વસંતતિલકાવૃત્ત :-
વર્ણી કહે મન ધરી સુણ ભૂપ વાત, ચાલ્યાં ગયાં સુતની મૂર્તિની સાથ માત;
જોયું જઇ અકળ અક્ષર ધામ જયાંય, શોભા સમસ્ત થળથી અતિ દીઠી ત્યાંય.1
કોટાન કોટિ રવિ ચંદ્ર તણો પ્રકાશ, ખદ્યોત તુલ્ય ન જણાય જ જેની પાસ;
જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, મુકતો અનંત પણ અક્ષર જયાં રહે છે.2
જયાં જૈ શકે ન કદીયે પણ કાળ માયા, જયાં ક્રોધ કામ કદી લોભ નથી જણાયા;
આનંદયુકત દરસે ગુણ સચ્ચિદાદિ, જે છે અનંત અવિકારી અને અનાદિ.3
જયાં જયોતિરૂપ વળી ચિન્મય સર્વ ચીજો, દિસે ન પૃથ્વી પવનાદિ પદાર્થ બીજો;
અગ્નિ નહીં જળ નહીં નહિ અભ્ર વ્યોમ, તારા નહીં ઘન નહીં નહિ સૂર્ય સોમ.4
જયાં દંપતિ નહિ તથા નહિ પુત્ર માતા, જયાં કર્મના કદી ન લેખ લખે વિધાતા;
જેનું જથાર્થ કદી વર્ણન ના કરાય, વાણી તથા મુનિ તણાં મન થાકી જાય.5
જેનો કદાપિ શ્રુતિ પાર નથી જ લેતી,જેને કહે નિગમ આગમ નેતિનેતિ;
જયાં જાય તે પુનર જન્મ કદી ન પામે, તે વ્યાધિ આધિ તણિ બાધિ ઉપાધિ વામે.6
આ અષ્ટ આવરણ પૃથ્વી પ્રમુખ્ય જેહ, છે એકથી દશગણાં વધતાં જ તેહ;
એ આઠ સર્વ મળી અંડ ગણાય એક, તે તો જહાં રજસમાન ઉડે અનેક.7
શોભે તહાં અમિત ચિન્મય સૌધ સારા, જોતાં જ મુકતજનને મુદ આપનારા;
તે સૌધ સર્વ વળી વૈભવથી ભર્યા છે, સ્વેચ્છાથી મુકતહિત શ્રીહરિએ કર્યા છે.8
જે મુકત જેમ મન માંહિ મનોર્થ ધારે, તેવું સ્વરૂપ નિજનું બની જાય ત્યારે;
દેખી કૃપાળુ પ્રભુ થાય પ્રસન્ન માટે, કોઇ સજે નિજસ્વરૂપ સુપાત્ર ઘાટે.9
કોઇક મુકત મણિ માણક રૂપ થાય, કોઇક દેવતરુ તુલ્ય તહાં જણાય;
કોઇ પલંગ નવરંગ નિજાંગ ભાસે, કોઇ ધ્વજા કળશ રૂપ ધરી પ્રકાશે.10
કોઇ ધરે સુરથ કે હય હાથીરૂપ, કોઇ બને કનકકેરી છડી અનૂપ;
વાજિંત્ર રૂપ વળી કોઇ ધરે વિચિત્ર, જેમાં ગવાય હરિના ગુણ કે ચરિત્ર.11
થૈ પાદુકા પ્રભુ તણા પદ કોઇ ચાય, કોઇક છત્ર થઇ શામ શિરે છવાય;
સર્વે સ્વતંત્ર પરતંત્ર તહાં ન કોઇ, આનન્દમગ્ન અતિશે હરિમૂર્તિ જોઇ.12
વર્ણી સુણો મહિપતિ મુખથી કહે છે, તે સર્વ મુકત હરિના વશમાં રહે છે;
તારે સ્વતંત્ર સુખ કેમ ગણાય એહ, ટાળો તમે સકળ સંશય આજ તેહ.13
વર્ણી કહે નિજ તણા મનને ગમે છે, તેને જ પ્રાણી સરવે સુખ માની લે છે;
કોઇક કેફ કરીને અતિ ઊંઘી જાય, તેમાં જ શ્રેષ્ઠ સુખ તે ગણશે સદાય.14
તેવી રીતે હરિ વિષે જઇ લીન થાવું, વેદાંતિયો મન ગણે સુખ શ્રેષ્ઠ આવું;
જે કૃષ્ણના પદ ઉપાસક લક્ષ્મી જેવા, સર્વોપરી સુખ ગણે કરી શામ સેવા.15
દષ્ટાંત એક વળી સાંભળ ચિત્ત રાખી, છે રાજનીતિ કવિયે જનકાજ ભાખી;
