ઉપજાતિવૃત્ત :-

હે ભૂપતિ સાંભળ સ્નેહ આણી, કહું ચરિત્રો હરિનાં વખાણી;

જે સાંભળીને સુખ સર્વ પામે, અપાર સંસાર વિકાર વામે.1

શ્રીશામને અષ્ટમ વર્ષ જયારે, આવ્યો ભલો ફાગણ માસ ત્યારે;

શુદી તિથિ તો દશમી ગણાય, દીધું હરિને ઉપવીત ત્યાંય.2

વિસ્તારી તે વર્ણન જો કરાય, તો ગ્રંથ આ શ્રેષ્ઠ વિશેષ થાય;

માટે  નહી  હું  બહુ  વર્ણવીશ,  અપૂર્વ  લીલા  તુજને  કહીશ.3

સર્વજ્ઞ  છે  શ્રીહરિ  બ્રહ્મચારી,  તથાપિ  છે  માનવ  દેહધારી;

સર્વે જનોનું હિત ચિત્ત જાણી, વિદ્યા વિશેષે જનકે વખાણી.4

વિદ્યા ભણવા વિષે :-

હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી;

પશુ મનુષ્યો વચ ભેદ એ છે, વિદ્યા ભલી માણસ તે ભણે છે.5

ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય;

બાળાપણે  જે  ન  ભણેજ  જૈને,  જરૂર  પસ્તાય  જુવાન  થૈને.6

જે  પત્ર  નિર્જીવ  દિઠે  જણાય,  વિદ્વાનની  પાસ  સજીવ  થાય;

આકાશ  પાતાળ  ભવિષ્યવાત,  કહી  બતાવે  જડપત્ર  જાત.7

જે  પુત્રને  તાત  નહીં  ભણાવે,  બાળાપણે  લાડ  ઘણાં  લડાવે;

તે  પુત્રનો  શત્રુ  પિતા  ગણાય,  જુવાન  થાતાં  સુતને  જણાય.8

આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો;

પાણી વિના કેવું સર પ્રમાણો, વિદ્યા વિનાનો જન એમ જાણો.9

વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન, તો ભાગ્યશાળી નહિ તે સમાન;

પાંખો તથા બે પગ દોડવાના, કયાંથી મળે ભૂતળ બેય વાનાં.10

પક્ષી છતાં પોપટ જો ભણે છે, તો ભૂપનું તે સનમાન લે છે;

ત્યારે ભણેલો જન જેહ થાશે, તો તે કહો કેમ નહીં મનાશે.11

વિદ્યા ભણીને વિનયી ન થાય, તો તેની વિદ્યા પણ વ્યર્થ જાય;

જો ઝેર પંચામૃતમાં જણાય, તો કોઇ તેને ચિત ના ચહાય.12

અપૂર્વ વિદ્યાતણી ખાસ એ છે, વિશેષ તે વાવરતાં વધે છે;

ખર્ચે  નહી  સંઘરવા  ચહાય,  ખચીત  તો  તે  ઝટ  ખૂટી  જાય.13

છે શસ્ત્રવિદ્યા વળી શાસ્ત્રવિદ્યા, એ બેયની કીર્તિ દિસે અછિદ્યા;

તથાપિ આદ્યા વય થાય ત્રીજી, ત્યારે નકામી સુખદાયી બીજી.14

ન ચોર ચોરે નૃપતિ ન લુંટે, ન ભાગ ભાઇ ખરચ્યું ન ખૂટે;

ન ભાર લાગે ન પડે જ ખોટું, છે સત્ય વિદ્યાધન સૌથી મોટું.15

શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-

માતા  તુલ્ય  સદા  સુપોષણ  કરે  પાળે  પિતાની  પઠે,

કાંતાતુલ્ય  વિનોદકારી  વળી  તે  ના  આપદામાં  હઠે;

