પૂર્વછાયો :-

હે  નરપતિ  હું  હવે  કહું,  હરિના  વિચરણની  વાત;

ચાલ્યા  પ્રભુ  વટ  વૃક્ષથી,  થયું  પ્રગટ  જયારે  પ્રભાત.1

ચોપાઈ :-

જયારે વિચર્યા વને મહારાજ, ત્યારે હરખિયો સુરનો સમાજ;

પ્રભુ  તીર્થોને  પાવન  કરશે,  સઉ  અસુર  તણો  મદ  હરશે.2

વેદધર્મનો  કરશે  પ્રકાશ,  થશે  દેવોનાં  સંકટ  નાશ;

સર્વ  દુષ્ટનો  કરશે  સંહાર,  ભૂમિકેરો  ઉતારશે  ભાર.3

પ્રભુ ચાલ્યા જયાં કરવા પ્રવાસ, સર્વે અસુરને ઉપજિયો ત્રાસ;

થઇ પૃથવી તો મનમાં પ્રસન્ન, મને પદ રજે કરશે પાવન.4

તીર્થ લાગ્યાં હરખ મન ધરવા, પ્રભુ આવશે પાવન કરવા;

મન  નિશ્ચે  કરે  શેષનાગ,  મારાં  પ્રગટિયાં  પૂરણ  ભાગ્ય.5

જે  મેં  પૃથ્વી  ધારી  છે  શીશ,  તેના  ઉપર  ફરશે  મુનીશ;

પૃથ્વી  કરશે  ચરણરજરૂપ,  સદા  તે  શિર  ધરીશ  અનૂપ.6

વસે નભમાં જે સૂરજ ચંદ, એને ઉપજયો વિશેષ આનંદ;

પ્રભુ  પોઢતા  મંદિરમાંય,  ત્યારે  નવ  થતાં  દર્શન  ત્યાંય.7

વન વિચરશે વસ્તિને ત્યાગી, તેથી દર્શનની આડ ભાંગી;

હવે સાંભળો નૃપ ચિત્ત ધારી, ચાલ્યા જાય છે વનમાં મુરારી.8

જવા ઇચ્છા હિમાચળ ભણી, વાટ લીધી ઉત્તર દિશ તણી;

જે જે મારગે શ્યામ પધારે, રસ્તો તે આવી પવન સુધારે. 9

વળી  મેઘ  કરે  છંટકાવ,  ભલો  પ્રભુપદમાં  ધરી  ભાવ;

વળી  મંદ  સુગંધ  ને  શીત,  એવો  વાયુ  વહે  હરિ  હીત.10

જયારે સૂરજનો તાપ તપે છે, શિર છાયા ત્યાં મેઘ કરે છે;

જયારે વાદળાં નભમાં છવાય, ત્યારે દર્શન રવિને ન થાય.11

શોષે  મેઘનું  જીવન  ભાનુ,  તે  તો  વેર  તે  કારણ  માનુ;

પશુ પક્ષી વસે છે જે વનમાં, દેખી હરિને તે હરખે છે મનમાં.12

મૂર્તિ  માવની  છે  ચિત્તચોર,  જુએ  સૌ  જેમ  ચંદ્ર  ચકોર;

કોઇ  પ્રાણી  સમાધિમાં  જાય,  હરિધામ  દેખી  હરખાય.13

કોઇ  પામે  પૂરવભવ  જ્ઞાન,  કોઇ  તો  ધરે  મૂર્તિનું  ધ્યાન;

પોત  પોતા  તણી  ભાષામાંય,  પશુ  પક્ષી  હરિગુણ  ગાય.14

ડોલે પવનથી ઝાડની ડાળી, જાણે નાચે છે નાથને ભાળી;

નાની  ડાળખી  પવને  ફરે  છે,  જાણે  કૃષ્ણને  ચમર  કરે  છે.15

પત્ર પુષ્પ કે ફળ પડે આવી, જાણે પ્રભુજીને પૂજા ચડાવી;

પક્ષી  ઉચરે  મધુર  સ્વર  એમ,  પૂજા  મંત્ર  ભણે  વિપ્ર  જેમ.16

કરે  મોર  ત્યાં  મોટો  ઉચ્ચાર,  જેમ  બોલે  મુખે  છડીદાર;

વનવાસીને  તે  ચેતાવે  છે,  નિઘા  રાખો  નિહાળો  કહે  છે.17

લીલાં ઘાસ દિસે મનહરણાં, જાણે પાથર્યા હોય પાથરણાં;

નભે મેઘે અખાડો મચાવ્યો, જાણે ઇન્દ્ર તે દર્શને આવ્યો.18

તાણ્યું ઇન્દ્રે ધનુષ્ય આકાશ, જાણે તજીયો અસુરનો ત્રાસ;

હવે હરિની સહાયતા જાણી, રહ્યો અસુર ઉપર ચાપ તાણી.19

કરે  વિજળી  બહુ  સળકારા,  જાણે  ખડગ  તણા  ચળકારા;

