પૂર્વછાયો :-

વર્ણી  કહે  છે  વારતા,  તમે  સાંભળો  સુજ્ઞ  નરેશ;

વર્ષ  ત્રિજે  ઉતારિયા,  હરિના  પ્રથમ  શિરકેશ.1

ચોપાઈ :-

વદી પાંચમ જેઠની આવી, સગાં વહાલાં ને નાત તેડાવી;

તેડ્યા  કુળગુરુને  પણ  પ્રીતે,  ચૌળ  કરમ  કરાવા  સુરીતે.2

દિશા  દક્ષિણમાં  ગાઉ  ચાર,  નદી  મનવર  છે  જેહ  ઠાર;

મખોડા  તીર્થમાં  તહાં  જઇને,  ચૌળ  કર્મ  કર્યું  રાજી  થૈને.3

ઘેર આવીને સૌને જમાડ્યા, ઘણા દ્વિજને સંતોષ પમાડ્યા;

સૌની સરભરામાં રહ્યાં માય, ભુલ્યાં પુત્રની સંભાળ ત્યાંય.4

રહ્યો બે ધડી દિવસ તે જયારે, આવી બાળક મંડળી ત્યારે;

વયે  કોઇ  કિશોર  કુમાર,  તેડ્યા  શ્રીપ્રભુને  કરી  પ્યાર.5

રમતાં  રમતાં  ગયાં  પુરબાર,  દિશા  પૂર્વના  બાગ  મોઝાર;

એક  આંબાના  વૃક્ષને  તળે,  બાળકૃષ્ણ  બેસાર્યા  તે  પળે.6

ગયાં તરુવરનાં ફળ લેવા, જમ્યાં આંબુ જાંબુ આદિ મેવા;

લાગ્યાં રમવાને બાળ સમસ્ત, થયો એ સમે આદિત્ય અસ્ત.7

ઉપજાતિવૃત્ત :-

એવા સમામાં ખળ કાળિદત્ત, સ્ત્રીને કહે વાત થઇ પ્રમત્ત;

હું આજ જાઉં હરિકૃષ્ણપાસ, નિશ્ચિત તેનો કરી આવું નાશ.8

નારી કહે હે પતિ પ્રાણનાથ !  જીતે ન કોઇ હરિકૃષ્ણસાથ;

છે આપણે ઘેર ઘણી સમૃદ્ધિ, તે ભોગવો એવી તજી કુબુદ્ધિ.9

બેઠાં જવા આ ગજ બાજ રાજ, બેઠાં જવા સૌ સુખસાજ લાજ;

હે સ્વામી ચેતો ચિત્તમાં ન ચૂકો, માનો કહ્યું મારું મમત્વ મૂકો.10

જજો ભલે આ ગજ બાજ રાજ, જજો ભલે સૌ સુખસાજ લાજ;

ભલે કદી આયુષ થાય ટૂંકું, તથાપિ હું કેમ મમત્વ મૂકું ?11

જાણ્યું સ્ત્રીએ છે વિપરીત કાળ, પડી ગળા માંહિ મમત્વ જાળ;

જો કોટિ બ્રહ્મા મળીને મનાવે, આવે સમે બુદ્ધિ ભલી ન આવે.12

સાચું  કહે  તેપર  દ્વેષ  આણે,  ઊંધુ  કહે  તે  જન  મિત્ર  જાણે;

પૂર્વે જવું પશ્ચિમ માંહિ જાય, માથું ફરે વાત નહીં મનાય.13

એવું ગણિ ચિત્ત કર્યું નિવૃત્ત, ચાલ્યો ત્વરાથી ખળ કાળિદત્ત;

ગઇ હતી બાળક ટોળી જયાંય, ગયો અધર્મિ તતકાળ ત્યાંય.14

ચોપાઈ :-

રમતાં  તે  ગયાં  દૂર  બાળ,  ભૂલ્યાં  શ્રીહરિની  તે  સંભાળ;

ત્યાં તો દુષ્ટ કાળિદત્ત આવ્યો, પોતે બાળક વેશ બનાવ્યો.15

બાળ ભેળો તે રમવાને ભળિયો, કોઇ બાળકે એને ન કળિયો;

પછી આવ્યો પ્રભુ બેઠા ત્યાંય, મારવાની ઈચ્છા મનમાંય.16

પૂર્વ  કૃત્યા  ગઇ  છે  જે  હારી,  તેનું  વેર  રાખ્યું  છે  સંભારી;

રચી  આસુરી  માયા  એ  ઠાર,  કર્યો  કારમો  ત્યાં  અંધકાર.17

મેઘ આકાશમાં ચઢી આવ્યો, મોટો ગગડાટ ત્યાં તો મચાવ્યો;

