ચોપાઈ :-

બ્રહ્મચારી  કહે  સુણ  ભૂપ,  કહું  હરિનાં  ચરિત્ર  અનૂપ;

જાણ્યો મુકત છે જયરામદાસ, અંતે રાખવો છે તેને પાસ.1

એહ  દ્વારાયે  જીવ  અપાર,  તારવાનો  છે  હરિનો  વિચાર;

નિજમહિમા જણાવાને માટે, રાખ્યો શ્રીહરિએ સાથે વાટે.2

ચાલ્યા  કૃષ્ણને  જયરામદાસ,  તીર્થભૂમિમાં  કરતા  પ્રવાસ;

એક  ઝાડી  માંહિ  દીઠો  કૂપ,  તેનું  નીર  વખાણ્યું  અનૂપ.3

જયરામને  કહે  નરવીર,  ભરો  એહ  અવાડીમાં  નીર;

પછી ભરિયું અવાડીમાં પાણી, બોળ્યો હરિએ ચરણ દયા આણી.4

આવ્યાં સસલાં હરણ ને શિયાળ, આવ્યાં વાઘ ને સિંહના બાળ;

પાણી  સૌએ  મળી  સાથે  પીધું,  જાતિવૈર  વિસારી  જ  દીધું.5

જુએ શ્રીહરિને દષ્ટિ સાંધી, સર્વે પ્રાણીને થઇ ત્યાં સમાધી;

સૌને  જગાડીને  અવિનાશી,  કહે  જાઓ  ચાલ્યાં  વનવાસી.6

ગયાં પ્રાણી ચાલી ચારે પાસે, જોયું નજરે તે જયરામદાસે;

દીઠો શ્યામનો મહિમા અપાર, તેથી નિશ્ચે થયો નિરધાર.7

તોય માત પિતા વૃદ્ધ જાણી, તેની સેવા વિષે પ્રીત આણી;

જાણ્યું તેઓ જશે મોક્ષ જયારે, સ્વામી સંગે રહીશ હું ત્યારે.8

ત્યાંથી  ચાલિયા  પોતે  બે  મિત્ર,  શિવમંદિર  આવ્યું  પવિત્ર;

ત્યાં છે ધર્મશાળા અને ઝાડી, તોય ત્યાં રહી રાત્રી વિતાડી.9

ઇચ્છા જયરામદાસને આવી, તેથી હરિએ સમાધિ કરાવી;

એને  દેખાડ્યું  અક્ષરધામ,  પૂજે  પ્રભુજીને  મુકત  તમામ.10

મળી  મૂરતિ  પોતાને  જેહ,  દીઠી  અક્ષરધામમાં  તેહ;

બ્રહ્મા વિષ્ણુ ને શંભુ અપાર, ઊભા સ્તવન કરે છે ઉચ્ચાર.11

પછી  જાગ્યા  સમાધિથી  જયારે,  કર્યા  દંડપ્રણામ  તે  ત્યારે;

સ્તુતિ  હાથ  જોડીને  ઉચ્ચારી,  તમે  અક્ષરાતીત  મુરારી.12

મને  આજ  કૃતારથ  કીધો,  મારો  સંશય  સૌ  હરી  લીધો;

પછી ત્યાંથી વિચરિયા બે વીર, ગયા મોટી ખાડીતણે તીર.13

જયરામને  કહે  જગદેવ,  નાવે  ભાડું  કરો  તતખેવ;

ગયો જયરામ ભાડું તે કરવા, લાગ્યું ખાડીનું પાણી ઊતરવા.14

પૂર્વછાયો :-

વાર લાગી જયરામને, એક નાવે બેઠા ઘનશામ;

નાવ બધાં ઊપડી ગયાં, જયરામ રહ્યો તેહ ઠામ.15

વસ્તુના મૂલ્ય વિષે :- ઉપજાતિવૃત્ત :-

સુણો  અભેસિંહ  નરેશ  એહ,  પસ્તાય  પૂરો  જયરામ  તેહ;