વિસ્તારે  જશ  દ્રવ્યદાન  બહુ  દે  સન્માન  આપે  ઘણું,

વિદ્યા છે શુભ કલ્પવૃક્ષ સરખી શા ગુણ તેના ગણું.16

ઉપજાતિવૃત્ત :-

છે ચાર વેદો ષડ અંગ ગાય, વિદ્યા મિમાંસા વળી જાણ ન્યાય;

સદ્ધર્મ શાસ્ત્રો પછી છે પુરાણ, તે ચૌદ વિદ્યા સમઝે સુજાણ.17

શિક્ષા તથા કલ્પ નિરુકત છંદ, જયોતિષ ને વ્યાકરણ પ્રવંદ્ય;

ષડંગ તે વેદ તણાં ગણાય, એવી રીતે સર્વ મુનીશ ગાય.18

અનેક વિદ્યા પ્રભુ આપ જાણે, તથાપિ ઈચ્છા ભણવાની આણે;

પિતાની પાસે રહીને ભણે છે, વિદ્યા તણા સદ્ગુણ તે ગણે છે.19

શાસ્ત્રો તણો સંગ્રહી સારસાર, રાખ્યો રચીને ગુટકો મુરાર;

કહી પિતાયે કુળધર્મ શિક્ષા, દીધી વળી વૈષ્ણવમાર્ગ દીક્ષા.20

લીધો પ્રભુ નિયમ એમ ધારી, સદા થવું નૈષ્ઠિક બ્રહ્મચારી;

તીર્થો  વિષે  જૈ  ફરવું  વિશેષ,  દેવો  જનોને  શુભ  ઊપદેશ.21

વળી વિચારી ઉર માંહિ વાત, મારે વિજોગે મુજ માત તાત;

દુઃખી થશે ને દિલમાં દઝાશે, એકે ઘડી તે જુગ જેવી જાશે.22

માતા પિતા જો ગતિ દિવ્ય પામે, તો તે પછી જાઉં પ્રવાસ કામે;

એવું ગણી ત્યાં જ થયા નિવાસી, રહે તથાપી હૃદયે ઉદાસી.23

જયાં સાલ આવી અડતાળિશાની, કાયા પડી ભૌતિક ભકિતમાની;

પ્રબોધિનીનો દિન પૂર્વ જેહ, હતો તિથિમાં શનિવાર તેહ.24

શ્રીભકિતમાતા ધરી દિવ્ય દેહ, રહ્યાં સદા શ્રીહરિ પાસ તેહ;

બે ભાઇ બીજા અતિશે રુએ છે, તે દેખી લોકો પુરના કહે છે.25

કોઇ તણીયે કદિ વિશ્વમાંય, બાળાપણામાં મરશો ન માય;

ધેનૂ મુઆથી દુઃખી વત્સ જેમ, માતા વિના બાળક દુઃખી તેમ.26

ભલે પિતા ભૂપ સમર્થ હોય, માતાની તુલ્યે ન ગણાય તોય;

માતા તણી વિશ્વ વિષે સગાઇ, સર્વોપરી શ્રેષ્ઠ સદા ગણાઇ.27

માતા વિના સર્વ હતા ઉદાસી, આવી ચતુર્થી વદિ જયેષ્ઠમાસી;

તાતે તજયો ત્યાં નિજદેહ તેહ, સેવે પ્રભુને ધરી દિવ્યદેહ.28

રુએ ઘણા રામપ્રતાપ આદિ, શિષ્યો રુવે દીક્ષિત પુરુષાદિ;

લોકો કહે છે મુખ વાણી એમ, પિતા મુએ શોક ન થાય કેમ.29

જો પુત્ર પોતે વયવૃદ્ધ હોય, ઇચ્છે પિતાનું સુખ તેહ તોય;

પિતાસ્વરૂપી શિરછત્ર જેને, સંતાપ ઓછો તન માંહિ તેને.30

જુદો કદી પુત્ર પિતાથી થાય, તથાપિ દેખી હરખે પિતાય;

જુએ શશીને નભ માંહિ જયારે, નિધિ ખુશી થૈ ઉભરાય ત્યારે.31

પછી ઘનશ્યામ રુદે વિચારી, ઘણા જનોનું હિત ચિત્ત ધારી;

