પૂર્વછાયો :-

હે  રાજા  સુણ  સ્નેહથી,  વળી  વર્ણવું  બાળચરિત્ર;

તરગામમાં રહી ત્રિકમે, કરી લીલા  લલિત વિચિત્ર.1

ચોપાઈ :-

તરગામથી  નૈરુત  ભાગે,  એક  સારી  તલાવડી  લાગે;

ગંગાજળ  જેવું  નિરમળ  નીર,  તરુવર  ઘણાં  તેહને  તીર.2

પ્રભુ  બાળક  મંડળી  લઇને,  જળકેળી  કરે  તહાં  જઇને;

એક દિવસ ગયા ત્યાં નાવા, બહુ બાળ આવ્યાજાતા બોલાવા.3

પેંસી  જળમાં  સખા  સંગ  પ્રીતે,  જળકેળી  કરી  રુડી  રીતે;

કોઇ  તો  મત્સ્યની  પેરે  અંગ,  ઊંડા  નીરમાં  મારે  સળંગ.4

કોઇ  જળકુકડી  સમ  થાય,  મારી  ડૂબકી  દૂર  દેખાય;

મગરી  જેમ  પુંછ  પછાડે,  તેમ  બીજાને  પાટુડી  મારે.5

કોઇ  કાચબા  તુલ્યે  વિચરે,  કોઇ  હાથ  ઉંચા  પગે  તરે;

જેમ  વિપ્ર  કરે  ઉપસ્થાન,  શોભે  તે  બાળ  તેહ  સમાન.6

કોઇ  દાદુરની  પેરે  કૂદે,  કોઇ  જાય  તરી  પથ  જૂદે;

કોઇ  સર્પપેરે  વાંકો  ચાલે,  કોઇ  બગસમ  બીજાને  ઝાલે.7

કોઇ  હંસ  બરાબર  થઇ,  બેસે  કમળની  ઉપર  જઇ;

કોઇ  ભમર  થઇ  કરે  ગાન,  ભાળી  રીઝે  છે  શ્રીભગવાન.8

કરે  હોડ  અનેક  પ્રકાર,  કોણ  જળમાં  રહે  ઝાઝી  વાર;

કોણ તરતાં આગળ વધી જાય, કોણ પકડતાં નવ પકડાય.9

ઉંધી  ખાટલીને  જ  આકાર,  કોઇ  તો    તરે  છે  ઝાઝી  વાર;

તરે કોઇ તો પલાંઠી વાળી, થાય વિસ્મિત સૌ જન ભાળી.10

ઝાડ  ઉપર  ઉંચે  ચડે  છે,  ત્યાંથી  ખાઇ  ગોલાંટ  પડે  છે;

જળકેળી તે જોવાની આશે, આવે અમર ચઢીને આકાશે.11

આવે  દર્શને  મુનિવર  વૃંદ,  લીલા  નિરખીને  પામે  આનંદ;

કોઇ  મુકત  બની  બાળ  અંગ,  જળ  કેળી  કરે  હરિસંગ.12

કાળીદત્ત તણો કોઇ સગો, આવ્યો હરિસંગ કરવાને દગો;

માયા  આસુરી  તે  જાણનારો,  જંત્ર  મંત્ર  જાણે  જાદુગારો.13

કાળીદત્તનું  વાળવા  વેર,  પાપી  આવ્યો  ઝાઝું  ધરી  ઝેર;

જળકેળી  કરે  હરિ  જયાંય,  બેઠો  તાકીને  તે  ખળ  ત્યાંય.14

તરુ  ઉપર  બાળકો  ચડે,  પછી  તે  પાણી  ઉંડામાં  પડે;

ચડ્યા  જે  ઝાડપર  પરમેશ,  તેમાં    પાપીએ  કીધો  પ્રવેશ.15

કરી  ખડગના  સરખો  ખાંપો,  કૃષ્ણકેરા  સાથળમાં  ચાંપ્યો;

તસુ  પેઠો  તે  ઉરુ  મોઝાર,  કાઢતાં  ચાલી  લોહીની  ધાર.16

હરિ  હળવેશું  ઊતર્યા  હેઠા,  મળી  મિત્ર  તરુતળે  બેઠા;

