પૂર્વછાયો :-

વર્ણી  કહે  વસુધાપતિ,  સુણો  અંતર  ધરીને  ઉમંગ;

વળી  કહું  એક  વારતા,  શુદ્ધ  જાણી  કથાનો  પ્રસંગ.1

ચોપાઈ :-

થયો  વિક્રમ  વસુધાધીશ,  વીત્યાં  વર્ષ  તો  શત ઓગણીશ;

પછી  સોળમી  સાલ  ગણાઇ,  માસ  ચૈત્ર  આવ્યો  સુખદાઇ.2

કશિયાભાઇયે  કરી  પ્રીત,  રઘુવીર  તેડ્યા  રુડી  રીત;

જાણ્યો ભકતનો ભાવ તે ઠામ, આચારજ ગયા નાવલી ગામ.3

ભાઇ  સદ્ગુરુ  આતમાનંદ,  શુકમુનિ  ગુણાતીતાનંદ;

અદ્ભુતાનંદ  આનંદાનંદ,  અક્ષરાનંદ  પવિત્રાનંદ.4

વર્ણી  નારાયણાનંદ  નામ,  હતો  હું  પણ  સાથે  તે    ઠામ;

હતાં  સંતનાં  મંડળ  ઘણાં,  વૃંદ  પાળા  ને  હરિજન  તણાં.5

સૌની  સેવા  ઘણો  સ્નેહ  ધરી,  કશિયાભાઇએ  બહુ  કરી;

એક  અવસરે  પ્રભાતમાંય,  કથાવાર્તા  થતી  હતી  ત્યાંય.6

એક  ચોપડી  કીર્તનકેરી,  જેમાં  રેશમી  પાટી  ઘણેરી;

લઇ  બેઠા  હતા  સાધુ  કોઇ,  આતમાનંદ  સ્વામીએ  જોઇ.7

ત્યારે બોલ્યા ઊંચો સ્વર તાણી, સુણો સદ્ગુરુ સૌ મુજ વાણી;

સર્વ  છૈયે  શ્રીજીના  મળેલા,  ધર્મ  શ્રીજીમુખે  સાંભળેલા.8

દત્તપુત્ર  પ્રભુ  તણા  જેહ,  બિરાજે  છે  આ  પ્રત્યક્ષ  તેહ;

તેમ  છતાં  રજોગુણ  લેશ,  કરે  ત્યાગીમંડળમાં  પ્રવેશ.9

એ  તો  અતિ  અઘટિત  કહેવાય,  ઘટે  સંત  તણો  મહિમાય;

રવિ કિરણો છતાં અંધકાર, જયારે વ્યાપે તે મુલક મોઝાર.10

ત્યારે કિરણોનો શો મહિમાય, એમ બોલશે લોક બધાય;

સંતે  માયાને  કીધી  ખુવાર,  વેર  વાળવા  તે  છે  તૈયાર.11

કળિજુગ રહ્યો લાગ તપાસે, ફાવશે તો તે બળવાન થાશે;

સતસંગમાં  કરશે  પ્રવેશ,  માટે  ચેતતા  રહેવું  હંમેશ.12

એક અવસરે સાધુમાં કોઇ, ઓઢવા લાગ્યા છત્રિયો જોઇ;

ત્યારે ગોપાળસ્વામીએ આવી, સૌની છત્રિયો ત્યાગ કરાવી.13

એમ  રેશમી  પાટી  તે  આજ,  જુઓ  રાખે  છે  સંતસમાજ;

એ છે ત્યાગીને ત્યાગવા જેવી, આજ ન ઘટે પ્રવૃત્તિ તો એવી.14

જયારે આપણ છતાં જ આમ, જોગુણ કરશે આવી ઠામ;

ત્યારે આગળ શી ગતિ થાશે, નકી ત્યાગીનો ધર્મ લોપાશે.15

સુણી  બોલ્યા  ગુણાતીતાનંદ,  સત્ય  વાત  કહો  છો  મુનીંદ્ર;

આપે  રાખશું  ગફલત  લેશ,  નકી  કળિયુગ  કરશે  પ્રવેશ.16

માટે ટાળી દેવો થતો રોગ, જેથી વધવાનો પામે ન જોગ;

રઘુવીરજીએ  સુણી  વાત,  પ્રભુપુત્ર  બોલ્યા  સાક્ષાત.17

સર્વ  સાધુની  ચોપડી  લાવો,  પાટી  રેશમની  ઉખેળાવો;

સુણી  સંતે  પાટી  તજી  છેક,  મોટો  ઢગલો  થયો  તેનો  એક.18

આચારજજીએ આજ્ઞા કીધી, બધી પાટી બળાવી તે દીધી;

ધન્ય ધન્ય તે સંત વિરાગી, ધન્ય આચારજજી બડબાગી.19

એમ  ધર્મનું  રક્ષણ  કરે,  સંત  હરિજન  આગન્યા  ધરે;

ગુરુ શિષ્યનો છે એ જ ધર્મ, હોય સમઝુ તે સમઝે છે મર્મ.20

આચાર્યના અંકુશ વિષે :- ઉપજાતિવૃત્તિ :-

જો  ધર્મ  આચારજજી  રખાવે,  અધર્મનું  જોર  કદી  ન  ફાવે;

