ઉપજાતિવૃત્ત :-
કહે અભેસિંહ અહો મુનીશ, કહો કથા સ્નેહ ધરી સુણીશ;
તમારી વાણી અતિ મિષ્ટ લાગે, ઇચ્છા સુણ્યાની ઉપજે અથાગે.1
વર્ણી કહે ભૂપતિ ધન્ય ધન્ય, ભકિત તમારી નિરખી અનન્ય;
શ્રદ્ધા ઘણી કૃષ્ણકથા સુણ્યાની, સુરીતિ દીઠી વળી તે પુછ્યાની.2
શ્રવણભકિત વિષે :-
કથા સુણે તે કહી આદિ ભકિત, તેથી વધે છે નવધાની વિકિત;
હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી.3
શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય;
હરિકથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન.4
દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિસે રીત નવાઇ જેવી;
આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહિ તો મરે છે.5
અન્ને યથા જીવ થકી જીવાય, ભકિતતણું જીવન છે કથાય;
જે અન્ન છોડે નહિ તેની આશ, કથા તજે ભકિત થશે વિનાશ.6
પ્રાણી પિયે છે પ્રતિદિન પાણી, તોયે અરૂચી ઉપજી ન જાણી;
કથા સુણે એક જ વારવાર, ન ભકત પામે અરુચી લગાર.7
સમીપ આવે મરવાનું જયારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે;
સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણકથા તજાય.8
જેને કથાકેરું અજીર્ણ થાશે, કથા સુણ્યાની રુચી ઊઠી જાશે;
આળસ્ય આવે સુણતાં લગાર, તો જાણવું અંગ થયો વિકાર.9
શ્રીમુખ વાકયામૃતમાં કહ્યું છે, તે વાકય મારી સ્મૃતિમાં રહ્યું છે;
જેને કથા અંતરમાં ન ભાવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે.10
સત્સંગનો કૃષ્ણકથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો;
સત્સંગરૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી વહેલી.11
આહારનો ભાવ જણાય જેને, થશે શરીરે અતિ પુષ્ટિ એને;
ભાસે કથા ઊપર તીવ્ર ભાવ, સત્સંગનો અંગ થશે ચડાવ.12
કથા વિષે જો રુચી છે તમારી, તેથી કહે છે મનવૃત્તિ મારી;
સત્સંગમધ્યે અતિ શ્રેષ્ઠ થાશો, ભકતો વિષે મુખ્ય તમે મનાશો.13
ચોપાઈ :-
સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, કહું જયરામદાસની વાત;
સગાં સંબંધિમાં તેને સ્નેહ, તલભાર તૂટ્યો નહિ તેહ.14
દીધો હરિએ ઘણો ઉપદેશ, તોય ઓછો થયો નહીં લેશ;
વારેવારે કહે પ્રભુપાસ, મારે ગામ ચાલો અવિનાશ.15
કરો ત્યાં જ નિવાસ સદાય, મારા સંબંધિ તમને ચહાય;
મને મોકલ્યો છે એમ કહી, પાછો આવજે કૃષ્ણને લહી.16
સુણી બોલિયા શ્રીપરમેશ, મારે કરવાં છે તીર્થ વિશેષ;
વળી છે ઘણાં કરવાનાં કામ, નહીં આવું તમારે હું ગામ.17
જવું હોય તો પાછા જ જાઓ, જયારે જગતથી ઉદાસી થાઓ;
ઉર ઊપજે સત્ય વૈરાગ, ત્યારે કરજો સંબંધિનો ત્યાગ.18
પછી આવજો પશ્ચિમ દેશ, પાસે રાખીશ તમને હંમેશ;
ઉર રાખજો એવો વિચાર, નથી દેહ તણો નિરધાર.19
સગાં સંબંધિ સાથે જે સ્નેહ, દઢ માયાનો પાશ છે તેહ;
અતિ દુઃખદાયક છે અંતે, માટે સદ્ય તજયો છે તે સંતે.20
