પૂર્વછાયો :-

વર્ણી  કહે  નૃપ  સાંભળો,  હવે  કહું  હરિની  વાત;

દૂધાધારી  વડતળે  છે,  રહ્યા  હરી  ત્યાં  રાત.1

જયારે ત્યાં હરિ આવિયા, ત્યારે આદિત્ય પામ્યો અસ્ત;

જાઓ સાધુરામ ગામમાં, એમ બોલ્યા બાવા સમસ્ત.2

ડરઘણો  અહીં  વાઘનો,  વળી  ભાસે  ભયંકર  ભૂત;

રાતે  અહીં  તો  રહીં  શકે,  કોઇ  જોગી  વડા  અવધૂત.3

હરિ કહે નહિ જાઊં હું, ગામ છે અહીંથી ગાઉ ચાર;

રહો  ભલે  બાવે  કહ્યું,  જાણી  બાળક  તન  સુકુમાર.4

ચોપાઈ :-

સુતા શ્રીહરિ આસને જયારે, બાવે જાણ્યું તે ઊંઘ્યા છે ત્યારે;

ભોંયરામાંથી  સામાન  લાવી,  સારી  રીતે  રસોઇ  બનાવી.5

તેના  શિષ્ય  બીજા  જણ  ચાર,  વેષ  વિપ્ર  તણો  ધરનાર;

દિવસે  તો  રહે  છે  તે  દૂર,  રાતે  આવે  બાવાની  હજૂર.6

ગામમાંથી જણસ લાવી દે છે, બાવો રાતે હિસાબ પૂછે છે;

બેઠા જમવાને તે સહું જયારે, બાળ વર્ણીને બોલાવ્યા ત્યારે.7

પણ પાપીના હાથનું અન્ન, લેવા નાથ ન થયા  પ્રસન્ન;

તેથી જમવાની ના કહી દીધી, બાવે તાણ ઝાઝી નવ કીધી.8

બાવા  જમતાં  કરે  બહુ  વાત,  સુતા  સાંભળે  હરિ  સાક્ષાત;

કહે રોટી તો ખાની સકકરસેં, અૌર દુનિયા તો ખાની મક્કરસેં.9

સીધા ચાલે તે તો ન પોસાય, વાંકી આંગળિયે ઘી ચટાય;

કળિજુગના  છે  લોક  કઠોર,  ઢોંગ  વગર  ન  દે  એક  બોર.10

ચંદ્ર  બીજનો  વાંકો  જણાય,  તેથી  માન  પામે  ને  પૂજાય;

બાવા  ઊઠ્યા  કરીને  આહાર,  ગયા  ગામ  વિષે  જણ  ચાર.11

એક  શેઠને  ધેર  ગયા  તે,  પાડ્યું  ખાતર  અરધી  રાતે;

જે જે માલ મતા હાથ આવી, ભોંયરામાં ભરી તે તો લાવી.12

ચિત્તે હરિએ વિચાર્યું ત્યાં એવું, આવા પાપીની પાસે ન રેવું;

પછી રાત રહી ઘડી ચાર, કર્યો ત્યાં થકી હરિએ વિહાર.13

પડ્યું ખાતર રાજાએ જાણ્યું, ત્યારે અંતરમાં એમ આણ્યું;

જેના  રાજ  વિષે  ચોરી  થાય,તે  તો  રાજા  ઘણો  જ  નિંદાય.14

કહે  ચોકીવાળાને  ભૂપાળ,  લાવી  આપો  તેનો  બધો  માલ;

થશે  નહિ  તો  તમારો  જ  દંડ,  પીડા  ભોગવશો  તમે  પંડ.15

પછી પગિયે પગેરું ચલાવ્યું, તે તો બાવાની આગળ આવ્યું;

ભલો  ડાયો  હતો  કારભારી,  ઉપડાવી  બાવાની  પથારી.16

જટા તેની ખેંચાવી ત્યાં જયારે, સાંધે સાંધા છૂટા પડ્યા ત્યારે;

ભોંયરાથી મળ્યો બધો માલ, બાંધ્યો બાવાને ત્યાં હાલહાલ.17

બેડી  પગમાં  વળી  પહેરાવી,  પૂર્યા  કેદખાના  માંહિ  લાવી;

દૂધાધારીનું  કપટ  જણાણું,  ભોંયરેથી  મળ્યું  ઘણું  નાણું.18

કારભારી  તે  લૈ  ગયો  ત્યાંય,  ભર્યું  ભૂપના  ભંડારમાંય;

