દોહરો :-
ધર્મ ભકિત સ્તુતિ ઉચ્ચરે, પ્રેમે જોડી પાણ;
જય જય સમસ્ત જીવન, પ્રભુજી જીવનપ્રાણ.
કોકિલવૃત્ત-વેદસ્તુતિનું :-
જયજય જીવના પરમ જીવન પ્રાણ પ્રભો, નિજજન પાળ છો વરદ વિશ્વનિવાસ વિભો;
નિજકર મોરલી ધરણ હે કરુણાયતન, રમણીય રાધિકારમણ શ્યામ સુખાયતન.2
મુનિપતિ માવજી અકળ ઇશ અજેશ હરી, નિજજનના મનોરથ પ્રપૂર્ણ દીધા જ કરી;
સદગુણના નિધિ જગદધીશ જયાધિપતિ,તવ પદપદ્મને પ્રણમીયે પ્રિયજાણી અતિ.3
ભવભીત ભાંગવા ભજન ભકત તમારું કરે,તવ પદ માનીને સુખદ દિલ સદૈવ ધરે;
મુનિ જન ઇંદ્રિયો વશ કરી તમને જ ભજે,તવ પદ પામવા જગની આશ સમસ્ત તજે.4
જય નવ મેધના સમ શરીર નવીન નિધી, અમપર નેહની નજર આપ અમાપ કિધી;
નખમણિ કોટિધા રવિ શશાંક સમાન લસે, હરિજનના સદા હૃદયમાં જ નિવાસ વસે.5
અજ ભવ આદિને અતિ અસહ્ય તમારી અજા, તવ પદનાવથી તરી શકાય તરે ન ભુજા;
પરમ પવિત્ર તે ચરણ આજ દીઠાં જ અમે, અમ પર રીઝિયા અધિક હેત ધરી જ તમે.6
શ્રુતિગણ સાંગ જે ચરણના ગુણ ગાય સદા, શરણ લીધું અમે ચરણનું મન માંહિ મુદા;
તજી ન જશો કદી પ્રણતપાળ દયાળ તમે, પદ નમી માગિયે વદનથી વર એ જ અમે,7
પ્રભુ તવ રૂપનો સુરથી નિર્ણય થાય નહીં, જુગજુગ જન્મનું ધરણ એ જ નિમિત્ત અહીં;
ચરિત રુડાં કરો સ્વજનને સુખદેણ વળી, ગુણગણ ગાય તો ભવની ભીતિ ગણાય ટળી.8
દઇ નિજ જ્ઞાનને જન તણી જડતાઇ હરો, સદગુરુ સર્વના સુખદ તેથી તમે જ ઠરો;
ભ્રમણની ભીતિ સૌ જન તણી તમથી જ ટળે, અચળ નિવાસ તો તવ સુભકિત થકી જ મળે.9
ઉપજાતિ :-
માટે તમે સર્વ શરણ્ય એક, એવું કહે છે શ્રુતિયો અનેક;
તમે કરો છો ઉપકાર જેહ, બીજો કરી કોઈ શકે ન તેહ.10
અમે તમોથી ફળ જે પમાય, બ્રહ્માદિકે તે ફળ ના અપાય;
એવું તમારું પ્રભુ પાદપદ્મ, તેને નમું છું ગણિ સૌખ્યસદ્મ.11
ઇંદ્રાદિકો જો ન શરણ્ય માંગે, તો કાળનો ત્રાસ કદી ન ભાંગે;
માટે તજી ભંગુર આશ અન્ય, શરણ્ય માગે તવ તેજ ધન્ય.12
હે સર્વના સ્વામી પ્રભુ અમારા, તમો અમોને વર આપનારા;
સત્ય પ્રતિજ્ઞા પ્રભુ છે તમારી, સંપૂર્ણ ઇચ્છા કરશો અમારી.13
વ્યાપી રહ્યો છે કળિકાળ ઘોર, જણાય પાખંડી ગુરૂનું જોર;
ભૂપાળ આ કાળ થયા અધર્મિ, અન્યાયકારી કુટિલો કુકર્મિ.14
સુધર્મરક્ષા દ્વિજથી ગણાય, તે તો થયા શાકત કુમાર્ગ જાય;
ભૂપાળ જે રક્ષક ધર્મના છે, કોઠાર તે આજ કુકર્મના છે.15
આચાર્ય ઊંધો ઉપદેશ દે છે, ભાર્યા સુતા શિષ્યની ભોગવે છે;
