પૂર્વછાયો :-
સ્નેહે કહે અભેસિંહજી, રુડાં વચન વિચારી વિવેક;
દંતકથા લોકો તણી, તેમાં વાત સુણી છે એક.1
ચોપાઈ :-
જયારે શામ છપૈયે રહ્યાજાતા, ત્યારે ગાયોને ચારવા જાતા;
તેથી ત્યાં કહે છે ગૌઘાટ, તમે તે ન કહ્યું શા માટ?2
વળી ચીભડીના હતા વેલા, તેને હરિએ નિકંદ કરેલા;
લીલા તે તમે નહિ ઉચ્ચારી, તેનું કારણ કહો બ્રહ્મચારી.3
બ્રહ્મચારી કહે સુણ ભ્રાત, એ તો ભાસે અસંભવ વાત;
અઢી વર્ષ છપૈયે રહ્યાય, કેમ ગાયો તે ચારવા જાય.4
મુનિ સુવ્રતે પણ નથી ભાખ્યું, બીજા કોઇ મુનિયે નથી દાખ્યું;
તેમાં સત્ય છે કેટલી વાત, તે હું તમને કહું સાક્ષાત.5
એવાં નાનાં ચરિત્ર અપાર, આવે કેતાં આયુષ્યનો પાર;
માટે મેં નથી કહી તે વાત, હવે પૂછો છો તો કહું ભ્રાત.6
છપૈયા થકી ઉત્તરમાંય, નામે ગૌઘાટ ગામ છે ત્યાંય;
કાકા ભકિતના દુંદ તિવારી, તે તો તે ગામના અધિકારી.7
તેની પુત્રી હતી એક જેહ, તેને ભકિત સાથે ઘણો સ્નેહ;
માટે મળવાને તેણે તેડાવ્યાં, હરિને લઇ ભકિત સિધાવ્યાં.8
રહ્યાં દિવસ તહાં ત્રણ ચાર, વધ્યો પુરો પરસ્પર પ્યાર;
ત્યાંથી ઉત્તરમાં અધકોશ, નદી બીસુહી છે નિરદોશ.9
તે ગૌઘાટ સમીપે વહે છે, માટે ગૌઘાટ તેને કહે છે;
એક દિવસ મળી સહુ બાઇ, ગઇ નાવાને તે નદીમાંઇ.10
કરી સ્નાન દીધાં બહુ દાન, નવરાવ્યા તહીં ભગવાન;
વર્ષ બેની ઉંમર ત્યારે હતી, પણ મૂર્તિ મનોહર અતી.11
એટલી જ છે વાત તહાંની, તે તો છેક નથી કાંઇ છાની;
તમે ચીભડીની પૂછી વાત, તે તો તરગામની લીલા ભ્રાત.12
માટે ઉચરીશ એહ પ્રસંગે, કહું બીજાં ચરિત્ર ઉમંગે;
અયોધ્યામાં રહી અઘહારી, કરે બાળલીલા બહુ સારી.13
વર્ષ પાંચમું બેઠું જે વારે, બહુ બુદ્ધિ વધી વળી ત્યારે;
પુરના જન અચરજ પામે,એ જ વાત કરે ઠામ ઠામે.14
કહે છોટો છે ધર્મકુમાર, પણ અદભુત બુદ્ધિ અપાર;
દેવદર્શને તાતની સાથે, જાય હેતથી વળગીને હાથે.15
કથા સાંભળવા ધરે કાન, સમઝુ જન વૃદ્ધસમાન;
નાવા સર્જુમાં સાથે સિધાવે, ભાળી સૌ જનને મન ભાવે.16
દેવપૂજા પિતા કરે જેમ, પ્રભુ પોતે કરે પૂજા તેમ;
બીજ ચૈત્રશુદી શુક્રવારે, તાતે અક્ષર શીખવ્યા ત્યારે.17
શિક્ષા કલ્પ ને જયોતિષ છંદ, વ્યાકરણ નિરુકત છે વંદ્ય;
ખટ વેદનાં અંગ ગણાય, ભકિતપુત્ર તે ભાવે ભણ્યાય.18
પિતા પુત્રને પ્રેમે ભણાવે, સર્વ અર્થસહિત સમઝાવે;
