પૂર્વછાયો :-

ભૂપ અભેસિંહ સાંભળો, કહું હરિ  ચરિત્રની વાત;

મહાપ્રભુ મહાહૃદ થકી, પછી ચાલ્યા ઉઠીને પ્રભાત.1

ચોપાઈ :-

હૃદકાંઠે  ચાલ્યા  દિનરાત,  મળી  ત્યારે  જોગીની  જમાત;

શત  પાંચ  દિગંબર  દિસે,  ગુરુ  એક  મોટો  તેહ  વિષે.2

તેણે  સાધેલો  જોગ  કહાવે,  સર્વ  શિષ્યોને  જોગ  સધાવે;

એક  શિષ્યે  કહી  એવી  વાત,  ગુરુ  સિદ્ધ  છે  આ  સાક્ષાત.3

એણે  સિદ્ધ  કર્યો  હઠજોગ,માટે  નવ  નડે  કાળ  કે  રોગ;

જયારે  કાળ  લેવા  તેને  આવે,  બ્રહ્મરંધ્રે  તે  પ્રાણ  ચડાવે.4

તેથી  કાળ  ન  ફાવે  લગાર,  થયાં  જોગીને  વર્ષ  હજાર;

મળ્યા  જોગીને  શ્રીઘનશામ,  પાંચ  દિવસ  ઠર્યા  તેહ  ઠામ.5

એક દિવસ તે બોલ્યા જોગીશ, ગામ છે અહિંથી કોશ વીશ;

ત્યાંનો રાજા મહાસિદ્ધ જે છે, મોટો શિષ્ય અમારો જ એ છે.6

હઠજોગ  તો  સાધ્યો  છે  એણે,  નથી  રાખી  કચાશ  જ  તેણે;

ક્રિયા જે જે કરું છું હું અત્ર, તે તો જાણે રાજા રહ્યો તત્ર.7

ક્રિયા  જે  જે  કરે  છે  તે  રાય,  અહિં  બેઠાં  મને  તે  દેખાય;

મળ્યા  આપણે  બે  સાક્ષાત,  તે  તો  રાજાએ  જાણી  છે  વાત.8

માટે નિર્ખવા મૂર્તિ તમારી, નૃપ આવે છે સજી અસવારી;

ત્યારે પૂછે પોતે હરિરાય, તમે કોણ ને વિચરો છો કયાંય ?9

સિદ્ધ બોલ્યો ત્યારે શિર નામી, તમે જાણો છો અંતરજામી;

તોય  પૂછો  છો  નરતનું  ધારી,  માટે  હું  કહું  વાત  અમારી.10

આ છે હિમગિરિ તટનો પ્રદેશ, કોઇ જનનો ન થાય પ્રવેશ;

આંહિં આવ્યાજાતા અર્જુન આપે, તે તો પૂરણ કૃષ્ણ પ્રતાપે.11

થોડાં  છે  અહિં  નગરને  ગામ,  વસે  વસ્તી  પવિત્ર  તમામ;

યોગભ્રષ્ટ  હોય  જન  જેહ,  આંહિં  જન્મ  ધરે  આવી  તેહ.12

અહિં  જોગ  સાધી  સિદ્ધ  થાય,  શ્વેતદ્વીપ  આદિકમાં  જાય;

દુરવાસાના  શિષ્ય  અનેક,  યોગભ્રષ્ટ  રહ્યા  અમે  છેક.13

તેથી આંહિ ધર્યા અવતાર, અમે  સાધીએ યોગ આ ઠાર;

દીધું  છે  ૠષિએ  વરદાન,  મળ્યા  તેથી  તમે  ભગવાન.14

હવે  પામીએ  અક્ષરધામ,  કરો  એવું  તમે  ઘનશામ;

એમ કરતાં થઇ થોડી વાર, ત્યાં તો આવ્યો રાજા તેહ ઠાર.15

તેણે નખશિખ હરિને  નિહાળ્યા, સોળ ચિહ્ન તે ચરણમાં ભાળ્યાં;

