વસંતતિલકાવૃત્ત  :-

વર્ણી  કહે  મન  ધરી  સુણ  ભૂપ  વાત, ચાલ્યાં  ગયાં  સુતની  મૂર્તિની  સાથ  માત;

જોયું  જઇ  અકળ  અક્ષર  ધામ  જયાંય, શોભા  સમસ્ત  થળથી  અતિ  દીઠી  ત્યાંય.1

કોટાન  કોટિ  રવિ  ચંદ્ર  તણો  પ્રકાશ, ખદ્યોત  તુલ્ય  ન  જણાય  જ  જેની  પાસ;

જેને  સદૈવ  શ્રુતિ  બ્રહ્મપુરી  કહે  છે, મુકતો  અનંત  પણ  અક્ષર  જયાં  રહે  છે.2

જયાં  જૈ  શકે  ન  કદીયે  પણ  કાળ  માયા, જયાં  ક્રોધ  કામ  કદી  લોભ  નથી  જણાયા;

આનંદયુકત    દરસે    ગુણ    સચ્ચિદાદિ, જે  છે  અનંત  અવિકારી  અને  અનાદિ.3

જયાં  જયોતિરૂપ  વળી  ચિન્મય  સર્વ  ચીજો, દિસે  ન  પૃથ્વી  પવનાદિ  પદાર્થ  બીજો;

અગ્નિ  નહીં  જળ  નહીં  નહિ  અભ્ર  વ્યોમ, તારા  નહીં  ઘન  નહીં  નહિ  સૂર્ય  સોમ.4

જયાં  દંપતિ  નહિ  તથા  નહિ  પુત્ર  માતા, જયાં  કર્મના  કદી  ન  લેખ  લખે  વિધાતા;

જેનું  જથાર્થ  કદી  વર્ણન  ના  કરાય, વાણી  તથા  મુનિ  તણાં  મન  થાકી  જાય.5

જેનો  કદાપિ  શ્રુતિ  પાર  નથી  જ  લેતી,જેને  કહે  નિગમ  આગમ  નેતિનેતિ;

જયાં  જાય  તે  પુનર  જન્મ  કદી  ન  પામે, તે  વ્યાધિ  આધિ  તણિ  બાધિ  ઉપાધિ  વામે.6

આ  અષ્ટ  આવરણ  પૃથ્વી  પ્રમુખ્ય  જેહ, છે  એકથી  દશગણાં  વધતાં  જ  તેહ;

એ  આઠ  સર્વ  મળી  અંડ  ગણાય  એક, તે  તો  જહાં  રજસમાન  ઉડે  અનેક.7

શોભે  તહાં  અમિત    ચિન્મય  સૌધ  સારા, જોતાં  જ  મુકતજનને  મુદ  આપનારા;

તે  સૌધ  સર્વ  વળી  વૈભવથી  ભર્યા  છે, સ્વેચ્છાથી  મુકતહિત  શ્રીહરિએ  કર્યા  છે.8

જે  મુકત  જેમ  મન  માંહિ  મનોર્થ  ધારે, તેવું  સ્વરૂપ  નિજનું  બની  જાય  ત્યારે;

દેખી  કૃપાળુ  પ્રભુ  થાય  પ્રસન્ન  માટે, કોઇ  સજે  નિજસ્વરૂપ  સુપાત્ર  ઘાટે.9

કોઇક  મુકત  મણિ  માણક  રૂપ  થાય, કોઇક   દેવતરુ   તુલ્ય   તહાં   જણાય;

કોઇ  પલંગ  નવરંગ    નિજાંગ  ભાસે, કોઇ  ધ્વજા  કળશ  રૂપ  ધરી  પ્રકાશે.10

કોઇ   ધરે   સુરથ   કે   હય   હાથીરૂપ, કોઇ   બને   કનકકેરી   છડી   અનૂપ;

વાજિંત્ર  રૂપ  વળી  કોઇ  ધરે  વિચિત્ર, જેમાં  ગવાય  હરિના  ગુણ  કે  ચરિત્ર.11

થૈ  પાદુકા  પ્રભુ  તણા  પદ  કોઇ  ચાય, કોઇક  છત્ર  થઇ  શામ  શિરે  છવાય;

સર્વે  સ્વતંત્ર  પરતંત્ર  તહાં  ન  કોઇ, આનન્દમગ્ન  અતિશે  હરિમૂર્તિ  જોઇ.12

વર્ણી  સુણો  મહિપતિ  મુખથી  કહે  છે, તે  સર્વ  મુકત  હરિના  વશમાં  રહે  છે;