પંડિત મૂર્ખ સુખકારણ શું કરે છે, કેવી રીતે સમય બે જણ વાવરે છે.16
વાજિંત્ર સાથ હરિકિર્તન ઉચ્ચરીને, કાઢે સુકાળ બુધ હર્ષ દિલે ઘરીને;
ઊંઘે લડે વળી કરે વ્યસનો વિશેષે, તેમાં જ મૂર્ખ જન તો સુખ માની લેશે.17
સુતા રહી સુખ ગણે જ દરિદ્રિ જેમ, ઇચ્છે ન ભકત સુખ ભકિતરહીત તેમ;
જે ચિત્તમાં વિષયના સુખને ચહાય, તે તો કદાપિ જન અક્ષરમાં ન જાય.18
જીવાત્મવશ્ય વરતે સુખી જેમ કાયા, સર્વેશવશ્ય વરતે વળિ જેમ માયા;
તે આપને ન પરવશ્ય કદી પ્રમાણે, મુકતો સદૈવ હરિવશ્ય સ્વતંત્ર જાણે.19
જે ધામમાં ન જડ વસ્તુ કશી જણાય, ચૈતન્યનાં જ તરુ વેલિ તમામ ત્યાંય;
પ્રાકાર દ્વાર પણ ચિન્મય તેહ ઠાર, આકાર રંગ પલટે પલમાં અપાર.20
તે મુકત જયાં ગતિ કરે તહિં જૈ શકાય, આવર્ણ આડું કશુંયે કદીયે ન થાય;
બ્રહ્માંડ કોટિ પણ તે નજરે નિહાળે, જાણે થવાનું થયું તે પણ સર્વ કાળે.21
તે મુકત સર્વ વળી જાણ સમર્થ કેવા, બ્રહ્માંડ કોટિ ઉપજાવિ શકે જ એવા;
આજ્ઞા થકી અવતરે જઇ લોકમાંય, પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય ત્યાંય.22
બ્રહ્માંડ કોટિ રજતુલ્ય જહાં ઉડે છે, એવું કહ્યું પ્રથમ અક્ષરધામ એ છે;
એવું સમર્થ નહિ અક્ષરધામ એક, એવા સમર્થ વળી મુકત તહાં અનેક.23
તે સર્વ મુકત પુરુષોત્તમના ઉપાસી, રાધાજી લક્ષ્મીસમ શકિત અનંત દાસી;
સેવે સદૈવ પ્રભુના પદ ચિત્ત ધારી, પામે ન પાર હરિનો મહિમા વિચારી.24
ધામમાં સકળ મુકત કિશોર ભાસે,કોટર્યક ઇન્દુસમ તેની પ્રભા પ્રકાસે;
સર્ખા ગણાય સહુ અક્ષરમુકત એહ, દેખાય કોઇ નહિ ન્યૂન વિશેષ તેહ.25
તે ધામ માંહિ બહુ જે સુખ છે સદાય, શેષાદિકે સકળ તે ન કહી શકાય;
ઐશ્વર્ય સર્વતણું ત્યાં કહિયે અપાર, શું શારદા કહી શકે સકળ પ્રકાર.26
તે ધામ દેખી નજરે સતિ ભકિતમાત, આશ્ચર્ય પામી હરખ્યાં ઉરમાં અઘાત;
દેખી સમુદ્ર મનમાં સર તુચ્છ લાગે, ધામો બીજાં અલપ અક્ષરધામ આગે.27
તે ધામમધ્ય વળી મંદિર એક દીઠું, સર્વોપરી સરસ તે મન લાગ્યું મીઠું;
ચૈતન્યયુકત મણિના બહુ થંભ ત્યાં છે, સંખ્યા ન થાય ગણતાં શુભ દ્વાર જયાં છે.28
મોતી તણાં સરસ તોરણ ત્યાં દિસે છે, બાંધ્યા ઉલેચ મણિયો પણ તે વિષે છે;
જેનું જથાર્થ કદી વર્ણન ના કરાય, જોતાં જ જુકિત જુગના જુગ વીતિ જાય.29
સિંહાસન પ્રભુ તણું વળી દીઠું એક, જેમાં જડેલ મણિયો નિરખ્યા અનેક;
છે દ્વાર સોળ વળી થંભ છનેઉ છાજે, તે સર્વ ચિન્મય રુડી રીતના વિરાજે.30
તે ઊપરે જ ઘનડંબર છત્ર એક, આશ્ચર્ય દેખી ઉપજે ઉરમાં અનેક;
તે છત્રમાંથી વળી ચંદન વૃષ્ટિ થાય, તે મંદ મંદ પણ ગંધ દિશાંત જાય.31