એમ કહી જયરામ વળાવ્યો, પાછો પુરુષોત્તમપુરી આવ્યો;
આવ્યો તાવ ત્યાં કર્મસંજોગ, થયો શીતળાનો વળી રોગ.21
એથી આંખે દરદ થયું એને, કહે કષ્ટની વાત તે કેને;
ઘણી પીડા પામ્યો ઘણા માસ, થયું અંતર ત્યારે ઉદાસ.22
નિજદેહ જાણ્યો નાશવંત, ઘડે ઘાટ અંતરમાં અનંત;
જાણે જો હવે સાજો હું થાઉં, પાછો ધેર ફરી નહિં જાઉં.23
પંડ્યે પશ્ચિમદેશ જઇશ, સ્વામી કેરી સેવામાં રહીશ;
મને હરિએ કહી ઘણી વાણી, પણ મુજને તે તો ન મનાણી.24
સગાં સંબધિમાં જીવ જોડ્યો, તેથી શ્રીહરિનો સંગ છોડ્યો;
જાણ્યું હમણાં હું ધેર રહીશ, પછી શ્રીહરિપાસ જઇશ.25
ક્ષણભંગુર દેહ ન જાણ્યો, તેથી એવો વિચાર મેં આણ્યો;
એમ કરતાં સાજો થયો જયારે, ચાલ્યો પશ્ચિમ દેશમાં ત્યારે.26
હતા લોજમાં સુંદરશામ, મળ્યો ત્યાં જઇ તે જયરામ;
તેને શામે પૂછ્યા સમાચાર, કહી વાત કરી વિસતાર.27
વળી હેતે બોલ્યો જોડી હાથ, તમે મુજને કહ્યું ઘણું નાથ;
પણ મુજથી ન વાત મનાણી, હવે વાત જથારથ જાણી.28
ક્ષણભંગુર જાણીયો દેહ, સગાં સંબંધિથી તજયો સ્નેહ;
તેથી આવિયો છું તમપાસ, સદા સેવામાં રહેવાની આશ.29
એવી વાત સુણી ભગવાન, વળી જાણ્યું છે વૈરાગ્યવાન;
તેથી સાધુ કર્યા ઘનશામે, ધર્યુ જીજ્ઞાસાનંદજી નામે.30
ઘન્ય ધન્ય તેનાં માત તાત, જેને સમજાણી પ્રગટની વાત;
વળી ઉપજયો ખરો વૈરાગ, તેથી કીધો સંસારનો ત્યાગ.31
પૂર્વછાયો :-
જે જીજ્ઞાસાનંદનું, આ ઉચરશે આખ્યાન;
તેના ઉપર રાજી થશે, ભકિતતનુજ શ્રીભગવાન.32
વર્ણવ્યું ત્રણ વિશ્રામથી, એમાં ઊંડો છે મર્મ અપાર;
સુણી મનન મન જે કરે, તે તો સમજે સાર અસાર.33
આ સંસાર અસારથી, એને ઉપજશે વૈરાગ;
પ્રીતિ થશે પ્રભુને પદે, અને ભલું ગણાશે ભાગ્ય.34
અંતે તે અક્ષરધામમાં, જઇ પામશે સુખ અપાર;
જન્મમરણની વેદના, તેને નહીં નડે કોઇ વાર.35
આપત્તિમાં ઈશ્વર સાંભરવા વિષે :- ઉપજાતિવૃત્ત :-
આવી પડે આપતકાળ જયારે, આવે ઉરે શ્રીહરિનામ ત્યારે;
તે કારણે જે પરમાર્થ પ્રીછે, તે ભકત તો આપતકાળ ઇચ્છે.36
જયારે ઘણું દૈહિક દુઃખ થાય, અસત્ય સંસાર તદા જણાય;
સર્વે પ્રકારે સુખ હોય જયારે, અત્યંત ભકિત નવ થાય ત્યારે.37
ભકતો ભલા દૈહિક દુઃખ દેખે, ત્યારે કૃપા શ્રીહરિકેરી લેખે;
ચાહે નહીં માયિક સુખ ચિત્ત, બ્રહ્માંડ ને પિંડ વિષે ન પ્રીત.38
આખ્યાન આ જે સમજુ સુણે છે, તે એટલો સાર વિચારી લે છે;
સંસાર મિથ્યા હરિભકિત સાચી, કાયા મટોડી ઘટ જેવી કાચી.39
માટે પ્રભુની કરી લેવી ભકિત, સંસારથી રાખી સદા વિરકિત;
જેને ન આવે ઉર એવું જ્ઞાન, મનુષ્ય તે પક્ષી પશુસમાન.40
પુષ્પિતાગ્રાવૃત્ત :-
લલિત અમૃતકેરી આ લહેરી, કહી સુકથા જીગનાસુનંદકેરી;
જનમન મળહારી જાણી લેશે, ગતિ અતિ દિવ્ય દયાળુ દેવ દેશે.41
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે જીજ્ઞાસાનંદ-આખ્યાનકથનનામા દશમો વિશ્રામઃ ।।10।।