પૂર્વછાયો :-
વર્ણી કહે નૃપ સાંભળો, રતાબસિયાનું કહું આખ્યાન;
જે સુણતાં સમજાય છે, કેવા સમરથ શ્રીભગવાન.1
ધર્મતનુજ નરતન ધરી, વન વિચરતા વિખ્યાત;
આદિકુરમ જયાં તીર્થ છે, ત્યાં આવ્યા પ્રભુ સાક્ષાત.2
ચોપાઈ :-
ત્યાંથી માનસપુર ગયા લાલ, સત્રધર્મા છે ત્યાંનો ભૂપાળ;
તેની ઊપર ઉર દયા લાવી, તેને સદ્ય સમાધિ કરાવી.3
એને દેખાડ્યું અક્ષરધામ, કર્યો આશ્રિત સુંદરશામ;
નૃપદ્વારે વળી તેહ ઠાર, કર્યો અસુર ઘણાનો સંહાર.4
ગયા શ્રીહરિ તૈલંગદેશ, કર્યો ત્રિપદીપુરમાં પ્રવેશ;
ત્યાં તો હળ ને મુશળ ધરનાર, દીઠી બાલાજીની છબી સાર.5
તેનાં આદરે દર્શન કરી, વેંકટાદ્રિ વિષે ગયા હરી;
વળી ત્યાં થકી વાલો વિચરતા, એક ઝાડી વિષે ગયા ફરતા.6
તેમાં ભૂલા પડ્યા ભયહારી, કર્યું મનુષ્યચરિત્ર મુરારી;
આવી ભૂમિ ભયંકર છેક, સુતો દીઠો ત્યાં રાક્ષસ એક.7
તેના મસ્તકમાં લાત મારી, ત્યારે ઉભો થયો તે ખુંખારી;
હતો ક્રોધી વિરોધી તે ઘણો, પદસ્પર્શ થયો પ્રભુ તણો.8
વળી હરિની ઇચ્છા બળવાન, પૂર્વભવનું થયું તેને જ્ઞાન;
પુરુષોત્તમ પ્રભુને પિછાણ્યા, જગદીશ્વર સાક્ષાત્ જાણ્યા.9
કર્યો પ્રેમથી દંડપ્રણામ, સ્તુતિ ઉચ્ચારી ઉચ્ચર્યો આમ;
કૃપાનાથ તમે કૃપા કરી, મને આવી મળ્યા આજ હરી.10
સ્વામી છો સર્વજ્ઞ સુજાણ, તોય આપું મારી ઓળખાણ;
પૂર્વજન્મે હતો હું નરેશ, પ્રીતે પાળતો તૈલંગદેશ.11
એવે અવસરે બે દ્વિજ લડિયા, ન્યાય લેવા રાજદ્વાર ચડિયા;
તેમાં એકનું જયદેવ નામ, કન્યા કુંવારી તેહને ધામ.12
બીજો નામે મુકુંદદેવ સારો, તેને એકજ પુત્ર કુંવારો;
શિશુપણમાંહિ સગપણ કીધું, વાગદાન તે જયદેવે દીધું.13
વિત્યાં પાંચ વરસ પછી જયારે, શીળી નીકળી વરને ત્યારે;
એ તો આંખે થયો અંધ એથી, જયદેવને નવ ગમ્યો તેથી.14
ત્યારે તે સાથ સગપણ તોડી, બીજા સાથે સગાઇ તે જોડી;
પિતા વરનો મુકુંદદેવ જેહ, આવ્યો રાજસભા મધ્ય એહ.15
મુજપાસ માગ્યો એણે ન્યાય, સુત માટે તે માગી કન્યાય;
કહે કેમ મુકાય સગાઇ ? ખાધા બહુ દિન મેવા મીઠાઇ.16
અમે ભૂષણ વસન ચડાવ્યાં, કરી જીર્ણ પાછાં મોકલાવ્યાં;
અહો છો તમે નૃપ ધર્મરાય, એવો અન્યાય તે કેમ થાય ?17
એવું સુણીને મુનિ કૃતમાત્ર, જોયાં વિચારી બહુ ધર્મશાસ્ત્ર;
એમાં તો એવી વાત જણાઇ, કરી હોય કન્યાની સગાઇ.18
પછી જો વર અપંગ થાય, તો તે કન્યા તેને ન દેવાય;
વસ્ત્ર ભૂષણ જીરણ જેવાં, હોય તે તેને પાછાં જ દેવાં.19