ગાજે  વ્યોમ  વિષે  વરસાદ,  જાણે  નોબતનો  એ  તો  નાદ.20

હરિને  શિર  વરસે  છે  મેહ,  અભિષેક  કરે  છે    શું  એહ;

ચાલ્યા  નાના  પ્રવાહ  તે  ત્યાંય,  મળ્યું  હરિચરણોદક  માંય.21

તે  તો  જઇ  મળિયા  સરિતાને,  જેમ  પુત્ર  કમાઇ  દે  માને;

સતીને મળે જો વસ્તુ સારી, તે તો સ્વામીને સોંપે વિચારી.22

તેમ  નદી  ચરણોદક  લૈને,  સોંપે  સાગરને  સર્વ  જઇને;

નીચી ભૂમિકા જયાં જયાં જણાય,જળ ત્યાં ત્યાં જઇને ભરાય.23

જેમ  નમ્રતા  જેહ  ધરે  છે,  તેમાં  સદ્ગુણ  જઇને  ઠરે  છે;

અભ્રવૃંદ  આવે  અને  જાય,  જેમ  દર્શને  સુર  સમુદાય.24

કળા  પૂરીને  મોર  નાચે  છે,  જાણે  મુગટ  થવાને  ઇચ્છે  છે;

ઘણા  દાદુરના  શબ્દ  થાય,  જાણે  હરિજન  હરિગુણ  ગાય.25

ઇન્દ્રગોપ નજર બહુ આવે, જાણે સુર મણિ લાલે વધાવે;

પ્રભુ  ખેપી  પાપી  બળી  જાય,  તેમ  સર્વે  જવાસા  સુકાય.26

ધરા  ઉપર  ધૂળ  ન  ભાસે,  જેમ  પ્રભુ  પરસે  અઘ  નાસે;

જળ નવ રહે ખંડિત સરમાં, જેમ ગુણ ન રહે ખળ નરમાં.27

જળ  થાય  મેલું  મહિસંગ,  જાણે  સંગનો  લાગ્યો  છે  રંગ;

શોભે ધાન્ય અંકુર શુભપેર, જાણે લક્ષ્મીની એ તો લહેર.28

બહુ  ઉપજયા  દિસે  જીવજંત,  ધર્યા  દેહ  શું  મુકત  અનંત;

પુણ્યશાળી  ન  હોય  જો  પ્રાણી,  કેમ  દર્શન  દે  પદ્મપાણી.29

બ્રહ્મા ભવ જેહ દર્શન ચહાય, પૂરા પુણ્ય વિના કયાંથી થાય;

જયારે ચાલ્યા પ્રભુ જુગ જામ, ત્યારે આવ્યું ત્યાં તો એક ગામ.30

પૂર્વછાયો :-

પાણી પીવા પ્રભુજી ગયા, પાસે સરોવર તીર

ગામની નારી અનેક મળી, ભરતી હતી ત્યાં નીર.31

ત્યાંથી  તટ  એકાંત  જૈ,  ગળી  લીધું  જળ  તતકાળ;

શાલગ્રામને  તે  ધરી,  પછી  પીધું  દીનદયાળ.32

ચોપાઈ :-

ત્યાં તો આવી ચડી એક નારી, તેણે દીઠા બટુક બ્રહ્મચારી;

રુડી  મૂર્તિ  મનોહર  જોઇ,  ઘણીવાર  રહી  ચિત્ત  પ્રોઇ.33

પછી  જૈ  કહી  બીજીને  વાત,  એક  અરચજ  છે  સાક્ષાત;

ચાલો નિરખો બટુક બ્રહ્માચારી, છબી તેની ત્રિલોકથી ન્યારી.34

એવું  સાંભળીને  સહુ  બાઇ,  બેડાં  મૂકી  તે  જોવાને  ધાઈ;

રાંક  સોનું  તે  લૂંટવા  જાય,  તેમ  સર્વ  ઉતાવળી  ધાય.35

કોઇ  દોડતી  ભોંય  પડે  છે,  ઉઠી  તરત  ફરીને  દોડે  છે;

જઇ નિરખિયા તે બ્રહ્મચારી, દેખી વિસ્મિત થઇ સૌ નારી.36

છબી અદ્ભુત છે એમ જાણી, વનિતા એક ઉચ્ચરી વાણી;

આતો  છે  કોઇ  રાજકુમાર,  કાં  તો  દેવ  તણો  અવતાર.37

જેહ માત આવો પુત્ર પામી, તેના ભાગ્ય વિષે નહીં ખામી;

પૂરાં પુણ્ય કર્યા હોય જયારે, આવો પુત્ર તો પામીયે ત્યારે.38

ત્યારે બોલી બીજી એક બાઇ, કયાંથી આવ્યો હશે એહ ભાઇ?

