પૂર્વછાયો :-

એક  સમે  અલબેલડે,  ચોરી  ભાભીની  અંગુઠી  જેહ;

તે  લીલા  તમને  કહું,  નરનાથ  સુણો  ધરી  નેહ.1

ચોપાઈ :-

એક  સમય  મળી  સહુ  મિત્ર,  ગયા  નાવાને  સર્યુ  પવિત્ર;

નાઇ  વસ્ત્ર  પવિત્ર  પહેરી,  દેવદર્શને  ચાલ્યા  લહેરી.2

વળી  કરતા  રમત  રુડી  પેર,  પ્રભુજી  આવ્યા  પોતાને  ઘેર;

ઘેર  બીજું  દીઠું  નહીં  કોઇ,  કરતાં  હતાં  ભાભી  રસોઇ.3

તેની  પાસે  જઇને  તે  સ્થાન,  માગ્યું  ભોજન  શ્રીભગવાન;

એનાં વચન અમૃત સમાન, સુણ્યાં ભાભીયે સ્નેહથી કાન.4

પછી બોલ્યાં સુવાસિની બાઇ, બેસો ભોજન આપીશ ભાઇ;

થાવા  આવી  રસોઇ  તૈયાર,  પણ  કાંઇક  છે  હજી  વાર.5

એવાં સાંભળી વચન વિચિત્ર, ઇચ્છ્યા કરવા મનુષ્યચરિત્ર;

કહ્યું લાગી છે મુજને ભૂખ, આપો ખાવા તો ઉપજે સુખ.6

ત્યારે બોલ્યાં સુવાસિની બાઇ, ચણા પૌવા ખાવા આપું ભાઇ;

કહો તો આપું સુખડી સારી, આપું મગદળ જાઉં બલહારી.7

સુણી બોલિયા શામ શ્રી મુખ, આપો પેંડા તો ભાંગે જ ભૂખ;

બોલ્યાં  સુવાસિની  તેહ  ઠામ,  પેંડા  ઘરમાં  નથી  ઘનશામ.8

પછી  ભાભી  સુવાસિની  કેરી,  એક  મુદ્રિકા  હરિયે  હેરી;

હતી  ભાભીની  પાસે  પડેલી,  સાવ  સોનાની  નંગે  જડેલી.9

લઇ મોહને વાળી છે  મુઠી, ત્યારે ભાભી પકડવાને ઉઠી;

દોડ્યા શ્રીહરિ ચંચળ થૈને, ભાભી પકડે છે પાછળ જઇને.10

જે  છે  સર્વજગતના  ત્રાતા,  પરમેશ્વર  નથી  પકડાતા;

ભાભી  અંગુઠી લેવાને તાકયાં, પણ પાછળ દોડીને થાકયાં.11

કહે અંગુઠી લઇને શું કરશો ? ઠાલા ચોર તમે શીદ ઠરશો;

કહે  શ્રીહરિ  ચૌટે  જઇશ,  આપી  અંગુઠી  પેંડા  લઇશ.12

અમો મિત્રો મળીને તે જમશું, પછી રાજી થઇ   ભેળા રમશું;

કહે  ભાભી  જશો  પત ખોઇ,  એવું  કામ  કરે  નહિ  કોઇ.13

તમે  ચોરી  કરી  કહેવાશે,  વાત  વિશ્વ  વિષે  તે  વંચાશે;

લોક  કેજાશે    અંગુઠીનો  ચોર,  નામ  પાડશે  નગુણો  નઠોર.14

ગામોગામ આ ચોરી ગવાશે, તેથી લજજા તમારી તો જાશે;

આવો  કરશો  તમે  અન્યાય,  કોણ  દેશે  પછીથી    કન્યાય.15

ભવ આખો રહેશો બ્રહ્માચારી, નિંદા કરશે ઘણાં સંસારી ?

કેશે  બાળપણે  ચોરી  કીધી,  તેથી  કન્યા  કોઇયે  નવ  દીધી.16

હસી  બોલ્યા  ત્યારે  હરિરાય,  નથી  જોતી  અમારે  કન્યાય;

ચોરી છો ગામોગામ ગવાય, તેથી લજજા અમારી ન જાય.17

આવાં  કરું  ચરિત્ર  હું  જયારે,  મને  સંભારે  સૌ  જન  ત્યારે;

માટે  વિચરીને  ઠામોઠામ,  એવાં  કરવા  ઇચ્છું  છું  હું  કામ.18

એવાં  વચનમાં  મર્મ  છે  જેહ,  જાણે  તત્ત્વજ્ઞ  મુનિવર  તેહ;

વળી ભાખે ભલાં તે ભોજાઇ, માનો મારું કહ્યું સુખદાઇ.19

ભાઇ  ખીજશે  તમને  તમારા,  માટે  માનો  દિયરજી  મારા;

બહુ  ખીજશે  તમને  બાપો,  માટે  સમજીને  અંગુઠી  આપો.20

માતાજી માર મારશે તમને, માટે આપોજી અંગુઠી અમને;

