પૂર્વછાયો :-

મંદિર  બદરીનાથનું,  તહાં  આસન  કરીને  અકાંત;

ધ્યાનમુદ્રાએ  ધર્મસુત,  બેઠા  શરીર  મન  કરી  શાંત.1

ચોપાઈ :-

એવે  અવસરે  બદરીનાથે,  પૂરા  હેતથી  પોતાને  હાથે;

ધર્મપુત્રનું  પૂજન  કીધું,  ધૂપ  દીપ  ને  નૈવેદ્ય  દીધું.2

પછી આરતી હરિની ઉતારી, સ્તુતિ સ્નેહસહિત ઉચ્ચારી;

અહો  અક્ષરપતિ  મહારાજ,  ધર્યું  તન  ધર્મસ્થાપન  કાજ.3

ભરતભૂમિમાં  સઘળે  ફરશો,  સર્વે  તીરથ  પાવન  કરશો;

સારો  ઉદ્ધવનો  સંપ્રદાય,  પ્રસરાવશો  પૃથવીમાંય.4

તજે  અષ્ટ  પ્રકારે  જે  નારી,  એવા  કરશો  સાધુ  બ્રહ્મચારી;

તમે  પશ્ચિમ  દેશ  વિચરશો,  મોટાં  મંદિર  સુંદર  કરશો.5

ભરતખંડમાં  આજ  ઠેકાણે,  મારી  મૂર્તિ  તે  કોઇક  જાણે;

માટે  ગુજરાત  મધ્યે  વિચારી,  પધરાવશો  મૂર્તિ  અમારી.6

વળી  લક્ષ્મીનારાયણ  આદિ,  પધરાવશો  કૃષ્ણરાધાદિ;

એવાં  વચન  કરીને  ઉચાર,  થયા  અંતરધાન  તે  ઠાર.7

ઉપજાતિવૃત્તિ :-

એવે સમે ત્યાં વળી વિપ્ર એક, આવી સુવાકયો ઉચર્યો અનેક;

ઉદાસી આત્મા અતિશે જ એનો, દુઃખે દિસે દુર્બલ દેહ તેનો.8

આંખેથી આંસુ અતિશે વહે છે, કષ્ટે ભરેલાં કથનો કહે છે;

એવું વિલોકી પ્રભુ એમ પૂછે, રે કોણ તું છે તુજ દુઃખ શું છે ?9

તે વિપ્ર બોલ્યો કરીને પ્રમાણ, હે સ્વામી ! મારું સતયુગ નામ;

મારા સમાનો નથી ધર્મ આજ, હું દુઃખી છું તે થકી રાજરાજ.10

ધર્મ  પ્રવર્તાવનને  જ  કાજ,  તમે  ધર્યો  છે  પ્રભુ  દેહ    આજ;

આશા કરું કિંકર હું તમારો, સ્થાપો પ્રભુજી શુભ ધર્મ મારો.11

મારે સમે સૌ તપ સાધુ કરતા, વને વસીને તવ ધ્યાન ધરતા;

તે ધર્મ સ્થાપો વર એ જ માગું, પ્રભુ તમોને લળી પાય લાગું.12

સુણી પ્રભુએ દિલ ધારી લીધું, તે યુગને ત્યાં વરદાન દીધું;

સ્થાપીશ હું સાંપ્રત ધર્મ તારો, ત્રણે યુગોથી પણ તેહ ન્યારો.13

કરીશ હું સાધુ તપસ્વી કેવા, આ કાળમાં કયાંઇ જડે ન એવા;

માધુકરી ભીખ જમે જ માગી, ગોળા જળે મિશ્રિત સ્વાદ ત્યાગી.14

વસે નિશાયે વનમાં જ વાસ, દિલે સદા વિશ્વ થકી ઉદાસ;

ઉપોષણે  દેહ  દમે  વિશેષ,  ઇચ્છે  નહી  દૈહિક  સુખ  લેશ.15

રાજી  થયો  તે  જુગ  સાંભળીને,  ગયો  પ્રભુને  ચરણે  ઢળીને;

ત્યાં આવિયો તે પછી ક્ષત્રિ કોઇ, કરે મુખે ખૂબ વિલાપ રોઇ.16

કહે પ્રભુ હે નર કોણ તું છે ? કરે ઘણું રોદન કષ્ટ શું છે ?