તારે  સ્વતંત્ર  સુખ  કેમ  ગણાય  એહ, ટાળો  તમે  સકળ  સંશય  આજ  તેહ.13

વર્ણી  કહે  નિજ  તણા  મનને  ગમે  છે, તેને  જ  પ્રાણી  સરવે  સુખ  માની  લે  છે;

કોઇક  કેફ  કરીને  અતિ  ઊંઘી  જાય, તેમાં  જ  શ્રેષ્ઠ  સુખ  તે  ગણશે  સદાય.14

તેવી  રીતે  હરિ  વિષે  જઇ  લીન  થાવું, વેદાંતિયો  મન  ગણે  સુખ  શ્રેષ્ઠ  આવું;

જે  કૃષ્ણના  પદ  ઉપાસક  લક્ષ્મી  જેવા, સર્વોપરી  સુખ  ગણે  કરી  શામ  સેવા.15

દષ્ટાંત  એક  વળી  સાંભળ  ચિત્ત  રાખી, છે  રાજનીતિ  કવિયે  જનકાજ  ભાખી;

પંડિત  મૂર્ખ  સુખકારણ  શું  કરે  છે, કેવી  રીતે  સમય  બે  જણ  વાવરે  છે.16

વાજિંત્ર  સાથ  હરિકિર્તન  ઉચ્ચરીને, કાઢે  સુકાળ  બુધ  હર્ષ  દિલે  ઘરીને;

ઊંઘે  લડે  વળી  કરે  વ્યસનો  વિશેષે, તેમાં  જ  મૂર્ખ  જન  તો  સુખ  માની  લેશે.17

સુતા  રહી  સુખ  ગણે  જ  દરિદ્રિ  જેમ, ઇચ્છે  ન  ભકત  સુખ  ભકિતરહીત  તેમ;

જે  ચિત્તમાં  વિષયના  સુખને  ચહાય, તે  તો  કદાપિ  જન  અક્ષરમાં  ન  જાય.18

જીવાત્મવશ્ય  વરતે  સુખી  જેમ  કાયા, સર્વેશવશ્ય    વરતે    વળિ    જેમ    માયા;

તે  આપને  ન  પરવશ્ય  કદી  પ્રમાણે, મુકતો  સદૈવ  હરિવશ્ય  સ્વતંત્ર  જાણે.19

જે  ધામમાં  ન  જડ  વસ્તુ  કશી  જણાય, ચૈતન્યનાં  જ  તરુ  વેલિ  તમામ  ત્યાંય;

પ્રાકાર  દ્વાર  પણ  ચિન્મય  તેહ  ઠાર, આકાર  રંગ  પલટે  પલમાં  અપાર.20

તે  મુકત  જયાં  ગતિ  કરે  તહિં  જૈ  શકાય, આવર્ણ  આડું  કશુંયે  કદીયે  ન  થાય;

બ્રહ્માંડ  કોટિ  પણ  તે  નજરે  નિહાળે, જાણે  થવાનું  થયું  તે  પણ  સર્વ  કાળે.21

તે  મુકત  સર્વ  વળી  જાણ  સમર્થ  કેવા, બ્રહ્માંડ  કોટિ  ઉપજાવિ  શકે  જ  એવા;

આજ્ઞા  થકી  અવતરે  જઇ  લોકમાંય, પૂજાય  આપ  પુરુષોત્તમ  તુલ્ય  ત્યાંય.22

બ્રહ્માંડ  કોટિ  રજતુલ્ય  જહાં  ઉડે  છે, એવું  કહ્યું  પ્રથમ  અક્ષરધામ  એ  છે;

એવું  સમર્થ  નહિ  અક્ષરધામ  એક, એવા  સમર્થ  વળી  મુકત  તહાં  અનેક.23

તે  સર્વ  મુકત  પુરુષોત્તમના  ઉપાસી, રાધાજી  લક્ષ્મીસમ  શકિત  અનંત  દાસી;

સેવે  સદૈવ  પ્રભુના  પદ  ચિત્ત  ધારી, પામે  ન  પાર  હરિનો  મહિમા  વિચારી.24

ધામમાં  સકળ  મુકત  કિશોર  ભાસે,કોટર્યક  ઇન્દુસમ  તેની  પ્રભા  પ્રકાસે;

