પૂર્વછાયો :-

ભૂપ સુણો અભેસિંહજી, ચાલ્યા બુટોલથી બળવંત;

આવિયું એક અરણ્ય ત્યા, જેનો જોતાં જડે નહિ અંત.1

ચોપાઈ :-

ચાલ્યા તે વનમાં અવિનાશ, જનજાતિનો જયાં નહિ વાસ;

વસે  મૃગલાં  ને  સસલાં  શિયાળ,  વસે  વાઘ  વરુ  વિકરાળ.2

વસે  અજગર  અરણા  પાડા,  વસે  વાનર  કેરા  અખાડા;

વસે  હાથી  હજારો  હજાર,  પશુ  વનચરનો  નહિ  પાર.3

કયાંઇ ઝાડી દિસે ચારે પાસ, તેમાં ન પડે રવિનો પ્રકાશ;

આવે ક્ષારભૂમિ વળી કયાંય, નહિ ઝાડ કે તૃણ પણ ત્યાંય.4

ઊંચા  ડુંગર  કયાંઇક  દિસે,  કયાંઇ  કોતર  ઊંડાં  અતિશે;

કયાંઇ ભૂત ને પ્રેત ભમે છે, કયાંઇ રાક્ષસ રણમાં રમે છે.5

શિખરિણીવૃત્ત :-

જટાધારી   જાણી   પરવતસુતાવાહન   નમ્યા,

નિહાળીને  વજ્ર  પ્રભુપદ  ગજોને  મન  ગમ્યા;

ધનુર્ધારી  ધારી  નિરખી  કપિ  ભાલૂ  ખુશી  થયા,

દીઠો  હસ્તે  દંડો  મહિષ  યમ  જાણી  નમી  ગયા.6

ચોપાઈ :-

તપે  જયારે  સૂરજનો  તાપ,  ત્યારે  અવની  તપે  છે  અમાપ;

શશી શીતળ ચિહ્ન છે પગમાં, તેથી પગ ન તપે જ મારગમાં.7

એમ  ચાલતાં  તે  વનમાય,  કૈક  વીતિ  ગયા  દિન  ત્યાંય;

દીઠો  ત્યાં  વટવૃક્ષ  નિરોગી,  હતા  ત્યાં  એક  ગોપાળજોગી.8

તે  તો  અષ્ટાંગજોગને  સાધી,  પ્રભુ  સમરે  સજીને  સમાધી;

તેને  હરિએ  કહ્યું  ધરી  નેહ,  કરો  ત્યાગ  આ  ભૌતિક  દેહ.9

નિજજ્ઞાન  આપી  ઘનશામ,  પછી  મોકલ્યા  અક્ષરધામ;

પંચરત્નનો  ગોટકો  જેહ,  હતો  ગોપાળજોગીનો  તેહ.10

દેહ તજતાં પ્રભુને તે દીધો, હેત જાણીને હરિએ તે લીધો;

અંતે  તે  ગુટકો  મુનિનાથે,  સોપ્યોં  મુકતાનંદજીને  હાથે.11

વળી  તે  સ્વામીયે  પણ  નેટ,  રઘુવીરજીને  કર્યો  ભેટ;

કહે  વર્ણી  સુણો  નરરાજ,  તે  છે  વરતાલમાં  હજી  આજ.12

લખ્યો છે તેમાં ગીતાનો સાર, નિજ અક્ષરે જગતઆધાર;

કરી  ગોપાળજોગીનું  કામ,  પછી  ત્યાંથી  ચાલ્યા  ઘનશામ.13

ગયા પૂર્વદિશા માંહિ પોતે, વીત્યા વાસર બહુ વન જોતે;

આવ્યું તીરથ આદિવરાહ, એથી આનંદ ઉપજયો અથાહ.14

ત્રણ  વાસર  તે  સ્થળ  ઠરી,  તેહ  તીર્થને  પાવન  કરી;

ત્યાંથી ચાલિયા પૂર્વદિશામાં, જઇ નાજાયા તે મોદી ગંગામાં.15

ત્યાંથી ઊતર્યા બેસી ઝોલામા, પછી ચાલિયા પૂર્વ દિશામાં;

કેટલાક  દિવસ  વાટે  થયા,  પૂખરા  શહેરમાં  ત્યારે  ગયા.16

એ તો કહેવાય ઉત્તરકાશી, વસે જયાં બહુ વિદ્યા અભ્યાસી;