એવી રીતે કર્યો અમે ન્યાય, ત્યારે બોલિયો વરનો પિતાય;
ધર્મશાસ્ત્રની વાત શું ધારો ? કુળાચાર છે એવો અમારો.20
કોઇ રીતે સગાઇ ન છૂટે, વર નાશ પામે તો જ તૂટે;
શાસ્ત્રાચાર થકી કુળાચાર, બળવાન છે વિશ્વ મોઝાર.21
એવી તેણે કરી તકરાર, મને તો ગમ્યો શાસ્ત્રઆચાર;
તેથી તેવો હુકમ મેં કીધો, વરતાતે મને શાપ દીધો.22
બન્ને વિપ્ર પવિત્ર તે એવા, સમરથ વર કે શાપ દેવા;
વરતાત કહે નવ માસે, નૃપ તું મોટો રાક્ષસ થાશે.23
એવી વાણી સુણી શાપ તણી, મેં તો જોયું કન્યાપિતા ભણી;
ત્યારે તેણે તે વિચારી લીધું, દયા આણીને વરદાન દીધું.24
તને મળશે પ્રગટ ભગવાન, ત્યારે થાશે પૂરવભવ જ્ઞાન;
તજાવીને તે રાક્ષસ દેહ, ગતિ ઉત્તમ આપશે એહ.25
નવ માસે મટી ભલો ભૂપ, થયો હું પછી રાક્ષસરૂપ;
ઘણા રાક્ષસને રાક્ષસી, રહ્યાં મારા તાબા માંહિ વસી.26
ઉપજાતિવૃત્ત :-
બે માણસો મધ્ય લડાઇ થાય, બન્ને જણા તે નૃપપાસ જાય;
તે થાય જેના ગમતા પ્રમાણે, તે ભૂપનો ન્યાય ભલો વખાણે.27
ધાર્યા થકી જો ઉલટું જ થાય, એ તો કહે આજ થયો ન ન્યાય;
બન્ને જણાના મન માંહિ ભાવે, એવો કદી ન્યાય બની ન આવે.28
જે રાય અન્યાય કદી કરે છે, અંતે જઇ તે નરકે ઠરે છે;
જે પક્ષ કે પાત કરે નરેશ, તે ઉપરે કોપ કરે મહેશ.29
ચોપાઈ :-
એવો સમય આવ્યો પ્રભુ મારે, પામ્યો રાક્ષસનો દેહ ત્યારે;
વળી બીજું સંકટ આવી પડિયું, તે તો નિશ્ચે મને ઘણું નડિયું.30
એક રાક્ષસ નામ વૈતાળ, સર્વે રાક્ષસનો તે ભૂપાળ;
તેણે મેળવી રાક્ષસ નાત, ગયા સર્વ ત્યાં રાક્ષસ જાત.31
મુજ પાસે હતા ઘણા જેહ, ગયા રાક્ષસ રાક્ષસી તેહ;
રહ્યો હું એકલો મુજ વનમાં, ત્યાં તો ભૂખ લાગી મારા તનમાં.32
વિપ્રપુત્ર ચતુરભુજ નામ, જતો હતો તે જાત્રાને કામ;
કાંચીપુરીએ જવાનું છે મનમાં, જતાં ભૂલો પડ્યો મારા વનમાં.33
તેને પકડ્યો મેં કરવા આહાર, ત્યારે તેણે કર્યો ત્યાં ઉચ્ચાર;
મારી ભગિની કુંવારી છે બેય, કન્યાદાન દેવાં તેનાં છેય.34
કાંચીપુરમાં મોટા જન પાસે, હું તો જાઊં છું દ્રવ્યની આશે;
મારી બેહેનો જોશે ઘેર વાટ, નહીં જાઉં તો કરશે ઉચાટ.35
મારા માતા પિતા વૃદ્ધ છેક, પાળનાર તેને હું છું એક;
મને મારીશ તો થશે પાપ, તને લાગશે માહરો શાપ.36
પડ્યો અજગરસમ તું રહીશ, પંડે પીડા ઘણી જ પામીશ;
એવાં વચન કહ્યા તેણે લક્ષ, તોય કીધો મેં તેહનો ભક્ષ.37
