પૂર્વછાયો :-
હે રાજા સુણ સ્નેહથી, વળી વર્ણવું બાળચરિત્ર;
તરગામમાં રહી ત્રિકમે, કરી લીલા લલિત વિચિત્ર.1
ચોપાઈ :-
તરગામથી નૈરુત ભાગે, એક સારી તલાવડી લાગે;
ગંગાજળ જેવું નિરમળ નીર, તરુવર ઘણાં તેહને તીર.2
પ્રભુ બાળક મંડળી લઇને, જળકેળી કરે તહાં જઇને;
એક દિવસ ગયા ત્યાં નાવા, બહુ બાળ આવ્યાજાતા બોલાવા.3
પેંસી જળમાં સખા સંગ પ્રીતે, જળકેળી કરી રુડી રીતે;
કોઇ તો મત્સ્યની પેરે અંગ, ઊંડા નીરમાં મારે સળંગ.4
કોઇ જળકુકડી સમ થાય, મારી ડૂબકી દૂર દેખાય;
મગરી જેમ પુંછ પછાડે, તેમ બીજાને પાટુડી મારે.5
કોઇ કાચબા તુલ્યે વિચરે, કોઇ હાથ ઉંચા પગે તરે;
જેમ વિપ્ર કરે ઉપસ્થાન, શોભે તે બાળ તેહ સમાન.6
કોઇ દાદુરની પેરે કૂદે, કોઇ જાય તરી પથ જૂદે;
કોઇ સર્પપેરે વાંકો ચાલે, કોઇ બગસમ બીજાને ઝાલે.7
કોઇ હંસ બરાબર થઇ, બેસે કમળની ઉપર જઇ;
કોઇ ભમર થઇ કરે ગાન, ભાળી રીઝે છે શ્રીભગવાન.8
કરે હોડ અનેક પ્રકાર, કોણ જળમાં રહે ઝાઝી વાર;
કોણ તરતાં આગળ વધી જાય, કોણ પકડતાં નવ પકડાય.9
ઉંધી ખાટલીને જ આકાર, કોઇ તો તરે છે ઝાઝી વાર;
તરે કોઇ તો પલાંઠી વાળી, થાય વિસ્મિત સૌ જન ભાળી.10
ઝાડ ઉપર ઉંચે ચડે છે, ત્યાંથી ખાઇ ગોલાંટ પડે છે;
જળકેળી તે જોવાની આશે, આવે અમર ચઢીને આકાશે.11
આવે દર્શને મુનિવર વૃંદ, લીલા નિરખીને પામે આનંદ;
કોઇ મુકત બની બાળ અંગ, જળ કેળી કરે હરિસંગ.12
કાળીદત્ત તણો કોઇ સગો, આવ્યો હરિસંગ કરવાને દગો;
માયા આસુરી તે જાણનારો, જંત્ર મંત્ર જાણે જાદુગારો.13
કાળીદત્તનું વાળવા વેર, પાપી આવ્યો ઝાઝું ધરી ઝેર;
જળકેળી કરે હરિ જયાંય, બેઠો તાકીને તે ખળ ત્યાંય.14
તરુ ઉપર બાળકો ચડે, પછી તે પાણી ઉંડામાં પડે;
ચડ્યા જે ઝાડપર પરમેશ, તેમાં પાપીએ કીધો પ્રવેશ.15
કરી ખડગના સરખો ખાંપો, કૃષ્ણકેરા સાથળમાં ચાંપ્યો;
તસુ પેઠો તે ઉરુ મોઝાર, કાઢતાં ચાલી લોહીની ધાર.16
હરિ હળવેશું ઊતર્યા હેઠા, મળી મિત્ર તરુતળે બેઠા;
પાટો બાંધી લીધો રુડી પેર,પછી સૌ મળીને ગયા ઘેર.17
જાણ્યું હરિયે અસુરનું એ કામ, તોય ક્રોધ ન કીધો તે ઠામ;
એમ ધાર્યુ શ્રીધર્મને લાલે, તેને ફળ મળશે કોઇ કાળે.18
ક્ષમાસાગરે બહુ ક્ષમા કીધી, એવો કોણ બીજો ક્ષમાનિધિ;
દશ દિવસે તે રુઝાયો ઘાય, પણ ચિ હ્ન પડી રહ્યું ત્યાંય.19
જયારે ચિહ્ન તે દેખતા સ્વામી, ત્યારે બોલતા અંતરજામી;
જયારે ચિહ્ન આ નજરે ચડે છે, ત્યારે તે તરુ સર સાંભરે છે.20
પૂર્વછાયો :-
તરરૂપી તરગામ છે, હરિ જોવા ઉલટ્યું ત્યાંય;
ભૂપ કહે શું રત થયું, કહે વર્ણી પ્રભુ પદમાંય.21
લીલા કહી તરગામની, મેં ભાવ ધરીને ભ્રાત;
આસપાસના ગામમાં, વળી વિચર્યા તે કહું વાત.22
સ્નેહી સગાં બળદેવનાં, જેઓ રહે જુદેજુદે ગામ;
તેઓ શ્રીરામપ્રતાપને, આવે નોતરું દેવા કામ.23
