પૂર્વછાયો :-
હે નરપતિ હું હવે કહું, હરિના વિચરણની વાત;
ચાલ્યા પ્રભુ વટ વૃક્ષથી, થયું પ્રગટ જયારે પ્રભાત.1
ચોપાઈ :-
જયારે વિચર્યા વને મહારાજ, ત્યારે હરખિયો સુરનો સમાજ;
પ્રભુ તીર્થોને પાવન કરશે, સઉ અસુર તણો મદ હરશે.2
વેદધર્મનો કરશે પ્રકાશ, થશે દેવોનાં સંકટ નાશ;
સર્વ દુષ્ટનો કરશે સંહાર, ભૂમિકેરો ઉતારશે ભાર.3
પ્રભુ ચાલ્યા જયાં કરવા પ્રવાસ, સર્વે અસુરને ઉપજિયો ત્રાસ;
થઇ પૃથવી તો મનમાં પ્રસન્ન, મને પદ રજે કરશે પાવન.4
તીર્થ લાગ્યાં હરખ મન ધરવા, પ્રભુ આવશે પાવન કરવા;
મન નિશ્ચે કરે શેષનાગ, મારાં પ્રગટિયાં પૂરણ ભાગ્ય.5
જે મેં પૃથ્વી ધારી છે શીશ, તેના ઉપર ફરશે મુનીશ;
પૃથ્વી કરશે ચરણરજરૂપ, સદા તે શિર ધરીશ અનૂપ.6
વસે નભમાં જે સૂરજ ચંદ, એને ઉપજયો વિશેષ આનંદ;
પ્રભુ પોઢતા મંદિરમાંય, ત્યારે નવ થતાં દર્શન ત્યાંય.7
વન વિચરશે વસ્તિને ત્યાગી, તેથી દર્શનની આડ ભાંગી;
હવે સાંભળો નૃપ ચિત્ત ધારી, ચાલ્યા જાય છે વનમાં મુરારી.8
જવા ઇચ્છા હિમાચળ ભણી, વાટ લીધી ઉત્તર દિશ તણી;
જે જે મારગે શ્યામ પધારે, રસ્તો તે આવી પવન સુધારે. 9
વળી મેઘ કરે છંટકાવ, ભલો પ્રભુપદમાં ધરી ભાવ;
વળી મંદ સુગંધ ને શીત, એવો વાયુ વહે હરિ હીત.10
જયારે સૂરજનો તાપ તપે છે, શિર છાયા ત્યાં મેઘ કરે છે;
જયારે વાદળાં નભમાં છવાય, ત્યારે દર્શન રવિને ન થાય.11
શોષે મેઘનું જીવન ભાનુ, તે તો વેર તે કારણ માનુ;
પશુ પક્ષી વસે છે જે વનમાં, દેખી હરિને તે હરખે છે મનમાં.12
મૂર્તિ માવની છે ચિત્તચોર, જુએ સૌ જેમ ચંદ્ર ચકોર;
કોઇ પ્રાણી સમાધિમાં જાય, હરિધામ દેખી હરખાય.13
કોઇ પામે પૂરવભવ જ્ઞાન, કોઇ તો ધરે મૂર્તિનું ધ્યાન;
પોત પોતા તણી ભાષામાંય, પશુ પક્ષી હરિગુણ ગાય.14
ડોલે પવનથી ઝાડની ડાળી, જાણે નાચે છે નાથને ભાળી;
નાની ડાળખી પવને ફરે છે, જાણે કૃષ્ણને ચમર કરે છે.15
પત્ર પુષ્પ કે ફળ પડે આવી, જાણે પ્રભુજીને પૂજા ચડાવી;
પક્ષી ઉચરે મધુર સ્વર એમ, પૂજા મંત્ર ભણે વિપ્ર જેમ.16
કરે મોર ત્યાં મોટો ઉચ્ચાર, જેમ બોલે મુખે છડીદાર;
વનવાસીને તે ચેતાવે છે, નિઘા રાખો નિહાળો કહે છે.17
લીલાં ઘાસ દિસે મનહરણાં, જાણે પાથર્યા હોય પાથરણાં;
નભે મેઘે અખાડો મચાવ્યો, જાણે ઇન્દ્ર તે દર્શને આવ્યો.18
તાણ્યું ઇન્દ્રે ધનુષ્ય આકાશ, જાણે તજીયો અસુરનો ત્રાસ;
હવે હરિની સહાયતા જાણી, રહ્યો અસુર ઉપર ચાપ તાણી.19