થયા  કારમા  ત્યાં  તો  કડાકા,  ભારે  તોપના  જેવા  ભડાકા.18

જાણે  તુટીને  પડશે  આભ,  છૂટ્યા  સિંહણિયો  તણા  ગાભ;

ઘણી  વીજળિયો  સળકે  છે,  જાણે  અગ્નિ  પ્રલયનો  એ  છે.19

કલપાંતનો  પવન  ગણાય,  એવો  વાયુ  ભયંકર  વાય;

જળ ઉપલ ત્યાં વરસવા લાગ્યા, ભારે વૃક્ષ ઘણાં પડી ભાંગ્યા.20

શૈલનાં  શીખરો  તુટી  પડે,  ધમકે  ધરણી  તેહ  વડે;

પશુ પક્ષીઓનો થયો નાશ, આખા દેશમાં ઊપજયો ત્રાસ.21

કાળિદત્ત આકાશમાં ચડિયો, હતા કૃષ્ણ તે તરુપર પડિયો;

પડી ભાંગી આંબા તણી ડાળ, બાળકૃષ્ણને આવી ન આળ.22

ત્યારે વિકરાળ વેશ કરીને, આવ્યો દુષ્ટ તે હણવા હરીને;

કરી  હરિયે  તેના  સામી  દષ્ટિ,  જેમ  રુદ્ર  દહન  કરે  સૃષ્ટિ.23

ત્યારે દુષ્ટ તે દાઝવા લાગ્યો, ભય પામીને ત્યાં થકી ભાગ્યો;

એને  ઊંચે  ચડાવે  ને  પાડે,  જેમ  બાળ  દડાને  પછાડે.24

વળી  વૃક્ષ  સાથે  અથડાય,  પીડા  પામે  કહે  હાય  હાય;

કાયામાં  બહુ  કંટક  વાગે,  ભચ્ચોભચ્ચ  ભાલા  જેવા  લાગે.25

એક  હાથ  ગયો  એનો  તુટી,  બેય  આંખો  ગઇ  વળી  ફુટી;

મુખમાં  બહુ  ધૂળ  ભરાણી,  મૂકે  પોક  માંગે  પાણીપાણી.26

કૃષ્ણસાથે  કરે  જે  જે  વેર,  તે  તો  પીડા  પામે  આવી  પેર;

મહાકષ્ટથી  કાયા  પીડાય,  માંગે  પણ  ઝટ  મોત  ન  થાય.27

બહુ  ભટક્યો  ઠેકાણે  ઠેકાણે,  પામ્યો  મોત  પછી  તેજટાણે;

ઉડી ગઇ એની આસુરી માયા, ત્યારે તારા આકાશે દેખાયા.28

સર્વે  બાળકને  આવ્યું  ભાન,  લાગ્યા  શોધવા  શ્રીભગવાન;

નામ  લઇને  બોલાવે  છે  બહુ,  કલપાંત  કરે  બાળ  સહુ.29

ત્યાં  તો  ધર્મની  દ્વાદશ  નારી,  શ્રદ્ધા  આદિક  સર્વ  પધારી;

લીધા  શ્રીહરિને  ધવરાવા,  પ્રભુ  બાર  રૂપે  થઇ  ધાવ્યા.30

એવી લીલા નિહાળવા કાજ, સુરસહિત આવ્યા સુરરાજ;

આવ્યા અજ ભવ શેષ મહેશ, આવ્યા ગિરિજા ને દેવ ગણેશ.31

છાયાં  વૈમાન  આકાશ  દીશ,  પુષ્પવૃષ્ટિ  કરી  પ્રભુ  શીશ;

સ્તુતિ કરવા લાગ્યા જોડી હાથ, નમો જે જે નિરંજન નાથ.32

ત્રિભંગીછન્દ :-

જય નાથ નિરંજન ખળબળ ગંજન જનભય ભંજન ભગવંતા,

જયજય  સુખધામા  નિર્મળનામા  શ્રીઘનશામા  શોભંતા;

જયજય  વૃષલાલા  મૌકિતકમાળા  કૃષ્ણકૃપાળા  સુખકારી,

જય  નરતનુધારી  વિશ્વવિહારી  અજ  અવિકારી  અસુરારી.33

જય  જય  મહારાજા  ગરિબનિવાજા  સંત  સમાજા  પદ  સેવે,

તવ ગુણ ઉર ધારી શ્રુતિઆકારી કીર્તિ ઉચારી અજ જેવે;

આ  અસુરપ્રમત્તા  કાળીયદત્તા  ઇતિ  નિજસત્તા  વિસ્તારી,

જય  નરતનુધારી  વિશ્વવિહારી  અજ  અવિકારી  અસુરારી.34

રાવણ રણ રોળ્યો ચાણુર ચોળ્યો ગિરિવર તોળ્યો નાથ તમે,

તેથી  પણ  ભારી  પીડ  અમારી  શ્યામ  વિદારી  આજ  સમે;

