પૂર્વછાયો :-

શ્રીહરિ રહી સિરપુર વિષે, મતવાદીનું હર્યુ અભિમાન;

સિદ્ધવલ્લભ  ભૂપાળને,  તહાં  આપ્યું  પોતાનું  જ્ઞાન.1

ચોપાઈ :-

નદીતટ કર્યુંઆસન જઇને, બેઠા ધ્યાન ધરી સ્વસ્થ થૈને;

નદીમાં  આવ્યું  પાણીનું  પુર,  તોય  આસન  નવ  કર્યુ  દૂર.2

જન જાણે તે તો બુડી ગયા, પણ શ્રીહરિ અવિચળ રહ્યા;

હતો  સેવક  ગોપાળદાસ,  ટાળ્યો  તેહનો  અભિચારત્રાસ.3

ગજ  કાળપુરુષનું  દાન,  એક  વિપ્રે  લીધું  તેહ  સ્થાન;

હરિશરણે તે બ્રાહ્મણ આવ્યો, તેને પાપથી કૃષ્ણે મુકાવ્યો.4

રહ્યા  ત્યાં  હરિ  ચાતુરમાસ,  પછી  ત્યાં  થકી  કીધો  પ્રવાસ;

કેટલાએક  સિદ્ધ  ઉમંગે,  ચાલ્યા  શ્રીઘનશામને  સંગે.5

આવી  પર્વત  વન  તણી  ઝાડી,  રહે  તેમાં  અઘોરી  અનાડી;

તે  તો  માણસને  ખાઇ  જાય,  પણ  કૃષ્ણને  દેખી  પળાય.6

પછી  જઇ  પરશુરામકુંડ,  નાજાયા  નાથ  ને  સિદ્ધનું  ઝુંડ;

ત્યાંથી પૂર્વના વનમાં સિધાવ્યા, દેવી કામાક્ષી છે તહાં આવ્યા.7

તેની  પાસે  વસે  એક  ગામ,  તેના  બાગમાં  કીધો  વિરામ;

ગામમાં  એક  વિપ્ર  છે  વામી,  સર્વ  જાદુગરોનો  તે  સ્વામી.8

કૈક  જોગી  જતીને  હરાવ્યા,  કૈક  પંડિત  દ્વિજને  ડરાવ્યા;

તેનું  નામ  પ્રસિદ્ધ  પિબેક,  જેણે  જીતેલા  સિદ્ધ  અનેક.9

તેને શ્રીહરિએ જીતી લીધો, પછી શિષ્ય પોતા તણો કીધો;

સર્વે  સિદ્ધને  વીદાય  કરી,  ત્યાંથી  એકલા  ચાલિયા  હરી.10

નામે  નવલખો  પર્વત  જેહ,  હરિએ  દીઠો  દૂરથી  તેહ;

જેમાં  કળિયુગ  ન  કરે  પ્રવેશ,  એવો  એ  છે  પવિત્ર  પ્રદેશ.11

જેમાં  જોગી  વસે  નવ  લક્ષ,  કરે  ફળ  જળ  પત્રનો  ભક્ષ;

તપ  જ્ઞાન  ને  વૈરાગ્યવંત,  સત્યવાદી  સદાચારી  સંત.12

સદા  અષ્ટાંગજોગને  સાધે,  એક  ઇષ્ટ  શ્રીહરિને  આરાધે;

જ્ઞાનયજ્ઞ  કરે  સદાકાળ,  એમ  વીતિયો  કાળ  વિશાળ.13

કદી દર્શન હરિનું ન પામ્યા, તોય તપથી ન તેહ વિરામ્યા;

ધૂણી સળગે ત્યાં નવ લાખ લેખે, દિવ્યદષ્ટિવાળા જન દેખે.14

જોગી  સર્વે  એવું  મન  ધારે,  મળશે  પ્રભુ  આવીને  કયારે;

એવામાં  થઇ  આકાશવાણી,  લેજો  સર્વે  સિદ્ધો  તમે  જાણી.15

પુરુષોત્તમ  શ્રીપ્રભુ  જે  છે,  સદા  અક્ષરધામે  વસે  છે;

તેણે  ધાર્યો  ભૂતળ  અવતાર,  થયા  ભકિતધરમના  કુમાર.16

તે  તો  વર્ણી  તણો  વેષ  ધારી,  અહિં  આવે  છે  દેવ  મુરારી;

