પૂર્વછાયો :-
વર્ણી કહે વસુધાપતિ, સુણો અંતર ધરીને ઉમંગ;
વળી કહું એક વારતા, શુદ્ધ જાણી કથાનો પ્રસંગ.1
ચોપાઈ :-
થયો વિક્રમ વસુધાધીશ, વીત્યાં વર્ષ તો શત ઓગણીશ;
પછી સોળમી સાલ ગણાઇ, માસ ચૈત્ર આવ્યો સુખદાઇ.2
કશિયાભાઇયે કરી પ્રીત, રઘુવીર તેડ્યા રુડી રીત;
જાણ્યો ભકતનો ભાવ તે ઠામ, આચારજ ગયા નાવલી ગામ.3
ભાઇ સદ્ગુરુ આતમાનંદ, શુકમુનિ ગુણાતીતાનંદ;
અદ્ભુતાનંદ આનંદાનંદ, અક્ષરાનંદ પવિત્રાનંદ.4
વર્ણી નારાયણાનંદ નામ, હતો હું પણ સાથે તે ઠામ;
હતાં સંતનાં મંડળ ઘણાં, વૃંદ પાળા ને હરિજન તણાં.5
સૌની સેવા ઘણો સ્નેહ ધરી, કશિયાભાઇએ બહુ કરી;
એક અવસરે પ્રભાતમાંય, કથાવાર્તા થતી હતી ત્યાંય.6
એક ચોપડી કીર્તનકેરી, જેમાં રેશમી પાટી ઘણેરી;
લઇ બેઠા હતા સાધુ કોઇ, આતમાનંદ સ્વામીએ જોઇ.7
ત્યારે બોલ્યા ઊંચો સ્વર તાણી, સુણો સદ્ગુરુ સૌ મુજ વાણી;
સર્વ છૈયે શ્રીજીના મળેલા, ધર્મ શ્રીજીમુખે સાંભળેલા.8
દત્તપુત્ર પ્રભુ તણા જેહ, બિરાજે છે આ પ્રત્યક્ષ તેહ;
તેમ છતાં રજોગુણ લેશ, કરે ત્યાગીમંડળમાં પ્રવેશ.9
એ તો અતિ અઘટિત કહેવાય, ઘટે સંત તણો મહિમાય;
રવિ કિરણો છતાં અંધકાર, જયારે વ્યાપે તે મુલક મોઝાર.10
ત્યારે કિરણોનો શો મહિમાય, એમ બોલશે લોક બધાય;
સંતે માયાને કીધી ખુવાર, વેર વાળવા તે છે તૈયાર.11
કળિજુગ રહ્યો લાગ તપાસે, ફાવશે તો તે બળવાન થાશે;
સતસંગમાં કરશે પ્રવેશ, માટે ચેતતા રહેવું હંમેશ.12
એક અવસરે સાધુમાં કોઇ, ઓઢવા લાગ્યા છત્રિયો જોઇ;
ત્યારે ગોપાળસ્વામીએ આવી, સૌની છત્રિયો ત્યાગ કરાવી.13
એમ રેશમી પાટી તે આજ, જુઓ રાખે છે સંતસમાજ;
એ છે ત્યાગીને ત્યાગવા જેવી, આજ ન ઘટે પ્રવૃત્તિ તો એવી.14
જયારે આપણ છતાં જ આમ, જોગુણ કરશે આવી ઠામ;
ત્યારે આગળ શી ગતિ થાશે, નકી ત્યાગીનો ધર્મ લોપાશે.15
સુણી બોલ્યા ગુણાતીતાનંદ, સત્ય વાત કહો છો મુનીંદ્ર;
આપે રાખશું ગફલત લેશ, નકી કળિયુગ કરશે પ્રવેશ.16
માટે ટાળી દેવો થતો રોગ, જેથી વધવાનો પામે ન જોગ;
રઘુવીરજીએ સુણી વાત, પ્રભુપુત્ર બોલ્યા સાક્ષાત.17
સર્વ સાધુની ચોપડી લાવો, પાટી રેશમની ઉખેળાવો;
સુણી સંતે પાટી તજી છેક, મોટો ઢગલો થયો તેનો એક.18
આચારજજીએ આજ્ઞા કીધી, બધી પાટી બળાવી તે દીધી;
ધન્ય ધન્ય તે સંત વિરાગી, ધન્ય આચારજજી બડબાગી.19
એમ ધર્મનું રક્ષણ કરે, સંત હરિજન આગન્યા ધરે;
ગુરુ શિષ્યનો છે એ જ ધર્મ, હોય સમઝુ તે સમઝે છે મર્મ.20
આચાર્યના અંકુશ વિષે :- ઉપજાતિવૃત્તિ :-
જો ધર્મ આચારજજી રખાવે, અધર્મનું જોર કદી ન ફાવે;
આજ્ઞા તજી શિષ્ય સ્વતંત્ર થાય, તેના થકી ધર્મ નહીં પળાય.21
જેનો નહીં કોઇ તપાસનાર, બગાડ તે વસ્તુ તણો થનાર;
