વનવિહારનામ તૃતીય કલશ પ્રારંભઃ
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
વંદૂ શ્રીવરણીન્દ્રવેષ ધરીને જે તીર્થમાં જૈ ફર્યા,
દૈવીને નિજજ્ઞાનદાન દઇને દુષ્ટો વિનષ્ટો કર્યા;
હીમાદ્રી પુરુષોત્તમાખ્ય પુરી જૈ શ્રીસેતુબંધે ગયા,
કાંચીથી ગુજરાત પ્રાંત થઇને જે લોજમાં જૈ રહ્યા.1
ઉપજાતિવૃત્ત :-
વર્ણી કહે સાંભળ ભૂપ ભ્રાત, કહું અયોધ્યાપુર કેરી વાત;
શ્રીશામ જયારે ઘરથી સિધાવ્યા, પ્રભુ તણા મિત્ર પછીથી આવ્યા.2
જયારે ન જોયા ઘરમાં હરિને, જોયાં બીજાં સ્થાનક તે ફરીને;
સરિત્તટે ને સુરમંદિરોમાં, ક્રીડા કર્યાની સઘળી જગોમાં.3
આશા મળ્યાની મનથી તજીને, કહ્યું જઇ રામપ્રતાપજીને;
જોયું અમે સ્થાન બધે ફરીને, દીઠા નહીં કોઇ સ્થળે હરિને.4
તે સાંભળીને પડી પેટ ફાળ, લાગી રુદેમાં વિરહાગ્નિ ઝાળ;
ભોજાઇ ભાઇ ભયભીત થૈને, રુએ ઘણાં સાસ ઉસાસ લૈને.5
પછી જઇ રામપ્રતાપજીયે, જોયું પુરીમાં વળતી નદીયે;
જોઇ જઇને સહુ ફૂલવાડી, જોવા તણી સર્વ મણા મટાડી.6
પછી ઉદાસી થઇ ઘેર આવ્યા, પ્રભુ તણી ભાળ કશી ન લાવ્યા;
કુટુંબ સૌને ઉપજયો કલેશ, રહી નહીં ધીરજ ચિત્ત લેશ.7
થયા ઉદાસી પુરવાસી લોક, સૌને થયો ચિત્ત અથાગ શોક;
રહ્યાં ઘરોઘેર સુઅન્ન રાંધ્યાં, શોકે સહુ ઊપર બાણ સાંધ્યાં.8
દિસે અયોધ્યાપુર આજ કેવું, આત્મા વિના હોય શરીર જેવું;
રુવે જનો બાળક ને જુવાન, વૃદ્ધો તણી તો ગઇ શુદ્ધ સાન.9
રુએ અતિશે વળી ભાઇ છોટા, ભાઇ ગયા કયાં મુજથી જ મોટા;
માતા પિતા તો ગતબાળ મેલી, મેં જાણ્યું મારો ઘનશામ બેલી.10
તે પાળશે સૌ મુજ લાડ કોડ, મનોર્થ મારા ફળશે કરોડ;
લગાડી તેણે તજતાં જ વાર, દયા ન આવી દિલમાં લગાર.11
ઇચ્છારામભાઇનો વિલાપ :-
પદ :- 1
હવે હું કયાં જઉં હો જી રે સુખનિધિ કયાં મળે ઘનશામ…..ટેક.