પાટો  બાંધી  લીધો  રુડી  પેર,પછી  સૌ  મળીને  ગયા  ઘેર.17

જાણ્યું હરિયે અસુરનું એ કામ, તોય ક્રોધ ન કીધો તે ઠામ;

એમ  ધાર્યુ  શ્રીધર્મને  લાલે,  તેને  ફળ  મળશે  કોઇ  કાળે.18

ક્ષમાસાગરે બહુ ક્ષમા કીધી, એવો કોણ બીજો ક્ષમાનિધિ;

દશ દિવસે તે રુઝાયો ઘાય, પણ ચિ  હ્ન  પડી  રહ્યું  ત્યાંય.19

જયારે ચિહ્ન તે દેખતા સ્વામી, ત્યારે બોલતા અંતરજામી;

જયારે ચિહ્ન આ નજરે ચડે છે, ત્યારે તે તરુ સર સાંભરે છે.20

પૂર્વછાયો :-

તરરૂપી  તરગામ  છે,  હરિ  જોવા  ઉલટ્યું  ત્યાંય;

ભૂપ  કહે  શું  રત  થયું,  કહે  વર્ણી  પ્રભુ  પદમાંય.21

લીલા  કહી  તરગામની,  મેં  ભાવ  ધરીને  ભ્રાત;

આસપાસના  ગામમાં,  વળી  વિચર્યા  તે  કહું  વાત.22

સ્નેહી  સગાં  બળદેવનાં,  જેઓ  રહે  જુદેજુદે  ગામ;

તેઓ  શ્રીરામપ્રતાપને,  આવે  નોતરું  દેવા  કામ.23

ભોજન  કારણ  ભાવથી,  સહ  કુટુંબ  તેડી  જાય;

શ્રીહરિની  છબી  જોઇને,  ગામોગામ  વધ્યો  મહિમાય.24

નામ  કહું  તે  ગામનાં,  તમે  સુણો  અભેસિંહ  ભ્રાત;

મુંડાડીહા  એક  છે,  બીજું  બેશહું  પુર  પ્રખ્યાત.25

રુડું  રણિયાપુર  વળી,  ફર્શરામ  પુર  છે  નામ;

સુહેલવા  ને  વેણિપુર,  વળી  ચૌરી  અકમા  ગામ.26

ભમૈચા  ને  ભેટવરા,  ગામ  કીનકી  આદિક  જેહ;

ભોજન  કાજ  પધારીને,  કર્યો  પાવન  પ્રભુયે  તેહ.27

દક્ષિણમાં  તર  ગામથી,  એક  આંબલીયા  છે  ગામ;

મિત્ર  વસે  બળદેવના,  તેનું  મંછામિશર  છે  નામ.28

સુત  તેનો  શિવદીન  છે,  બીજો  સુફળ  પણ  શૂરવીર;

તાતે  કહ્યું  તે  બેયને,  તેડી  લાવો  ઘરમકુળ  ધીર.29

તે  તો  ગયા  તરગામમાં,  સૌને  નોતરું  દેવા  કામ;

આગ્રહ ત્યાં અતિશે કર્યો, તેડી જવા આંબલીયા ગામ.30

કુટુંબ  સહિત  પધારિયા,  રામપ્રતાપજી  તે  ઠામ;

ભમૈચા  કિનકી  થઇ  ગીયા,  ચૌરી  આંબલીયા    ગામ.31

જયાંજયાં થઇ હરિ જાય છે, વધે આનંદ ત્યાં આસપાસ;

સૂરજનો  રથ  સંચરે,  ત્યાં  પડે  છે  જેમ  પ્રકાશ.32

મૂર્તિ  મનોહર  માવની,  જોવા  લોચન  મન  લોભાય;

માણસ કે પશુ પક્ષી પણ, છબી નિરખવા સ્થિર થાય.33

આંબલીયામાં  એક  દિન,  સૌને  રાખ્યાં  રુડી  રીત;

ભાવતાં  ભોજન  પાન  દીધાં,  પુરી  ધરી  મન    પ્રીત.34

બીજે  દિન  સનમાન  દૈ,  પછી  કીધાં  સૌને  વિદાય;

