પૂર્વછાયો :-
વર્ણી કહે છે વારતા, તમે સાંભળો સુજ્ઞ નરેશ;
વર્ષ ત્રિજે ઉતારિયા, હરિના પ્રથમ શિરકેશ.1
ચોપાઈ :-
વદી પાંચમ જેઠની આવી, સગાં વહાલાં ને નાત તેડાવી;
તેડ્યા કુળગુરુને પણ પ્રીતે, ચૌળ કરમ કરાવા સુરીતે.2
દિશા દક્ષિણમાં ગાઉ ચાર, નદી મનવર છે જેહ ઠાર;
મખોડા તીર્થમાં તહાં જઇને, ચૌળ કર્મ કર્યું રાજી થૈને.3
ઘેર આવીને સૌને જમાડ્યા, ઘણા દ્વિજને સંતોષ પમાડ્યા;
સૌની સરભરામાં રહ્યાં માય, ભુલ્યાં પુત્રની સંભાળ ત્યાંય.4
રહ્યો બે ધડી દિવસ તે જયારે, આવી બાળક મંડળી ત્યારે;
વયે કોઇ કિશોર કુમાર, તેડ્યા શ્રીપ્રભુને કરી પ્યાર.5
રમતાં રમતાં ગયાં પુરબાર, દિશા પૂર્વના બાગ મોઝાર;
એક આંબાના વૃક્ષને તળે, બાળકૃષ્ણ બેસાર્યા તે પળે.6
ગયાં તરુવરનાં ફળ લેવા, જમ્યાં આંબુ જાંબુ આદિ મેવા;
લાગ્યાં રમવાને બાળ સમસ્ત, થયો એ સમે આદિત્ય અસ્ત.7
ઉપજાતિવૃત્ત :-
એવા સમામાં ખળ કાળિદત્ત, સ્ત્રીને કહે વાત થઇ પ્રમત્ત;
હું આજ જાઉં હરિકૃષ્ણપાસ, નિશ્ચિત તેનો કરી આવું નાશ.8
નારી કહે હે પતિ પ્રાણનાથ ! જીતે ન કોઇ હરિકૃષ્ણસાથ;
છે આપણે ઘેર ઘણી સમૃદ્ધિ, તે ભોગવો એવી તજી કુબુદ્ધિ.9
બેઠાં જવા આ ગજ બાજ રાજ, બેઠાં જવા સૌ સુખસાજ લાજ;
હે સ્વામી ચેતો ચિત્તમાં ન ચૂકો, માનો કહ્યું મારું મમત્વ મૂકો.10
જજો ભલે આ ગજ બાજ રાજ, જજો ભલે સૌ સુખસાજ લાજ;
ભલે કદી આયુષ થાય ટૂંકું, તથાપિ હું કેમ મમત્વ મૂકું ?11
જાણ્યું સ્ત્રીએ છે વિપરીત કાળ, પડી ગળા માંહિ મમત્વ જાળ;
જો કોટિ બ્રહ્મા મળીને મનાવે, આવે સમે બુદ્ધિ ભલી ન આવે.12
સાચું કહે તેપર દ્વેષ આણે, ઊંધુ કહે તે જન મિત્ર જાણે;
પૂર્વે જવું પશ્ચિમ માંહિ જાય, માથું ફરે વાત નહીં મનાય.13
એવું ગણિ ચિત્ત કર્યું નિવૃત્ત, ચાલ્યો ત્વરાથી ખળ કાળિદત્ત;
ગઇ હતી બાળક ટોળી જયાંય, ગયો અધર્મિ તતકાળ ત્યાંય.14
ચોપાઈ :-
રમતાં તે ગયાં દૂર બાળ, ભૂલ્યાં શ્રીહરિની તે સંભાળ;
ત્યાં તો દુષ્ટ કાળિદત્ત આવ્યો, પોતે બાળક વેશ બનાવ્યો.15
બાળ ભેળો તે રમવાને ભળિયો, કોઇ બાળકે એને ન કળિયો;
પછી આવ્યો પ્રભુ બેઠા ત્યાંય, મારવાની ઈચ્છા મનમાંય.16
પૂર્વ કૃત્યા ગઇ છે જે હારી, તેનું વેર રાખ્યું છે સંભારી;
રચી આસુરી માયા એ ઠાર, કર્યો કારમો ત્યાં અંધકાર.17
મેઘ આકાશમાં ચઢી આવ્યો, મોટો ગગડાટ ત્યાં તો મચાવ્યો;