સુણો કહું હે હરિ સર્વવેત્તા, જાણો મને તો જુગ નામ ત્રેતા.17

મારે  સમે  સૌ  જન  યજ્ઞ  કર્તા,  તેથી  સુરો  સંકટ  સર્વ  હર્તા;

હે નાથ ભૂમાં મુજ ધર્મ સ્થાપો, એવું મને તો વરદાન આપો.18

કહે  હરિ  યજ્ઞ  ઘણા  કરીશ,  હું  ધર્મ  તારો  અતિ  આચરીશ;

જયાં ભકતવાળો બહુ ભૂમિભાગ, વિશેષ થાશે તહિં વિષ્ણુયાગ.19

એવું  પ્રભુયે  વરદાન  આપ્યું,  ત્રેતાતણું  સંકટ  સર્વ    કાપ્યું;

ત્યાં વૈશ્ય રૂપે નર એક આવ્યો, પોકાર સંકષ્ટ તણો સુણાવ્યો.20

તેને વળી શ્રીહરિ એમ પૂછે, શું કષ્ટ છે ને નર કોણ તું છે ?

ત્યારે  કહે  દ્વાપર  નામ  મારું,  ઇચ્છું  સદા  હું  શરણું  તમારું.21

મારા સમામાં તજી અન્ય ચર્ચા, સૌ લોક કર્તા સુરમૂર્તિ અર્ચા;

સદ્ધર્મ સાથે શુભ ભકિત માર્ગ, હતો હણી તેહ કર્યો કુમાર્ગ.22

આ કાળમાં ભકિતપથે જનારા, તે ધર્મથી ભ્રષ્ટ દિસે થનારા;

કહું અધર્મી તણી ભકિત કેવી, નદી નિહાળી જળહીન જેવી.23

મારા સમાનો શુભ માર્ગ જેહ, તમે ચલાવો જનમધ્ય તેહ;

મોટાં રુડાં મંદિર તો રચાવો, તેમાં સુરોની મૂરતિ સ્થપાવો.24

ઉપાસના માર્ગ અમૂલ્ય સ્થાપો, હે નાથ એવું વરદાન આપો;

કહે પ્રભુ તું સુણ બોલ મારો, સ્થાપીશ હું ભૂતળ  ધર્મ તારો.25

મોટાં  રુડાં  મંદિર  તો  રચાવું,  ઘણે  પ્રકારે  પ્રતિમા  પૂજાવું;

ઉપાસના  માર્ગ  અમૂલ્ય  એહ,  સ્થાપીશ  સદ્ધર્મ  સમેત  તેહ.26

એવું  હરિનું  વરદાન  લીધું,  તેણે  પછી  ત્યાંથી  પ્રયાણ  કીધું;

એવે સમે ત્યાં નર ભીલ્લ આવ્યો, શોકાતુરે શોક ઘણો જણાવ્યો.27

કહે હરિ તું વદ નામ તારું, શું કષ્ટ છે તે વદ તો વિચારું;

હે નાથ જાણો કલિકાલ હુંય, તમારી આજ્ઞા  વશવર્તિ છુંય.28

સુરાસુરો  સૌ  રચનાર  આપ,  સૌથી  તમારો  પરમ  પ્રતાપ;

તમારી ઇચ્છા વીણ વિશ્વમાંઇ, કોઇ થકી થૈજ શકે ન કાંઇ.29

તમારી શકિત પ્રભુ કાળ માયા, સૌના નિયંતા હરિ વિશ્વરાયા;