સગાં તજીને શ્રીહરિ ગયા તીરથ કરવા કામ,
છાતિ ફાટે તેમ છેક રુએ છે અનુજ ઇચ્છારામ..હવે હું 12
અધર ફરકે અને વહે છે આંખે આંસુડાની ધાર,
મુખે વિરહની વેદનાનો કરે ઘણો પોકાર..હવે હું 13
માતપિતા મરતાં મને હતી અંતર એવી આશ,
શ્રીહરિ લાડ લડાવશે મને રાખી પોતાની પાસ..હવે હું 14
આને સદા સંભાળજો એમ કહી ગયાં માત તાત,
માતા પિતાનાં વચન તે કેમ ભૂલી ગયા તમે ભ્રાંત..હવે હું 15
બાળપણામાં મુકયો રખડતો દયા ન આવી દયાળ,
હે કૃષ્ણ તમને કોણ કહેશે પ્રણતજનપ્રતિપાળ..હવે હું 16
મુખે માગું તે આપતા ઘણો નેહ જણાવતા નાથ,
રુદન કરતો દેખતા ત્યારે ચાંપતા છાતીસાથ..હવે હું 17
મારી આંખે આંસુ આવતાં ત્યારે નેણે ભરતા નીર,
આજ આંસુ લૂવા આવતા નથી વાલપ કયાં ગઇ વીર..હવે હું 18
છેક છોટો મુને જાણીને હરિ રાખો રુદેમાં વહાલ,
મુજને લાડ લડાવવા આવો વિશ્વવિહારીલાલ..હવે હું 19
પદ :- 2
હરિ તમે કયાં ગયા હો જી રે તમ વિના ટળવળું છું હુંય….ટેક.
મુજ વિના નવ બેસતા કદી ભોજન કરવા કાજ,
હવે ભોજન કેમ ભાવશે અરે મુજ વિના મહારાજ..હરિ તમે 20
દર્શન કરવા દેવનાં મને તેડી જતા નિજસાથ,
કઠણ કરીને કાળજું કેમ નાશી ગયા તમે નાથ..હરિ તમે 21
દિવસે દિલ નથી ગોઠતું ને રાતે રહ્યું નવ જાય,
શામ વિના અતિ સુનું લાગે મને મંદિર ખાવા ધાય..હરિ તમે 22
સંકટ બીજાં સાંખીએ પણ આ દુઃખ અપરમપાર,
જગતમાં કેમ જીવીએ ગયો જીવનનો આધાર..હરિ તમે 23
મેડી મંદિરને માળિયાં વળી ચૌટા ચોક બજાર,
તમ વિના ત્રિભુવનપતિ મને ભાસે બધું ભયંકાર..હરિ તમે 24
રોઇ આંખો રાતી થઇને નેણનું ખૂટ્યું નીર,
દુઃખસાગરમાં ડુબતાં કરો સહાય શામશરીર..હરિ તમે 25
પાળી પોષી મોટો કર્યો પછી માર્યા વિરહનાં બાણ,
હે જગજીવન તમ જતાં કેમ જીવાય જીવનપ્રાણ..હરિ તમે 26
આગ્ય થકી અતિ આકરી લાગે વીર વિરહની ઝાળ,
ઉતાવળા આવી ઓલાવી નાંખો વિશ્વવિહારીલાલ..હરિ તમે 27
પદ :- 3
હવે હું શું કરું હો જી રે હરિ વિના કેમ મેં રહેવાય…….ટેક.
ભણકારા મને ભાઇના વાગે જાણું કરે છે સાદ,
પળેપળે પુરુષોત્તમ કેરા આવે ગુણ મને યાદ..હવે હું શું 28
મને મૂકી તમે બાંધવ મારા નહિ પીતા કદી નીર,
એવો અપૂરવ સ્નેહ સદાનો કેમ વિસાર્યો વીર..હવે હું શું 29
મેં જાણ્યું મને પરણાવશે હરિ અંગ ધરીને ઉમંગ,
નોતું જાણ્યું નીલકંઠજી આમ રંગમાં કરશો ભંગ..હવે હું શું 30
ભાઇ મને ભલી વિદ્યા ભણાવશે એવી હતી ઘણી આશ,
હામ હૈયાની રહી હૈયામાં કીધો અતિશે ઉદાસ..હવે હું શું 31
વાંક કરમના આંકનો એમાં કરી શકે શું કોય,
બાળપણે શીદ માતા મરે જો કરમમાં સુખ હોય..હવે હું શું 32
માત પિતા વીસર્યા હતાં મને દેખી હરિનું હેત,
તે તો હરિ મને તજી ગયા તેથી આજ થયો છું અચેત..હવે હું શું 33
વિવેકહીન તું દિસે વિધાતા મનમાં ન રાખે મેહેર,
વાલા વીરાનો વિજોગ લખીયો કર્યો તે કાળો કેર..હવે હું શું 34
કોણ જાણે હવે કેટલો જાશે વીર વિજોગે કાળ,
મને ફરીથી કયારે મળશે વિશ્વવિહારીલાલ..હવે હું શું 35
પદ :- 4
ધીરજ કેમ ધરું હો જી રે વિરહની વેદના ન ખમાય…..ટેક.
