પૂર્વછાયો :-

હે  નરપતિ  સુણ  સ્નેહથી,  જેથી  ઉપજે  અંતર  જ્ઞાન;

જન  જિજ્ઞાસાનંદનું,  એક  કહું  ભલું  આખ્યાન.1

પછી  કપિલાશ્રમ  થકી,  જયારે  ચાલિયા  સુંદરશામ;

ઝાડીમાંથી નીસર્યા, ત્યાં તો આવ્યું વળી એક ગામ.2

ચોપાઈ :-

રહે  તે  ગામમાં  બે  વેરાગી,  એક  સંજોગીને  એક  ત્યાગી;

તેમાં  ત્યાગીનું  મંદિર  જાણી,  જઇ  ઊતર્યા  ત્યાં  પદ્મપાણિ.3

હતો  જેહ  મહાંત  તે  ઠામ,  તેણે  નિર્ખિયા  શ્રીઘનશામ;

જોઇ  મૂર્તિ  મનોહર  સારી,  જાણ્યું  જે  કોઇ  છે  અવતારી.4

માટે સ્નેહથી વિનય કરીને, રાખ્યા પોતાની પાસ હરીને;

બીજો  વેરાગી  જે  ઘરબારી,  તેને  પુત્રિયો  બેય  કુંવારી.5

તુલસીકૃત  રામચરિત્ર,  કરે  અભ્યાસ  તેનો  પવિત્ર;

નિત્ય  ત્યાગીને  મંદિર  આવે,  તેને  મોટો  મહાંત  ભણાવે.6

એમાં  આવે  જે  દુર્ધટ  અર્થ,  નહિ  જાણવા  બાવો  સમર્થ;

તેથી ઉલટો અરથ સમઝાવે, ત્યારે કૃષ્ણને ઉર દયા આવે.7

પછી આજ્ઞા બાવા તણી માંગી, શુદ્ધ અર્થ કરી શંકા ભાંગી;

જઇ  બાઇયો  માબાપ  પાસ,  સર્વ  વાત  કરી  તે  પ્રકાશ.8

એક  આવ્યા  બાળા  બ્રહ્મચારી,  દિસે  દેવ  તણા  અવતારી;

તે તો છે સર્વ શાસ્ત્ર સુજાણ, એનાં શાં ઘણાં કરીયે વખાણ.9

અર્થ  રામકથાના  બતાવ્યા,  સુણી  મહાંતને  મન  ભાવ્યા;

એવું  સાંભળીને  તેનો  બાપ,  ગયો  તેડવા  કૃષ્ણને  આપ.10

ઘણી વિનતિ કરી પગે લાગી, વળી આજ્ઞા મહાંતની માગી;

નિજમંદિરે  કૃષ્ણને  લાવ્યો,  કરી  વિપ્રે  ત્યાં  થાળ  ધરાવ્યો.11

પુત્ર  બાવાનો  જયરામદાસ,  તેને  સોંપ્યો  મહાપ્રભુ  પાસ;

કહ્યું  હે  પ્રભુ  કરુણા  લાવો,  મારા  પુત્રને  શાસ્ત્ર  ભણાવો.12

કાંઇ દિવસ વસ્યા હરિ વાસ, વિદ્યા ભણતો તે જયરામદાસ;

એક  અવસરે  રજની  મોઝાર,  પ્રભુ  દેખાડ્યું  તેજ  અપાર.13

પુત્ર  પુત્રિયો  માત  પિતાય,  તેજ  દેખીને  વિસ્મિત  થાય;

તેમાં  મૂર્તિ  દીઠી  હરિ  તણી,  કોટિ  સૂર્યથી  શોભિત  ઘણી.14

ઘણું  તેજ  જે  પ્રથમ  જણાયું,  તે  તો  મૂર્તિમાં  સર્વે  સમાયું;