મહાભાષ્ય અઢાર પુરાણ, શીખ્યા કાવ્ય ને શાસ્ત્ર સુજાણ.19
ઉપજાતિવૃત્ત :-
સર્વે તણા છે ગુરુ સર્વજ્ઞાતા, બ્રહ્માદિકોને પણ જ્ઞાનદાતા;
તથાપિ માનુષ્ય ચરિત્ર કારી, વિદ્યા પિતાપાસ ભણ્યા મુરારી.20
વર્ણાશ્રમોના શુભ ધર્મ જેહ, શિખ્યા પિતાપાસ સમગ્ર તેહ;
સ્ત્રીયો તણા ધર્મ તણો પ્રકાર, સુણી લીધો માતમુખેથી સાર.21
એવો ચમત્કાર અપૂર્વ જાણી, લોકો વદે છે મુખ એમ વાણી;
આ બાળ છે અદ્ભુત ભાગ્યશાળી, વિદ્યાની એણે હદ ખૂબ વાળી.22
ભલે ભણે સૌ પણ રીત ન્યારી, વિદ્યા ભણે છે બહુ દેહધારી;
જેને પ્રભુની કરુણા જણાય, તેનેજ વિદ્યા ફળીભૂત થાય.23
સંસ્કાર જેને ભવ પૂર્વનો છે, કયાં શ્લોક તેને બહુ ગોખવો છે;
જો બીજને નીર મળ્યું જણાય, જાતિ સ્વભાવે તરુ તેવું થાય.24
જો એક વિદ્યા ભણી ભીખ માગે, લે એક સન્માન નૃપાળ આગે;
કોઇ ભણે અલ્પ ઘણું જણાય, ઘણું ભણે કિંચિત તે ગણાય.25
વર્ણી કહે છે નૃપ હે પવિત્ર, સુણો વળી અદ્ભુત સચ્ચરિત્ર;
સ્વર્ગાદિ છે સુંદર ધામ જેહ, માને બતાવ્યાં કહું વાત તેહ.26
શ્રીશ્યામને ત્યાં વળી એક કાળે, ખોળે લઇ મા મુખડું નિહાળે;
દેખી શશી સિંધુ ભરાય જેમ, વધ્યો જનેતા ઉર પ્રેમ તેમ.27
એવે સમે શ્રીહરિની ઈચ્છાયે, માહાત્મ્ય ધાર્યું મન માંહિ માયે;
બ્રહ્માદિકે જન્મ સમે સુવાણી, કહી હતી તે સ્મૃતિ સદ્ય આણી.28
કહ્યાં હરિને પછી વાકય એવાં, હશે સુસ્વર્ગાદિક ધામ કેવા ં?
કૃપા કૃપાસાગર કાંઇ લાવો, તે ધામ સર્વે મુજને બતાવો.29
તે સાંભળી પૂરણ પ્રીત વાધિ, માને કરાવી પ્રભુએ સમાધિ;
કિશોરમૂર્તિ કરુણાનિધાન, તેજસ્વિ કોટિ સૂરજો સમાન.30
તે ચાલતી મૂર્તિ જણાઇ જેમ, ચાલ્યાં પછી પાછળ ભકિત તેમ;
સુરેશના ધામ વિષે સિધાવ્યા, ઇંદ્રાદિકો સન્મુખ ચાલી આવ્યા.31
તે ધામમાં જયાં રચના અતીશે, સુવર્ણ સિંહાસન દિવ્ય દિસે;
પૂજયા પ્રભુને પધરાવી ત્યાંય, ધર્યા સુદિવ્યાંબર અંગમાંય.32
અમૂલ્ય આભૂષણ તે ધરાવ્યાં, સ્નેહે ઘણે શીશ પદે નમાવ્યાં;
તે દેખી માતા મનમોદ પામ્યાં, શોભા તહાંની નિરખી વિરામ્યાં.33
ત્યાંથી જનિત્રી નિજપુત્ર સંગે, ગયાં મહર્લોક મહા ઉમંગે;
ત્યાંથી સિધાવ્યાં જનલોકમાંય, ત્યાંથી નિહાળ્યો તપલોક ત્યાંય.34
જયાંજયાં ગયાં ત્યાં પણ એ જ રીતે, પૂજયા સહુયે પ્રભુ પૂરી પ્રીતે;