સંન્યાસિ થૈ સંગ્રહ દ્રવ્ય રાખે, સંસારના સ્વાદ સમગ્ર ચાખે.16
સંન્યાસિને કાંચન કોઈ આપે, તે કુંભિપાકે પડનાર પાપે;
એવું લખ્યું શંકરસ્વામી જેહ, રહ્યો નહિ લેશ સુધર્મ તેહ.17
વેદાંતવાદી ગુરુવેષ ધારી, વેદોકત સત્કર્મ વિનાશકારી;
કહે અહંબ્રહ્મ અધર્મિ આપ, નથી જગત્ કે નથી પુણ્ય પાપ.18
વળી વધ્યો છે બહુ કુંડપંથ, ગણે નહીં તે શ્રુતિશાસ્ત્ર ગ્રંથ;
કરે કરાવે જન જારકર્મ, જમે જમાડે તજી જાતિધર્મ.19
જોયા વળી જૈન પ્રબોધ ધર્તા, તે તો કહે છે નથી વિશ્વકર્તા;
કર્મે કરીને જનમે મરે છે, જે થાય કૈવલ્ય પ્રભુ ઠરે છે.20
અધર્મરૂપે કળિકાળ વ્યાપ્યો, સુધર્મને મૂળ થકી ઉથાપ્યો;
માટે ધરો નાથ મનુષ્યરૂપ, ભૂભાર ભાંગો મુનિ ભૂપભૂપ.21
વસંતતિલકા :-
એવી વૃષે સ્તૃતિ કરી સુણી તે કૃપાળે, ઇચ્છા ચરિત્ર કરવા કરી એહ કાળે;
બોલ્યા મહાપ્રભુ મુખે પછી ધર્મ પાસ, પૂર્વે દીધેલ વરદાન કર્યું પ્રકાશ.22
હે ધર્મદેવ સુણી લ્યો શુભ વાત મારી, આ ભકિત પત્નિપણ પૂરવની તમારી;
વૃંદાવને મખ કરી મુખ માગી લીધું. ત્યાં મેં પ્રસિદ્ધ તમને વરદાન દીધું.23
જે આદિરૂપ મુજ અક્ષરધામમાંય, તે રૂપથી જ તમને વરદત્ત ત્યાંય;
થૈ પુત્ર અત્ર તવ રક્ષણ હું કરીશ, ભૂભારરૂપ ખળનો ક્ષય આદરીશ.24
તે વાતની સ્મૃતિ થવા તમને પિતાજી, દેખાડિયું સ્વરૂપ આ કરીને કૃપાજી;
એવું કહી ધરી સુબાળક રૂપ ત્યાંય, પોઢ્યા પ્રભુ જનનિ પાસ પલંગમાંય.25
બાળસ્વરૂપ અતિ અદ્ભુત પદ્મપાણી, પૂર્ણેન્દુવકત્ર વળી શું કહિયે વખાણી;
દિસે દયામય નવીન સરોજનેત્ર,ભાસે કપોળ શુભ ગોળ પ્રભાનું ક્ષેત્ર.26
સોળે સુચિન્હ દરશે શુચિ પાદપદ્મ, જે છે મુનીન્દ્ર મન ભૃંગ તણું સુસદ્મ;
કાયાની નિર્ખિ નજરે કમનીય કાંતિ, માતા પિતા મન વિષે થઇ સદ્ય શાંતિ.27
પુત્રસ્વરૂપ નિરખે જનની પલંગે, રોમાંચ થાય તનમાં અતિશે ઉમંગે;
ઈચ્છા થઇ પ્રભુ તણી બનવા બનાવ, ભૂલી ગયાં તરત દંપતિ દિવ્યભાવ.28
જન્મ્યો સુપુત્ર જણ બે મળી એમ જાણ્યું, પોતાનું ભાગ્ય વૃષભકિત ભલું વખાણ્યું;
નિર્ખે મનોહર સુખાબ્ધિ મુખારવિંદ, જોઈ રહે જનનિ જેમ ચકોર ચંદ.29
તે જેમ લોભી જનને જ જડે નિધાન, દે કોઇ અંધજનને ફરી નેત્રદાન;
કે કોટિ કલ્પ તપનું ફળ પ્રાપ્ત થાય, એવો થયો હરખ અંતરમાં ન માય.30
સંવત્પુરાણ શત ઊપર સાડત્રીશે, રૂડો વસંત ૠતુ ને મધુમાસ દીસે;
