પૂર્વછાયો :-
વર્ણી કહે નૃપ સાંભળો, રુડી કથા સુણાવું કાન;
વન વિચરતા આવિયા, ભૂતપુરી વિષે ભગવાન.1
ત્યાં બે દિવસ વસી પછી, ગયા ક્ષેત્ર કુમારિકા માંય;
પછી પામ્યા પદ્મનાભને, ગયા ત્યાંથી જનાર્દન જયાંય.2
ચોપાઈ :-
ગયા આદિકેશવ જગદીશ, હતો ત્યાં સુમતિ અવનીશ;
તેને દેખાડ્યો આપ પ્રતાપ, કર્યો શિષ્ય થયો નિષ્પાપ.3
મળયાચળમાં ગયા માવ, દીઠો અદ્ભૂત ત્યાંનો દેખાવ;
પછી ઝાડી વિલોકી વિશાળ, ગયા જયાં વિષ્ણુ સાક્ષિગોપાળ.4
કરી ત્યાં પાંચ દિવસ નિવાસ, કિષ્કિંધા ગયા શ્રીઅવિનાશ;
પંપાસરને પામ્યા પછી હરી, પછી પંઢરપુર ગતિ કરી.5
ચંદ્રભાગા નદી ત્યાં વહે છે, દેવ વિઠ્ઠલનાથ રહે છે;
દૈવી જીવને કરવાને દાસ, મહારાજ રહ્યા ત્યાં બે માસ.6
વળી ત્યાં થકી લાગ્યા વિચરવા, ઘણા જીવનાં કલ્યાણ કરવા;
રુડી ઇચ્છા ધરી અતિ ઉર, પ્રભુ ચાલિયા બુરાનપુર.7
આવ્યું પ્રથમ જનાબાદ ગામ, એક વિપ્ર મળ્યો તેહ ઠામ;
ઘેર તેડી ગયો તતખેવ, દહીં-સાકર ત્યાં જમ્યા દેવ.8
આવ્યા તાપીએ શામશરીર, દિસે બુરાનપુર સામે તીર;
જોયો દક્ષિણતટ તાપી કેરો, દિસે શોભીત સરસ ઘણેરો.9
નદી મૌનાંનો સંગમ જયાં છે, સ્નાન કરવાનો મહિમા ત્યાં છે;
હતો દિવસ એકાદશી તણો, મેળો તેથી ભરાયેલો ઘણો.10
નાજાવા આવેલા બહુ નરનારી, સૌએ નિરખિયા હરિ સુખકારી;
કર્યું સ્નાન ત્યાં ધર્મકિશોર, અતિ મૂર્તિ દિસે ચિત્તચોર.11
શિવાશાહ ને શેઠ ગોવિંદ, તેણે નિરખ્યા હરિ સુખકંદ;
જેમ લોહ ચમકભણી જાય, તેમ તેઓની વૃત્તિ તણાય.12
જેમ ચંદ્રને દેખે ચકોર, જેમ મેધધ્વનિ સુણે મોર;
તેમ તેઓનું ચિત્ત તણાણું, તેથી માહાત્મ્ય મનમાં જણાણું.13
તેથી પ્રગટ પ્રભુને પિછાણ્યા, જોગીરાજને જગદીશ જાણ્યા;
પછી વિનતિ કરી બહુપેર, ઘનશામને લૈ જવા ધેર.14
અનુકંપા કરો પ્રભુ આજ, મારે ઘેર આવો મહારાજ;
તાપી ઊતરીને તતકાળ, તેને ઘેર પધાર્યા દયાળ.15
વિપ્ર બાપુ તથા ભગવાન, રામકૃષ્ણ ત્રીજા ગુણવાન;
શેઠે મિત્ર પવિત્ર તે જોઇ, તેની પાસે કરાવી રસોઇ.16
જમ્યા શ્રીહરિ ત્યાં સાક્ષાત, કરી જ્ઞાનવિજ્ઞાનની વાત;
પ્રેમ દેખી પ્રેમી જન પાસ, કર્યો ત્યાં હરિ રજની નિવાસ.17
બીજે દિવસ વળી ભગવાન, રાજઘાટે જઇ કર્યું સ્નાન;
દૈવી જીવ તે આશ્રિત થયા, પ્રભુ ત્યાંથી માલેગામ ગયા.18
ગામથી દિશા પશ્ચિમ માંય, સારું એક શિવાલય ત્યાંય;
પાંચ રાત્રિ રહ્યા ત્યાંજ વાસ, નદી મોસમ ગંગા છે પાસ.19
