પૂર્વછાયો :-
કહે અચિત્યાનંદજી, સુણો ભૂપતિ થૈ સાવધાન;
ભકત સુકશીયાભાઇનું, એક કહું ભલું આખ્યાન.1
ચોપાઈ :-
ચરોતરમાં છે નાવલી ગામ, લાલદાસ રહે તેહ ઠામ;
નાતે લેઉવા તે પાટીદાર, કરે ખેતી ને ઘીનો વેપાર.2
ઘૃત કુંપી ભરીને વિશેષ, કર્યો વાંકળ પ્રાંત પ્રવેશ;
તેથી લાભ ઘણેરો તે લાવ્યા, મહી ઊતરી ઉત્તરે આવ્યા.3
મહીતટમાં પરમ પાવન, ભાઠામાં છે બાવળ તણું વન;
ઇચ્છા થઇ લાલદાસને ત્યાંહી, બ્રહ્મભોજય કરાવું હું આંહી.4
આસપાસના વિપ્ર બોલાવી, રુડી રીતે રસોઇ કરાવી;
થયું ભોજનનું ટાણું જયારે, એક જોગ બન્યો ભલો ત્યારે.5
જેમ સોનાની રજ શોધનાર, પામે સોનાનો મેરૂ તે ઠાર;
જેમ ઇચ્છે પદારથ કાંઇ, કલ્પવૃક્ષ તેને મળે ત્યાંઇ.6
પુણ્ય અલ્પનો આદર કીધો, પણ લાભ અલભ્ય તે લીધો;
જે છે અક્ષરધામના વાસી, પુરુષોત્તમ પરમ પ્રકાશી.7
જેને અર્થે જોગી જોગ સાધે, ઉમાઇશ તે જેને આરાધે;
મહી ઊતરીને મુનિવેષે, આવ્યા શ્રીહરિ એ જ પ્રદેશે.8
લાલદાસે દીઠા બ્રહ્મચારી, કર જોડીને વિનંતિ ઉચ્ચારી;
કરો ભોજન વરણીરાય, મારું દ્રવ્ય સુફળ ત્યારે થાય.9
એવું વચન સુણી ઉર લીધું, બ્રહ્માચારીએ ભોજન કીધું;
કરી ઇચ્છા એવી હરિરાય, એને પુત્ર પવિત્ર તે થાય.10
મારી ભકિત ભલી કરનાર, આખા કુળનો કરે ઉદ્ધાર;
એવી ઇચ્છા કરી ધર્મલાલ, પછી વીતી ગયો કાંઇ કાળ.11
લાલદાસના ઘર મોઝાર, એક મુકતે લીધો અવતાર;
પાડ્યું નામ તે કશિયાભાઇ, વધે પ્રતિદિન બુદ્ધિ સવાઇ.12
સોળ વર્ષ થયાં તેને જયારે, સંગ વેદાંતિનો થયો ત્યારે;
થયા અદ્ધૈતમત માનનાર, જાણે ઇશ્વરને નિરાકાર.13
પરમેશ્વર જે કહેવાય, જીવરૂપે તે એ જ જણાય;
એવી વિપરીત બુદ્ધિ તે થઇ, સત્યવાતની સમઝ્ણ્ય ગઇ.14
જો જો સંગતણું બળ કેવું, મુકતજનને ભમાવે જ એવું;
માટે કદીયે કુસંગ ન કરવો, સમઝણનો ગરવ પરહરવો.15
ઉપજાતિવૃત્ત :-
કુસંગીનો સજ્જન કોઇ સંગ, કરે ચડે અંગ કુસંગ રંગ;
જો ઊજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળસંગ તોય.16
પવિત્ર જાશે અપવિત્ર પાસે, જરૂર તો તે અપવિત્ર થાશે;
જો કુંભ ગંગાજળનો જણાય, તે મદ્ય છંટાય અશુદ્ધ થાય.17
કુસંગીસંગે સુજનો પિડાય, તે સંગનો દોષ સદા ગણાય;
લોહી પીને માંકડ નાશી જાય, તે સંગથી માર પલંગ ખાય.18
સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તે રૂપ તેનું બદલાઇ જાય;
જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઇને પ્રગટે ખટાશ.19
