પૂર્વછાયો :-
વર્ણી કહે નૃપ સાંભળો, કહું શ્રીહરિકૃષ્ણચરિત્ર;
સાંભળતાં સુખ ઊપજે, અને તન મન થાય પવિત્ર.1
ચોપાઈ :-
કહી પાંચ વરસની વ્યવસ્થા, અને ઉતરી કુમાર અવસ્થા;
છઠ્ઠા વર્ષનો આરંભ થાય, વય પૌગંડ તે કહેવાય.2
શુદિ વૈશાખી બીજ ગણાઇ, ત્યારે જન્મ્યા ઇચ્છારામ ભાઇ;
ગુણે જાણિયે પ્રદ્યુમ્ન જેવા, અતિ સમરથ પણ તે એવા.3
એની વાત પછી ઉચરીશ, હવે કૃષ્ણચરિત્ર કહીશ;
બાલરૂપ દિસે બળવંત, ગુણ ઉત્તમ ગણતાં અનંત.4
દેવમંદિર જયાં કહેવાય, હરિ ત્યાં નિત્ય દર્શને જાય;
દેખી શ્રીહરિને તે સદાય, દેવપ્રતિમા પ્રસન્ન જણાય.5
જયાંજયાં જાય હરિ તતખેવ, ધન્ય ભાગ્ય ગણે સહુ દેવ;
તેના પૂજક પણ રાજી થાય, હરિરૂપમાં ચિત્ત ચોરાય.6
ફળ ફૂલ આપે લલચાવા, જાણે નિરખીયે આવા ને આવા;
પળ એક વિયોગ ન ઇચ્છે, પ્યારા પ્રાણ બરાબર પ્રીચ્છે.7
દેવદર્શને આવેલા લોક, જોવા ઉભા રહે થોકેથોક;
જેમ જોઇ રહે ચંદ્ર ચકોર, એવી મૂર્તિ દિસે ચિત્તચોર.8
ચાલે ઉતાવળા ધનશ્યામ, જાણે કરવાં ઘણાં હોય કામ;
વળી કોઇ કવિ કહે એમ, ચિત્તચોર ઉભો રહે કેમ.9
ઊંડો મર્મ તો કોઇ પ્રમાણે, બીજા ચાલ સ્વભાવિક જાણે;
જયાં જયાં બેસે જઇ હરિરાય, જોવા લોકોની ભીડ ભરાય.10
હોય ચિત્રમાં ચિતર્યા જેમ, જોવા હરિને ઉભાં રહે તેમ;
જયારે ચૌટામાં ચાલે મુરારી, સર્વ જોઇ રહે છે વેપારી.11
રહે ત્રાજવાં હાથમાં ઝાલી, ચાલતા જન નવ શકે ચાલી;
ભૂલે ધારણ તે તોળનારા, ઘાટ ઘડવો ભૂલે ઘડનારા.12
નામું લખનારા ભૂલે છે નામુ, સર્વ જોઇ રહે હરિ સામું;
જાય પનઘટ પર અઘહારિ, દેખિ ભાન ભૂલે પાણિયારી.13
કોઇ એક ઘડો શિર ધારી, બીજો ભૂલીને ચાલે બિચારી;
કહે એક બીજીને આ ભાળો, કેવો દિસે છે કુંવર રૂપાળો.14
જાય સર્જુતટે ઘનશામ, મળે પંડિત જોવા તે ઠામ;
કરે કલ્પના કોટિ પ્રકાર, કહે વિષ્ણુ તણો અવતાર.15
કહે કોઇ આ તો ધર્મરૂપ, કહે કોઇ આ કૈલાસ ભૂપ;
કહે કોઇ આ સાક્ષાત જ્ઞાન, કાં તો વૈરાગ્ય છે મૂર્તિમાન.16
કહે કોઇ તપે દેહ ધાર્યો, કાં તો સાક્ષાત વેદ પધાર્યો;
એમ આપે જુદા અભિપ્રાય, પ્રભુ કોઇ થકી ન કળાય.17
કહે કોઇક મનમાં તપાસી, આણે ઘેલાં કર્યા પુરવાસી;
જેમ ચમક ભણી ચળે લોહ, તેમ જનમન પામે છે મોહ.18
જાણે ધરનો ધંધો દૈયે છોડી, દષ્ટિ એમાં જ રાખિયે જોડી;
વિદ્યા ભણવી ભૂલ્યા ભણનારા, વસ્ત્ર વણવા ભૂલ્યા વણનારા.19
