ચોપાઈ :-
બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કહું હરિનાં ચરિત્ર અનૂપ;
જાણ્યો મુકત છે જયરામદાસ, અંતે રાખવો છે તેને પાસ.1
એહ દ્વારાયે જીવ અપાર, તારવાનો છે હરિનો વિચાર;
નિજમહિમા જણાવાને માટે, રાખ્યો શ્રીહરિએ સાથે વાટે.2
ચાલ્યા કૃષ્ણને જયરામદાસ, તીર્થભૂમિમાં કરતા પ્રવાસ;
એક ઝાડી માંહિ દીઠો કૂપ, તેનું નીર વખાણ્યું અનૂપ.3
જયરામને કહે નરવીર, ભરો એહ અવાડીમાં નીર;
પછી ભરિયું અવાડીમાં પાણી, બોળ્યો હરિએ ચરણ દયા આણી.4
આવ્યાં સસલાં હરણ ને શિયાળ, આવ્યાં વાઘ ને સિંહના બાળ;
પાણી સૌએ મળી સાથે પીધું, જાતિવૈર વિસારી જ દીધું.5
જુએ શ્રીહરિને દષ્ટિ સાંધી, સર્વે પ્રાણીને થઇ ત્યાં સમાધી;
સૌને જગાડીને અવિનાશી, કહે જાઓ ચાલ્યાં વનવાસી.6
ગયાં પ્રાણી ચાલી ચારે પાસે, જોયું નજરે તે જયરામદાસે;
દીઠો શ્યામનો મહિમા અપાર, તેથી નિશ્ચે થયો નિરધાર.7
તોય માત પિતા વૃદ્ધ જાણી, તેની સેવા વિષે પ્રીત આણી;
જાણ્યું તેઓ જશે મોક્ષ જયારે, સ્વામી સંગે રહીશ હું ત્યારે.8
ત્યાંથી ચાલિયા પોતે બે મિત્ર, શિવમંદિર આવ્યું પવિત્ર;
ત્યાં છે ધર્મશાળા અને ઝાડી, તોય ત્યાં રહી રાત્રી વિતાડી.9
ઇચ્છા જયરામદાસને આવી, તેથી હરિએ સમાધિ કરાવી;
એને દેખાડ્યું અક્ષરધામ, પૂજે પ્રભુજીને મુકત તમામ.10
મળી મૂરતિ પોતાને જેહ, દીઠી અક્ષરધામમાં તેહ;
બ્રહ્મા વિષ્ણુ ને શંભુ અપાર, ઊભા સ્તવન કરે છે ઉચ્ચાર.11
પછી જાગ્યા સમાધિથી જયારે, કર્યા દંડપ્રણામ તે ત્યારે;
સ્તુતિ હાથ જોડીને ઉચ્ચારી, તમે અક્ષરાતીત મુરારી.12
મને આજ કૃતારથ કીધો, મારો સંશય સૌ હરી લીધો;
પછી ત્યાંથી વિચરિયા બે વીર, ગયા મોટી ખાડીતણે તીર.13
જયરામને કહે જગદેવ, નાવે ભાડું કરો તતખેવ;
ગયો જયરામ ભાડું તે કરવા, લાગ્યું ખાડીનું પાણી ઊતરવા.14
પૂર્વછાયો :-
વાર લાગી જયરામને, એક નાવે બેઠા ઘનશામ;
નાવ બધાં ઊપડી ગયાં, જયરામ રહ્યો તેહ ઠામ.15
વસ્તુના મૂલ્ય વિષે :- ઉપજાતિવૃત્ત :-
સુણો અભેસિંહ નરેશ એહ, પસ્તાય પૂરો જયરામ તેહ;
હું કેમ ભાડું ખરચું વિશેષ,એવું ગણ્યાથી ઉપજયો કલેશ.16
વિશેષ કે કિંચિત મૂલ્ય થાય, સમા પ્રમાણે સમજો સદાય;
જે વસ્તુકેરો ખપ જેહ ટાણે, તે વસ્તુનું મૂલ મળ્યા પ્રમાણે.17
ગંગાકિનારે જળનું ન મૂલ્ય, ખારાં રણોમાં પણ તે અમૂલ્ય;
જયાં પ્રાણ જાતાં જળ કોઇ પાય, સહસ્ત્ર મ્હોરો પણ સ્વલ્પ ત્યાંય.18
જેને ન જેનો ખપ હોય જયારે, અમૂલ્ય વસ્તુ પણ વ્યર્થ ત્યારે;
હાથી મળે એક ટકે કદાપી, ગરીબ લૈને શું કરે તથાપી.19
નાવે જનારા જન જેમ લાગે, નાવિક ન્યૂનાધિક ભાડું માગે;
જાણ્યું નહીં તે જયરામદાસે, તેથી રહ્યો સાગરતીર પાસે.20