સેતીગંગા વહે છે ત્યાં સારી, તેમાં નાજાયા જઇ બ્રહ્મચારી.17

જોઇ વિદ્યાની શાળાઓ ઘણી, રીત ભાત  દીઠી તેહ તણી;

હતા  વેદપાઠી  સાક્ષાત,  તેને  વેદ  તણી  પૂછી  વાત.18

કોઇ  જયોતિષ  પિંગલ  જાણે,  પ્રશ્ન    પૂછિયા  તેહ  પ્રમાણે;

શબ્દશાસ્ત્ર  જાણે  કોઇ    ન્યાય,  તેને  તેવું  પૂછે  હરિરાય.19

જાણે  સર્વવિદ્યા  તણો  સાર,  લોક  અચરજ  પામ્યા  અપાર;

લોકો  પૂછે  છે  વર્ણીનું  નામ,  વર્ણી  નામ  કહે  ઘનશામ.20

કરે  વાત  સરવ  નરનારી,  એક  આવ્યા  બટુક  બ્રહ્મચારી;

એની  ઉમ્મર  છોટી  છે  છેક,  પણ  જાણે  છે  શાસ્ત્ર  અનેક.21

શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-

વિદ્યા વેદ તણી ઘણી ભણી ભલી પ્રત્યક્ષ બ્રહ્મા દિસે,

વિદ્યા ખાણ પુરાણ જાણ સરવે શું વ્યાસ પોતે હશે;

દીસે દેવગુરૂ જ એ જ સઘળી વિદ્યા તણા ધામ છે,

શંભુ  સત્ય  સુયોગશાસ્ત્ર  વિષયે  વર્ણી  ઘનશ્યામ  છે.22

ઉપજાતિવૃત્ત :-

શિવાલયે કૃષ્ણ કર્યો નિવાસ, આવ્યો તહાં પંડિત એક પાસ;

શ્રીશ્યામને શંકર ચિત્ત લાવી, સુકાવ્ય એકે સ્તુતિ સંભળાવી.23

દ્વિઅર્થી :-

જટા  તથા  ચંદ્રક  ચારુ  ધારી,  કામારિ  યોગાષ્ટકસિદ્ધકારી;

સદા દિસે છે વૃષ આપ સાથ, નમું નમું શ્રીનિલકંઠ નાથ.24

ચોપાઈ :-

સ્તુતિ  સાંભળીને  મહારાજ,  કર્યું તેના  કલ્યાણનું  કાજ;

પછી પૂરવ દિશામાં સિધાવ્યા, ગંગા નારાયણી તટ આવ્યા.25

વળી વાટ પૂરવ દીશે  લીધી, ભૂરી ગંગાની જૈ ભેટ કીધી;

ત્યાંથી  ત્રિશૂલી  ગંગાયે  ગયા,  દેખી  તીર્થદેવો  રાજી  થયા.26

એમ તીર્થો વિષે કરી સ્નાન, ચાલ્યા આગળ શ્રીભગવાન;

મળી ખાખીની રસ્તે જમાત, તેના ભેળા ચાલ્યા નરભ્રાત. 27

જતાં સાંભળી ત્યાં એવી પેર, આંહિ આડું આવે એક શહેર;

ત્યાંના  ભૂપનું  પેટ  પીડાય,  તે  તો  નવ  મટે  કરતાં  ઉપાય.28

કોઇ  આવી  ચડે  ભેખધારી,  તેની  સેવા  સજે  ઘણી  સારી;

પછી  કહે  છે  કરી  સનમાન,  વસે  ભેખમાં  શ્રીભગવાન.29

માટે રોગ મટાડો આ મારો, કાં તો બંધીખાનામાં પધારો;

પૂર્યા  કેદમાં  પાંચસે  બાવા,  નથી  દેતો  તે  તેઓને  જાવા.30

એવું સાંભળીને સઉ ખાખી, બોલ્યા ભૂપતિનો  ભય રાખી;

એવા શહેર વિષે શીદ જૈયે ? મોત શા માટે માગીને લૈયે ?31

આશા  જીવ્યાની  હોય  જરૂર,  તો  તે  શહેર  તજી  દૈયે  દૂર;

