પૂર્વછાયો :-
થયું આંબલીયા ગામમાં, ઇચ્છારામનું સગપણ જેહ;
તેહ કથા તમને કહું, નરપતિ સુણો ધરી નેહ.1
સગા જાણી બળદેવના, વિશ્રામને મળવા કામ;
આંબલીયાથી આવિયા, જેનું મંછામિશર છે નામ.2
પુત્રી તેને એક વર્ષની, તેનું નામ છે વરિયાળી બાઇ;
તેના પિતાએ ઇચ્છા કરી, વૃષવંશમાં કરવા સગાઇ.3
ઉત્તમ કુળ વૃષદેવનું, દીઠા સગા તેના કુળવંત;
તેથી સગા કરવા તણી, ઉર ઉપજી ચાહ અત્યંત.4
વાત પૂછી બળદેવને, મન જાણીને નિજ મિત્ર;
તે પણ બોલ્યા તે સુણી, વૃષવંંશ છે પરમ પવિત્ર.5
કન્યા દેવા યોગ્ય છે, માટે કરો સગાઇ શુભ પેર;
ભાગ્ય ભલાં હોય આપણાં, ત્યારે આવે એવાં સગાં ઘેર.6
ઉત્તમકુળના કુંવરને, દેવા ઇચ્છે ઘણા કન્યાય;
મોટો કુંવારો નવ મળે, શિશુપણ વિષે વરી જાય.7
તે માટે શિશુપણ વિષે, સહુ કન્યાની કરે છે સગાઇ;
લગ્ન કરે છે તે પછી, જયારે લગ્નલાયક થાય બાઇ.8
તે માટે તમે આજથી, શુભ કરવા ધાર્યું કામ;
મુજને પણ મનમાં ગમ્યું, એવું ન મળે બીજું ઠામ.9
ઉપજાતિવૃત્ત :-
શ્રીમંતની જે દુહિતા ગણાય, ગરીબને ઘેર નહીં સમાય;
જે સિંધુ હીમાચળ કેરી જાઇ, તળાવમાં કેમ રહે સમાઇ ?10
કન્યા દિસે જેવી ગરીબ ગાય, જયાં દાન દે ત્યાંજ બિચારી જાય;
જોતે જઇ ત્યાં બહુ દુઃખ લે છે, દેનારને શાપ હમેશ દે છે.11
જો કોઇ સારું કુળ તો ગણાય, તથાપિ ત્યાં પુત્રી સુખી ન થાય;
સંસારમધ્યે પડી સાક્ષી એવી, તે ઘેર કન્યા કદીયે ન દેવી.12
કન્યા જુવે છે વર રૂપરેલો, માતા જુવે દ્રવ્ય પિતા ભણેલો;
સગા જુવે ઉત્તમ વંશવાન, બીજા જનો ઉત્તમ ખાન પાન.13
પોતા તણી કીર્તિ વધારવાને, જો બાપ નાંખે દુઃખમાં સુતાને;
તે તો પિતા પુત્રી તણો જ ઘાતી, પાપી પુરો તેની કઠોર છાતી.14
એવું સુણી સર્વ નકી કરીને, પછી પૂછ્યું રામપ્રતાપજીને;
ત્યારે કહે રામપ્રતાપ એમ, પિતાજી જાણે કહું કાંઇ કેમ.15
જો પુત્ર પામે વય વૃદ્વ કોય, તથાપિ જો તાત હયાત હોય;
પૂછ્યા વિના કામ કરે ન કાંઇ, પડે કરે તો કદી કષ્ટમાંઇ.16
ચોપાઈ :-
ઇચ્છા હોય જો આપના ઉરમાં, આવજોજી અયોધ્યા પુરમાં;
એવો એહને ઉત્તર દીધો, તેણે સાંભળી મન ધરી લીધો.17
જવા તે પછી પોતાને ઘેર, કરી રામપ્રતાપે સુપેર;
બળદેવને વિનતી કીધી, રજા ઘેર જવા માગી લીધી.18