ભોજન કારણ ભાવથી, સહ કુટુંબ તેડી જાય;
શ્રીહરિની છબી જોઇને, ગામોગામ વધ્યો મહિમાય.24
નામ કહું તે ગામનાં, તમે સુણો અભેસિંહ ભ્રાત;
મુંડાડીહા એક છે, બીજું બેશહું પુર પ્રખ્યાત.25
રુડું રણિયાપુર વળી, ફર્શરામ પુર છે નામ;
સુહેલવા ને વેણિપુર, વળી ચૌરી અકમા ગામ.26
ભમૈચા ને ભેટવરા, ગામ કીનકી આદિક જેહ;
ભોજન કાજ પધારીને, કર્યો પાવન પ્રભુયે તેહ.27
દક્ષિણમાં તર ગામથી, એક આંબલીયા છે ગામ;
મિત્ર વસે બળદેવના, તેનું મંછામિશર છે નામ.28
સુત તેનો શિવદીન છે, બીજો સુફળ પણ શૂરવીર;
તાતે કહ્યું તે બેયને, તેડી લાવો ઘરમકુળ ધીર.29
તે તો ગયા તરગામમાં, સૌને નોતરું દેવા કામ;
આગ્રહ ત્યાં અતિશે કર્યો, તેડી જવા આંબલીયા ગામ.30
કુટુંબ સહિત પધારિયા, રામપ્રતાપજી તે ઠામ;
ભમૈચા કિનકી થઇ ગીયા, ચૌરી આંબલીયા ગામ.31
જયાંજયાં થઇ હરિ જાય છે, વધે આનંદ ત્યાં આસપાસ;
સૂરજનો રથ સંચરે, ત્યાં પડે છે જેમ પ્રકાશ.32
મૂર્તિ મનોહર માવની, જોવા લોચન મન લોભાય;
માણસ કે પશુ પક્ષી પણ, છબી નિરખવા સ્થિર થાય.33
આંબલીયામાં એક દિન, સૌને રાખ્યાં રુડી રીત;
ભાવતાં ભોજન પાન દીધાં, પુરી ધરી મન પ્રીત.34
બીજે દિન સનમાન દૈ, પછી કીધાં સૌને વિદાય;
ઉત્તરમાં ખજુહા સરોવર, નાયા જઇને ત્યાંય.35
ત્યાંથી કમળ કમનીય લઇ, હેતે આપ્યું હરિને હાથ;
વળી વિચરીને આવિયા, તરગામમાં સૌ સાથ.36
ચોપાઈ :-
ભકિતમાતાની બેન વસંતા, ભાગ્યાશાળી ભલી ગુણવંતા;
ગામ અશોકપુરમાં રહેલી, બલધી દવેને પરણેલી.37
કાંઇ સંકટ આવિયું ત્યાંય, વસ્યાં બલમપડરી માંય;
તેઓ આવિયાં તેડવા કાજ, તરગામમાં જયાં મહારાજ.38
બીજી બેહેન જે ચંદન નામ, તેના સાસરાનું કહું ગામ;
પ્રગણું તરહર પરમાણો, ગુદહાબરવી ગામ જાણો.39
સરદાર પાંડે તેના સ્વામી, આવ્યા તેડવા તે મુદ પામી;
ભકિતમાત તણા જેહ ભાઇ, જેની ગેલહી સંજ્ઞા ગણાઇ.40
તેના પુત્ર જે બે કહેવાય, ગવરી અને બદરી ગણાય;
આવ્યા લોહસિસાગામ થકી, ધર્મવંશીને તડવા નકી.41
કહે સૌને શ્રીરામપ્રતાપ, અમે આવશું જાઓ જી આપ;
એમ કહીને વિદાય તે કર્યા, પછી રામપ્રતાપ સંચર્યા.42
સાથે પત્નિને શ્રીઘનશામ, કર્યો પડરીયે પ્રથમ વિરામ;
ત્યાંથી લોહસીસે પછી ગયા, ત્યાં તો બે ત્રણ દિવસ તે રહ્યા.43
અસુરાંશ હતો તહાં એક, આળ કરતો હરિને અનેક;
તેને એક સમે મુનિનાથે, પકડીને પછાડિયો હાથે.44
તેથી કાંડું તેનું ખડી ગયું, તેણે જઇને જનો પાસે કહ્યું;
વાત કોઇ થકી ન મનાય, કહે બાળકથી તે શું થાય ?45
મહિમા પ્રભુનો જેહ જાણે, તે તો વાત તે સાચી પ્રમાણે;
પછી ત્યાંથી કરીને પ્રયાણ, પડરી ગયા પાંડે સુજાણ.46
ત્યાંથી ગોંડે ગયા ગુણાગાર, ગયા ટેડીનદી તણે પાર;
ગુદહાબરવી ગામ ગયા, તરગામ આવી પાછા રહ્યા.47
પૂર્વછાયો :-
ભકિતમાતા ભગવાનને, મળવાને મન અકળાય;
