પૂર્વછાયો :-

હે  અભેસિંહ  સુણો  હવે,  કહે  વર્ણી  અચિંત્યાનંદ;

જે  સંસ્કાર  વૃષે  કર્યા,  તે  કહું  ધરી  આનંદ.1

ચોપાઈ :-

જાતસંસ્કાર  પેહેલો  જાણું,  જિહ્વામાર્જન  બીજો  પ્રમાણું;

મેધાજનન  ત્રીજો  કહેવાય,  તે  મેં  તમને  કહ્યા  છે  રાય.2

ચોથો સંસ્કાર પયપાન જે છે, માસ બીજો બેસે ત્યાં કરે છે;

શુદિ  દશમી  ગુરુવાર  જયારે,  પયપાન  કરાવિયું  ત્યારે.3

શુદિ  વૈશાખની  એકાદશી,  ભૃગુવારી  પિતા  મન  વશી;

ત્યારે  પારણે  પોઢાડ્યો  બાળ,  પાંચમો  સંસ્કાર  નૃપાળ.4

વિશ્વકર્મા  તે  પારણું  લાવ્યા,  દિસે  હીરા  હજારો  જડાવ્યા;

તેનું  વર્ણન  અધિક  ઉમંગે,  સંભળાવીશ  બીજે  પ્રસંગે.5

ચોથા  માસમાં  શાસ્ત્ર  પ્રમાણે,  કર્યું  નામકરણ  શુભ  ટાણે;

માસ  અષાઢ  છે  નિરધાર,  વદી  સાતમ  ને  ગુરુવાર.6

માસ પાંચમો તે બેઠો જયારે, શુદી એકાદશી આવી ત્યારે;

ભૂમિ  ઉપર  પ્રથમ  બેસાર્યા,  એમ  સંસ્કાર  સાત  સુધાર્યા.7

છઠે  માસે  આસોશુદિ  બીજે,  આઠમો  સંસ્કાર  કહીજે;

અન્નપ્રાશન  પ્રથમ  કરાવ્યું,  જેવું  વેદે  વિધાન  બતાવ્યું.8

શરદ  પૂનમ  ને  ગુરુવાર,  કર્ણવેધ  કર્યો  સંસ્કાર;

આવ્યો જન્મ દિવસ વળી જયારે, કર્યો અદ્ભુત ઉત્સવ ત્યારે.9

ક્રિયા  સર્વે  તે  શાસ્ત્ર  પ્રકાર,  કરી  ને  દાન  દીધાં  અપાર;

લેવા દાન જાચક બહુ આવ્યા, ધર્મ ભકિતએ સૌને રીઝાવ્યા.10

ઉપજાતિવૃત્ત :-

શ્રીદેવશર્મા તણી ભકિત દારા, દે છે ઘણાં દાન થઇ ઉદારા;

કરે  જનો  જાચક  વારતા  છે,  સુદારતા  સાથ  ઉદારતા  છે.11

દિધા થકી દાન વળી વિશેષ, કીર્તિ વધી ત્યાં સરવારદેશ;

ઘણા દ્વિજોની મનવૃત્તિ એવી, પોતાની કન્યા વૃષઘેર દેવી.12

દવે  દ્વિજાતિ  બળદેવ  નામ,  રહે  ઠરીને  તરગામ  ઠામ;

તેણે  સુતા  નામ  સુવાસનીને,  દીધી  પછી  રામપ્રતાપજીને.13

સુપુષ્પમાં જેમ મળે સુવાસ, મળી રહે દામિનિ મેઘ પાસ;

મળી  રહે  સાકર  દૂધ  જેમ,  મળી  રહ્યા  દંપતિ  ચિત્ત  તેમ.14

સુતા  દવેજી  બળદેવની  છે,  પર્ણી  સુમૂર્તિ  બળદેવની  છે;