વસ્ત્ર ભૂષણ દઇ લાગી પાય, સૌને બળદેવે કીધા વિદાય;
બોલ્યા મંછામિશર તેહ ઠામ, ચાલો સર્વે આંબલિયા ગામ.19
જજયો ત્યાં થઇને તમે ઘેર, તેમાં ઝાઝો નહીં પડે ફેર;
સમઝાવીયા સહુને આમ, ગયા તેડી આંબલીયા ગામ.20
રુડી રીતે રાખ્યા એક રાત, સૌની સેવા કરી ભલી ભાત;
થયો પ્રેમ પરસ્પર ઘણો, મંછામિશ્રને વૃષવંશ તણો.21
ધર્મવંશ છે રૂપનિધાન, જેવું રૂપ તેવા ગુણવાન;
ઘનશામનું રૂપ ઘણું છે, જેમાં જન ચિત્ત ચોરપણું છે.22
મંછામિશ્રની સ્ત્રી દેવજાની, તે તો સમજુ દિસે સોળે આની;
તેણે ચિત્તમાં વાત વિચારી, મારી છે રુડી કન્યા કુંવારી.23
આવા કુળમાં તે કન્યા દેવાય, એવાં ભાગ્ય ઉદે કયાંથી થાય;
કર જોડીને સ્તુતિ ઉચ્ચરી, કુળદેવની માનતા કરી.24
આવા મળશે સગા જો અમને, તો હું પ્રેમથી પૂજીશ તમને;
ચાલ્યા બીજે દિવસ મેમાન, જઇ પહોંચ્યા અવધપુર સ્થાન.25
માત તાતને સૌ જઇ મળિયા, તેથી તનમનના તાપ ટળિયા;
માયે કૃષ્ણનાં મીઠડાં લીધાં, હૈયે ચાંપીને ચુંબન કીધાં.26
ગામ આંબલીયા કેરી વાત, કહી સૌયે સુણી માત તાત;
રૂપ કન્યાનું સૌએ વખાણ્યું, રુડું રત્ન તે ઘરજોગ જાણ્યું.27
વસી થોડા વાસર વિશ્રામ, ગયા મામો તે છપૈયે ગામ;
કહ્યા શ્રીહરિના સમાચાર, સુણી હરખ્યાં સકળ નરનાર.28
હવે આંબલીયે જે રહે છે, દેવજાની પતિને કહે છે;
સ્વામી અવધપુરીમાં સિધાવો, કન્યાનું સગપણ કરી આવો.29
મંછામિશ્ર બોલ્યા તેહ ઠામ, ઘણું છે હમણા ઘરકામ;
છોને માસ પછી જ જવાતું, હાલ લગ્ન નથી વહી જાતું.30
ત્યારે ક્રોધ કરી કહે નારી, જાઓ આજ ને આજ વિચારી;
બીજાં કામ જો બગડે વિશેષ, તેની ચિંતા ન રાખવી લેશ.31
વસંતતિલકાવૃત્ત :- સ્ત્રીની હઠિલાઇ વિષે :-
જાણે ન ટાઢ તડકો ન ગણે જ વૃષ્ટિ, જીવત્વ કોણ ગણતી ન ગણે જ સૃષ્ટિ;
શું સુખ દુઃખ કદી હાની હજાર થાય, સ્ત્રી ધાર્યું કામ કરવા સહસા ચહાય.32
તેડાવિયા તરત ત્યાં બળદેવ મિત્ર, બન્ને ગયા વૃષ તણા પૂરમાં પવિત્ર;
શ્રીધર્મ પાસ નમીને બળદેવ બોલ્યા, જે જે મનોર્થ મનના તહી સર્વ ખોલ્યા.33
દેવા વિચારી દ્વિજ આ તવ ઘેર કન્યા, છે યોગ્ય વાત સઘળી નથી કાંઇ અન્યા;
જો દૂધ સાકર ભળે વધશે મિઠાશ, આ બાઇથી કુળ વિષે વધશે પ્રકાશ.34