ગયાં સતી ને સુત સત્યલોકે, છે આપ સર્વેશ્વર કોણ રોકે.35
તે મૂર્તિની પાછળ માય જાય, આવે ન એને લવ અંતરાય;
બ્રહ્મા પ્રભુને નજરે નિહાળી, આવી નમ્યા ત્યાં અભિમાન ટાળી.36
સભા સુવૈરાજ પુરૂષ કેરી, તે ધામમધ્યે વિલસે ઘણેરી;
મહા મુનિ જયાં સનકાદિકો છે, પ્રકાશ પૂરો પ્રસરી રહ્યો છે.37
તે પુરુષે શ્રીહરિને પ્રણામ, કર્યા નિહાળી તન મેઘશામ;
બેસારી સિંહાસન દિવ્યમાંય, પૂજા કરી પ્રેમસમેત ત્યાંય.38
અમૂલ્ય વસ્તુ બહુ ભેટ દીધી, સ્તુતિ પછી બે કર જોડી કીધી;
નમામિ નારાયણ અક્ષરેશ, નમામિ પદ્મેશ પરાત્પરેશ.39
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
હે પદ્મેશ પરાત્પરા સુખકરા ભૂતેશ્વરા ભૂધરા,
વંસીવાદ્યધરા ખરા હિતકરા હે નિર્ડરા નિર્જરા;
સ્થાપ્યા જીવ ચરાસ્થિરા તનુધરા દેવાસુરા કિન્નરા,
વંદૂ નૌતમ નાગરા ગિરિધરા સર્વેશ્વરા શ્રીધરા.40
સ્વામી દર્શન આપના પદ તણાં કયાંથી અમે પામીયે,
દીધાં આજ ભલેજ દર્શન તમે સદ્ધામના ધામીયે;
અર્ધી આવરદા ગઈ મુજ તણી દીઠા પ્રભુ આજ છે,
હે રાજેશ્વર રાજ આજ સઘળાં સિધ્યાં હવે કાજ છે.41
તેણે એમ નતી કરી ફરી ફરી આશા ધરી આદરી,
વાણી પ્રેમ ભરી મનોજ્ઞ મધુરી ઊંચા સ્વરી ઉચ્ચરી;
પાણિ જોડ કરી પદે શિર ધરી કે એક પાવે ઠરી,
સર્વે પુરુષ સુંદરી મુદ ભરી ત્યાં દર્શને સંચરી.42
ઉપજાતિવૃત્ત :-
આશ્ચર્ય પામ્યાં અવલોકી માય, ત્યાંથી પછી કૃષ્ણ થયા વિદાય;
ચોવીસ તત્વોતણી જયાં સ્થિતિ છે, તે ધામ પ્રત્યેક કરી ગતી છે.43
તત્ત્વો તણાં દૈવત મૂર્તિમાને, પૂજયા પ્રભુને કરી કીર્તિગાને;
પછી ગયાં જયાં પુરુષ પ્રધાન, થતું હતું ત્યાં હરિકીર્તિગાન.44
માતા સુણીને મન મોદ પામે, સ્વપુત્રમાં પ્રીતિ વિશેષ જામે;
તે જેમ માનુષ્ય કરે પ્રવાસ, પામે વિશેષે સુમતિ પ્રકાશ.45
પ્રધાનનાથે ઉર પ્રીતિ આણી, પૂજયા પ્રભુને નિજ ઇષ્ટ જાણી;
તે નારીને ભકિત કહે વિચારી, કહો તમે કોણ પવિત્ર નારી.46
હું છું અહો માત પ્રધાન નામ, આ સ્વામી મારા સ્થિતિ આજ ઠામ;
આ જે તમારા સુત નિર્વિનાશી, તેનાં અમે નિર્મિત દાસ દાસી.47
અમો સરીખાં બહુ જોડલાં છે, કોટાન કોટિ કવિયે કહ્યાં છે;
તે સર્વેનું કારણ મૂળ માયા, તેના પતિ મૂળપુરૂષ રાયા.48
આજ્ઞા તમારા સુતની પ્રમાણે, તેઓ કરે કામ સદૈવ ટાણે;
