ઉપજાતિવૃત્ત :-
હે ભૂપતિ સાંભળ સ્નેહ આણી, કહું ચરિત્રો હરિનાં વખાણી;
જે સાંભળીને સુખ સર્વ પામે, અપાર સંસાર વિકાર વામે.1
શ્રીશામને અષ્ટમ વર્ષ જયારે, આવ્યો ભલો ફાગણ માસ ત્યારે;
શુદી તિથિ તો દશમી ગણાય, દીધું હરિને ઉપવીત ત્યાંય.2
વિસ્તારી તે વર્ણન જો કરાય, તો ગ્રંથ આ શ્રેષ્ઠ વિશેષ થાય;
માટે નહી હું બહુ વર્ણવીશ, અપૂર્વ લીલા તુજને કહીશ.3
સર્વજ્ઞ છે શ્રીહરિ બ્રહ્મચારી, તથાપિ છે માનવ દેહધારી;
સર્વે જનોનું હિત ચિત્ત જાણી, વિદ્યા વિશેષે જનકે વખાણી.4
વિદ્યા ભણવા વિષે :-
હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી;
પશુ મનુષ્યો વચ ભેદ એ છે, વિદ્યા ભલી માણસ તે ભણે છે.5
ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય;
બાળાપણે જે ન ભણેજ જૈને, જરૂર પસ્તાય જુવાન થૈને.6
જે પત્ર નિર્જીવ દિઠે જણાય, વિદ્વાનની પાસ સજીવ થાય;
આકાશ પાતાળ ભવિષ્યવાત, કહી બતાવે જડપત્ર જાત.7
જે પુત્રને તાત નહીં ભણાવે, બાળાપણે લાડ ઘણાં લડાવે;
તે પુત્રનો શત્રુ પિતા ગણાય, જુવાન થાતાં સુતને જણાય.8
આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો;
પાણી વિના કેવું સર પ્રમાણો, વિદ્યા વિનાનો જન એમ જાણો.9
વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન, તો ભાગ્યશાળી નહિ તે સમાન;
પાંખો તથા બે પગ દોડવાના, કયાંથી મળે ભૂતળ બેય વાનાં.10
પક્ષી છતાં પોપટ જો ભણે છે, તો ભૂપનું તે સનમાન લે છે;
ત્યારે ભણેલો જન જેહ થાશે, તો તે કહો કેમ નહીં મનાશે.11
વિદ્યા ભણીને વિનયી ન થાય, તો તેની વિદ્યા પણ વ્યર્થ જાય;
જો ઝેર પંચામૃતમાં જણાય, તો કોઇ તેને ચિત ના ચહાય.12
અપૂર્વ વિદ્યાતણી ખાસ એ છે, વિશેષ તે વાવરતાં વધે છે;
ખર્ચે નહી સંઘરવા ચહાય, ખચીત તો તે ઝટ ખૂટી જાય.13
છે શસ્ત્રવિદ્યા વળી શાસ્ત્રવિદ્યા, એ બેયની કીર્તિ દિસે અછિદ્યા;
તથાપિ આદ્યા વય થાય ત્રીજી, ત્યારે નકામી સુખદાયી બીજી.14
ન ચોર ચોરે નૃપતિ ન લુંટે, ન ભાગ ભાઇ ખરચ્યું ન ખૂટે;
ન ભાર લાગે ન પડે જ ખોટું, છે સત્ય વિદ્યાધન સૌથી મોટું.15
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
માતા તુલ્ય સદા સુપોષણ કરે પાળે પિતાની પઠે,
કાંતાતુલ્ય વિનોદકારી વળી તે ના આપદામાં હઠે;
વિસ્તારે જશ દ્રવ્યદાન બહુ દે સન્માન આપે ઘણું,
વિદ્યા છે શુભ કલ્પવૃક્ષ સરખી શા ગુણ તેના ગણું.16
ઉપજાતિવૃત્ત :-
છે ચાર વેદો ષડ અંગ ગાય, વિદ્યા મિમાંસા વળી જાણ ન્યાય;
સદ્ધર્મ શાસ્ત્રો પછી છે પુરાણ, તે ચૌદ વિદ્યા સમઝે સુજાણ.17
શિક્ષા તથા કલ્પ નિરુકત છંદ, જયોતિષ ને વ્યાકરણ પ્રવંદ્ય;
ષડંગ તે વેદ તણાં ગણાય, એવી રીતે સર્વ મુનીશ ગાય.18
અનેક વિદ્યા પ્રભુ આપ જાણે, તથાપિ ઈચ્છા ભણવાની આણે;
પિતાની પાસે રહીને ભણે છે, વિદ્યા તણા સદ્ગુણ તે ગણે છે.19
