થનાર;

જમીને આપી પ્રસાદી શેષ, જમ્યા મંત્રીને જમીયા નરેશ.30

ત્યાંથી વિચર્યા પછી વૃષલાલ, ગયા ગામમાં મંત્રી ભૂપાળ;

ધન્ય  ધન્ય  એવા  કામદાર,  કહ્યો  ભૂપને  સત્ય  વિચાર.31

પ્રધાનના ગુણ વિશે :- ઉપજાતિવૃત્ત :-

આ  લોકનું  ને  પરલોક  કેરું,  નરેશનું  હીત  ચહે  ઘણેરું;

આપે સુબુદ્ધિ નૃપને નિદાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.32

અનીતિ માર્ગે નરનાથ જાય, જુકિતથી તેનો અટકાવ થાય;

નૌકા ગતિ જેમ કરે સુકાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.33

જનાનખાને બહુધા ન જાય, દાસી તણી દોસ્તી દિલે ન ચાજાયઃ

પરસ્ત્રી જાણે જનિતા સમાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.34

પોતા  તણો  અર્થ  કદી  વિસારે,  રાજાતણું  શ્રેય  સદૈવ  ધારે;

જાણે બધાં નીતિ તણાં વિધાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.35

સદા ખુશી રાજ સુધારવામાં, રાજી નહીં વૈર વધારવામાં;

કરે  નહીં  માદકકેરું  પાન,  તે  ધન્ય  પૃથ્વીપતિના  પ્રધાન.36

કદી  ન  લે  લોકની  લાંચ  લેશ,  કરે  નહીં  પાપપથે  પ્રવેશ;

ધરે નહીં અંતર સ્વાભિમાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન.37

જો ભૂપતિની અપકીર્તિ થાય, સુમંત્રી તે તો દિલમાં દઝાય;

સદૈવ  રાજાપર  પ્રેમવાન,  તે  ધન્ય  પૃથ્વીપતિના  પ્રધાન.38

આલસ્ય દિસે નહિ લેશ અંગ, કરે નહીં જે કદીયે કુસંગ;

વધારવા  કોશ  સદૈવ  તાન,  તે  ધન્ય  પૃથ્વીપતિના  પ્રધાન.39

ચોપાઇ :-

જીવો  ઠક્કર  એવા  પ્રધાન,  જેણે  આપ્યું  નરેશને  જ્ઞાન;

પેટે  અન્ન  પ્રસાદીનું  ગયું,  બીજબળ  તેનું  અદભુત  થયું.40

હતો  ભૂપને  પ્રથમ  કુસંગ,  ચડ્યો  ભારે  કુસંગનો  રંગ;

પછી પુણ્ય પ્રગટ થયું જયારે, ભારે ભકત થયા તેહ ત્યારે.41

સૂકી અવની ઉનાળે તો ભાસે, ઊગે અંકુર અધિક ચોમાસે;

કાળ પુણ્ય ઉદય તણો આવે, ત્યારે તેહને સતસંગ ભાવે.42

તેમ ભગવાનસિંહ ભૂપાળ, જયારે પામ્યા પુણ્યોદય કાળ;

ત્યારે શ્રેષ્ઠ થયા સતસંગી, પામ્યા ભકિત પ્રભુની અભંગી.43

સુણી બોલ્યા અભેસિંહ ભૂપ, અહો વર્ણિજી પરમ અનૂપ;

કેમ  ભગવાનસિંહને  અંગ,  ચડ્યો  હતો  કુસંગનો  રંગ  ?44

વળી ભકિત પામ્યા કેમ એવી ? એ તો વાત છે અચરજ જેવી;

કથાનો  છે  પ્રસંગ  આ  સ્થાન,  માટે  એનું  કહો  આખ્યાન.45

એ  તો  સાંભળવાને  અત્યારે,  થઇ  આતુરતા  ઉર  મારે;

કરુણાનિધિ  કરુણા  લાવો,  સ્નેહે  તેહ  કથા  સંભાળાવો.46

પુષ્પિતાગ્રાવૃત્ત :-

સુણી વરણી કહે સુણો સુરાય, કહું ભગવાનજીસિંહની કથાય;

સુણી જનમન પ્રેમભકિત પામે, સુધરમ જીવ વિષે વિશેષ જામે.47

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિકુર્કટગ્રામ-પ્રાપ્તનામા અકોનવિંશતિતમો વિશ્રામઃ ।।19।।