પ્રભાતમાં મજજનને મિશે તે, સદ્યઃ સિધાવ્યા સરજુ દિશે તે.32

ભકિત તથા વેદ  વસૂ શશાંક , બેઠો નવો વિક્રમ વર્ષ અંક;

અષાઢમાસી દશમી સુદીમાં , નાજાયા હરી જૈ સરજુ નદીમાં.33

અગ્યાર વર્ષો ત્રણ પૂર્ણ માસ, કર્યો ગૃહે વાસર એક વાસ;

શ્રીશ્યામને ત્યાં હણવાનું ધારી, આવ્યો વળી એક મહા સુરારી.34

નાખ્યા હરિને જળપૂર માંય, શરીર તે માંહિ તણાયું ત્યાંય;

સૂએ  મહાસાગર  મધ્ય  જેહ,  પ્રભુ  બુડેશું  જળ  માંહિ  તેહ.35

ઇચ્છા હરિની હરિપ્રેરણાથી, ગુરૂડ આવ્યા હરિધામમાંથી;

ઉપાડી લીધા પ્રભુ તેહ વારે, મુકયા ઉતારી નદી કોશ બારે.36

પુષ્પાદિ પૂજા ગરુડે સુકીધી, કરી પ્રસાદી પ્રભુ પાછી દીધી;

નમી  પ્રભુને  પદ  તેહ  ઠામ,  સિધાવિયા  તે  ગરુડ  સ્વધામ.37

નાખ્યા અસુરે જળમાં હરિને, તે તો ગણે શ્યામ ગયા મરીને;

જે કાળના કાળ સદા કહાવે, તેને કદાપિ નહીં આંચ આવે.38

શ્રીકૃષ્ણની દષ્ટિ થકી દઝાતો, પાપી મુઓ ખૂબ પછાડ ખાતો;

પ્રભુ થકી વૈર કરી કુપાત્ર, પામ્યા ન કોઇ સુખ લેશમાત્ર.39

ચાલ્યા નદીને તટ કોશ બેય, ત્યાં એક મોટો વડ વૃક્ષ છેય;

ત્યાં બેસીને કાંઇ કર્યો વિરામ, સમગ્ર આવ્યા સુર તેહ ઠામ.40

તીર્થો નદી પર્વત મુખ્ય જેહ, આવ્યા ધરી માનવ રૂપ તેહ;

સૌએ પ્રભુને પદ શીશ ધારી, સુનમ્રતાથી વિનતિ ઉચારી.41

અષ્ટપદી :-

સ્વજન  તણા  સુખસાગર,  નટનાગર  એ; અમળ  ઉજાગરરૂપ,  જય  ઘનશામ  હરે;

સંકટ  સકળ  નિવારણ,  જગકારણ  એ; ભવજળતારણ  ભૂપ,  જય  ઘનશામ  હરે.42

મૂર્તિ  રુચિર  મનરોચન,  દુઃખ  મોચન  એ; સરસિજલોચન  શામ,  જય  ઘનશામ  હરે;

જય  નિજજન  મનસ્ફૂરણ,  ભયચૂરણ  એ; પ્રિયજનપૂરણકામ,  જય  ઘનશામ  હરે.43

ઇશ્વરના  પણ  ઇશ્વર,  જગદીશ્વર  એ; સકળ  કવિશ્વર  ગાય,  જય  ઘનશામ  હરે;

જય    વૃષવંશદિનંકર,  અભયંકર  એ; શંકરસેવ્ય  સદાય,  જય  ઘનશામ  હરે.44

નિર્ગુણ  મુનિજનનાયક,  ખળધાયક  એ; દાયક  અતિ  સુખદાન,  જય  ઘનશામ  હરે;

દુર્મતિ  દુર્જનદંડન,  શ્રુતિમંડન  એ; ખંડન  ખળગુરુમાન,  જય  ઘનશામ  હરે.45

દહનકરણ  અઘકાનન,  કમળાનન  એ; ગુણ  ચતુરાનન  ગાય,  જય  ઘનશામ  હરે;