શાસ્ત્રો તણો સંગ્રહી સારસાર, રાખ્યો રચીને ગુટકો મુરાર;
કહી પિતાયે કુળધર્મ શિક્ષા, દીધી વળી વૈષ્ણવમાર્ગ દીક્ષા.20
લીધો પ્રભુ નિયમ એમ ધારી, સદા થવું નૈષ્ઠિક બ્રહ્મચારી;
તીર્થો વિષે જૈ ફરવું વિશેષ, દેવો જનોને શુભ ઊપદેશ.21
વળી વિચારી ઉર માંહિ વાત, મારે વિજોગે મુજ માત તાત;
દુઃખી થશે ને દિલમાં દઝાશે, એકે ઘડી તે જુગ જેવી જાશે.22
માતા પિતા જો ગતિ દિવ્ય પામે, તો તે પછી જાઉં પ્રવાસ કામે;
એવું ગણી ત્યાં જ થયા નિવાસી, રહે તથાપી હૃદયે ઉદાસી.23
જયાં સાલ આવી અડતાળિશાની, કાયા પડી ભૌતિક ભકિતમાની;
પ્રબોધિનીનો દિન પૂર્વ જેહ, હતો તિથિમાં શનિવાર તેહ.24
શ્રીભકિતમાતા ધરી દિવ્ય દેહ, રહ્યાં સદા શ્રીહરિ પાસ તેહ;
બે ભાઇ બીજા અતિશે રુએ છે, તે દેખી લોકો પુરના કહે છે.25
કોઇ તણીયે કદિ વિશ્વમાંય, બાળાપણામાં મરશો ન માય;
ધેનૂ મુઆથી દુઃખી વત્સ જેમ, માતા વિના બાળક દુઃખી તેમ.26
ભલે પિતા ભૂપ સમર્થ હોય, માતાની તુલ્યે ન ગણાય તોય;
માતા તણી વિશ્વ વિષે સગાઇ, સર્વોપરી શ્રેષ્ઠ સદા ગણાઇ.27
માતા વિના સર્વ હતા ઉદાસી, આવી ચતુર્થી વદિ જયેષ્ઠમાસી;
તાતે તજયો ત્યાં નિજદેહ તેહ, સેવે પ્રભુને ધરી દિવ્યદેહ.28
રુએ ઘણા રામપ્રતાપ આદિ, શિષ્યો રુવે દીક્ષિત પુરુષાદિ;
લોકો કહે છે મુખ વાણી એમ, પિતા મુએ શોક ન થાય કેમ.29
જો પુત્ર પોતે વયવૃદ્ધ હોય, ઇચ્છે પિતાનું સુખ તેહ તોય;
પિતાસ્વરૂપી શિરછત્ર જેને, સંતાપ ઓછો તન માંહિ તેને.30
જુદો કદી પુત્ર પિતાથી થાય, તથાપિ દેખી હરખે પિતાય;
જુએ શશીને નભ માંહિ જયારે, નિધિ ખુશી થૈ ઉભરાય ત્યારે.31
પછી ઘનશ્યામ રુદે વિચારી, ઘણા જનોનું હિત ચિત્ત ધારી;
પ્રભાતમાં મજજનને મિશે તે, સદ્યઃ સિધાવ્યા સરજુ દિશે તે.32
ભકિત તથા વેદ વસૂ શશાંક , બેઠો નવો વિક્રમ વર્ષ અંક;
અષાઢમાસી દશમી સુદીમાં , નાજાયા હરી જૈ સરજુ નદીમાં.33
અગ્યાર વર્ષો ત્રણ પૂર્ણ માસ, કર્યો ગૃહે વાસર એક વાસ;
શ્રીશ્યામને ત્યાં હણવાનું ધારી, આવ્યો વળી એક મહા સુરારી.34
નાખ્યા હરિને જળપૂર માંય, શરીર તે માંહિ તણાયું ત્યાંય;
સૂએ મહાસાગર મધ્ય જેહ, પ્રભુ બુડેશું જળ માંહિ તેહ.35
ઇચ્છા હરિની હરિપ્રેરણાથી, ગુરૂડ આવ્યા હરિધામમાંથી;
ઉપાડી લીધા પ્રભુ તેહ વારે, મુકયા ઉતારી નદી કોશ બારે.36
પુષ્પાદિ પૂજા ગરુડે સુકીધી, કરી પ્રસાદી પ્રભુ પાછી દીધી;
નમી પ્રભુને પદ તેહ ઠામ, સિધાવિયા તે ગરુડ સ્વધામ.37
નાખ્યા અસુરે જળમાં હરિને, તે તો ગણે શ્યામ ગયા મરીને;
જે કાળના કાળ સદા કહાવે, તેને કદાપિ નહીં આંચ આવે.38
શ્રીકૃષ્ણની દષ્ટિ થકી દઝાતો, પાપી મુઓ ખૂબ પછાડ ખાતો;
પ્રભુ થકી વૈર કરી કુપાત્ર, પામ્યા ન કોઇ સુખ લેશમાત્ર.39
ચાલ્યા નદીને તટ કોશ બેય, ત્યાં એક મોટો વડ વૃક્ષ છેય;
ત્યાં બેસીને કાંઇ કર્યો વિરામ, સમગ્ર આવ્યા સુર તેહ ઠામ.40