સોની ઘડવા ભૂલ્યા ભલા ઘાટ,એ જ વાત ચાલી હાટોહાટ;
ધર્મદેવના આંગણામાંય, ભીડ માણસની ન સમાય.20
જોવા શ્રીહરિનું મુખ આવે, પણ બાનાં તો બીજાં બતાવે;
દીવો કરવા મિશે કોઇ બાઇ, ત્રીજે પોર આવે તહાં ધાઇ.21
ભકિતમાતા કહે અરે ઘેલી, કેમ આવિ સંધ્યાકાળ પહેલી;
કહે કોઇ આવું ગાય દોવા, જાય એવે મિશે પ્રભુ જોવા.22
કોઇ આવે છે પૂછવા વાત, એવે બાને જુએ નરભ્રાત;
હરિરૂપમાં રહે ગુલતાન, નવ ભાવે ભોજન ને પાન.23
દેવતાઓ કહે તે તપાશી, ધન્યધન્ય અવધપુરવાસી;
એના પુણ્ય તણો નહિ પાર, જુવે દિનદિન જગદાધાર.24
પૂર્વછાયો :-
વર્ણી કહે વસુધાપતિ, સુણો અદભુત લીલા એક;
રામપ્રતાજી ભાઇને, દેખાડ્યાં રૂપ અનેક.25
તે લીળા તમને કહું, એ તો દિવ્યચરિત્ર ગણાય;
જે સુણતાં જન જાતિને, અતિ અચરજ એહ જણાય.26
એક દિવસે સંધ્યાસમે, હરિદર્શન કરવા કાજ;
ગયા પછી ઘણીવાર થઇ, ઘેર આવ્યા નહીં મહારાજ.27
માતાએ રામપ્રતાપને, કહ્યું રાત વિતી એક જામ;
ઘોર અંધારું થયું ઘણું, કેમ આવ્યા નહીં ઘનશ્યામ ?28
જે છે ઉપદ્રવ અસુરનો, તે તો તમે જાણો છો વીર;
શોધી લાવો ઘનશામને, હું તો ધરી શકું નહિ ધીર.29
મણિધરે કદી મણિ થકી, પળ એક જુદાં ન પડાય;
જળથી જૂદી માછલી, પડી તરફડી જીવ જાય.30
શ્રીઘનશામને નિરખતાં, આડી પાંપણો આવી જાય;
ત્યારે કહું કરતારને, નથી ચતુર તું બ્રહ્માય.31
નેણનો તારો માહરો, વળી મુજ હૈયાનો હાર;
તે ઘનશામ શોધીને, તમે તેડી લાવો આ વાર.32
તે સુણી રામપ્રતાપજી, તેનો કરવા ચાલ્યા તપાસ;
જોઇ જઇ હનુમાનગઢિ, ત્યાં દિઠા શ્રીઅવિનાશ.33
કથા રામાયણ તણી, ત્યાં વંચાતી હતી તે વાર;
સાંભળવા શ્રોતા થઇ, બહુ બેઠાં હતાં નરનાર.34
ભાઇ કહે ભગવાનને, ઘેર માતા જુએ છે વાટ;
અત્યાર સુધી ન આવિયા, તેથી અતિ કરે છે ઉચાટ.35
કયારે આવ્યા છો અહિં તમે? એમ પૂછયું જેણીવાર;
સંઘ્યા સમયના છે અહીં,એમ બોલ્યાં સૌ નરનાર.36
સ્નેહે કહે ઘનશામજી, જે જે દેવનાં દરશન કાજ;
નિત્ય નિયમ રાખ્યો તમે, જઇ આવો વળી અહિંયાંજ.37
એટલામાં તો થઇ જશે, આ પુરો કથાનો પ્રસંગ;
ઘેર જશું માતા કને, આપણે મળી બે સંગ.38
પછી તે રામપ્રતાપજી, ગયા ધરી હરિનું ધ્યાન;
રત્નસિંહાસન નામનું, શુભ જયાં છે દેવ સ્થાન.39
ત્યાં પણ શ્રીમદભાગવત, વંચાતું હતું તે વાર;
બેઠા દીઠા ઘનશામજી, વળી બીજાં ઘણાં નરનાર.40
પુછે રામપ્રતાપજી, અહીં કયારે આવ્યા મહારાજ ?