સૌની તમે છે મરજાદ બાંધી, ચાલે સહુ તેમજ દષ્ટિ સાંધી.30

મર્યાદ બાંધી દિન ને નિશાની, મર્યાદ બાંધી ૠતુઓ બધાની;

મર્યાદ બાંધી જુગ ચાર કેરી, તમે નિભાવો નિજશકિત પ્રેરી.31

બીજા જુગોનાં બહુ વર્ષ કીધાં, મને પૂરાં પંચ લખે ન દીધાં;

તેમાં હરો છો વળી જોર મારું, આ કષ્ટ કયાં જૈ હરિ હું ઉચારું ?32

મારે સમે જ્ઞાન વિરાગ જાય, કુસંપ ને કલેશ વિશેષ થાય;

હે નાથ જો ભૂતળ ધર્મ સ્થાપો, મને તમે આશ્રય કયાંઇ આપો.33

કુસંપ ને કલેશ કુમાર મારા, છે પ્રાણથી બે મુજ પૂર્ણ પ્યારા;

કહો બિચારા જઇ કયાં રહેશે, જયારે જનો જ્ઞાન વિરાગ લેશે.34

જાણે જહાં માયિક વસ્તુ ફોક, માનાપમાને નહિ હર્ષ શોક;

જયાં નિત્ય સંતોષ વસે વિશેષ, કુસંપ કે કલેશ રહે ન લેશ.35

કહે  હરિ  ધર્મ  રુડો  ધરીશ,  શિક્ષાની  પત્રી  શુભ  હું  રચીશ;

જે લોક તે પત્રીપ્રમાણ ચાલે, તારે જવું ત્યાં નહિ કોઇ કાળે.36

કરે જ ઉલ્લંઘન વાકય મારું, ત્યાં વાસજે સર્વ કુટુંબ તારું;

થયો સૂણીને કાળિકાળ રાજી, ગયો તહાંથી નિજ સૈન્ય સાજી.37

જે ભૂખના દુઃખથી ભેખ ધારે, તે સ્વાદને માન  ચહે વધારે;

એવા તણાં છે બહુ ઝુંડ જયાંય, ગયો પછી તે કળિકાળ ત્યાંય.38

લડે  મરીને  બહુ  માન  માટે,  કુસંપ  રાખે  તુછ  વસ્તુ  સાટે;

પરસ્પરે  વાંસ  ઘસાઇ  જેમ,  બળી  મરે  ભેખ  મુવા  જ  તેમ.39

હતા અધર્મી વળી જયાં નરેશ, વશ્યા જઇ તત્ર  કુસંપ કલેશ;

જેવો દિસે વહ્નિ વિનાશકારી, તેવા જ તે બે કળિપુત્ર ભારી.40

રજા કળીને પ્રભુયેજ દીધી, પોતાની ઈચ્છા પરિપૂર્ણ કીધી;

કેદાર  નામે  બદરીશ  જયાંય,  કૃષ્ણે  કર્યું એવું  ચરિત્ર  ત્યાંય.41

ચોપાઈ :-

થોડા  દિન  રહી  ધર્મકુમાર,  પછી  ત્યાંથી  કર્યો  છે  વિહાર;

પ્રૌઢ વનમાં કરીને પ્રવાસ, પહોંચ્યા પર્વત કાળાની પાસ.42

ચાલ્યા તેની તળાટી મોઝાર, ત્રણ દિન નવ પામ્યા આહાર;

ફળ જળ પણ ન મળ્યું છેક, આવી ચોથે દિવસ નદી એક.43

સ્નાનાદિક  કરીને  જળ  પીધું,  મોટા  વડતળે  આસન  કીધું;

ત્યાંજ  રાત  રહ્યા  ભગવાન,  આવી  ચોકી  કરે  હનુમાન.44

જોજો  અચરજ  એક  વિશાળ,  કીડી  કુંજરની  રખવાળ;

વડે  રહેતો  ભેરવ  વિકરાળ,  કોટિ  ભૂત  તણો  તે  ભૂપાળ.45

રાતે  કૃષ્ણને  પીડવા  આવ્યો,  હનુમાને  તે  મારી  નસાવ્યો;

