પૂર્વછાયો :-
મંદિર બદરીનાથનું, તહાં આસન કરીને અકાંત;
ધ્યાનમુદ્રાએ ધર્મસુત, બેઠા શરીર મન કરી શાંત.1
ચોપાઈ :-
એવે અવસરે બદરીનાથે, પૂરા હેતથી પોતાને હાથે;
ધર્મપુત્રનું પૂજન કીધું, ધૂપ દીપ ને નૈવેદ્ય દીધું.2
પછી આરતી હરિની ઉતારી, સ્તુતિ સ્નેહસહિત ઉચ્ચારી;
અહો અક્ષરપતિ મહારાજ, ધર્યું તન ધર્મસ્થાપન કાજ.3
ભરતભૂમિમાં સઘળે ફરશો, સર્વે તીરથ પાવન કરશો;
સારો ઉદ્ધવનો સંપ્રદાય, પ્રસરાવશો પૃથવીમાંય.4
તજે અષ્ટ પ્રકારે જે નારી, એવા કરશો સાધુ બ્રહ્મચારી;
તમે પશ્ચિમ દેશ વિચરશો, મોટાં મંદિર સુંદર કરશો.5
ભરતખંડમાં આજ ઠેકાણે, મારી મૂર્તિ તે કોઇક જાણે;
માટે ગુજરાત મધ્યે વિચારી, પધરાવશો મૂર્તિ અમારી.6
વળી લક્ષ્મીનારાયણ આદિ, પધરાવશો કૃષ્ણરાધાદિ;
એવાં વચન કરીને ઉચાર, થયા અંતરધાન તે ઠાર.7
ઉપજાતિવૃત્તિ :-
એવે સમે ત્યાં વળી વિપ્ર એક, આવી સુવાકયો ઉચર્યો અનેક;
ઉદાસી આત્મા અતિશે જ એનો, દુઃખે દિસે દુર્બલ દેહ તેનો.8
આંખેથી આંસુ અતિશે વહે છે, કષ્ટે ભરેલાં કથનો કહે છે;
એવું વિલોકી પ્રભુ એમ પૂછે, રે કોણ તું છે તુજ દુઃખ શું છે ?9
તે વિપ્ર બોલ્યો કરીને પ્રમાણ, હે સ્વામી ! મારું સતયુગ નામ;
મારા સમાનો નથી ધર્મ આજ, હું દુઃખી છું તે થકી રાજરાજ.10
ધર્મ પ્રવર્તાવનને જ કાજ, તમે ધર્યો છે પ્રભુ દેહ આજ;
આશા કરું કિંકર હું તમારો, સ્થાપો પ્રભુજી શુભ ધર્મ મારો.11
મારે સમે સૌ તપ સાધુ કરતા, વને વસીને તવ ધ્યાન ધરતા;
તે ધર્મ સ્થાપો વર એ જ માગું, પ્રભુ તમોને લળી પાય લાગું.12
સુણી પ્રભુએ દિલ ધારી લીધું, તે યુગને ત્યાં વરદાન દીધું;
સ્થાપીશ હું સાંપ્રત ધર્મ તારો, ત્રણે યુગોથી પણ તેહ ન્યારો.13
કરીશ હું સાધુ તપસ્વી કેવા, આ કાળમાં કયાંઇ જડે ન એવા;
માધુકરી ભીખ જમે જ માગી, ગોળા જળે મિશ્રિત સ્વાદ ત્યાગી.14
વસે નિશાયે વનમાં જ વાસ, દિલે સદા વિશ્વ થકી ઉદાસ;
ઉપોષણે દેહ દમે વિશેષ, ઇચ્છે નહી દૈહિક સુખ લેશ.15
રાજી થયો તે જુગ સાંભળીને, ગયો પ્રભુને ચરણે ઢળીને;
ત્યાં આવિયો તે પછી ક્ષત્રિ કોઇ, કરે મુખે ખૂબ વિલાપ રોઇ.16
કહે પ્રભુ હે નર કોણ તું છે ? કરે ઘણું રોદન કષ્ટ શું છે ?
સુણો કહું હે હરિ સર્વવેત્તા, જાણો મને તો જુગ નામ ત્રેતા.17
મારે સમે સૌ જન યજ્ઞ કર્તા, તેથી સુરો સંકટ સર્વ હર્તા;
હે નાથ ભૂમાં મુજ ધર્મ સ્થાપો, એવું મને તો વરદાન આપો.18
કહે હરિ યજ્ઞ ઘણા કરીશ, હું ધર્મ તારો અતિ આચરીશ;
જયાં ભકતવાળો બહુ ભૂમિભાગ, વિશેષ થાશે તહિં વિષ્ણુયાગ.19
એવું પ્રભુયે વરદાન આપ્યું, ત્રેતાતણું સંકટ સર્વ કાપ્યું;
ત્યાં વૈશ્ય રૂપે નર એક આવ્યો, પોકાર સંકષ્ટ તણો સુણાવ્યો.20
તેને વળી શ્રીહરિ એમ પૂછે, શું કષ્ટ છે ને નર કોણ તું છે ?