છે શુકલપક્ષ નવમી શશીવાર સાર, ત્યારે થયા પ્રગટ પ્રેમવતી કુમાર.31
નક્ષત્ર પુષ્ય પણ યોગ કહે સુકર્મા, તેવે સમે સુત દિઠો દ્વિજ દેવશર્મા;
આનંદ એથી ઉપજયો ઉરમાં અપાર, તે શારદા વરણવી ન શકે લગાર.32
જો ચૈત્રમાં વિવિધ ફૂલ ઘણાં ફુલાય, ફુલ્યાનું કારણ જરૂર હવે જણાય;
શ્રીરામ તેમ જન્મ્યા હરિ ચૈત્રમાંય, તે ગર્વ ચિત્ત ધરી ચૈત્ર ફુલે સદાય.33
ધારે ધિમંત જન કૌશલ દેશ ધન્ય, એના સમાન નહિ ઉત્તમ દેશ અન્ય;
પૂર્વે જહાં પ્રગટિયા રઘુવંશિ રામ, તે દેશમાં જનમિયા પ્રભુ ધર્મધામ.34
આવી મળી નગરની નવ સાત નારી, શૃંગાર સ્વચ્છ શરીરે નવ સાત ધારી;
પ્રત્યેક તેહ વયમાં નવ સાત વર્ષે, ચાંદ્રી કળા વદનમાં નવ સાત દર્શે.35
શ્રીધર્મ ગેહ જુવતી જનજુથ આવે, આનંદ મંગળ કરી ગુણ ગીત ગાવે;
જેવો સુકંઠ કલપે કવિ કોકિલાનો, તેથી વિશેષ મધુરો સ્વર પ્રેમદાનો. 36
રાગ ધોળ :- પદ :- 1
સખી આજ આનંદ અતિ ઘણો, કોટિ બ્રહ્માંડના કરનાર અખિલના આધાર; પ્રગટ થયા મહાપ્રભુ.
થાય ઉત્સવ ધર્મને આંગણે, હેતે આવ્યાં હજારો હજાર મળી નરનાર…પ્રગટ 37
ધન્ય ધન્ય શ્રીધર્મના ધામને, ધન્ય ધન્ય છપૈયા ગામ જયાં પૂરણકામ…પ્રગટ
જુઓ બાળક રૂપે બન્યા પ્રભુ, જેનું જોગી જપે નિત્ય નામ તે શ્રીઘનશ્યામ…પ્રગટ 38
આજ સોનાનો સૂરજ ઉગીયો, આજ મોતીનો વરસે છે મેહ ઓપે અતિ એહ…પ્રગટ
મોટા મુનિજન મળીમળી આવિયા, નમે પ્રભુપદમાં ધરી નેહ દિસે નરદેહ…પ્રગટ 39
દિવ્ય દેહે આવ્યાં દેવ દેવીયો, આવ્યા ગુણનિધિ દેવ ગણેશ મહેશ સુરેશ…પ્રગટ
બ્રહ્મા સાવિત્રીસહિત પધારીયા, આવ્યા દેહ ધરીને દિનેશ સજી સારો વેશ…પ્રગટ 40
આજ મનના મનોરથ સૌ ફળ્યા, આજ આનંદ ઉભરાયો જાય ન મનમાં સમાય…પ્રગટ
સખી સુખનો સાગર આજ રેલીયો, આજ ક્રોડ દિવાળી દેખાય શી ઉપમા અપાય…પ્રગટ 41
આજ તોરણ બાંધ્યાં છે ટોડલે, ધર્યા કળશ પતાકા દ્વાર ઓપે છે અપાર…પ્રગટ
રુડા કેળના થંભ રોપાવીયા, સૌએ સજીયા સરસ શણગાર હૈયે હેમહાર…પ્રગટ 42
આજ નાચે આકાશમાં અપ્સરા, ગુણી ગાંધર્વ હરિગુણ ગાય હૈયે હરખાય…પ્રગટ
આજ દુદુંભિ વાજે છે દેવનાં, આજ શરણાઇના શોર થાય વધામણી જાય…પ્રગટ 43
જે છે ક્ષર ને અક્ષરકેરા આતમા, એને કવિ કહે કાળના કાળ પ્રણત પ્રતિપાળ…પ્રગટ
બ્રહ્મા ભવ ને ભવાની જેને ભજે, જે છે વિશ્વવિહારીલાલ તે દીનદયાળ…પ્રગટ 44
પદ :- 2
સખી આજની શોભા શી વર્ણવું, મળી માનિની મંગળ ગાય વરણવ્યો ન જાય; આનંદ અતિ ઘણો.
