પૂર્વછાયો :-

વર્ણી  કહે  નૃપ  સાંભળો,  કહું  કૃષ્ણકથા  સુખકંદ;

જે  સુણતાં  જન  જાતિના,  ટળે  જન્મ  મરણના  ફંદ.1

ચોપાઈ :-

લાલદાસનું  કલ્યાણ  કરી,  મહીકાંઠેથી  ચાલિયા  હરિ;

આવ્યા બામણગામની પાસ, ઊભા ભાગોળમાં અવિનાશ.2

વિપ્ર ખોડો પંડ્યો કહેવાય, ગામમાંથી આવી ચડ્યા ત્યાંય;

તેણે ભાળ્યા તપસ્વી તે ભારી, પદ વંદીને વિનતિ ઉચારી.3

મારે  ઘેર  ચાલો  મહારાજ,  મારા  પૂરો  મનોરથ  આજ;

એવું  સાંભળી  દેવના  દેવ,  તેને  ઘેર  ગયા  તતખેવ.4

પંડ્યે  પાટ  ઉપર  પધરાવ્યા,  પછી  નીર  ઉને  નવરાવ્યા;

હેતે  પૂજીને  હાર  ચડાવ્યો,  ભાવે  ભોજનથાળ  ધરાવ્યો.5

રોટલો  અને  મઠની  દાળ,  જમ્યા  ભાવથી  જનપ્રતિપાળ;

કોટિ  જજ્ઞ  તણું  ફળ  આપ્યું,  જન્મમરણનું  સંકટ  કાપ્યું.6

ત્યાંથી સંચર્યા શ્રીઘનશામ, આવ્યા ગુણનિધિ આણંદગામ;

ત્યાંથી  નાથ  ગયા  છે  ડાકોર,  દીઠા  ડાકોરના  તે  ઠાકોર.7

કરી  રણછોડરાયની  ભેટ,  ત્યાંથી  નાથ  ગયા  ઉમરેઠ;

જાગનાથની જગ્યા છે જયાંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય.8

શિવદર્શને  સાયંકાળ,  આવ્યા  વિપ્ર  ત્યાં  બે  ખેડાવાળ;

એક  તો  દવે  નરભેરામ,  બીજા  ઠાકર  તે  રૂપરામ.9

પ્રેમે  શંકરને  પગે  લાગે,  ભગવાનને  મળવાનું  માગે;

દીઠા  તેઓએ  શ્રીઘનશામ,  મનવૃત્તિ  તણાણી  તે  ઠામ.10

જેમ લોહ ચમકભણી ચળે, સરીતા તો સાગર ભણી વળે;

તેમ  જીવ  જે  દૈવી  જણાય,  પ્રભુમાં  તેનું  ચિત્ત  તણાય.11

બન્ને  બ્રાહ્મણોએ  તેહ  ઠામ,  પ્રેમે  કીધો  પ્રભુને  પ્રણામ;

ફળાહાર  મંગાવીને  દીધો,  કૃપાનાથે  અંગીકાર  કીધો.12

બીજે દિવસ તજી તેહ સ્થાન, આવ્યા ભાળજ શ્રીભગવાન;

વળી  ત્યાંથી  આવ્યા  વરતાલે,  પ્રભુ  બેઠા  તળાવની  પાળે.13

પગી  જોબને  તે  જોગી  જાણી,  પદ  વંદી  કહી  એમ  વાણી;

આપું ઓરડી કરી આ ઠામ, જોગીરાજ રહો આ જ ગામ.14

સુણી શ્રીહરિ લાગ્યા ઉચરવા, મારે જાવું છે તીરથ કરવા;

અમે  આવશું  વળતાં  જયારે,  ગામ  રહેશું  તમારે  જ  ત્યારે.15

પછી  જઇ  તે  પગીને  ભવન,  ભાવે  રાંધીને  કીધું  ભોજન;

દેવકરણ  પગી  તણે  ઘેર,  પોઢ્યા  એકાંતની  જાણી  પેર.16

બ્રહ્મચારી  કહે  સુણ  ભૂપ,કથા  એટલી  પરમ  અનૂપ;

પગી  જોબન  મુખસાક્ષાત,  એ  તો  સાંભળેલી  છે  મેં  ભ્રાત.17

મારા  અંતરમાં  સ્મૃતિ  રહી,  તેથી  મેં  તમને  આજ  કહી;

