પૂર્વછાયો :-
હે અભેસિંહ સુણો હવે, કહે વર્ણી અચિંત્યાનંદ;
જે સંસ્કાર વૃષે કર્યા, તે કહું ધરી આનંદ.1
ચોપાઈ :-
જાતસંસ્કાર પેહેલો જાણું, જિહ્વામાર્જન બીજો પ્રમાણું;
મેધાજનન ત્રીજો કહેવાય, તે મેં તમને કહ્યા છે રાય.2
ચોથો સંસ્કાર પયપાન જે છે, માસ બીજો બેસે ત્યાં કરે છે;
શુદિ દશમી ગુરુવાર જયારે, પયપાન કરાવિયું ત્યારે.3
શુદિ વૈશાખની એકાદશી, ભૃગુવારી પિતા મન વશી;
ત્યારે પારણે પોઢાડ્યો બાળ, પાંચમો સંસ્કાર નૃપાળ.4
વિશ્વકર્મા તે પારણું લાવ્યા, દિસે હીરા હજારો જડાવ્યા;
તેનું વર્ણન અધિક ઉમંગે, સંભળાવીશ બીજે પ્રસંગે.5
ચોથા માસમાં શાસ્ત્ર પ્રમાણે, કર્યું નામકરણ શુભ ટાણે;
માસ અષાઢ છે નિરધાર, વદી સાતમ ને ગુરુવાર.6
માસ પાંચમો તે બેઠો જયારે, શુદી એકાદશી આવી ત્યારે;
ભૂમિ ઉપર પ્રથમ બેસાર્યા, એમ સંસ્કાર સાત સુધાર્યા.7
છઠે માસે આસોશુદિ બીજે, આઠમો સંસ્કાર કહીજે;
અન્નપ્રાશન પ્રથમ કરાવ્યું, જેવું વેદે વિધાન બતાવ્યું.8
શરદ પૂનમ ને ગુરુવાર, કર્ણવેધ કર્યો સંસ્કાર;
આવ્યો જન્મ દિવસ વળી જયારે, કર્યો અદ્ભુત ઉત્સવ ત્યારે.9
ક્રિયા સર્વે તે શાસ્ત્ર પ્રકાર, કરી ને દાન દીધાં અપાર;
લેવા દાન જાચક બહુ આવ્યા, ધર્મ ભકિતએ સૌને રીઝાવ્યા.10
ઉપજાતિવૃત્ત :-
શ્રીદેવશર્મા તણી ભકિત દારા, દે છે ઘણાં દાન થઇ ઉદારા;
કરે જનો જાચક વારતા છે, સુદારતા સાથ ઉદારતા છે.11
દિધા થકી દાન વળી વિશેષ, કીર્તિ વધી ત્યાં સરવારદેશ;
ઘણા દ્વિજોની મનવૃત્તિ એવી, પોતાની કન્યા વૃષઘેર દેવી.12
દવે દ્વિજાતિ બળદેવ નામ, રહે ઠરીને તરગામ ઠામ;
તેણે સુતા નામ સુવાસનીને, દીધી પછી રામપ્રતાપજીને.13
સુપુષ્પમાં જેમ મળે સુવાસ, મળી રહે દામિનિ મેઘ પાસ;
મળી રહે સાકર દૂધ જેમ, મળી રહ્યા દંપતિ ચિત્ત તેમ.14
સુતા દવેજી બળદેવની છે, પર્ણી સુમૂર્તિ બળદેવની છે;
જેમાં મતિ નિર્બળ દેવની છે, દાતા મતિ શંબળ દેવની છે.15
સુવાસિની શ્રીહરિને રમાડે, જુકિત કરી અન્ન ભલું જમાડે;
શું રેવતી ખાંત્ય રહી અધૂરી, સ્વેચ્છા કરે છે સહુ આજ પૂરી.16
જે અક્ષરાતીત અગમ્ય જે છે, તે ધર્મના આંગણમાં રમે છે;
દોડે પડે ઢીંચણભેર ચાલે, નાસે હસે દીપક દેખી ઝાલે.17
જે જોગીના ધ્યાન વિષે ન આવે, માતા લઇ લાડ બહુ લડાવે;
સુભાગ્ય જોજયો પુરવાસિ કેરાં, આપે સદા સુખ પ્રભુ ઘણેરાં.18
સ્ત્રિયો લઇ જાય રમાડવાને, રમાડવા વાર મળે ન માને;
કરી તિરસ્કાર બહુ નિવારે, તથાપિ આવે જન વારવારે.19
સર્વે રહે છે મુખ સામું જોઇ, કરે નહીં ત્યાં ઘરકામ કોઇ;
કહે મળીને જન ઠામઠામ, ઘેલું કર્યું આ સુત આખું ગામ.20
મુખે થકી કિલકિલ શબ્દ બોલે, આનંદ એથી ઉપજે અતોલે;
કોઇ સમે જૈ નિજમાત આગે, મંમં કહી ભોજન મિષ્ટ માંગે.21
પૂર્વછાયો :-
