પૂર્વછાયો :-
ભૂપ અભેસિંહ સાંભળો, કહું હરિ ચરિત્રની વાત;
મહાપ્રભુ મહાહૃદ થકી, પછી ચાલ્યા ઉઠીને પ્રભાત.1
ચોપાઈ :-
હૃદકાંઠે ચાલ્યા દિનરાત, મળી ત્યારે જોગીની જમાત;
શત પાંચ દિગંબર દિસે, ગુરુ એક મોટો તેહ વિષે.2
તેણે સાધેલો જોગ કહાવે, સર્વ શિષ્યોને જોગ સધાવે;
એક શિષ્યે કહી એવી વાત, ગુરુ સિદ્ધ છે આ સાક્ષાત.3
એણે સિદ્ધ કર્યો હઠજોગ,માટે નવ નડે કાળ કે રોગ;
જયારે કાળ લેવા તેને આવે, બ્રહ્મરંધ્રે તે પ્રાણ ચડાવે.4
તેથી કાળ ન ફાવે લગાર, થયાં જોગીને વર્ષ હજાર;
મળ્યા જોગીને શ્રીઘનશામ, પાંચ દિવસ ઠર્યા તેહ ઠામ.5
એક દિવસ તે બોલ્યા જોગીશ, ગામ છે અહિંથી કોશ વીશ;
ત્યાંનો રાજા મહાસિદ્ધ જે છે, મોટો શિષ્ય અમારો જ એ છે.6
હઠજોગ તો સાધ્યો છે એણે, નથી રાખી કચાશ જ તેણે;
ક્રિયા જે જે કરું છું હું અત્ર, તે તો જાણે રાજા રહ્યો તત્ર.7
ક્રિયા જે જે કરે છે તે રાય, અહિં બેઠાં મને તે દેખાય;
મળ્યા આપણે બે સાક્ષાત, તે તો રાજાએ જાણી છે વાત.8
માટે નિર્ખવા મૂર્તિ તમારી, નૃપ આવે છે સજી અસવારી;
ત્યારે પૂછે પોતે હરિરાય, તમે કોણ ને વિચરો છો કયાંય ?9
સિદ્ધ બોલ્યો ત્યારે શિર નામી, તમે જાણો છો અંતરજામી;
તોય પૂછો છો નરતનું ધારી, માટે હું કહું વાત અમારી.10
આ છે હિમગિરિ તટનો પ્રદેશ, કોઇ જનનો ન થાય પ્રવેશ;
આંહિં આવ્યાજાતા અર્જુન આપે, તે તો પૂરણ કૃષ્ણ પ્રતાપે.11
થોડાં છે અહિં નગરને ગામ, વસે વસ્તી પવિત્ર તમામ;
યોગભ્રષ્ટ હોય જન જેહ, આંહિં જન્મ ધરે આવી તેહ.12
અહિં જોગ સાધી સિદ્ધ થાય, શ્વેતદ્વીપ આદિકમાં જાય;
દુરવાસાના શિષ્ય અનેક, યોગભ્રષ્ટ રહ્યા અમે છેક.13
તેથી આંહિ ધર્યા અવતાર, અમે સાધીએ યોગ આ ઠાર;
દીધું છે ૠષિએ વરદાન, મળ્યા તેથી તમે ભગવાન.14
હવે પામીએ અક્ષરધામ, કરો એવું તમે ઘનશામ;
એમ કરતાં થઇ થોડી વાર, ત્યાં તો આવ્યો રાજા તેહ ઠાર.15
તેણે નખશિખ હરિને નિહાળ્યા, સોળ ચિહ્ન તે ચરણમાં ભાળ્યાં;
દીઠું છાતીમાં શ્રીવત્સ ચિહ્ન, એમ મૂર્તિ જોઇ અવિછિન્ન.16
ગુરુશિષ્યે કરીને વિચાર, જાણ્યા પુરુષોત્તમ નિરધાર;
કીધી પૂજા ઘણી પ્રેમ ધારી, સ્તુતિ સ્નેહસમેત ઉચ્ચારી.17
દીક્ષા વૈષ્ણવી વર્ણીએ દીધી, તે તો સમજીને સૌ જને લીધી;
કહે કૃષ્ણ સુણો જન સર્વ, હઠજોગનો ધરશો ન ગર્વ.18
પ્રાણ રૂંધી સમાધિમાં જાય, હઠજોગ તેને કહેવાય;
પ્રાણ રુંધ્યા વિના ધરી ધ્યાન, જન પ્રેમી પ્રેમાતૂરવાન.19
હરિમૂર્તિ સમાધિમાં દેખે, રાજજોગ તેને મુનિ લેખે;
એ તો ઉત્તમ જોગ છે જાણો, હઠજોગથી અધિક વખાણો.20
વળી વર્ણીએ વાણી ઉચારી, ધરો ધ્યાનમાં મૂર્તિ અમારી;
થોડાં વર્ષમાં તન પરહરશો, સતસંગમાં અવતાર ધરશો.21
થશો કોઇ ગૃહસ્થ કે ત્યાગી, મારા ચરણ વિષે અનુરાગી;
પછી પામશો અક્ષરધામ, થશો સૌ તમે પૂરણકામ.22