હતો  ઉપરી  જમાતનો  જેહ,  ઘનશામશું  રાખતો  સ્નેહ.32

વૃષલાલનાં  લક્ષણ  જોઇ,  તે  તો  જાણતો  છે  સિદ્ધ  કોઇ;

માટે  પૂછી  શ્રીહરિને  વાત,  ત્યારે  બોલ્યા  પ્રભુ  સાક્ષાત.33

ત્યાગીના ધર્મ વિષે :- ઉપજાતિવૃત્ત :-

જે મોત જાણી ડરી જાય યોગી, જોગી નહીં ભૂતળ તેહ ભોગી;

જે દેહને તો તૃણતુલ્ય જાણે, તે મોતનો ત્રાસ ઉરે ન આણે.34

દુઃખે ડરે તો ઘર શીદ છાંડે, જોગી મરે તો નહિ રાંડ રાંડે;

જેને  મરીને  હરિધામ  જાવું,  તેને  નહીં  મોત  થકી  મુંઝાવું.35

જયાં ખાન ને પાન મળે વિશેષ, જોગી રહે જો જઇ તે પ્રદેશ;

તો વાસના તેની નથી જવાની, અંતે વળી મુકિત નથી થવાની.36

સંસાર છોડ્યો તપ કાજ જેણે, ન ઇચ્છવું દૈહિક સુખ તેણે;

વસ્તુ હરે કે અપમાન થાય, જોગી તણી કીંમત ત્યાં જણાય.37

રામા તથા દ્રવ્ય રસાસવાદ, તેથી ભૂંડો માન વડો વિષાદ;

માને ઘણા પંડિત પ્રૌઢ માર્યા, જોગી જનોને વનમાં વિદાર્યા.38

જો આપણું ત્યાં અપમાન થાશે, તો આપણું શું જર જોખમાશે;

જો આપણા તે તનને તજાવે, તથાપિ આત્મા નહી હાથ આવે.39

માટે સિધો મારગ શીદ મેલો, ચાલો તહાં ત્રાસ નથી રહેલો;

થવાનું જે નિર્મિત તેજ થાશે, જવાનું તે જત્ન કરેય જાશે.40

પૂર્વછાયો :-

સાંભળી વાત શ્રીહરિ તણી, મન હિંમત આણી મહાંત;

શામને જાણ્યા સમર્થ છે, તેથી ભાસી નહી મનભ્રાંત.41

સર્વ જમાત તે સંચરી, જયાં છે સુંદર શહેર વિશાળ;

વાટે  મળે  જન  તે  કહે,  કેમ  આવ્યો  તમારો  કાળ.42

કેદ  કર્યા  છે  કૈકને,  કેદ  કરશે  તમને  રાય;

મોતના મુખમાં જાઓ છો, તેનું કારણ શું કહેવાય ?43

એવું  સુણી  સૌ  ખાખિયો,  રાખે  મહાંતનો  વિશ્ચાસ;

મહાંત  રાખે  હરિ  તણો,  તેથી  તેને  ન  લાગ્યો  ત્રાસ.44

શહેરમાં  તે  સૌ  ગયા,  રાયે  જાણ્યું  જે  આવી  જમાત;

સારો ઉતારો આપિયો, દીધાં ભોજન તે ભલી ભાત.45

રાયે  છડીદાર  મોકલ્યો,  મુખ્ય  ખાખીને  તેડવા  કાજ;

પછી  ગયા  દરબારમાં,  મળી  મહાંત  ને  મહારાજ.46

આસન  આપ્યાં  બેસવા,  ભૂપ  નમ્યો  કરી  સનમાન;

પછી  કહ્યું  કર  જોડીને,  હોય  ભેખ  વિષે  ભગવાન.47

માટે  દરદ  મારું  હરો,  નહિ  હરો  તો  કેદ  કરીશ;

પુર્યા છે બહુ ભેખધારિયો, અંતે સર્વના પ્રાણ હરીશ.48

સુણી  બોલ્યા  ઘનશામજી,  રાય  હઠ  ન  કરીએ  એમ;

નિયમ   બાંધ્યા   ઈશ્વરે,તે   કહો   મટાડે   કેમ?49

કર્મફળ વિષે :- ઉપજાતિવૃત્ત :-

જે કર્મ તો પૂર્વભવે કર્યુંછે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યુ છે;

