પૂર્વછાયો :-
વર્ણી કહે નૃપ સાંભળો, કહું કૃષ્ણકથા સુખકંદ;
જે સુણતાં જન જાતિના, ટળે જન્મ મરણના ફંદ.1
ચોપાઈ :-
લાલદાસનું કલ્યાણ કરી, મહીકાંઠેથી ચાલિયા હરિ;
આવ્યા બામણગામની પાસ, ઊભા ભાગોળમાં અવિનાશ.2
વિપ્ર ખોડો પંડ્યો કહેવાય, ગામમાંથી આવી ચડ્યા ત્યાંય;
તેણે ભાળ્યા તપસ્વી તે ભારી, પદ વંદીને વિનતિ ઉચારી.3
મારે ઘેર ચાલો મહારાજ, મારા પૂરો મનોરથ આજ;
એવું સાંભળી દેવના દેવ, તેને ઘેર ગયા તતખેવ.4
પંડ્યે પાટ ઉપર પધરાવ્યા, પછી નીર ઉને નવરાવ્યા;
હેતે પૂજીને હાર ચડાવ્યો, ભાવે ભોજનથાળ ધરાવ્યો.5
રોટલો અને મઠની દાળ, જમ્યા ભાવથી જનપ્રતિપાળ;
કોટિ જજ્ઞ તણું ફળ આપ્યું, જન્મમરણનું સંકટ કાપ્યું.6
ત્યાંથી સંચર્યા શ્રીઘનશામ, આવ્યા ગુણનિધિ આણંદગામ;
ત્યાંથી નાથ ગયા છે ડાકોર, દીઠા ડાકોરના તે ઠાકોર.7
કરી રણછોડરાયની ભેટ, ત્યાંથી નાથ ગયા ઉમરેઠ;
જાગનાથની જગ્યા છે જયાંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય.8
શિવદર્શને સાયંકાળ, આવ્યા વિપ્ર ત્યાં બે ખેડાવાળ;
એક તો દવે નરભેરામ, બીજા ઠાકર તે રૂપરામ.9
પ્રેમે શંકરને પગે લાગે, ભગવાનને મળવાનું માગે;
દીઠા તેઓએ શ્રીઘનશામ, મનવૃત્તિ તણાણી તે ઠામ.10
જેમ લોહ ચમકભણી ચળે, સરીતા તો સાગર ભણી વળે;
તેમ જીવ જે દૈવી જણાય, પ્રભુમાં તેનું ચિત્ત તણાય.11
બન્ને બ્રાહ્મણોએ તેહ ઠામ, પ્રેમે કીધો પ્રભુને પ્રણામ;
ફળાહાર મંગાવીને દીધો, કૃપાનાથે અંગીકાર કીધો.12
બીજે દિવસ તજી તેહ સ્થાન, આવ્યા ભાળજ શ્રીભગવાન;
વળી ત્યાંથી આવ્યા વરતાલે, પ્રભુ બેઠા તળાવની પાળે.13
પગી જોબને તે જોગી જાણી, પદ વંદી કહી એમ વાણી;
આપું ઓરડી કરી આ ઠામ, જોગીરાજ રહો આ જ ગામ.14
સુણી શ્રીહરિ લાગ્યા ઉચરવા, મારે જાવું છે તીરથ કરવા;
અમે આવશું વળતાં જયારે, ગામ રહેશું તમારે જ ત્યારે.15
પછી જઇ તે પગીને ભવન, ભાવે રાંધીને કીધું ભોજન;
દેવકરણ પગી તણે ઘેર, પોઢ્યા એકાંતની જાણી પેર.16
બ્રહ્મચારી કહે સુણ ભૂપ,કથા એટલી પરમ અનૂપ;
પગી જોબન મુખસાક્ષાત, એ તો સાંભળેલી છે મેં ભ્રાત.17
મારા અંતરમાં સ્મૃતિ રહી, તેથી મેં તમને આજ કહી;
ચાલ્યા ત્યાંથકી ધૈર્યનિધાન,ગયા બોચાસણે બળવાન.18
