ઉપજાતિવૃત્ત :-

હે  ભૂપતિ  શ્રીહરિ  છે  સુજાણ,  પ્રભાતમાં  ઊઠી  કરે  પ્રયાણ;

કદાપિ માગે જનપાસ ભિક્ષા, કદાપિ દે છે વળી સારી શિક્ષા.1

આહાર કયારે ફળનો કરે છે, કયારેક તો પેટ જળે ભરે છે;

કરે  પ્રભુજી  દિવસે  પ્રવાસ,  વસે  નિશાયે  વનમાં  જ  વાસ.2

એવી  રીતે  તે  વિચર્યા  વિદેશ,  ઉલંઘિયાં  ગામ  પુરો  વિશેષ;

વીત્યા ઘણા વાસર એમ જયારે, તે નૈમિષારણ્ય ગયા જ ત્યારે.3

કાલિંદિ ગંગાતટ ભાગ એહ, ગણાય છે પૃથ્વી પવિત્ર જેહ;

જયાં નિર્મળી ધેનુમતિ નદી છે, નિવાસ ત્યાં સૌ સુરસાથ ઇચ્છે.4

મુનિ તણા આશ્રમ ત્યાં અનેક, મળ્યા મુનિ સૌ ગણિ ઇષ્ટ એક;

લેતાં  સગાં  દર્શનસુખ  જેહ,  દીધું  મુનીને  લઇ  ત્યાંથી  તેહ.5

સર્વે  મુનિને  મન  ધૈર્ય  દીધું,  વિજોગનું  કષ્ટ  વિનાશ  કીધુ;

કરી  તહાં  વાસર  ચાર  વાસ,  પછી  પધાર્યા  કરવા  પ્રવાસ.6

આવ્યું જતાં શ્રીપુરનામ ગામ, આદિત્ય અસ્તંગત એહ ઠામ;

સમીપ દીઠો મઠ એક સારો, ત્યાં ઓટલે આવી કર્યો ઉતારો.7

મહાંતજી  તે  મઠમાં  રહે  છે,  તે  આવીને  શ્રીહરિને  કહે  છે;

હે બ્રહ્માચારી મઠ માંહી આવો, કાં તો તમે ગામ વિષે સિધાવો.8

આવો જમો ભોજન રૂડીભાતે, સુવો સુખેથી મઠ માંહી રાતે;

ભાસે નિશામાં ભય સિંહ કેરો, તે પ્રાણીનો નાશ કરે ઘણેરો.9

કહું દયા અંતર માંહિ આણી, માનો મહારાજ અમારી વાણી;

કહે હરિ કાંઇ ધરૂં ન ત્રાસ, વસ્તિ વિષે તો ન ગમે નિવાસ.10

ઇચ્છા નથી ભોજનની  અમારે, શું કામ છે તો મઠ માંહિ ત્યારે?

આ ઓટલે ઠીક અમે સુવાશે, ભવિષ્યમાં જેહ થવાનું થાશે.11

અથ મૃત્યુ વિષે :-

સંતાઇ  પેઠે  નહિ  મોત  મુકે,  ચુકાવવાથી  નહિ  મોત  ચૂકે;

અનેક દોરા દિશ હાથ બાંધે, આયુષ્ય તૂટે નહિ કોઇ સાંધે.12

રાજા જુઓ વૈદ્ય અનેક રાખે, આરોગ્ય થાવા બહુ ચીજ ચાખે;

જીવાડવા જત્ન ઘણા કરે છે, તે તો ઘણા બાળપણે મરે છે.13

મૂર્ખા જનો મોત થકી ડરે છે, તે શું ડર્યાથી કદી ઊગરે છે ?

