પૂર્વછાયો :-

વર્ણી  કહે  નૃપ  સાંભળો,  રુડી  કથા  સુણાવું  કાન;

વન  વિચરતા  આવિયા,  ભૂતપુરી  વિષે  ભગવાન.1

ત્યાં બે દિવસ વસી પછી, ગયા ક્ષેત્ર કુમારિકા માંય;

પછી પામ્યા પદ્મનાભને, ગયા ત્યાંથી જનાર્દન જયાંય.2

ચોપાઈ :-

ગયા  આદિકેશવ  જગદીશ,  હતો  ત્યાં  સુમતિ  અવનીશ;

તેને  દેખાડ્યો  આપ  પ્રતાપ,  કર્યો  શિષ્ય  થયો  નિષ્પાપ.3

મળયાચળમાં  ગયા  માવ,  દીઠો  અદ્ભૂત  ત્યાંનો  દેખાવ;

પછી ઝાડી વિલોકી વિશાળ, ગયા જયાં વિષ્ણુ સાક્ષિગોપાળ.4

કરી ત્યાં પાંચ દિવસ નિવાસ, કિષ્કિંધા ગયા શ્રીઅવિનાશ;

પંપાસરને  પામ્યા  પછી  હરી,  પછી  પંઢરપુર  ગતિ  કરી.5

ચંદ્રભાગા  નદી  ત્યાં  વહે  છે,  દેવ    વિઠ્ઠલનાથ  રહે  છે;

દૈવી  જીવને  કરવાને  દાસ,  મહારાજ  રહ્યા  ત્યાં  બે  માસ.6

વળી ત્યાં થકી લાગ્યા વિચરવા, ઘણા જીવનાં કલ્યાણ કરવા;

રુડી  ઇચ્છા  ધરી  અતિ  ઉર,  પ્રભુ  ચાલિયા  બુરાનપુર.7

આવ્યું પ્રથમ જનાબાદ ગામ, એક વિપ્ર મળ્યો તેહ ઠામ;

ઘેર  તેડી  ગયો  તતખેવ,  દહીં-સાકર  ત્યાં  જમ્યા  દેવ.8

આવ્યા  તાપીએ  શામશરીર,  દિસે  બુરાનપુર  સામે  તીર;

જોયો  દક્ષિણતટ  તાપી  કેરો,  દિસે  શોભીત  સરસ  ઘણેરો.9

નદી મૌનાંનો સંગમ જયાં છે, સ્નાન કરવાનો મહિમા ત્યાં છે;

હતો  દિવસ  એકાદશી  તણો,  મેળો  તેથી  ભરાયેલો  ઘણો.10

નાજાવા આવેલા બહુ નરનારી, સૌએ નિરખિયા હરિ સુખકારી;

કર્યું સ્નાન  ત્યાં  ધર્મકિશોર,  અતિ  મૂર્તિ  દિસે  ચિત્તચોર.11

શિવાશાહ  ને  શેઠ  ગોવિંદ,  તેણે  નિરખ્યા  હરિ  સુખકંદ;

જેમ  લોહ  ચમકભણી  જાય,  તેમ  તેઓની  વૃત્તિ  તણાય.12

જેમ  ચંદ્રને  દેખે  ચકોર,  જેમ  મેધધ્વનિ  સુણે  મોર;

તેમ તેઓનું ચિત્ત તણાણું, તેથી માહાત્મ્ય મનમાં જણાણું.13

તેથી પ્રગટ પ્રભુને પિછાણ્યા, જોગીરાજને જગદીશ જાણ્યા;

પછી  વિનતિ  કરી  બહુપેર,  ઘનશામને  લૈ  જવા  ધેર.14

અનુકંપા  કરો  પ્રભુ  આજ,  મારે  ઘેર  આવો  મહારાજ;

તાપી  ઊતરીને  તતકાળ,  તેને  ઘેર  પધાર્યા  દયાળ.15

વિપ્ર  બાપુ  તથા  ભગવાન,  રામકૃષ્ણ  ત્રીજા  ગુણવાન;

શેઠે  મિત્ર  પવિત્ર  તે  જોઇ,  તેની  પાસે  કરાવી  રસોઇ.16

જમ્યા  શ્રીહરિ  ત્યાં  સાક્ષાત,  કરી  જ્ઞાનવિજ્ઞાનની  વાત;

પ્રેમ દેખી પ્રેમી જન પાસ, કર્યો ત્યાં હરિ રજની નિવાસ.17

બીજે  દિવસ  વળી  ભગવાન,  રાજઘાટે  જઇ  કર્યું સ્નાન;