કરી અરજી મળી  મહાજન, એક વિનતી સુણો હે રાજન.19

બધો ચોરીનો માલ મળ્યો છે, વળી બાવાને દંડ કર્યો છે;

અમે  કહિયે  છૈયે  કર  જોડી,  હવે  મૂકો  બાવાજીને  છોડી.20

મહાજનતણું  રાખવા  માન,  કહ્યું  છોડશું  તે  બંધીવાન;

ગયા મહાજન તે સર્વ જયારે, રાયે હુકમ કર્યો એમ ત્યારે.21

દૂધાધારીની  મુંડ  મુંડાવો,  તેને  માથે  ચુનો  ચોપડાવો;

એક  ભાગની  મુંડવી  ડાઢી,  બીજા  ભાગ  તણી  મૂછ  કાઢી.22

નાંખો ખાસડાંની ગળે માળા, મુખસહિત કરો ગાલ કાળા;

મુખે  અવળે  ગધાડે  ચડાવો,  તેનું  પંૂછડું  કર  પકડાવો.23

ઢોલ એની પાછળ વગડાવો, આખી નગરી વિષે ફેરવાવો;

કાઢી મૂકો દક્ષિણ દરવાજે, આવું કરતાં બીજા જન લાજે.24

એવો હુકમ સુણી અનુચર, લાવ્યા જઇને તરત એક ખર;

વેષ બાવાનો વરવો બનાવ્યો, તેને અવળે ગધાડે ચડાવ્યો.25

બાવા આગળ ઢોલ બજાવે, જોવા ટોળે ટોળાં જન આવે;

ઘણાં  બાળક  કાંકરા  મારે,  મહુડી  મહુડી  તે  ઉચારે.26

એવું વચન કહે કોઇ નારી, એણે ધૂતી લીધી મુડી મારી;

મારા પીટ્યા તારો છેડો વાળું, ભલે કીધું તારું મુખ કાળું.27

બાવો મુખ થકી બડબડે આમ, કેસી બુદ્ધિ ભઇ મેરે રામ;

પૂરો મનમાં કરે પસતાવો, જાણ્યું નહિ દિન આવશે આવો.28

પછી  કાઢી  મૂકયો  પુર  બહાર,  થઇ  તેની  ફજેતી    અપાર;

જેઓ બાવાના શિષ્ય થયાજાતા, બધા તે તો ફરે શરમાતા.29

અસંત સંત વિષે :- ઉપજાતિવૃત્ત :-

જે ઢોંગ ધારી જન ધૂતિ ખાશે, અંતે ફજેતી અતિ તેની થાશે;

તેનાં  ફળો  ભોગવશે  જરૂર,  આ  લોકમાં  કે  જમની  હજુર.30

જેણે તજી અષ્ટ પ્રકાર નારી, જેણે તજયાં છે વ્યસનો વિચારી;

ન દ્રવ્ય રાખે નહિ ગાળ ભાખે, એવા ગુરૂ સેવન શાસ્ત્ર દાખે.31

અસંત ને સંત સમાન જાણે, તે તો જનો જાણ પશુ પ્રમાણે;

વિવેકની દષ્ટિ વિનાશ થાય, તે  લોક એવા ઠગથી ઠગાય.32

સારું  નઠારું  સમજૂજ  જાણે,  શ્રીકાર  વસ્તુ  પરખી  વખાણે;

અજ્ઞાનીને તો સઘળું સમાન, શ્રીકાર કે હોય વિકારવાન.33

શાસ્ત્રો વિષે સંત અસંત કેરાં, લખ્યાં દિસે લક્ષણ તો ઘણેરાં;

તથાપિ  તે  દીપક  હાથ  લૈને,  પડે  કુવામાં  જડબુદ્ધિ  જઇને.34

સાધુ તણાં લક્ષણ હોય કેવાં, તે  સાંભળીને દિલ ધારી લેવાં;

વૈરાગ્ય સાચા થકી સાધુ થાય, તેના થકી સાધુપણું પળાય.35

વૈરાગ્ય  સાચો  ઉર  હોય  જેને,  કદી  રજોગુણ  ગમે  ન  તેને;

ત્યાગી ઝિણાં વસ્ત્ર ધરે ન અંગે, ધરે ન રંગેલ વિચિત્ર રંગે.36

દીવો વસે ફાનસ મધ્ય જયારે, દેખાય બાહાર પ્રકાશ ત્યારે;