મોડું વહેલું મરવાનું જાણે, તો તે મુઆનો ભય શીદ આણે.14

જયાં મોત આવી ગ્રહશે જરૂર, જવા નહીં દે ડગ એક દૂર;

ત્યારે વિચારી દઢ ચિત્ત થાવું, જયારે મળે તત્ક્ષણ ઊઠી જાવું.15

વાટે  મળે  કે  કદી  નીર  ઘાટે,  નહીં  મુઝાવું  મન  મોત  માટે;

તૈયાર  થૈ  નિત્ય  જને  રહેવું,  ખમો  ઘડી  એમ  નહીં  કહેવું.16

આત્મા કદીયે મરતો નથી જ, સદા શરીરે ઠરતો નથી જ;

જ્ઞાની મુઆથી ડરતો નથી જ, તે હર્ષ શોકે કરતો નથી જ.17

જેને  મરીને  હરિધામ  જાવું,  તો  શીદ  શોકાતુર  ચિત્ત  થાવું;

જેને નથી નિશ્ચય ત્યાં જવાનો, તેને સદા શોક ઘણો થવાનો.18

એવું સુણીને ઉચર્યો મહાંત, વૃદ્ધો તણાં છે વચનો અભ્રાંત;

મેરૂ  ડગે  કે  રવિ  રાહ  ચૂકે,  મહીશ  જોગી  હઠ  તો  ન  મૂકે.19

મહાંત  સૂતો  મઠમાં  જઇને,  તે  દ્વારનાં  જોડ  કમાડ  દઇને;

પડી નિશા ને પુરદ્વાર વાશી, સૂતા સહુ તે પૂરના નિવાસી.20

ગયા નિશાના જુગ જામ જયારે, આવ્યો પ્રભુ આગળ સિંહ ત્યારે;

પાડે  બહુ  ત્રાડ  પ્રમત્ત  તેહ,  જાગ્યા  મહાંતાદિક  લોક  જેહ.21

જાણ્યું  મરાયો લધુ બ્રહ્માચારી, જોયું ઉધાડી અતિ ઊંચી બારી;

દીઠો પ્રભુ આગળ સિંહ બેઠો, ત્યારે થયો કાંઇક જીવ હેઠો.22

ઊંચે રહી ધીરજ ઊર ધારી, જુએ તમાસો ચિત્તમાં વિચારી;

જોયું પ્રભુએ નિજદષ્ટિ સાંધી, તે સિંહને તો થઇ ત્યાં સમાધી.23

અપૂર્વ  આશ્ચર્ય નિહાળી એવું, ન સાંભળેલું નવ દીઠું જેવું;

મહાંત  ને  શિષ્ય  કરે  વિચાર,  આ  તે  હશે  શંકર  કે  મુરાર.24

સમર્થ આ તો અતિશે જણાય, આવી ક્રિયા માણસથી ન થાય;

અરણ્યનો સિંહ દિસે અજાણ્યો, તે કેમ આ બાળકથી લજાણો?25

વીતી નિશાને પ્રગટ્યું પ્રભાત, જાગ્યાં પશું પક્ષી મનુષ્યજાત;

દૂરે  રહીને  જન  સિંહ  દેખે,  આશ્ચર્ય  મોટું  ઉર  માંહિ  લેખે.26

વાણી વદે છે જન સર્વ એમ, આ વર્ણીને છે વશ સિંહ કેમ ?

તો સિંહ જેવો જુલમી જણાય, મનુષ્ય તો વશ્ય અવશ્ય થાય.27

બીજો કહે પશ્ચિમ દેશ જયાં છે, કાઠી તણો ત્રાસ ઘણો જ ત્યાં છે;

જો  વર્ણી  આ  સોરઠ  દેશ  જાય,  જરૂર  કાઠીજન  વશ્ય  થાય.28

જે લોકની સંપત્તિ લૂંટી લે છે, જેનો બધી ભૂમિ વિષે જ ભે છે;

છે  ક્રૂર  તે  વાઘ  થકી  વિશેષ,  હત્યા  કરે  પાપ  ગણે  ન  લેશ.29

ગાયો  હરે  છે  દ્વિજકેરી  જયારે,  દોડવતાં  માર  અપાર  મારે;

તેનાથી ધ્રુજી રહી આખી ધર્તી, કરી શકે શું નૃપ ચક્રવર્તી.30

પૂર્વછાયો :-

એવી રીતે જન જોઇને, કહે આ તો અપૂર્વ છે વાત;

ઇશ્વરનો અવતાર છે, એહ જોગી નહિ જનતાત.31

ચોપાઈ :-

પછી  ત્યાંથી  ચાલ્યા  મહારાજ,  નદીને  તટ  નાવાને  કાજ;