તેથી પામ્યો પીડા હું તો ભારી, થઇ અજગરસમ સ્થિતિ મારી;
તમે મુજને મળ્યા મહારાજ, અતિ કીધો અનુરાગ આજ.38
હવે રાક્ષસદેહ છોડાવો, ગતિ ઉત્તમ મુજને અપાવો;
એવું સાંભળીને ઘનશામ, તેનો દેહ તજાવ્યો તે ઠામ.39
કહ્યું જા હવે સોરઠમાંય, જેતપુર છે વાળાનું જયાંય;
કાઠી બશિયાના કુળ મોઝાર, ધરજે જઇને અવતાર.40
રતો નામ તારું કહેવાશે, તને મારો સમાગમ થાશે;
મારી ભકિત કરી તેહ ઠામ, પછી પામીશ અક્ષરધામ.41
કહે વર્ણી સુણો અવનીશ, બોલ્યા વેણ જે જે જગદીશ;
બની વાત તે એ જ પ્રમાણે, સતસંગી સરવ જન જાણે.42
ભલો ભકત થયો રતો બશિયો, સદા શ્યામસમીપે તે વશિયો;
પૂર્વભવનું હતું તેને જ્ઞાન, વાત કરતો થઇ સાવધાન.43
એનાં લક્ષણ એવાં જણાય, પૂર્વભવનો તે ભકત મનાય;
કરી ઉત્તમ ભકિતનું કામ, અંતે પામ્યો તે અક્ષરધામ.44
પૂર્વસંસ્કાર વિષે :- ઉપજાતિવૃત્ત :-
ત્રણ પ્રકારે હરિભકત જાણો, મુકતો તથા યોગચ્યુત પ્રમાણો;
સંસ્કાર પૂર્વે શુભ કાંઇ થાય, સાધુ તણી વાત સુણી મનાય.45
જે મુકત મોટા નરદેહ ધારી, સંસારથી રીત સમગ્ર ન્યારી;
અખંડ મૂર્તિ પ્રભુકેરી દેખે, દેહાદિ વસ્તુ તૃણતુલ્ય લેખે.46
સત્સંગ પામે જન જોગભ્રષ્ટ, ગણે નહીં તે કદિ કાયકષ્ટ;
મંડ્યો રહે તે હરિભકિત માંહી, કરે ન આસ્થા સ્થળ અન્ય કયાંહી.47
જે સ્વલ્પ સંસ્કાર તણે પ્રતાપે, સત્સંગ સેવે થઇ ભકત આપે;
મંડ્યો રહે ઉત્તમ ભકત થાય, કુસંગ પામે જડ મૂળ જાય.48
સંસ્કાર જો પૂર્વ તણો ન હોય, સત્સંગી સારો નવ થાય કોય;
ઊંડી ન પેસે ઉર માંહિ વાત, જાતિ વિના જેમ પડે ન ભાત.49
મળે હરિ કે હરિના મળેલા, સત્સંગી જે તેહ થકી થયેલા;
તેઓ તણાં ઉત્તમ અંગ જેવાં, પરંપરા અંગ ન હોય એવાં.50
ચોપાઈ :-
કહે વર્ણી અહો સુણ રાય, રતા બશિયાનું આખ્યાન આંય;
કોઇ શીખે સુણે કે જો ગાશે, પ્રાપ્ત ચારે પદારથ થાશે.51
ઘણા રાજી થશે ઘનશામ, અંતે આપશે અક્ષરઘામ;
મોટા ભકત તણો મહીમાય, પ્રીતે સુણતાં પવિત્ર થવાય.52
દીધું રાક્ષસને જ્ઞાનદાન, એવા સમરથ શ્રી ભગવાન;
તેની ભકિત કરે નહિ જેહ, મોટો મૂરખ માણસ તેહ.53
પુષ્પિતાગ્રાવૃત્ત :-
વૃષસુત હરિ છે કૃપાળુ કેવા, અવર ન કોય દયાળુ દેવ એવા;
અગણિત અઘ ટાળી મોક્ષ આપે, કરી નિજદાસ અનેક કષ્ટ કાપે.54
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર – અભયસિંહનૃપસંવાદે રતાબશિયાખ્યાન-કથનનામા એકાદશો વિશ્રામઃ ।।11।।