સર્ખા  ગણાય  સહુ  અક્ષરમુકત  એહ, દેખાય  કોઇ  નહિ  ન્યૂન  વિશેષ  તેહ.25

તે  ધામ  માંહિ  બહુ  જે  સુખ  છે  સદાય, શેષાદિકે  સકળ  તે  ન  કહી  શકાય;

ઐશ્વર્ય  સર્વતણું  ત્યાં  કહિયે  અપાર, શું  શારદા  કહી  શકે  સકળ  પ્રકાર.26

તે  ધામ  દેખી  નજરે  સતિ  ભકિતમાત, આશ્ચર્ય  પામી  હરખ્યાં  ઉરમાં  અઘાત;

દેખી  સમુદ્ર  મનમાં  સર  તુચ્છ  લાગે, ધામો  બીજાં  અલપ  અક્ષરધામ  આગે.27

તે  ધામમધ્ય  વળી  મંદિર  એક  દીઠું, સર્વોપરી  સરસ  તે  મન  લાગ્યું  મીઠું;

ચૈતન્યયુકત  મણિના  બહુ  થંભ  ત્યાં  છે, સંખ્યા  ન  થાય  ગણતાં  શુભ  દ્વાર  જયાં  છે.28

મોતી  તણાં  સરસ  તોરણ  ત્યાં  દિસે  છે, બાંધ્યા  ઉલેચ  મણિયો  પણ  તે  વિષે  છે;

જેનું  જથાર્થ  કદી  વર્ણન  ના  કરાય, જોતાં  જ  જુકિત  જુગના  જુગ  વીતિ  જાય.29

સિંહાસન  પ્રભુ  તણું  વળી  દીઠું  એક, જેમાં  જડેલ  મણિયો  નિરખ્યા  અનેક;

છે  દ્વાર  સોળ  વળી  થંભ  છનેઉ  છાજે, તે  સર્વ  ચિન્મય  રુડી  રીતના  વિરાજે.30

તે   ઊપરે   જ   ઘનડંબર   છત્ર   એક, આશ્ચર્ય  દેખી  ઉપજે  ઉરમાં  અનેક;

તે  છત્રમાંથી  વળી  ચંદન  વૃષ્ટિ  થાય, તે  મંદ  મંદ  પણ  ગંધ  દિશાંત  જાય.31

સિંહાસને   મયુર   પોપટ   હંસ   જેહ, બેઠા  જણાય  પણ  અક્ષરમુકત  એહ;

શ્રીસ્વામીને  અતિ  પ્રસન્ન  કર્યા  જ  કાજ, એવાં  સ્વરૂપ  ધરિયાં  મળી  મુકતરાજ.32

સોપાન દિવ્ય વળી ત્યાં મણિનાં જ સારાં, જોતાં  જ  મુકત  મનને  મુદ  આપનારાં;

સિંહાસને  સરસ  ગાદી  અમુલ્ય  જોઇ, જેનું  કહી  નવ  શકે  કદી  મૂલ  કોઇ.33

ત્યાં  ભકિતયે  નિરખિયા  નિજપુત્ર  બેઠા, બેઠા  અનેક  મળી  મુકત  તહાંથી  હેઠા;

કોઇ  ઉભા  પ્રભુસમીપ  છડી  ધરિને, કોઇ  કરે  ચમર  હાથ  ધરી  હરિને.34

રાધાદિ  શકિત  ઘણી  ત્યાં  કર  ધારી  ઝારી, સેવા  નિમિત્ત  થઇ  સજ્જ  ઉભી  વિચારી;

તેણે  શરીર  શણગાર  રુડા  ધર્યા  છે, કોઇ  કરે  કનક  થાળ  ફુલે  ભર્યા  છે.35

વાજિંત્ર  માંહિ  સખી  કોઇ  કરે  સુગાન, કોઇ   કરે   સરસ   નૃત્ય   નટીસમાન;

કોઇ  કરે  પ્રભુનું  પૂજન  પ્રેમ  આણી, કોઇ  કરે  સ્તુતિ  મુખે  વદી  મિષ્ટ  વાણી.36

જે   ધર્મધેર   ધરી   જન્મચરિત્ર   થાય, તે  કૈક  તો  કવિત  કીર્તન  જોડી  ગાય;

