પૂર્વછાયો :-

વર્ણી  કહે  નૃપ  સાંભળો,  કહું  શ્રીહરિકૃષ્ણચરિત્ર;

સાંભળતાં  સુખ  ઊપજે,  અને  તન  મન  થાય  પવિત્ર.1

ચોપાઈ :-

કહી પાંચ વરસની વ્યવસ્થા, અને ઉતરી કુમાર અવસ્થા;

છઠ્ઠા  વર્ષનો  આરંભ  થાય,  વય  પૌગંડ  તે  કહેવાય.2

શુદિ વૈશાખી બીજ  ગણાઇ, ત્યારે જન્મ્યા ઇચ્છારામ ભાઇ;

ગુણે  જાણિયે  પ્રદ્યુમ્ન  જેવા,  અતિ  સમરથ  પણ  તે  એવા.3

એની  વાત  પછી  ઉચરીશ,  હવે  કૃષ્ણચરિત્ર  કહીશ;

બાલરૂપ  દિસે  બળવંત,  ગુણ  ઉત્તમ  ગણતાં  અનંત.4

દેવમંદિર  જયાં  કહેવાય,  હરિ  ત્યાં  નિત્ય  દર્શને  જાય;

દેખી  શ્રીહરિને  તે  સદાય,  દેવપ્રતિમા    પ્રસન્ન  જણાય.5

જયાંજયાં જાય હરિ તતખેવ, ધન્ય ભાગ્ય ગણે સહુ દેવ;

તેના  પૂજક  પણ  રાજી  થાય,  હરિરૂપમાં  ચિત્ત  ચોરાય.6

ફળ ફૂલ આપે લલચાવા, જાણે નિરખીયે આવા ને આવા;

પળ  એક  વિયોગ  ન  ઇચ્છે,  પ્યારા  પ્રાણ  બરાબર  પ્રીચ્છે.7

દેવદર્શને  આવેલા  લોક,  જોવા  ઉભા  રહે  થોકેથોક;

જેમ  જોઇ  રહે  ચંદ્ર  ચકોર,  એવી  મૂર્તિ  દિસે  ચિત્તચોર.8

ચાલે  ઉતાવળા  ધનશ્યામ,  જાણે  કરવાં  ઘણાં  હોય  કામ;

વળી  કોઇ  કવિ  કહે  એમ,  ચિત્તચોર  ઉભો  રહે  કેમ.9

ઊંડો  મર્મ  તો  કોઇ  પ્રમાણે,  બીજા  ચાલ  સ્વભાવિક  જાણે;

જયાં જયાં બેસે જઇ હરિરાય, જોવા લોકોની ભીડ ભરાય.10

હોય  ચિત્રમાં  ચિતર્યા  જેમ,  જોવા  હરિને  ઉભાં  રહે  તેમ;

જયારે  ચૌટામાં  ચાલે  મુરારી,  સર્વ    જોઇ  રહે  છે  વેપારી.11

રહે ત્રાજવાં હાથમાં ઝાલી, ચાલતા જન નવ શકે ચાલી;

ભૂલે  ધારણ  તે  તોળનારા,  ઘાટ  ઘડવો  ભૂલે  ઘડનારા.12

નામું  લખનારા  ભૂલે  છે  નામુ,  સર્વ  જોઇ  રહે  હરિ  સામું;

જાય  પનઘટ  પર  અઘહારિ,  દેખિ  ભાન  ભૂલે  પાણિયારી.13

કોઇ એક ઘડો શિર ધારી, બીજો ભૂલીને ચાલે  બિચારી;

કહે એક બીજીને આ ભાળો, કેવો દિસે છે કુંવર રૂપાળો.14

જાય  સર્જુતટે  ઘનશામ,  મળે  પંડિત  જોવા  તે  ઠામ;

કરે  કલ્પના  કોટિ  પ્રકાર,  કહે  વિષ્ણુ  તણો  અવતાર.15

કહે  કોઇ  આ  તો  ધર્મરૂપ,  કહે  કોઇ  આ  કૈલાસ  ભૂપ;