તીર્થો નદી પર્વત મુખ્ય જેહ, આવ્યા ધરી માનવ રૂપ તેહ;
સૌએ પ્રભુને પદ શીશ ધારી, સુનમ્રતાથી વિનતિ ઉચારી.41
અષ્ટપદી :-
સ્વજન તણા સુખસાગર, નટનાગર એ; અમળ ઉજાગરરૂપ, જય ઘનશામ હરે;
સંકટ સકળ નિવારણ, જગકારણ એ; ભવજળતારણ ભૂપ, જય ઘનશામ હરે.42
મૂર્તિ રુચિર મનરોચન, દુઃખ મોચન એ; સરસિજલોચન શામ, જય ઘનશામ હરે;
જય નિજજન મનસ્ફૂરણ, ભયચૂરણ એ; પ્રિયજનપૂરણકામ, જય ઘનશામ હરે.43
ઇશ્વરના પણ ઇશ્વર, જગદીશ્વર એ; સકળ કવિશ્વર ગાય, જય ઘનશામ હરે;
જય વૃષવંશદિનંકર, અભયંકર એ; શંકરસેવ્ય સદાય, જય ઘનશામ હરે.44
નિર્ગુણ મુનિજનનાયક, ખળધાયક એ; દાયક અતિ સુખદાન, જય ઘનશામ હરે;
દુર્મતિ દુર્જનદંડન, શ્રુતિમંડન એ; ખંડન ખળગુરુમાન, જય ઘનશામ હરે.45
દહનકરણ અઘકાનન, કમળાનન એ; ગુણ ચતુરાનન ગાય, જય ઘનશામ હરે;
ગુણનિધિ આપ ગિરિધર, અવનીધર એ; શ્રીધર સુખદ સદાય, જય ઘનશામ હરે.46
અરુણ વરણ જુગ ચરણ છે, સત્ય શરણદ એ; નિજજનકરણ નિહાલ, જય ઘનશામ હરે;
પરમ ધરમ ધુરધારી છો, સુખવારિદ એ; વિશ્વવિહારીલાલ, જય ઘનશામ હરે.47
ઉપજાતિવૃત્ત :-
તીર્થો કહે હે હરિકૃષ્ણદેવ, હવે પધારો પ્રભુ તર્તખેવ;
ધરી નિજાંધ્રી રજ શ્રીમુરારી, પવિત્રતા નાથ કરો અમારી.48
દેવો કહે દેશ બધે પધારો, સદ્ધર્મ સર્વે સ્થળમાં વધારો;
અધર્મના પંથ પ્રભુ ઉથાપો, દુષ્ટો હણીને જનકષ્ટ કાપો.49
કહે પ્રભુ સત્વર તે કરીશ, ભૂમિ તણો ભાર હવે હરીશ;
તમે તમારે સ્થળ સૌ સિધાવો, સ્વચિત્તમાં ધૈર્ય હવે ધરાવો.50
એવું સુણી પૂજન સર્વ કીધું, નૈવેદ્ય મીઠાં ફળ આદિ દીધું;
કરી પ્રભુના પદને પ્રણામ, ગયા સુરો તીર્થ સહુ સ્વધામ.51
નિજક્રિયા ત્યાં કરીને મુરારી, આહાર કીધો ફળનો વિચારી;
સર્જુતટેતે વટવૃક્ષ પાસ, કર્યો પ્રભુયે રજની નિવાસ.52
નિત્યપ્રતિ નીરખવા હરિને, એવી પ્રતિજ્ઞા હનુમાનજીને;
તેથી પધાર્યા કપિ ધર્મધામ, દીઠા નહીં શ્રીહરિ તેહ ઠામ.53
જોયું પછી જયાં મનધ્યાન ધારી, સર્જુતટે દૂર દીઠા મુરારી;
પુરી અયોધ્યા થકી ચૌદ કોશ,ગયા હનુમાન તહાં અદોષ.54
કરી નમસ્કાર મહાપ્રભુને, સર્વેશ્વરોના ગુરુના ગુરૂને;
પછી કહ્યું હે પ્રભુ મેઘશામ ! મને બતાવો નિજ કાંઇ કામ.55
કહે હરિ મુજ સગાં સમાજ, કરતાં હશે કલેશ વિશેષ આજ;
મારે વિજોગે મનમાં મુંઝાશે, તમે પધારો કપિ તેહ પાસે.56
જયારે જઇ પશ્ચિમ દેશમાંય, બાંધીશ મોટાં શુભ ધામ ત્યાંય;
કુટુંબીયોને તહીં તેડી લૈશ, નહીં કદી છેક વિસારી દૈશ.57
એવું કહી ધીરજ આપ આપો, સગાં સહુકેરી ઉદાસી કાપો;
એવું કહીને વૃષવંશરાય, કર્યા તહાંથી કપિને વિદાય.58
પુષ્પિતાગ્રાવૃત્ત :-
રજની વિગત થૈ થયું સવાર, પછી હરિ ત્યાંથી કર્યો વળી વિહાર;
સુણ નરપતિ હું કહીશ જેહ, સ્થિતિ થઇ શામ જતાં સગાંની તેહ.59
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિગૃહત્યાગ-કરણનામા અષ્ટદશો વિશ્રામઃ ।।18।।