માર્યો  કુપાત્ર  મહિમાં  ખળ  કાળિદત્ત, તે  ગાય  છે  ગુણીજનો  કરી  કોઇ  નૃત્ય.37

કોઇક  મુકત  પ્રભુની  છબીને  નિહાળે, કોઇક   પદ્મ   સરખા   પગને   પખાળે;

જે  પાવમાં  સરસ  ષોડશ  ચિહ્ન  શોભે, તે  નિર્ખવા  સ્થિતિ  કરી  મનભ્રંગ  લોભે.38

નૂપૂર   છે   ચરણમાં   ચળકીત   નંગે, પીળું  ધર્યું  રુચિર  રેશમ  વસ્ત્ર  અંગે;

કેડે  જડિત્ર  મણિ  માણક  મેખળા  છે, કાંતિ  સુશાંત  અતિ  શું  શશિની  કળા  છે.39

નાભી  ઉંડી  લલિત  વર્તુલ  જેમ  કૂપ, તે  ઊપરે  વળી  દિસે  ત્રિવલી  અનૂપ;

આવી  રહી  ઉદર  ઉપર  મોતીમાળ, શ્રીવત્સ  ચિહ્ન  શુભ  છે  ઉર  છે  વિશાળ.40

કંઠે  અમૂલ્ય  મણિ  કૌસ્તુભ  છે  ધરેલો, જાણે  સમુદ્ર  મથવા  થકી  નીકળેલો;

તેનું  સ્વરૂપ  ધરી  ત્યાં  સ્થિત  મુકત  કોઇ, વંદે  સમસ્ત  મળી  અક્ષરમુકત  જોઇ.41

ભકતો  તણા  ભયહરા  ભુજદંડ  ભાળ્યા, ત્યાં  બાજુબંધ  બહુ    નંગજડ્યા  નિહાળ્યા;

કાંડે  કડાં  કનકનાં  અતિ  કાંતિવાળાં, છે  વેઢ  વીંટી  દશ  આંગળિયે  રુપાળાં.42

હાથેળી  રકત  જળજાત  સમાન  ભાસે, રેખા  રુડી  નિરખતાં  ભવત્રાસ  નાસે;

અત્યંત  તેજ  નિરખ્યું  નખ  પંકિતકેરું, કોટાન  કોટિ  શશિ  સૂર્ય  થકી  ઘણેરું.43

ગ્રીવા  મનોહર  દિસે  શુભ  શંખ  જેવી, છે  હોઠ  રકત  કહું  વિદ્રુમ  કાંતિ  કેવી;

દેખી   સુદંત   વળી   કુંદકળી   લજાય, નાસા  નિહાળી  શુકની    ઉપમા  અપાય.44

જે  જેની  અંગ  હરિને  ઉપમા  અપાય, તે  કોઇ  કૃષ્ણતન  તુલ્ય  કદી  ન  થાય;

તે  જેમ  ચિત્ર  રવિનું  કરીને  બતાવે, આવો  જણાય  રવિ  તે  કદી  તુલ્ય  નાવે.45

નેત્રો  નવીન  કમળો  કવિયો  કહે  છે, ત્યાં  ભ્રંગરૂપ  ભમર્યો  મળતી  રહે  છે;

જે  વાંકડી  ભ્રકુટિથી  વળી  કાળ  ત્રાસે, તે  દેખીને  હરિજનો  મનમાં  હુલાસે.46

બે  કાનમાં  કનક  કુંડળ  છે  રુપાળાં, તે  તો  દિસે  મકર  બેય  સમુદ્રવાળાં;

તેમાં  મણી  સરસ  મુકત  બની  રહ્યા  છે, શું  પૂછવા  રુચિ  હરિની  તહાં  ગયા  છે.47

બે  પુષ્પગુચ્છ  હરિને  શ્રવણે  વિરાજે, તેની  છબી  રવિ  શશાંક  સમાન  છાજે;

પાખંડિયે  કુમત  ભૂતળમાં  ચલાવ્યા, શું  કષ્ટ  તે  ઉચરવા  શશિ  સૂર્ય  આવ્યા.48

શોભે  ભલું  તિલક  કેસર  ભાલ  કીધું, તે  મધ્ય  ચંદ્રસમ  કુંકુમ  ધારી  લીધું;

જાણે  સદૈવ  જનમંગળ  છે  વિચાર્યું, તે  માટ  ચિહ્ન  શુભ  મંગળકેરું  ધાર્યું.49

માથે  ધર્યો  મુકુટ  મોરસમાન  સારો, મોતી  મણિ  તણી  ઘણી  જ  જણાય  હાર્યો;