રાજા વિના ઊજડ દેશ થાય, જનો લુટારા જર લુટી જાય.22
જો નાવને નાંગળ નોય ભાઇ, તો સિંધુમાં નાવ જશે તણાઇ;
દોરી તુટે જાય પતંગ જેમ, ગુરૂ વિનાના જન જાતિ તેમ.23
માયિક છે આ મનઇન્દ્રિ જેહ, માયા વિષે જાય તણાઇ તેહ;
અંકુશ આચારજનો ન હોય, તો ધર્મનો પંથ નભે ન કોય.24
શાસ્ત્રો તથા સદ્ગુરુ હોય જેહ, અંકુશ આચારજ શીશ એહ;
સ્વતંત્ર તો કોઇ સમે ન થાવું, સિદ્ધાંત આ સત્ય કહી બતાવું.25
અનેક નેવાં વળીયો અનેક, આધાર એનો પણ મોભ એક;
આચાર્યથી તેમજ સંપ્રદાય, ટોયા વિના તેતર ખેત્ર ખાય.26
રાજા વડે સૈન્ય સદા નભે છે, સેના વડે રાયપણું રહે છે;
એ રીતે આચારજ સંપ્રદાય, નભે મળી ધર્મ ભલો પળાય.27
ચોપાઈ :-
એમ નાવલી ગામમાં આવી, ત્યાગી પાસેથી પાટી તજાવી;
વાત પ્રખ્યાત થઇ સહુ ઠામ, રહ્યું નાવલીનું પણ નામ.28
ધન્ય ધન્ય તે કશિયાભાઇ, જેની ભકિત ભલી વખણાઇ;
ધન્ય ધન્ય એનો અવતાર, ધન્ય માત પિતા પરિવાર.29
એનો અંત સમો આવ્યો જયારે, રધુવીરજીને તેડ્યા ત્યારે;
તેને સર્વસ્વ અર્પણ કરી કીધું, સ્ત્રીને અર્થે થોડું રાખી લીધું.30
અંતે તેડવાને હરિ આવ્યા, સાથે મુકતનાં મંડળ લાવ્યા;
કૈક લોકની દષ્ટિએ થયા, એવી રીતે તે ધામમાં ગયા.31
હેતબા તેની નારીનું નામ, સતસંગી ને સદ્ગુણધામ;
એણે પણ કર્યુંએ જ પ્રમાણે, તે તો જગતમાં જન બહુ જાણે.32
જીવીકા જેટલું જ સંઘર્યું, બીજું સર્વસ્વ અર્પણ કર્યું;
હતાં ઘરમાં ઘરાણાં જેહ, ભકિતમાતાને અર્પિયાં એહ.33
દંપતિ જયારે ધામ પધાર્યા, થયાં ઉત્તર કારજ સારાં;
લાવ આ લોકમાં પણ લીધો, અંતે અક્ષરમાં વાસ કીધો.34
ભકિત એવી તો ઉત્તમ કીધી, થઇ સતસંગ માંહી પ્રસિદ્ધી;
એવા ભકતનું આખ્યાન ગાય, એનું અંતર નિર્મળ થાય.35
આવાં આવાં સુણે જે આખ્યાન, થાય પવિત્ર તેહના કાન;
તનશુદ્ધિ તો તીરથ સ્નાને, મનશુદ્ધિ આવાં આખ્યાને.36
એવા થાય હરિજન જેહ, તેનો સુફળ થયો નરદેહ;
સુણી બોલ્યા અભેસિંહ ભૂપ, કશિયાભાઇ ભકત અનૂપ.37
પરમેશ્વરને પાય લાગું, એવું ભકતપણું ભલું માગું;
જેહ અક્ષરના હોય મુકત, એ જ થાય એવા ભલા ભકત.38
અહો બ્રહ્મચારી મહારાજ, આપે કીધી કૃપા ઘણી આજ;
આવાં સાંભળતાં આખ્યાન, નથી તૃપ્ત થતા મુજ કાન.39
સુધાસરખી છે આપની વાણી, પીયે તે તો અમર થાય પ્રાણી;
અનુકંપા ઘણી ઉર લાવો, વળી કૃષ્ણકથા સંભળાવો.40
પુષ્પિતાગ્રાવૃત્ત :-
મુનિમુખથકી જે સુધા શ્રવે છે, મહિપતિ પ્રેમ કરી કરી પિયે છે;
બહુ જન સુણી શુદ્ધ બુદ્ધિ થાશે, પરઉપકાર અપાર તે ગણાશે.41
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે નાવલીગ્રામનિવાસી કશિયાભાઈગૃહે રધુવીરાચાર્યકૌ શેયપટ્ટિકાદહનનામા ષોડશો વિશ્રામઃ ।।16।।