જેમાં મતિ નિર્બળ દેવની છે, દાતા મતિ શંબળ દેવની છે.15

સુવાસિની શ્રીહરિને રમાડે, જુકિત કરી અન્ન ભલું જમાડે;

શું રેવતી ખાંત્ય રહી અધૂરી, સ્વેચ્છા કરે છે સહુ આજ પૂરી.16

જે અક્ષરાતીત અગમ્ય જે છે, તે ધર્મના આંગણમાં રમે છે;

દોડે  પડે  ઢીંચણભેર  ચાલે,  નાસે  હસે  દીપક  દેખી  ઝાલે.17

જે જોગીના ધ્યાન વિષે ન આવે, માતા લઇ લાડ બહુ લડાવે;

સુભાગ્ય જોજયો પુરવાસિ કેરાં, આપે સદા સુખ પ્રભુ ઘણેરાં.18

સ્ત્રિયો લઇ જાય રમાડવાને, રમાડવા વાર મળે ન માને;

કરી તિરસ્કાર બહુ નિવારે, તથાપિ આવે જન  વારવારે.19

સર્વે રહે છે મુખ સામું જોઇ, કરે નહીં ત્યાં ઘરકામ કોઇ;

કહે મળીને જન ઠામઠામ, ઘેલું કર્યું આ સુત આખું ગામ.20

મુખે થકી કિલકિલ શબ્દ બોલે, આનંદ  એથી ઉપજે અતોલે;

કોઇ સમે જૈ નિજમાત આગે, મંમં કહી ભોજન મિષ્ટ માંગે.21

પૂર્વછાયો :-

હે  નરપતિ  હરિ  મૂર્તિમાં,  આશ્ચર્ય  અનેક  જણાય;

વળી  હરિની  માયા  થકી,  દિવ્યભાવ  ભૂલી  જવાય.22

ચોપાઈ :-

જે  જે  આશ્ચર્ય  બાળકરૂપે,  ભલાં  દેખાડ્યાં  વૃષકુળભૂપે;

તેનો  કહેતાં  ન  આવે  પાર,  માટે  તેમાંથી  કહિશ  લગાર.23

એક  દિવસે    સુવાસિની  બાઇ,  પારણેથી  તેડ્યા  સુખદાઇ;

તે તો લઇ ગયાં દૂર ખેલાવા, ભકિતમાતા આવ્યાં ધવરાવા.24

માયે  પારણું  જોયું  નિહાળી,  તેમાં  સૂતા  દીઠા  વનમાળી;

ધવરાવા બેઠાં પાસે જઇને, ત્યાં તો આવ્યાં સુવાસિની લૈને.25

દીઠાં બે રૂપ હરિનાં જયારે, પામ્યાં અદ્ભુત અચરજ ત્યારે;

હતું  માતાના  ખોળામાં  રૂપ,  બીજું  તેમાં  ભળી  ગયું  ભૂપ.26

એવાં  ચરિત્ર  કરે  અદ્ભુત,  એ  છે  અકળ  અજર  અચ્યુત;

ભલો  આવ્યો  ભાદરવો  માસ,  કર્યો  એકાદશી  ઉપવાસ.27

ભકિતમાતે સુવાસિની બાઇ, બીજી બહુ મળી સ્ત્રી હરખાઇ;

માતે તેડી લીધા મહારાજ, ચાલ્યાં સૌ મળી મજ્જન કાજ.28

આજ  મંદિરથી  પૂર્વમાંય,  ભૂપ  એક  તળાવ  છે  ત્યાંય;

તેથી  દક્ષિણ  દિશને  ઠામ,  રુડું  છે  નારાયણસર    નામ.29

જયારે પર્વણિનો દિન આવે, પુરવાસી ત્યાં નાવા સિધાવે;

જળઝીલણીનો દિન જાણી, ઇચ્છા નાવાની ઉરમાં આણી.30

વાટે કરતાં હરિગુણ ગાન, સર્વે નારીએ જઇ કર્યું સ્નાન;

