પૂર્વછાયો :-

વર્ણી કહે નૃપ સાંભળો, રતાબસિયાનું કહું આખ્યાન;

જે  સુણતાં  સમજાય  છે,  કેવા  સમરથ  શ્રીભગવાન.1

ધર્મતનુજ  નરતન  ધરી,  વન  વિચરતા  વિખ્યાત;

આદિકુરમ જયાં તીર્થ છે, ત્યાં આવ્યા પ્રભુ સાક્ષાત.2

ચોપાઈ :-

ત્યાંથી માનસપુર ગયા લાલ, સત્રધર્મા છે ત્યાંનો ભૂપાળ;

તેની  ઊપર  ઉર  દયા  લાવી,  તેને  સદ્ય  સમાધિ  કરાવી.3

એને  દેખાડ્યું  અક્ષરધામ,  કર્યો  આશ્રિત  સુંદરશામ;

નૃપદ્વારે  વળી  તેહ  ઠાર,  કર્યો  અસુર  ઘણાનો  સંહાર.4

ગયા  શ્રીહરિ  તૈલંગદેશ,  કર્યો  ત્રિપદીપુરમાં  પ્રવેશ;

ત્યાં તો હળ ને મુશળ ધરનાર, દીઠી બાલાજીની છબી સાર.5

તેનાં  આદરે  દર્શન  કરી,  વેંકટાદ્રિ  વિષે  ગયા  હરી;

વળી ત્યાં થકી વાલો વિચરતા, એક ઝાડી વિષે ગયા ફરતા.6

તેમાં  ભૂલા  પડ્યા  ભયહારી,  કર્યું મનુષ્યચરિત્ર  મુરારી;

આવી  ભૂમિ  ભયંકર  છેક,  સુતો  દીઠો  ત્યાં  રાક્ષસ  એક.7

તેના  મસ્તકમાં  લાત  મારી,  ત્યારે  ઉભો  થયો  તે  ખુંખારી;

હતો  ક્રોધી  વિરોધી  તે  ઘણો,  પદસ્પર્શ  થયો  પ્રભુ  તણો.8

વળી  હરિની  ઇચ્છા  બળવાન,  પૂર્વભવનું  થયું  તેને  જ્ઞાન;

પુરુષોત્તમ  પ્રભુને  પિછાણ્યા,  જગદીશ્વર  સાક્ષાત્  જાણ્યા.9

કર્યો  પ્રેમથી  દંડપ્રણામ,  સ્તુતિ  ઉચ્ચારી  ઉચ્ચર્યો  આમ;

કૃપાનાથ  તમે  કૃપા  કરી,  મને  આવી  મળ્યા  આજ  હરી.10

સ્વામી  છો  સર્વજ્ઞ  સુજાણ,  તોય  આપું  મારી  ઓળખાણ;

પૂર્વજન્મે  હતો  હું  નરેશ,  પ્રીતે  પાળતો  તૈલંગદેશ.11

એવે અવસરે બે દ્વિજ લડિયા, ન્યાય લેવા રાજદ્વાર ચડિયા;

તેમાં  એકનું  જયદેવ  નામ,  કન્યા  કુંવારી  તેહને  ધામ.12

બીજો  નામે  મુકુંદદેવ  સારો,  તેને  એકજ  પુત્ર  કુંવારો;

શિશુપણમાંહિ  સગપણ  કીધું,  વાગદાન  તે  જયદેવે  દીધું.13

વિત્યાં પાંચ વરસ પછી જયારે, શીળી નીકળી વરને ત્યારે;

એ તો આંખે થયો અંધ એથી, જયદેવને નવ ગમ્યો તેથી.14

ત્યારે તે સાથ સગપણ તોડી, બીજા સાથે સગાઇ તે જોડી;

પિતા વરનો મુકુંદદેવ જેહ, આવ્યો રાજસભા મધ્ય એહ.15

મુજપાસ માગ્યો એણે ન્યાય, સુત માટે તે માગી કન્યાય;

કહે  કેમ  મુકાય  સગાઇ  ?  ખાધા  બહુ  દિન  મેવા  મીઠાઇ.16

અમે ભૂષણ વસન ચડાવ્યાં, કરી જીર્ણ પાછાં મોકલાવ્યાં;

અહો છો તમે નૃપ ધર્મરાય, એવો અન્યાય તે કેમ થાય ?17

એવું સુણીને મુનિ કૃતમાત્ર, જોયાં વિચારી બહુ ધર્મશાસ્ત્ર;

એમાં તો એવી વાત જણાઇ, કરી હોય કન્યાની સગાઇ.18

પછી  જો  વર  અપંગ  થાય,  તો  તે  કન્યા  તેને  ન  દેવાય;