પાંખોવાળાં પંખીયો તમે વિચરો દેશ વિદેશ,
ભાઇ તમારો ટળવળે એમ શામને કહો સંદેશ..ધીરજ કેમ 36
ઉચ્ચરજો વળી એટલું જે ઘેર આવો ઘનશામ,
તમ વિના ત્રિભુવનપતિ અતિ રુએ છે ઇચ્છારામ..ધીરજ કેમ 37
દયા કરીને દયાનિધિ કયારે દેશો દર્શનદાન,
ભુજા ભીડીને ભાવથી કયારે ભેટશો શ્રીભગવાન..ધીરજ કેમ 38
વિસારતાં નવ વીસરે વાલા વાલપકેરાં વેણ,
નાથ કયારે નિરખાવશો રૂડાં નેહ ભરેલાં નેણ..ધીરજ કેમ 39
સાંભળ પોપટ પંખીયા તને આપીશ દાડમ દ્રાખ,
જૈ જગજીવન આગળે મારું દુઃખ દેખીને દાખ્ય..ધીરજ કેમ 40
કોઇતણું દુઃખ દેખી ન શકતા તેવી તમારી ટેવ,
આવું દુઃખ મને આપતાં કેમ કઠણ દિલ કર્યું દેવ..ધીરજ કેમ 41
રુદન ઇચ્છારામનું સુણી લોક કરે ત્રાયત્રાય,
નિરખીને નર નારીયો સૌ દિલથી દિલગીર થાય..ધીરજ કેમ 42
ભોજન જળ ભાવે નહિ રુએ વૃદ્ધ તરુણ ને બાળ,
કહે જનો નિરદય થયા કેમ વિશ્વવિહારીલાલ..ધીરજ કેમ 43
ઉપજાતિવૃત્ત :-
વળી રુએ રામપ્રતાપ આપ, ઘણે પ્રકારે કરીને વિલાપ;
કહે ગયા કયાં ઘનશામ ભાઇ, શું તોડી ચાલ્યા પળમાં સગાઇ?44
કરતા હતા વાત વને જવાની, તથા તહાં જૈ તપસી થવાની;
હું જાણું છું જે હરિ એ જ કાજ, લીધી હશે શું વનવાટ આજ.45
રામપ્રતાપભાઈકૃત વિલાપ :- લલિતવૃત્ત :-
અરર ભાઇ રે કયાં તમે ગયા, દિલ થકી તજી કેમ રે દયા;
તમ વિના અમે કેમ જીવશું, નવ વિચારિયું તે તમે કશું.46
અધવચે તજયાં સિંધુમાં તમે, ઉગરશું હવે કેમ રે અમે;
સુખદ શામને કયાં હવે મળું, વિરહ આગની ઝાળમાં બળું.47
વરત વાઢિયો કૂપમાં ધરી, નવ ઘટે તને ભ્રાત હે હરી;
અધિક સુખની આશ આપીને, સુખ તણાં ગયો મૂળ કાપીને.48
સુખ તણા હતા દિન તે ગયા, દુઃખ તણા હવે સિંધુ રેલિયા;
અમપરે અરે દૈવ કોપિયો, દુઃખ તણો શિરે દર્ભ રોપિયો.49
જલધિમાં જતાં નાવ ભાંગિયું, જરુર કષ્ટ આ એવું જાગિયું;
ખુટલ થૈ પડ્યા ખેડું ખારવા, નવ રહ્યા ઉભા નાવ તારવા.50
હરિ તમે ક્રિયા એવી આચરી, કઠણ થૈ દિલે ક્રૂરતા ધરી;
અરર આવડું નોતું જાણિયું, ઉર વિષે અમે હેત આણિયું.51
પ્રિય ગણી અમે પ્રાણ સોંપિયા, તદપિ હે હરિ કેમ કોપિયા;