ગુણનિધિ  આપ  ગિરિધર,  અવનીધર  એ; શ્રીધર સુખદ   સદાય, જય ઘનશામ હરે.46

અરુણ વરણ જુગ ચરણ છે, સત્ય શરણદ એ; નિજજનકરણ નિહાલ, જય ઘનશામ હરે;

પરમ  ધરમ  ધુરધારી  છો,  સુખવારિદ  એ; વિશ્વવિહારીલાલ,  જય  ઘનશામ  હરે.47

ઉપજાતિવૃત્ત :-

તીર્થો  કહે  હે  હરિકૃષ્ણદેવ,  હવે  પધારો  પ્રભુ  તર્તખેવ;

ધરી નિજાંધ્રી રજ શ્રીમુરારી, પવિત્રતા નાથ કરો અમારી.48

દેવો કહે દેશ બધે પધારો, સદ્ધર્મ સર્વે સ્થળમાં વધારો;

અધર્મના  પંથ  પ્રભુ  ઉથાપો,  દુષ્ટો  હણીને  જનકષ્ટ  કાપો.49

કહે  પ્રભુ  સત્વર  તે  કરીશ,  ભૂમિ  તણો  ભાર  હવે  હરીશ;

તમે તમારે સ્થળ સૌ સિધાવો, સ્વચિત્તમાં ધૈર્ય હવે ધરાવો.50

એવું સુણી પૂજન સર્વ કીધું, નૈવેદ્ય મીઠાં ફળ આદિ દીધું;

કરી પ્રભુના પદને પ્રણામ, ગયા સુરો તીર્થ સહુ સ્વધામ.51

નિજક્રિયા ત્યાં કરીને મુરારી, આહાર કીધો ફળનો વિચારી;

સર્જુતટેતે  વટવૃક્ષ  પાસ,  કર્યો  પ્રભુયે  રજની  નિવાસ.52

નિત્યપ્રતિ નીરખવા  હરિને, એવી પ્રતિજ્ઞા હનુમાનજીને;

તેથી પધાર્યા કપિ ધર્મધામ, દીઠા નહીં શ્રીહરિ તેહ ઠામ.53

જોયું પછી જયાં મનધ્યાન ધારી, સર્જુતટે દૂર દીઠા મુરારી;

પુરી અયોધ્યા થકી ચૌદ કોશ,ગયા હનુમાન તહાં અદોષ.54

કરી  નમસ્કાર  મહાપ્રભુને,  સર્વેશ્વરોના  ગુરુના  ગુરૂને;

પછી કહ્યું હે પ્રભુ મેઘશામ ! મને બતાવો નિજ કાંઇ કામ.55

કહે હરિ મુજ સગાં સમાજ, કરતાં હશે કલેશ વિશેષ આજ;

મારે વિજોગે મનમાં  મુંઝાશે, તમે પધારો કપિ તેહ પાસે.56

જયારે જઇ  પશ્ચિમ દેશમાંય, બાંધીશ મોટાં શુભ ધામ ત્યાંય;

કુટુંબીયોને  તહીં  તેડી  લૈશ,  નહીં  કદી  છેક  વિસારી  દૈશ.57

એવું કહી ધીરજ આપ આપો, સગાં સહુકેરી ઉદાસી કાપો;

એવું  કહીને  વૃષવંશરાય,  કર્યા  તહાંથી  કપિને  વિદાય.58

પુષ્પિતાગ્રાવૃત્ત :-

રજની વિગત થૈ થયું સવાર, પછી હરિ ત્યાંથી કર્યો વળી વિહાર;

સુણ નરપતિ હું કહીશ જેહ, સ્થિતિ થઇ શામ જતાં સગાંની તેહ.59

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિગૃહત્યાગ-કરણનામા અષ્ટદશો વિશ્રામઃ ।।18।।

ઈતિ શ્રીહરિલીલામૃતે બાલચરિત્રનામા દ્વિતીયકલશઃ સંપૂર્ણઃ ।।