ઉપજાતિવૃત્ત :-
સુણો વળી પ્રીત ધરી ઘણેરી, લીલા કહું છું તરગામ કેરી;
બહુ ફર્યા છે હરિ બાળવેશે, દયા કરીને સરવાર દેશે.1
જયાં જયાં જઇને હરિ પાવ ધાર્યો, તેતે સ્થળોનો મહિમા વધાર્યો;
પવિત્ર તે તો પૃથિવી ગણાય, તે મર્મ દૈવી જનને જણાય.2
સારું વસે છે તરગામ જયાંય, વસે દવેજી બળદેવ ત્યાંય;
ત્યાં સાસરું રામપ્રતાપજીનું, છે જન્મનું સ્થાન સુવાસિનીનું.3
વિચારિયું તે બળદેવ બાપે, તેડાવું હું પુત્રી જમાઇ આપે;
મળ્યા પછી છે ષટ વર્ષ વીત્યાં, સુખી હશે કે દુઃખમાં રહી ત્યાં.4
મા તેની તેને મળવા ચહે છે, તેડાવવાનું મુજને કહે છે;
નાંખે નિસાસા થઇને નિરાશ, કરુંજ તેની પરિપૂર્ણ આશ.5
સુપુત્ર લાગે પ્રિય તો પિતાને, પુત્રી વિશેષે પ્રિય હોય માને;
જે પુત્રીકેરી મરી જાય માય, પિતા છતાં પીયર વ્યર્થ થાય.6
એવી ઘણી અંતર વાત આણી, લક્ષ્મીપ્રસાદાખ્ય સુપુત્ર જાણી;
કહ્યું અયોધ્યાપુરમાં સિધાવો, કુટુંબ સુદ્ધાં વૃષ તેડી લાવો.7
શ્રીધર્મને ભાખી પ્રણામ મારો, પ્રેમે કહેજો મળવા પધારો;
મળ્યા પછી વાસર કૈક વિત્યા, માટે કરે છે મળવાની ચિંતા.8
પૂરી વધે છે મળવાથી પ્રીત, સદૈવ સંસારિક એવી રીત;
મળ્યા વિના હેત નહીં જણાય, સગાઇ જાતે દિન જૂની થાય.9
લક્ષ્મીપ્રસાદે ઉર વાત ધારી, પછી અયોધ્યાપુરમાં પધારી;
વૃત્તાંત સર્વે કહી ધર્મપાસ, વળી કર્યો ત્યાં દિન ચાર વાસ.10
એણે ઘણો આગ્રહ એમ કીધો, ત્યારે વૃષે ઉત્તર એમ દીધો;
જાઓ લઇ રામપ્રતાપજીને, સપુત્ર તે સાથ સુવાસિનીને.11
આજ્ઞા દીધી રામપ્રતાપજીને, શિક્ષા તણાં વાકયરુડાં કહીને;
કુટુંબ લૈ સાસરિયે સિધાવો, થોડા વસી વાસર ધેર આવો.12
જો સાસરે માસ વિશેષ જાય, તો આળસુ તેનું શરીર થાય;
જો વિષ્ણુ જૈ ક્ષીરસમુદ્ર પાસ, પોઢી રહે છે તહિં ચાર માસ.13
સન્માન લે આદ્ય દિને જમાઇ, બીજે દિને તેની નહીં નવાઇ;
જાણે ત્રીજે વાસર કેદી જાય, ચોથે દિને તો તૃણતુલ્ય થાય.14
સગાં ભલાં છે તરગામ કેવાં, દષ્ટાંત એને ન ઘટે જ એવાં;
તથાપિ ઝાઝું નહિ ત્યાં રહેવું, સુજાણને શું વધતું કહેવું.15
જો સાસરે સાસુ સુવિદ્યમાન, પામે ભલું તો જ જમાઇ માન;
સાસુ વિના સાસરિયું જ કેવું, મીઠા વિના ભોજન મોળું જેવું.16