જળ વિના રહી મત્સ તો મરે, ધીરજ તે ધરી કેમ ઊતરે.52
નવ લઇ ગયો સાથ મુજને, તજી જતાં ગમ્યું કેમ તુજને;
કરત સેવના વાટ ઘાટમાં, પડત હું નહીં આ ઉચાટમાં.53
અમ તણાં તમે ચિત્ત ચોરિયાં, તપિત તેલમાં આજ ઓરિયાં;
ધીરજ અંતરે કેમ આણિયે, મરણ આ થકી મિષ્ટ જાણિયે.54
વિરહવેદના કેમ રે ખમું, સુખદ શોધવા કયાં હવે ભમું;
પરમ શાંતિ તે કેમ પામિયે, હરિ વિના હવે કયાં વિરામિયે.55
દુઃખદ દૈવ રે શું તને ગમ્યું, કઇ રીતે જશે દુઃખ આ ખમ્યું;
સુખ તણાં અરે સ્વપ્ન થૈ ગયાં, સ્મરણ રૂપી તો દાહ દૈ ગયા.56
નવ મળી કદી વસ્તુ જેહને, બળતરા નહીં તેની તેહને;
પ્રથમ પ્રાપ્ત થૈ જો પછી પળે, સતત સાંભરે કાળજું બળે.57
સુત સુતા તથા નારી સાંપડે, જગતમાં હિરા મોતી તો જડે;
સરવ વસ્તુની ખામી તો ટળે, પણ અરે સગો ભાઇ કયાં મળે.58
વન વિષે હરિ જો ગયા હશો, વનનિવાસી ત્યાં શી રીતે થશો;
જઇ ઉજાડમાં કેમ ગોઠશે, સમ વયે સખા કોણ ત્યાં હશે.59
વય તમારી છે છોટી છેક રે, નથી ગયા કદી કોશ એક રે;
વન વિલોકીને બીક લાગશે, મૃદૃલ પાવમાં ભ્રંઠ વાગશે.60
વન વિષે વસે સિંહ સિંહણો, રવિ તણો તપે તાપ ત્યાં ઘણો;
મૃદુલ પાવમાં મોજડી નથી, ફિકર તો મને થાય તેહથી.61
કઠણ કાંકરા ખૂબ ખૂંચશે, ચરણ કંટકો કોણ કાઢશે;
સમીપ હોત જો સેવકો અમે, ધરત ચાલતાં હાથ તે સમે.62
ધરત શીશ તો છત્ર શામને, કરત ચિત્તની પૂર્ણ હામને;
સરજ દૈવ જો વાદળું મને, જઇ કરું શિરે છાય કૃષ્ણને.63
અતિ સુભાગિ તો ગુટકો થયો, વળગીને ખભે સાથ તે ગયો;
વિધિ મને નહીં કેમ તેં કર્યો, અતિ અભાગિયો એથી હું ઠર્યો.64
વિચરતાં વને થાક લાગશે, ચરણ તે સમે કોણ ચાંપશે;
સમીપ હોત હું દાસ તત્ર તો, કરત સાથરો કેળપત્ર તો.65
તરસ લાગશે મુજ વીરને, તરત આપશે કોણ નીરને;
વળતી લાગશે ભૂંડી ભૂખડી, સરસ આપશે કોણ સૂખડી.66
રુદન હું કરું દિન રાતડી, નથી જ ફાટતી કેમ છાતડી;
મુજ જતો નથી કેમ પ્રાણિયો, અધિક જીવી શો લાભ જાણિયો.67
વિલપિ એ રીતે વીર ત્યાં રડે, ઉભય આંખથી આંસુડાં પડે;
પુરજનો રડે દુઃખ જોઇને, નવ રહ્યું દિલે ધૈર્ય કોઇને.68