દૈવી જીવ તે આશ્રિત થયા, પ્રભુ ત્યાંથી માલેગામ ગયા.18

ગામથી  દિશા  પશ્ચિમ  માંય,  સારું  એક  શિવાલય  ત્યાંય;

પાંચ રાત્રિ રહ્યા ત્યાંજ વાસ, નદી મોસમ ગંગા છે પાસ.19

તેમાં  સ્નાન  કર્યું ઘનશામે,  તેથી  તીર્થ  થયું  તેહ  ઠામે;

કહે  વર્ણી  સુણો  તમે  રાય,  ગંગા  મોસમ  ધન્ય  ગણાય.20

ઉપજાતિવૃત્ત :-

જેને જળે શ્રીજગદીશ નાયા, તેના ગુણો ગ્રંથ વિષે ગવાયા;

એ તો થઇ આજ પવિત્ર અંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા.21

ભલે નદી હોય અથાહ મોટી, ન તીર્થ તો છેક ગણાય છોટી;

પ્રભુપ્રતાપે થઇ જે ઉતંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા.22

માહાત્મ્ય જાણી જન જેહ નાજાશે, જરૂર તેનું મન શુદ્ધ થાશે;

કીર્તિ થઇ ભૂતળમાં અભંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા.23

જેને  થયો  શ્રીહરિનો  પ્રસંગ,  એથી  વહે  છે  ધરીને  ઉમંગ;

પવિત્ર તેના તનના તરંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા.24

ચોપાઈ :-

ત્યાંથી વેગળે અધ ગાઉ ઠામ, નદી બીજી છે ગિરના નામ;

એક  દિવસ  પ્રભુ  તહાં  જઇ,  નાજાયા  તેથી  તે  પાવન  થઇ.25

માલેગામથી પ્રભુ પરવરિયા, દંડકારણ્ય વનમાં વિચરિયા;

આવ્યા નાશિકપુર ભગવાન, કર્યુંગોદાવરી માંહિ સ્નાન.26

ત્ર્યંબકેશ્વર  દર્શન  કરી,  આવ્યા  સુરત  બંદર  હરી;

અખાડો નિરવાણનો જયાં છે, ગોડિયા તણું મંદિર ત્યાં છે.27

તેને  ઓટલે  ઊતર્યા  જઇને,  ત્રણ  દિવસ  રહ્યા  થિર  થૈને;

નિત્ય  પૂછે  મહાંતની  પાસે,  રાજભોગ  થયા  છે  કે  થાશે.28

કહે  ઉત્તર  મહાંત  કાકા,  આજ  તો  થયા  કોરા  કડાકા;

ત્રણ  લાંઘણ  એમ  કરાવી,  ચોથે  દિવસે  માલણ  આવી.29

તેણે આપિયું હરિને અન્ન, રાંધી ભાવે કર્યુંત્યાં ભોજન;

ચાલ્યા ત્યાં થકી શ્રીહરિ જયારે, આવ્યા અશ્વિનીકુમાર આરે.30

હતું  તાપીમાં  નીર  અત્યંત,  તોય  તેમાં  ચાલ્યા  ભગવંત;

તેમાં  પડતાં  લોકે  બહુ  વાર્યા,  પાણી  ઊપર  તોય  પધાર્યા.31

જળ  ઉપર  રહે  પદ્મ  જેમ,  ચાલ્યા  નીર  ઉપર  હરિ  તેમ;

લોક  દેખીને  વિસ્મિત  થાય,  પ્રભુ  પાછળ  તો  ન  જવાય.32

એમ  સંચર્યા  શામશરીર,  નાથ  આવિયા  નર્મદા  તીર;

ત્યાંથી નાવમાં બેસી વિચરિયા, અશ્વમેધને આરે ઉતરિયા.33

ભૃગુ  ટેકરીએ  રહ્યા  રાત,  વાલો  જાણે  ભવિષ્યની  વાત;

અહીં  મંદિર  સુંદર  થાશે,  મારું  ધામ  તે  મોટું  બંધાશે.34

કર્યો  બે  દિન  ત્યાં  વિશ્રામ,  ગયા  ત્યાંથી  પિંપળિયે  ગામ;

એક  ક્ષત્રી  હતો  શૂરવીર,  નામ  ગુલાબસિંહ  સુધીર.35

તેણે  મૂર્તિ  મનોહર  ભાળી,  તેથી  જાણિયા  શ્રીવનમાળી;

ત્યારે  તેડી  જવા  નિજ  ઘેર,  કરી  વિનતિ  તેણે  બહુ  પેર.36

ઘેર  નવ  ગયા  ધર્મકુમાર,  ગયા  તેના  ખળામાં  તે  વાર;

