ઉપજાતિવૃત્ત :-

સુણો વળી પ્રીત ધરી ઘણેરી, લીલા કહું છું તરગામ કેરી;

બહુ  ફર્યા  છે  હરિ  બાળવેશે,  દયા  કરીને  સરવાર    દેશે.1

જયાં જયાં જઇને હરિ પાવ ધાર્યો, તેતે સ્થળોનો મહિમા વધાર્યો;

પવિત્ર તે તો પૃથિવી ગણાય, તે મર્મ દૈવી જનને જણાય.2

સારું વસે છે તરગામ જયાંય, વસે દવેજી બળદેવ ત્યાંય;

ત્યાં સાસરું રામપ્રતાપજીનું, છે જન્મનું સ્થાન સુવાસિનીનું.3

વિચારિયું તે બળદેવ બાપે, તેડાવું હું પુત્રી જમાઇ આપે;

મળ્યા પછી છે ષટ વર્ષ વીત્યાં, સુખી હશે કે દુઃખમાં રહી ત્યાં.4

મા  તેની  તેને  મળવા  ચહે  છે,  તેડાવવાનું  મુજને  કહે  છે;

નાંખે નિસાસા થઇને નિરાશ, કરુંજ તેની પરિપૂર્ણ આશ.5

સુપુત્ર લાગે પ્રિય તો પિતાને, પુત્રી વિશેષે પ્રિય હોય માને;

જે પુત્રીકેરી મરી જાય માય, પિતા છતાં પીયર વ્યર્થ થાય.6

એવી ઘણી અંતર વાત આણી, લક્ષ્મીપ્રસાદાખ્ય સુપુત્ર જાણી;

કહ્યું અયોધ્યાપુરમાં સિધાવો, કુટુંબ સુદ્ધાં વૃષ તેડી લાવો.7

શ્રીધર્મને ભાખી પ્રણામ મારો, પ્રેમે કહેજો મળવા પધારો;

મળ્યા પછી વાસર કૈક વિત્યા, માટે કરે છે મળવાની ચિંતા.8

પૂરી  વધે  છે  મળવાથી  પ્રીત,  સદૈવ  સંસારિક  એવી  રીત;

મળ્યા વિના હેત નહીં જણાય, સગાઇ જાતે દિન જૂની થાય.9

લક્ષ્મીપ્રસાદે ઉર વાત ધારી, પછી અયોધ્યાપુરમાં પધારી;

વૃત્તાંત સર્વે કહી ધર્મપાસ, વળી કર્યો ત્યાં દિન ચાર વાસ.10

એણે ઘણો આગ્રહ એમ કીધો, ત્યારે વૃષે ઉત્તર એમ દીધો;

જાઓ  લઇ  રામપ્રતાપજીને,  સપુત્ર  તે  સાથ  સુવાસિનીને.11

આજ્ઞા દીધી રામપ્રતાપજીને, શિક્ષા તણાં વાકયરુડાં કહીને;

કુટુંબ લૈ સાસરિયે સિધાવો, થોડા વસી વાસર ધેર આવો.12

જો સાસરે માસ વિશેષ જાય, તો આળસુ તેનું શરીર થાય;

જો વિષ્ણુ જૈ  ક્ષીરસમુદ્ર પાસ, પોઢી રહે છે તહિં ચાર માસ.13

સન્માન લે આદ્ય દિને જમાઇ, બીજે દિને તેની નહીં નવાઇ;

જાણે ત્રીજે વાસર કેદી જાય, ચોથે દિને તો તૃણતુલ્ય થાય.14

સગાં ભલાં છે તરગામ કેવાં, દષ્ટાંત એને ન ઘટે જ એવાં;

તથાપિ  ઝાઝું  નહિ  ત્યાં  રહેવું,  સુજાણને  શું  વધતું  કહેવું.15

જો સાસરે સાસુ સુવિદ્યમાન, પામે ભલું તો જ જમાઇ માન;