પ્રભુને  પણ  ત્યાં  નવરાવ્યા,  સર્વે  સુંદરીને  મન  ભાવ્યા.31

એક  કમળતણું  ફૂલ  લાવી,  નમી  હાથમાં  હરિને  ધરાવી;

એક  તેહ  તળાવને  તીર,  અસોપાલવ  ગેર  ગંભીર.32

તેની શોભા દિસે ઘણી સારી, આખા વિશ્વ થકી એ તો ન્યારી;

વિશ્વકર્માએ  નવરાશ  લાવી,  જાણે  કારીગરી  છે  બનાવી.33

તેની શાખાની શોભા છે ભારી, જાણે સંઘાડે હોય ઉતારી;

રંગ લીલો લલિત પાંદડાંનો, કોણ જાણે એ તે રંગ કયાંનો.34

છાયા  શીતળ  તેની  રહે  છે,  વાયુ  મંદ  સુગંધી  વહે  છે;

જઇ  ત્યાં  પાથર્યું  પટ  એક,  પડ  કોમળ  કીધાં  અનેક.35

પ્રભુને  તે  ઉપર  પધરાવી,  જલક્રીડા  તે  કરવા  સિધાવી;

એવે અવસરે ત્યાં અણધાર્યા, બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર પધાર્યા.36

આવી  ઉભા  પ્રભુજીની  પાસે,  તેનાં  રૂપ  તેજોમય  ભાસે;

મહાતેજનું  પેખીને  પૂર,  પડે  ઝાંખા  શશાંક  ને  સૂર.37

એવું તેજ     જોઇ  સહુ  બાઇ,  પામી  અચરજ  અંતરમાંઇ;

ભૂલી  સર્વે  શરીરનું  ભાન,  સ્થિતિ  પામી  સમાધિ  સમાન.38

બ્રહ્માઆદિક ભુવનના રાય, તેણે પૂજીયા પ્રભુજીના પાય;

દિવ્ય ભૂષણ વસ્ત્ર ધરાવ્યાં, સ્નેહે ફરીફરી શીશ નમાવ્યાં.39

કર  જોડીને  સ્તુતિ  ઉચ્ચારી,  અહો  શ્રીહરિ  કરુણાકારી;

તમે ભૂમિનો હરવાને ભાર, લીધો અવની ઉપર અવતાર.40

નારાચવૃત્ત  :-  

ધર્યું  શરીર  શ્રીહરિ  અધર્મને  ઉખાડવા,સ્વદાસની સમસ્ત ભીતિ મૂળથી મટાડવા;

અનેક  દુષ્ટ  આ  સમે  કરે  અધર્મ  કર્મને, વિદારિ  ધર્મ  વેદનો  ચહાય  કૌલધર્મને.41

કરે  કુપાત્રમાત્ર  ભૂત  પ્રેતની  ઉપાસના, સદૈવ  મદ્ય  માંસ  ખાય  શત્રુ  કૃષ્ણદાસના;

મલીન  દેવના  વિશેષ  મંત્ર  જંત્ર  સાધિને, મનુષ્યને કરે જ આધિ વ્યાધિની ઉપાધિને.42

અનેક  દુષ્ટમધ્ય  મુખ્ય  એક  કાલિદત્ત  છે, કુકર્મનો  જ  કૂપ  પાપરૂપ  તે  પ્રમત્ત  છે;

ડરે  દિલે  બધાય  દેવ  દેવિ  દૈત્ય  દાનવી, ડરે  મહેશ  શેષ  તેથી  કોણમાત્ર  માનવી.43

ઘણી  થઇ  હવે  કૃપા  કરો  તમે  કૃપાનિધિ, ઘણાક  કાળ  તેહને  તમે  પ્રભુ  ક્ષમા  કિધી;

વિના સુશસ્ત્ર અસ્ત્ર એહ દુષ્ટને વિદારવો, હવે  જરૂર  ઉર  માંહિ  એ  વિચાર  ધારવો.44