પ્રત્યક્ષ  મેઘ  શુભ  શું  પ્રભુને  પ્રમાણી, આવ્યો  મયુર  મનમાં  અતિમોદ  આણી.50

તોરા  ઝૂકયા    કુસુમના  દરસાય  કેવા, ગંગાપ્રવાહ  શિવજીની  જટાથી  જેવા;

એવું  સ્વરૂપ  સુતનું  સતિયે  નિહાળ્યું, કોટાન  કોટિ  રતિનાથ  થકી  રુપાળું.51

ત્યાં  તો  દિઠા  હરિ  તણા  અવતાર  સર્વે, મત્સ્યાદિ  જે  થઇ  ગયા  જગમધ્ય  પૂર્વે;

તેઓ  મળી  સ્તુતિ  કરે  ઘનશ્યામ  કેરી, થૈ  દીન  પાવ  પ્રણમે  હરિરૂપ  હેરી.52

સૌ  લીન  તે  થઇ  ગયા  હરિતેજમાંય, નક્ષત્ર  જેમ  રવિ  આગળ  લીન  થાય;

ત્યાં  વેદ  ચાર  નિરખ્યા  વળી  મૂર્તિમાન, તે  તો  કરે  હરિ  તણા  ગુણ  કેરું  ગાન.53

વાણી  વદે  સુજશની  વળી  શારદા  ત્યાં, ગાયે  ગુણો  અમિત  તુંબરુ  નારદા  ત્યાં;

શેષનાગ  પણ  આપ  સહસ્ર  વકત્ર, કીર્તિ  કહે  પ્રભુ  તણી  તજી  માન  તત્ર.54

જેને   કહે   પરમ   શંકર   મૂર્તિમાન, તે  નૃત્ય  ત્યાં  કરી  કરે  હરિકીર્તિ  ગાન;

બ્રહ્મા  ચતુર્મુખ  વડે  શ્રુતિયો  ભણે  છે, તે  સર્વ  મુકત  પણ  સ્નેહ  ધરી  સુણે  છે.55

એવા  અનેક  અજ  ઇશ  તહાં  જણાય, તે  કોઇથી  જ  ગણતાં  ગણતી  ન  થાય;

સૌને  દયાળુ  હરિદર્શન  આપ  દે  છે, સ્વેચ્છાથી  લીન  નિજ  તેજ  વિષે  કરે  છે.56

એવો  અપૂર્વ  મહિમા  હરિનો  નિહાળી, ભારે  સમૃદ્ધિ  વળી  અક્ષરકેરી  ભાળી;

પામ્યાં  અપાર  મુદ  ત્યાં  મન  માંહિ  માય, તે  તો  ન  કોટિ  કવિયોથી  કહી  શકાય.57

આશ્ચર્ય  પામી  અતિશે  પુલકાય  કાયા, પ્રેમાશ્રુબિંદુ  પડતા  દગથી  જણાયા;

પોતા  તણા  તનુજનો  મહિમા  વિચારે, સદ્ભાગ્ય  તેથી  નિજનાં  અતિ  ધન્ય  ધારે.58

જાગ્યાં  પછી  સતિ  તહાં  ઉતરી  સમાધી, દેખી  સ્વપુત્ર  વળી  ત્યાં  અતિ  પ્રીત  વાધી;

વૃત્તાંત  સર્વ  કહિયું  પછી  ધર્મ  પાસે, તે  સાંભળી  તરત  ધર્મ  બહુ  હુલાસે.59

તે  દિવ્યભાવ  વળી  દંપતિ  ભૂલી  જાય, ઇચ્છા  પ્રભુની  સુતભાવ  વળી  જણાય;

એવાં  ચરિત્ર  બહુ  બાળપણે  કર્યા  છે, હે  ભૂપતે  મુજ  તણા  મનમાં  ભર્યા  છે.60

પુષ્પિતાગ્રાવૃત્ત :-

પ્રભુગુણ ગણતાં ન પાર આવે, કહીકહી જો જુગના જુગો ગુમાવે;

નભ ગતિ કરી કોઇ પાર જાય, પણ પ્રભુના ગુણનો ન પાર થાય.61

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે ભકિતમાતુઃ અક્ષરધામદર્શનનામા એકાદશો વિશ્રામઃ ।।11।।