પૂર્વછાયો :-

કહે  અચિત્યાનંદજી,  સુણો  ભૂપતિ  થૈ  સાવધાન;

ભકત સુકશીયાભાઇનું, એક કહું ભલું આખ્યાન.1

ચોપાઈ :-

ચરોતરમાં  છે  નાવલી  ગામ,  લાલદાસ  રહે  તેહ  ઠામ;

નાતે  લેઉવા  તે  પાટીદાર,  કરે  ખેતી  ને  ઘીનો  વેપાર.2

ઘૃત  કુંપી  ભરીને  વિશેષ,  કર્યો  વાંકળ  પ્રાંત  પ્રવેશ;

તેથી  લાભ  ઘણેરો  તે  લાવ્યા,  મહી  ઊતરી  ઉત્તરે  આવ્યા.3

મહીતટમાં  પરમ  પાવન,  ભાઠામાં  છે  બાવળ  તણું  વન;

ઇચ્છા થઇ લાલદાસને ત્યાંહી, બ્રહ્મભોજય કરાવું હું આંહી.4

આસપાસના  વિપ્ર  બોલાવી,  રુડી  રીતે  રસોઇ  કરાવી;

થયું ભોજનનું ટાણું જયારે, એક જોગ બન્યો ભલો ત્યારે.5

જેમ  સોનાની  રજ  શોધનાર,  પામે  સોનાનો  મેરૂ  તે  ઠાર;

જેમ  ઇચ્છે  પદારથ  કાંઇ,  કલ્પવૃક્ષ  તેને  મળે  ત્યાંઇ.6

પુણ્ય અલ્પનો આદર કીધો, પણ લાભ અલભ્ય તે લીધો;

જે  છે  અક્ષરધામના  વાસી,  પુરુષોત્તમ  પરમ  પ્રકાશી.7

જેને  અર્થે  જોગી  જોગ  સાધે,  ઉમાઇશ  તે  જેને  આરાધે;

મહી  ઊતરીને  મુનિવેષે,  આવ્યા  શ્રીહરિ  એ  જ  પ્રદેશે.8

લાલદાસે  દીઠા  બ્રહ્મચારી,  કર  જોડીને  વિનંતિ  ઉચ્ચારી;

કરો  ભોજન  વરણીરાય,  મારું    દ્રવ્ય  સુફળ  ત્યારે  થાય.9

એવું  વચન  સુણી  ઉર  લીધું,  બ્રહ્માચારીએ  ભોજન  કીધું;

કરી  ઇચ્છા  એવી  હરિરાય,  એને  પુત્ર  પવિત્ર  તે  થાય.10

મારી  ભકિત  ભલી  કરનાર,  આખા  કુળનો  કરે  ઉદ્ધાર;

એવી  ઇચ્છા  કરી  ધર્મલાલ,  પછી  વીતી  ગયો  કાંઇ  કાળ.11

લાલદાસના  ઘર  મોઝાર,  એક  મુકતે  લીધો  અવતાર;

પાડ્યું  નામ  તે  કશિયાભાઇ,  વધે  પ્રતિદિન  બુદ્ધિ  સવાઇ.12

સોળ  વર્ષ  થયાં  તેને  જયારે,  સંગ  વેદાંતિનો  થયો  ત્યારે;

થયા  અદ્ધૈતમત  માનનાર,  જાણે  ઇશ્વરને  નિરાકાર.13

પરમેશ્વર  જે  કહેવાય,  જીવરૂપે  તે  એ  જ  જણાય;

એવી વિપરીત બુદ્ધિ તે થઇ, સત્યવાતની સમઝ્ણ્ય ગઇ.14

જો  જો    સંગતણું  બળ  કેવું,  મુકતજનને  ભમાવે  જ  એવું;

માટે  કદીયે  કુસંગ  ન  કરવો,  સમઝણનો  ગરવ  પરહરવો.15

ઉપજાતિવૃત્ત :-

કુસંગીનો  સજ્જન  કોઇ  સંગ,  કરે  ચડે  અંગ  કુસંગ  રંગ;

જો ઊજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળસંગ તોય.16

પવિત્ર જાશે અપવિત્ર પાસે, જરૂર તો તે અપવિત્ર થાશે;

જો કુંભ ગંગાજળનો જણાય, તે મદ્ય  છંટાય અશુદ્ધ થાય.17

કુસંગીસંગે સુજનો પિડાય, તે સંગનો દોષ સદા ગણાય;

લોહી પીને માંકડ નાશી જાય, તે સંગથી માર પલંગ ખાય.18

સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તે રૂપ તેનું બદલાઇ જાય;