વસ્ત્ર  ભૂષણ  જીરણ  જેવાં,  હોય  તે  તેને  પાછાં  જ  દેવાં.19

એવી રીતે કર્યો અમે ન્યાય, ત્યારે બોલિયો વરનો પિતાય;

ધર્મશાસ્ત્રની વાત શું ધારો ? કુળાચાર છે એવો અમારો.20

કોઇ  રીતે  સગાઇ  ન  છૂટે,  વર  નાશ  પામે  તો  જ  તૂટે;

શાસ્ત્રાચાર  થકી  કુળાચાર,  બળવાન  છે  વિશ્વ  મોઝાર.21

એવી  તેણે  કરી  તકરાર,  મને  તો  ગમ્યો  શાસ્ત્રઆચાર;

તેથી  તેવો  હુકમ  મેં  કીધો,  વરતાતે  મને  શાપ  દીધો.22

બન્ને  વિપ્ર  પવિત્ર  તે  એવા,  સમરથ  વર  કે  શાપ  દેવા;

વરતાત  કહે  નવ  માસે,  નૃપ  તું  મોટો  રાક્ષસ  થાશે.23

એવી વાણી સુણી શાપ તણી, મેં તો જોયું કન્યાપિતા ભણી;

ત્યારે  તેણે  તે  વિચારી  લીધું,  દયા  આણીને  વરદાન  દીધું.24

તને  મળશે  પ્રગટ  ભગવાન,  ત્યારે  થાશે  પૂરવભવ  જ્ઞાન;

તજાવીને  તે  રાક્ષસ  દેહ,  ગતિ  ઉત્તમ  આપશે  એહ.25

નવ  માસે  મટી  ભલો  ભૂપ,  થયો  હું  પછી  રાક્ષસરૂપ;

ઘણા  રાક્ષસને  રાક્ષસી,  રહ્યાં  મારા  તાબા  માંહિ  વસી.26

ઉપજાતિવૃત્ત :-

બે માણસો મધ્ય લડાઇ થાય, બન્ને જણા તે નૃપપાસ જાય;

તે થાય જેના ગમતા   પ્રમાણે, તે ભૂપનો ન્યાય ભલો વખાણે.27

ધાર્યા થકી જો ઉલટું જ થાય, એ તો કહે આજ થયો ન ન્યાય;

બન્ને જણાના મન માંહિ ભાવે, એવો કદી ન્યાય બની ન આવે.28

જે  રાય  અન્યાય  કદી  કરે  છે,  અંતે  જઇ  તે  નરકે  ઠરે  છે;

જે  પક્ષ  કે  પાત  કરે  નરેશ,  તે  ઉપરે  કોપ  કરે  મહેશ.29

ચોપાઈ :-

એવો સમય આવ્યો પ્રભુ મારે, પામ્યો રાક્ષસનો દેહ ત્યારે;

વળી બીજું સંકટ આવી પડિયું, તે તો નિશ્ચે મને ઘણું નડિયું.30

એક  રાક્ષસ  નામ  વૈતાળ,  સર્વે  રાક્ષસનો  તે  ભૂપાળ;

તેણે  મેળવી  રાક્ષસ  નાત,  ગયા  સર્વ  ત્યાં  રાક્ષસ  જાત.31

મુજ  પાસે  હતા  ઘણા  જેહ,  ગયા  રાક્ષસ  રાક્ષસી  તેહ;

રહ્યો હું એકલો મુજ વનમાં, ત્યાં તો ભૂખ લાગી મારા તનમાં.32

વિપ્રપુત્ર  ચતુરભુજ  નામ,  જતો  હતો  તે  જાત્રાને  કામ;

કાંચીપુરીએ જવાનું છે મનમાં, જતાં ભૂલો પડ્યો મારા વનમાં.33

તેને પકડ્યો મેં કરવા આહાર, ત્યારે તેણે કર્યો ત્યાં ઉચ્ચાર;

મારી ભગિની કુંવારી છે  બેય, કન્યાદાન દેવાં તેનાં છેય.34

કાંચીપુરમાં મોટા જન પાસે, હું તો જાઊં છું દ્રવ્યની આશે;

મારી  બેહેનો  જોશે  ઘેર  વાટ,  નહીં  જાઉં  તો  કરશે  ઉચાટ.35

મારા  માતા  પિતા  વૃદ્ધ  છેક,  પાળનાર  તેને  હું  છું  એક;

મને  મારીશ  તો  થશે  પાપ,  તને  લાગશે  માહરો  શાપ.36

પડ્યો  અજગરસમ  તું  રહીશ,  પંડે  પીડા  ઘણી  જ  પામીશ;