જોઇ ત્યાંના તળાવની પાળ, એક બાવાની જગ્યા વિશાળ;
પ્રભુ ઊતર્યા જઇ તેહ ઠામ, પ્રેમે બાવાએ કીધો પ્રણામ.19
પાટીદાર રુડા કાનદાસ, બોચાસણ માંહી તેનો નિવાસ;
તેણે તે દિવસે રુડી પેર, સર્વ વિપ્ર જમાડિયા ઘેર.20
દેવા નોતરું બાવાની પાસ, સુત મોકલ્યો જે કાશીદાસ;
તેણે બાવાજીને નોતરીને, વળી નોતરું દીધું હરીને.21
તેને ધેર તે બાવાની સાથ, ગયા જમવા મુનિજનનાથ;
બાવો જઇ ફળીયા માંહિ બેઠા, ઘર ઓસરી આગળ હેઠા.22
કાશીદાસની મા નાનીબાઇ, દૈવી જીવ તે દિલની ડાઇ;
તેણે શ્રીહરિની છબી દીઠી, મનડામાં લાગી બહુ મીઠી.23
તેણે મુકત મોટા કોઇ ધાર્યા, તેથી ઓશરી માંહી બેસાર્યા;
પીરસાવી રસોઇ મંગાવી, લાડુ બે પીરસ્યા દ્વિજે લાવી.24
ભલાં પિરસિયાં દાળ ભાત, ઘણાં શાક જુદી જુદી જાત;
ભગવાને ભર્યા બેજ ગ્રાસ, પછી ઊઠવાની કરી આશ.25
કાશીદાસ તણી કાકી જેહ, ગાય દોતી હતી તહાં તેહ;
તેની સામું જોયું હરિ જયારે, કાશીદાસની માતાએ ત્યારે.26
પીરસાવ્યું પ્રભુજીને દૂધ, જમ્યા ભાત ને દૂધ તે શુદ્ધ;
જમીને ગયા હરિ સાક્ષાત, રહ્યા બાવાની જગ્યામાં રાત.27
ભાનુ ઉગતાં ભવભયહારી, ગયા દેવાણ દેવ મુરારી;
નાનીબાઇ તણી કહું વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત.28
પૂર્વછાયો :-
નિર્મળ મન નાનીબાઇનું, તેમાં શ્રીહરિ છબી સાક્ષાત;
નિશ્ચળ થઇને ઠરી રહી, જેમ પડે પટોળે ભાત્ય.29
ચોપાઈ :-
રટના તો રહી આખી રાત, જાણે પ્રગટશે કયારે પ્રભાત;
જોગીરાજને ઘેર તેડાવું, ફરી ભોજન ભારે કરાવું.30
વારેવારે જઇ ઘર બહાર, જુવે તારામંડળનો આકાર;
બાકી જામિની ઝાઝી જણાય, જઇ સજયા ઉપર સુઇ જાય.31
પણ નેણમાં નિદ્રા ન થાય, અતિ અંતરમાં અકળાય;
થઇ જામિની તો જુગ જેવી, મોટી કદીયે દીઠી નહિ એવી.32
વળી અંતરમાં એમ આણે, રાત મોટી હતી રાસ ટાણે;
એમ આજ વિધાતાએ આવી, ખટ માસની રાત ઠરાવી.33
એવું ધારી નાખે તે નિશ્વાસ, જાણે કયારે વિતે ખટ માસ;
એવામાં સુણ્યો કુર્કટરાગ, એથી આનંદ ઉપજયો અથાગ.34
કાશીદાસને જાણે બોલાવું, જોગીદાસને જમવાનું કહાવું;
વળી ઉરમાં વિચારે છે એમ, બાળો જોગી જગાડીયે કેમ.35
એમ કરતાં સમો થયો પ્રાપ્ત, કાશીદાસ પ્રત્યે કહે માત;
પુત્ર જાઓ તે જોગીની પાસ, કહો જમવાનું આપણે વાસ.36