જો દૂધમાં સ્વલ્પ  પડે જ છાશ, મીઠાશ જઇને પ્રગટે ખટાશ.19

કૃપાત્રને સંગ સુપાત્ર જાય, કૃપાત્રમાં તો ગણતાં ગણાય;

જો અંધમાં દેખક એક હોય, તે અંધટોળી જ ગણાય તોય.20

ચોખાતણું છે નરજાતિ નામ, જો દાળમાં જઇ કરશે વિરામ;

તો તેહનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તો ખિચડી ગણાશે.21

કુસંગ જો અંગ કરે પ્રવેશ, ધર્મી તણો ધર્મ રહે ન લેશ;

જો ધર્મરાજા બહુ જાણનાર, જુગારીસંગે રમિયા જુગાર.22

શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-

વારિ વારિદ  એકથી  વરસિયું  જે  છીપમાં  જૈ  પડ્યું,

તેનું  મોતી  થયું  થઇ  શરકરા  જે  શેલડીમાં  ચડ્યું;

પેઠું  વાંસ  વિષે  થયું  કપુર  તે સર્પાસ્ય  ઝેરી  થયું,

જેવો સંગ જણાય તેવું જગમાં જે નીર જયાં જયાં ગયું.23

ચોપાઈ :-

કર્યો  શુષ્ક  વેદાંતિનો  સંગ,  ચડ્યો  તેથી  તેને  તેવો  રંગ;

ભલા  તે  પછી  કશિયાભાઇ,  થયા  હરિજન  તે  કહું  ગાઇ.24

એક  અવસરે  ભગવદાનંદ,  ફરતા  હતા  લઇ  મુનિવૃંદ;

આવ્યા નાવલી ગામમાં જયારે, કશિયાભાઇ જૈ મળ્યા ત્યારે.25

પોતે  અદ્વૈતનો  પક્ષ  ધારી,  સાધુ  સાથે  કર્યો  વાદ  ભારી;

એક  દિવસ  ને  રજની  એક,  પ્રશ્વ્ન    ઉત્તર  કીધા  અનેક.26

ઘણા  દિનનો  ચડેલો  જે  મેલ,  એ  તો  ઊતરવો  મુશકેલ;

મેલ  સંશયરૂપી  તે  જેહ,  કાઢનાર  મળ્યા  ગુરુ  તેહ.27

ઈશ્વર જીવરૂપે થાય નહીં તે વિષે :- ઉપજાતિવૃત્ત :-

સ્વામી કહે હે સમજો સુજાણ, વિચારીને વાત કરો પ્રમાણ;

અછેદ્ય  છે  ઇશ્વર  એક  જેહ,  જીવસ્વરૂપે  નવ  થાય  તેહ.28

જો થાય તે ગર્દભ ઘૂડ શ્વાન, અજ્ઞાન આદીક વિકારવાન;

તો કેમ તેને કહિયે સમર્થ, એ તો દિસે છે અતિવાદ વ્યર્થ.29

ઇચ્છાથી જો રૂપ અનેક ધારે, સર્વજ્ઞતા તોય તજે ન કયારે;

જો નાટકી નારી બને કદાપિ, ભૂલે નહીં પુરુષતા તથાપિ.30

સ્વતંત્ર છે ઇશ્વર એક સ્વામી, જીવો બિચારા પરતંત્રગામી;

સર્વજ્ઞ  સર્વેશ્વર  છે  સદાય,  અલ્પજ્ઞ  જીવો  પ્રભુ  કેમ  થાય.31

વિજ્ઞાન પામી પ્રભુ જો થવાય, તેનાથી તો સૃષ્ટિ નવી સૃજાય;

હું ભૂપ છું નિશ્ચય એમ જાણે, પ્રજા ન તેને નૃપતિ પ્રમાણે.32

પાષાણને  પારસ  જો  મનાય,  તેના  થકી  કાંચન  કેમ  થાય;

જો જીવને ઇશ્વરરૂપ જાણે, ઐશ્વર્ય એવું પણ કયાંથી આણે.33

હું છું પ્રભુ લે મન એમ માની, તેને કદાપિ કહિયે ન જ્ઞાની;

હું દાસ છું ને પ્રભુ દેવ મારો, સુજાણ તો એમ જ જાણનારો.34

છે જીવ બ્રહ્માંશ શ્રુતી કહે છે, તેમાં ઊંડો અર્થ ખરો રહે છે;

