ઉપજાતિવૃત્ત :-

કહે અભેસિંહ અહો મુનીશ, કહો કથા સ્નેહ ધરી સુણીશ;

તમારી વાણી અતિ મિષ્ટ લાગે, ઇચ્છા સુણ્યાની ઉપજે અથાગે.1

વર્ણી કહે ભૂપતિ ધન્ય ધન્ય, ભકિત તમારી નિરખી અનન્ય;

શ્રદ્ધા ઘણી કૃષ્ણકથા સુણ્યાની, સુરીતિ દીઠી વળી તે પુછ્યાની.2

શ્રવણભકિત વિષે :-

કથા સુણે તે કહી આદિ ભકિત, તેથી વધે છે નવધાની વિકિત;

હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી.3

શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય;

હરિકથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન.4

દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિસે રીત નવાઇ જેવી;

આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહિ તો મરે છે.5

અન્ને યથા જીવ થકી જીવાય, ભકિતતણું જીવન છે કથાય;

જે અન્ન છોડે નહિ તેની આશ, કથા તજે ભકિત થશે વિનાશ.6

પ્રાણી પિયે છે પ્રતિદિન પાણી, તોયે અરૂચી ઉપજી ન જાણી;

કથા સુણે એક જ વારવાર, ન ભકત પામે અરુચી લગાર.7

સમીપ આવે મરવાનું જયારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે;

સત્સંગમાંથી  પડવાનું  થાય,  ધીમે  ધીમે  કૃષ્ણકથા  તજાય.8

જેને કથાકેરું અજીર્ણ થાશે, કથા સુણ્યાની રુચી ઊઠી જાશે;

આળસ્ય આવે સુણતાં લગાર, તો જાણવું અંગ થયો વિકાર.9

શ્રીમુખ વાકયામૃતમાં કહ્યું છે, તે વાકય મારી સ્મૃતિમાં રહ્યું છે;

જેને કથા અંતરમાં ન ભાવે, નહીં  જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે.10

સત્સંગનો કૃષ્ણકથા જ પાયો, જો તે કદાપી  નબળો જણાયો;

સત્સંગરૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી વહેલી.11

આહારનો ભાવ જણાય જેને, થશે શરીરે અતિ પુષ્ટિ એને;

ભાસે કથા ઊપર તીવ્ર ભાવ, સત્સંગનો અંગ થશે ચડાવ.12

કથા વિષે જો રુચી છે તમારી, તેથી કહે છે મનવૃત્તિ મારી;

સત્સંગમધ્યે અતિ શ્રેષ્ઠ થાશો, ભકતો વિષે મુખ્ય તમે મનાશો.13

ચોપાઈ :-

સુણો  ભૂપ  અભેસિંહ  ભ્રાત,  કહું  જયરામદાસની  વાત;

સગાં  સંબંધિમાં  તેને  સ્નેહ,  તલભાર  તૂટ્યો  નહિ  તેહ.14

દીધો  હરિએ  ઘણો  ઉપદેશ,  તોય  ઓછો  થયો  નહીં  લેશ;

વારેવારે  કહે  પ્રભુપાસ,  મારે  ગામ  ચાલો  અવિનાશ.15

કરો  ત્યાં  જ  નિવાસ  સદાય,  મારા  સંબંધિ  તમને  ચહાય;

મને  મોકલ્યો  છે  એમ  કહી,  પાછો  આવજે  કૃષ્ણને  લહી.16

સુણી  બોલિયા  શ્રીપરમેશ,  મારે  કરવાં  છે  તીર્થ  વિશેષ;

વળી છે ઘણાં કરવાનાં કામ, નહીં આવું તમારે હું ગામ.17

જવું હોય તો પાછા જ જાઓ, જયારે જગતથી ઉદાસી થાઓ;

ઉર  ઊપજે  સત્ય  વૈરાગ,  ત્યારે  કરજો  સંબંધિનો  ત્યાગ.18

પછી  આવજો  પશ્ચિમ  દેશ,  પાસે  રાખીશ  તમને  હંમેશ;

ઉર  રાખજો  એવો  વિચાર,  નથી  દેહ  તણો  નિરધાર.19

સગાં  સંબંધિ  સાથે  જે  સ્નેહ,  દઢ  માયાનો  પાશ  છે  તેહ;

અતિ  દુઃખદાયક  છે  અંતે,  માટે  સદ્ય  તજયો  છે  તે  સંતે.20

એમ કહી જયરામ વળાવ્યો, પાછો પુરુષોત્તમપુરી આવ્યો;

આવ્યો તાવ ત્યાં કર્મસંજોગ, થયો શીતળાનો વળી રોગ.21

એથી  આંખે  દરદ  થયું  એને,  કહે  કષ્ટની  વાત  તે  કેને;

ઘણી  પીડા  પામ્યો  ઘણા  માસ,  થયું  અંતર  ત્યારે  ઉદાસ.22

નિજદેહ  જાણ્યો  નાશવંત,  ઘડે  ઘાટ  અંતરમાં  અનંત;