પ્રભુનો દેખી પૂર્ણ પ્રતાપ, જાણ્યા એ જ શ્રીકૃષ્ણ છે આપ.15

તેથી  નિત્યપ્રત્યે  ધરી  પ્રીત,  પૂજે  પ્રત્યક્ષ  ઇષ્ટની  રીત;

જમાડીને  રસોઇ  રસાળ,  પછી  ઠાકોરને  ધરે  થાળ.16

ગામ  પાસે  સરોવર  એક,  તેમાં  ઊપજે  કમળ  અનેક;

એક  જયરામદાસનો  મિત્ર,  નામ  કૃષ્ણતંબોળી  પવિત્ર.17

બંને  નિત્ય  સરોવરે  જઇ,  આવે  અધિક  કમળ-ફળ  લઇ;

લાવી  શ્રીહરિ  આગળ  ધરે,  પ્રભુ  ભાવથી  ભક્ષણ  કરે.18

પૂર્વછાયો :-

એક  સમે  ઘનશ્યામજી,  એમ  ઉચર્યા  ધરીને  ઉમંગ;

કમળ  કાકડી  કારણે,  અમે  આવશું  ત્યાં  તમ  સંગ.19

ત્રણે  મળીને  ત્યાં  ગયા,  મહા  મોટું  સરોવર  જયાંય;

ફરવા લાગ્યા નીરમાં, એક ત્રાપા ઉપર ચડી ત્યાંય.20

શોભે  કેવા  હરિ  તે  સમે,  જેમ  ક્ષીરોદધી  મોઝાર;

શેષ  ઉપર  આસન  કર્યું,  અજ  હર  સમીપ  ઉદાર.21

કમળકાકડી  કોડથી,  લઇ  લઇ  જમે  જગવંદ;

વિનોદ  કરતા  વિધવિધે,  અતિ  ઉર  ધરે  આનંદ.22

સામો તટ બહુ દૂર છે, અતિ અગમ્ય છે વળી એહ;

શ્રીહરિએ  તે  તટ  ભણી,  સદ્ય  ત્રાપો  ચલાવ્યો  તેહ.23

પાછા વળો હવે મહાપ્રભુ, એમ મુખે કહે બે મિત્ર;

વાત  ન  માની  વીઠલે,  એક  કરવા  દિવ્ય  ચરિત્ર.24

શ્રીહરિએ    શું  ધાર્યુ  છે,  તેનો  જન  શું  જાણે  મર્મ;

બ્રહ્માદિક  નવ  કળિ  શકે,  એવું  અકળ  કૃષ્ણનું  કર્મ.25

ત્રાપો  તે  સામે  તટ  ગયો,  ત્યાં  ઉતરિયા  ત્રણ  વીર;

ચાલો વિચરિયે વન વિષે, એમ બોલ્યા શામશરીર.26

મિત્ર કહે હે મહાપ્રભુ! ત્યાં છે ભારી ભયંકર રાન;

રીંછ ને વાઘ વરુ વસે, જન જાય નહિ તેહ સ્થાન.27

તે  સુણીને  કહે  શ્રીહરિ,  તમે  તજોને  મનથી  ત્રાસ;

આપણને  તે  શું  કરે  ?  જેઓ  વસે  સદા  વનવાસ. 28

ઉપજાતિવૃત્ત :-

શરીર જોરે ન ગણો સમર્થ, બુદ્ધિ વિનાનું બળ સર્વ વ્યર્થ;

જો સિંહ સર્પો કપિ રીંછ હાથી, નાચે બિચારા જનના કહ્યાથી.29

બળિષ્ટ ઝાઝું બળ જો કરે છે, તો એકના પ્રાણ કદી હરે છે;

જો  બુદ્ધિ  પ્રેરે  જન  બુદ્ધિમાન,  ઉજાડી  દે  ઇન્દ્રપુરી  સમાન.30

એવું સુણીને મળી મિત્ર ચાલ્યા, અઘોર વાટે વનમાં મહાલ્યા;