સંધ્યાસમયના છે અહીં, એમ બોલ્યો સકળ સમાજ.41
વિસ્મિત થઈને વિચારમાં, પડ્યા રામપ્રતાપજી ભ્રાત;
આ તે સ્વપન ભાસે મને, કે જાગ્રતની હશે વાત.42
ઘેર ચાલો ઘનશામજી, કહે રામપ્રતાપજી વેણ;
જઇ આવો બીજે દર્શને, એમ શામ બોલ્યા સુખદેણ.43
રામપ્રતાપજી પછી ગયા, નામે કોપભુવન સુરસ્થાન;
એક પગે ઉભા હરિ, ત્યાં તો મંત્ર જપે ધરી ધ્યાન.44
કયારે અહિં આવ્યા હરિ ? એમ પૂછી લોકને વાત;
સંધ્યા સમયના છે અહીં, એમ કહે સૌ જનજાત.45
વિચર્યા એમ વીશ મંદિરે, દિઠા સર્વ સ્થળે હરિરાય;
અચરજ ઉરમાં ઉપજયું, તે તો વરણવ્યું નવ જાય.46
રામપ્રતાપે વિચારિયું, જાઉં હનુમાનગઢી મોઝાર;
ત્યાં શ્રીહરિ છે કે નહીં, તેનો નિશ્ચય કરું નિરધાર.47
જયારે જોયું વળી ત્યાં જઇ, ત્યાં તો દીઠા જગદાધાર;
રામપ્રતાપજી ભાઇએ, ત્યારે કીધો ચિત્ત વિચાર.48
અક્રૂરને જમનાજીમાં, દીધાં દર્શન જુગમ સ્વરૂપ;
અનેક રૂપે નારદે, દિઠા દ્વારામતિના ભૂપ.49
એ જ રીતે કરુણા કરી, મુજ ઉપર કૃષ્ણ કૃપાળ;
અનેક રૂપે આપ થઇ, દીધાં દર્શન મુજને દયાળ.50
ભાળી મોટાભાઇને, ઘનશામ કહે શુભપેર;
કથાપ્રસંગ પૂરો થયો, હવે ચાલો જૈયે નિજઘેર.51
ભાઇ બંને નિજ ભવનમાં, ત્યાંથી આવ્યા રૂડી રીત;
ભકિતમાયે ભગવાનને, ચાંપ્યા છાતિમાં પ્રીત સહીત.52
દીધો વળી ઠપકો ઘણો, સુણો લાડકવાયા લાલ;
રાત વેળાના એકલે, કયાંઇ જાવું નહીં કોઇ કાળ.53
ઘણો ઉપદ્રવ અસુરનો, આજ દિસે અયોધ્યામાંય;
વેળાસર ઘેર આવવું, રાતે રોકાવું નહિ કયાંય.54
ચાર ઘડી રજની જતાં, કદી જો નહિ આવો કુમાર;
ઘરમાં નહિ દઉં પેસવા, નહિ ઉધાડું ઘરનાં દ્વાર.55
એમ કહિને કુંવરને, વાળુ કરાવિયું તે વાર;
પછી પલંગે પોઢાડિયા, જગજીવન જગદાધાર.56
પછી પરીજન આગળે, બેસી રામપ્રતાપજી ભ્રાત;
બહુરુપે દર્શન થયાં, તે વાત કરી વિખ્યાત.57
તે સુણતાં જન સર્વને, અતિ અચરજ ઉપજયું ઉર;
સૌએ શ્રીઘનશામને, પુરુષોત્તમ જાણ્યા જરૂર.58
વળતી હરિયે વિચારિયું, મને જાણશે જો સર્વેશ;
તો સુખ પુત્રપણાતણું, નહિ લઇ શકે લવલેશ.59
પછી કર્યો પરમેશ્વરે, નિજમાયાનો વિસ્તાર;
ભુલી ગયાં દિવ્ય ભાવને, સૌ માત પિતા પરિવાર.60
બીજે દિને પણ રાત્રીયે, આવ્યા મોડા શ્રીમહારાજ;
માતાને વિનતી કરી, દ્વાર ઉઘાડવાને કાજ.61
પ્રેમવતી પણ પ્રેમથી, કહે કોણ બોલે છે બાર ?
જામની જામ વિતી ગઇ, કોઇ હશે ચોર ચખાર.62
શ્રીહરિયે સંભળાવિયાં, નિજનામ ત્યાં રુડી રીત;
વકત્રોકિતમાં વાળિયા, માયે ઉત્તર પ્રીત સહીત.63
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
માતા હું ઘનશ્યામ તો વન વિષે જૈ સારી વૃષ્ટિ કરો,
માતા હું નિલકંઠ તો ગિરિ ચઢી ઊંચે સ્વરે ઉચ્ચરો;
માતા હું હરિકૃષ્ણ સિંહ કદીયે કાળો ન ભાળ્યો અમે,
માતા હું વૃષપુત્ર ધુર્વૃષની તો ધારો જઇને તમે.64
હું છું ધર્મતનૂજ પુત્ર ન હતો તે ભીમના ભાઇને,
માતા હું હરિ છું વસો સ્વરગમાં તો ચિત્તમાં ચાઇને;
હું છું ભકિતતનૂજ ભકિત સુત તો વૈરાગ્ય ને જ્ઞાન છે,
વકત્રોકિત સુણી સ્નેહયુકત હૃદયે રીઝયા કૃપાવાન છે.65
પુષ્પિતાગ્રાવૃત્ત :-
પછી ઉઠી જનની ઉધાડી દ્વાર, નિજ ઉર સાથ લગાવીને કુમાર;
લઇ નિજ ઘરમાં કરાવ્યું વાળું, ચિતવન યોગ્ય ચરિત્ર આ રુપાળું.66
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-
અનેકરૂપદર્શનનામા દ્વાદશો વિશ્રામઃ ।।12।।