ચોપાઈ :-
નાવે બેસીને નાથ સિધાવ્યા, પુરુષોત્તમપુરીમાં આવ્યા;
ઇન્દ્રદ્યુમ્ન સરોવર નામ, કર્યો ત્યાં જઇને વિશરામ.21
પુરુષોત્તમ પ્રભુ કહેવાય, પુરુષોત્તમપુરીમાં રહ્યાય;
પુરુષોત્તમ હોય તે જાણે, પુરુષોત્તમ વીણ ન પિછાણે.22
વિત્યા વાસર ત્રણ ચાર જયારે, આવ્યો જયરામદાસ તે ત્યારે;
રહ્યો સેવામાં શ્રીહરિપાસ, કર્યો ત્યાં દશ માસ નિવાસ.23
પુરુષોત્તમપુરી મોઝાર, આવી અસુર રહેલા અપાર;
દિસે સર્વ વેરાગીને રૂપે, તેનો નાશ કર્યો જગભૂપે.24
એવી બુદ્ધિ પ્રભુજીએ આપી, લડી મૂઆ પરસ્પર પાપી;
એક અવસરે જયરામદાસ, બેઠા મહાપ્રભુજીને પાસ.25
કહે જયરામને હરિ આપ, મુનિ સુવ્રત ભૂપ પ્રતાપ;
તેનો સંવાદ આ ઠાર થાશે, મારા ચરિત્રનો ગ્રંથ રચાશે.26
પછી શ્રીહરિ ત્યાંથી સિધાવ્યા, એક રાજાના રાજમાં આવ્યા;
પ્રભુ સાથે છે જયરામદાસ, ગયા એક મોટા વડ પાસ.27
ઘણા વેરાગી ત્યાં ઊતરેલા, દીઠા પ્રભુપર દ્વેષે ભરેલા;
ગયા હરિ નૃપના બાગમાંય, પૂછી માળીને ઊતર્યા ત્યાંય.28
મહાજોગી જાણી સાક્ષાત, કહી માળીએ ભૂપને વાત;
રાજા આવિયો દર્શન કાજે, તેને વાત કહી મહારાજે.29
દૈવી આસુરી જીવ વિષે :- રથોદ્ધતાવૃત્ત :-
હે નૃપાળ સુણ ચિત્ત તું ધરી, બે પ્રકાર જન દૈવી આસુરી;
તે તણાં અલપ લક્ષણો કહું, ઓળખાય નિજલક્ષણે સહુ.30
દૈવી જીવ દિલમાં દયા ધરે, ક્રૂરકર્મ કદી તે નહીં કરે;
જન્મથી જ શુભ લક્ષણો દિસે, પાપબુદ્ધિ નહિ લેશ તે વિષે.31
દોષ દેખી દિલમાં સદા ડરે, ધર્મ કર્મ નિજ ચિત્તમાં ધરે;
તે કદાપિ રહી દુષ્ટ સંગમાં, રંગી થાય નહિ દુષ્ટ રંગમાં.32
ક્રોધ લોભ નહિ ઝાઝી કામના, તે તજે ન કદી શાસ્ત્ર આમના;
પુણ્યવાન મનમાં પવિત્રતા, સાધુસંગ અતિ નિત્ય મિત્રતા.33
જેમ જાય ધ્રુવ મત્સ ધ્રુભણી, દૈવિ ચાય દિલ સત્યતા ઘણી;
દુઃખી થાય પરદુઃખ દેખતાં, નાશી જાય લવ પાપ પેખતાં.34
લાજ શર્મ અતિ લોકની ધરે, માન પામી અભિમાન ના કરે;
હોય શ્રેષ્ઠ પણ સર્વને નમે, નિત્ય કર્મ પરમાર્થનું ગમે.35
સૌખ્ય સાજ પરલોકનો સજે, ભાવ રાખી ભગવાનને ભજે;
કલેશ વૈર વ્યસનાદિથી ડરે, સર્વ કાળ મન શાંતતા ધરે.36
કષ્ટકાળ ઉર ધૈર્ય આદરે, દોષ દેખી પરના ક્ષમા કરે;
ગંભિરાઇ ગુણ હોય જેહને, દૈવી જીવ કહિયે જ તેહને.37
જીવ હોય જગમધ્ય આસુરી, રાજી થાય પરનું બુરું કરી;
કામ ક્રોધ મદ લોભ માનમાં, થૈ નિમગ્ન ખુશી ખાન પાનમાં.38
લેશમાત્ર દિલમાં નહીં દયા, લાજ શર્મ નહિ મિત્રતા મયા;
સ્વાર્થકાજ પરપ્રાણને હરે, ધર્મકર્મ પણ દંભથી ધરે.39
આસુરી કદી વસે સુસંગમાં, તોય હોય ખળતાઇ અંગમાં;
જેમ તામ્રઘટ હેમથી રસે, અંત તામ્રપણું ખુલું તે થશે.40
વ્યાળ વાઘ વરુ તુલ્ય આસુરી, તે તણી બહુ જ રીત છે બુરી;