દીઠું છાતીમાં શ્રીવત્સ ચિહ્ન, એમ મૂર્તિ જોઇ અવિછિન્ન.16

ગુરુશિષ્યે  કરીને  વિચાર,  જાણ્યા  પુરુષોત્તમ  નિરધાર;

કીધી  પૂજા  ઘણી  પ્રેમ  ધારી,  સ્તુતિ  સ્નેહસમેત  ઉચ્ચારી.17

દીક્ષા વૈષ્ણવી વર્ણીએ દીધી, તે તો સમજીને સૌ જને લીધી;

કહે  કૃષ્ણ  સુણો  જન  સર્વ,  હઠજોગનો  ધરશો  ન  ગર્વ.18

પ્રાણ  રૂંધી    સમાધિમાં  જાય,  હઠજોગ  તેને  કહેવાય;

પ્રાણ  રુંધ્યા  વિના  ધરી  ધ્યાન,  જન  પ્રેમી  પ્રેમાતૂરવાન.19

હરિમૂર્તિ  સમાધિમાં  દેખે,  રાજજોગ  તેને  મુનિ  લેખે;

એ તો ઉત્તમ જોગ છે જાણો, હઠજોગથી અધિક વખાણો.20

વળી વર્ણીએ વાણી ઉચારી, ધરો ધ્યાનમાં મૂર્તિ અમારી;

થોડાં  વર્ષમાં  તન  પરહરશો,  સતસંગમાં  અવતાર  ધરશો.21

થશો કોઇ ગૃહસ્થ કે ત્યાગી, મારા ચરણ વિષે અનુરાગી;

પછી  પામશો  અક્ષરધામ,  થશો  સૌ  તમે  પૂરણકામ.22

સુણી હરખ્યા જોગી અને રાય, પછી ભૂપ બોલ્યો નમી પાય;

મારા  નગરમાં  નાથ  પધારો,  વસ્તી  સર્વનો  હર્ષ  વધારો.23

સુણી એવું બોલ્યા ઘનશામ, મારે કરવાનાં છે ઘણાં કામ;

જયાં ત્યાં એમ રોકાઉં હું જયારે, કામ સર્વ પુરાં થાય કયારે ?24

એમ કહી હરિ ત્યાંથી સિધાવ્યા, જતાં કોઇની નજરે ન આવ્યા;

થયા  સર્વ  વિજોગે  ઉદાસી,  પણ  ઇચ્છા  પ્રભુની  તપાસી.25

ધરીને  ઉર  મૂર્તિનું  ધ્યાન,  ગયા  પોતપોતાતણે  સ્થાન;

હરિ ચાલ્યા ગિરિ વન જોતા, પુલહાશ્રમમાં આવી પોજાતા.26

નદી  ગંડકી  ચક્રઆકાર,  નાજાયા  ત્યાં  જઇ  જગતઆધાર;

મુકતનાથનું  દર્શન  કીધું,  પછી  તપ  કરવા  વ્રત    લીધું.27

દીધું  છે  યુગને  વરદાન,  ભારે  તપ  આચર્યુ  ભગવાન;

ત્યારે ત્યાંના નિવાસિયો જેહ, તપ કરવા લાગ્યા સહુ તેહ.28

સતયુગનો ધરમ એમ ધાર્યો, તપનો ઘણો મહિમા વધાર્યો;

તપે  રીઝિયા  સૂરજ  દેવ,  આવ્યા  પ્રત્યક્ષ  ત્યાં  તતખેવ.29

સ્તુતિ  ધર્મકુંવર  તણી  કરી,  નિજધામ  ગયા    રવિ  ફરી;

પછી ચાલિયા ત્યાંથી દયાળ, ત્યાં તો આવિયો દેશ નેપાળ.30

વ્યાપ્યો ત્યાં કળિકાળ જણાય, ગુરુ ધૂર્ત ને સ્વારથી રાય;

આવ્યું  ત્યાં  એક  સુંદર  ગામ,  રાજા  રાજય  કરે  તેહ  ઠામ.31

ઉપજાતિવૃત્ત :-

જોગી જતીને નૃપ અન્ન દે છે, સુવર્ણસિદ્ધિ મળવા ચહે છે;