વારેવારે કહે ધર્મને, હવે તેડવાને કોણ જાય ?48
તનુજ કાળુ ત્રિવાડીના, જેનું નામ રુડું વિશ્રામ;
તે મળવા વૃષદેવને, પોતે આવ્યા અવધ્યપુર ધામ.49
ભકિતમાતા તેને કહે, તમે વિચરો મારા વીર;
તેડી લાવો તરગામથી, હરિ વિના ધરાય ન ધીર.50
રુડા રામપ્રતાપને, તેડી લાવો કુટુંબસહીત;
આવ્યાની અવધ થકી થયા છે, વાસર અધિક વ્યતીત.51
ચોપાઈ :-
એવું સાંભળી ભકિતના ભાઇ, બોલ્યા જઇશ હું તેડવા બાઇ;
એક સાથે લીધો સુખપાલ, ચાલ્યા વિશ્રામજી તતકાળ.52
વાટે જાતાં કરે છે વિચાર, આજ ભેટશે ભકિતકુમાર;
સુખસાગર સુંદરશામ, કેવા દેખીશ હું ઘનશામ ?53
જેની મૂર્તિ વિષે મન પ્રોઇ, જન જાતી રહે સહુ જોઇ;
મેંતો દીઠા હતા છેક છોટા, હવે તો તે થયા હશે મોટા.54
છપૈયામાં ચમત્કાર કરી, લીધાં સર્વે તણાં મન હરી;
છપૈયાના રુડા સમાચાર, મને પૂછશે ધર્મકુમાર.55
હેતે હરિને ખોળામાં ધરીશ, વળી ચુંબન ગાલે કરીશ;
આવી ઉભા રહી મુજ સામા, મને કહેશે મહાપ્રભુ મામા.56
એ છે જગદિશ જગદાધાર, એનો પામે નહીં કોઇ પાર;
જયારે તે પ્રભુ મુજને મળશે, મારા તાપ ત્રિવિધિના ટળશે.57
વળી જાણીશ હું તેણી વાર, મારો સુફળ થયો અવતાર;
વળી મળશે શ્રીરામપ્રતાપ, જે છે દેવ સંકર્ષણ આપ.58
હુંતો હરખાઉં છું મનમાંથી, આવા શ્રેષ્ઠ સગા મળે કયાંથી;
એવું વીચારતા વિશરામ, પછી તે પહોંચ્યા તરગામ.59
મળ્યા ભાવથી બેઉ ભાણેજ, એમાં ઓળખ્યા ઘનશામ એ જ;
લઇ છાતિએ તરત લગાવ્યા, આંખે પ્રેમનાં આંસુડાં આવ્યાં.60
જેમ ચિંતામણી પામે કોય, તેના હર્ષની હદ નવ હોય;
એવો ઉપજયો આનંદ અપાર, કહી નવ શકે વદન હજાર.61
કહે કૃષ્ણ મામા કયાંથી આવ્યા ? મારી સારુ કહો શું શું લાવ્યા;
હરિ અક્ષર જે ઉચરે છે, જાણે મુખ થકી મોતી ઝરે છે.62
કહે મામો અયોધ્યાથી આવ્યા, ધર્મ બાપાએ તમને તેડાવ્યા;
એમ કહી વળી છાતીમાં ચાંપી, હેતે હાથમાં સુખડી આપી.63
મળ્યા રામપ્રતાપ તે ઠામ, તેના પુત્ર મળ્યા નંદરામ;
મળ્યા બળદેવ પુત્રસહીત, ઘણી વાધી પરસ્પર પ્રીત.64
છપૈયાના પૂછ્યા સમાચાર, પૂછ્યું ક્ષેમ અયોધ્યા મોઝાર;
સગા સૌની કુશળતા જાણી, સૌયે અંતરમાં શાંતિ આણી.65
છપૈયાથી આવ્યા વિશરામ, એવી વાત ચાલી ગામોગામ;
સગાં સ્નેહી જે બળદેવકેરાં, તે તો મળવાને આવે ઘણેરાં.66
સરિતાઓ સાગર ભણી ધાય, તેમ જન બહુ તરગામ જાય;
કોઇ મળી હળી થાય વિદાય, કોઇ એકાદ દિવસ રોકાય.67
કોઇ મળવાનું બાનું બતાવે, પણ હરિમુખ નિરખવા આવે;
દર્શનીય પુરુષ કોઇ જાણે, કોઇ પૂરણ બ્રહ્મ પ્રમાણે.68
પુષ્પિતાગ્રાવૃત્ત :-
હરિવર તરગામમાં બિરાજી, જનમન સર્વ કર્યા જ રાજીરાજી;
સુરવર મુનિ સર્વ એમ બોલે, નહિ તરગામ નિવાસી ભાગ્ય તોલે.69
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિતરગ્રામતડાગે જલકેલીકરણાદિવર્ણનનામા પંચદશો વિશ્રામઃ ।।15।।