એવું સાંભળી સૌ સિદ્ધ હરખ્યા, ત્યાં તો દૂરથી કૃષ્ણને નિરખ્યા.17

ઉર  ઉપજયો  પ્રેમ  અપાર,  થયા  નવ  લક્ષ  મળવા  તૈયાર;

સૌનો દેખીને પ્રેમ અનૂપ, ધાર્યા હરિએ ત્યાં નવ લાખ રૂપ.18

એક કાળે તે સર્વને મળિયા, સિદ્ધ સૌના મનોરથ ફળિયા;

થઇ  એકરૂપે  મહારાજા,  એક  આસને  આવી  બિરાજયા.19

મનમોહન  મૂર્તિ  રૂપાળી,  સિદ્ધ  સર્વ  રહ્યા  સામું  ભાળી;

દીઠું  મૂર્તિમાં  અદભૂત  તેજ,  કોટિ  સૂર્યશશી  સમ  એ  જ.20

તેજ  વ્યાપિયું  બ્રહ્માંડ  પાર,  ગયું  અક્ષરધામ  મોઝાર;

સિદ્ધ  સર્વ  સમાધિસ્થ  થઇ,  જુએ  અક્ષરધામમાં  જઇ.21

સિંહાસન  ઉપરે  એહ  ઠામ,  તેજોમય  નિરખ્યા  ઘનશામ;

સ્તુતિ  મુકત  અનંત  ઉચારે,  સેવે  શકિત  હજારો  હજારે.22

કોટિ અજ હરિ હર થઇ દીન, સેવે શ્યામને થઇ આધીન;

ચારે  વેદ  ત્યાં  મૂરતિમાન,  કરે  શ્રીહરિના  ગુણગાન.23

સિદ્ધે જોયું સમાધિથી જાગી, દીઠા સન્મુખ શામ સુહાગી;

અતિ  આનંદ  અંતરે  ધારી,  સ્તુતિ  બે  કર  જોડી  ઉચારી.24

અષ્ટપદી :- જલધરસુંદર મદનમનોહરઃ એ રાગ છે

જય  જગકારણ  ભવજળતારણ  નરકનિવારણ  પરમપતી,

મુનિગણનાયક જનસુખદાયક સ્વજનસહાયક અકળગતી;

શિરસિ  જટાધર હરિણત્વચાધર સકળકળાધર અસુર અરી,

જય  જગદીશ્વર  મુકતમુનીશ્વર  ધૃતવરણીશ્વર  વેષ  હરી.25

શ્રુતિપથમંડન  કુપથવિખંડન  દુર્જનદંડન  દિવ્ય  સદા,

જનસુખકારક  દુરિતવિદારક  ભવજળતારક  પરમ  મુદા;

જય  કમળાયન  સકળસુખાયન  થાય  પળાયન    પાપ  ડરી,

જય  જગદીશ્વર  મુકતમુનીશ્વર  ધૃતવરણીશ્વર  વેષ  હરી.26

જય  કરુણાકર  વદનસુધાકર  ભુવનપ્રભાકર  ભીતિહરા,

નિજજન  અંતર  વાસ  નિરંતર  શ્યામ  સ્વતંતર  ધર્મધરા;

સદગુણમંદર  મુકતપુરંદર  સુખનિધિ  સુંદર  મૂર્તિ  ધરી,

જય  જગદીશ્વર  મુકતમુનીશ્વર  ધૃતવરણીશ્વર  વેષ  હરી.27

જય  વૃષબાળક  પ્રિયજનપાળક  પાપપ્રજાળક  આપ  પ્રભુ,

જય હરિનામક અવિચળ ધામક વિશ્વ નિયામક વરદ વિભુ;

જય  જનવલ્લભ  સ્વેચ્છિત  સુર્લભ  દર્શનદુર્લભ  યજ્ઞ  કરી,

જય  જગદીશ્વર  મુકતમુનીશ્વર  ધૃતવરણીશ્વર  વેષ  હરી.28

તવ કરુણાધન શ્રેષ્ઠસુસાધન અચળ અબાધન શાંતિ તણું,

જય  તપરક્ષક  જળફળભક્ષક  લે  સુખદક્ષક  દેખી  ઘણું;

મુનિમન ભાવન જનમનધાવન કૃતિમહિપાવન વન વિચરી,

જય  જગદીશ્વર  મુકતમુનીશ્વર  ધૃતવરણીશ્વર  વેષ  હરી.29

શેષસુરેશ્વર  ચંદ્રદિનેશ્વર  દેવમહેશ્વર  નિત્ય  ભજે,

દોષવિદારણ પ્રભુ તવ કારણ નૃપ હયવારણ – રાજય તજે;