હું  કેમ  ભાડું  ખરચું  વિશેષ,એવું  ગણ્યાથી  ઉપજયો  કલેશ.16

વિશેષ  કે  કિંચિત  મૂલ્ય  થાય,  સમા  પ્રમાણે  સમજો  સદાય;

જે વસ્તુકેરો ખપ જેહ ટાણે, તે વસ્તુનું મૂલ મળ્યા પ્રમાણે.17

ગંગાકિનારે જળનું ન મૂલ્ય, ખારાં રણોમાં પણ તે અમૂલ્ય;

જયાં પ્રાણ જાતાં જળ કોઇ પાય, સહસ્ત્ર મ્હોરો પણ સ્વલ્પ ત્યાંય.18

જેને ન જેનો ખપ હોય જયારે, અમૂલ્ય વસ્તુ પણ વ્યર્થ ત્યારે;

હાથી  મળે  એક  ટકે  કદાપી,  ગરીબ  લૈને  શું  કરે  તથાપી.19

નાવે જનારા જન જેમ લાગે, નાવિક ન્યૂનાધિક ભાડું માગે;

જાણ્યું  નહીં  તે  જયરામદાસે,  તેથી  રહ્યો  સાગરતીર  પાસે.20

ચોપાઈ :-

નાવે  બેસીને  નાથ  સિધાવ્યા,  પુરુષોત્તમપુરીમાં  આવ્યા;

ઇન્દ્રદ્યુમ્ન  સરોવર  નામ,  કર્યો  ત્યાં  જઇને  વિશરામ.21

પુરુષોત્તમ  પ્રભુ  કહેવાય,  પુરુષોત્તમપુરીમાં  રહ્યાય;

પુરુષોત્તમ  હોય  તે  જાણે,  પુરુષોત્તમ  વીણ  ન  પિછાણે.22

વિત્યા વાસર ત્રણ ચાર જયારે, આવ્યો જયરામદાસ તે ત્યારે;

રહ્યો  સેવામાં  શ્રીહરિપાસ,  કર્યો  ત્યાં  દશ  માસ  નિવાસ.23

પુરુષોત્તમપુરી  મોઝાર,  આવી    અસુર  રહેલા  અપાર;

દિસે  સર્વ  વેરાગીને  રૂપે,  તેનો  નાશ  કર્યો  જગભૂપે.24

એવી  બુદ્ધિ  પ્રભુજીએ  આપી,  લડી  મૂઆ  પરસ્પર  પાપી;

એક  અવસરે  જયરામદાસ,  બેઠા  મહાપ્રભુજીને  પાસ.25

કહે  જયરામને  હરિ  આપ,  મુનિ  સુવ્રત  ભૂપ  પ્રતાપ;

તેનો સંવાદ આ ઠાર થાશે, મારા  ચરિત્રનો ગ્રંથ રચાશે.26

પછી શ્રીહરિ ત્યાંથી સિધાવ્યા, એક રાજાના રાજમાં આવ્યા;

પ્રભુ  સાથે  છે  જયરામદાસ,  ગયા  એક  મોટા  વડ  પાસ.27

ઘણા  વેરાગી  ત્યાં  ઊતરેલા,  દીઠા  પ્રભુપર  દ્વેષે  ભરેલા;

ગયા હરિ નૃપના બાગમાંય, પૂછી માળીને ઊતર્યા ત્યાંય.28

મહાજોગી  જાણી  સાક્ષાત,  કહી  માળીએ  ભૂપને  વાત;

રાજા  આવિયો  દર્શન  કાજે,  તેને  વાત  કહી  મહારાજે.29

દૈવી આસુરી જીવ વિષે :- રથોદ્ધતાવૃત્ત :-

હે નૃપાળ સુણ ચિત્ત તું ધરી, બે પ્રકાર જન દૈવી આસુરી;

તે  તણાં  અલપ  લક્ષણો  કહું,  ઓળખાય  નિજલક્ષણે  સહુ.30

દૈવી  જીવ  દિલમાં  દયા  ધરે,  ક્રૂરકર્મ  કદી  તે  નહીં  કરે;