ત્યારે કહે દ્વાપર નામ મારું, ઇચ્છું સદા હું શરણું તમારું.21
મારા સમામાં તજી અન્ય ચર્ચા, સૌ લોક કર્તા સુરમૂર્તિ અર્ચા;
સદ્ધર્મ સાથે શુભ ભકિત માર્ગ, હતો હણી તેહ કર્યો કુમાર્ગ.22
આ કાળમાં ભકિતપથે જનારા, તે ધર્મથી ભ્રષ્ટ દિસે થનારા;
કહું અધર્મી તણી ભકિત કેવી, નદી નિહાળી જળહીન જેવી.23
મારા સમાનો શુભ માર્ગ જેહ, તમે ચલાવો જનમધ્ય તેહ;
મોટાં રુડાં મંદિર તો રચાવો, તેમાં સુરોની મૂરતિ સ્થપાવો.24
ઉપાસના માર્ગ અમૂલ્ય સ્થાપો, હે નાથ એવું વરદાન આપો;
કહે પ્રભુ તું સુણ બોલ મારો, સ્થાપીશ હું ભૂતળ ધર્મ તારો.25
મોટાં રુડાં મંદિર તો રચાવું, ઘણે પ્રકારે પ્રતિમા પૂજાવું;
ઉપાસના માર્ગ અમૂલ્ય એહ, સ્થાપીશ સદ્ધર્મ સમેત તેહ.26
એવું હરિનું વરદાન લીધું, તેણે પછી ત્યાંથી પ્રયાણ કીધું;
એવે સમે ત્યાં નર ભીલ્લ આવ્યો, શોકાતુરે શોક ઘણો જણાવ્યો.27
કહે હરિ તું વદ નામ તારું, શું કષ્ટ છે તે વદ તો વિચારું;
હે નાથ જાણો કલિકાલ હુંય, તમારી આજ્ઞા વશવર્તિ છુંય.28
સુરાસુરો સૌ રચનાર આપ, સૌથી તમારો પરમ પ્રતાપ;
તમારી ઇચ્છા વીણ વિશ્વમાંઇ, કોઇ થકી થૈજ શકે ન કાંઇ.29
તમારી શકિત પ્રભુ કાળ માયા, સૌના નિયંતા હરિ વિશ્વરાયા;
સૌની તમે છે મરજાદ બાંધી, ચાલે સહુ તેમજ દષ્ટિ સાંધી.30
મર્યાદ બાંધી દિન ને નિશાની, મર્યાદ બાંધી ૠતુઓ બધાની;
મર્યાદ બાંધી જુગ ચાર કેરી, તમે નિભાવો નિજશકિત પ્રેરી.31
બીજા જુગોનાં બહુ વર્ષ કીધાં, મને પૂરાં પંચ લખે ન દીધાં;
તેમાં હરો છો વળી જોર મારું, આ કષ્ટ કયાં જૈ હરિ હું ઉચારું ?32
મારે સમે જ્ઞાન વિરાગ જાય, કુસંપ ને કલેશ વિશેષ થાય;
હે નાથ જો ભૂતળ ધર્મ સ્થાપો, મને તમે આશ્રય કયાંઇ આપો.33
કુસંપ ને કલેશ કુમાર મારા, છે પ્રાણથી બે મુજ પૂર્ણ પ્યારા;
કહો બિચારા જઇ કયાં રહેશે, જયારે જનો જ્ઞાન વિરાગ લેશે.34
જાણે જહાં માયિક વસ્તુ ફોક, માનાપમાને નહિ હર્ષ શોક;
જયાં નિત્ય સંતોષ વસે વિશેષ, કુસંપ કે કલેશ રહે ન લેશ.35
કહે હરિ ધર્મ રુડો ધરીશ, શિક્ષાની પત્રી શુભ હું રચીશ;
જે લોક તે પત્રીપ્રમાણ ચાલે, તારે જવું ત્યાં નહિ કોઇ કાળે.36
કરે જ ઉલ્લંઘન વાકય મારું, ત્યાં વાસજે સર્વ કુટુંબ તારું;
થયો સૂણીને કાળિકાળ રાજી, ગયો તહાંથી નિજ સૈન્ય સાજી.37
જે ભૂખના દુઃખથી ભેખ ધારે, તે સ્વાદને માન ચહે વધારે;
એવા તણાં છે બહુ ઝુંડ જયાંય, ગયો પછી તે કળિકાળ ત્યાંય.38
લડે મરીને બહુ માન માટે, કુસંપ રાખે તુછ વસ્તુ સાટે;
પરસ્પરે વાંસ ઘસાઇ જેમ, બળી મરે ભેખ મુવા જ તેમ.39
હતા અધર્મી વળી જયાં નરેશ, વશ્યા જઇ તત્ર કુસંપ કલેશ;
જેવો દિસે વહ્નિ વિનાશકારી, તેવા જ તે બે કળિપુત્ર ભારી.40