જાણે  જો  હવે  સાજો  હું  થાઉં,  પાછો  ધેર  ફરી  નહિં  જાઉં.23

પંડ્યે  પશ્ચિમદેશ  જઇશ,  સ્વામી  કેરી  સેવામાં  રહીશ;

મને હરિએ કહી ઘણી વાણી, પણ મુજને તે તો ન મનાણી.24

સગાં સંબધિમાં જીવ જોડ્યો, તેથી શ્રીહરિનો સંગ છોડ્યો;

જાણ્યું  હમણાં  હું  ધેર  રહીશ,  પછી  શ્રીહરિપાસ  જઇશ.25

ક્ષણભંગુર દેહ ન જાણ્યો, તેથી એવો વિચાર મેં આણ્યો;

એમ કરતાં સાજો થયો જયારે, ચાલ્યો પશ્ચિમ દેશમાં ત્યારે.26

હતા  લોજમાં  સુંદરશામ,  મળ્યો  ત્યાં  જઇ  તે  જયરામ;

તેને  શામે  પૂછ્યા  સમાચાર,  કહી  વાત  કરી  વિસતાર.27

વળી  હેતે  બોલ્યો  જોડી  હાથ,  તમે  મુજને  કહ્યું  ઘણું  નાથ;

પણ  મુજથી  ન  વાત  મનાણી,  હવે  વાત  જથારથ  જાણી.28

ક્ષણભંગુર  જાણીયો  દેહ,  સગાં  સંબંધિથી  તજયો  સ્નેહ;

તેથી આવિયો છું તમપાસ, સદા સેવામાં રહેવાની આશ.29

એવી  વાત  સુણી  ભગવાન,  વળી  જાણ્યું  છે  વૈરાગ્યવાન;

તેથી  સાધુ  કર્યા  ઘનશામે,  ધર્યુ  જીજ્ઞાસાનંદજી  નામે.30

ઘન્ય ધન્ય તેનાં માત તાત, જેને સમજાણી પ્રગટની વાત;

વળી  ઉપજયો  ખરો  વૈરાગ,  તેથી  કીધો  સંસારનો  ત્યાગ.31

પૂર્વછાયો :-

જે   જીજ્ઞાસાનંદનું,   આ   ઉચરશે   આખ્યાન;

તેના  ઉપર  રાજી  થશે,  ભકિતતનુજ  શ્રીભગવાન.32

વર્ણવ્યું ત્રણ વિશ્રામથી, એમાં ઊંડો છે મર્મ અપાર;

સુણી મનન મન જે કરે, તે તો સમજે સાર અસાર.33

આ  સંસાર  અસારથી,  એને  ઉપજશે  વૈરાગ;

પ્રીતિ  થશે  પ્રભુને  પદે,  અને  ભલું  ગણાશે  ભાગ્ય.34

અંતે  તે  અક્ષરધામમાં,  જઇ  પામશે  સુખ  અપાર;

જન્મમરણની  વેદના,  તેને  નહીં  નડે  કોઇ  વાર.35

આપત્તિમાં ઈશ્વર સાંભરવા વિષે :- ઉપજાતિવૃત્ત :-

આવી પડે આપતકાળ જયારે, આવે ઉરે શ્રીહરિનામ ત્યારે;

તે કારણે જે પરમાર્થ પ્રીછે, તે ભકત તો આપતકાળ ઇચ્છે.36

જયારે ઘણું દૈહિક દુઃખ થાય, અસત્ય સંસાર તદા જણાય;

સર્વે પ્રકારે સુખ હોય જયારે, અત્યંત ભકિત નવ થાય ત્યારે.37

ભકતો ભલા દૈહિક દુઃખ દેખે, ત્યારે કૃપા શ્રીહરિકેરી લેખે;

ચાહે નહીં માયિક સુખ ચિત્ત, બ્રહ્માંડ ને પિંડ વિષે ન પ્રીત.38

આખ્યાન આ જે સમજુ સુણે છે, તે એટલો સાર વિચારી લે છે;

સંસાર મિથ્યા હરિભકિત સાચી, કાયા મટોડી ઘટ જેવી કાચી.39

માટે પ્રભુની કરી લેવી ભકિત, સંસારથી રાખી સદા વિરકિત;

જેને  ન  આવે  ઉર  એવું  જ્ઞાન,  મનુષ્ય  તે  પક્ષી  પશુસમાન.40

પુષ્પિતાગ્રાવૃત્ત :-

લલિત અમૃતકેરી આ લહેરી, કહી સુકથા જીગનાસુનંદકેરી;

જનમન મળહારી જાણી લેશે, ગતિ અતિ દિવ્ય દયાળુ દેવ દેશે.41

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે જીજ્ઞાસાનંદ-આખ્યાનકથનનામા દશમો વિશ્રામઃ ।।10।।