ચાલ્યા  ત્યાંથકી  ધૈર્યનિધાન,ગયા  બોચાસણે  બળવાન.18

જોઇ ત્યાંના તળાવની પાળ, એક બાવાની જગ્યા વિશાળ;

પ્રભુ  ઊતર્યા  જઇ  તેહ  ઠામ,  પ્રેમે  બાવાએ  કીધો  પ્રણામ.19

પાટીદાર  રુડા  કાનદાસ,  બોચાસણ  માંહી  તેનો  નિવાસ;

તેણે  તે  દિવસે  રુડી  પેર,  સર્વ  વિપ્ર  જમાડિયા  ઘેર.20

દેવા  નોતરું  બાવાની  પાસ,  સુત  મોકલ્યો  જે  કાશીદાસ;

તેણે  બાવાજીને  નોતરીને,  વળી  નોતરું  દીધું  હરીને.21

તેને  ધેર  તે  બાવાની  સાથ,  ગયા  જમવા  મુનિજનનાથ;

બાવો જઇ ફળીયા માંહિ બેઠા, ઘર ઓસરી આગળ હેઠા.22

કાશીદાસની  મા  નાનીબાઇ,  દૈવી  જીવ  તે  દિલની  ડાઇ;

તેણે  શ્રીહરિની  છબી  દીઠી,  મનડામાં  લાગી  બહુ    મીઠી.23

તેણે મુકત મોટા કોઇ ધાર્યા, તેથી ઓશરી માંહી બેસાર્યા;

પીરસાવી  રસોઇ  મંગાવી,  લાડુ  બે  પીરસ્યા  દ્વિજે  લાવી.24

ભલાં  પિરસિયાં  દાળ  ભાત,  ઘણાં  શાક  જુદી  જુદી  જાત;

ભગવાને  ભર્યા  બેજ  ગ્રાસ,  પછી  ઊઠવાની  કરી  આશ.25

કાશીદાસ  તણી  કાકી  જેહ,  ગાય  દોતી  હતી  તહાં  તેહ;

તેની સામું જોયું હરિ જયારે, કાશીદાસની માતાએ ત્યારે.26

પીરસાવ્યું  પ્રભુજીને  દૂધ,  જમ્યા  ભાત  ને  દૂધ  તે  શુદ્ધ;

જમીને  ગયા  હરિ  સાક્ષાત,  રહ્યા  બાવાની  જગ્યામાં  રાત.27

ભાનુ  ઉગતાં  ભવભયહારી,  ગયા  દેવાણ  દેવ  મુરારી;

નાનીબાઇ  તણી  કહું  વાત,  સુણો  ભૂપ  અભેસિંહ  ભ્રાત.28

પૂર્વછાયો :-

નિર્મળ મન નાનીબાઇનું, તેમાં શ્રીહરિ છબી સાક્ષાત;

નિશ્ચળ  થઇને  ઠરી  રહી,  જેમ  પડે પટોળે  ભાત્ય.29

ચોપાઈ :-

રટના તો રહી આખી રાત, જાણે પ્રગટશે કયારે પ્રભાત;

જોગીરાજને  ઘેર  તેડાવું,  ફરી  ભોજન  ભારે  કરાવું.30

વારેવારે  જઇ  ઘર  બહાર,  જુવે  તારામંડળનો  આકાર;

બાકી જામિની ઝાઝી જણાય, જઇ સજયા ઉપર સુઇ જાય.31

પણ  નેણમાં  નિદ્રા  ન  થાય,  અતિ  અંતરમાં  અકળાય;

થઇ જામિની તો જુગ જેવી, મોટી કદીયે દીઠી નહિ એવી.32

વળી  અંતરમાં  એમ  આણે,  રાત  મોટી  હતી  રાસ  ટાણે;

એમ  આજ  વિધાતાએ  આવી,  ખટ  માસની  રાત  ઠરાવી.33

એવું ધારી નાખે તે નિશ્વાસ, જાણે કયારે વિતે ખટ માસ;

એવામાં સુણ્યો કુર્કટરાગ, એથી આનંદ ઉપજયો અથાગ.34

કાશીદાસને  જાણે  બોલાવું,  જોગીદાસને  જમવાનું  કહાવું;

વળી ઉરમાં વિચારે છે એમ, બાળો જોગી જગાડીયે કેમ.35

એમ  કરતાં  સમો  થયો  પ્રાપ્ત,  કાશીદાસ  પ્રત્યે  કહે  માત;