થયા કારમા ત્યાં તો કડાકા, ભારે તોપના જેવા ભડાકા.18
જાણે તુટીને પડશે આભ, છૂટ્યા સિંહણિયો તણા ગાભ;
ઘણી વીજળિયો સળકે છે, જાણે અગ્નિ પ્રલયનો એ છે.19
કલપાંતનો પવન ગણાય, એવો વાયુ ભયંકર વાય;
જળ ઉપલ ત્યાં વરસવા લાગ્યા, ભારે વૃક્ષ ઘણાં પડી ભાંગ્યા.20
શૈલનાં શીખરો તુટી પડે, ધમકે ધરણી તેહ વડે;
પશુ પક્ષીઓનો થયો નાશ, આખા દેશમાં ઊપજયો ત્રાસ.21
કાળિદત્ત આકાશમાં ચડિયો, હતા કૃષ્ણ તે તરુપર પડિયો;
પડી ભાંગી આંબા તણી ડાળ, બાળકૃષ્ણને આવી ન આળ.22
ત્યારે વિકરાળ વેશ કરીને, આવ્યો દુષ્ટ તે હણવા હરીને;
કરી હરિયે તેના સામી દષ્ટિ, જેમ રુદ્ર દહન કરે સૃષ્ટિ.23
ત્યારે દુષ્ટ તે દાઝવા લાગ્યો, ભય પામીને ત્યાં થકી ભાગ્યો;
એને ઊંચે ચડાવે ને પાડે, જેમ બાળ દડાને પછાડે.24
વળી વૃક્ષ સાથે અથડાય, પીડા પામે કહે હાય હાય;
કાયામાં બહુ કંટક વાગે, ભચ્ચોભચ્ચ ભાલા જેવા લાગે.25
એક હાથ ગયો એનો તુટી, બેય આંખો ગઇ વળી ફુટી;
મુખમાં બહુ ધૂળ ભરાણી, મૂકે પોક માંગે પાણીપાણી.26
કૃષ્ણસાથે કરે જે જે વેર, તે તો પીડા પામે આવી પેર;
મહાકષ્ટથી કાયા પીડાય, માંગે પણ ઝટ મોત ન થાય.27
બહુ ભટક્યો ઠેકાણે ઠેકાણે, પામ્યો મોત પછી તેજટાણે;
ઉડી ગઇ એની આસુરી માયા, ત્યારે તારા આકાશે દેખાયા.28
સર્વે બાળકને આવ્યું ભાન, લાગ્યા શોધવા શ્રીભગવાન;
નામ લઇને બોલાવે છે બહુ, કલપાંત કરે બાળ સહુ.29
ત્યાં તો ધર્મની દ્વાદશ નારી, શ્રદ્ધા આદિક સર્વ પધારી;
લીધા શ્રીહરિને ધવરાવા, પ્રભુ બાર રૂપે થઇ ધાવ્યા.30
એવી લીલા નિહાળવા કાજ, સુરસહિત આવ્યા સુરરાજ;
આવ્યા અજ ભવ શેષ મહેશ, આવ્યા ગિરિજા ને દેવ ગણેશ.31
છાયાં વૈમાન આકાશ દીશ, પુષ્પવૃષ્ટિ કરી પ્રભુ શીશ;
સ્તુતિ કરવા લાગ્યા જોડી હાથ, નમો જે જે નિરંજન નાથ.32
ત્રિભંગીછન્દ :-
જય નાથ નિરંજન ખળબળ ગંજન જનભય ભંજન ભગવંતા,
જયજય સુખધામા નિર્મળનામા શ્રીઘનશામા શોભંતા;
જયજય વૃષલાલા મૌકિતકમાળા કૃષ્ણકૃપાળા સુખકારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી.33
જય જય મહારાજા ગરિબનિવાજા સંત સમાજા પદ સેવે,
તવ ગુણ ઉર ધારી શ્રુતિઆકારી કીર્તિ ઉચારી અજ જેવે;
આ અસુરપ્રમત્તા કાળીયદત્તા ઇતિ નિજસત્તા વિસ્તારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી.34
રાવણ રણ રોળ્યો ચાણુર ચોળ્યો ગિરિવર તોળ્યો નાથ તમે,
તેથી પણ ભારી પીડ અમારી શ્યામ વિદારી આજ સમે;