સિંહાસને મયુર પોપટ હંસ જેહ, બેઠા જણાય પણ અક્ષરમુકત એહ;
શ્રીસ્વામીને અતિ પ્રસન્ન કર્યા જ કાજ, એવાં સ્વરૂપ ધરિયાં મળી મુકતરાજ.32
સોપાન દિવ્ય વળી ત્યાં મણિનાં જ સારાં, જોતાં જ મુકત મનને મુદ આપનારાં;
સિંહાસને સરસ ગાદી અમુલ્ય જોઇ, જેનું કહી નવ શકે કદી મૂલ કોઇ.33
ત્યાં ભકિતયે નિરખિયા નિજપુત્ર બેઠા, બેઠા અનેક મળી મુકત તહાંથી હેઠા;
કોઇ ઉભા પ્રભુસમીપ છડી ધરિને, કોઇ કરે ચમર હાથ ધરી હરિને.34
રાધાદિ શકિત ઘણી ત્યાં કર ધારી ઝારી, સેવા નિમિત્ત થઇ સજ્જ ઉભી વિચારી;
તેણે શરીર શણગાર રુડા ધર્યા છે, કોઇ કરે કનક થાળ ફુલે ભર્યા છે.35
વાજિંત્ર માંહિ સખી કોઇ કરે સુગાન, કોઇ કરે સરસ નૃત્ય નટીસમાન;
કોઇ કરે પ્રભુનું પૂજન પ્રેમ આણી, કોઇ કરે સ્તુતિ મુખે વદી મિષ્ટ વાણી.36
જે ધર્મધેર ધરી જન્મચરિત્ર થાય, તે કૈક તો કવિત કીર્તન જોડી ગાય;
માર્યો કુપાત્ર મહિમાં ખળ કાળિદત્ત, તે ગાય છે ગુણીજનો કરી કોઇ નૃત્ય.37
કોઇક મુકત પ્રભુની છબીને નિહાળે, કોઇક પદ્મ સરખા પગને પખાળે;
જે પાવમાં સરસ ષોડશ ચિહ્ન શોભે, તે નિર્ખવા સ્થિતિ કરી મનભ્રંગ લોભે.38
નૂપૂર છે ચરણમાં ચળકીત નંગે, પીળું ધર્યું રુચિર રેશમ વસ્ત્ર અંગે;
કેડે જડિત્ર મણિ માણક મેખળા છે, કાંતિ સુશાંત અતિ શું શશિની કળા છે.39
નાભી ઉંડી લલિત વર્તુલ જેમ કૂપ, તે ઊપરે વળી દિસે ત્રિવલી અનૂપ;
આવી રહી ઉદર ઉપર મોતીમાળ, શ્રીવત્સ ચિહ્ન શુભ છે ઉર છે વિશાળ.40
કંઠે અમૂલ્ય મણિ કૌસ્તુભ છે ધરેલો, જાણે સમુદ્ર મથવા થકી નીકળેલો;
તેનું સ્વરૂપ ધરી ત્યાં સ્થિત મુકત કોઇ, વંદે સમસ્ત મળી અક્ષરમુકત જોઇ.41
ભકતો તણા ભયહરા ભુજદંડ ભાળ્યા, ત્યાં બાજુબંધ બહુ નંગજડ્યા નિહાળ્યા;
કાંડે કડાં કનકનાં અતિ કાંતિવાળાં, છે વેઢ વીંટી દશ આંગળિયે રુપાળાં.42
હાથેળી રકત જળજાત સમાન ભાસે, રેખા રુડી નિરખતાં ભવત્રાસ નાસે;
અત્યંત તેજ નિરખ્યું નખ પંકિતકેરું, કોટાન કોટિ શશિ સૂર્ય થકી ઘણેરું.43
ગ્રીવા મનોહર દિસે શુભ શંખ જેવી, છે હોઠ રકત કહું વિદ્રુમ કાંતિ કેવી;
દેખી સુદંત વળી કુંદકળી લજાય, નાસા નિહાળી શુકની ઉપમા અપાય.44
જે જેની અંગ હરિને ઉપમા અપાય, તે કોઇ કૃષ્ણતન તુલ્ય કદી ન થાય;
તે જેમ ચિત્ર રવિનું કરીને બતાવે, આવો જણાય રવિ તે કદી તુલ્ય નાવે.45
નેત્રો નવીન કમળો કવિયો કહે છે, ત્યાં ભ્રંગરૂપ ભમર્યો મળતી રહે છે;
જે વાંકડી ભ્રકુટિથી વળી કાળ ત્રાસે, તે દેખીને હરિજનો મનમાં હુલાસે.46
બે કાનમાં કનક કુંડળ છે રુપાળાં, તે તો દિસે મકર બેય સમુદ્રવાળાં;