હે નરપતિ હરિ મૂર્તિમાં, આશ્ચર્ય અનેક જણાય;
વળી હરિની માયા થકી, દિવ્યભાવ ભૂલી જવાય.22
ચોપાઈ :-
જે જે આશ્ચર્ય બાળકરૂપે, ભલાં દેખાડ્યાં વૃષકુળભૂપે;
તેનો કહેતાં ન આવે પાર, માટે તેમાંથી કહિશ લગાર.23
એક દિવસે સુવાસિની બાઇ, પારણેથી તેડ્યા સુખદાઇ;
તે તો લઇ ગયાં દૂર ખેલાવા, ભકિતમાતા આવ્યાં ધવરાવા.24
માયે પારણું જોયું નિહાળી, તેમાં સૂતા દીઠા વનમાળી;
ધવરાવા બેઠાં પાસે જઇને, ત્યાં તો આવ્યાં સુવાસિની લૈને.25
દીઠાં બે રૂપ હરિનાં જયારે, પામ્યાં અદ્ભુત અચરજ ત્યારે;
હતું માતાના ખોળામાં રૂપ, બીજું તેમાં ભળી ગયું ભૂપ.26
એવાં ચરિત્ર કરે અદ્ભુત, એ છે અકળ અજર અચ્યુત;
ભલો આવ્યો ભાદરવો માસ, કર્યો એકાદશી ઉપવાસ.27
ભકિતમાતે સુવાસિની બાઇ, બીજી બહુ મળી સ્ત્રી હરખાઇ;
માતે તેડી લીધા મહારાજ, ચાલ્યાં સૌ મળી મજ્જન કાજ.28
આજ મંદિરથી પૂર્વમાંય, ભૂપ એક તળાવ છે ત્યાંય;
તેથી દક્ષિણ દિશને ઠામ, રુડું છે નારાયણસર નામ.29
જયારે પર્વણિનો દિન આવે, પુરવાસી ત્યાં નાવા સિધાવે;
જળઝીલણીનો દિન જાણી, ઇચ્છા નાવાની ઉરમાં આણી.30
વાટે કરતાં હરિગુણ ગાન, સર્વે નારીએ જઇ કર્યું સ્નાન;
પ્રભુને પણ ત્યાં નવરાવ્યા, સર્વે સુંદરીને મન ભાવ્યા.31
એક કમળતણું ફૂલ લાવી, નમી હાથમાં હરિને ધરાવી;
એક તેહ તળાવને તીર, અસોપાલવ ગેર ગંભીર.32
તેની શોભા દિસે ઘણી સારી, આખા વિશ્વ થકી એ તો ન્યારી;
વિશ્વકર્માએ નવરાશ લાવી, જાણે કારીગરી છે બનાવી.33
તેની શાખાની શોભા છે ભારી, જાણે સંઘાડે હોય ઉતારી;
રંગ લીલો લલિત પાંદડાંનો, કોણ જાણે એ તે રંગ કયાંનો.34
છાયા શીતળ તેની રહે છે, વાયુ મંદ સુગંધી વહે છે;
જઇ ત્યાં પાથર્યું પટ એક, પડ કોમળ કીધાં અનેક.35
પ્રભુને તે ઉપર પધરાવી, જલક્રીડા તે કરવા સિધાવી;
એવે અવસરે ત્યાં અણધાર્યા, બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર પધાર્યા.36
આવી ઉભા પ્રભુજીની પાસે, તેનાં રૂપ તેજોમય ભાસે;
મહાતેજનું પેખીને પૂર, પડે ઝાંખા શશાંક ને સૂર.37
એવું તેજ જોઇ સહુ બાઇ, પામી અચરજ અંતરમાંઇ;
ભૂલી સર્વે શરીરનું ભાન, સ્થિતિ પામી સમાધિ સમાન.38
બ્રહ્માઆદિક ભુવનના રાય, તેણે પૂજીયા પ્રભુજીના પાય;
દિવ્ય ભૂષણ વસ્ત્ર ધરાવ્યાં, સ્નેહે ફરીફરી શીશ નમાવ્યાં.39
કર જોડીને સ્તુતિ ઉચ્ચારી, અહો શ્રીહરિ કરુણાકારી;
તમે ભૂમિનો હરવાને ભાર, લીધો અવની ઉપર અવતાર.40
નારાચવૃત્ત :-
ધર્યું શરીર શ્રીહરિ અધર્મને ઉખાડવા,સ્વદાસની સમસ્ત ભીતિ મૂળથી મટાડવા;
અનેક દુષ્ટ આ સમે કરે અધર્મ કર્મને, વિદારિ ધર્મ વેદનો ચહાય કૌલધર્મને.41
કરે કુપાત્રમાત્ર ભૂત પ્રેતની ઉપાસના, સદૈવ મદ્ય માંસ ખાય શત્રુ કૃષ્ણદાસના;
મલીન દેવના વિશેષ મંત્ર જંત્ર સાધિને, મનુષ્યને કરે જ આધિ વ્યાધિની ઉપાધિને.42