એવી સુણી શીખ લીધી પિતાની, આજ્ઞા લીધી જૈ વળી ભકિત માની;
સુવાસિની ત્યાં વદિ સ્નેહભાવે, હું તો જઉં જો ઘનશામ આવે.17
ત્યાં ભકિતમાયે કરુણા કરીને, જવાની આજ્ઞા કરી શ્રીહરિને;
માયે કહ્યું સર્વસ દ્રવ્ય મારું, પ્રત્યક્ષ તે તો ઘનશામ ધારું.18
આ મૂર્તિને દેખીશ હુંય જયારે, નિરાંત થાશે મુજ ચિત્ત ત્યારે;
માટે જઇને ઝટ ઘેર આવો, સંભાળી સારે શુકને સિધાવો.19
તે દંપતિયે મળી માત પાસ, એવી વળી વાણી કરી પ્રકાશ;
ત્યાં કોઇને મોકલશો અહીંથી, તેસાથ સર્વે વળશું તહીંથી.20
સુવાસિની લૈ જુગ બાળ ત્યાંય, સાથે બિરાજયાં સુખપાલ માંય;
સાળો બનેવી ચડી જોડ ઘોડે, સ્નેહે સિધાવ્યા સુખપાલ જોડે.21
સર્જુ નદીને તટ સ્વર્ગદ્વાર, ત્યાં નાવમાં બેસી ગયાં સુપાર;
આવ્યું જતાં શેજાર નવાબગંજ, રુડું દિસે છે અતિ ચિત્તરંજ.22
તે મારગે થૈ કરીને પ્રવાસ, કંડૈલ ગંજે કરી રાત વાસ;
બીજે દિને તો તરગામ આવ્યાં, સર્વે સગાંને સુખ ઉપજાવ્યાં.23
જમે રમે ને હરિકીર્તિ ગાય, આનંદમાં વાસર વીતિ જાય;
મહાપ્રભુનું મુખડું નિહાળી, ભાવે રહે છે પુરલોક ભાળી.24
ધનાઢ્ય છે તે બળદેવ આપે, સુકીર્તિ પામ્યા ધનને પ્રતાપે;
તે પ્રાંતમાં છે બહુ ગામ ગામ, સગાં સનેહી જન ઠામઠામ.25
મેજામાનને ઉત્તમ માન દેવા, આવે જનો ભોજનનું કહેવા;
બે પક્ષસુધી બળદેવજીયે, માન્યું ન આમંત્રણ તે કદીયે.26
ત્યાં બાળકોમાં હરિ જૈ રમે છે, તે ગામનાં સૌ જનને ગમે છે;
દિસે પ્રભુની છબી ચિત્તચોર, જોવા જનોનો બહુ થાય નોર.27
સર્વે જનો જોઇ પ્રસન્ન થાય, પોતાતણે આંગણ તેડી જાય;
ત્યાં બાળની મંડળીને રમાડે, પાડોશીને હર્ષ ઘણો પમાડે.28
તેવી રીતે તે તરગામ માંહી, ફર્યા હર્યા શામ સમર્થ ત્યાંહી;
કોઇતણે ધેર જમ્યા જઇને, કોઇતણે ધેર રમ્યા રહીને.29
ઘરોઘરે ને વળી વાટ ઘાટે, શેરી બજારે વળી ચોક હાટે;
પ્રસાદીની ત્યાં રજ સર્વ કીધી, પવિત્રતા અક્ષરતુલ્ય દીધી.30
હે ભૂપ ત્યાં અદ્ભુત એક કામ, કર્યું પ્રભુ તે કહું આજ ઠામ;
દેખાડિયો શ્રીહરિ દિવ્યભાવ, લીધો તહાંના જન શ્રેષ્ઠ લાવ.31
રથોદ્ધતાવૃત્ત :-
વાડી રૂડી બળદેવજી તણી, ગામપાસ દિશિ નૈરુતી ભણી;