એવાં અનેક વચનો કહી હા પડાવી, શ્રી ભકિતને વળતી વાત બધી મનાવી;
ધર્મે કહ્યું તનુજનો સુત નંદરામ, તેની સગાઇ કરી બેશહુપૂર ગામ.35
આ પુત્ર એક ઘરમાં ઘનશામ જે છે, સંસારથી અતિ સદૈવ વિરકત તે છે;
ઇચ્છાસુ રામ સુત છે વય છોટી છેક, જેને થયું વરસ તો શુભ સાર્ધ એક.36
મંછા કહે મુજસુતા પણ તે સમાન, છે તેજ કાજ કરીયે શુભ વાગદાન;
દેવજ્ઞ પાસ પછી શુદ્ધ મુહૂર્ત લીધું, વાગ્દાન વેદ વિધિયે તતકાળ કીધું.37
તેડી સગાં સ્વજનનાં સનમાન કીધાં, સૌને ગુલાબ જળ તાંબુળ આદિ દીધાં;
વાજિંત્રનાદ વૃષના ઘરપાસ થાય, ગૌરી મળી પૂરની મંગળ ગીત ગાય.38
ભમરા પહેલો વધાવો મારે આવિયો :- એ રાગનું ધોળ
પદ :- 1
સજની આજ શ્રીધર્મ કેરે આંગણે,
અતી આનંદ ઉત્સવ થાય રે; વિવા’નાં જોને વાજાં વાગે રુડાં વધાઇનાં…ટેક.
કર્યું સગપણ ઇચ્છારામભાઇનું, રુડી વરિયાળી નામે છે કન્યાય રે..વિવા’નાં 39
વેવાઇ શ્રીમંત સારા મંછામિશ્ર છે, જેનું ગુણિયલ છે આંબલીયા ગામ રે..વિવા’નાં
જેવા વેવાઇ છે તેવાં વેવાણ છે, જેનું દેવજાની છે નિર્મળ નામ રે..વિવા’નાં 40
ધર્મદેવનાં ભાગ્ય ધન્ય ધન્ય છે, એ તો વિશ્વ આખામાં વખણાય રે..વિવા’નાં
ભાઇ રામપ્રતાપ રુદે રીઝીયા, માતા ભકિતનો હરખ ન માય રે..વિવા’નાં 41
વેવાઇ બન્ને બિરાજયા ઉત્તમ આસને, પૂજયા પ્રેમથી ગુણનિધિ ગણનાથ રે..વિવા’નાં
કીધી પૂજા પરસ્પર વળી કંકુયે, આપ્યાં હળદર ને સોપારી હાથ રે..વિવા’નાં 42
સસરે વરને તિલક કીધું ભાલમાં, મુકયું હાથમાં શ્રીફળ સોનામોર રે..વિવા’નાં
વેદમંત્ર ભણે છે વિપ્ર વેદીયા, સર્વે વિધિ કરાવે કુળના ગોર રે..વિવા’નાં 43
સ્વસ્તિવાચન કીધુ વિપ્ર સૌ મળી, વેદ ચારેના આપ્યા આશીર્વાદ રે..વિવા’નાં
મળી માનિની ગાય મધુરે સ્વરે, સુણતાં સર્વેને લાગે સારો સ્વાદ રે..વિવા’નાં 44
સસરે આપી જમાઇને સોના સાંકળી, સગાં સર્વેનું કર્યુ સનમાન રે..વિવા’નાં
ધાણા ગોળ ને વેહેંચી ત્યાં સાકર વળી, દીધાં દ્વિજને બહુ દક્ષિણા દાન રે..વિવા’નાં 45
ઘૂમે સારી સભામાં ઘનશામજી, જેની ચપળ છે હંસ જેવી ચાલ રે..વિવા’નાં
સર્વે સાજન તેના સામું જોઇ રહે, વાલા લાગે વિશ્વવિહારીલાલ રે..વિવા’નાં 46
પદ- 2
સજની આજની શોભા શી હું વર્ણવું,