સદાવ્રતે  કોઇક  સિદ્ધ  આવે,  સુવર્ણસિદ્ધિ  મુજને  બતાવે.32

તે ભૂપ ભોળા મનનો જણાય, ઘણા ધુતારા ધન ધૂતિ જાય;

તે ભૂપતિનો ગુરુ એક જે છે, તે ભોંયરામાં વનમાં વસે છે.33

આસો શુદી પૂનમ દિન ચાર, ત્યારે જ તે તો નિસરે બહાર;

ત્યાં તેહનાં દર્શન તો કરાય, મેળો ઘણો તેથી તહાં ભરાય.34

મેળા તણા વાસર વીતિ જાય, તે ભોંયરામાં ગુરુજી સમાય;

એવી રીત્યે વર્ષ દશેક વીત્યાં, તે સિદ્ધની ર્કીર્તિ ઘણી વધી ત્યાં.35

ભૂપાળ તો ભાવ વિશેષ રાખે, પૂજી સદા પાવડી અન્ન ચાખે;

સંતોષ તો તેથી નહીં જણાય, સિદ્ધો બીજાની પણ શોધ થાય.36

જે એક જોગી નૃપપાસ છેય, તે તીર્થવાસીતણી સુદ્ધ લેય;

જો કોઇ સિદ્ધાઇ કરી જણાવે, તો જોગી તે જૈ નૃપને સુણાવે.37

તેણે  દિઠા  શ્રીહરિ  બ્રહ્મચારી,  મૂર્તિ  અલૌકિક  પ્રમોદકારી;

આપ્યું ભલું ભોજન પાન લાવી, તે ભૂપને વાત જઇ સુણાવી.38

છે બાળજોગી પણ શ્રેષ્ઠ જાણું, વિશેષ શી વાત કહી વખાણું;

મળો  તમે  આણી  ઉમંગ  ઊર,  સુવર્ણસિદ્ધિ  મળશે  જરૂર.39

તે ભૂપતિયે પ્રભુપાસ આવી, પ્રણામ કીધો શિરને નમાવી;

કહ્યું પ્રભુને મુજ કષ્ટ કાપો, સુવર્ણસિદ્ધિ મુજને જ આપો.40

ઉપજાતિવૃત્ત :- ધૂર્ત જોગી વિષે :-

કહે હરિ સાંભળ હે નરેશ! લોભી જનોને નહિ બુદ્ધિ લેશ;

અત્યંત લોભી જન જયાં વસાય, ત્યાં ધૂર્તનું પેટ પુરું ભરાય.41

સુવર્ણસિદ્ધિ નહિ પ્રાણિયોમાં, એ તો કહી વાત કહાણિયોમાં;

નહીં કળીમાં નજરે જણાય, તથાપિ ભોળા જન ભોળવાય.42

સુવર્ણસિદ્ધિ કરનાર જોગી, દિસે ભિખારી નહિ ભવ્ય ભોગી;

ધનાર્થ  પોતે  પરદેશ  ધાય,  તથાપિ  ભોળા  જન  ભોળવાય.43

સુવર્ણસિદ્ધિ  કરી  કોઇ  ઠામ,  કર્યું નહીં  કાંચનકેરું  ધામ;

સુણ્યા ઘણા જે ધન ધૂતિ જાય, તથાપિ ભોળા જન ભોળવાય.44

શ્રીમંતને  ધૂર્ત  જઇ  કહે  છે,  આ  ભોંયરે  સાપ  વડો  રહે  છે;

ત્યાં દ્રવ્ય છે તે તમને અપાવું, ભોળાય ભોળા સુણી વેણ આવું.45

કોઇ કહે હું નથી અન્ન ખાતો, કોઇ કહે હું નથી શૌચ જાતો;

કોઇ કહે વાત ભવિષ્ય જાણું, ભોળા જનોનું ઠગી જાય નાણું.46

કોઇ  કહે  હું  ધન  પુત્ર  આપું,  કોઇ  કહે  મારણમંત્ર  જાપું;