વૃત્તિ  અખંડિત  તવ  પદમંડિત  એ  જ  સુપંડિત  ભૂ  ઉપરી,

જય  જગદીશ્વર  મુકતમુનીશ્વર  ધૃતવરણીશ્વર  વેષ  હરી.30

હે  ગરુડાસન  કરી  ખળશાસન  કળિબળનાશન  કાર્ય  કરો,

પૂર્ણપ્રભાનિધિ  વેદૠચાનિધિ  હે  કરુણાનિધિ  કષ્ટ  હરો;

પ્રભુધરણીધર  અમિત  મતિધર  સંતત  શ્રીધર  સિદ્ધિ  વરી,

જય  જગદીશ્વર  મુકતમુનીશ્વર  ધૃતવરણીશ્વર  વેષ  હરી.31

શુભમતિ સર્જન કુમતિ વિસર્જન ખળજન તર્જનકારી તમે,

હે  વૃષનંદન  કષ્ટનિકંદન  તવ  પદવંદનકારી  અમે;

જય  જગકારક  ગિરિવરધારક  અધમઉધારક  ખ્યાતિ  ખરી,

જય  જગદીશ્વર  મુકતમુનીશ્વર  ધૃતવરણીશ્વર  વેષ  હરી.32

દોહા :-

વાર વાર વર માગીએ, સ્તુતિ ઉચ્ચરી આ ઠામ;

અખંડ  અંતરમાં  રહો,  આ  છબિ  સુંદરશામ.33

તે  સુણતાં  ત્યાં  તો  થયા,  પ્રસન્ન  શ્રીભગવાન;

સૌ  સિદ્ધોને  આપિયું,  મનવાંછિત  વરદાન.34

વળી  તે  પર્વત  ઉપરે,  દીઠા  કુંડ  અનેક;

પ્રભુએ  સ્પર્શ  કરી  કર્યા,  પાવન  તે  પ્રત્યેક.35

ઉષ્ણોદક  કે  શીત  જળ,  કોઇ    વિષે  દેખાય;

કોઇ  કુંડથી  ઉછળતા,  પાવક  પવન  જણાય.36

તે  દેખી  ત્યાંથી  પછી,  ચાલ્યા  સુંદરશામ;

જોયો    તેની    તળેટીમાં,  કુંડ    બાલવા  નામ.37

પાવક  પાણી  પવનનો,  સમુહ  દીઠો  ત્યાંય;

તે  તીર્થે  ત્રણ  દિન  રહ્યા,  થઇ  રાજી  મનમાંય.38

પ્રભુજી  ત્યાંથી  પરવર્યા,  પવિત્ર  પાવકદીશ;

ગંગાસાગર  સંગમે,  જૈ  પહોંચ્યા  જગદીશ.39

વાલમ ત્યાં ત્રણ દિન વસી, વળતી કર્યો વિહાર;

કપિલ  મુનીને  જૈ  મળ્યા,  કપિલાશ્રમ  મોઝાર.40

પ્રેમ  સહિત  પૂજા  કરી,  કપિલ  મુનિએ  ત્યાંય;

જોયું  સ્થળ  એકાંતનું,  રીઝ્યા  હરિ  મનમાંય.41

પ્રભુ  બેઠા  પદ્માસને,  સ્વાત્માનું  ધરી  ધ્યાન;

સમાધિમાં ગત સપ્ત દિન, ભૂલ્યા જગનું ભાન.42

દેવો  દિલ  ચિંતા  કરે,  બેઠા  હરિ  ધરી  ધ્યાન;

કયારે  કરશે  નાશ  તે,  કળિયુગનું  તોફાન.43

વામી  ને  કામી  તણો,  અધરમ  વધ્યો  અપાર;

અસુર  તણા  ઉતપાતનો,  ભૂમિ  સહે  નહિ  ભાર.44

ભાર  સહે  નહિ  શેષ  પણ,  શ્વાસે  નિસરે  ઝાળ;

વારેવારે    વિશ્વમાં,    તેથી    પડે    દુકાળ.45

થાય   પાપના   ભારથી,   વારવાર   ભૂકંપ;

રાજા  કે  રૈયત  તણા,  જીવમાં  ન  મળે  જંપ.46

અધર્મ  દેખીને  કરે,  વૃષ્ટિ  અલ્પ  વરસાદ;