મધુમાંસાહારી  કૃત્યાકારી  હતો  સુરારી  દુઃખકારી,

જય  નરતનુધારી  વિશ્વવિહારી  અજ  અવિકારી  અસુરારી.35

ઇંદ્રાદિક  દેવા  કહિયે  કેવા  અજ  ભવ  જેવા  ભય  રાખે,

એવો  મહાપાપી  પ્રૌઢપ્રતાપી  મંત્રો  જાપી  બળ  ભાખે;

કર શસ્ત્ર ન ધારી આપ અઘારી દીધો વિદારી ભયભારી,

જય  નરતનુધારી  વિશ્વવિહારી  અજ  અવિકારી  અસુરારી.36

વળી શ્યામ અમારો ભય સંહારો વિનંતી ધારો નિજ ઉરમાં,

કળિજુગ બહુ વ્યાપ્યો ધર્મ ઉથાપ્યો અધર્મ વ્યાપ્યો પુરપુરમાં;

એ  પીડા  અમારી  હરો  મુરારી  હરિ  તમારી  બલિહારી,

જય  નરતનુધારી  વિશ્વવિહારી  અજ  અવિકારી  અસુરારી.37

સૌ  તીર્થ  ફરીને  ચરણ  ધરીને  શુદ્ધ  કરીને  સુખ  આપો,

અસુરોની ટોળી ક્ષિતિમાં ખોળી રણમાં રોળી દુઃખ કાપો;

શ્રુતિમાર્ગ  બતાવો  જન  સમઝાવો  ધામ  રચાવો  મનધારી,

જય  નરતનુધારી  વિશ્વવિહારી  અજ  અવિકારી  અસુરારી.38

આચારજ થાપો પ્રજળે પાપો અતિસુખ આપો નિજજનને,

તે  કરવા  સારુ  તમે  તમારું  છે  પ્રભુ  ધાર્યું  નરતનને;

હરિ  હવે  પધારો  કાજ  સુધારો  ચિત્ત  વિચારો  બ્રહ્મચારી,

જય  નરતનુધારી  વિશ્વવિહારી  અજ  અવિકારી  અસુરારી.39

જય  અક્ષરધામી  અંતરજામી  અકળ  અકામી  મુકતપતિ,

જય  ભવજળસેતુ  વૃષકુળકેતુ  હરિજનહેતુ  હંસગતિ;

જગથી સ્થિતિ ન્યારી નાથ તમારી ખગઉરગારી અનુચારી,

જય  નરતનુધારી  વિશ્વવિહારી  અજ  અવિકારી  અસુરારી.40

પૂર્વછાયો :-

સ્તુતિ  કરીને  દેવતા,  વળી  પ્રભુપદ  કરીને  પ્રણામ;

મૂર્તિ  મનોહર  મન  ધરી,  ગયા  પોતપોતાને  ધામ.41

ચોપાઈ :-

નરપાળ  સુણો  ધરી  પ્રેમ,  કહું  ગામ  વિષે  થયું  જેમ;

જોતાં શ્યામ જડ્યા નહિ જયારે, ગયાં બાળક ગામમાં ત્યારે.42

જયારે જાણ્યું જે કૃષ્ણ ખોવાયા, લોકો ધર્મના ઘરભણી ધાયા;

જયારે જાણી ખોવાયાની વાત, રુવે પરિજન માત ને તાત.43

ભકિતમાતા  વદે  મુખ  વેણ,  વળી  આવ્યું  સંકટ  દુઃખદેણ;

કહ્યું  બાળકે  સૌ  વૃત્તાંત,  સુણી  માતા  કરે  કલપાંત.44

સુખ  દેખી  ફૂલે  જન  જાતે,  નવ  જાણે  શું  થાશે  પ્રભાતે;

એવી  દૈવની  છે  ગતિ  ન્યારી,  કળી  કોણ  શકે  નરનારી.45

એમ  કહીને  કરે  પસતાવો,  કહે  શ્રીહરીને  શોધી  લાવો;

પછી સઉ નરનારી સમાજ, ચાલ્યાં કૃષ્ણને ખોળવા કાજ.46

કરી  દીવીયો  ફાનસે  દીવા,  પળ  રોકાય  નહિ  જળ  પીવા;

લીધી  લાકડી  કોઇએ  હાથે,  લીધી  તરવાર  કોઇએ  સાથે.47

લીધાં કામઠાં ને તીર ભાલા, થઈ ચંચળ ચોંપથી ચાલ્યા;

ચાલ્યા  શિથિલતને  ધર્મતાત,  સાથે  રામપ્રતાપજી  ભ્રાત.48

બીજા  પરિજનનો  નહીં  પાર,  સૌને  નેણે  વહે  જળધાર;