સાસુ વિના સાસરિયું જ કેવું, મીઠા વિના ભોજન મોળું જેવું.16

એવી સુણી શીખ લીધી પિતાની, આજ્ઞા લીધી જૈ વળી ભકિત માની;

સુવાસિની ત્યાં વદિ સ્નેહભાવે, હું તો જઉં જો ઘનશામ આવે.17

ત્યાં ભકિતમાયે કરુણા કરીને, જવાની આજ્ઞા કરી શ્રીહરિને;

માયે કહ્યું સર્વસ દ્રવ્ય મારું, પ્રત્યક્ષ તે તો ઘનશામ ધારું.18

આ મૂર્તિને દેખીશ હુંય જયારે, નિરાંત થાશે મુજ ચિત્ત ત્યારે;

માટે જઇને ઝટ ઘેર આવો, સંભાળી સારે શુકને સિધાવો.19

તે દંપતિયે મળી માત પાસ, એવી વળી વાણી કરી પ્રકાશ;

ત્યાં કોઇને મોકલશો અહીંથી, તેસાથ સર્વે વળશું તહીંથી.20

સુવાસિની લૈ જુગ બાળ ત્યાંય, સાથે બિરાજયાં સુખપાલ માંય;

સાળો બનેવી ચડી જોડ ઘોડે, સ્નેહે સિધાવ્યા સુખપાલ જોડે.21

સર્જુ નદીને તટ સ્વર્ગદ્વાર, ત્યાં નાવમાં બેસી ગયાં સુપાર;

આવ્યું જતાં શેજાર નવાબગંજ, રુડું દિસે છે અતિ ચિત્તરંજ.22

તે  મારગે  થૈ  કરીને  પ્રવાસ,  કંડૈલ  ગંજે  કરી  રાત  વાસ;

બીજે દિને તો તરગામ આવ્યાં, સર્વે સગાંને સુખ ઉપજાવ્યાં.23

જમે રમે ને હરિકીર્તિ ગાય, આનંદમાં વાસર વીતિ જાય;

મહાપ્રભુનું મુખડું નિહાળી, ભાવે રહે છે પુરલોક ભાળી.24

ધનાઢ્ય છે તે બળદેવ આપે, સુકીર્તિ પામ્યા ધનને પ્રતાપે;

તે પ્રાંતમાં છે બહુ ગામ ગામ, સગાં સનેહી જન ઠામઠામ.25

મેજામાનને ઉત્તમ માન દેવા, આવે જનો ભોજનનું કહેવા;

બે  પક્ષસુધી  બળદેવજીયે,  માન્યું  ન  આમંત્રણ  તે  કદીયે.26

ત્યાં બાળકોમાં હરિ જૈ રમે છે, તે ગામનાં સૌ જનને ગમે છે;

દિસે પ્રભુની છબી ચિત્તચોર, જોવા જનોનો બહુ થાય નોર.27

સર્વે જનો જોઇ પ્રસન્ન થાય, પોતાતણે આંગણ તેડી જાય;

ત્યાં બાળની મંડળીને રમાડે, પાડોશીને હર્ષ ઘણો પમાડે.28

તેવી રીતે તે તરગામ માંહી, ફર્યા હર્યા શામ સમર્થ ત્યાંહી;

કોઇતણે  ધેર  જમ્યા  જઇને,  કોઇતણે  ધેર  રમ્યા  રહીને.29

ઘરોઘરે  ને  વળી  વાટ  ઘાટે,  શેરી  બજારે  વળી  ચોક  હાટે;

પ્રસાદીની ત્યાં રજ સર્વ કીધી, પવિત્રતા અક્ષરતુલ્ય દીધી.30

હે ભૂપ ત્યાં અદ્ભુત એક કામ, કર્યું પ્રભુ તે કહું આજ ઠામ;

દેખાડિયો શ્રીહરિ દિવ્યભાવ, લીધો તહાંના જન શ્રેષ્ઠ લાવ.31

રથોદ્ધતાવૃત્ત :-

વાડી રૂડી બળદેવજી તણી, ગામપાસ દિશિ નૈરુતી ભણી;

