પૂર્વછાયો :-
હે નરપતિ સુણ સ્નેહથી, જેથી ઉપજે અંતર જ્ઞાન;
જન જિજ્ઞાસાનંદનું, એક કહું ભલું આખ્યાન.1
પછી કપિલાશ્રમ થકી, જયારે ચાલિયા સુંદરશામ;
ઝાડીમાંથી નીસર્યા, ત્યાં તો આવ્યું વળી એક ગામ.2
ચોપાઈ :-
રહે તે ગામમાં બે વેરાગી, એક સંજોગીને એક ત્યાગી;
તેમાં ત્યાગીનું મંદિર જાણી, જઇ ઊતર્યા ત્યાં પદ્મપાણિ.3
હતો જેહ મહાંત તે ઠામ, તેણે નિર્ખિયા શ્રીઘનશામ;
જોઇ મૂર્તિ મનોહર સારી, જાણ્યું જે કોઇ છે અવતારી.4
માટે સ્નેહથી વિનય કરીને, રાખ્યા પોતાની પાસ હરીને;
બીજો વેરાગી જે ઘરબારી, તેને પુત્રિયો બેય કુંવારી.5
તુલસીકૃત રામચરિત્ર, કરે અભ્યાસ તેનો પવિત્ર;
નિત્ય ત્યાગીને મંદિર આવે, તેને મોટો મહાંત ભણાવે.6
એમાં આવે જે દુર્ધટ અર્થ, નહિ જાણવા બાવો સમર્થ;
તેથી ઉલટો અરથ સમઝાવે, ત્યારે કૃષ્ણને ઉર દયા આવે.7
પછી આજ્ઞા બાવા તણી માંગી, શુદ્ધ અર્થ કરી શંકા ભાંગી;
જઇ બાઇયો માબાપ પાસ, સર્વ વાત કરી તે પ્રકાશ.8
એક આવ્યા બાળા બ્રહ્મચારી, દિસે દેવ તણા અવતારી;
તે તો છે સર્વ શાસ્ત્ર સુજાણ, એનાં શાં ઘણાં કરીયે વખાણ.9
અર્થ રામકથાના બતાવ્યા, સુણી મહાંતને મન ભાવ્યા;
એવું સાંભળીને તેનો બાપ, ગયો તેડવા કૃષ્ણને આપ.10
ઘણી વિનતિ કરી પગે લાગી, વળી આજ્ઞા મહાંતની માગી;
નિજમંદિરે કૃષ્ણને લાવ્યો, કરી વિપ્રે ત્યાં થાળ ધરાવ્યો.11
પુત્ર બાવાનો જયરામદાસ, તેને સોંપ્યો મહાપ્રભુ પાસ;
કહ્યું હે પ્રભુ કરુણા લાવો, મારા પુત્રને શાસ્ત્ર ભણાવો.12
કાંઇ દિવસ વસ્યા હરિ વાસ, વિદ્યા ભણતો તે જયરામદાસ;
એક અવસરે રજની મોઝાર, પ્રભુ દેખાડ્યું તેજ અપાર.13
પુત્ર પુત્રિયો માત પિતાય, તેજ દેખીને વિસ્મિત થાય;
તેમાં મૂર્તિ દીઠી હરિ તણી, કોટિ સૂર્યથી શોભિત ઘણી.14
ઘણું તેજ જે પ્રથમ જણાયું, તે તો મૂર્તિમાં સર્વે સમાયું;
પ્રભુનો દેખી પૂર્ણ પ્રતાપ, જાણ્યા એ જ શ્રીકૃષ્ણ છે આપ.15
તેથી નિત્યપ્રત્યે ધરી પ્રીત, પૂજે પ્રત્યક્ષ ઇષ્ટની રીત;
જમાડીને રસોઇ રસાળ, પછી ઠાકોરને ધરે થાળ.16
ગામ પાસે સરોવર એક, તેમાં ઊપજે કમળ અનેક;
એક જયરામદાસનો મિત્ર, નામ કૃષ્ણતંબોળી પવિત્ર.17
બંને નિત્ય સરોવરે જઇ, આવે અધિક કમળ-ફળ લઇ;
લાવી શ્રીહરિ આગળ ધરે, પ્રભુ ભાવથી ભક્ષણ કરે.18
પૂર્વછાયો :-
એક સમે ઘનશ્યામજી, એમ ઉચર્યા ધરીને ઉમંગ;
કમળ કાકડી કારણે, અમે આવશું ત્યાં તમ સંગ.19
ત્રણે મળીને ત્યાં ગયા, મહા મોટું સરોવર જયાંય;
ફરવા લાગ્યા નીરમાં, એક ત્રાપા ઉપર ચડી ત્યાંય.20
શોભે કેવા હરિ તે સમે, જેમ ક્ષીરોદધી મોઝાર;
શેષ ઉપર આસન કર્યું, અજ હર સમીપ ઉદાર.21
કમળકાકડી કોડથી, લઇ લઇ જમે જગવંદ;
વિનોદ કરતા વિધવિધે, અતિ ઉર ધરે આનંદ.22
સામો તટ બહુ દૂર છે, અતિ અગમ્ય છે વળી એહ;
