પૂર્વછાયો :-
ભૂપ સુણો અભેસિંહજી, ચાલ્યા બુટોલથી બળવંત;
આવિયું એક અરણ્ય ત્યા, જેનો જોતાં જડે નહિ અંત.1
ચોપાઈ :-
ચાલ્યા તે વનમાં અવિનાશ, જનજાતિનો જયાં નહિ વાસ;
વસે મૃગલાં ને સસલાં શિયાળ, વસે વાઘ વરુ વિકરાળ.2
વસે અજગર અરણા પાડા, વસે વાનર કેરા અખાડા;
વસે હાથી હજારો હજાર, પશુ વનચરનો નહિ પાર.3
કયાંઇ ઝાડી દિસે ચારે પાસ, તેમાં ન પડે રવિનો પ્રકાશ;
આવે ક્ષારભૂમિ વળી કયાંય, નહિ ઝાડ કે તૃણ પણ ત્યાંય.4
ઊંચા ડુંગર કયાંઇક દિસે, કયાંઇ કોતર ઊંડાં અતિશે;
કયાંઇ ભૂત ને પ્રેત ભમે છે, કયાંઇ રાક્ષસ રણમાં રમે છે.5
શિખરિણીવૃત્ત :-
જટાધારી જાણી પરવતસુતાવાહન નમ્યા,
નિહાળીને વજ્ર પ્રભુપદ ગજોને મન ગમ્યા;
ધનુર્ધારી ધારી નિરખી કપિ ભાલૂ ખુશી થયા,
દીઠો હસ્તે દંડો મહિષ યમ જાણી નમી ગયા.6
ચોપાઈ :-
તપે જયારે સૂરજનો તાપ, ત્યારે અવની તપે છે અમાપ;
શશી શીતળ ચિહ્ન છે પગમાં, તેથી પગ ન તપે જ મારગમાં.7
એમ ચાલતાં તે વનમાય, કૈક વીતિ ગયા દિન ત્યાંય;
દીઠો ત્યાં વટવૃક્ષ નિરોગી, હતા ત્યાં એક ગોપાળજોગી.8
તે તો અષ્ટાંગજોગને સાધી, પ્રભુ સમરે સજીને સમાધી;
તેને હરિએ કહ્યું ધરી નેહ, કરો ત્યાગ આ ભૌતિક દેહ.9
નિજજ્ઞાન આપી ઘનશામ, પછી મોકલ્યા અક્ષરધામ;
પંચરત્નનો ગોટકો જેહ, હતો ગોપાળજોગીનો તેહ.10
દેહ તજતાં પ્રભુને તે દીધો, હેત જાણીને હરિએ તે લીધો;
અંતે તે ગુટકો મુનિનાથે, સોપ્યોં મુકતાનંદજીને હાથે.11
વળી તે સ્વામીયે પણ નેટ, રઘુવીરજીને કર્યો ભેટ;
કહે વર્ણી સુણો નરરાજ, તે છે વરતાલમાં હજી આજ.12
લખ્યો છે તેમાં ગીતાનો સાર, નિજ અક્ષરે જગતઆધાર;
કરી ગોપાળજોગીનું કામ, પછી ત્યાંથી ચાલ્યા ઘનશામ.13
ગયા પૂર્વદિશા માંહિ પોતે, વીત્યા વાસર બહુ વન જોતે;
આવ્યું તીરથ આદિવરાહ, એથી આનંદ ઉપજયો અથાહ.14
ત્રણ વાસર તે સ્થળ ઠરી, તેહ તીર્થને પાવન કરી;
ત્યાંથી ચાલિયા પૂર્વદિશામાં, જઇ નાજાયા તે મોદી ગંગામાં.15
ત્યાંથી ઊતર્યા બેસી ઝોલામા, પછી ચાલિયા પૂર્વ દિશામાં;
કેટલાક દિવસ વાટે થયા, પૂખરા શહેરમાં ત્યારે ગયા.16
એ તો કહેવાય ઉત્તરકાશી, વસે જયાં બહુ વિદ્યા અભ્યાસી;
સેતીગંગા વહે છે ત્યાં સારી, તેમાં નાજાયા જઇ બ્રહ્મચારી.17