સુણી હરખ્યા જોગી અને રાય, પછી ભૂપ બોલ્યો નમી પાય;
મારા નગરમાં નાથ પધારો, વસ્તી સર્વનો હર્ષ વધારો.23
સુણી એવું બોલ્યા ઘનશામ, મારે કરવાનાં છે ઘણાં કામ;
જયાં ત્યાં એમ રોકાઉં હું જયારે, કામ સર્વ પુરાં થાય કયારે ?24
એમ કહી હરિ ત્યાંથી સિધાવ્યા, જતાં કોઇની નજરે ન આવ્યા;
થયા સર્વ વિજોગે ઉદાસી, પણ ઇચ્છા પ્રભુની તપાસી.25
ધરીને ઉર મૂર્તિનું ધ્યાન, ગયા પોતપોતાતણે સ્થાન;
હરિ ચાલ્યા ગિરિ વન જોતા, પુલહાશ્રમમાં આવી પોજાતા.26
નદી ગંડકી ચક્રઆકાર, નાજાયા ત્યાં જઇ જગતઆધાર;
મુકતનાથનું દર્શન કીધું, પછી તપ કરવા વ્રત લીધું.27
દીધું છે યુગને વરદાન, ભારે તપ આચર્યુ ભગવાન;
ત્યારે ત્યાંના નિવાસિયો જેહ, તપ કરવા લાગ્યા સહુ તેહ.28
સતયુગનો ધરમ એમ ધાર્યો, તપનો ઘણો મહિમા વધાર્યો;
તપે રીઝિયા સૂરજ દેવ, આવ્યા પ્રત્યક્ષ ત્યાં તતખેવ.29
સ્તુતિ ધર્મકુંવર તણી કરી, નિજધામ ગયા રવિ ફરી;
પછી ચાલિયા ત્યાંથી દયાળ, ત્યાં તો આવિયો દેશ નેપાળ.30
વ્યાપ્યો ત્યાં કળિકાળ જણાય, ગુરુ ધૂર્ત ને સ્વારથી રાય;
આવ્યું ત્યાં એક સુંદર ગામ, રાજા રાજય કરે તેહ ઠામ.31
ઉપજાતિવૃત્ત :-
જોગી જતીને નૃપ અન્ન દે છે, સુવર્ણસિદ્ધિ મળવા ચહે છે;
સદાવ્રતે કોઇક સિદ્ધ આવે, સુવર્ણસિદ્ધિ મુજને બતાવે.32
તે ભૂપ ભોળા મનનો જણાય, ઘણા ધુતારા ધન ધૂતિ જાય;
તે ભૂપતિનો ગુરુ એક જે છે, તે ભોંયરામાં વનમાં વસે છે.33
આસો શુદી પૂનમ દિન ચાર, ત્યારે જ તે તો નિસરે બહાર;
ત્યાં તેહનાં દર્શન તો કરાય, મેળો ઘણો તેથી તહાં ભરાય.34
મેળા તણા વાસર વીતિ જાય, તે ભોંયરામાં ગુરુજી સમાય;
એવી રીત્યે વર્ષ દશેક વીત્યાં, તે સિદ્ધની ર્કીર્તિ ઘણી વધી ત્યાં.35
ભૂપાળ તો ભાવ વિશેષ રાખે, પૂજી સદા પાવડી અન્ન ચાખે;
સંતોષ તો તેથી નહીં જણાય, સિદ્ધો બીજાની પણ શોધ થાય.36
જે એક જોગી નૃપપાસ છેય, તે તીર્થવાસીતણી સુદ્ધ લેય;
જો કોઇ સિદ્ધાઇ કરી જણાવે, તો જોગી તે જૈ નૃપને સુણાવે.37
તેણે દિઠા શ્રીહરિ બ્રહ્મચારી, મૂર્તિ અલૌકિક પ્રમોદકારી;
આપ્યું ભલું ભોજન પાન લાવી, તે ભૂપને વાત જઇ સુણાવી.38
છે બાળજોગી પણ શ્રેષ્ઠ જાણું, વિશેષ શી વાત કહી વખાણું;
મળો તમે આણી ઉમંગ ઊર, સુવર્ણસિદ્ધિ મળશે જરૂર.39
તે ભૂપતિયે પ્રભુપાસ આવી, પ્રણામ કીધો શિરને નમાવી;
કહ્યું પ્રભુને મુજ કષ્ટ કાપો, સુવર્ણસિદ્ધિ મુજને જ આપો.40
ઉપજાતિવૃત્ત :- ધૂર્ત જોગી વિષે :-
કહે હરિ સાંભળ હે નરેશ! લોભી જનોને નહિ બુદ્ધિ લેશ;
અત્યંત લોભી જન જયાં વસાય, ત્યાં ધૂર્તનું પેટ પુરું ભરાય.41
સુવર્ણસિદ્ધિ નહિ પ્રાણિયોમાં, એ તો કહી વાત કહાણિયોમાં;
નહીં કળીમાં નજરે જણાય, તથાપિ ભોળા જન ભોળવાય.42
સુવર્ણસિદ્ધિ કરનાર જોગી, દિસે ભિખારી નહિ ભવ્ય ભોગી;