કહે કોઇ આ સાક્ષાત જ્ઞાન, કાં તો વૈરાગ્ય છે મૂર્તિમાન.16

કહે  કોઇ  તપે  દેહ  ધાર્યો,  કાં  તો  સાક્ષાત  વેદ  પધાર્યો;

એમ  આપે  જુદા  અભિપ્રાય,  પ્રભુ  કોઇ  થકી  ન  કળાય.17

કહે  કોઇક  મનમાં  તપાસી,  આણે  ઘેલાં  કર્યા  પુરવાસી;

જેમ  ચમક  ભણી  ચળે  લોહ,  તેમ  જનમન  પામે  છે  મોહ.18

જાણે ધરનો ધંધો દૈયે છોડી, દષ્ટિ એમાં જ રાખિયે જોડી;

વિદ્યા ભણવી ભૂલ્યા ભણનારા, વસ્ત્ર વણવા ભૂલ્યા વણનારા.19

સોની ઘડવા ભૂલ્યા ભલા ઘાટ,એ જ વાત ચાલી હાટોહાટ;

ધર્મદેવના  આંગણામાંય,  ભીડ  માણસની  ન  સમાય.20

જોવા શ્રીહરિનું મુખ આવે, પણ બાનાં તો બીજાં બતાવે;

દીવો કરવા મિશે કોઇ બાઇ, ત્રીજે પોર આવે તહાં ધાઇ.21

ભકિતમાતા કહે અરે ઘેલી, કેમ આવિ સંધ્યાકાળ પહેલી;

કહે  કોઇ  આવું  ગાય  દોવા,  જાય  એવે  મિશે  પ્રભુ  જોવા.22

કોઇ  આવે  છે  પૂછવા  વાત,  એવે    બાને  જુએ  નરભ્રાત;

હરિરૂપમાં  રહે  ગુલતાન,  નવ  ભાવે  ભોજન  ને  પાન.23

દેવતાઓ  કહે  તે  તપાશી,  ધન્યધન્ય  અવધપુરવાસી;

એના  પુણ્ય  તણો  નહિ  પાર,  જુવે  દિનદિન  જગદાધાર.24

પૂર્વછાયો :-

વર્ણી  કહે  વસુધાપતિ,  સુણો  અદભુત  લીલા  એક;

રામપ્રતાજી    ભાઇને,    દેખાડ્યાં    રૂપ    અનેક.25

તે  લીળા  તમને  કહું,  એ  તો  દિવ્યચરિત્ર  ગણાય;

જે  સુણતાં  જન  જાતિને,  અતિ  અચરજ  એહ  જણાય.26

એક  દિવસે  સંધ્યાસમે,  હરિદર્શન  કરવા  કાજ;

ગયા  પછી  ઘણીવાર  થઇ,  ઘેર  આવ્યા  નહીં  મહારાજ.27

માતાએ  રામપ્રતાપને,  કહ્યું  રાત  વિતી  એક  જામ;

ઘોર  અંધારું  થયું  ઘણું,  કેમ  આવ્યા  નહીં  ઘનશ્યામ  ?28

જે  છે  ઉપદ્રવ  અસુરનો,  તે  તો  તમે  જાણો  છો  વીર;

શોધી  લાવો  ઘનશામને,  હું  તો  ધરી  શકું  નહિ  ધીર.29

મણિધરે  કદી  મણિ  થકી,  પળ  એક  જુદાં  ન  પડાય;

જળથી  જૂદી  માછલી,  પડી  તરફડી  જીવ  જાય.30

શ્રીઘનશામને  નિરખતાં,  આડી  પાંપણો  આવી  જાય;

ત્યારે  કહું  કરતારને,  નથી  ચતુર  તું  બ્રહ્માય.31

નેણનો  તારો  માહરો,  વળી  મુજ  હૈયાનો  હાર;

તે  ઘનશામ  શોધીને,  તમે  તેડી  લાવો  આ  વાર.32

તે  સુણી  રામપ્રતાપજી,  તેનો  કરવા  ચાલ્યા  તપાસ;

જોઇ  જઇ  હનુમાનગઢિ,  ત્યાં  દિઠા  શ્રીઅવિનાશ.33

કથા  રામાયણ  તણી,  ત્યાં  વંચાતી  હતી  તે  વાર;