પુત્ર જાઓ તે જોગીની પાસ, કહો જમવાનું આપણે વાસ.36

કાશીદાસ સુણીને સિધાવ્યા, એ તો બાવાની જગ્યામાં આવ્યા;

જોગીરાજ ગયા એવું જાણી, એની આંખમાં આવિયાં પાણી.37

નાનીબાઇને  નવ  રહી  ધીર,  ગયાં  તેહ  તળાવને  તીર;

એણે પણ સાંભળી એવી વાત, ગયા જોગી ઊઠીને પ્રભાત.38

જયાંજયાં હરિએ ભરેલાં છે ડગલાં, પડ્યાં પાતળી રેતીમાં પગલાં;

સોળે  ચિહ્ન  દીઠાં  સુખકારી,  તેથી  જાણિયા  દેવ  મુરારી.39

ખૂબ ખોળ ચારે દીશ કરી, નવ જાણ્યું જે કયાં ગયા હરી;

નાનીબાઇ થયાં તે નિરાશ, આવ્યા આંસુને નાખે નિશ્વાસ.40

કાશીદાસ  કહે  હે  માત!  ધરો  ધૈર્ય  રહો  રળિયાત;

કૃપાનાથે  જો  કૃપા  છે  કરી,  તો  તે  આવીને  મળશે  ફરી.41

રાખે  આપણને  હરિ  જેમ,  રાજી  થૈને  રહેવું  જ  તેમ;

રાખે  કોઇ  સમે  તો  હજૂર,  વળી  કોઇ  સમે  કરે  દૂર.42

તોય  મનમાં  કદી  ન  મૂંઝાવું,  રાખે  તેમ  સદા  રાજી  થાવું;

એવામાં  થઇ  આકાશવાણી,  મળશે  ફરી  સારંગપાણી.43

એવું  સાંભળી  ધીરજ  ધારી,  દિલમાંથી  ઉદાસી  વિસારી;

ઉરમાં અતિ આનંદ લાવ્યાં, માતા પુત્ર મળી ધેર આવ્યાં.44

કથા  કૃષ્ણની  કહું  હવે  ધારી,  ગયા  દેવાણ  દેવ  મુરારી;

રાજા  બાદરસિંહજી  જયાંય,  ગયા  શ્રીહરિ  દરબારમાંય.45

બોલ્યા  ભૂપ  પ્રત્યે  મહારાજ,  કેણે  આપ્યું  છે  તમને  રાજ;

સુણી  ભૂપે  કર્યો  ત્યાં  ઉચ્ચાર,  મને  રાજય  તમે  આપનાર.46

સુણી હેતે બોલ્યા પછી હરિ, રાજય કરજો પ્રભુ થકી ડરી;

સુણી  ભૂપ  કહે  બહુ  સારું,  શિર  ધારીશ  વચન  તમારું.47

નાથે  આપ્યું  તેને  નિજજ્ઞાન,  કર્યું ભોજન  ત્યાં  ભગવાન;

અનુકંપા  કરી  અવિનાશ,  કર્યો    ત્યાં  એક  રાત  નિવાસ.48

વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત, પ્રભુ ત્યાંથી પધાર્યા ખંભાત;

હરિદાસનો જયાં છે અખાડો, રહ્યા ત્યાં હરિ રાત દહાડો.49

હરિદાસ  એવું  વ્રત  ધરે,  કોઇ  આપે  તો  ભોજન  કરે;

હતો  તે  દિન  તો  ઉપવાસ,આપનાર  મળ્યો  નહિ  દાસ.50

અન્ન  જાચ્યું  જઇ  મહારાજે,  કહ્યું  કોરા  કડાકા  છે  આજે;

સુણી  બોલિયા  શ્રીઅવિનાશ,  અમે  પણ  કરશું  ઉપવાસ.51

નારેસર  છે  સરોવર  નામ,  નાહ્યા  ત્યાં  જઇ  સુંદરશામ;

ત્યાંથી નગરે ગયા મુનિનાથ, ભેટ્યા બ્રહ્માની મૂરતી સાથ.52

ગયા  બુધેજ  તે  બળવાન,  કર્યું ત્યાંના  તળાવમાં  સ્નાન;