રાજા તણો હાથ પ્રધાન જેમ, છે બ્રહ્મનો અંશ જ જીવ એમ.35

અંતે જીવો બ્રહ્મ વિષે સમાય, તે વાત સાચી શ્રુતિ એમ ગાય;

જળે સમાયા જળજંતુ જેમ, તે બ્રહ્મમાં લીન થશે જ તેમ.36

જો નીરમાં ક્ષીર મળ્યું જણાય, તથાપિ તે એક કદી ન થાય;

આત્મા તથા જે પરમાત્મ છેય, મળ્યા દિસે તો પણ ભિન્ન બેય.37

આ દેહમાં જે સુખ દુઃખ ભોગી, તે જીવ છે ઇશ સદા અરોગી;

આત્મા વિષે અંતરયામિરૂપ, પ્રકાશદાતા પ્રભુ છે અનૂપ.38

નિરાકૃતિ  ને  સરવત્ર  હોય,  તેનું  પ્રતિબિંબ  કહે  ન  કોય;

અછેદ્ય આદીક ગુણોથી એવું, છે જીવનું રૂપ પરાત્મ જેવું.39

પોતે ગુરુ ને વળી શિષ્ય પોતે, એવું કરે મૂર્ખ ગણાય તો તે;

શિક્ષા વદે સ્વપ્રતિબિંબ પાસે, ગાંડો હશે બાળક કાં ગણાશે.40

ચોપાઈ :-

એવી  વાત  સુણીને  અપાર,  કશિયાભાઇ  સમજીયા  સાર;

પોતે  છે  મુકતનો  અવતાર,  ચિત્તે  આવિયો  સત્ય  વિચાર.41

સાચી સાધુની વાત મનાણી, ધર્યા નિયમ ને મુકિયું પાણી;

ભલા ભકત થયા તે અનન્ય, એને વાત ગમે નહિ અન્ય.42

મણિ  કાદવમાં  લપટાય,  ગયે  કાદવ  ચળકિત  થાય;

રવિ  ઢંકાય  વાદળાં  પાસ,  જાય  વાદળું  પ્રગટે  પ્રકાશ.43

પરવતભાઇ  કહિયે  જેવા,  કશિયાભાઇ  પણ  થયા  તેવા;

નિત્યાનંદ  ને  ગોપાળાનંદ,  શુકાનંદ  ગુણાતીતાનંદ.44

આચારજજી  રધુવીર  જેહ,  કૃપાપાત્ર  ગણે  સર્વ  તેહ;

માંદા  સાધુઓની  કરે  સેવા,  ઘૃત  આદિક  આવે  તે  દેવા.45

સેવો  પાપડ  કે  વસ્તુ  સારી,  તે  તો  સાધુને  આપે  સંભારી;

નવું  દ્રવ્ય  તે  જે  જે  કમાય,  ઘરખર્ચે  તેમાંથી  કરાય.46

કરકસર  કરીને  ઉગારે,  સતસંગમાં  ખર્ચવું  ધારે;

નિજ  દેવ  આચારજ  સંત,  એને  અર્થે  તે  ખર્ચે  અત્યંત.47

રધુવીરજીને  તો  તેડાવ્યા,  ઘણીવાર  ઘેરે  પધરાવ્યા;

સદ્ગુરુને  મંડળ  સહિત,  પધરાવ્યા  પુરી  ધરી  પ્રીત.48

જોગ  પર્વણીનો  વળી  જોઇ,  ઘણી  સંતને  દીધી  રસોઇ;

દંડવત  હરિભકતને  કરે,  મહિમા  મોટો    મનમાં  ધરે.49

દંડવત  કરતાં  કોઇ  વારે,  રાતે  છાના  કરે  જઇ  ત્યારે;

હરિમંદિરમાં  ઝાડું  કાઢે,  નિત્ય  નાજાય  જઇ  જળ  ટાઢે.50

સેવા ભકિત કરે ભલી કેવી, એ તો જાણીએ અમરીષ જેવી;

એની ભકિત તો ઉત્તમ લાગે, એવી ભકિત મોટા મુનિ માગે.51

પુષ્પિતાગ્રાવૃત્ત :-

સનક જનક કીધી ભકિત જેવી, કરી કશિયાજી ભલીજ ભકિત એવી;

મુનિજન પણ વિશ્વમાં વખાણે, હરિજન સર્વ જથાર્થ વાત જાણે.52

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે નાવલીગ્રામનિવાસી-કશિયાભાઇપ્રતિ ભગવદાનંદસ્વામી અદ્વૈતમતખંડન -કરણનામા પંચદશો વિશ્રામઃ  ।।15।।