સકળ શોકના સિંધુમાં પડ્યા, અતિ ઉચાટ તો ચિત્તમાં ચડ્યા;
પણ ઉપાય તો કાંઇ ના સુજે,અધર ફર્ફડે અંગ તો ધ્રુજે.69
વીરવધૂ રુએ ત્યાં સુવાસિની, મૂરતિ સાંભરે સુખ રાશિની;
અધિક આંખથી આંસુઓ ઝરે, વિરહની મુખે વાણી ઉચ્ચરે.70
અથ સુવાસિનીકૃત વિલાપ :- રાગ વણઝારાનો :-
અમને તજી તમે કયાં ગયા પ્રાણ પ્યારા રે,
આવા કઠણ થયા છો કેમ દિયરજી મારા રે;
આવી રીતે દુઃખ આપિયું પ્રાણo દયાવંતને ન ધટે એમ દિયરજીo 71
મૂર્તિ તમારી માધુરી પ્રાણo વાલાં લાગે મીઠાં મુખ વેણ દિયરજીo
પળ એક પણ કેમ વીસરે પ્રાણo રૂડાં નેહભરેલાં નેણ દિયરજીo 72
અરુણ વરણ બે ચરણ છે પ્રાણo ચિત્ત ચોરે ચટકતી ચાલ દિયરજીo
ચરણ વિષે સોળ ચિહ્ન છે પ્રાણo હું તો નિરખીને થાતી નિહાલ દિયરજીo 73
ઉભય ઉરુ કદળી સમા પ્રાણo ધરે શંકર જેહનું ધ્યાન દિયરજીo
સિંહના સરખી કેડ છે પ્રાણo નાભી બ્રહ્માનું જન્મસ્થાન દિયરજીo 74
પોયણીપત્ર શું પેટ છે પ્રાણo જેમાં બ્રહ્માંડ રહે છે અનેક દિયરજીo
સુંદર છાતી વિશાળ છે પ્રાણo એમાં શ્રીવત્સ ચિહ્ન છે એક દિયરજીo 75
લાંબા ભલા ભુજ દંડ છે પ્રાણo નખપંકિત મનોહર લાલ દિયરજીo
હોઠ રાતા રળિયામણા પ્રાણo શોભે ગોરા રુપાળા ગાલ દિયરજીo 76
દાંત દાડમનાં બીજ છે પ્રાણo શુકના જેવું નમણું નાક દિયરજીo
લોચન પદ્મની પાંખડી પ્રાણo એની શોભા તો કહીયે અથાગ દિયરજીo 77
ભ્રકુટી ભમરની પાંખ છે પ્રાણo સારું શોભે છે ભાલ વિશાલ દિયરજીo
તિલક કેસર કેરું કર્યું પ્રાણo વચ્ચે કંકુનો ચાંદલો લાલ દિયરજીo 78
વામ કરણમાં ચિહ્ન છે પ્રાણo હું તો જીવતી તેને જોઇ દિયરજીo
જીવનદોરી માહરી પ્રાણo તે તો નાંખી ખરેખરી ખોઇ દિયરજીo 79
આંહી ફરી કયારે આવશો પ્રાણo કયારે દર્શન દેશો દયાળ દિયરજીo
આગ ઓલાશે ઉર તણી પ્રાણo જયારે પેખીશ જન પ્રતિપાળ દિયરજીo 80
આ જગમાં ધિક જીવવું પ્રાણo દીનબંધુ થકી થઇ દૂર દિયરજીo
જીવન જો નહિ આવશો પ્રાણo જશે જીવ જરુરા જરુર દિયરજીo 81
ધામ મને ખાવા ધાય છે પ્રાણo ભાસે શેહેર ભયંકર રાન દિયરજીo
ભોજન તો ભાવે નહીં પ્રાણo મને ગમતાં નથી ગીતગાન દિયરજીo 82