એક કાળ મળી સર્વ ત્યાં ગયા, દેખી રૂડી રચના ખુશી થયા.32

આંબુ જાંબુ કદળી અપાર છે, અંજીરો પનસ ને અનાર છે;

પુષ્પછોડ પણ  ભાતભાતનાં, સાગ આદિ તરુ જાતજાતનાં.33

ત્યાં ઉજાણી કરીને સહુ જમ્યા, નંદરામ હરિ બાળમાં રમ્યાં;

જયાં હતી અધિક વાવી ચીભડી, ત્યાં ગયા જ ઘનશ્યામ તે ઘડી.34

તે સ્થળે મજુર નીંદતા હતા, ત્યાં કરી હરિવરે મનુષ્યતા;

ખેંચીખેંચી જડ ચીભડી તણી, નાશ કીધી તહી વેલડી ઘણી.35

તે મજૂર જન જયાં જુએ જઇ, દીઠી નાશ બહુ ચીભડી થઇ;

ત્રાસ પામી મનમાં મુંઝાઇને, જૈ કહ્યું તરત જયેષ્ઠ ભાઇને.36

જયેષ્ઠ ભાઇ અતિ રીસ આણીને, પાસ તેડી પછી પદ્મપાણિને;

ત્રાસ આપી કથનો ઘણાં કહ્યાં, શ્યામ આંખથકી આંસુડાં વહ્યાં.37

લાગી લાલતણી કાય કંપવા, જીવ થીર નવ થાય  જંપવા;

સત્ય વાત   ઠરી જે ગુનો કર્યો, એક શબ્દ નવ જાય ઉચ્ચર્યો.38

જેની દષ્ટિથકી કાળ તો ડરે, તે પ્રભુજી ભય ભાઇનો ધરે;

કેવી છે અકળ ઈશ્વરી કળા, ભૂલી જાય મુનિયો ભલાભલા.39

ભાઇ સોટી ધરી હાથ મારવા, લાગીયા હરિમુખે ઉચારવા;

મેં  કશુંય  નથી  કામ  તે  કર્યું,  એ  મજૂર  મળી  જૂઠ  ઉચ્ચર્યું.40

બોલિયો મજુર સાક્ષી છે સહુ, સત્ય વાત સમ ખાઇને કહું;

હોય જૂઠ કદી શબ્દ માહરો, દંડયોગ્ય નક્કી તો ઠરું ખરો.41

ભાઇ  સાથ  ઘનશામને  લઇ,  તે  સ્થળે  તરત  જોઇયું  જઇ;

અલ્પમાત્ર  નુકશાન  ના  દિઠું,  વેણ  તે  મજુરનું  પડ્યું  જુઠું.42

સૌ મજૂર મનભ્રાંતિ થૈ ગઇ, સાજી કેમ સહુ વેલિયો થઇ ?

વાત એક મજુરે તહાં કહી, બાળ દેવ નક્કી માનવી નહીં.43

સાજી થાય નહિ વેલ આપથી, તે થઇ કુંવરના પ્રતાપથી;

બોલી બોલ બહુ નમ્ર બાપડા, સૌ મજુર પ્રભુને પગે પડ્યા.44

ભ્રાંતચિત્ત ઝટ મર્મ આવિયો, દિવ્યભાવ હરિયે જણાવિયો;

ઘેર આવી બધી વારતા કહી, હર્ષમાં ન કશીયે મણા રહી.45

વાત  સર્વ  પસરાઇ  ગામમાં,  તેથી  લોક  બળદેવ  ધામમાં;

આવીઆવી હરિને બહુ નમે, ભીડ થાય ઘરપાસ તે સમે.46

પુષ્પિતાગ્રાવૃત્ત :-

હરિવર  તરગામમાં  રહીને,  પુનિત  કરી  તરગામની  મહીને;

અધિક ચરિત તે તને કહીશ, નરપતિ જો અતિ નેહથી સુણીશ.47

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે હરિસ્વપ્રતાપ-દર્શનનામા ચતુર્દશો વિશ્રામઃ ।।14।।