પૂર્વછાયો :-
વર્ણી કહે નૃપ સાંભળો, હવે કહું હરિની વાત;
દૂધાધારી વડતળે છે, રહ્યા હરી ત્યાં રાત.1
જયારે ત્યાં હરિ આવિયા, ત્યારે આદિત્ય પામ્યો અસ્ત;
જાઓ સાધુરામ ગામમાં, એમ બોલ્યા બાવા સમસ્ત.2
ડરઘણો અહીં વાઘનો, વળી ભાસે ભયંકર ભૂત;
રાતે અહીં તો રહીં શકે, કોઇ જોગી વડા અવધૂત.3
હરિ કહે નહિ જાઊં હું, ગામ છે અહીંથી ગાઉ ચાર;
રહો ભલે બાવે કહ્યું, જાણી બાળક તન સુકુમાર.4
ચોપાઈ :-
સુતા શ્રીહરિ આસને જયારે, બાવે જાણ્યું તે ઊંઘ્યા છે ત્યારે;
ભોંયરામાંથી સામાન લાવી, સારી રીતે રસોઇ બનાવી.5
તેના શિષ્ય બીજા જણ ચાર, વેષ વિપ્ર તણો ધરનાર;
દિવસે તો રહે છે તે દૂર, રાતે આવે બાવાની હજૂર.6
ગામમાંથી જણસ લાવી દે છે, બાવો રાતે હિસાબ પૂછે છે;
બેઠા જમવાને તે સહું જયારે, બાળ વર્ણીને બોલાવ્યા ત્યારે.7
પણ પાપીના હાથનું અન્ન, લેવા નાથ ન થયા પ્રસન્ન;
તેથી જમવાની ના કહી દીધી, બાવે તાણ ઝાઝી નવ કીધી.8
બાવા જમતાં કરે બહુ વાત, સુતા સાંભળે હરિ સાક્ષાત;
કહે રોટી તો ખાની સકકરસેં, અૌર દુનિયા તો ખાની મક્કરસેં.9
સીધા ચાલે તે તો ન પોસાય, વાંકી આંગળિયે ઘી ચટાય;
કળિજુગના છે લોક કઠોર, ઢોંગ વગર ન દે એક બોર.10
ચંદ્ર બીજનો વાંકો જણાય, તેથી માન પામે ને પૂજાય;
બાવા ઊઠ્યા કરીને આહાર, ગયા ગામ વિષે જણ ચાર.11
એક શેઠને ધેર ગયા તે, પાડ્યું ખાતર અરધી રાતે;
જે જે માલ મતા હાથ આવી, ભોંયરામાં ભરી તે તો લાવી.12
ચિત્તે હરિએ વિચાર્યું ત્યાં એવું, આવા પાપીની પાસે ન રેવું;
પછી રાત રહી ઘડી ચાર, કર્યો ત્યાં થકી હરિએ વિહાર.13
પડ્યું ખાતર રાજાએ જાણ્યું, ત્યારે અંતરમાં એમ આણ્યું;
જેના રાજ વિષે ચોરી થાય,તે તો રાજા ઘણો જ નિંદાય.14
કહે ચોકીવાળાને ભૂપાળ, લાવી આપો તેનો બધો માલ;
થશે નહિ તો તમારો જ દંડ, પીડા ભોગવશો તમે પંડ.15
પછી પગિયે પગેરું ચલાવ્યું, તે તો બાવાની આગળ આવ્યું;
ભલો ડાયો હતો કારભારી, ઉપડાવી બાવાની પથારી.16
જટા તેની ખેંચાવી ત્યાં જયારે, સાંધે સાંધા છૂટા પડ્યા ત્યારે;
ભોંયરાથી મળ્યો બધો માલ, બાંધ્યો બાવાને ત્યાં હાલહાલ.17
બેડી પગમાં વળી પહેરાવી, પૂર્યા કેદખાના માંહિ લાવી;
દૂધાધારીનું કપટ જણાણું, ભોંયરેથી મળ્યું ઘણું નાણું.18
કારભારી તે લૈ ગયો ત્યાંય, ભર્યું ભૂપના ભંડારમાંય;
કરી અરજી મળી મહાજન, એક વિનતી સુણો હે રાજન.19