એમ  કહીને  પુર્યા  ઘરમાંય,  કર્યા  બારણાં  બંધ  તે  ત્યાંય.21

હરિને  આવરણ  નવ  આવે,  એમ  વેદ  પુરાણ  બતાવે;

રહ્યાં  બારણાં  બંધ  તે  ઠામ,  દીઠા  ચોક  વિષે  ઘનશામ.22

લઇ  મુદ્રિકા  કરમાં  દેખાડે,  એમ  ભાભીને  મોહ  પમાડે;

હતું  જાળિયું  ઘરનું  એક,  જોયું  ભાભીયે  ત્યાં  જઇ  છેક.23

ત્યાં તો ઘનશામને દીઠા ઘરમાં, ઊભા અંગુઠી દેખાડે કરમાં;

અતિ અચરજ ઉરમાં પમાડ્યું, ત્યારે ભાભીયે બાર ઉઘાડ્યું.24

હરિ નાઠા અંગુઠી લઇને, ભાભી પકડી શકયા નહિ જઇને;

દિવ્યભાવથી અચરજ આવે, વળી તે હરિ માયા ભુલાવે.25

ગયા ચૌટામાં શ્રીહરિ સીધા, આપી અંગુઠીને પેંડા લીધા;

પછી  મિત્રોની  મંડળી  મળી,  ગયા  વાડિયે  એકાંતે  વળી.26

જમ્યા ત્યાં સખા સૌ મળી સાથે, પેંડા પિરસ્યા હરિવરે હાથે;

બ્રહ્માદિકને  છે  દુર્લભ  જેહ,  જમ્યા  સર્વે  પ્રસાદીને  તેહ.27

મન  વાણી  અગોચર  જે  છે,  તે  તો  બાળચરિત્ર  કરે  છે;

જેને  આગમ  નિગમ  વખાણે,  તેને  મૂર્ખ  જનો  નહિ  જાણે.28

હઠજોગે  ન  દેખે  હઠીલા,  કરે  તે  પ્રભુ  મનુષ્ય  લીલા;

જોગી જે માટે વનમાં ભમે છે, તે તો બાળકો સાથ રમે છે.29

બેસે  બાળક  મંડળી  મળી,  આપે  સર્વને  ઉપદેશ  વળી;

ધર્મ  જ્ઞાન  વૈરાગ્યની  વાત,  સંભળાવે  હરિ  સાક્ષાત.30

જન  જાણે  જે  રમત  કરે  છે,  પ્રભુ  પૂજાવિધિ    શિખવે  છે;

કયારે  કોઇને  ઘ્યાન  ધરાવે,  કોઇને  તો    સમાધિ  કરાવે.31

તેને  ગોલોક  આદિક  ધામ,  સર્વ  દેખાડે  શ્રીઘનશામ;

કરે  જાગીને  બાળક  વાત,  પ્રભુ  ધામની  તે  સાક્ષાત.32

જનો  સુણવા  રહે  તેહ    ઠામે,  મોટા  પંડિત  અચરજ  પામે;

કોઇ  ટાણે  રમત  એવી  કરે,  પોતે  શ્રીપુરુષોત્તમ  ઠરે.33

થાય  બાળક  એક  બ્રહ્માય,  બીજો  વિષ્ણુરૂપે  વળી  થાય;

ત્રીજો  તો  કહે  શંકર  હું  છું,  પ્રલેકાળમાં  પ્રલય  કરું  છું.34

કોઇ  નારદ  ઉદ્ધવ  નામ,  કોઇ  વરુણ  ઠરે  તેહ  ઠામ;

કોઇ  તો  કહે  હું    છું  ગણેશ,  કોઇ  તો  કહે  હું  છું  સુરેશ.35

કોઇ  તો  કહે  હું  શેષ  નાગ,  કહું  હરિનાં  ચરિત્ર  અથાગ;

થાય  કોઇ  કુબેર  ભંડારી,  કોઇ  સૂર્ય  શશી  નામ  ધારી.36

થાય  બાળ  બીજા  દેવો  જેવા,  સર્વ  શ્રીહરિની  કરે  સેવા;

ઘનશામની  આજ્ઞા  પ્રમાણે,  સહુ  કામ  કરે  તેહ  ટાણે.37

રહે  આજ્ઞા  વિષે  તે  આધીન,  કરે  કોઇ  સ્તુતિ  થઇ  દીન;

કોઇ  તો  કહે  હે  મહારાજ!  અમારા  બ્રહ્માંડમાં  આજ.38

કળિકાળ  અતિ  ઘણો  વ્યાપ્યો,  તેણે  વેદનો  ધર્મ  ઉથાપ્યો;

ઘણા પાખંડી ચાલ્યા છે પંથ, ગૂંથ્યા મદ્યના મહિમાના ગ્રંથ.39

ગુરુઓ  કરે  છે  વ્યભિચાર,  વળી  આચરે  છે  અનાચાર;

માટે  આપ  કૃપા  ઉર  ધારો,  આજ  બ્રહ્માંડ  માંહિ  પધારો.40

સત્ય  વેદનો  ધર્મ  તે  થાપો,અતિ  ઘોર  અધર્મ  ઉથાપો;