કરે વિજળી બહુ સળકારા, જાણે ખડગ તણા ચળકારા;
ગાજે વ્યોમ વિષે વરસાદ, જાણે નોબતનો એ તો નાદ.20
હરિને શિર વરસે છે મેહ, અભિષેક કરે છે શું એહ;
ચાલ્યા નાના પ્રવાહ તે ત્યાંય, મળ્યું હરિચરણોદક માંય.21
તે તો જઇ મળિયા સરિતાને, જેમ પુત્ર કમાઇ દે માને;
સતીને મળે જો વસ્તુ સારી, તે તો સ્વામીને સોંપે વિચારી.22
તેમ નદી ચરણોદક લૈને, સોંપે સાગરને સર્વ જઇને;
નીચી ભૂમિકા જયાં જયાં જણાય,જળ ત્યાં ત્યાં જઇને ભરાય.23
જેમ નમ્રતા જેહ ધરે છે, તેમાં સદ્ગુણ જઇને ઠરે છે;
અભ્રવૃંદ આવે અને જાય, જેમ દર્શને સુર સમુદાય.24
કળા પૂરીને મોર નાચે છે, જાણે મુગટ થવાને ઇચ્છે છે;
ઘણા દાદુરના શબ્દ થાય, જાણે હરિજન હરિગુણ ગાય.25
ઇન્દ્રગોપ નજર બહુ આવે, જાણે સુર મણિ લાલે વધાવે;
પ્રભુ ખેપી પાપી બળી જાય, તેમ સર્વે જવાસા સુકાય.26
ધરા ઉપર ધૂળ ન ભાસે, જેમ પ્રભુ પરસે અઘ નાસે;
જળ નવ રહે ખંડિત સરમાં, જેમ ગુણ ન રહે ખળ નરમાં.27
જળ થાય મેલું મહિસંગ, જાણે સંગનો લાગ્યો છે રંગ;
શોભે ધાન્ય અંકુર શુભપેર, જાણે લક્ષ્મીની એ તો લહેર.28
બહુ ઉપજયા દિસે જીવજંત, ધર્યા દેહ શું મુકત અનંત;
પુણ્યશાળી ન હોય જો પ્રાણી, કેમ દર્શન દે પદ્મપાણી.29
બ્રહ્મા ભવ જેહ દર્શન ચહાય, પૂરા પુણ્ય વિના કયાંથી થાય;
જયારે ચાલ્યા પ્રભુ જુગ જામ, ત્યારે આવ્યું ત્યાં તો એક ગામ.30
પૂર્વછાયો :-
પાણી પીવા પ્રભુજી ગયા, પાસે સરોવર તીર
ગામની નારી અનેક મળી, ભરતી હતી ત્યાં નીર.31
ત્યાંથી તટ એકાંત જૈ, ગળી લીધું જળ તતકાળ;
શાલગ્રામને તે ધરી, પછી પીધું દીનદયાળ.32
ચોપાઈ :-
ત્યાં તો આવી ચડી એક નારી, તેણે દીઠા બટુક બ્રહ્મચારી;
રુડી મૂર્તિ મનોહર જોઇ, ઘણીવાર રહી ચિત્ત પ્રોઇ.33
પછી જૈ કહી બીજીને વાત, એક અરચજ છે સાક્ષાત;
ચાલો નિરખો બટુક બ્રહ્માચારી, છબી તેની ત્રિલોકથી ન્યારી.34
એવું સાંભળીને સહુ બાઇ, બેડાં મૂકી તે જોવાને ધાઈ;
રાંક સોનું તે લૂંટવા જાય, તેમ સર્વ ઉતાવળી ધાય.35
કોઇ દોડતી ભોંય પડે છે, ઉઠી તરત ફરીને દોડે છે;
જઇ નિરખિયા તે બ્રહ્મચારી, દેખી વિસ્મિત થઇ સૌ નારી.36
છબી અદ્ભુત છે એમ જાણી, વનિતા એક ઉચ્ચરી વાણી;
આતો છે કોઇ રાજકુમાર, કાં તો દેવ તણો અવતાર.37
જેહ માત આવો પુત્ર પામી, તેના ભાગ્ય વિષે નહીં ખામી;
પૂરાં પુણ્ય કર્યા હોય જયારે, આવો પુત્ર તો પામીયે ત્યારે.38
ત્યારે બોલી બીજી એક બાઇ, કયાંથી આવ્યો હશે એહ ભાઇ?