ઉત્તરમાં  ખજુહા  સરોવર,  નાયા  જઇને  ત્યાંય.35

ત્યાંથી  કમળ  કમનીય  લઇ,  હેતે  આપ્યું  હરિને  હાથ;

વળી  વિચરીને  આવિયા,  તરગામમાં  સૌ  સાથ.36

ચોપાઈ :-

ભકિતમાતાની બેન વસંતા, ભાગ્યાશાળી ભલી ગુણવંતા;

ગામ  અશોકપુરમાં  રહેલી,  બલધી  દવેને  પરણેલી.37

કાંઇ  સંકટ  આવિયું  ત્યાંય,  વસ્યાં  બલમપડરી  માંય;

તેઓ  આવિયાં  તેડવા  કાજ,  તરગામમાં  જયાં  મહારાજ.38

બીજી  બેહેન  જે  ચંદન  નામ,  તેના  સાસરાનું  કહું  ગામ;

પ્રગણું  તરહર  પરમાણો,  ગુદહાબરવી  ગામ  જાણો.39

સરદાર  પાંડે  તેના  સ્વામી,  આવ્યા  તેડવા  તે  મુદ  પામી;

ભકિતમાત  તણા  જેહ  ભાઇ,  જેની  ગેલહી  સંજ્ઞા  ગણાઇ.40

તેના  પુત્ર  જે  બે  કહેવાય,  ગવરી  અને  બદરી  ગણાય;

આવ્યા  લોહસિસાગામ  થકી,  ધર્મવંશીને  તડવા  નકી.41

કહે  સૌને  શ્રીરામપ્રતાપ,  અમે  આવશું  જાઓ  જી  આપ;

એમ  કહીને  વિદાય  તે  કર્યા,  પછી  રામપ્રતાપ  સંચર્યા.42

સાથે  પત્નિને  શ્રીઘનશામ,  કર્યો  પડરીયે  પ્રથમ  વિરામ;

ત્યાંથી લોહસીસે પછી ગયા, ત્યાં તો બે ત્રણ દિવસ તે રહ્યા.43

અસુરાંશ  હતો  તહાં  એક,  આળ  કરતો  હરિને  અનેક;

તેને  એક  સમે  મુનિનાથે,  પકડીને  પછાડિયો  હાથે.44

તેથી  કાંડું  તેનું  ખડી  ગયું,  તેણે  જઇને    જનો  પાસે  કહ્યું;

વાત  કોઇ  થકી  ન  મનાય,  કહે  બાળકથી  તે  શું  થાય  ?45

મહિમા  પ્રભુનો  જેહ  જાણે,  તે  તો  વાત  તે  સાચી  પ્રમાણે;

પછી  ત્યાંથી  કરીને  પ્રયાણ,  પડરી  ગયા  પાંડે  સુજાણ.46

ત્યાંથી  ગોંડે  ગયા  ગુણાગાર,  ગયા  ટેડીનદી  તણે  પાર;

ગુદહાબરવી  ગામ  ગયા,  તરગામ  આવી  પાછા  રહ્યા.47

પૂર્વછાયો :-

ભકિતમાતા  ભગવાનને,  મળવાને  મન  અકળાય;

વારેવારે  કહે  ધર્મને,  હવે  તેડવાને  કોણ  જાય  ?48

તનુજ  કાળુ  ત્રિવાડીના,  જેનું  નામ  રુડું  વિશ્રામ;

તે  મળવા  વૃષદેવને,  પોતે  આવ્યા  અવધ્યપુર  ધામ.49

ભકિતમાતા  તેને  કહે,  તમે  વિચરો  મારા  વીર;

તેડી  લાવો  તરગામથી,  હરિ  વિના  ધરાય  ન  ધીર.50

રુડા   રામપ્રતાપને,   તેડી   લાવો   કુટુંબસહીત;

આવ્યાની અવધ થકી થયા છે, વાસર અધિક વ્યતીત.51

ચોપાઈ :-

એવું સાંભળી ભકિતના ભાઇ, બોલ્યા જઇશ હું તેડવા બાઇ;

એક  સાથે  લીધો  સુખપાલ,  ચાલ્યા  વિશ્રામજી  તતકાળ.52

વાટે  જાતાં  કરે  છે  વિચાર,  આજ  ભેટશે  ભકિતકુમાર;