એક દૈવી જને ત્યાં તો આવી, ઘૌંનો પોક આપ્યો તાજો લાવી.53

સંધ્યા પૂજા આદિક  ક્રિયા કરિ, ઘણે હેતે જમ્યા પોતે હરિ;

જળ  કાઢી  કુવામાંથી  પીધું,  પછી  ગામને  પાવન  કીધું.54

ગયાં  સંવત  શતક  અઢારે,  પંચાવનની  હુતાશની  જયારે;

ગયા  બુધેજમાં  બહુનામી,  જે  છે  અક્ષરધામના  ધામી.55

હતા  રાઠોડ  ત્યાં  ખોડાભાઇ,  ગયા  તેહના  દરબારમાંઇ;

બેઠા લખતા હતા તે તો નામુ, પૂછ્યું શામે જોઇ તેના સામું.56

સદાવ્રત અહીં કયાંથી મળે છે, કહ્યું જાઓ સામે ઘેર દે છે;

એવું  સાંભળીને  શુભપેર,  ગયા  નાથ  તેને  સામે  ઘેર.57

જાચ્યું અન્ન તહાં અવિનાશી, ત્યારે બોલી ત્યાં રળિયાત દાસી;

હું  છું  કામમાં  ધીરજ  ધરો,  હમણાં  અહિંયા  ફેરા    ફરો.58

સાત  ફેરા  ફર્યા  ત્યારે  હરિ,  એમ  ઓશરી  પાવન  કરી;

કડું  લોઢાનું  લટકતું  ભાળી,  ઝાલી  ઊભા  રહ્યા  વનમાળી.59

ત્યારે  દાસીએ  દીધી  જુવાર,  નવ  જાણ્યા  જગતકરતાર;

કહે કૃષ્ણ અમે આ શું કરીએ ? સિધું આપો રસોઇ આદરીએ.60

ત્યારે દાસી તે લાગી કહેવા, ઘણા આવે જોગી તમ જેવા;

સિધાં સૌને પૂરાં કેમ થાય ? અપાતું હોય એ જ અપાય.61

કહે  કૃષ્ણ  છે  જોગી  અનેક,  અમો  જેવા  છૈયે  અમે  એક;

સુણી દાસી લાગી સમજાવા, બીજા આવે છે બહુબહુ બાવા.62

ઉંચા તમથી ને તમ થકી જાડા,જેવા પાળેલા ઉન્મત પાડા;

મોટામોટા  તે  ચીપિયાવાળા,  માથા  ઉપર  મોટી  જટાળા.63

કોટે  બાંધે  મોટામોટા  પારા,  રોજ  પાશેર  ગાંજો  પિનારા;

આખે  અંગે  ભભૂત  લગાવે,  નાના  બાળકને  બિવરાવે.64

એવો  વેષ  દિસે  વિકરાળ,  મોટાં  ટીલાં  કરેલાં  કપાળ;

વાંઝિયાને  તે  છોકરાં  આપે,  દોરા  ચીઠી  કરી  દુઃખ  કાપે.65

જોગી આવે છે અવધૂત એવા, તમે જોગી નથી એહ જેવા;

લેવી હોય તો લ્યો તે જુવાર, નહિ તો જાઓ અહીંથી બાહાર.66

એવી દાસીની સાંભળી વાણી, પાંચ દાણા જમ્યા પદ્મપાણી;

કુવાકાંઠે  ગયા  ગામ  બાહાર,  પાણી  પીધું  હતું  જેહ  ઠાર.67

શમી  ઝાડ  ઉપર  પારેવાં,  બોલતાં  હતાં  જાચક  જેવાં;

માવે જાણ્યું માગે છે આહાર, તેથી તેઓને નાખી જુવાર.68

ભાવે  સાંભળો  તમે  ભૂપાળ,  હરિકૃષ્ણ  છે  એવા  કૃપાળ;

સૌના અંતરની ગતિ જાણે, દુઃખી દેખી દયા દિલ આણે.69

પુષ્પિતાગ્રાવૃત્ત :-

અવગુણ ઉર જીવના ન આણે, હરિગુણ એહ મુનીશ્વરો વખાણે;

જન ગુણ લવ શ્રેષ્ઠ માનિ લે છે, કરી કરુણા અવિનાશી સુખ દે છે.70

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીંદ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિબુધેજગ્રામ-પ્રાપ્તનામા સપ્તદશો વિશ્રામઃ ।।17।।