તે કૃતધ્નિ ગુણ દોષ ના ગણે, પાળનાર પતિને ખીજયો હણે.41
હે નરેશ ઉપદેશ આ ધરી, જાણજોજી જન દૈવી આસુરી;
દૈવીસંગ પ્રભુપાસ માંગજો, આસુરી જન કુસંગ ત્યાગજો.42
એમ વાત કહીને વળી કહી, આત્મજ્ઞાન પરમાત્મની સહી;
જ્ઞાનવાત હરિની ઘણી ગમે, નિત્ય ભૂપ પ્રભુને પગે નમે.43
ચોપાઈ :-
કહે વર્ણી અભેસિંહ ભૂપ, કથા એક કહું છું અનૂપ;
કીધું અદભુત હરિયે ચરિત્ર, સુણો વર્ણન તેનું પવિત્ર.44
વડે ઊતર્યા વેરાગી જેહ, તેમાં એક મહાંત છે તેહ;
ઘણા રાખતો શાલગરામ, તેની પૂજા કરે તેહ ઠામ.45
એક અવસરે આવ્યો નરેશ, દીઠા શાલગ્રામ વિશેષ;
કરી વિનતિ શાલગ્રામ માગ્યા, સુણી મહાંત ના કેવા લાગ્યા.46
ગયો રાજા નિરાશ તે કાળે, એવી વાત સુણી વૃષલાલે;
કહે જયરામદાસને શ્યામ, માગો જઇ તમે શાલગરામ.47
સુણી જયરામદાસ સિધાવ્યો, વડા વેરાગી આગળ આવ્યો;
કર જોડી કરીને પ્રણામ, એક માગીયા શાલગરામ.48
કરી ક્રોધને તેણે ના પાડી, વળી ત્યાં થકી મૂકયો ઉઠાડી;
પ્રભુ આગળ જઇ કહી વાત, પછી જયારે ગઇ મધ્ય રાત.49
એવી ઇચ્છા કરી ઘનશામ, તેથી તે સર્વ શાલગ્રામ;
વડ આગળથી ઝટ ઊડ્યા, નદી ગંડકીમાં જઇ બૂડ્યા.50
પછી જાગ્યા વેરાગિયો જયારે, નવ દીઠા શાલગ્રામ ત્યારે;
જાણ્યું રાજાએ ચોરી કરાવી, લીધા શાલગ્રામ ચોરાવી.51
પૂર્વછાયો :-
રાજા તથા રૈયત ઘણી, કરે શ્રીહરિનો સતસંગ;
દેખી શ્રીહરિની સમર્થતા, થયા આશ્રિત ધરીને ઉમંગ.52
તેહ થકી શ્રીહરિ તણો, કરે વેરાગી દ્વેષ અપાર;
રાતે હરિને મારવા, મળી આવ્યા તે જુગલ હજાર.53
ઓટા ઉપર જે બાગમાં, પોઢ્યા હતા શ્રીધર્મકુમાર;
પથરા ફેંકયા પાપીએ, તેનો ગંજ થયો તે ઠામ.54
પાપી થાકી પાછા ગયા, રહ્યા કુશળ શ્રીજગદીશ;
જાણી તે વાત પ્રભાતમાં, ચડી રાય રૈયતને રીસ.55
વેરાગી અતિ ઉનમત્ત છે, ઘણાં શસ્ત્ર અસ્ત્ર ધરનાર;
શાલગરામને કારણે, ચાલ્યા લૂંટવા નૃપ દરબાર.56
જુદ્ધ થશે એમ જાણીને, કર્યું પ્રભુએ ત્યાંથી પ્રયાણ;
વેરાગી બેય હજારનો, વાળ્યો નૃપસેનાએ ઘાણ.57
શ્રીહરિને જયરામ તે, ગયા ઉભાંગડ વનમાંય;
જળ તરસ લાગી ઘણી,જયરામદાસને ત્યાંય.58
ઝાડ ઉપર ચડી જોઇયુ, એક દીઠું સરોવર દૂર;
પાણી લેવાને પરવર્યો, જયરામદાસ જરૂર.59
સર્પ અનેક સરોવરે, જોઇ પાછો વળ્યો જયરામ;
જળસરપમાં વિષ નહિ, એમ બાલ્યા શ્રીઘનશામ.60
જેષ્ટિકાએ કરી વેગળા, જળ ભરી લાવ્યો જઇ તેહ;
પાન કર્યું પુરુષોત્તમે, અતિભાવ જાણીને એહ.61
પુષ્પિતાગ્રાવૃત્ત :-
પછી ગતિ કરી કોશ પાંચ જયારે, નજર પડ્યું શુભ ગામ એક ત્યારે;
જઇ તહી રજની નિવાસ કીધો, વળી જયરામજીને સુબોધ દીધો.62
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ
પુરુષોત્તમપુરીપ્રાન્તવિચરણનામા નવમો વિશ્રામઃ ।।9।।