સ્તુતિ એવી સુણી જગદીશ, આપે વરદાન આપે આશીશ.41

એવી રમત નિહાળવા આશે, આવે અમર ચઢીને આકાશે;

ખેલ  દેખીને  અચરજ  પામે,  પુષ્પ  વૃષ્ટિ  કરે  તેહ  ઠામે.42

એમ  ઉચરે  દેવો  આકાશી,  ધન્યધન્ય  અવધપુરવાસી;

તેનાં  પુણ્ય  તણો  નહિ  પાર,  ખેલે  જયાં  હરિ  જગદાધાર.43

કરે  ખેલ  નવાનવા  નિત્ય,  રહે  નિરખવા  ઇંદુ  આદિત્ય;

હું તે કેટલા કહી સંભળાવું, ન ગણાય ગણ્યા શું ગણાવું.44

છોટા  ભાઇ  છે  જે  ઇચ્છારામ,  તેને  તેડી  રમાડે  છે  શામ;

વળી  રામપ્રતાપના  પુત્ર,  નંદરામ  છે  પરમ  પવિત્ર.45

પાંચ  વર્ષની  ઉંમર  એની,  પણ  બુદ્ધિ  સારી  બહુ  તેની;

ટાણે જમવાને આવે તે જયારે, કહે બાઇ સુવાસિની ત્યારે.46

કૃષ્ણ કાકાને બોલાવી લાવો, સાથે બે જણ જમવાને આવો;

પછી  જાય  તહાં  નંદરામ,  તેની  સાથે  આવે  ઘનશામ.47

જેવી  જોડી  અશ્વિનીકુમાર,  તેવી  જોડ  શોભે  તેહ  ઠાર;

ચંદ્ર  સૂર્યની  જોડ  ગણાય,  એવી  જોડ  તે  બેની  જણાય.48

બન્ને જણની છે ઉંમર મળતી, ભલી પ્રકૃતિ પણ આવે ભળતી;

તેથી  ઉપજી  પરસ્પર  પ્રીત,  સાથે  રમે  જમે  રુડી  રીત.49

વસંતતિલકાવૃત્ત  :-

જેનો  સ્વભાવ  મળતો  વળી  એક  જાત, ધર્માદિ  એક  મળતી  વળી  રીત  ભાત;

તુલ્યે  જણાય  વયમાં  મળતાં  જ  ચિત્ત, તો  તેહ  માંહિ  ઉપજે  પરિપૂર્ણ  પ્રીત.50

હે  ભૂપ  એક  વળી  વાત  ભલી  સુણાવું, છે  જાણવા  સરખી  તે  તુજને  જણાવું;

એવાં  ચરિત્ર  હરિનાં  શ્રુતિ  શાસ્ત્ર  ગાય, જે  સાંભળી  પરમ  ભકત  પ્રસન્ન  થાય.51

સુવાસિની  સતિ  સુભાગ્યવતી  ગણાય, જે  શામનાં  ચરણ  ચિત્ત  વિષે  ચહાય;

શ્રીકૃષ્ણને  કદીક  મજ્જન  તે  કરાવે, પ્રત્યંગ  પેખી  રમણીય  રુદે  ઠરાવે.52

ત્યાં  એકદા  ચરણમાં  શુભ  ચિહ્ન  જોઇ, જાણ્યું  મહાપુરુષ  આ  સદભાગી  કોઇ;

બે  હાથ  જોડી  હરિની  વિનતિ  ઉચારી, લેજો  પ્રતાપી  થઇ  સુધ  તમે  અમારી.53

છે  આપના  ચરણમાં  શુભ  ચિહ્ન  કેવાં, રાજયાદિ  શ્રેષ્ઠ  અધિકાર  મળે  જ  એવાં;

ત્યારે  કહે  હરિ  કદી  મળશે  સુરાજ, સોંપીશ  તેહ  તવ  પુત્ર  કરે  સમાજ.54

વિદ્વાન  મૂર્ખ  નર  છે  શુભ  કે  નઠારો, સંતોષી  કે  અધિક  લાલચ  રાખનારો;

દૈવી  તથા  અસુર  અંશજ  જીવ  એ  છે, તે  ચિહ્નથી  જન  પરીક્ષક  જાણી  લે  છે.55

જો  દિવ્યભાવ  નિરખે  મન  જાદુ  જાણે,    વૈરાગ્યવાન  નિરખી  કપટી  પ્રમાણે;

વાચાળ  છે  બહુ  કહે  ઉપદેશ  દેતો, આસુરી  સત્પુરુષનો  નથી  ગુણ  લેતો.56

પુષ્પિતાગ્રાવૃત્ત :-

અતિ જુગ જુગ જન્મ નાથ લે છે, કવિવર એમ પુરાણમાં કહે છે;

તદપિ નહિ જ મૂર્ખ લોક માને, મુનિમુખ વાત સુણે કદી ન કાને.57

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-

મુદ્રિકાહરણનામા ત્રયોદશો વિશ્રામઃ ।।13।।