સાંભળવા  શ્રોતા  થઇ,  બહુ  બેઠાં  હતાં  નરનાર.34

ભાઇ  કહે  ભગવાનને,  ઘેર  માતા  જુએ  છે  વાટ;

અત્યાર  સુધી  ન  આવિયા,  તેથી  અતિ  કરે  છે  ઉચાટ.35

કયારે  આવ્યા  છો  અહિં  તમે?  એમ  પૂછયું  જેણીવાર;

સંઘ્યા  સમયના  છે  અહીં,એમ  બોલ્યાં  સૌ  નરનાર.36

સ્નેહે  કહે  ઘનશામજી,  જે  જે  દેવનાં  દરશન  કાજ;

નિત્ય  નિયમ  રાખ્યો  તમે,  જઇ  આવો  વળી  અહિંયાંજ.37

એટલામાં  તો  થઇ  જશે,  આ  પુરો  કથાનો  પ્રસંગ;

ઘેર  જશું  માતા  કને,  આપણે  મળી  બે  સંગ.38

પછી  તે  રામપ્રતાપજી,  ગયા  ધરી  હરિનું  ધ્યાન;

રત્નસિંહાસન  નામનું,  શુભ  જયાં  છે  દેવ  સ્થાન.39

ત્યાં  પણ  શ્રીમદભાગવત,  વંચાતું  હતું  તે  વાર;

બેઠા  દીઠા  ઘનશામજી,  વળી  બીજાં  ઘણાં  નરનાર.40

પુછે  રામપ્રતાપજી,  અહીં  કયારે  આવ્યા  મહારાજ  ?

સંધ્યાસમયના  છે  અહીં,  એમ  બોલ્યો  સકળ  સમાજ.41

વિસ્મિત  થઈને  વિચારમાં,  પડ્યા  રામપ્રતાપજી  ભ્રાત;

આ  તે  સ્વપન  ભાસે  મને,  કે  જાગ્રતની  હશે  વાત.42

ઘેર  ચાલો  ઘનશામજી,  કહે  રામપ્રતાપજી  વેણ;

જઇ  આવો  બીજે    દર્શને,  એમ  શામ  બોલ્યા  સુખદેણ.43

રામપ્રતાપજી  પછી  ગયા,  નામે  કોપભુવન  સુરસ્થાન;

એક  પગે  ઉભા  હરિ,  ત્યાં  તો  મંત્ર  જપે  ધરી  ધ્યાન.44

કયારે  અહિં  આવ્યા  હરિ  ?  એમ  પૂછી  લોકને  વાત;

સંધ્યા  સમયના  છે  અહીં,  એમ  કહે  સૌ  જનજાત.45

વિચર્યા  એમ  વીશ  મંદિરે,  દિઠા  સર્વ  સ્થળે  હરિરાય;

અચરજ  ઉરમાં  ઉપજયું,  તે  તો  વરણવ્યું  નવ  જાય.46

રામપ્રતાપે  વિચારિયું,  જાઉં  હનુમાનગઢી  મોઝાર;

ત્યાં  શ્રીહરિ  છે  કે  નહીં,  તેનો  નિશ્ચય  કરું  નિરધાર.47

જયારે  જોયું  વળી  ત્યાં  જઇ,  ત્યાં  તો  દીઠા  જગદાધાર;

રામપ્રતાપજી  ભાઇએ,  ત્યારે  કીધો  ચિત્ત  વિચાર.48

અક્રૂરને  જમનાજીમાં,  દીધાં  દર્શન  જુગમ  સ્વરૂપ;

અનેક   રૂપે   નારદે,   દિઠા   દ્વારામતિના   ભૂપ.49

એ  જ  રીતે  કરુણા  કરી,  મુજ  ઉપર  કૃષ્ણ  કૃપાળ;

અનેક  રૂપે  આપ  થઇ,  દીધાં  દર્શન  મુજને  દયાળ.50

ભાળી   મોટાભાઇને,   ઘનશામ   કહે   શુભપેર;

કથાપ્રસંગ  પૂરો  થયો,  હવે  ચાલો  જૈયે  નિજઘેર.51

ભાઇ  બંને  નિજ  ભવનમાં,  ત્યાંથી  આવ્યા  રૂડી  રીત;