તેમાં સ્નાન કર્યું ઘનશામે, તેથી તીર્થ થયું તેહ ઠામે;
કહે વર્ણી સુણો તમે રાય, ગંગા મોસમ ધન્ય ગણાય.20
ઉપજાતિવૃત્ત :-
જેને જળે શ્રીજગદીશ નાયા, તેના ગુણો ગ્રંથ વિષે ગવાયા;
એ તો થઇ આજ પવિત્ર અંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા.21
ભલે નદી હોય અથાહ મોટી, ન તીર્થ તો છેક ગણાય છોટી;
પ્રભુપ્રતાપે થઇ જે ઉતંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા.22
માહાત્મ્ય જાણી જન જેહ નાજાશે, જરૂર તેનું મન શુદ્ધ થાશે;
કીર્તિ થઇ ભૂતળમાં અભંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા.23
જેને થયો શ્રીહરિનો પ્રસંગ, એથી વહે છે ધરીને ઉમંગ;
પવિત્ર તેના તનના તરંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા.24
ચોપાઈ :-
ત્યાંથી વેગળે અધ ગાઉ ઠામ, નદી બીજી છે ગિરના નામ;
એક દિવસ પ્રભુ તહાં જઇ, નાજાયા તેથી તે પાવન થઇ.25
માલેગામથી પ્રભુ પરવરિયા, દંડકારણ્ય વનમાં વિચરિયા;
આવ્યા નાશિકપુર ભગવાન, કર્યુંગોદાવરી માંહિ સ્નાન.26
ત્ર્યંબકેશ્વર દર્શન કરી, આવ્યા સુરત બંદર હરી;
અખાડો નિરવાણનો જયાં છે, ગોડિયા તણું મંદિર ત્યાં છે.27
તેને ઓટલે ઊતર્યા જઇને, ત્રણ દિવસ રહ્યા થિર થૈને;
નિત્ય પૂછે મહાંતની પાસે, રાજભોગ થયા છે કે થાશે.28
કહે ઉત્તર મહાંત કાકા, આજ તો થયા કોરા કડાકા;
ત્રણ લાંઘણ એમ કરાવી, ચોથે દિવસે માલણ આવી.29
તેણે આપિયું હરિને અન્ન, રાંધી ભાવે કર્યુંત્યાં ભોજન;
ચાલ્યા ત્યાં થકી શ્રીહરિ જયારે, આવ્યા અશ્વિનીકુમાર આરે.30
હતું તાપીમાં નીર અત્યંત, તોય તેમાં ચાલ્યા ભગવંત;
તેમાં પડતાં લોકે બહુ વાર્યા, પાણી ઊપર તોય પધાર્યા.31
જળ ઉપર રહે પદ્મ જેમ, ચાલ્યા નીર ઉપર હરિ તેમ;
લોક દેખીને વિસ્મિત થાય, પ્રભુ પાછળ તો ન જવાય.32
એમ સંચર્યા શામશરીર, નાથ આવિયા નર્મદા તીર;
ત્યાંથી નાવમાં બેસી વિચરિયા, અશ્વમેધને આરે ઉતરિયા.33
ભૃગુ ટેકરીએ રહ્યા રાત, વાલો જાણે ભવિષ્યની વાત;
અહીં મંદિર સુંદર થાશે, મારું ધામ તે મોટું બંધાશે.34
કર્યો બે દિન ત્યાં વિશ્રામ, ગયા ત્યાંથી પિંપળિયે ગામ;
એક ક્ષત્રી હતો શૂરવીર, નામ ગુલાબસિંહ સુધીર.35
તેણે મૂર્તિ મનોહર ભાળી, તેથી જાણિયા શ્રીવનમાળી;
ત્યારે તેડી જવા નિજ ઘેર, કરી વિનતિ તેણે બહુ પેર.36