કૃપાત્રને સંગ સુપાત્ર જાય, કૃપાત્રમાં તો ગણતાં ગણાય;
જો અંધમાં દેખક એક હોય, તે અંધટોળી જ ગણાય તોય.20
ચોખાતણું છે નરજાતિ નામ, જો દાળમાં જઇ કરશે વિરામ;
તો તેહનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તો ખિચડી ગણાશે.21
કુસંગ જો અંગ કરે પ્રવેશ, ધર્મી તણો ધર્મ રહે ન લેશ;
જો ધર્મરાજા બહુ જાણનાર, જુગારીસંગે રમિયા જુગાર.22
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
વારિ વારિદ એકથી વરસિયું જે છીપમાં જૈ પડ્યું,
તેનું મોતી થયું થઇ શરકરા જે શેલડીમાં ચડ્યું;
પેઠું વાંસ વિષે થયું કપુર તે સર્પાસ્ય ઝેરી થયું,
જેવો સંગ જણાય તેવું જગમાં જે નીર જયાં જયાં ગયું.23
ચોપાઈ :-
કર્યો શુષ્ક વેદાંતિનો સંગ, ચડ્યો તેથી તેને તેવો રંગ;
ભલા તે પછી કશિયાભાઇ, થયા હરિજન તે કહું ગાઇ.24
એક અવસરે ભગવદાનંદ, ફરતા હતા લઇ મુનિવૃંદ;
આવ્યા નાવલી ગામમાં જયારે, કશિયાભાઇ જૈ મળ્યા ત્યારે.25
પોતે અદ્વૈતનો પક્ષ ધારી, સાધુ સાથે કર્યો વાદ ભારી;
એક દિવસ ને રજની એક, પ્રશ્વ્ન ઉત્તર કીધા અનેક.26
ઘણા દિનનો ચડેલો જે મેલ, એ તો ઊતરવો મુશકેલ;
મેલ સંશયરૂપી તે જેહ, કાઢનાર મળ્યા ગુરુ તેહ.27
ઈશ્વર જીવરૂપે થાય નહીં તે વિષે :- ઉપજાતિવૃત્ત :-
સ્વામી કહે હે સમજો સુજાણ, વિચારીને વાત કરો પ્રમાણ;
અછેદ્ય છે ઇશ્વર એક જેહ, જીવસ્વરૂપે નવ થાય તેહ.28
જો થાય તે ગર્દભ ઘૂડ શ્વાન, અજ્ઞાન આદીક વિકારવાન;
તો કેમ તેને કહિયે સમર્થ, એ તો દિસે છે અતિવાદ વ્યર્થ.29
ઇચ્છાથી જો રૂપ અનેક ધારે, સર્વજ્ઞતા તોય તજે ન કયારે;
જો નાટકી નારી બને કદાપિ, ભૂલે નહીં પુરુષતા તથાપિ.30
સ્વતંત્ર છે ઇશ્વર એક સ્વામી, જીવો બિચારા પરતંત્રગામી;
સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, અલ્પજ્ઞ જીવો પ્રભુ કેમ થાય.31
વિજ્ઞાન પામી પ્રભુ જો થવાય, તેનાથી તો સૃષ્ટિ નવી સૃજાય;
હું ભૂપ છું નિશ્ચય એમ જાણે, પ્રજા ન તેને નૃપતિ પ્રમાણે.32
પાષાણને પારસ જો મનાય, તેના થકી કાંચન કેમ થાય;
જો જીવને ઇશ્વરરૂપ જાણે, ઐશ્વર્ય એવું પણ કયાંથી આણે.33
હું છું પ્રભુ લે મન એમ માની, તેને કદાપિ કહિયે ન જ્ઞાની;
હું દાસ છું ને પ્રભુ દેવ મારો, સુજાણ તો એમ જ જાણનારો.34
છે જીવ બ્રહ્માંશ શ્રુતી કહે છે, તેમાં ઊંડો અર્થ ખરો રહે છે;