ચાલ્યાં ભકિત સ્ત્રિયો લઇ સાથ, ઝાલ્યા બે સ્ત્રિયે માતાના હાથ.49

ઘનશ્યામ  અહો  ઘનશ્યામ,  કહી  ખોળી  વળ્યાં  ઠામોઠામ;

ખોળે  નાનાં  મોટાં  છુટાં  પડી,  થયાં  આતુર  સૌ  તેહ  ઘડી.50

કાળી રાત મળી ઘનઘોર, ત્યાં તો થઇ રહ્યો શોર બકોર;

કોઇ  કોઇની  નજરે  ન  આવે,  સગાં  એકબીજાને  બોલાવે.51

દોહરો એકાક્ષરી :-

કીકા કીકા કૈક કેજા, કીકી કીકી કોક;

કાકા કાકા કૈક કેજા, કાકી કાકી કોક.52

ચોપાઈ :-

એમ  બૂમો  બહુ  જન  પાડે,  કોઇ  રસ્તે  સીધે  કોઇ  આડે;

કયાંય  દીઠા  ન  ધર્મકુમાર,  થયાં  દિલગીર  સહુ  નરનાર.53

આંબો  ભાંગી  પડેલો  છે  જેહ,  બધા  બાળકોએ  દીઠો  તેહ;

બોલ્યાં  બાળક  સૌ  તેહ  ઠામ,  અહીં  બેઠા  હતા  ઘનશ્યામ.54

સુણી સૌ જનને લાગ્યો ત્રાસ, મુકી કૃષ્ણ મળ્યા તણી આશ;

આવા  આંબાતળે  ચગદાય,  તે  તો  બાળકે  કેમ  જીવાય  ?55

તેવે ટાણે શ્રીહરિની મામી, જઇ ઊભી રહી આંબાસામી;

શ્રદ્ધા  આદિક  માતાઓ  જેહ,  મૂકી  કૃષ્ણને  ગઇ  દૂર  તેહ.56

મામીએ  લીધા  બાળમુકુંદ,અતિશે  ઉર  ઉપજ્યો  આનંદ;

જઇને માતાને સોંપ્યો કુમાર, માયે આપિયો મોતીનો હાર.57

હર્ખ્યા માતાપિતા અને ભ્રાત, હરખ્યાં સૌ નરનારી જાત;

જેમ  નેણ  ગયાં  ફરી  પામે,  ધન  જેમ  ગયું  ફરી  જામે.58

જેમ  દે  કોઈ  જીવન  દાન,  વધ્યો  આનંદ  એ  જ  સમાન;

વળી  વૃક્ષ  તપાસિયાં  ફરી,  દીઠો  દૈત્ય  ગયેલો  ત્યાં  મરી.59

પૂછયું બાળકોને તે વૃત્તાંત, ત્યારે તેણે ભાંગી કાંઇ ભ્રાંત;

જાણ્યું સૌયે જે હરિને પ્રતાપે, મુઓ દૈત્ય તે પોતાને પાપે.60

પૂર્વછાયો :-

દીઠું  શબ  જયારે  દૈત્યનું,  કાન  નાક  ગયેલ  કપાઇ;

એક   સખી સખીને કહે, એને હતાં કે ન હતાં બાઇ.61

ઉત્તર આપ્યો વિચારીને, તે તો સખી છે ચતુર સુજાણ;

નાક ને કાન જો  હોય  તો,  શીદ  આવત  ખોવા  પ્રાણ.62

એક  સમે  જયાંથી  ઉગરે,  માંડ  માંડ  મુકીને  માન;

ફરી  તે  રસ્તે  જાય  તો,  તેને  જાણો  નથી  નાક  કાન.63

ઇંદુ  ઉગ્યો  આકાશમાં,  ત્યારે  સૌ  જન  આવ્યાં  ઘેર;

દ્વિજને  ભોજન  દાન  તો,  દીધાં  પ્રભાતમાં  બહુ  પેર.64

વિધ્ન  વિત્યું  પ્રિય  પુત્રનું,  મુઓ  કાળીદત્ત  વિકરાળ;

નિજસુતનું  સામર્થ્ય  તે,  જાણ્યું  માતપિતાએ  તે  કાળ.65

પુષ્પિતાગ્રાવૃત્ત :-

જનનિ જનક દિવ્યભાવ દેખે, સ્મૃતિ મટી જાય સુપુત્ર સત્ય લેખે;

સુર નર મુનિ શું જુવે ચિકિત્સા, અકળ ગણાય મહાપ્રભુની ઇચ્છા.66

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે કાળીદત્ત- વધોનામા અષ્ટમો વિશ્રામઃ  ।।8।।