વીતી રાત દિવસ થયો જયારે, હનુમાન લાવ્યા ફળ ત્યારે.46

નિત્યકર્મ  કરી  જમ્યા  નાથ,  પ્રસાદી  આપી  હનુમંત  હાથ;

પછી  હનુમંતને  હરિરાય,  કર્યા  અવધ્યપુરીમાં  વિદાય.47

પછી ચાલીયા  શ્રીઅવિનાશ, પડે રજની ત્યાં કરતા નિવાસ;

એમ દિન કેટલાક વિતાવ્યા, ત્યારે  શ્વેતગિરિ પાસે આવ્યા.48

જોજો હરિનાં મનુષ્યચરિત્ર, પાપી પણ થાય સુણતાં પવિત્ર;

દિશા સાંધીને ચાલતા નાથ, નહિ રસ્તો કે નહિ કોઇ સાથ.49

આડા વિકટ ત્યાં પર્વત આવ્યા, જોતાં રસ્તો જડ્યો નહિ જાવા;

એવે ટાણે સૂરજ થયો અસ્ત, પેઠાં માળામાં પક્ષી સમસ્ત.50

હિમાચળ નરનું રૂપ ધારી, સ્તુતિ કૃષ્ણની આવી ઉચ્ચારી;

અહો  ઇશ્વર  અંતરજામી,  તમે  છો  સચરાચર  સ્વામી.51

તમે  વ્યાપક  સર્વ    પ્રદેશ,  નથી  તમથી  અજાણ્યું  તો  લેશ;

ભૂત  ભવિષ્યને  વર્તમાન,  ત્રણે  કાળનું  તમને  છે  જ્ઞાન.52

તમે  મારગે  સૌને  ચડાવો,  ભૂલેલાને  તમે  ઠામ  લાવો;

મળે  તમને  તે  મોક્ષે  સિધાવે,  તમને  કોણ  માર્ગ  બતાવે.53

જનહિત  નરનાટક  ધારી,  નરચરિત્ર  કરો  છો  મુરારી;

એમ કહી એક રસ્તો બતાવ્યો, ભાળી ભગવાનને મન ભાવ્યો.54

ગુફામાંથી આવે ગંગા સામી, તેના સન્મુખ ચાલવું  સ્વામી;

જયારે  પામશો  પર્વત  પાર,  ત્યારે  આવશે  મારગ  સાર.55

એમ કહી થયો અંતરધાન, નદી સામા ચાલ્યા ભગવાન;

ફોડી  પર્વત  આવે  પ્રવાહ,  જોર  આંગળી  તૂટ  અથાહ.56

સામે પુરે ચાલ્યા ઘનશામ, જયારે જામિની ગઇ એક જામ;

ત્યારે  પામીયા  પર્વત  પાર,  હૃદ  ઊંડો  આવ્યો  એહ  ઠામ.57

જેમાં  છે  બહુ  મગરની  જાત,  તેને  કાંઠે  રહ્યા  હરિ  રાત;

પ્રભુ જાગિયા જયારે પ્રભાત, કરી નિત્યક્રિયા ભલી ભાત.58

હૃદકાંઠે  મેવાનાં  છે  વૃક્ષ,  ફળ  લાગ્યાં  તેને  ઘણાં  લક્ષ;

કર્યો  હરિએ  તહાં  ફળાહાર,  પછી  ચાલિયા  થૈને  તૈયાર.59

પુષ્પિતાગ્રાવૃત્ત :-

પ્રભુ  હિમગિરિમાં કરે પ્રવાસ, વનચરનો ન ધરે તથાપિ ત્રાસ;

વય લઘુ પણ કામ કીધ ભારી, સુણ  નૃપ તેહ ચરિત્ર  સ્નેહ ધારી.60

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-

શ્વેતગિરિપારમહાહૃદગમનનામા ચતુર્થો વિશ્રામઃ ।।4।।