નિશ્ચિંત  ચાલે  મૃગરાજ  જેમ,  ત્રણે  ફરે  છે  વનમધ્ય  તેમ.31

ત્યાં એક જોરાવર રીંછ જોઇ, તે બે જણે ધીરજ દીધી ખોઇ;

પોકાર કીધો ચિત્ત માંહિ ચેતિ, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.32

આવી પડ્યું સંકટ આજ ભારી, સહાયતા શ્યામ કરો અમારી;

ફેડો પ્રભુ ફોગટની ફજેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.33

સદા કરો ભકત તણી સહાય, કળા તમારી ન કદી કળાય;

વેદો કહે વર્ણન નેતિ નેતિ, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.34

તજી  તમોને  પરને  ભજે  છે,  તે  કાચ  લે  કાંચનને  તજે  છે;

ન તેલ પામે પિલવાથી રેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.35

આ રીંછ તો જીવ જરૂર લેશે, ઝાડે ચડ્યાથી નહિ છોડી દેશે;

નથી હવે ધીરજતા રહેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.36

કહે હરિ ધીરજ ચિત્ત ધારો, વિશ્વાસ રાખો ઉરમાં અમારો;

તે  રીંછ  છે  દૈવિક  દેહધારી,  નથી  જનોને  કદી  કષ્ટકારી.37

પછી પ્રભુએ કર જયાં હલાવ્યો,તે રીંછ તેથી હરિપાસ આવ્યો;

ઉભો રહ્યો આગળ છેક આવી, આંસુની ધારા દ્રગથી ચલાવી.38

જયાં સામસામી શુભ દષ્ટિ સાંધી, પરસ્પરે પ્રીતિ વિશેષ વાધી;

દયા ધરી એમ કહ્યું દયાળે, થશે તમારું શુભ અલ્પ કાળે.39

આજ્ઞા હરિયે કહી એમ દીધી, રીંછે સુણીને વનવાટ લીધી;

મિત્રો ત્રણે તે પુર મધ્ય આવ્યા, સૌને દિલે શ્રીઘનશામ ભાવ્યા.40

પૂરી વિષે વાત થઈ પ્રકાશ, તે વાત ચાલી પુર આસપાસ;

વ્યાપી  રહે  સૂર્ય  પ્રકાશ  જેમ,  તે  વાત  સર્વત્ર  જણાઇ  તેમ.41

વધ્યો પ્રભુનો મહિમા વધારે, આવે જનો દર્શનકાજ દ્વારે;

ત્યાં  એક  ટાણે  જયરામદાસ,  પૂછે  નમીને  ઘનશામ  પાસ.42

કહો હતો કોણ સુરીંછ એહ ?  શાથી જણાયો દિલગીર તેહ?

કહે  હરિ  જે  રીંછ  જાંબુવાન,  તે  મિત્ર  તેનો  સદબુદ્ધિમાન.43

કૃષ્ણાવતારે મુજને મળેલો, તથાપિ સૌ સંશય ના ટળેલો;

પછીથી પામ્યો પરિતાપ ભારી, ન ઓળખ્યા મેં હરિ દેહધારી.44

આકાશવાણી થઇ તેહ કાળ, થશે પ્રભુજી વૃષભકિતબાળ;

તેનાં  વળી  દર્શન  તું  કરીશ,  તેને  પ્રતાપે  ભવને  તરીશ.45

હવે  તજીને  તનુ  રીંછ  તેહ,  લેશે  રુડે  ઘેર  મનુષ્ય  દેહ;

ભલી રીતે તે મુજ ભકત થૈને, અંતે  રહેશે મુજ ધામ જઇને.46

વસંતતિલકાવૃત્ત :-

વર્ણી   કહે   અભયસિંહ   સુણો   નરેશ, વૈરાગ્યવંત   જગથી   હરિ   છે   હમેશ;