જો કામના અંતરમાં વસે છે, દેહે રજોગુણ તદા દિસે છે.37

પૂજા  વિષે  વસ્તર  મૂલ્યવાળું,  રાખે  નહીં  રેશમનું  રુપાળું;

જે રાખશે શોભિત વસ્તુ પાસે, તો વાસના તેહ વિષે જડાશે.38

આજ્ઞા કરી છે હરિ આપ એમ, સાધુ રહે આર્ષભ વિપ્ર જેમ;

કલ્યાણ કાજે જન સાધુ થાય, આજ્ઞા પ્રમાણે વરતે સદાય.39

વૈરાગીને તો તપશા ગમે છે, તે એકવારે દિનમાં જમે છે;

જે ભૂખના દુઃખથી સાધુ થાય, તે પુષ્ટ થાવા બહુ વાર ખાય.40

શરીરને સાધુ અસત્ય જાણે, ઇચ્છા ઘણાં ઔષધની ન આણે;

દૈહિક દુઃખે દુઃખિયા ન થાય, તે સાધુ સાચા શ્રુતિશાસ્ત્ર ગાય.41

શરીર સાજું નિજનું નકી છે, તો અંતરે વાહનને ન ઇચ્છે;

જો ચાજાય સંસારિક સુખ ત્યાગી, સંસાર શા માટ તજયો અભાગી?42

સ્ત્રી પુત્ર ત્યાગી વિતરાગિ થાય, ચેલા વિષે વૃત્તિ પછી જડાય;

મમત્વ રાખે મનમાં ધરીને, તો શું કર્યુંતે ભગવાં કરીને?43

ત્યાગી થયો ને ઘરબાર છોડ્યું, શરીર સુખે વળી ચિત્ત જોડ્યું;

ગમ્યું ન તીર્થે ઘર તો લજાડ્યું, બન્ને પ્રકારે નિજનું બગાડ્યું.44

જતી થયા વિશ્વ અસત્ય જાણી, દેહાંત શ્રદ્ધા નહિ તે રખાણી;

ધીમે ધીમે વસ્ત્ર ધર્યા રુપાળાં, રાખ્યાં ગૃહસ્થો સમ પેટી તાળાં.45

અતીત તો વિશ્વવ્યતીત થૈને, વસ્યા હતા તે વનવાસ જઇને;

ધીમે ધીમે ત્યાગીપણું ગયું છે, ગૃહસ્થ માથે ભગવું રહ્યું છે.46

માયા મહાપાપ લગાડનારી, ધીમે ધીમે ધર્મ બગાડનારી;

જોગી  જને  જાગ્રત  થૈ  રહેવું,  ચેતાય  તો  અંતર  ચેતી  લેવું.47

કહે ગુરુ વિકૃત વેષ ધારો, સભા વિના લોકગૃહે પધારો;

ભિક્ષા સભા કારણથી જ જાય,  આજ્ઞા ન લોપે હરિની કદાય.48

દૈવી તથા આસુરી જીવ જાતી, જો હોય તે બે સરખી જણાતી;

સત્સંગમાં જો કદી તે રહે છે, જાતિ સ્વભાવે ગુણને ગ્રહે છે.49

શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-

આંબા  આંબલિ  લીંબડા  સરગવા  સીતાફળ  શેલડી,

દ્રાક્ષા  દાડમ  કોઠ  કૌચ  કદળી  વૃક્ષો  તથા  વેલડી;

સર્વે  એક  જ  પૃથ્વીનું  જળ  પિયે  સર્વે  સમીપે  રહે,

જેવો  જાતિસ્વભાવ  હોય  જગમાં  તેવા  ગુણો  તે  લહે.50

શિખરિણીવૃત્ત :-

સતી  થાવા  ચાલી  પછિથી  પતિ  સાથે  નવ  બળે,

શૂરો  સંગ્રામે  જૈ  અધિક  ડર  દેખી  ઘર  વળે;

તજીને  સંસાર  પ્રથમ  પછી  દેહે  સુખ  ચહે,

ત્રણેને  ધિક્કાર  ક્ષિતિતળ  મનુષ્યો  સુર  કહે.51

પુષ્પિતાગ્રાવૃત્ત :-

સુગુરુ કુગુરુના ગુણો વિચારી, નૃપ તુજ પાસ કહ્યા સુપાત્ર ધારી;

કુગુરુ કપટી એમ જાણી લેજો, સુગુરુ તણા સતસંગમાં રહેજો.52

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે કુગુરુસુગુરુ-ગુણકથનનામા ત્રયોદશો વિશ્રામઃ ।।13।।