અનંત  સંત  એહની  પીડા  થકી  પીડાય  છે, વિનાશકાર  ત્રાસથી  ઉદાસ  ઉર  થાય  છે;

અભંગ અંગ એહનું ન ભંગ થાય કોઇયે, મુરારી દુઃખહારી છો તમારી વાટ જોઇયે.45

તમો વિના સહાયતા અમારી આજ કો કરે, વિદારી  શ્રેષ્ઠ  દુષ્ટને  અમારું  કષ્ટ  કો  હરે;

જુગે  જુગે  તમે  જ  દેવ  દેવ  દેહ  ધારીને, સુખી કરો સ્વદાસ ત્રાસકારી દુષ્ટ મારીને.46

તમે જ ધર્મસર્ગને અભીતિ આપનાર છો, તમે જ કષ્ટ નષ્ટકારિ તુષ્ટિ પુષ્ટિકાર છો;

સહાયતા સ્વભકતની કૃપાળ આ સમે કરો, કહે  સુરેશસાથ  નાથ  હાથ  મસ્તકે  ધરો.47

ઉપજાતિવૃત્ત :-

સુણી કહે શ્રીહરિ શુદ્ધ વાણી, અહો પિનાકી અજ ચક્રપાણી;

જે દુષ્ટ પીડા તમને કરે છે, તે સાધુને તો અતિ દુઃખ દે છે.48

કૃત્યા થકી તે બહુ કષ્ટ પામ્યો, તથાપિ તે પાપી નહીં વિરામ્યો;

તેને ન આવી હજી કાંઇ શુદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ.49

જે જે હતું જોર કરી ચૂકયો છે, મમત્વ તોયે હજી કયાં મૂકયો છે;

બેઠી જવા તેની બધી સમૃદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ.50

દીવા  વિષે  અંગ    પતંગ  પાડે,  દેખી  પડે  મૂરખ  જેમ  ખાડે;

એવી થઇ છે મતિ એની ઊંધી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ.51

થશે હવે સાંપ્રત નાશ એનો, તમે ન રાખો ભય કાંઇ તેનો;

સ્વધામ માંહિ સુખથી સિધાવો, સૌને દિલે ધીરજતા ધરાવો.52

બાળા હતી જેહ તળાવમાંય,આવી મળીને પ્રભુપાસ ત્યાંય;

પૂછ્યું સુરોને ત્રણ કોણ છોજી ? કથા તમારી અમને કહોજી.53

કહે  સુરો  હે  કરુણાસમુદ્ર,  અમે  વિધાતા  વળી  વિષ્ણુ  રુદ્ર;

સર્વેતણું સંકટ સંભળાવા !  માજી અમે શ્રીહરિપાસ આવ્યા.54

આ  છે  પ્રભુ  અક્ષરધામવાસી,  મનુષ્યનું  રૂપ  રહ્યા  પ્રકાશી;

તે છે તમારા સુત શ્રીમુરારી, ભૂમી તણો ભાર વિનાશકારી.55

આશ્ચર્ય એવું સુણી સર્વ પામી, જાણ્યા પ્રભુને સકળેશ સ્વામી;

ગઇ હરિને લઇ ગામમાં તે, ગયા વિધાતાદિ સ્વધામમાં તે.56

પુષ્પિતાગ્રાવૃત્ત :-

પછી પરિજન ધર્મપાસ જઇને, સકળ કથા સુકહી પ્રસન્ન થૈને;

સુણીસુણી મન માંહિ સર્વ ફૂલ્યાં, પ્રભુની અજાથી પછીથી વાત ભૂલ્યાં.57

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્ વિરચિતે હરિલીલામૃતે દ્વતીયકલશેઅચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે બાળચરિત્ર નારાયણસરે બ્રહ્માદિ આગમનવર્ણનનામા ષષ્ઠો વિશ્રામઃ  ।।6।।