સિંહ  શ્રીહરિ  પાછળ  જાય,  જેમ  ગોવાળ  પાછળ  ગાય.32

કહે  સિંહને  શ્રીઅવિનાશી,  જાઓ  વનમાં  તમે  વનવાસી;

પછી સિંહ ચાલ્યો ગયો વનમાં, ચાલી વાત તે તો પુર જનમાં.33

ત્યારે દર્શન કરવાને કાજ, ચાલ્યો પુરમાંથી જનનો સમાજ;

કહે  લોક  કરીને  પ્રણામ,  રહો  નાથ  અમારે  જ  ગામ.34

ત્યાં તો આવ્યા બાવો મઠધારી, ઘણે આગ્રહે વિનતિ ઉચ્ચારી;

ચાલો સોંપીશ હું મઠ તમને, શેર અન્ન જ આપજો અમને.35

લક્ષ  દ્રવ્યની  તો  છે  પેદાશ,  વળી  છે  બહુ  દાસી  ને  દાસ;

થાઓ  સર્વેના  માલિક  તમે,  દાન  પુન્ય  કરો  જેમ  ગમે.36

સુણી  બોલિયા  શ્રીહરિ  ત્યારે,  નથી  વૈભવ  જોતો  અમારે;

અમે તો જશુ તીર્થમાં ફરવા, સારા સંતનો સત્સંગ કરવા.37

ઉપજે જેને સાચો વૈરાગ, તે તો રાજયનો પણ કરે ત્યાગ;

પ્રભુચરણને  ચિત્ત  ચહાય,  તે  તો  લક્ષ્મીથી  નવ  લલચાય.38

સાચા વૈરાગ્ય વિષે :- ઉપજાતિવૃત્ત :-

સંસાર છોડી જન ભેખ ધારે, તે તો દિસે છે ત્રિવિધ પ્રકારે;

ભાખું  હવે  સાંભળ  ભેદ  ભાઇ,  ક્રોધે  સુબોધે  કરજે  મુંઝાઇ.39

સંસાર  છોડે  કરી  જેહ  ક્રોધ,  તે  ત્યાગી  થૈને  કરશે  વિરોધ;

સત્સંગકેરો મહિમા ન જાણે, નિમિત્ત અલ્પે અતિ ક્રોધ આણે.40

સૂજે નહી ઉદ્યમ દેવું થાય, મુંઝાઇ જોગી થઇ માંગી ખાય;

તે  તેહના  લક્ષણથી  જણાશે,  પદાર્થ  કે  સ્વાદ  સદા  ચહાશે.41

સંસાર તો સર્વ અસાર જાણી, જ્ઞાની તજે તેહ વિરાગ આણી;

જો અંતરેથી ઉલટી કરાય, તે પાછું ખાવા ચિત્ત શું ચહાય.42

સદ્યોગી  સૌને  નમતો  રહે  છે,  તે  શ્રીહરિને  ગમતો  રહે  છે;

દશેન્દ્રયોને  દમતો  રહે  છે,  માનાપમાનો  ખમતો  રહે  છે.43

જે જોગી ઇંદ્રાસન તુચ્છ જાણે, તે દ્રવ્યઇચ્છા ઉર  કેમ આણે;

સ્વાત્મા થકી ભિન્ન શરીર ધારે, ઇચ્છે નહીં દૈહિક સુખ કયારે.44

એવું કહી શ્રીહરિ તો સિધાવ્યા, જોતાં જનોની નજરે ન આવ્યા;

આશ્ચર્ય પામ્યા પુરના નિવાસી, વિજોગથી સર્વ થયા ઉદાસી.45

ઉલંઘી  મોટું  વન  વાટકેરું,  ક્ષુધાદિ  સંકષ્ટ  સહી  ધણેરું;

વીતી  ગયા  વાસર  કૈંક  જયારે,  ગયા  હરદ્વાર  દયાળુ  ત્યારે.46

જયાં ગુપ્તગંગા પ્રભુ ત્યાં પધાર્યા, જયોતિર્મઠે જૈ જન કૈંક તાર્યા;

શ્રીપુરથી  સંચરી  મેધશામ,  રહ્યા  જઇને  બદરીશ  ધામ.47

પ્રમિતાક્ષારાવૃત્ત :-

બદરીશ પાસ નદી ગંગ વહે, સુરલોકવાસી પણ ચિત્ત ચહે;