ઘેર નવ ગયા ધર્મકુમાર, ગયા તેના ખળામાં તે વાર;
શીધું લઇને રસોઇ કરી, એક ઝાડતળે જમ્યા હરી.37
ત્યાંથી તવરે ગયા ભગવાન, કર્યું નર્મદામાં વળી સ્નાન;
શુકલ તીરથમાં ત્યાંથી ગયા, બાવાપ્યારાને ઘાટ તે રહ્યા.38
ગયા ત્યાંથી પ્રભુજી અંબાળી, અનસૂયા ભલી દેવી ભાળી;
અંબાળીમાં મુમુક્ષુ છે એક, રાજબાઇ વિશેષ વિવેક.39
તેને દર્શન દેવાને કાજ, ઘેર ચાલી ગયા મહારાજ;
પાટીદાર જે કેશવદાસ, આજ જેનો શિણોરમાં વાસ.40
અંબાળીમાં રહેતા તે વાર, રાજબાઇ તેની ઘરનાર;
તેણે મૂર્તિ મનોહર ભાળી, તેથી જાણ્યા જે છે વનમાળી.41
પ્રભુને દૂધ પાયું સુપ્રીતે, કહ્યું પાઇશ રોજ આ રીતે;
મહારાજ વસો અહીં વાસ, સુણી એવું બોલ્યા અવિનાશ.42
અનસૂયામાં જૈને રહીશ, પય પીવાને રોજ આવીશ;
કહી એમ મહાપ્રભુ ગયા, અનસૂયા સ્થાને જઇ રહ્યા.43
નિત્ય નર્મદામાં કરે સ્નાન, અંબાળીમાં કરે પયપાન;
એમ સાત દિવસ કર્યો વાસ, સંચર્યા પછી શ્રીઅવિનાશ.44
જોયું જૈ પછી વ્યાસનું સ્થાન, સામે પાર છે શુક ગુણવાન;
એવી રીતે નરમદા તીર, કર્યા તીરથ શામશરીર.45
ગયા ચાણોદ થૈને કન્યાળી, જઇને ત્યાંથી ડભોઇ નિહાળી;
વાઘનાથ મહાદેવ માંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય.46
વિચર્યા વળી ત્યાંથી વસાઇ, ગયા વટપત્તને સુખદાઇ;
ચૌટા વચ્ચે છે માંડવી જયાંય, રાત વાસો રહ્યા હરિ ત્યાંય.47
દિસે મૂર્તિ મનોહર સારી, જોવા અધિક મળે નરનારી;
કહે કોઇ છે રાજકુમાર, કહે કોઇ અમર અવતાર.48
કહે કોઇ છે હરિ સાક્ષાત, કરે એમ પરસ્પર વાત;
વળી કોઇ કહે મુખ એમ, કહું છું મને ભાસે છે જેમ.49
પુરનાથની નજરે જો આવે, નકી દરબારમાં પધરાવે;
સારી રીતે કરે સનમાન, માગે દેવ જાણી વરદાન.50
વળી કોઇ કહે પ્રભુપાસ, કરો આ નગરીમાં નિવાસ;
ત્યારે ઉત્તર આપે છે હરી, કોઇ અવસરે આવશું ફરી.51
તમે રાખો છો ભાવ જો સારો, થશે સુફળ મનોરથ તમારો;
એવાં મર્મનાં વચન ઉચ્ચારી, પછી ત્યાંથી ચાલ્યા ગિરિધારી.52
મહી નદીએ આવ્યા મહારાજ, કરી સ્નાન કર્યુંનિત્યકાજ;
રુડો દેખી નદીતટ ઠામ, કર્યો બે ઘડી ત્યાં વિશરામ.53
પુષ્પિતાગ્રાવૃત્ત :-
ઉદિત અધિક ભાગ્ય તે નદીનાં, પદજુગ પામી પવિત્ર જે હરીનાં;
ગુણ ગણિ ગણિ શું કહું જ ગાઇ, સુરસરિતા સમતુલ્ય તે ગણાઇ.54
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-
મહીનદીપ્રાપ્તનામા ચતુર્દશો વિશ્રામઃ ।।14।।