રજા કળીને પ્રભુયેજ દીધી, પોતાની ઈચ્છા પરિપૂર્ણ કીધી;
કેદાર નામે બદરીશ જયાંય, કૃષ્ણે કર્યું એવું ચરિત્ર ત્યાંય.41
ચોપાઈ :-
થોડા દિન રહી ધર્મકુમાર, પછી ત્યાંથી કર્યો છે વિહાર;
પ્રૌઢ વનમાં કરીને પ્રવાસ, પહોંચ્યા પર્વત કાળાની પાસ.42
ચાલ્યા તેની તળાટી મોઝાર, ત્રણ દિન નવ પામ્યા આહાર;
ફળ જળ પણ ન મળ્યું છેક, આવી ચોથે દિવસ નદી એક.43
સ્નાનાદિક કરીને જળ પીધું, મોટા વડતળે આસન કીધું;
ત્યાંજ રાત રહ્યા ભગવાન, આવી ચોકી કરે હનુમાન.44
જોજો અચરજ એક વિશાળ, કીડી કુંજરની રખવાળ;
વડે રહેતો ભેરવ વિકરાળ, કોટિ ભૂત તણો તે ભૂપાળ.45
રાતે કૃષ્ણને પીડવા આવ્યો, હનુમાને તે મારી નસાવ્યો;
વીતી રાત દિવસ થયો જયારે, હનુમાન લાવ્યા ફળ ત્યારે.46
નિત્યકર્મ કરી જમ્યા નાથ, પ્રસાદી આપી હનુમંત હાથ;
પછી હનુમંતને હરિરાય, કર્યા અવધ્યપુરીમાં વિદાય.47
પછી ચાલીયા શ્રીઅવિનાશ, પડે રજની ત્યાં કરતા નિવાસ;
એમ દિન કેટલાક વિતાવ્યા, ત્યારે શ્વેતગિરિ પાસે આવ્યા.48
જોજો હરિનાં મનુષ્યચરિત્ર, પાપી પણ થાય સુણતાં પવિત્ર;
દિશા સાંધીને ચાલતા નાથ, નહિ રસ્તો કે નહિ કોઇ સાથ.49
આડા વિકટ ત્યાં પર્વત આવ્યા, જોતાં રસ્તો જડ્યો નહિ જાવા;
એવે ટાણે સૂરજ થયો અસ્ત, પેઠાં માળામાં પક્ષી સમસ્ત.50
હિમાચળ નરનું રૂપ ધારી, સ્તુતિ કૃષ્ણની આવી ઉચ્ચારી;
અહો ઇશ્વર અંતરજામી, તમે છો સચરાચર સ્વામી.51
તમે વ્યાપક સર્વ પ્રદેશ, નથી તમથી અજાણ્યું તો લેશ;
ભૂત ભવિષ્યને વર્તમાન, ત્રણે કાળનું તમને છે જ્ઞાન.52
તમે મારગે સૌને ચડાવો, ભૂલેલાને તમે ઠામ લાવો;
મળે તમને તે મોક્ષે સિધાવે, તમને કોણ માર્ગ બતાવે.53
જનહિત નરનાટક ધારી, નરચરિત્ર કરો છો મુરારી;
એમ કહી એક રસ્તો બતાવ્યો, ભાળી ભગવાનને મન ભાવ્યો.54
ગુફામાંથી આવે ગંગા સામી, તેના સન્મુખ ચાલવું સ્વામી;
જયારે પામશો પર્વત પાર, ત્યારે આવશે મારગ સાર.55
એમ કહી થયો અંતરધાન, નદી સામા ચાલ્યા ભગવાન;
ફોડી પર્વત આવે પ્રવાહ, જોર આંગળી તૂટ અથાહ.56
સામે પુરે ચાલ્યા ઘનશામ, જયારે જામિની ગઇ એક જામ;
ત્યારે પામીયા પર્વત પાર, હૃદ ઊંડો આવ્યો એહ ઠામ.57
જેમાં છે બહુ મગરની જાત, તેને કાંઠે રહ્યા હરિ રાત;
પ્રભુ જાગિયા જયારે પ્રભાત, કરી નિત્યક્રિયા ભલી ભાત.58
હૃદકાંઠે મેવાનાં છે વૃક્ષ, ફળ લાગ્યાં તેને ઘણાં લક્ષ;
કર્યો હરિએ તહાં ફળાહાર, પછી ચાલિયા થૈને તૈયાર.59
પુષ્પિતાગ્રાવૃત્ત :-
પ્રભુ હિમગિરિમાં કરે પ્રવાસ, વનચરનો ન ધરે તથાપિ ત્રાસ;
વય લઘુ પણ કામ કીધ ભારી, સુણ નૃપ તેહ ચરિત્ર સ્નેહ ધારી.60
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-
શ્વેતગિરિપારમહાહૃદગમનનામા ચતુર્થો વિશ્રામઃ ।।4।।