કાં તો કયાંઇ જતાં ભૂલો પડિયો, તેથી આ ઠેકાણે આવી ચડિયો.39

પડે છે મારા મન માંહિ ભ્રાંત, માતા કરતી હશે કલપાંત;

આવું  રત્ન  તે  ખોવાયું  જેનું,  ધરે  ધીરજ  મન  કેમ  તેનું  ?40

ત્રીજી બાઇ બોલી મર્મ એવો, આનો વેષ છે જોગીના જેવો;

કોઇ  જોગિયે  કરવાને  ચેલો,  ભૂતિ  નાંખી  હશે  ભ્રમાવેલો.41

પછી ત્યાંથી હશે લાગ ફાવ્યો, ત્યારે નાસીને આ ગામ આવ્યો;

ત્યારે બોલી વળી એક નારી, એને પૂછિયે વાત વિચારી.42

એવો  અંતરમાં  મર્મ  ધારી,  કહ્યું  બોલો  બાળા  બ્રહ્મચારી;

કહો તમને કેણે ભરમાવ્યા? કહો કયાં થકી આ ગામ આવ્યા ?43

તમે વાસ વસો કિયે ગામ ? કહો શું છે તમોતણું નામ ?

તમે જનમિયા તે કઇ જાત ? કહો કોણ છે માત ને તાત ?44

કેમ દેશનો ત્યાગ કર્યો છે ? કેમ જોગીનો વેષ ધર્યો છે ?

હજુ ઉમ્મર છે છોટી છેક, કયાંથી આવ્યા તમે એકાએક ?45

કોઇ  ધૂતારે  દેખાડી  માયા,  કે  શું  માતપિતાથી  રિસાયા?

કે  શું  ભાભીએ  મેણલું  માર્યુ  ?  તેથી  હેત  સગાનું  ઉતાર્યુ.46

અતિ કોમળ દિસે છે અંગ, કેમ શોધ્યો ન કોઇનો સંગ ?

નથી કેમ પગરખાં પગમાં, કેમ ચાલી શકયા જ મારગમાં ?47

ચાલો  ગામમાં  બાળક  બાવા,  દેશું  માખણ  રોટલો  ખાવા;

દિસે  દુધિયા  દાંત  તમારા,  તમે  છો  પરણ્યા  કે  કુંવારા  ?48

પુરાં  વસ્ત્ર  નથી  તમ  પાસે,  કેમ  નીસર્યા  ભર  ચોમાસે  ?

જયારે ચોમાસું જગતમાં થાય, ત્યારે જન પરગામ ન જાય.49

જાય  વેપારી  પરદેશ  જેહ,  આવે  ધેર  ચોમાસે  તો  એહ;

રાજા  જીતવા  જાય  વિદેશ,  વસે  ચોમાસે  આવી  સ્વદેશ.50

જોગી પણ જયારે ચાતુરમાસ, વસે એક સ્થળે સ્થિર વાસ;

પંખી  માળો  રચી  સ્થિર  થાય,  દુર  દેશ  ચોમાસે  ન  જાય.51

તમે નિસર્યા ઉતાવળા આમ, એવું શું છે ઉતાવળું કામ ?

સાચે સાચી કહો વાત અમને, નહિ તો જવા નહિ દૈયે તમને.52

પત્ર  લખશું  તમારા  સગાને,  તેથી  આવશે  તે  તેડવાને;

એવાં ઉચાર્યા વચન અનેક, આપ્યો હરિએ ન ઉત્તર એક.53

ત્યારે  એક  કહે  સુણો  બાઇ,  કાં  તો  બાળ  ગયો  ગભરાઇ;

કાં તો ભૂતિથી મન છે ભ્રમાતું, તેથી બોલી નથી જ શકાતું.54

એક  પ્રમદા  પકડવા  ધાય,  ત્યારે  જીવન  વેગળા  જાય;

નથી ગમતો નારીતન ગંધ, નથી ગમતો બોલ્યાનો સંબંધ.55

નથી ગમતું જ વસ્તિમાં વસવું, નથી ગમતું કોઇ સાથે હસવું;

ચાલ્યા ચપળ ગતી બ્રહ્માચારી, તેને પકડી શકી નહિ નારી.56

જયારે  દીઠા  નહીં  અવિનાશ,  વળી  પાછી  થઇને  નિરાશ;

પણ  મૂર્તિ  વશી  મનમાંય,  તે  તો  કદીયે  ન  વીસરી  જાય.57

સદ્ગુણ  તેના  સાંભરે  જયારે,  સ્નેહ  ઊપજે  અંતરે  ત્યારે;

એવી રીત્યે જયાં જયાં હરિ જાય, કોટિ જીવનાં કલ્યાણ થાય.58

જેના મનમાં વસે પ્રભુ આપ, તેનાં પળમાં પ્રલય થાય પાપ;

અંતકાળે  જો  સાંભરી  આવે,  એ  તો  અક્ષરધામ  સિધાવે.59

પુષ્પિતાગ્રાવૃત્ત :-

હરિવર  વિચરી  તહાંથી  દૂર,  રજનિ  રહ્યા  વનમાં  જઇ  જરૂર;

અસુર અધિક આવતા વિલોકી, દિગપતિ દેવ કરે સદૈવ ચોકી.60

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિવનવિચરણે વર્ષાવર્ણનનામા દ્વિતીયો વિશ્રામઃ ।।2।।