ધૂમ મચી છે ધર્મને દરબાર રે; નગારાં વાગે ધીન્નાં ધીન્નાં રે કડકડકડ ધીન્નાં;
ઘણા હાથીને ઘોડા શણગારિયા, સજયા સર્વે જનોયે શણગાર રે…નગારાં 47
લીલાં તોરણ બાંધ્યાં રુડાં ટોડલે, ધરી ધજા પતાકા ભલી ભાત રે…નગારાં
પૂર્યા ચોકમાં મોતી તણા સાથીયા, જોતાં જનમન થાય રળીયાત રે…નગારાં 48
છજાં માળીયાં અગાશી ઉપર ચડી, નાચે મનમાં મગન થઇ મોર રે…નગારાં
વાજે ઢોલ ત્રાંસાં ને ભેરી ભુંગળો, થાય શરણાઇના અતિશે શોર રે…નગારાં 49
ભાટ ચારણ બોલે બિરદાવળી, કરે ગુણીજન મળી ગુણગાન રે…નગારાં
નાચે આકાશમાં આવીને અપ્સરા, તે તો તાથેઇ તાથૈ તોડે તાન રે…નગારાં 50
આજ તો ઉપજયો આનંદ આખા શહેરમાં, આજ તો દુઘડે વરસે છે મેહ રે…નગારાં
ભેટ લઇને ભલા જન આવે ભેટવા, ધર્મતાત આગળ ધરે તેહરે…નગારાં 51
હાર તોરા ને ગજરા રુડા ગુંથીને, લાવી માળણ ભરી મોટી છાબ રે…નગારાં
તેમાં ફૂલ ફોરે છે જાઇ જુઇનાં, વળી ગુલદાવદીને ગુલાબ રે…નગારાં 52
લાવ્યો તંબોળી પણ પડા પાનના, લાવ્યો દોશિડો સારાં શેલાં પાગ રે…નગારાં
હીરા મોતી લઇ ઝવેરી આવિયા, આપી મૂલ ને તે લીધાં અથાગ રે…નગારાં 53
આપે જયારે ઘરેણું ઘનશ્યામને, તે તો જોઇને તજે છે તતકાળરે…નગારાં
માયાતીત તેથી જનોયે જાણિયા, વિશ્વેશ્વર છે વિશ્વવિહારીલાલ રે…નગારાં 54
પદ :- 3
સજની જે હું જાણું છું તે તને કહું,
જેવા રૂડા છે ઈચ્છારામભાઇ રે; વર કન્યા કેરી જોવા જેવી રુપાળી જોડ છે.
એક એકથી ઓછું કે અધિક નથી, સરખી સદગુણની છે સરસાઇ રે…વર કન્યા 55
જેવી જોડ સૂરજ રન્નાદે તણી, જેવી જોડ રતી ને રતીનાથ રે…વર કન્યા
શોભે ઇંદ્ર ઇંદ્રાણી જેમ સ્વર્ગમાં, શોભે રોહિણી જેમ શશી સાથ રે…વર કન્યા 56
જેવી ઇશ્વર ને પારવતીની જોડ છે, જોડ બ્રહ્મા સાવિત્રીની ગણાય રે…વર કન્યા
જોડ બુદ્ધિ ને ગુણનિધિ ગણેશની, જોડવરુણ ને પદ્મણી જણાય રે…વર કન્યા 57
જેવી વિષ્ણુ ને લક્ષ્મીજીની જોડ છે, ઇચ્છારામ ને વરિયાળીની જોડ રે…વર કન્યા
નવરે દિવસે બ્રહ્માયે નીપજાવીયાં, નથી એકેમાં કાંઇ ખામી ખોડ રે…વર કન્યા 58
જેમ કુંદનમાં હીરો જડાય છે, શોભે બન્ને મળીને તે સદાય રે…વર કન્યા
જેમ જીવને કાયા બે શોભે મળી, તેમ દંપતી મળીને દેખાય રે…વર કન્યા 59