કાશીદાસ સુણીને સિધાવ્યા, એ તો બાવાની જગ્યામાં આવ્યા;
જોગીરાજ ગયા એવું જાણી, એની આંખમાં આવિયાં પાણી.37
નાનીબાઇને નવ રહી ધીર, ગયાં તેહ તળાવને તીર;
એણે પણ સાંભળી એવી વાત, ગયા જોગી ઊઠીને પ્રભાત.38
જયાંજયાં હરિએ ભરેલાં છે ડગલાં, પડ્યાં પાતળી રેતીમાં પગલાં;
સોળે ચિહ્ન દીઠાં સુખકારી, તેથી જાણિયા દેવ મુરારી.39
ખૂબ ખોળ ચારે દીશ કરી, નવ જાણ્યું જે કયાં ગયા હરી;
નાનીબાઇ થયાં તે નિરાશ, આવ્યા આંસુને નાખે નિશ્વાસ.40
કાશીદાસ કહે હે માત! ધરો ધૈર્ય રહો રળિયાત;
કૃપાનાથે જો કૃપા છે કરી, તો તે આવીને મળશે ફરી.41
રાખે આપણને હરિ જેમ, રાજી થૈને રહેવું જ તેમ;
રાખે કોઇ સમે તો હજૂર, વળી કોઇ સમે કરે દૂર.42
તોય મનમાં કદી ન મૂંઝાવું, રાખે તેમ સદા રાજી થાવું;
એવામાં થઇ આકાશવાણી, મળશે ફરી સારંગપાણી.43
એવું સાંભળી ધીરજ ધારી, દિલમાંથી ઉદાસી વિસારી;
ઉરમાં અતિ આનંદ લાવ્યાં, માતા પુત્ર મળી ધેર આવ્યાં.44
કથા કૃષ્ણની કહું હવે ધારી, ગયા દેવાણ દેવ મુરારી;
રાજા બાદરસિંહજી જયાંય, ગયા શ્રીહરિ દરબારમાંય.45
બોલ્યા ભૂપ પ્રત્યે મહારાજ, કેણે આપ્યું છે તમને રાજ;
સુણી ભૂપે કર્યો ત્યાં ઉચ્ચાર, મને રાજય તમે આપનાર.46
સુણી હેતે બોલ્યા પછી હરિ, રાજય કરજો પ્રભુ થકી ડરી;
સુણી ભૂપ કહે બહુ સારું, શિર ધારીશ વચન તમારું.47
નાથે આપ્યું તેને નિજજ્ઞાન, કર્યું ભોજન ત્યાં ભગવાન;
અનુકંપા કરી અવિનાશ, કર્યો ત્યાં એક રાત નિવાસ.48
વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત, પ્રભુ ત્યાંથી પધાર્યા ખંભાત;
હરિદાસનો જયાં છે અખાડો, રહ્યા ત્યાં હરિ રાત દહાડો.49
હરિદાસ એવું વ્રત ધરે, કોઇ આપે તો ભોજન કરે;
હતો તે દિન તો ઉપવાસ,આપનાર મળ્યો નહિ દાસ.50
અન્ન જાચ્યું જઇ મહારાજે, કહ્યું કોરા કડાકા છે આજે;
સુણી બોલિયા શ્રીઅવિનાશ, અમે પણ કરશું ઉપવાસ.51
નારેસર છે સરોવર નામ, નાહ્યા ત્યાં જઇ સુંદરશામ;
ત્યાંથી નગરે ગયા મુનિનાથ, ભેટ્યા બ્રહ્માની મૂરતી સાથ.52
ગયા બુધેજ તે બળવાન, કર્યું ત્યાંના તળાવમાં સ્નાન;
એક દૈવી જને ત્યાં તો આવી, ઘૌંનો પોક આપ્યો તાજો લાવી.53
સંધ્યા પૂજા આદિક ક્રિયા કરિ, ઘણે હેતે જમ્યા પોતે હરિ;
જળ કાઢી કુવામાંથી પીધું, પછી ગામને પાવન કીધું.54