બધો ચોરીનો માલ મળ્યો છે, વળી બાવાને દંડ કર્યો છે;
અમે કહિયે છૈયે કર જોડી, હવે મૂકો બાવાજીને છોડી.20
મહાજનતણું રાખવા માન, કહ્યું છોડશું તે બંધીવાન;
ગયા મહાજન તે સર્વ જયારે, રાયે હુકમ કર્યો એમ ત્યારે.21
દૂધાધારીની મુંડ મુંડાવો, તેને માથે ચુનો ચોપડાવો;
એક ભાગની મુંડવી ડાઢી, બીજા ભાગ તણી મૂછ કાઢી.22
નાંખો ખાસડાંની ગળે માળા, મુખસહિત કરો ગાલ કાળા;
મુખે અવળે ગધાડે ચડાવો, તેનું પંૂછડું કર પકડાવો.23
ઢોલ એની પાછળ વગડાવો, આખી નગરી વિષે ફેરવાવો;
કાઢી મૂકો દક્ષિણ દરવાજે, આવું કરતાં બીજા જન લાજે.24
એવો હુકમ સુણી અનુચર, લાવ્યા જઇને તરત એક ખર;
વેષ બાવાનો વરવો બનાવ્યો, તેને અવળે ગધાડે ચડાવ્યો.25
બાવા આગળ ઢોલ બજાવે, જોવા ટોળે ટોળાં જન આવે;
ઘણાં બાળક કાંકરા મારે, મહુડી મહુડી તે ઉચારે.26
એવું વચન કહે કોઇ નારી, એણે ધૂતી લીધી મુડી મારી;
મારા પીટ્યા તારો છેડો વાળું, ભલે કીધું તારું મુખ કાળું.27
બાવો મુખ થકી બડબડે આમ, કેસી બુદ્ધિ ભઇ મેરે રામ;
પૂરો મનમાં કરે પસતાવો, જાણ્યું નહિ દિન આવશે આવો.28
પછી કાઢી મૂકયો પુર બહાર, થઇ તેની ફજેતી અપાર;
જેઓ બાવાના શિષ્ય થયાજાતા, બધા તે તો ફરે શરમાતા.29
અસંત સંત વિષે :- ઉપજાતિવૃત્ત :-
જે ઢોંગ ધારી જન ધૂતિ ખાશે, અંતે ફજેતી અતિ તેની થાશે;
તેનાં ફળો ભોગવશે જરૂર, આ લોકમાં કે જમની હજુર.30
જેણે તજી અષ્ટ પ્રકાર નારી, જેણે તજયાં છે વ્યસનો વિચારી;
ન દ્રવ્ય રાખે નહિ ગાળ ભાખે, એવા ગુરૂ સેવન શાસ્ત્ર દાખે.31
અસંત ને સંત સમાન જાણે, તે તો જનો જાણ પશુ પ્રમાણે;
વિવેકની દષ્ટિ વિનાશ થાય, તે લોક એવા ઠગથી ઠગાય.32
સારું નઠારું સમજૂજ જાણે, શ્રીકાર વસ્તુ પરખી વખાણે;
અજ્ઞાનીને તો સઘળું સમાન, શ્રીકાર કે હોય વિકારવાન.33
શાસ્ત્રો વિષે સંત અસંત કેરાં, લખ્યાં દિસે લક્ષણ તો ઘણેરાં;
તથાપિ તે દીપક હાથ લૈને, પડે કુવામાં જડબુદ્ધિ જઇને.34
સાધુ તણાં લક્ષણ હોય કેવાં, તે સાંભળીને દિલ ધારી લેવાં;
વૈરાગ્ય સાચા થકી સાધુ થાય, તેના થકી સાધુપણું પળાય.35
વૈરાગ્ય સાચો ઉર હોય જેને, કદી રજોગુણ ગમે ન તેને;
ત્યાગી ઝિણાં વસ્ત્ર ધરે ન અંગે, ધરે ન રંગેલ વિચિત્ર રંગે.36
દીવો વસે ફાનસ મધ્ય જયારે, દેખાય બાહાર પ્રકાશ ત્યારે;
જો કામના અંતરમાં વસે છે, દેહે રજોગુણ તદા દિસે છે.37
પૂજા વિષે વસ્તર મૂલ્યવાળું, રાખે નહીં રેશમનું રુપાળું;