ગોરસમાંથી  રસ  ગયો,  ગયો  અન્નથી  સ્વાદ.47

પાષંડી  ગુરુ  શિષ્ય  સૌ,  કરે  વ્યસન  વ્યભિચાર;

સત્ય  ગયું  સંતાઇને,  વધ્યું  અસત્ય  અપાર.48

એ   પાપે   અકળાઇને,   કરવાને   પોકાર;

આવી  અવની  હરિ  કને,  ધારી  ધેનુ  આકાર.49

દીઠા  હરિને  ધ્યાનમાં,  ત્યારે  થઇ  ઉદાસ;

કષ્ટ  કહ્યું  પોતાતણું,  કપિલ  મુનિની  પાસ.50

સંકટ  ભૂનું  સાંભળ્યું,  કપિલ  મુનિએ  કાન;

કરી  સ્તુતિ  કર  જોડીને,  જગાડવા  ભગવાન.51

વસંતતિલકાવૃત્ત :-

હે   ધર્મલાલ   જનપાળ   કૃપાળ   જાગો, ભૂમિ  તણો  વિષમ  ભારઅપાર  ભાંગો;

આચારભ્રષ્ટ  કુળભ્રષ્ટ  જનો  થયા  છે, વૈરાગ્ય  જ્ઞાન  વસુધાતળથી    ગયા  છે.52

થાપો   સુધર્મ   અઘકર્મ   અધર્મ   ટાળી, દ્યો  જ્ઞાનદાન  ભગવાન  દયાથી  ભાળી;

લીધો  તમે  જનમ  છે  પ્રભુ  એ  જ  કાજ, બેઠા  સમાધિ  કરી  કેમ  નચિંત  આજ?53

મોટા  કહે  ઘડી  પછી  કૃત  જે  થવાનું, તે   કામને   વરસ   તો   સહજે   જવાનું;

આપ્યો  અગસ્ત  અવધિ  હજી  છે  અધૂરો, મોટાની  એક  ઘડી  તે  જુગ  થાય  પૂરો.54

પીડાય  સંત  વળી  સર્વ  સુરો  પિડાય, પૃથ્વી  પીડાય  મુખથી  અતિદુઃખ  ગાય;

પાષંડી    પુજી    નરકે    જનજૂથ    જાય, કયારે  પ્રભૂજી  પછીથી  કરશો  સહાય.55

જો  શેષનાગ  અતિભાર  થકી  મુંઝાશે, તો  પૃથ્વી  ત્યાગ  કરશે  જગનાશ  થાશે;

કેની    સહાય    કરશો    કરુણાનિધાન? બેઠા  અહીં  અચળ  થૈ  ધરી  આપ  ધ્યાન.56

સુકાય   કર્ષણ   પછી   જળવૃષ્ટિ   થાય, પ્રાણાંત  થાય  પછી  ઓસડના  ઉપાય;

જેવે  સમે  જરુર  તે  સમયે  ન  આવે, તે  વસ્તુ  વ્યર્થ  ગત  વિશ્વ  વિષે  કહાવે.57

ઇત્યાદિ  વાકય  સુણીને  જગદીશ  જાગ્યા, વાણી  મુખે  ઉચરવા  તતકાળ  લાગ્યા;

હું   તીર્થભૂમિ   વિચરી   મનમાં   ધરીશ, ભૂમિ  તણો  અધિક  ભાર  હવે  હરીશ.58

હું  જાણું  છું  જ  પુરુષોત્તમપુરી  જયાં  છે, પાષંડમંડન  તણાં  અતિ  ઝૂંડ  ત્યાં  છે;

તેઓ  વિષે  કલહ  પ્રેરિશ  હું  જ  જયારે, અન્યોન્ય  એથી  લડીને  મરશે  જ  ત્યારે.59

ઇત્યાદિ  વાકય  કહી  ધીરજ  ખૂબ  દીધી, પૃથ્વી  પ્રસન્ન  કરી  ત્યાંથી  વિદાય  કીધી;

રાજી   થયા   હૃદયમાં   સુર   નાગ   સર્વ, જાણ્યું  દિવાળીસમ  ઉત્તમ  આજ  પર્વ.60

પુષ્પિતાગ્રાવૃત્ત :-

કપિલમુનિ સમીપ એક માસ, નટવર નાથ રહ્યા કરી નિવાસ;

અતિ સુખ મુનિને પ્રભુજી આપ્યું, બહુ દિનકેરું વિજોગ કષ્ટ કાપ્યું.61

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-

કપિલાશ્રમગમનનામા સપ્તમો વિશ્રામઃ  ।।।7