જન્મથી જ શુભ લક્ષણો દિસે, પાપબુદ્ધિ નહિ લેશ તે વિષે.31

દોષ  દેખી  દિલમાં  સદા  ડરે,  ધર્મ  કર્મ  નિજ  ચિત્તમાં  ધરે;

તે  કદાપિ રહી દુષ્ટ સંગમાં, રંગી થાય નહિ દુષ્ટ રંગમાં.32

ક્રોધ લોભ નહિ ઝાઝી કામના, તે તજે ન કદી શાસ્ત્ર આમના;

પુણ્યવાન મનમાં પવિત્રતા, સાધુસંગ અતિ નિત્ય મિત્રતા.33

જેમ જાય ધ્રુવ મત્સ ધ્રુભણી, દૈવિ ચાય દિલ સત્યતા ઘણી;

દુઃખી થાય પરદુઃખ દેખતાં, નાશી જાય લવ પાપ પેખતાં.34

લાજ શર્મ અતિ લોકની ધરે, માન પામી અભિમાન ના કરે;

હોય  શ્રેષ્ઠ  પણ  સર્વને  નમે,  નિત્ય  કર્મ  પરમાર્થનું  ગમે.35

સૌખ્ય સાજ પરલોકનો સજે, ભાવ રાખી ભગવાનને ભજે;

કલેશ  વૈર  વ્યસનાદિથી  ડરે,  સર્વ  કાળ  મન  શાંતતા  ધરે.36

કષ્ટકાળ  ઉર  ધૈર્ય  આદરે,  દોષ  દેખી  પરના  ક્ષમા  કરે;

ગંભિરાઇ  ગુણ  હોય  જેહને,  દૈવી  જીવ  કહિયે  જ  તેહને.37

જીવ હોય જગમધ્ય આસુરી, રાજી થાય પરનું બુરું કરી;

કામ ક્રોધ મદ લોભ માનમાં, થૈ નિમગ્ન ખુશી ખાન પાનમાં.38

લેશમાત્ર દિલમાં નહીં દયા, લાજ શર્મ નહિ મિત્રતા મયા;

સ્વાર્થકાજ  પરપ્રાણને  હરે,  ધર્મકર્મ  પણ  દંભથી  ધરે.39

આસુરી કદી વસે સુસંગમાં, તોય હોય ખળતાઇ અંગમાં;

જેમ  તામ્રઘટ  હેમથી  રસે,  અંત  તામ્રપણું  ખુલું  તે  થશે.40

વ્યાળ વાઘ વરુ તુલ્ય આસુરી, તે તણી બહુ જ રીત છે બુરી;

તે કૃતધ્નિ ગુણ દોષ ના ગણે, પાળનાર પતિને ખીજયો હણે.41

હે  નરેશ  ઉપદેશ  આ  ધરી,  જાણજોજી  જન  દૈવી  આસુરી;

દૈવીસંગ પ્રભુપાસ માંગજો, આસુરી જન કુસંગ ત્યાગજો.42

એમ વાત કહીને વળી કહી, આત્મજ્ઞાન પરમાત્મની સહી;

જ્ઞાનવાત હરિની ઘણી ગમે, નિત્ય ભૂપ પ્રભુને પગે નમે.43

ચોપાઈ :-

કહે  વર્ણી  અભેસિંહ  ભૂપ,  કથા  એક  કહું  છું  અનૂપ;

કીધું  અદભુત  હરિયે  ચરિત્ર,  સુણો  વર્ણન  તેનું  પવિત્ર.44

વડે  ઊતર્યા  વેરાગી  જેહ,  તેમાં  એક  મહાંત  છે  તેહ;

ઘણા  રાખતો  શાલગરામ,  તેની  પૂજા  કરે  તેહ  ઠામ.45

એક  અવસરે  આવ્યો  નરેશ,  દીઠા  શાલગ્રામ  વિશેષ;