આજ અવસર આવ્યો નવાઈનો, આવો અવસર રહેજો સદાય માગે મુનિરાય…આનંદ 45
ભલાં ભાગ્ય ઉદય થયાં ભૂમિનાં, મહારાજે કરી મોટી મેહેર થઇ લીલા લેહેર…આનંદ
હરિ જન્મ્યા તેથી આખા જગતમાં, આજ શોભે છે ગામ ને શેહેર વધ્યો ઘેરઘેર…આનંદ 46
સારા હાથી ધોડા શણગારીયા, શણગારીયું સુંદર ગામ છપૈયા છે નામ…આનંદ
વાટ છાંટીને ફુલડાં વેરીયાં, ઠીક ઠાઠ રચ્યો ઠામોઠામ નાચે નટવામ…આનંદ 47
આજ જો સખી ધર્મને આંગણે, આવ્યા આવ્યા અમર નર નાગ મળે નહીં માગ…આનંદ
ધર્મદેવે દીધાં દાન વિપ્રોને, દીધાં જાચકને શેલાં પાગ અમુલ્ય અથાગ…આનંદ 48
આવી આશીષ આપે મુનિજનો, ઘણું જીવજો જગદાધાર ભકિતના કુમાર…આનંદ
પિતા માતાની પ્રતિમા પાળજો, વળી પાળજો સ્વજન અપાર સદા સુખકાર…આનંદ 49
મૂર્તિમાન ચારે વેદ આવીયા, ગાય હરિવરના ગુણગાન સુણે સહુ કાન…આનંદ
આવ્યા અજ ભવ આદિ જાચક થઇ, ચિત્તે ચાહિને દર્શનદાન ધરી હરિધ્યાન…આનંદ 50
ભેટ ધરવા માટે ભલા ભાવથી, કંઇક લાવે મોતી મણી માળ તે વિમળ વિશાળ…આનંદ
કંઇક લાવે સારાં શેલાં પાઘડી, કંઇક લાવે છે શાલ દુશાલ મોંઘા મોંઘા માલ…આનંદ 51
કુળદેવને દીધાં વધામણાં, પૂજી અરચીને માગે છે એમ રહેજો પુત્રક્ષેમ…આનંદ
તાતે જાતક કર્મ ભલું કર્યું, નિર્ખિ લાલ વિહારીને જેમ જથાવિધિ તેમ…આનંદ 52
પદ :- 3
સખી અદ્ભુત ભાગ્ય છે આપણાં, પુરુષોત્તમ પ્રાણ આધાર જે છે પરાપાર; તે પ્રભુજી પધારીયા.