ધનાર્થ પોતે પરદેશ ધાય, તથાપિ ભોળા જન ભોળવાય.43
સુવર્ણસિદ્ધિ કરી કોઇ ઠામ, કર્યું નહીં કાંચનકેરું ધામ;
સુણ્યા ઘણા જે ધન ધૂતિ જાય, તથાપિ ભોળા જન ભોળવાય.44
શ્રીમંતને ધૂર્ત જઇ કહે છે, આ ભોંયરે સાપ વડો રહે છે;
ત્યાં દ્રવ્ય છે તે તમને અપાવું, ભોળાય ભોળા સુણી વેણ આવું.45
કોઇ કહે હું નથી અન્ન ખાતો, કોઇ કહે હું નથી શૌચ જાતો;
કોઇ કહે વાત ભવિષ્ય જાણું, ભોળા જનોનું ઠગી જાય નાણું.46
કોઇ કહે હું ધન પુત્ર આપું, કોઇ કહે મારણમંત્ર જાપું;
એવા થકી કાંઇ નથી થવાનું, તે કામ તો છે ધન ધૂતવાનું.47
કોઇ કરે છે તપ ઇશ્વરાર્થે, કોઇ કરે ધાન્ય તથા ધનાર્થે;
કોઇ ચહે છે દધિ દુગ્ધપાન, કોઇ ચહે છે જનમધ્ય માન.48
જે સદ્ગુરૂ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિનાં સંકટ સર્વ કાપે;
જે પુત્ર કે સંપત આપનારા, ન સાધુ જાણો જન તે ઠગારા.49
ઇત્યાદિ કૃષ્ણે કહી વાત સારી, સુણી ધરાધીશ લીધી વિચારી;
જીવેશમાયા તણું જ્ઞાન જેહ, દીધું પ્રભુયે શ્રુતિતત્ત્વ તેહ.50
રાજા તણો ભાવ દીઠો અપાર, રહ્યા હરિ ત્યાં પછી પક્ષ ચાર;
એકાદશી આશ્વિન શુકલ આવી, વાર્તા નૃપે શ્રીહરિને સુણાવી.51
રાજા કહે છે ગુરુજી અમારા, છે ભોંયરામાં નિસરે ન બારા;
આસો શુદી પૂનમ દિન ચાર,ત્યારે જ તે દર્શન આપનાર.52
ન વસ્ત્ર ધારે નહિ ખાન પાન, છે ભોંયરામાં શબની સમાન;
જે વાસરે ત્યાં થકી નીસરે છે, ત્યારે ફળાહાર સદા કરે છે.53
તે પૂનમે ત્યાં જ ભરાય મેળો, ઘણો થશે ત્યાં જનસંઘ ભેળો;
કહે પ્રભુ તે તજી ખાન પાન, જીવ્યાતણું કારણ જાણ માન.54
જો તેહ ટાણે જન ત્યાં ન જાય, તો માન તેનું અતિ ભંગ થાય;
જો માન આધાર હશે જિવ્યાનો, તો જીવ તેનો તનથી જવાનો.55
ભૂપે પરીક્ષા કરવા વિચારી, જવા ન દીધાં નર કોઇ નારી;
તે ભોંયરાથી નિસર્યો બહાર, દીઠાં નહીં માણસ તેહ ઠાર.56
જોગી થયો તેથકી માનભંગ, છુટી ગયું તત્ક્ષણ તેનું અંગ;
જયારે નરેશે બધી વાત જાણી, વર્ણીશમાં પૂર્ણ પ્રતીતિ આણી.57
તેને જ સર્વોપરિ શ્રેષ્ઠ જાણ્યા, શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ નૃપે પ્રમાણ્યા;
શ્રીકૃષ્ણનો આશ્રય એક કીધો, બીજો બધો મારગ છોડી દીધો.58
ત્યાંથી મહારાજ પછી સિધાવ્યા, બુટોલનામે પુરપાસ આવ્યા;
ત્યાંનો મહાદત્ત મહીંદ્ર જેહ, રાખ્યા હરિને સજીને સનેહ.59
તે ભૂપકેરી ભગિની ઉદાર, છે તેનું મૈયા શુભ નામ ધાર;
તેણે સજી સ્નેહસમેત સેવા, શ્રીકૃષ્ણ સર્વોપરિ જાણી એવા.60
પુષ્પિતાગ્રાવૃત્ત :-
નરપતિ ભગિની સુપ્રશ્ન કીધા, સુણી હરિ મર્મ જવાબ સર્વ દીધા;
સુણી સુણી ઉપદેશ કૃષ્ણકેરા, જન હરિભકત થયા તહાં ઘણેરા.61
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ
બુટોલનગરપ્રાપ્તનામા પંચમો વિશ્રામઃ ।।5।।