કરી વિનતિ શાલગ્રામ માગ્યા, સુણી મહાંત ના કેવા લાગ્યા.46

ગયો  રાજા  નિરાશ  તે  કાળે,  એવી  વાત  સુણી  વૃષલાલે;

કહે  જયરામદાસને  શ્યામ,  માગો  જઇ  તમે  શાલગરામ.47

સુણી જયરામદાસ સિધાવ્યો, વડા વેરાગી આગળ આવ્યો;

કર  જોડી  કરીને  પ્રણામ,  એક  માગીયા  શાલગરામ.48

કરી ક્રોધને તેણે ના પાડી, વળી ત્યાં  થકી મૂકયો ઉઠાડી;

પ્રભુ આગળ જઇ કહી વાત, પછી જયારે ગઇ મધ્ય રાત.49

એવી  ઇચ્છા  કરી  ઘનશામ,  તેથી  તે  સર્વ  શાલગ્રામ;

વડ  આગળથી  ઝટ  ઊડ્યા,  નદી  ગંડકીમાં  જઇ  બૂડ્યા.50

પછી જાગ્યા વેરાગિયો જયારે, નવ દીઠા શાલગ્રામ ત્યારે;

જાણ્યું  રાજાએ  ચોરી  કરાવી,  લીધા  શાલગ્રામ  ચોરાવી.51

પૂર્વછાયો :-

રાજા  તથા  રૈયત  ઘણી,  કરે  શ્રીહરિનો  સતસંગ;

દેખી શ્રીહરિની સમર્થતા, થયા આશ્રિત ધરીને ઉમંગ.52

તેહ  થકી  શ્રીહરિ  તણો,  કરે  વેરાગી  દ્વેષ  અપાર;

રાતે  હરિને  મારવા,  મળી  આવ્યા  તે  જુગલ  હજાર.53

ઓટા  ઉપર  જે  બાગમાં,  પોઢ્યા  હતા  શ્રીધર્મકુમાર;

પથરા  ફેંકયા  પાપીએ,  તેનો  ગંજ  થયો  તે  ઠામ.54

પાપી  થાકી  પાછા  ગયા,  રહ્યા  કુશળ  શ્રીજગદીશ;

જાણી  તે  વાત  પ્રભાતમાં,  ચડી  રાય  રૈયતને  રીસ.55

વેરાગી અતિ ઉનમત્ત છે, ઘણાં શસ્ત્ર અસ્ત્ર ધરનાર;

શાલગરામને  કારણે,  ચાલ્યા  લૂંટવા  નૃપ  દરબાર.56

જુદ્ધ  થશે  એમ  જાણીને,  કર્યું પ્રભુએ  ત્યાંથી  પ્રયાણ;

વેરાગી  બેય  હજારનો,  વાળ્યો  નૃપસેનાએ  ઘાણ.57

શ્રીહરિને  જયરામ  તે,  ગયા  ઉભાંગડ  વનમાંય;

જળ  તરસ  લાગી  ઘણી,જયરામદાસને  ત્યાંય.58

ઝાડ  ઉપર  ચડી  જોઇયુ,  એક  દીઠું  સરોવર  દૂર;

પાણી  લેવાને  પરવર્યો,  જયરામદાસ  જરૂર.59

સર્પ  અનેક  સરોવરે,  જોઇ  પાછો  વળ્યો  જયરામ;

જળસરપમાં  વિષ  નહિ,  એમ  બાલ્યા  શ્રીઘનશામ.60

જેષ્ટિકાએ કરી વેગળા, જળ ભરી લાવ્યો જઇ તેહ;

પાન  કર્યું પુરુષોત્તમે,  અતિભાવ  જાણીને  એહ.61

પુષ્પિતાગ્રાવૃત્ત :-

પછી ગતિ કરી કોશ પાંચ જયારે, નજર પડ્યું શુભ ગામ એક ત્યારે;

જઇ તહી રજની નિવાસ કીધો, વળી જયરામજીને સુબોધ દીધો.62

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ

પુરુષોત્તમપુરીપ્રાન્તવિચરણનામા નવમો વિશ્રામઃ ।।9।।