અભકત કે ભકત ભલે ગણાય, કર્મ પ્રમાણે  સુખ દુઃખ થાય.50

ભકિત કર્યે કષ્ટ હરિ ઘટાડે, શૂળી લખી સોય વડે મટાડે;

હઠે કરી જે પ્રભુપાસ માંગે, તેનું કદી કષ્ટ પ્રભુ ન ભાંગે.51

ત્રાગું કર્યાથી નહિ તેહ આવે, ડરે નહીં તે જન જો ડરાવે;

પોતે  મરે  કે  પરને  વિદારે,  હરિ  ન  તેથી  દુઃખથી  ઉગારે.52

જો આત્મહત્યા કરી કાંઇ માંગે, કે સંતને સંકટ દેણ લાગે;

તેથી  હરિ  સંકટ  જો  હરે  જ,  કરે  જનો  સર્વ  ઉપાય  એ  જ.53

હરિ સમીપે છરી કંઠ ઘાલે, હરિ કદાપી નહિ હાથ ઝાલે;

નથી બીતો તે કદી બીવરાવ્યે, નથી બીતો તે અપકીર્તિ આવ્યે.54

તથાપિ જે હું કહું તે પ્રમાણો, સ્વતંત્ર છે ઈશ્વર એમ જાણો;

કરે કર્યાનું ન કર્યાનું કામ, સ્વેચ્છા થકી તે કદી કોઇ ઠામ.55

એવું કહીને જળ ત્યાં મગાવ્યુ, સ્પર્શે પ્રસાદી કરી પીવરાવ્યું;

રાજાતણું કષ્ટ ગયું કપાઇ, તે વર્ણીની જાણી ઘણી વડાઇ.56

તેડ્યા હતા વૈદ્ય વિદેશી દેશી, રહ્યા હતા સર્વ ઉદાસી બેસી;

વિપ્રે અનુષ્ઠાન કર્યા વિશેષ, કોઇ થકી રોગ ટળ્યો ન લેશ.57

જોગી જતીથી ન મટ્યો જ જેહ, કૃષ્ણે મટાડ્યો ઝટ રોગ તેહ;

રાજા સ્વચિત્તે અતિ હર્ષ લાવ્યો, જાણે નવે હું અવતાર આવ્યો.58

જીવ્યાની આશા ન હતી જ લેશ, એવો હતો રોગ વડો વિશેષ;

તે રોગ કૃષ્ણે પળમાં નિવાર્યો, રાયે મહિમા અતિ ચિત્ત ધાર્યો.59

રાજા કહે બોલ નહી ઉથાપું, માગો મુખે તે ધન આદિ આપું;

દીધું  તમે  જીવન  વર્ણિરાય,  તેનો  નહી  મેં  બદલો  વળાય.60

બોલ્યા વિચારી વર્ણીન્દ્ર ત્યારે, ધનાદિ કાંઇ ન ખપે અમારે;

જે કેદ કીધા બહુ ભેખધારી, છોડી મૂકો એ જ રુચી અમારી.61

એવું સુણી ભૂપ પ્રસન્ન થૈને, છોડી મુકયા ભેખ સુમાન દૈને;

પૂજા કરી વર્ણી મહાંત કેરી, વળી ઉચારી વિનતિ ઘણેરી.62

ભૂપાળને શ્રીહરિ શિષ્ય કીધો, સુજ્ઞાન દૈ વૈષ્ણવમંત્ર દીધો;

રાયે  કહ્યું  આંહિ  કરો  નિવાસ,  કહે  પ્રભુજી  કરશું  પ્રવાસ.63

રાજા કહે છો સુકુમાર દેહ, તે માટ આપું સુખપાલ એહ;

વર્ણી કહે મેં વ્રત લીધું આવું, જે તીર્થજાત્રા પગ ચાલી જાવું.64

પુષ્પિતાગ્રાવૃત્ત :-

પછી હરિવર ગુપ્ત ત્યાંથી ચાલ્યા, વન નગ વાટ વિષે વળી મહાલ્યા;

બહુ દિન ગત બંગદેશ આવ્યો, સિરપુર માંહિ મુકામ જૈ ઠરાવ્યો.65

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-

બંગદેશે સિરપુરગમનનામા ષષ્ઠો વિશ્રામઃ ।।6।।