એવાં  વચન  કહ્યા  તેણે  લક્ષ,  તોય  કીધો  મેં  તેહનો  ભક્ષ.37

તેથી પામ્યો પીડા હું તો ભારી, થઇ  અજગરસમ સ્થિતિ મારી;

તમે  મુજને  મળ્યા  મહારાજ,  અતિ  કીધો  અનુરાગ  આજ.38

હવે  રાક્ષસદેહ  છોડાવો,  ગતિ  ઉત્તમ  મુજને  અપાવો;

એવું  સાંભળીને  ઘનશામ,  તેનો  દેહ  તજાવ્યો  તે  ઠામ.39

કહ્યું  જા  હવે  સોરઠમાંય,  જેતપુર  છે  વાળાનું  જયાંય;

કાઠી  બશિયાના  કુળ  મોઝાર,  ધરજે  જઇને  અવતાર.40

રતો  નામ  તારું  કહેવાશે,  તને  મારો  સમાગમ  થાશે;

મારી  ભકિત  કરી  તેહ  ઠામ,  પછી  પામીશ  અક્ષરધામ.41

કહે  વર્ણી  સુણો  અવનીશ,  બોલ્યા  વેણ  જે  જે  જગદીશ;

બની  વાત  તે  એ  જ  પ્રમાણે,  સતસંગી  સરવ  જન  જાણે.42

ભલો ભકત થયો રતો બશિયો, સદા શ્યામસમીપે તે વશિયો;

પૂર્વભવનું  હતું  તેને  જ્ઞાન,  વાત  કરતો  થઇ  સાવધાન.43

એનાં  લક્ષણ  એવાં  જણાય,  પૂર્વભવનો  તે  ભકત  મનાય;

કરી  ઉત્તમ  ભકિતનું  કામ,  અંતે  પામ્યો  તે  અક્ષરધામ.44

પૂર્વસંસ્કાર વિષે :- ઉપજાતિવૃત્ત :-

ત્રણ પ્રકારે હરિભકત જાણો, મુકતો તથા યોગચ્યુત પ્રમાણો;

સંસ્કાર પૂર્વે શુભ કાંઇ થાય, સાધુ તણી વાત સુણી મનાય.45

જે મુકત મોટા નરદેહ ધારી, સંસારથી રીત સમગ્ર ન્યારી;

અખંડ  મૂર્તિ  પ્રભુકેરી  દેખે,  દેહાદિ  વસ્તુ  તૃણતુલ્ય  લેખે.46

સત્સંગ  પામે  જન  જોગભ્રષ્ટ,  ગણે  નહીં  તે  કદિ  કાયકષ્ટ;

મંડ્યો રહે તે હરિભકિત માંહી, કરે ન આસ્થા સ્થળ અન્ય કયાંહી.47

જે સ્વલ્પ સંસ્કાર તણે પ્રતાપે, સત્સંગ સેવે થઇ ભકત આપે;

મંડ્યો  રહે  ઉત્તમ  ભકત  થાય,  કુસંગ  પામે  જડ  મૂળ  જાય.48

સંસ્કાર જો પૂર્વ તણો ન હોય, સત્સંગી સારો નવ થાય કોય;

ઊંડી ન પેસે ઉર માંહિ વાત, જાતિ વિના જેમ પડે ન ભાત.49

મળે  હરિ  કે  હરિના  મળેલા,  સત્સંગી  જે  તેહ  થકી  થયેલા;

તેઓ તણાં ઉત્તમ અંગ જેવાં, પરંપરા અંગ ન હોય એવાં.50

ચોપાઈ :-

કહે વર્ણી અહો સુણ રાય, રતા બશિયાનું આખ્યાન આંય;

કોઇ  શીખે  સુણે  કે  જો  ગાશે,  પ્રાપ્ત  ચારે  પદારથ  થાશે.51

ઘણા  રાજી  થશે  ઘનશામ,  અંતે  આપશે  અક્ષરઘામ;

મોટા  ભકત  તણો  મહીમાય,  પ્રીતે  સુણતાં  પવિત્ર  થવાય.52

દીધું  રાક્ષસને  જ્ઞાનદાન,  એવા  સમરથ  શ્રી  ભગવાન;

તેની  ભકિત  કરે  નહિ  જેહ,  મોટો  મૂરખ  માણસ  તેહ.53

પુષ્પિતાગ્રાવૃત્ત :-

વૃષસુત હરિ છે કૃપાળુ કેવા, અવર ન કોય દયાળુ દેવ એવા;

અગણિત અઘ ટાળી મોક્ષ આપે, કરી નિજદાસ અનેક કષ્ટ કાપે.54

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર – અભયસિંહનૃપસંવાદે રતાબશિયાખ્યાન-કથનનામા એકાદશો વિશ્રામઃ ।।11।।