જોઇ વિદ્યાની શાળાઓ ઘણી, રીત ભાત દીઠી તેહ તણી;
હતા વેદપાઠી સાક્ષાત, તેને વેદ તણી પૂછી વાત.18
કોઇ જયોતિષ પિંગલ જાણે, પ્રશ્ન પૂછિયા તેહ પ્રમાણે;
શબ્દશાસ્ત્ર જાણે કોઇ ન્યાય, તેને તેવું પૂછે હરિરાય.19
જાણે સર્વવિદ્યા તણો સાર, લોક અચરજ પામ્યા અપાર;
લોકો પૂછે છે વર્ણીનું નામ, વર્ણી નામ કહે ઘનશામ.20
કરે વાત સરવ નરનારી, એક આવ્યા બટુક બ્રહ્મચારી;
એની ઉમ્મર છોટી છે છેક, પણ જાણે છે શાસ્ત્ર અનેક.21
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
વિદ્યા વેદ તણી ઘણી ભણી ભલી પ્રત્યક્ષ બ્રહ્મા દિસે,
વિદ્યા ખાણ પુરાણ જાણ સરવે શું વ્યાસ પોતે હશે;
દીસે દેવગુરૂ જ એ જ સઘળી વિદ્યા તણા ધામ છે,
શંભુ સત્ય સુયોગશાસ્ત્ર વિષયે વર્ણી ઘનશ્યામ છે.22
ઉપજાતિવૃત્ત :-
શિવાલયે કૃષ્ણ કર્યો નિવાસ, આવ્યો તહાં પંડિત એક પાસ;
શ્રીશ્યામને શંકર ચિત્ત લાવી, સુકાવ્ય એકે સ્તુતિ સંભળાવી.23
દ્વિઅર્થી :-
જટા તથા ચંદ્રક ચારુ ધારી, કામારિ યોગાષ્ટકસિદ્ધકારી;
સદા દિસે છે વૃષ આપ સાથ, નમું નમું શ્રીનિલકંઠ નાથ.24
ચોપાઈ :-
સ્તુતિ સાંભળીને મહારાજ, કર્યું તેના કલ્યાણનું કાજ;
પછી પૂરવ દિશામાં સિધાવ્યા, ગંગા નારાયણી તટ આવ્યા.25
વળી વાટ પૂરવ દીશે લીધી, ભૂરી ગંગાની જૈ ભેટ કીધી;
ત્યાંથી ત્રિશૂલી ગંગાયે ગયા, દેખી તીર્થદેવો રાજી થયા.26
એમ તીર્થો વિષે કરી સ્નાન, ચાલ્યા આગળ શ્રીભગવાન;
મળી ખાખીની રસ્તે જમાત, તેના ભેળા ચાલ્યા નરભ્રાત. 27
જતાં સાંભળી ત્યાં એવી પેર, આંહિ આડું આવે એક શહેર;
ત્યાંના ભૂપનું પેટ પીડાય, તે તો નવ મટે કરતાં ઉપાય.28
કોઇ આવી ચડે ભેખધારી, તેની સેવા સજે ઘણી સારી;
પછી કહે છે કરી સનમાન, વસે ભેખમાં શ્રીભગવાન.29
માટે રોગ મટાડો આ મારો, કાં તો બંધીખાનામાં પધારો;
પૂર્યા કેદમાં પાંચસે બાવા, નથી દેતો તે તેઓને જાવા.30
એવું સાંભળીને સઉ ખાખી, બોલ્યા ભૂપતિનો ભય રાખી;
એવા શહેર વિષે શીદ જૈયે ? મોત શા માટે માગીને લૈયે ?31
આશા જીવ્યાની હોય જરૂર, તો તે શહેર તજી દૈયે દૂર;
હતો ઉપરી જમાતનો જેહ, ઘનશામશું રાખતો સ્નેહ.32
વૃષલાલનાં લક્ષણ જોઇ, તે તો જાણતો છે સિદ્ધ કોઇ;
માટે પૂછી શ્રીહરિને વાત, ત્યારે બોલ્યા પ્રભુ સાક્ષાત.33