આ  સ્નેહપાશ  તજીને  વિચરું  વિદેશ, એવું  વિચારી  નિશિમાં  નિસર્યા  જનેશ.47

ચોપાઈ :-

રાતે છાના ઊઠ્યા હરિરાય, પૂછ્યા વગર થયા તે વિદાયઃ

પુરુષોત્તમપુરી  મન  ધારી,  ચાલ્યા  મારગે  દેવ    મુરારી.48

જન જાગ્યા પ્રભાતમાં જયારે, ઘનશ્યામ દીઠા નહિ ત્યારે;

પત્તો લાગ્યો ન કરતાં તપાસ, ત્યારે ઉર થયાં સર્વે ઉદાસ.49

જેમ  સર્વસ્વ  કોઇનું  જાય,  તેનું  અંતર  અતિ  અકળાય;

થયા  દિલગિર  જયરામદાસ,  માત  તાત  તેનાં  ધરે  ત્રાસ.50

જેમ  ચિંતામણી  પ્રાપ્ત  થાય,  પછી  ખોવાથી  ખેદ  પમાય;

હરિ વિચર્યે અયોધ્યાનિવાસી, જેમ દિલમાં થયાંજાતાં ઉદાસી.51

તેમ વિરહ વ્યાકુળ જન સહુ, ગુણ સમરી રુદન કરે બહુ;

ત્યારે જયરામદાસની માય, પાણી ન પીએ અન્ન ન ખાય.52

કહે શોધવા હરિને સિધાવો, હોય જયાં ત્યાંથી તેડીને લાવો;

ગયા બહુ જન ગોતવા  કાજ, કયાંઇ ન મળ્યા શ્રીમહારાજ.53

બોલ્યો  બાવો મહાંત તે ત્યારે, હરિ પ્રથમ આવ્યા હતા જયારે;

અમે પૂછ્યું હતું શિર નામી, કયાંથી આવ્યા ને કયાં જશો સ્વામી?54

ત્યારે  બોલ્યા  હતા  ઘનશામ,  જાશું  પુરુષોત્તમ  પુરી  ધામ;

માટે તે દિશે કરશો તપાસ, ત્યારે મળશે નક્કી અવિનાશ.55

પછી  જયરામદાસની  માત,  કહે  પુત્રને  પ્રેમથી  વાત;

પુરુષોત્તમ પુરી ભણી જાઓ, ખર્ચી આપું તે વાટમાં ખાઓ.56

આજ્ઞા  માતની  મસ્તક  ધરી,  ચાલ્યો  પુત્ર  તે  શોધવા  હરિ;

એક  ગામમાં  સાંભળી  વાત,  હરિ  આંહિ  રહ્યા  હતા  રાત.57

વીશ  વાસર    કીધો  પ્રવાસ,  ત્યારે  ભેટિયા  શ્રીઅવિનાશ;

કર  જોડીને  વિનતિ  ઉચારી,  કહ્યું  પાછા  વળો  સુખકારી.58

મારાં  માતપિતા  રોઇ  મરે,  ઇચ્છા  આપને  મળવાની  ધરે;

ઘણો શોધ કર્યો અમે સ્વામી, આજ મળ્યા છો અંતરજામી.59

સુણી  બોલિયા  શ્રીઘનશામ,  ચાલો  પુરુષોત્તમપુરી  ધામ;

જઇને જાત્રા જરૂર ત્યાં કરીએ, બીજી વાત બધી પરહરિયે.60

છોજી  દૈવી  તમે  સાક્ષાત,  માટે  તમને  કહું  એક  વાત;

ઝાઝો  સંબંધિયોમાં  સનેહ,  નવ  રાખવો  અવિચળ  એહ.61

પુષ્પિતાગ્રાવૃત્ત :-

સુણી હરિ મુખકેરી વાત એહ, સમીપ રહ્યો જયરામદાસ તેહ;

નિજજન ગણી નાથ એમ ધાર્યુ, નિજપ્રભુતાઇ જણાવવા વિચાર્યું.62

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિજયરામદાસ- પુરુષોત્તમપુરીપ્રતિગમનનામા અષ્ટમો વિશ્રામઃ ।।8।।