અનેક દુષ્ટમધ્ય મુખ્ય એક કાલિદત્ત છે, કુકર્મનો જ કૂપ પાપરૂપ તે પ્રમત્ત છે;
ડરે દિલે બધાય દેવ દેવિ દૈત્ય દાનવી, ડરે મહેશ શેષ તેથી કોણમાત્ર માનવી.43
ઘણી થઇ હવે કૃપા કરો તમે કૃપાનિધિ, ઘણાક કાળ તેહને તમે પ્રભુ ક્ષમા કિધી;
વિના સુશસ્ત્ર અસ્ત્ર એહ દુષ્ટને વિદારવો, હવે જરૂર ઉર માંહિ એ વિચાર ધારવો.44
અનંત સંત એહની પીડા થકી પીડાય છે, વિનાશકાર ત્રાસથી ઉદાસ ઉર થાય છે;
અભંગ અંગ એહનું ન ભંગ થાય કોઇયે, મુરારી દુઃખહારી છો તમારી વાટ જોઇયે.45
તમો વિના સહાયતા અમારી આજ કો કરે, વિદારી શ્રેષ્ઠ દુષ્ટને અમારું કષ્ટ કો હરે;
જુગે જુગે તમે જ દેવ દેવ દેહ ધારીને, સુખી કરો સ્વદાસ ત્રાસકારી દુષ્ટ મારીને.46
તમે જ ધર્મસર્ગને અભીતિ આપનાર છો, તમે જ કષ્ટ નષ્ટકારિ તુષ્ટિ પુષ્ટિકાર છો;
સહાયતા સ્વભકતની કૃપાળ આ સમે કરો, કહે સુરેશસાથ નાથ હાથ મસ્તકે ધરો.47
ઉપજાતિવૃત્ત :-
સુણી કહે શ્રીહરિ શુદ્ધ વાણી, અહો પિનાકી અજ ચક્રપાણી;
જે દુષ્ટ પીડા તમને કરે છે, તે સાધુને તો અતિ દુઃખ દે છે.48
કૃત્યા થકી તે બહુ કષ્ટ પામ્યો, તથાપિ તે પાપી નહીં વિરામ્યો;
તેને ન આવી હજી કાંઇ શુદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ.49
જે જે હતું જોર કરી ચૂકયો છે, મમત્વ તોયે હજી કયાં મૂકયો છે;
બેઠી જવા તેની બધી સમૃદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ.50
દીવા વિષે અંગ પતંગ પાડે, દેખી પડે મૂરખ જેમ ખાડે;
એવી થઇ છે મતિ એની ઊંધી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ.51
થશે હવે સાંપ્રત નાશ એનો, તમે ન રાખો ભય કાંઇ તેનો;
સ્વધામ માંહિ સુખથી સિધાવો, સૌને દિલે ધીરજતા ધરાવો.52
બાળા હતી જેહ તળાવમાંય,આવી મળીને પ્રભુપાસ ત્યાંય;
પૂછ્યું સુરોને ત્રણ કોણ છોજી ? કથા તમારી અમને કહોજી.53
કહે સુરો હે કરુણાસમુદ્ર, અમે વિધાતા વળી વિષ્ણુ રુદ્ર;
સર્વેતણું સંકટ સંભળાવા ! માજી અમે શ્રીહરિપાસ આવ્યા.54
આ છે પ્રભુ અક્ષરધામવાસી, મનુષ્યનું રૂપ રહ્યા પ્રકાશી;
તે છે તમારા સુત શ્રીમુરારી, ભૂમી તણો ભાર વિનાશકારી.55
આશ્ચર્ય એવું સુણી સર્વ પામી, જાણ્યા પ્રભુને સકળેશ સ્વામી;
ગઇ હરિને લઇ ગામમાં તે, ગયા વિધાતાદિ સ્વધામમાં તે.56
પુષ્પિતાગ્રાવૃત્ત :-
પછી પરિજન ધર્મપાસ જઇને, સકળ કથા સુકહી પ્રસન્ન થૈને;
સુણીસુણી મન માંહિ સર્વ ફૂલ્યાં, પ્રભુની અજાથી પછીથી વાત ભૂલ્યાં.57
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્ વિરચિતે હરિલીલામૃતે દ્વતીયકલશેઅચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે બાળચરિત્ર નારાયણસરે બ્રહ્માદિ આગમનવર્ણનનામા ષષ્ઠો વિશ્રામઃ ।।6।।