રસકસ વિષ સરખા થયા પ્રાણo ભાસે શૂળી સમો સંસાર દિયરજીo
આવો મને સુખ આપવા પ્રાણo મારા આતમાના આધાર દિયરજીo 83
જીવન મુખ જોયા વિના પ્રાણo મારે પળ એક જુગ જેવી જાય દિયરજીo
મળવા રહ્યું મન ટમટમી પ્રાણo જીવ આકુળ વ્યાકુળ થાય દિયરજીo 84
આ દુઃખ સહન થતું નથી પ્રાણo હું તો ઇચ્છું છું દેહનો અંત દિયરજીo
જીવની વાત જાણો તમે પ્રાણo વળી છોજી દિલે દયાવંત દિયરજીo 85
આવો હરિ એકવાર તો પ્રાણo ઝાઝી ઓલાવો વિરહની ઝાળ દિયરજીo
વળતી વિચરજો વન વિષે પ્રાણo વાલા વિશ્વવિહારીલાલ દિયરજીo 86
વસંતતિલકાવૃત્ત :-
કીધો વિલાપ અતિ તે સુણી કષ્ટ થાય, જેથી કઠોર પણ પત્થર ફાટી જાય;
તે સાંભળી દશ દીશે દિગપાળ ડોલ્યા, ત્યાં ત્રાહિત્રાહિ મુખથી સુર સર્વ બોલ્યા.87
જાણ્યું જરૂર સતીનો ઝટ જીવ જાશે, કાં તો પ્રલે વિરહપાવકથી જ થાશે;
ચિંતા વિષે જન પડ્યા વળી સર્વ દેવ, આવ્યા તહાં સુર કપીશ્વર તર્તખેવ.88
તેણે કહેલી હરિની મુખવાત કીધી, દેખી દુઃખી સ્વજન ધીરજ ખૂબ દીધી;
જૈ ગુજરાત રચશે હરિ ધામ જયારે, તેડાવશે સ્વજનને નિજપાસ ત્યારે.89
જેવી પ્રભુની મરજી સ્વજને રહેવું, જો દુઃખ સુખ ઉપજે સહુ તે સહેવું;
કંકાસ કલેશ કરતાં અતિ કષ્ટ થાય, રાજી રહે ત્રિકમ તેમ રહો સદાય.90
શ્રીશામ કેરું ધરશો ઉર ધ્યાન જયારે, દેશે સદૈવ તમને હરિ દર્શ ત્યારે;
ચિંતા તજી મન પ્રસન્ન સદા રહેજો, શ્યામે મને મુખ કહ્યું જઇને કહેજો.91
તીર્થો પવિત્ર કરવા વનમાં ગયા છે, સ્નેહી સગાં ઉપર શ્રીહરિની દયા છે;
કાર્યો અનેક કરવા હરિ જન્મિયા છે, તેથી સનેહ તજી શામ સિધાવિયા છે.92
તે સાંભળી સ્વજન ધીરજ ચિત્ત ધારી, મેલી ઉદાસી મનની મનથી વિસારી;
ઇચ્છા હરિની ઉરમાં સમજી લઇને, છાનાં રહ્યાં સ્વજન સ્વસ્થ સહુ થઇને.93
પુષ્પિતાગ્રાવૃત્ત :-
પછી હનુમત ત્યાંથી તે ઘડીમાં, તરત ગયા હનુમાનની ગઢીમાં;
સ્વજન સકળ સર્વદા હરિને, સ્મરણ કરે છબી ધ્યાનમાં ધરીને.94
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રી હરિવનગતે સંબંધિજનવિલાપકરણનામા પ્રથમો વિશ્રામઃ ।।1।।