શીધું  લઇને  રસોઇ  કરી,  એક  ઝાડતળે  જમ્યા  હરી.37

ત્યાંથી  તવરે  ગયા  ભગવાન,  કર્યું નર્મદામાં  વળી  સ્નાન;

શુકલ તીરથમાં ત્યાંથી ગયા, બાવાપ્યારાને ઘાટ તે રહ્યા.38

ગયા ત્યાંથી પ્રભુજી અંબાળી, અનસૂયા ભલી દેવી ભાળી;

અંબાળીમાં  મુમુક્ષુ  છે  એક,  રાજબાઇ  વિશેષ  વિવેક.39

તેને  દર્શન  દેવાને  કાજ,  ઘેર  ચાલી  ગયા  મહારાજ;

પાટીદાર  જે  કેશવદાસ,  આજ  જેનો  શિણોરમાં  વાસ.40

અંબાળીમાં  રહેતા  તે  વાર,  રાજબાઇ  તેની  ઘરનાર;

તેણે  મૂર્તિ  મનોહર  ભાળી,  તેથી  જાણ્યા  જે  છે  વનમાળી.41

પ્રભુને  દૂધ  પાયું  સુપ્રીતે,  કહ્યું  પાઇશ  રોજ  આ  રીતે;

મહારાજ વસો અહીં વાસ, સુણી એવું બોલ્યા અવિનાશ.42

અનસૂયામાં  જૈને  રહીશ,  પય  પીવાને  રોજ  આવીશ;

કહી  એમ  મહાપ્રભુ  ગયા,  અનસૂયા  સ્થાને  જઇ  રહ્યા.43

નિત્ય  નર્મદામાં  કરે  સ્નાન,  અંબાળીમાં  કરે  પયપાન;

એમ  સાત  દિવસ  કર્યો  વાસ,  સંચર્યા  પછી  શ્રીઅવિનાશ.44

જોયું જૈ પછી વ્યાસનું સ્થાન, સામે પાર છે શુક ગુણવાન;

એવી  રીતે  નરમદા  તીર,  કર્યા  તીરથ  શામશરીર.45

ગયા ચાણોદ થૈને કન્યાળી, જઇને ત્યાંથી ડભોઇ નિહાળી;

વાઘનાથ  મહાદેવ  માંય,  રાતવાસો  રહ્યા  હરિ  ત્યાંય.46

વિચર્યા  વળી  ત્યાંથી  વસાઇ,  ગયા  વટપત્તને  સુખદાઇ;

ચૌટા વચ્ચે છે માંડવી જયાંય, રાત વાસો રહ્યા હરિ ત્યાંય.47

દિસે  મૂર્તિ  મનોહર  સારી,  જોવા  અધિક  મળે  નરનારી;

કહે  કોઇ  છે  રાજકુમાર,  કહે  કોઇ  અમર  અવતાર.48

કહે  કોઇ  છે  હરિ  સાક્ષાત,  કરે  એમ  પરસ્પર  વાત;

વળી  કોઇ  કહે  મુખ  એમ,  કહું  છું  મને  ભાસે  છે  જેમ.49

પુરનાથની  નજરે  જો  આવે,  નકી  દરબારમાં  પધરાવે;

સારી  રીતે  કરે  સનમાન,  માગે  દેવ  જાણી  વરદાન.50

વળી  કોઇ  કહે  પ્રભુપાસ,  કરો  આ  નગરીમાં  નિવાસ;

ત્યારે  ઉત્તર  આપે  છે  હરી,  કોઇ  અવસરે  આવશું  ફરી.51

તમે રાખો છો ભાવ જો સારો, થશે સુફળ મનોરથ તમારો;

એવાં મર્મનાં વચન ઉચ્ચારી, પછી ત્યાંથી ચાલ્યા ગિરિધારી.52

મહી નદીએ આવ્યા મહારાજ, કરી સ્નાન કર્યુંનિત્યકાજ;

રુડો  દેખી  નદીતટ  ઠામ,  કર્યો  બે  ઘડી  ત્યાં  વિશરામ.53

પુષ્પિતાગ્રાવૃત્ત :-

ઉદિત અધિક ભાગ્ય તે નદીનાં, પદજુગ પામી પવિત્ર જે હરીનાં;

ગુણ ગણિ ગણિ શું કહું જ ગાઇ, સુરસરિતા સમતુલ્ય તે ગણાઇ.54

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-

મહીનદીપ્રાપ્તનામા ચતુર્દશો વિશ્રામઃ ।।14।।