જે રાખશે શોભિત વસ્તુ પાસે, તો વાસના તેહ વિષે જડાશે.38
આજ્ઞા કરી છે હરિ આપ એમ, સાધુ રહે આર્ષભ વિપ્ર જેમ;
કલ્યાણ કાજે જન સાધુ થાય, આજ્ઞા પ્રમાણે વરતે સદાય.39
વૈરાગીને તો તપશા ગમે છે, તે એકવારે દિનમાં જમે છે;
જે ભૂખના દુઃખથી સાધુ થાય, તે પુષ્ટ થાવા બહુ વાર ખાય.40
શરીરને સાધુ અસત્ય જાણે, ઇચ્છા ઘણાં ઔષધની ન આણે;
દૈહિક દુઃખે દુઃખિયા ન થાય, તે સાધુ સાચા શ્રુતિશાસ્ત્ર ગાય.41
શરીર સાજું નિજનું નકી છે, તો અંતરે વાહનને ન ઇચ્છે;
જો ચાજાય સંસારિક સુખ ત્યાગી, સંસાર શા માટ તજયો અભાગી?42
સ્ત્રી પુત્ર ત્યાગી વિતરાગિ થાય, ચેલા વિષે વૃત્તિ પછી જડાય;
મમત્વ રાખે મનમાં ધરીને, તો શું કર્યુંતે ભગવાં કરીને?43
ત્યાગી થયો ને ઘરબાર છોડ્યું, શરીર સુખે વળી ચિત્ત જોડ્યું;
ગમ્યું ન તીર્થે ઘર તો લજાડ્યું, બન્ને પ્રકારે નિજનું બગાડ્યું.44
જતી થયા વિશ્વ અસત્ય જાણી, દેહાંત શ્રદ્ધા નહિ તે રખાણી;
ધીમે ધીમે વસ્ત્ર ધર્યા રુપાળાં, રાખ્યાં ગૃહસ્થો સમ પેટી તાળાં.45
અતીત તો વિશ્વવ્યતીત થૈને, વસ્યા હતા તે વનવાસ જઇને;
ધીમે ધીમે ત્યાગીપણું ગયું છે, ગૃહસ્થ માથે ભગવું રહ્યું છે.46
માયા મહાપાપ લગાડનારી, ધીમે ધીમે ધર્મ બગાડનારી;
જોગી જને જાગ્રત થૈ રહેવું, ચેતાય તો અંતર ચેતી લેવું.47
કહે ગુરુ વિકૃત વેષ ધારો, સભા વિના લોકગૃહે પધારો;
ભિક્ષા સભા કારણથી જ જાય, આજ્ઞા ન લોપે હરિની કદાય.48
દૈવી તથા આસુરી જીવ જાતી, જો હોય તે બે સરખી જણાતી;
સત્સંગમાં જો કદી તે રહે છે, જાતિ સ્વભાવે ગુણને ગ્રહે છે.49
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
આંબા આંબલિ લીંબડા સરગવા સીતાફળ શેલડી,
દ્રાક્ષા દાડમ કોઠ કૌચ કદળી વૃક્ષો તથા વેલડી;
સર્વે એક જ પૃથ્વીનું જળ પિયે સર્વે સમીપે રહે,
જેવો જાતિસ્વભાવ હોય જગમાં તેવા ગુણો તે લહે.50
શિખરિણીવૃત્ત :-
સતી થાવા ચાલી પછિથી પતિ સાથે નવ બળે,
શૂરો સંગ્રામે જૈ અધિક ડર દેખી ઘર વળે;
તજીને સંસાર પ્રથમ પછી દેહે સુખ ચહે,
ત્રણેને ધિક્કાર ક્ષિતિતળ મનુષ્યો સુર કહે.51
પુષ્પિતાગ્રાવૃત્ત :-
સુગુરુ કુગુરુના ગુણો વિચારી, નૃપ તુજ પાસ કહ્યા સુપાત્ર ધારી;
કુગુરુ કપટી એમ જાણી લેજો, સુગુરુ તણા સતસંગમાં રહેજો.52
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે કુગુરુસુગુરુ-ગુણકથનનામા ત્રયોદશો વિશ્રામઃ ।।13।।