ગયાં સંવત શતક અઢારે, પંચાવનની હુતાશની જયારે;
ગયા બુધેજમાં બહુનામી, જે છે અક્ષરધામના ધામી.55
હતા રાઠોડ ત્યાં ખોડાભાઇ, ગયા તેહના દરબારમાંઇ;
બેઠા લખતા હતા તે તો નામુ, પૂછ્યું શામે જોઇ તેના સામું.56
સદાવ્રત અહીં કયાંથી મળે છે, કહ્યું જાઓ સામે ઘેર દે છે;
એવું સાંભળીને શુભપેર, ગયા નાથ તેને સામે ઘેર.57
જાચ્યું અન્ન તહાં અવિનાશી, ત્યારે બોલી ત્યાં રળિયાત દાસી;
હું છું કામમાં ધીરજ ધરો, હમણાં અહિંયા ફેરા ફરો.58
સાત ફેરા ફર્યા ત્યારે હરિ, એમ ઓશરી પાવન કરી;
કડું લોઢાનું લટકતું ભાળી, ઝાલી ઊભા રહ્યા વનમાળી.59
ત્યારે દાસીએ દીધી જુવાર, નવ જાણ્યા જગતકરતાર;
કહે કૃષ્ણ અમે આ શું કરીએ ? સિધું આપો રસોઇ આદરીએ.60
ત્યારે દાસી તે લાગી કહેવા, ઘણા આવે જોગી તમ જેવા;
સિધાં સૌને પૂરાં કેમ થાય ? અપાતું હોય એ જ અપાય.61
કહે કૃષ્ણ છે જોગી અનેક, અમો જેવા છૈયે અમે એક;
સુણી દાસી લાગી સમજાવા, બીજા આવે છે બહુબહુ બાવા.62
ઉંચા તમથી ને તમ થકી જાડા,જેવા પાળેલા ઉન્મત પાડા;
મોટામોટા તે ચીપિયાવાળા, માથા ઉપર મોટી જટાળા.63
કોટે બાંધે મોટામોટા પારા, રોજ પાશેર ગાંજો પિનારા;
આખે અંગે ભભૂત લગાવે, નાના બાળકને બિવરાવે.64
એવો વેષ દિસે વિકરાળ, મોટાં ટીલાં કરેલાં કપાળ;
વાંઝિયાને તે છોકરાં આપે, દોરા ચીઠી કરી દુઃખ કાપે.65
જોગી આવે છે અવધૂત એવા, તમે જોગી નથી એહ જેવા;
લેવી હોય તો લ્યો તે જુવાર, નહિ તો જાઓ અહીંથી બાહાર.66
એવી દાસીની સાંભળી વાણી, પાંચ દાણા જમ્યા પદ્મપાણી;
કુવાકાંઠે ગયા ગામ બાહાર, પાણી પીધું હતું જેહ ઠાર.67
શમી ઝાડ ઉપર પારેવાં, બોલતાં હતાં જાચક જેવાં;
માવે જાણ્યું માગે છે આહાર, તેથી તેઓને નાખી જુવાર.68
ભાવે સાંભળો તમે ભૂપાળ, હરિકૃષ્ણ છે એવા કૃપાળ;
સૌના અંતરની ગતિ જાણે, દુઃખી દેખી દયા દિલ આણે.69
પુષ્પિતાગ્રાવૃત્ત :-
અવગુણ ઉર જીવના ન આણે, હરિગુણ એહ મુનીશ્વરો વખાણે;
જન ગુણ લવ શ્રેષ્ઠ માનિ લે છે, કરી કરુણા અવિનાશી સુખ દે છે.70
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીંદ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિબુધેજગ્રામ-પ્રાપ્તનામા સપ્તદશો વિશ્રામઃ ।।17।।