કાં તો કયાંઇ જતાં ભૂલો પડિયો, તેથી આ ઠેકાણે આવી ચડિયો.39
પડે છે મારા મન માંહિ ભ્રાંત, માતા કરતી હશે કલપાંત;
આવું રત્ન તે ખોવાયું જેનું, ધરે ધીરજ મન કેમ તેનું ?40
ત્રીજી બાઇ બોલી મર્મ એવો, આનો વેષ છે જોગીના જેવો;
કોઇ જોગિયે કરવાને ચેલો, ભૂતિ નાંખી હશે ભ્રમાવેલો.41
પછી ત્યાંથી હશે લાગ ફાવ્યો, ત્યારે નાસીને આ ગામ આવ્યો;
ત્યારે બોલી વળી એક નારી, એને પૂછિયે વાત વિચારી.42
એવો અંતરમાં મર્મ ધારી, કહ્યું બોલો બાળા બ્રહ્મચારી;
કહો તમને કેણે ભરમાવ્યા? કહો કયાં થકી આ ગામ આવ્યા ?43
તમે વાસ વસો કિયે ગામ ? કહો શું છે તમોતણું નામ ?
તમે જનમિયા તે કઇ જાત ? કહો કોણ છે માત ને તાત ?44
કેમ દેશનો ત્યાગ કર્યો છે ? કેમ જોગીનો વેષ ધર્યો છે ?
હજુ ઉમ્મર છે છોટી છેક, કયાંથી આવ્યા તમે એકાએક ?45
કોઇ ધૂતારે દેખાડી માયા, કે શું માતપિતાથી રિસાયા?
કે શું ભાભીએ મેણલું માર્યુ ? તેથી હેત સગાનું ઉતાર્યુ.46
અતિ કોમળ દિસે છે અંગ, કેમ શોધ્યો ન કોઇનો સંગ ?
નથી કેમ પગરખાં પગમાં, કેમ ચાલી શકયા જ મારગમાં ?47
ચાલો ગામમાં બાળક બાવા, દેશું માખણ રોટલો ખાવા;
દિસે દુધિયા દાંત તમારા, તમે છો પરણ્યા કે કુંવારા ?48
પુરાં વસ્ત્ર નથી તમ પાસે, કેમ નીસર્યા ભર ચોમાસે ?
જયારે ચોમાસું જગતમાં થાય, ત્યારે જન પરગામ ન જાય.49
જાય વેપારી પરદેશ જેહ, આવે ધેર ચોમાસે તો એહ;
રાજા જીતવા જાય વિદેશ, વસે ચોમાસે આવી સ્વદેશ.50
જોગી પણ જયારે ચાતુરમાસ, વસે એક સ્થળે સ્થિર વાસ;
પંખી માળો રચી સ્થિર થાય, દુર દેશ ચોમાસે ન જાય.51
તમે નિસર્યા ઉતાવળા આમ, એવું શું છે ઉતાવળું કામ ?
સાચે સાચી કહો વાત અમને, નહિ તો જવા નહિ દૈયે તમને.52
પત્ર લખશું તમારા સગાને, તેથી આવશે તે તેડવાને;
એવાં ઉચાર્યા વચન અનેક, આપ્યો હરિએ ન ઉત્તર એક.53
ત્યારે એક કહે સુણો બાઇ, કાં તો બાળ ગયો ગભરાઇ;
કાં તો ભૂતિથી મન છે ભ્રમાતું, તેથી બોલી નથી જ શકાતું.54
એક પ્રમદા પકડવા ધાય, ત્યારે જીવન વેગળા જાય;
નથી ગમતો નારીતન ગંધ, નથી ગમતો બોલ્યાનો સંબંધ.55
નથી ગમતું જ વસ્તિમાં વસવું, નથી ગમતું કોઇ સાથે હસવું;
ચાલ્યા ચપળ ગતી બ્રહ્માચારી, તેને પકડી શકી નહિ નારી.56
જયારે દીઠા નહીં અવિનાશ, વળી પાછી થઇને નિરાશ;
પણ મૂર્તિ વશી મનમાંય, તે તો કદીયે ન વીસરી જાય.57
સદ્ગુણ તેના સાંભરે જયારે, સ્નેહ ઊપજે અંતરે ત્યારે;
એવી રીત્યે જયાં જયાં હરિ જાય, કોટિ જીવનાં કલ્યાણ થાય.58
જેના મનમાં વસે પ્રભુ આપ, તેનાં પળમાં પ્રલય થાય પાપ;
અંતકાળે જો સાંભરી આવે, એ તો અક્ષરધામ સિધાવે.59
પુષ્પિતાગ્રાવૃત્ત :-
હરિવર વિચરી તહાંથી દૂર, રજનિ રહ્યા વનમાં જઇ જરૂર;
અસુર અધિક આવતા વિલોકી, દિગપતિ દેવ કરે સદૈવ ચોકી.60
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિવનવિચરણે વર્ષાવર્ણનનામા દ્વિતીયો વિશ્રામઃ ।।2।।