રાજા તણો હાથ પ્રધાન જેમ, છે બ્રહ્મનો અંશ જ જીવ એમ.35
અંતે જીવો બ્રહ્મ વિષે સમાય, તે વાત સાચી શ્રુતિ એમ ગાય;
જળે સમાયા જળજંતુ જેમ, તે બ્રહ્મમાં લીન થશે જ તેમ.36
જો નીરમાં ક્ષીર મળ્યું જણાય, તથાપિ તે એક કદી ન થાય;
આત્મા તથા જે પરમાત્મ છેય, મળ્યા દિસે તો પણ ભિન્ન બેય.37
આ દેહમાં જે સુખ દુઃખ ભોગી, તે જીવ છે ઇશ સદા અરોગી;
આત્મા વિષે અંતરયામિરૂપ, પ્રકાશદાતા પ્રભુ છે અનૂપ.38
નિરાકૃતિ ને સરવત્ર હોય, તેનું પ્રતિબિંબ કહે ન કોય;
અછેદ્ય આદીક ગુણોથી એવું, છે જીવનું રૂપ પરાત્મ જેવું.39
પોતે ગુરુ ને વળી શિષ્ય પોતે, એવું કરે મૂર્ખ ગણાય તો તે;
શિક્ષા વદે સ્વપ્રતિબિંબ પાસે, ગાંડો હશે બાળક કાં ગણાશે.40
ચોપાઈ :-
એવી વાત સુણીને અપાર, કશિયાભાઇ સમજીયા સાર;
પોતે છે મુકતનો અવતાર, ચિત્તે આવિયો સત્ય વિચાર.41
સાચી સાધુની વાત મનાણી, ધર્યા નિયમ ને મુકિયું પાણી;
ભલા ભકત થયા તે અનન્ય, એને વાત ગમે નહિ અન્ય.42
મણિ કાદવમાં લપટાય, ગયે કાદવ ચળકિત થાય;
રવિ ઢંકાય વાદળાં પાસ, જાય વાદળું પ્રગટે પ્રકાશ.43
પરવતભાઇ કહિયે જેવા, કશિયાભાઇ પણ થયા તેવા;
નિત્યાનંદ ને ગોપાળાનંદ, શુકાનંદ ગુણાતીતાનંદ.44
આચારજજી રધુવીર જેહ, કૃપાપાત્ર ગણે સર્વ તેહ;
માંદા સાધુઓની કરે સેવા, ઘૃત આદિક આવે તે દેવા.45
સેવો પાપડ કે વસ્તુ સારી, તે તો સાધુને આપે સંભારી;
નવું દ્રવ્ય તે જે જે કમાય, ઘરખર્ચે તેમાંથી કરાય.46
કરકસર કરીને ઉગારે, સતસંગમાં ખર્ચવું ધારે;
નિજ દેવ આચારજ સંત, એને અર્થે તે ખર્ચે અત્યંત.47
રધુવીરજીને તો તેડાવ્યા, ઘણીવાર ઘેરે પધરાવ્યા;
સદ્ગુરુને મંડળ સહિત, પધરાવ્યા પુરી ધરી પ્રીત.48
જોગ પર્વણીનો વળી જોઇ, ઘણી સંતને દીધી રસોઇ;
દંડવત હરિભકતને કરે, મહિમા મોટો મનમાં ધરે.49
દંડવત કરતાં કોઇ વારે, રાતે છાના કરે જઇ ત્યારે;
હરિમંદિરમાં ઝાડું કાઢે, નિત્ય નાજાય જઇ જળ ટાઢે.50
સેવા ભકિત કરે ભલી કેવી, એ તો જાણીએ અમરીષ જેવી;
એની ભકિત તો ઉત્તમ લાગે, એવી ભકિત મોટા મુનિ માગે.51
પુષ્પિતાગ્રાવૃત્ત :-
સનક જનક કીધી ભકિત જેવી, કરી કશિયાજી ભલીજ ભકિત એવી;
મુનિજન પણ વિશ્વમાં વખાણે, હરિજન સર્વ જથાર્થ વાત જાણે.52
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે નાવલીગ્રામનિવાસી-કશિયાભાઇપ્રતિ ભગવદાનંદસ્વામી અદ્વૈતમતખંડન -કરણનામા પંચદશો વિશ્રામઃ ।।15।।