ત્યાગીના ધર્મ વિષે :- ઉપજાતિવૃત્ત :-
જે મોત જાણી ડરી જાય યોગી, જોગી નહીં ભૂતળ તેહ ભોગી;
જે દેહને તો તૃણતુલ્ય જાણે, તે મોતનો ત્રાસ ઉરે ન આણે.34
દુઃખે ડરે તો ઘર શીદ છાંડે, જોગી મરે તો નહિ રાંડ રાંડે;
જેને મરીને હરિધામ જાવું, તેને નહીં મોત થકી મુંઝાવું.35
જયાં ખાન ને પાન મળે વિશેષ, જોગી રહે જો જઇ તે પ્રદેશ;
તો વાસના તેની નથી જવાની, અંતે વળી મુકિત નથી થવાની.36
સંસાર છોડ્યો તપ કાજ જેણે, ન ઇચ્છવું દૈહિક સુખ તેણે;
વસ્તુ હરે કે અપમાન થાય, જોગી તણી કીંમત ત્યાં જણાય.37
રામા તથા દ્રવ્ય રસાસવાદ, તેથી ભૂંડો માન વડો વિષાદ;
માને ઘણા પંડિત પ્રૌઢ માર્યા, જોગી જનોને વનમાં વિદાર્યા.38
જો આપણું ત્યાં અપમાન થાશે, તો આપણું શું જર જોખમાશે;
જો આપણા તે તનને તજાવે, તથાપિ આત્મા નહી હાથ આવે.39
માટે સિધો મારગ શીદ મેલો, ચાલો તહાં ત્રાસ નથી રહેલો;
થવાનું જે નિર્મિત તેજ થાશે, જવાનું તે જત્ન કરેય જાશે.40
પૂર્વછાયો :-
સાંભળી વાત શ્રીહરિ તણી, મન હિંમત આણી મહાંત;
શામને જાણ્યા સમર્થ છે, તેથી ભાસી નહી મનભ્રાંત.41
સર્વ જમાત તે સંચરી, જયાં છે સુંદર શહેર વિશાળ;
વાટે મળે જન તે કહે, કેમ આવ્યો તમારો કાળ.42
કેદ કર્યા છે કૈકને, કેદ કરશે તમને રાય;
મોતના મુખમાં જાઓ છો, તેનું કારણ શું કહેવાય ?43
એવું સુણી સૌ ખાખિયો, રાખે મહાંતનો વિશ્ચાસ;
મહાંત રાખે હરિ તણો, તેથી તેને ન લાગ્યો ત્રાસ.44
શહેરમાં તે સૌ ગયા, રાયે જાણ્યું જે આવી જમાત;
સારો ઉતારો આપિયો, દીધાં ભોજન તે ભલી ભાત.45
રાયે છડીદાર મોકલ્યો, મુખ્ય ખાખીને તેડવા કાજ;
પછી ગયા દરબારમાં, મળી મહાંત ને મહારાજ.46
આસન આપ્યાં બેસવા, ભૂપ નમ્યો કરી સનમાન;
પછી કહ્યું કર જોડીને, હોય ભેખ વિષે ભગવાન.47
માટે દરદ મારું હરો, નહિ હરો તો કેદ કરીશ;
પુર્યા છે બહુ ભેખધારિયો, અંતે સર્વના પ્રાણ હરીશ.48
સુણી બોલ્યા ઘનશામજી, રાય હઠ ન કરીએ એમ;
નિયમ બાંધ્યા ઈશ્વરે,તે કહો મટાડે કેમ?49
કર્મફળ વિષે :- ઉપજાતિવૃત્ત :-
જે કર્મ તો પૂર્વભવે કર્યુંછે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યુ છે;
અભકત કે ભકત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય.50