સામર્થ્ય જે છે સુતમાં તમારા, જથાર્થ તે તો નહિ જાણનારા.49
સર્વોપરી આ સુતને પ્રમાણો, જેનો નિયંતા નહિ કોઇ જાણો;
પામ્યાં સુણીને અતિ મોદ માય, ગયાં પછી મૂળપુરૂષ જયાંય.50
તેની પ્રિયા જે પ્રકૃતિ પ્રમાણ, તે દંપતિ સર્વકળા સુજાણ;
પૂજયા પ્રભુને અતિ પ્રીત આણી, વદ્યા પછી સુંદર મુખ વાણી.51
ભલે પ્રભુ દર્શન આજ દીધાં, તમે કૃપાનાથ કૃતાર્થ કીધાં;
તમારું તો દર્શન કયાંથી થાય, જે ઇચ્છતાં કોટિક કલ્પ જાય.52
વર્ણી કહે સાંભળ ભૂમિપાળ, માયે દિઠું કૌતૂક તેહ કાળ;
અસંખ્ય જોડાં નરનારી કેરાં, તેજસ્વી ત્યાં તો નિરખ્યાં ઘણેરાં.53
સુવર્ણના થાળ કરે ધરેલા, પૂજાની સામગ્રી થકી ભરેલા;
ચારે દિસે મૂળપુરૂષ પાસે, ઉભાં રહ્યાં પૂજન કાર્ય આશે.54
બીજા વળી પાર્ષદ છે અનેક, લેખું ગણ્યાંથી ન ગણાય છેક;
સૌ ઇંદ્રથી શ્રેષ્ઠપણે જણાયા, ભકિત ગયાં જયાં હતી મૂળ માયા.55
માયા કહે હે સતિ ભકિતમાત ! પૂછો મને જે પૂછવાની વાત;
માતા કહે આ નરયુકત નારી, અસંખ્ય તે કોણ કહો વિચારી ?56
માયા કહે તે પુરુષપ્રધાન, પ્રત્યેક બ્રહ્માંડ તણા નિદાન;
અસંખ્ય તે પુત્ર બધા અમારા, સૌ દાસ દાસી સુતના તમારા.57
હું મૂળમાયા પ્રકૃતિ ગણાઉં, આ મૂળપુરૂષની પત્નિ થાઉં;
અનેક બ્રહ્માંડ તણા નિદાન, કહે અમોને શ્રુતિશાસ્ત્રવાન.58
જોયું તમે આજ અમારું ધામ, દેખે ન તેને અજ ઈંદ્ર વામ;
અવાય આંહી નહિ દેવતાથી, આવ્યાં તમે આ હરિની કૃપાથી.59
આ શ્રીહરિ જે સુત છે તમારા, સદા નિયંતા પ્રભુ તે અમારા;
એનીજ આજ્ઞા ધરિયે અમે તો, છે કૃષ્ણ સર્વેશ્વર આપ એ તો.60
જે કૃષ્ણ આદી અવતાર થાય, તે સર્વનું કારણ આ ગણાય;
એ છે પ્રતાપી પરમાત્મ પોતે, જાણી શકે શું કુમતિ જનો તે.61
એ છે પુરૂષોત્તમ પાપહારી, ક્ષરાક્ષરોથી છબી એની ન્યારી;
જેનો નિયંતા નથી કોઇ જાણો, સ્વતંત્ર તે આ સુતને પ્રમાણો.62
ઇત્યાદિ માહાત્મ્ય કહ્યું અતિશે, હૈયું સુણીને જનનીનું હીસે;
પછી પૂજયાં તે સતિ દંપતિયે, પ્રસન્ન કીધા પરમ સ્તુતિયે.63
પુષ્પિતાગ્રાવૃત્ત :-
સરસ સરસ વસ્ત્ર ભૂષણો ત્યાં, મણિમય માલ દીધો વળી ઘણો ત્યાં;
લઇ સતિ સુત સાથ ત્યાંથી ચાલ્યાં, જઇ પછી અક્ષરધામમાં મહાલ્યાં.64
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે ભકિતમાતુઃ સ્વર્ગાદિધામદર્શનનામા દશમો વિશ્રામઃ ।।10।।