મધુમાંસાહારી કૃત્યાકારી હતો સુરારી દુઃખકારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી.35
ઇંદ્રાદિક દેવા કહિયે કેવા અજ ભવ જેવા ભય રાખે,
એવો મહાપાપી પ્રૌઢપ્રતાપી મંત્રો જાપી બળ ભાખે;
કર શસ્ત્ર ન ધારી આપ અઘારી દીધો વિદારી ભયભારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી.36
વળી શ્યામ અમારો ભય સંહારો વિનંતી ધારો નિજ ઉરમાં,
કળિજુગ બહુ વ્યાપ્યો ધર્મ ઉથાપ્યો અધર્મ વ્યાપ્યો પુરપુરમાં;
એ પીડા અમારી હરો મુરારી હરિ તમારી બલિહારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી.37
સૌ તીર્થ ફરીને ચરણ ધરીને શુદ્ધ કરીને સુખ આપો,
અસુરોની ટોળી ક્ષિતિમાં ખોળી રણમાં રોળી દુઃખ કાપો;
શ્રુતિમાર્ગ બતાવો જન સમઝાવો ધામ રચાવો મનધારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી.38
આચારજ થાપો પ્રજળે પાપો અતિસુખ આપો નિજજનને,
તે કરવા સારુ તમે તમારું છે પ્રભુ ધાર્યું નરતનને;
હરિ હવે પધારો કાજ સુધારો ચિત્ત વિચારો બ્રહ્મચારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી.39
જય અક્ષરધામી અંતરજામી અકળ અકામી મુકતપતિ,
જય ભવજળસેતુ વૃષકુળકેતુ હરિજનહેતુ હંસગતિ;
જગથી સ્થિતિ ન્યારી નાથ તમારી ખગઉરગારી અનુચારી,
જય નરતનુધારી વિશ્વવિહારી અજ અવિકારી અસુરારી.40
પૂર્વછાયો :-
સ્તુતિ કરીને દેવતા, વળી પ્રભુપદ કરીને પ્રણામ;
મૂર્તિ મનોહર મન ધરી, ગયા પોતપોતાને ધામ.41
ચોપાઈ :-
નરપાળ સુણો ધરી પ્રેમ, કહું ગામ વિષે થયું જેમ;
જોતાં શ્યામ જડ્યા નહિ જયારે, ગયાં બાળક ગામમાં ત્યારે.42
જયારે જાણ્યું જે કૃષ્ણ ખોવાયા, લોકો ધર્મના ઘરભણી ધાયા;
જયારે જાણી ખોવાયાની વાત, રુવે પરિજન માત ને તાત.43
ભકિતમાતા વદે મુખ વેણ, વળી આવ્યું સંકટ દુઃખદેણ;
કહ્યું બાળકે સૌ વૃત્તાંત, સુણી માતા કરે કલપાંત.44
સુખ દેખી ફૂલે જન જાતે, નવ જાણે શું થાશે પ્રભાતે;
એવી દૈવની છે ગતિ ન્યારી, કળી કોણ શકે નરનારી.45
એમ કહીને કરે પસતાવો, કહે શ્રીહરીને શોધી લાવો;
પછી સઉ નરનારી સમાજ, ચાલ્યાં કૃષ્ણને ખોળવા કાજ.46
કરી દીવીયો ફાનસે દીવા, પળ રોકાય નહિ જળ પીવા;
લીધી લાકડી કોઇએ હાથે, લીધી તરવાર કોઇએ સાથે.47
લીધાં કામઠાં ને તીર ભાલા, થઈ ચંચળ ચોંપથી ચાલ્યા;
ચાલ્યા શિથિલતને ધર્મતાત, સાથે રામપ્રતાપજી ભ્રાત.48