આપે આશિષ સર્વે મળી સુંદરી, જોડ રહેજો અખંડ સદા એહ રે…વર કન્યા
ધર્મ ભકિતની સેવા કરજો સર્વદા, નિત્ય રાખજો નવો નવો નેહ રે…વર કન્યા 60
ભલાં ભાગ્યશાળી થજો તે ભૂમિમાં, કીર્તિ વિસ્તારજોજી દેશોદેશ રે…વર કન્યા
કરજો પર ઉપકાર ઘણા પ્રેમથી, વળી વૈભવ પામજો વિશેષ રે…વર કન્યા 61
ત્રણે ભાઇયો તે તો ત્રિમૂર્તિ જોડ છે, તેમાં કૃષ્ણ છે કાળકેરા કાળ રે…વર કન્યા
હરિ ક્ષરને અક્ષરના છે આતમા, વાજાલો એ છે વિશ્વવિહારીલાલ રે…વર કન્યા 62
પદ- 4
સજની છોડ ચંપાનો છોટો મેં દીઠો,
જેનું નામ છે રુડું ઇચ્છારામ રે; સુહાગણ સજની વૃષની વાડીમાં ચંપો મોરીયો;
છોટાપણમાં ચંપાની પ્રસરી વાસના, જેના ગુણ ગવાય આંબલીયા ગામ રે….સુહાગણ 63
ચંપો આવી ઉગ્યો છે અક્ષરધામથી, રુડો કહીને વખાણે રાણારાય રે….સુહાગણ
ચંપો રૂપે ને રંગે દિસે રાજવી, ચંપો નિરખીને હૈડું હરખાય રે….સુહાગણ 64
ચંપો મનમાં ગમ્યો મંચ્છા વેવાઇને, તેણે સત્કાર કીધો સારી રીત રે….સુહાગણ
ચંપા જેવી વળગાડી સારી વેલડી, તેથી દેખાશે વિશેષ શોભીત રે….સુહાગણ 65
ચંપો પૂરી મોટાઇ જયારે પામશે, થાશે પ્રથવી આખીમાં તે પ્રખ્યાત રે….સુહાગણ
ચંપો ફેલાશે રુડી ગુજરાતમાં, વળી સોરઠ માંહિ ભલી ભાત રે…સુહાગણ 66
સજની ચંપાના અંગથી ચંપા થશે, જેમ દીવાથી દીવા પ્રગટાય રે…સુહાગણ
તેવા તેજસ્વી તેવા ગુણવાન તે, સર્વે સદ્ગુણે સરખા જણાય રે…સુહાગણ 67
ચંપો માલિક થાશે અર્ધા મુલકનો, કરશે કોટિક લોકનાં કલ્યાણ રે…સુહાગણ
એના ગુણ તો ગુંથાશે મોટા ગ્રંરથોમાં, આખા વિશ્વમાં પામશે વખાણ રે…સુહાગણ 68
ચંપો પૂજાશે હીરા માણક મોતીયે, મોટા મહિપતિ દેશે મોટું માન રે…સુહાગણ
જે કોઇ લેશે આ ચંપાની સુવાસના, થાસે અમર તે અક્ષરસમાન રે…સુહાગણ 69
સજની ભગવાન આ ચંપાના ભાઇ છે, જે છે દીનબંધુ દીનદયાળ રે…સુહાગણ
પ્રેમે તે પ્રભુ આ ચંપાને પાળશે, વાજાલો જે છે વિશ્વવિહારીલાલ રે…સુહાગણ 70
પુષ્પિતાગ્રાવૃત્ત :-
શુભ સગપણ એવી રીત કીધું, જમણ સુમિષ્ટ જમાડી માન દીધું;
પછી હળીમળીને સગાં બધાંય, નિજનિજ ગામ જવા થયાં વિદાય.71
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીઇચ્છારામજી-નિમિત્તવાગ્દાનકરણનામા ષોડશો વિશ્રામઃ ।।16।।