આજ્ઞા તજી શિષ્ય સ્વતંત્ર થાય, તેના થકી ધર્મ નહીં પળાય.21

જેનો નહીં કોઇ તપાસનાર, બગાડ તે વસ્તુ તણો થનાર;

રાજા વિના ઊજડ દેશ થાય, જનો લુટારા જર લુટી જાય.22

જો નાવને નાંગળ નોય ભાઇ, તો સિંધુમાં નાવ જશે  તણાઇ;

દોરી તુટે જાય પતંગ જેમ, ગુરૂ વિનાના જન જાતિ તેમ.23

માયિક છે આ મનઇન્દ્રિ જેહ, માયા વિષે જાય તણાઇ તેહ;

અંકુશ આચારજનો ન હોય, તો ધર્મનો પંથ નભે ન કોય.24

શાસ્ત્રો તથા સદ્ગુરુ હોય જેહ, અંકુશ આચારજ શીશ એહ;

સ્વતંત્ર તો કોઇ સમે ન થાવું, સિદ્ધાંત આ સત્ય કહી બતાવું.25

અનેક નેવાં વળીયો અનેક, આધાર એનો પણ મોભ એક;

આચાર્યથી તેમજ સંપ્રદાય, ટોયા વિના તેતર ખેત્ર ખાય.26

રાજા વડે સૈન્ય સદા નભે છે, સેના વડે રાયપણું રહે છે;

એ રીતે આચારજ સંપ્રદાય, નભે મળી ધર્મ ભલો પળાય.27

ચોપાઈ :-

એમ નાવલી ગામમાં આવી, ત્યાગી પાસેથી પાટી તજાવી;

વાત  પ્રખ્યાત  થઇ  સહુ  ઠામ,  રહ્યું  નાવલીનું  પણ  નામ.28

ધન્ય ધન્ય તે કશિયાભાઇ, જેની ભકિત ભલી વખણાઇ;

ધન્ય  ધન્ય  એનો  અવતાર,  ધન્ય  માત  પિતા  પરિવાર.29

એનો અંત સમો આવ્યો જયારે, રધુવીરજીને તેડ્યા ત્યારે;

તેને સર્વસ્વ અર્પણ કરી કીધું, સ્ત્રીને અર્થે થોડું રાખી લીધું.30

અંતે  તેડવાને  હરિ  આવ્યા,  સાથે  મુકતનાં  મંડળ  લાવ્યા;

કૈક  લોકની  દષ્ટિએ  થયા,  એવી  રીતે  તે  ધામમાં  ગયા.31

હેતબા  તેની  નારીનું  નામ,  સતસંગી  ને  સદ્ગુણધામ;

એણે પણ કર્યુંએ જ પ્રમાણે, તે તો જગતમાં જન બહુ જાણે.32

જીવીકા  જેટલું  જ  સંઘર્યું,  બીજું  સર્વસ્વ  અર્પણ  કર્યું;

હતાં  ઘરમાં  ઘરાણાં  જેહ,  ભકિતમાતાને  અર્પિયાં  એહ.33

દંપતિ  જયારે  ધામ  પધાર્યા,  થયાં  ઉત્તર  કારજ  સારાં;

લાવ  આ  લોકમાં  પણ  લીધો,  અંતે  અક્ષરમાં  વાસ  કીધો.34

ભકિત એવી તો ઉત્તમ કીધી, થઇ સતસંગ માંહી પ્રસિદ્ધી;

એવા  ભકતનું  આખ્યાન  ગાય,  એનું  અંતર  નિર્મળ  થાય.35

આવાં આવાં સુણે જે આખ્યાન, થાય પવિત્ર તેહના કાન;

તનશુદ્ધિ  તો  તીરથ  સ્નાને,  મનશુદ્ધિ  આવાં  આખ્યાને.36

એવા  થાય  હરિજન  જેહ,  તેનો  સુફળ  થયો  નરદેહ;

સુણી બોલ્યા અભેસિંહ ભૂપ, કશિયાભાઇ ભકત અનૂપ.37

પરમેશ્વરને  પાય  લાગું,  એવું  ભકતપણું  ભલું  માગું;

જેહ અક્ષરના હોય મુકત, એ જ થાય એવા ભલા ભકત.38

અહો  બ્રહ્મચારી  મહારાજ,  આપે  કીધી  કૃપા  ઘણી  આજ;

આવાં  સાંભળતાં  આખ્યાન,  નથી  તૃપ્ત  થતા  મુજ  કાન.39

સુધાસરખી છે આપની વાણી, પીયે તે તો અમર થાય પ્રાણી;

અનુકંપા  ઘણી  ઉર  લાવો,  વળી  કૃષ્ણકથા  સંભળાવો.40

પુષ્પિતાગ્રાવૃત્ત :-

મુનિમુખથકી જે સુધા શ્રવે છે, મહિપતિ પ્રેમ કરી કરી પિયે છે;

બહુ જન સુણી શુદ્ધ બુદ્ધિ થાશે, પરઉપકાર અપાર તે ગણાશે.41

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે નાવલીગ્રામનિવાસી કશિયાભાઈગૃહે રધુવીરાચાર્યકૌ શેયપટ્ટિકાદહનનામા ષોડશો વિશ્રામઃ ।।16।।