એવા થકી કાંઇ નથી થવાનું, તે કામ તો છે ધન ધૂતવાનું.47

કોઇ  કરે  છે  તપ  ઇશ્વરાર્થે,  કોઇ  કરે  ધાન્ય  તથા  ધનાર્થે;

કોઇ  ચહે  છે  દધિ  દુગ્ધપાન,  કોઇ  ચહે  છે  જનમધ્ય  માન.48

જે સદ્ગુરૂ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિનાં સંકટ સર્વ કાપે;

જે પુત્ર કે સંપત આપનારા, ન સાધુ જાણો જન તે ઠગારા.49

ઇત્યાદિ કૃષ્ણે કહી વાત સારી, સુણી ધરાધીશ લીધી વિચારી;

જીવેશમાયા  તણું  જ્ઞાન  જેહ,  દીધું  પ્રભુયે  શ્રુતિતત્ત્વ  તેહ.50

રાજા તણો ભાવ દીઠો અપાર, રહ્યા હરિ ત્યાં પછી પક્ષ ચાર;

એકાદશી આશ્વિન શુકલ આવી, વાર્તા નૃપે શ્રીહરિને સુણાવી.51

રાજા કહે છે ગુરુજી અમારા, છે ભોંયરામાં નિસરે ન બારા;

આસો  શુદી  પૂનમ  દિન  ચાર,ત્યારે  જ  તે  દર્શન  આપનાર.52

ન વસ્ત્ર ધારે નહિ ખાન પાન, છે ભોંયરામાં શબની સમાન;

જે વાસરે ત્યાં થકી નીસરે છે, ત્યારે ફળાહાર સદા કરે છે.53

તે પૂનમે ત્યાં જ ભરાય મેળો, ઘણો થશે ત્યાં જનસંઘ ભેળો;

કહે પ્રભુ તે તજી ખાન પાન, જીવ્યાતણું કારણ જાણ માન.54

જો તેહ ટાણે જન ત્યાં ન જાય, તો માન તેનું અતિ ભંગ થાય;

જો માન આધાર હશે જિવ્યાનો, તો જીવ તેનો તનથી જવાનો.55

ભૂપે પરીક્ષા કરવા વિચારી, જવા ન દીધાં નર કોઇ નારી;

તે ભોંયરાથી નિસર્યો બહાર, દીઠાં નહીં માણસ તેહ ઠાર.56

જોગી  થયો  તેથકી  માનભંગ,  છુટી  ગયું  તત્ક્ષણ  તેનું  અંગ;

જયારે નરેશે બધી વાત જાણી, વર્ણીશમાં પૂર્ણ પ્રતીતિ આણી.57

તેને જ સર્વોપરિ શ્રેષ્ઠ જાણ્યા, શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ નૃપે પ્રમાણ્યા;

શ્રીકૃષ્ણનો આશ્રય એક કીધો, બીજો બધો મારગ છોડી દીધો.58

ત્યાંથી મહારાજ પછી સિધાવ્યા, બુટોલનામે પુરપાસ આવ્યા;

ત્યાંનો  મહાદત્ત  મહીંદ્ર  જેહ,  રાખ્યા  હરિને  સજીને  સનેહ.59

તે  ભૂપકેરી  ભગિની  ઉદાર,  છે  તેનું  મૈયા  શુભ  નામ  ધાર;

તેણે સજી સ્નેહસમેત સેવા, શ્રીકૃષ્ણ સર્વોપરિ જાણી એવા.60

પુષ્પિતાગ્રાવૃત્ત :-

નરપતિ ભગિની સુપ્રશ્ન કીધા, સુણી હરિ મર્મ જવાબ સર્વ દીધા;

સુણી સુણી ઉપદેશ કૃષ્ણકેરા, જન હરિભકત થયા તહાં ઘણેરા.61

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ

બુટોલનગરપ્રાપ્તનામા પંચમો વિશ્રામઃ ।।5।।