શ્રીહરિએ તે તટ ભણી, સદ્ય ત્રાપો ચલાવ્યો તેહ.23
પાછા વળો હવે મહાપ્રભુ, એમ મુખે કહે બે મિત્ર;
વાત ન માની વીઠલે, એક કરવા દિવ્ય ચરિત્ર.24
શ્રીહરિએ શું ધાર્યુ છે, તેનો જન શું જાણે મર્મ;
બ્રહ્માદિક નવ કળિ શકે, એવું અકળ કૃષ્ણનું કર્મ.25
ત્રાપો તે સામે તટ ગયો, ત્યાં ઉતરિયા ત્રણ વીર;
ચાલો વિચરિયે વન વિષે, એમ બોલ્યા શામશરીર.26
મિત્ર કહે હે મહાપ્રભુ! ત્યાં છે ભારી ભયંકર રાન;
રીંછ ને વાઘ વરુ વસે, જન જાય નહિ તેહ સ્થાન.27
તે સુણીને કહે શ્રીહરિ, તમે તજોને મનથી ત્રાસ;
આપણને તે શું કરે ? જેઓ વસે સદા વનવાસ. 28
ઉપજાતિવૃત્ત :-
શરીર જોરે ન ગણો સમર્થ, બુદ્ધિ વિનાનું બળ સર્વ વ્યર્થ;
જો સિંહ સર્પો કપિ રીંછ હાથી, નાચે બિચારા જનના કહ્યાથી.29
બળિષ્ટ ઝાઝું બળ જો કરે છે, તો એકના પ્રાણ કદી હરે છે;
જો બુદ્ધિ પ્રેરે જન બુદ્ધિમાન, ઉજાડી દે ઇન્દ્રપુરી સમાન.30
એવું સુણીને મળી મિત્ર ચાલ્યા, અઘોર વાટે વનમાં મહાલ્યા;
નિશ્ચિંત ચાલે મૃગરાજ જેમ, ત્રણે ફરે છે વનમધ્ય તેમ.31
ત્યાં એક જોરાવર રીંછ જોઇ, તે બે જણે ધીરજ દીધી ખોઇ;
પોકાર કીધો ચિત્ત માંહિ ચેતિ, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.32
આવી પડ્યું સંકટ આજ ભારી, સહાયતા શ્યામ કરો અમારી;
ફેડો પ્રભુ ફોગટની ફજેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.33
સદા કરો ભકત તણી સહાય, કળા તમારી ન કદી કળાય;
વેદો કહે વર્ણન નેતિ નેતિ, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.34
તજી તમોને પરને ભજે છે, તે કાચ લે કાંચનને તજે છે;
ન તેલ પામે પિલવાથી રેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.35
આ રીંછ તો જીવ જરૂર લેશે, ઝાડે ચડ્યાથી નહિ છોડી દેશે;
નથી હવે ધીરજતા રહેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતિ.36
કહે હરિ ધીરજ ચિત્ત ધારો, વિશ્વાસ રાખો ઉરમાં અમારો;
તે રીંછ છે દૈવિક દેહધારી, નથી જનોને કદી કષ્ટકારી.37
પછી પ્રભુએ કર જયાં હલાવ્યો,તે રીંછ તેથી હરિપાસ આવ્યો;
ઉભો રહ્યો આગળ છેક આવી, આંસુની ધારા દ્રગથી ચલાવી.38
જયાં સામસામી શુભ દષ્ટિ સાંધી, પરસ્પરે પ્રીતિ વિશેષ વાધી;
દયા ધરી એમ કહ્યું દયાળે, થશે તમારું શુભ અલ્પ કાળે.39
આજ્ઞા હરિયે કહી એમ દીધી, રીંછે સુણીને વનવાટ લીધી;
મિત્રો ત્રણે તે પુર મધ્ય આવ્યા, સૌને દિલે શ્રીઘનશામ ભાવ્યા.40
પૂરી વિષે વાત થઈ પ્રકાશ, તે વાત ચાલી પુર આસપાસ;
વ્યાપી રહે સૂર્ય પ્રકાશ જેમ, તે વાત સર્વત્ર જણાઇ તેમ.41
વધ્યો પ્રભુનો મહિમા વધારે, આવે જનો દર્શનકાજ દ્વારે;
ત્યાં એક ટાણે જયરામદાસ, પૂછે નમીને ઘનશામ પાસ.42
કહો હતો કોણ સુરીંછ એહ ? શાથી જણાયો દિલગીર તેહ?