ભકિતમાયે  ભગવાનને,  ચાંપ્યા  છાતિમાં  પ્રીત  સહીત.52

દીધો  વળી  ઠપકો  ઘણો,  સુણો  લાડકવાયા  લાલ;

રાત  વેળાના  એકલે,  કયાંઇ  જાવું  નહીં  કોઇ  કાળ.53

ઘણો  ઉપદ્રવ  અસુરનો,  આજ  દિસે  અયોધ્યામાંય;

વેળાસર  ઘેર  આવવું,  રાતે  રોકાવું  નહિ  કયાંય.54

ચાર ઘડી  રજની  જતાં,  કદી  જો  નહિ  આવો  કુમાર;

ઘરમાં  નહિ  દઉં  પેસવા,  નહિ  ઉધાડું  ઘરનાં  દ્વાર.55

એમ  કહિને  કુંવરને,  વાળુ  કરાવિયું  તે  વાર;

પછી  પલંગે  પોઢાડિયા,  જગજીવન  જગદાધાર.56

પછી  પરીજન  આગળે,  બેસી  રામપ્રતાપજી  ભ્રાત;

બહુરુપે  દર્શન  થયાં,  તે  વાત  કરી  વિખ્યાત.57

તે  સુણતાં  જન  સર્વને,  અતિ  અચરજ  ઉપજયું  ઉર;

સૌએ  શ્રીઘનશામને,  પુરુષોત્તમ  જાણ્યા  જરૂર.58

વળતી  હરિયે  વિચારિયું,  મને  જાણશે  જો  સર્વેશ;

તો  સુખ  પુત્રપણાતણું,  નહિ  લઇ  શકે  લવલેશ.59

પછી   કર્યો   પરમેશ્વરે,   નિજમાયાનો   વિસ્તાર;

ભુલી  ગયાં  દિવ્ય  ભાવને,  સૌ  માત  પિતા  પરિવાર.60

બીજે  દિને  પણ  રાત્રીયે,  આવ્યા  મોડા  શ્રીમહારાજ;

માતાને   વિનતી   કરી,   દ્વાર   ઉઘાડવાને   કાજ.61

પ્રેમવતી  પણ  પ્રેમથી,  કહે  કોણ  બોલે  છે  બાર  ?

જામની  જામ  વિતી  ગઇ,  કોઇ  હશે  ચોર  ચખાર.62

શ્રીહરિયે  સંભળાવિયાં,  નિજનામ  ત્યાં  રુડી  રીત;

વકત્રોકિતમાં  વાળિયા,  માયે  ઉત્તર  પ્રીત  સહીત.63

શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-

માતા  હું  ઘનશ્યામ  તો  વન  વિષે  જૈ  સારી  વૃષ્ટિ  કરો,

માતા  હું  નિલકંઠ  તો  ગિરિ  ચઢી  ઊંચે  સ્વરે  ઉચ્ચરો;

માતા  હું  હરિકૃષ્ણ  સિંહ  કદીયે  કાળો  ન  ભાળ્યો  અમે,

માતા  હું  વૃષપુત્ર  ધુર્વૃષની  તો  ધારો  જઇને  તમે.64

હું  છું  ધર્મતનૂજ  પુત્ર  ન  હતો  તે  ભીમના  ભાઇને,

માતા  હું હરિ  છું  વસો  સ્વરગમાં  તો  ચિત્તમાં  ચાઇને;

હું  છું  ભકિતતનૂજ  ભકિત  સુત  તો  વૈરાગ્ય  ને  જ્ઞાન  છે,

વકત્રોકિત  સુણી  સ્નેહયુકત  હૃદયે  રીઝયા  કૃપાવાન  છે.65

પુષ્પિતાગ્રાવૃત્ત :-

પછી ઉઠી જનની ઉધાડી દ્વાર, નિજ ઉર સાથ લગાવીને કુમાર;

લઇ નિજ ઘરમાં કરાવ્યું વાળું, ચિતવન યોગ્ય ચરિત્ર આ રુપાળું.66

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-

અનેકરૂપદર્શનનામા દ્વાદશો વિશ્રામઃ ।।12।।