તેમાં મણી સરસ મુકત બની રહ્યા છે, શું પૂછવા રુચિ હરિની તહાં ગયા છે.47
બે પુષ્પગુચ્છ હરિને શ્રવણે વિરાજે, તેની છબી રવિ શશાંક સમાન છાજે;
પાખંડિયે કુમત ભૂતળમાં ચલાવ્યા, શું કષ્ટ તે ઉચરવા શશિ સૂર્ય આવ્યા.48
શોભે ભલું તિલક કેસર ભાલ કીધું, તે મધ્ય ચંદ્રસમ કુંકુમ ધારી લીધું;
જાણે સદૈવ જનમંગળ છે વિચાર્યું, તે માટ ચિહ્ન શુભ મંગળકેરું ધાર્યું.49
માથે ધર્યો મુકુટ મોરસમાન સારો, મોતી મણિ તણી ઘણી જ જણાય હાર્યો;
પ્રત્યક્ષ મેઘ શુભ શું પ્રભુને પ્રમાણી, આવ્યો મયુર મનમાં અતિમોદ આણી.50
તોરા ઝૂકયા કુસુમના દરસાય કેવા, ગંગાપ્રવાહ શિવજીની જટાથી જેવા;
એવું સ્વરૂપ સુતનું સતિયે નિહાળ્યું, કોટાન કોટિ રતિનાથ થકી રુપાળું.51
ત્યાં તો દિઠા હરિ તણા અવતાર સર્વે, મત્સ્યાદિ જે થઇ ગયા જગમધ્ય પૂર્વે;
તેઓ મળી સ્તુતિ કરે ઘનશ્યામ કેરી, થૈ દીન પાવ પ્રણમે હરિરૂપ હેરી.52
સૌ લીન તે થઇ ગયા હરિતેજમાંય, નક્ષત્ર જેમ રવિ આગળ લીન થાય;
ત્યાં વેદ ચાર નિરખ્યા વળી મૂર્તિમાન, તે તો કરે હરિ તણા ગુણ કેરું ગાન.53
વાણી વદે સુજશની વળી શારદા ત્યાં, ગાયે ગુણો અમિત તુંબરુ નારદા ત્યાં;
શેષનાગ પણ આપ સહસ્ર વકત્ર, કીર્તિ કહે પ્રભુ તણી તજી માન તત્ર.54
જેને કહે પરમ શંકર મૂર્તિમાન, તે નૃત્ય ત્યાં કરી કરે હરિકીર્તિ ગાન;
બ્રહ્મા ચતુર્મુખ વડે શ્રુતિયો ભણે છે, તે સર્વ મુકત પણ સ્નેહ ધરી સુણે છે.55
એવા અનેક અજ ઇશ તહાં જણાય, તે કોઇથી જ ગણતાં ગણતી ન થાય;
સૌને દયાળુ હરિદર્શન આપ દે છે, સ્વેચ્છાથી લીન નિજ તેજ વિષે કરે છે.56
એવો અપૂર્વ મહિમા હરિનો નિહાળી, ભારે સમૃદ્ધિ વળી અક્ષરકેરી ભાળી;
પામ્યાં અપાર મુદ ત્યાં મન માંહિ માય, તે તો ન કોટિ કવિયોથી કહી શકાય.57
આશ્ચર્ય પામી અતિશે પુલકાય કાયા, પ્રેમાશ્રુબિંદુ પડતા દગથી જણાયા;
પોતા તણા તનુજનો મહિમા વિચારે, સદ્ભાગ્ય તેથી નિજનાં અતિ ધન્ય ધારે.58
જાગ્યાં પછી સતિ તહાં ઉતરી સમાધી, દેખી સ્વપુત્ર વળી ત્યાં અતિ પ્રીત વાધી;
વૃત્તાંત સર્વ કહિયું પછી ધર્મ પાસે, તે સાંભળી તરત ધર્મ બહુ હુલાસે.59
તે દિવ્યભાવ વળી દંપતિ ભૂલી જાય, ઇચ્છા પ્રભુની સુતભાવ વળી જણાય;
એવાં ચરિત્ર બહુ બાળપણે કર્યા છે, હે ભૂપતે મુજ તણા મનમાં ભર્યા છે.60
પુષ્પિતાગ્રાવૃત્ત :-
પ્રભુગુણ ગણતાં ન પાર આવે, કહીકહી જો જુગના જુગો ગુમાવે;
નભ ગતિ કરી કોઇ પાર જાય, પણ પ્રભુના ગુણનો ન પાર થાય.61
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે ભકિતમાતુઃ અક્ષરધામદર્શનનામા એકાદશો વિશ્રામઃ ।।11।।