એક કાળ મળી સર્વ ત્યાં ગયા, દેખી રૂડી રચના ખુશી થયા.32
આંબુ જાંબુ કદળી અપાર છે, અંજીરો પનસ ને અનાર છે;
પુષ્પછોડ પણ ભાતભાતનાં, સાગ આદિ તરુ જાતજાતનાં.33
ત્યાં ઉજાણી કરીને સહુ જમ્યા, નંદરામ હરિ બાળમાં રમ્યાં;
જયાં હતી અધિક વાવી ચીભડી, ત્યાં ગયા જ ઘનશ્યામ તે ઘડી.34
તે સ્થળે મજુર નીંદતા હતા, ત્યાં કરી હરિવરે મનુષ્યતા;
ખેંચીખેંચી જડ ચીભડી તણી, નાશ કીધી તહી વેલડી ઘણી.35
તે મજૂર જન જયાં જુએ જઇ, દીઠી નાશ બહુ ચીભડી થઇ;
ત્રાસ પામી મનમાં મુંઝાઇને, જૈ કહ્યું તરત જયેષ્ઠ ભાઇને.36
જયેષ્ઠ ભાઇ અતિ રીસ આણીને, પાસ તેડી પછી પદ્મપાણિને;
ત્રાસ આપી કથનો ઘણાં કહ્યાં, શ્યામ આંખથકી આંસુડાં વહ્યાં.37
લાગી લાલતણી કાય કંપવા, જીવ થીર નવ થાય જંપવા;
સત્ય વાત ઠરી જે ગુનો કર્યો, એક શબ્દ નવ જાય ઉચ્ચર્યો.38
જેની દષ્ટિથકી કાળ તો ડરે, તે પ્રભુજી ભય ભાઇનો ધરે;
કેવી છે અકળ ઈશ્વરી કળા, ભૂલી જાય મુનિયો ભલાભલા.39
ભાઇ સોટી ધરી હાથ મારવા, લાગીયા હરિમુખે ઉચારવા;
મેં કશુંય નથી કામ તે કર્યું, એ મજૂર મળી જૂઠ ઉચ્ચર્યું.40
બોલિયો મજુર સાક્ષી છે સહુ, સત્ય વાત સમ ખાઇને કહું;
હોય જૂઠ કદી શબ્દ માહરો, દંડયોગ્ય નક્કી તો ઠરું ખરો.41
ભાઇ સાથ ઘનશામને લઇ, તે સ્થળે તરત જોઇયું જઇ;
અલ્પમાત્ર નુકશાન ના દિઠું, વેણ તે મજુરનું પડ્યું જુઠું.42
સૌ મજૂર મનભ્રાંતિ થૈ ગઇ, સાજી કેમ સહુ વેલિયો થઇ ?
વાત એક મજુરે તહાં કહી, બાળ દેવ નક્કી માનવી નહીં.43
સાજી થાય નહિ વેલ આપથી, તે થઇ કુંવરના પ્રતાપથી;
બોલી બોલ બહુ નમ્ર બાપડા, સૌ મજુર પ્રભુને પગે પડ્યા.44
ભ્રાંતચિત્ત ઝટ મર્મ આવિયો, દિવ્યભાવ હરિયે જણાવિયો;
ઘેર આવી બધી વારતા કહી, હર્ષમાં ન કશીયે મણા રહી.45
વાત સર્વ પસરાઇ ગામમાં, તેથી લોક બળદેવ ધામમાં;
આવીઆવી હરિને બહુ નમે, ભીડ થાય ઘરપાસ તે સમે.46
પુષ્પિતાગ્રાવૃત્ત :-
હરિવર તરગામમાં રહીને, પુનિત કરી તરગામની મહીને;
અધિક ચરિત તે તને કહીશ, નરપતિ જો અતિ નેહથી સુણીશ.47
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે હરિસ્વપ્રતાપ-દર્શનનામા ચતુર્દશો વિશ્રામઃ ।।14।।