તનના ઉતાપ વળી પાપ હરે, જળથી પવિત્ર પળ માંહિ કરે.48

બહુ લોકસંઘ સજી જાય તહાં, જપવાથી થાય જપ સિદ્ધિ જહાં;

તટમાં તપસ્વિ જન વાસ કરે, હઠજોગ સાધી હરિધ્યાન ધરે.49

વળી વેદપાઠી ઋષિ વેદ ભણે, ઘરબાર છોડી રહી વર્ણિપણે;

ૠષિ કોઇ ગંગતટ યજ્ઞ કરે, ઉર સ્વર્ગવાસતણી આશ ધરે.50

હરખ્યા સમસ્ત હરિને નિરખી, સરિતા વિશેષ સહુથી હરખી;

કહી ધન્યધન્ય સુત ધર્મ તણા, સતકાર કીધ મળી સર્વ ઘણા.51

ધનહીન  હોય  ધન  જેમ  જડે,  હરખાય  રંકજન  રાજ  વડે;

ઉર સર્વને જ મુદ એમ થયો, કવિથી કદાપિ નવ જાય કહ્યો.52

અજ ઇશ નીશદિન ધ્યાન ધરે, મળવાની આશ મન માંહિ કરે;

કદી કલ્પ કોટિપણ જાય વહી, હરિમૂર્તિ તોય દરશાય નહી.53

કરુણાનિધાન  કરુણા  કરીને,  મળિયા  સુદેહ  નરનો  ધરીને;

જનજન્મ ધન્ય સુર સર્વ ગણે, સદભાગ્ય ભૂરિ સુરભૂપ ભણે.54

પ્રભુ નાહિ  ગંગજળ પાન કર્યું, સરિતાનું સર્વ મળ શામ હર્યુ;

પ્રભુ ધન્યધન્ય સરિતા ઉચરી, મુજને પવિત્ર અતિ આજ કરી.55

પૂર્વછાયો :-

નિર્મળ  નારદકુંડ  છે,  તપ્તકુંડ  તહાં  છે  એક;

ઉર્વશિસંગમ છે વળી, એવાં એવાં છે તીર્થ અનેક.56

ચોપાઈ :-

શિલા  એક  છે  નારદી  નામ,  વૈનતેયી  બીજી  તેહ  ઠામ;

ત્રીજી  વારાહી  નામ  વિશુદ્ધ,  નારસિંહી  ચોથી  જાણે  બુદ્ધ.57

નરનારાયણી શિલા જે છે, તે તો પાંચમી ગણતાં ગણે છે;

શિલા પાંચે તે તીર્થ પ્રમાણો, વળી ત્યાં અગ્નિતીર્થ છે જાણો.58

તીર્થ  ત્યાં  છે  કપાલમોચન,  તૈમિંગિલ  બીજું  તીર્થ  પાવન;

ઇન્દ્રપદ  તીર્થ  છે  એક  સારું,  માનસોદ્ભવ  તીર્થ  ઉચારું.59

કામતીર્થ  તથા  વસુધાર,  પંચધારા  છે  તીરથ  સાર;

તીર્થ  સોમકુંડાયન  જાણું,  દ્વાદશાદિત્ય  તીર્થ  વખાણું.60

ચતુઃશ્રોત  આદિક  ઘણાં  એહ,  પ્રભુએ  કર્યા  પાવન  તેહ;

શાંતમૂર્તિ  છે    શ્રીભગવાન,  તપ્તકુંડે  કર્યુ  જયારે  સ્નાન.61

તપ્તકુંડને  તો  ટાઢો  પાડ્યો,  અગ્નિતીર્થનો  તાપ  મટાડ્યો;

શિલા  પાંચ  કઠણ  હતી  જેહ,  પદ  સ્પરશે  મૃદુલ  થઈ  તેહ.62

પુષ્પિતાગ્રાવૃત્ત :-

હરિવર બદરીશ પાસ જૈને, નમી કર જોડી પ્રસન્નચિત્ત થૈને;

નિજજન મનને અભીત કીધાં, નિરભય વાકય વળી સુણાવી દીધાં.63

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ- બદરીકેદારગમનનામા તૃતીયો વિશ્રામઃ ।।3।।