કહે હરિ જે રીંછ જાંબુવાન, તે મિત્ર તેનો સદબુદ્ધિમાન.43
કૃષ્ણાવતારે મુજને મળેલો, તથાપિ સૌ સંશય ના ટળેલો;
પછીથી પામ્યો પરિતાપ ભારી, ન ઓળખ્યા મેં હરિ દેહધારી.44
આકાશવાણી થઇ તેહ કાળ, થશે પ્રભુજી વૃષભકિતબાળ;
તેનાં વળી દર્શન તું કરીશ, તેને પ્રતાપે ભવને તરીશ.45
હવે તજીને તનુ રીંછ તેહ, લેશે રુડે ઘેર મનુષ્ય દેહ;
ભલી રીતે તે મુજ ભકત થૈને, અંતે રહેશે મુજ ધામ જઇને.46
વસંતતિલકાવૃત્ત :-
વર્ણી કહે અભયસિંહ સુણો નરેશ, વૈરાગ્યવંત જગથી હરિ છે હમેશ;
આ સ્નેહપાશ તજીને વિચરું વિદેશ, એવું વિચારી નિશિમાં નિસર્યા જનેશ.47
ચોપાઈ :-
રાતે છાના ઊઠ્યા હરિરાય, પૂછ્યા વગર થયા તે વિદાયઃ
પુરુષોત્તમપુરી મન ધારી, ચાલ્યા મારગે દેવ મુરારી.48
જન જાગ્યા પ્રભાતમાં જયારે, ઘનશ્યામ દીઠા નહિ ત્યારે;
પત્તો લાગ્યો ન કરતાં તપાસ, ત્યારે ઉર થયાં સર્વે ઉદાસ.49
જેમ સર્વસ્વ કોઇનું જાય, તેનું અંતર અતિ અકળાય;
થયા દિલગિર જયરામદાસ, માત તાત તેનાં ધરે ત્રાસ.50
જેમ ચિંતામણી પ્રાપ્ત થાય, પછી ખોવાથી ખેદ પમાય;
હરિ વિચર્યે અયોધ્યાનિવાસી, જેમ દિલમાં થયાંજાતાં ઉદાસી.51
તેમ વિરહ વ્યાકુળ જન સહુ, ગુણ સમરી રુદન કરે બહુ;
ત્યારે જયરામદાસની માય, પાણી ન પીએ અન્ન ન ખાય.52
કહે શોધવા હરિને સિધાવો, હોય જયાં ત્યાંથી તેડીને લાવો;
ગયા બહુ જન ગોતવા કાજ, કયાંઇ ન મળ્યા શ્રીમહારાજ.53
બોલ્યો બાવો મહાંત તે ત્યારે, હરિ પ્રથમ આવ્યા હતા જયારે;
અમે પૂછ્યું હતું શિર નામી, કયાંથી આવ્યા ને કયાં જશો સ્વામી?54
ત્યારે બોલ્યા હતા ઘનશામ, જાશું પુરુષોત્તમ પુરી ધામ;
માટે તે દિશે કરશો તપાસ, ત્યારે મળશે નક્કી અવિનાશ.55
પછી જયરામદાસની માત, કહે પુત્રને પ્રેમથી વાત;
પુરુષોત્તમ પુરી ભણી જાઓ, ખર્ચી આપું તે વાટમાં ખાઓ.56
આજ્ઞા માતની મસ્તક ધરી, ચાલ્યો પુત્ર તે શોધવા હરિ;
એક ગામમાં સાંભળી વાત, હરિ આંહિ રહ્યા હતા રાત.57
વીશ વાસર કીધો પ્રવાસ, ત્યારે ભેટિયા શ્રીઅવિનાશ;
કર જોડીને વિનતિ ઉચારી, કહ્યું પાછા વળો સુખકારી.58
મારાં માતપિતા રોઇ મરે, ઇચ્છા આપને મળવાની ધરે;
ઘણો શોધ કર્યો અમે સ્વામી, આજ મળ્યા છો અંતરજામી.59
સુણી બોલિયા શ્રીઘનશામ, ચાલો પુરુષોત્તમપુરી ધામ;
જઇને જાત્રા જરૂર ત્યાં કરીએ, બીજી વાત બધી પરહરિયે.60
છોજી દૈવી તમે સાક્ષાત, માટે તમને કહું એક વાત;
ઝાઝો સંબંધિયોમાં સનેહ, નવ રાખવો અવિચળ એહ.61
પુષ્પિતાગ્રાવૃત્ત :-
સુણી હરિ મુખકેરી વાત એહ, સમીપ રહ્યો જયરામદાસ તેહ;
નિજજન ગણી નાથ એમ ધાર્યુ, નિજપ્રભુતાઇ જણાવવા વિચાર્યું.62
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિજયરામદાસ- પુરુષોત્તમપુરીપ્રતિગમનનામા અષ્ટમો વિશ્રામઃ ।।8।।