ભકિત કર્યે કષ્ટ હરિ ઘટાડે, શૂળી લખી સોય વડે મટાડે;
હઠે કરી જે પ્રભુપાસ માંગે, તેનું કદી કષ્ટ પ્રભુ ન ભાંગે.51
ત્રાગું કર્યાથી નહિ તેહ આવે, ડરે નહીં તે જન જો ડરાવે;
પોતે મરે કે પરને વિદારે, હરિ ન તેથી દુઃખથી ઉગારે.52
જો આત્મહત્યા કરી કાંઇ માંગે, કે સંતને સંકટ દેણ લાગે;
તેથી હરિ સંકટ જો હરે જ, કરે જનો સર્વ ઉપાય એ જ.53
હરિ સમીપે છરી કંઠ ઘાલે, હરિ કદાપી નહિ હાથ ઝાલે;
નથી બીતો તે કદી બીવરાવ્યે, નથી બીતો તે અપકીર્તિ આવ્યે.54
તથાપિ જે હું કહું તે પ્રમાણો, સ્વતંત્ર છે ઈશ્વર એમ જાણો;
કરે કર્યાનું ન કર્યાનું કામ, સ્વેચ્છા થકી તે કદી કોઇ ઠામ.55
એવું કહીને જળ ત્યાં મગાવ્યુ, સ્પર્શે પ્રસાદી કરી પીવરાવ્યું;
રાજાતણું કષ્ટ ગયું કપાઇ, તે વર્ણીની જાણી ઘણી વડાઇ.56
તેડ્યા હતા વૈદ્ય વિદેશી દેશી, રહ્યા હતા સર્વ ઉદાસી બેસી;
વિપ્રે અનુષ્ઠાન કર્યા વિશેષ, કોઇ થકી રોગ ટળ્યો ન લેશ.57
જોગી જતીથી ન મટ્યો જ જેહ, કૃષ્ણે મટાડ્યો ઝટ રોગ તેહ;
રાજા સ્વચિત્તે અતિ હર્ષ લાવ્યો, જાણે નવે હું અવતાર આવ્યો.58
જીવ્યાની આશા ન હતી જ લેશ, એવો હતો રોગ વડો વિશેષ;
તે રોગ કૃષ્ણે પળમાં નિવાર્યો, રાયે મહિમા અતિ ચિત્ત ધાર્યો.59
રાજા કહે બોલ નહી ઉથાપું, માગો મુખે તે ધન આદિ આપું;
દીધું તમે જીવન વર્ણિરાય, તેનો નહી મેં બદલો વળાય.60
બોલ્યા વિચારી વર્ણીન્દ્ર ત્યારે, ધનાદિ કાંઇ ન ખપે અમારે;
જે કેદ કીધા બહુ ભેખધારી, છોડી મૂકો એ જ રુચી અમારી.61
એવું સુણી ભૂપ પ્રસન્ન થૈને, છોડી મુકયા ભેખ સુમાન દૈને;
પૂજા કરી વર્ણી મહાંત કેરી, વળી ઉચારી વિનતિ ઘણેરી.62
ભૂપાળને શ્રીહરિ શિષ્ય કીધો, સુજ્ઞાન દૈ વૈષ્ણવમંત્ર દીધો;
રાયે કહ્યું આંહિ કરો નિવાસ, કહે પ્રભુજી કરશું પ્રવાસ.63
રાજા કહે છો સુકુમાર દેહ, તે માટ આપું સુખપાલ એહ;
વર્ણી કહે મેં વ્રત લીધું આવું, જે તીર્થજાત્રા પગ ચાલી જાવું.64
પુષ્પિતાગ્રાવૃત્ત :-
પછી હરિવર ગુપ્ત ત્યાંથી ચાલ્યા, વન નગ વાટ વિષે વળી મહાલ્યા;
બહુ દિન ગત બંગદેશ આવ્યો, સિરપુર માંહિ મુકામ જૈ ઠરાવ્યો.65
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-
બંગદેશે સિરપુરગમનનામા ષષ્ઠો વિશ્રામઃ ।।6।।