બીજા પરિજનનો નહીં પાર, સૌને નેણે વહે જળધાર;
ચાલ્યાં ભકિત સ્ત્રિયો લઇ સાથ, ઝાલ્યા બે સ્ત્રિયે માતાના હાથ.49
ઘનશ્યામ અહો ઘનશ્યામ, કહી ખોળી વળ્યાં ઠામોઠામ;
ખોળે નાનાં મોટાં છુટાં પડી, થયાં આતુર સૌ તેહ ઘડી.50
કાળી રાત મળી ઘનઘોર, ત્યાં તો થઇ રહ્યો શોર બકોર;
કોઇ કોઇની નજરે ન આવે, સગાં એકબીજાને બોલાવે.51
દોહરો એકાક્ષરી :-
કીકા કીકા કૈક કેજા, કીકી કીકી કોક;
કાકા કાકા કૈક કેજા, કાકી કાકી કોક.52
ચોપાઈ :-
એમ બૂમો બહુ જન પાડે, કોઇ રસ્તે સીધે કોઇ આડે;
કયાંય દીઠા ન ધર્મકુમાર, થયાં દિલગીર સહુ નરનાર.53
આંબો ભાંગી પડેલો છે જેહ, બધા બાળકોએ દીઠો તેહ;
બોલ્યાં બાળક સૌ તેહ ઠામ, અહીં બેઠા હતા ઘનશ્યામ.54
સુણી સૌ જનને લાગ્યો ત્રાસ, મુકી કૃષ્ણ મળ્યા તણી આશ;
આવા આંબાતળે ચગદાય, તે તો બાળકે કેમ જીવાય ?55
તેવે ટાણે શ્રીહરિની મામી, જઇ ઊભી રહી આંબાસામી;
શ્રદ્ધા આદિક માતાઓ જેહ, મૂકી કૃષ્ણને ગઇ દૂર તેહ.56
મામીએ લીધા બાળમુકુંદ,અતિશે ઉર ઉપજ્યો આનંદ;
જઇને માતાને સોંપ્યો કુમાર, માયે આપિયો મોતીનો હાર.57
હર્ખ્યા માતાપિતા અને ભ્રાત, હરખ્યાં સૌ નરનારી જાત;
જેમ નેણ ગયાં ફરી પામે, ધન જેમ ગયું ફરી જામે.58
જેમ દે કોઈ જીવન દાન, વધ્યો આનંદ એ જ સમાન;
વળી વૃક્ષ તપાસિયાં ફરી, દીઠો દૈત્ય ગયેલો ત્યાં મરી.59
પૂછયું બાળકોને તે વૃત્તાંત, ત્યારે તેણે ભાંગી કાંઇ ભ્રાંત;
જાણ્યું સૌયે જે હરિને પ્રતાપે, મુઓ દૈત્ય તે પોતાને પાપે.60
પૂર્વછાયો :-
દીઠું શબ જયારે દૈત્યનું, કાન નાક ગયેલ કપાઇ;
એક સખી સખીને કહે, એને હતાં કે ન હતાં બાઇ.61
ઉત્તર આપ્યો વિચારીને, તે તો સખી છે ચતુર સુજાણ;
નાક ને કાન જો હોય તો, શીદ આવત ખોવા પ્રાણ.62
એક સમે જયાંથી ઉગરે, માંડ માંડ મુકીને માન;
ફરી તે રસ્તે જાય તો, તેને જાણો નથી નાક કાન.63
ઇંદુ ઉગ્યો આકાશમાં, ત્યારે સૌ જન આવ્યાં ઘેર;
દ્વિજને ભોજન દાન તો, દીધાં પ્રભાતમાં બહુ પેર.64
વિધ્ન વિત્યું પ્રિય પુત્રનું, મુઓ કાળીદત્ત વિકરાળ;
નિજસુતનું સામર્થ્ય તે, જાણ્યું માતપિતાએ તે કાળ.65
પુષ્પિતાગ્રાવૃત્ત :-
જનનિ જનક દિવ્યભાવ દેખે, સ્મૃતિ મટી જાય સુપુત્ર સત્ય લેખે;
સુર નર મુનિ શું જુવે ચિકિત્સા, અકળ ગણાય મહાપ્રભુની ઇચ્છા.66
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે કાળીદત્ત- વધોનામા અષ્ટમો વિશ્રામઃ ।।8।।