સુખસાગર  સુંદરશામ,  કેવા  દેખીશ  હું  ઘનશામ  ?53

જેની  મૂર્તિ  વિષે  મન  પ્રોઇ,  જન  જાતી  રહે  સહુ  જોઇ;

મેંતો  દીઠા  હતા  છેક  છોટા,  હવે  તો  તે  થયા  હશે  મોટા.54

છપૈયામાં  ચમત્કાર  કરી,  લીધાં  સર્વે  તણાં  મન  હરી;

છપૈયાના  રુડા  સમાચાર,  મને  પૂછશે  ધર્મકુમાર.55

હેતે  હરિને  ખોળામાં  ધરીશ,  વળી  ચુંબન  ગાલે  કરીશ;

આવી ઉભા રહી મુજ સામા, મને કહેશે મહાપ્રભુ મામા.56

એ  છે  જગદિશ  જગદાધાર,  એનો  પામે  નહીં  કોઇ  પાર;

જયારે તે પ્રભુ મુજને મળશે, મારા તાપ ત્રિવિધિના ટળશે.57

વળી  જાણીશ  હું  તેણી  વાર,  મારો  સુફળ  થયો  અવતાર;

વળી  મળશે  શ્રીરામપ્રતાપ,  જે  છે  દેવ  સંકર્ષણ  આપ.58

હુંતો હરખાઉં છું મનમાંથી, આવા શ્રેષ્ઠ સગા મળે કયાંથી;

એવું  વીચારતા  વિશરામ,  પછી  તે  પહોંચ્યા  તરગામ.59

મળ્યા ભાવથી બેઉ ભાણેજ, એમાં ઓળખ્યા ઘનશામ એ જ;

લઇ છાતિએ તરત લગાવ્યા, આંખે પ્રેમનાં આંસુડાં આવ્યાં.60

જેમ  ચિંતામણી  પામે  કોય,  તેના  હર્ષની  હદ  નવ  હોય;

એવો ઉપજયો આનંદ અપાર, કહી નવ શકે વદન હજાર.61

કહે કૃષ્ણ મામા કયાંથી આવ્યા ? મારી સારુ કહો શું શું લાવ્યા;

હરિ  અક્ષર  જે  ઉચરે  છે,  જાણે  મુખ  થકી  મોતી  ઝરે  છે.62

કહે મામો અયોધ્યાથી આવ્યા, ધર્મ બાપાએ તમને તેડાવ્યા;

એમ કહી વળી છાતીમાં ચાંપી, હેતે હાથમાં સુખડી આપી.63

મળ્યા  રામપ્રતાપ  તે  ઠામ,  તેના  પુત્ર  મળ્યા  નંદરામ;

મળ્યા  બળદેવ  પુત્રસહીત,  ઘણી  વાધી  પરસ્પર  પ્રીત.64

છપૈયાના  પૂછ્યા  સમાચાર,  પૂછ્યું  ક્ષેમ  અયોધ્યા  મોઝાર;

સગા સૌની કુશળતા જાણી, સૌયે અંતરમાં શાંતિ આણી.65

છપૈયાથી આવ્યા વિશરામ, એવી વાત ચાલી ગામોગામ;

સગાં સ્નેહી જે બળદેવકેરાં, તે તો મળવાને આવે ઘણેરાં.66

સરિતાઓ સાગર ભણી ધાય, તેમ જન બહુ તરગામ જાય;

કોઇ મળી હળી થાય વિદાય, કોઇ એકાદ દિવસ રોકાય.67

કોઇ મળવાનું બાનું બતાવે, પણ હરિમુખ નિરખવા આવે;

દર્શનીય  પુરુષ  કોઇ  જાણે,  કોઇ  પૂરણ  બ્રહ્મ  પ્રમાણે.68

પુષ્પિતાગ્રાવૃત્ત :-

હરિવર તરગામમાં બિરાજી, જનમન સર્વ કર્યા જ રાજીરાજી;

સુરવર મુનિ સર્વ એમ બોલે, નહિ તરગામ નિવાસી ભાગ્ય તોલે.69

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિતરગ્રામતડાગે જલકેલીકરણાદિવર્ણનનામા પંચદશો વિશ્રામઃ  ।।15।।