જેને નેતિ નેતિ નિગમો કહે, જેની કીરતિ કરે છે ઉચ્ચાર જે વદનહજાર..તે પ્રભુજી 53
જેનાં દર્શન દુર્લભ દેવને, ધરે શંકર જેહનું ધ્યાન કરે ગુણગાન..તે પ્રભુજી
જેને શારદા વર્ણવે સર્વદા, મુનિ નારદ સનક સમાન શોભે છે નિદાન…તે પ્રભુજી 54
જેને અરથે જોગી જપ તપ કરે, કરે અષ્ટાંગ જોગ અભ્યાસ વસી વનવાસ…તે પ્રભુજી
જોગ જજ્ઞ કરે જેને પામવા, કોઇ સુખ તજી લે છે સંન્યાસ દિલે થૈ ઉદાસ…તે પ્રભુજી 55
ભજે પ્રકૃતિ પુરુષ ભલા ભાવથી, પણ સમજે નહીં જેનો સાર પામે નહિ પાર…તે પ્રભુજી
બ્રહ્મા વિષ્ણુ ને ભવ તે ભુલા પડે, જેનો ન કરી શકે નિરધાર કે કેવો આકાર…તે પ્રભુજી 56
જેના તન એક રોમના તેજમાં, કોટિ સૂર્ય શશી લીન થાય ન જરિયે જણાય…તે પ્રભુજી
છેક રોમ તણા એક છિદ્રમાં, આવાં વિશ્વ અસંખ્ય સમાય ગણ્યાં ન ગણાય…તે પ્રભુજી 57
મોટા મુકત ભજે જેને ભાવથી, ભજે અક્ષરપુરુષ અનેક ધરી દઢ ટેક…તે પ્રભુજી
જેની તુલ્ય બીજો નવ જાણીયે, એના જેવા તો એ જ છે એક છતે જોતાં છેક…તે પ્રભુજી 58
જેની આજ્ઞા થકી જુઓ જગતમાં, શશી સૂરજ ફરે છે આકાશ કરે છે પ્રકાશ…તે પ્રભુજી
મહાસાગર મરજાદમાં રહે, જેને પાળ્ય નથી એકે પાસ વસે સ્થિર વાસ…તે પ્રભુજી 59
મેઘ વૃષ્ટિ કરે આખી સૃષ્ટિમાં, તે તો જેહના હુકમ પ્રમાણ કરી નિરમાણ…તે પ્રભુજી
સુખકારી વિહારી લાલજી, જે છે સુંદર શ્યામ સુજાણ સદા સુખખાણ…તે પ્રભુજી 60
પદ :- 4
સખી આજ વધામણી સાંભળી, ભકિતદેવીનાં ભાગ્ય વિશાળ પ્રગટ થયા લાલ; ઉત્સવ આજ થાય છે.
દહીં હળદીનો રંગ છંટાય છે, ભાવે ભરીભરી મોતીના થાળ વધાવે છે લાલ…ઉત્સવ 61
આજ સાકર વહેંચે છે સર્વને, વળી વહેંચે છે ફોફળ પાન કરી સનમાન…ઉત્સવ
કરે પુષ્પની વૃષ્ટિ આકાશથી,મોટા સુરવર ચડીને વિમાન વડા ગુણવાન…ઉત્સવ 62
ધામધૂમ મચી ધર્મધામમાં, ત્યાં તો વાજે છે તાલ મૃદંગ ઉપંગ ને ચંગ…ઉત્સવ
વાજે ભેરી નફેરી ને ભુંગળો; વાજે શરણાઇ નોબત સંગ વધે છે ઉમંગ…ઉત્સવ 63
બોલે બંદિજનો બિરદાવળી, કોઇ કવિજન બોલે કવીત નવીન રચીત…ઉત્સવ
સૂત માગધ વાંચે વંશાવળી, ધર્મદેવ સુણે ધરી ચિત્ત આપે વળી વિત્ત…ઉત્સવ 64
જેજેકાર થયો આખા જગતમાં, થયાં સજ્જનનાં મન શાંત ભાગી ગઇ ભ્રાંત…ઉત્સવ
ભાળી ભાગ્ય ઉદય ભકિતમાતનો, હતા મુનિજન જેહ મહાંત તે સમઝ્યા સિદ્ધાંત…ઉત્સવ 65
થયાં નિર્મળ નીર નદી તણાં, જો આ સમે સ્વચ્છ આકાશ જુઓ ચારે પાસ…ઉત્સવ
અગ્નિહોત્રિના અગ્નિ ઉજ્જવળ થયા, મટ્યો ધૂમને પ્રગટ્યો પ્રકાશ ને હરખ્યો હુતાશ…ઉત્સવ 66
લાગ્યા પાખંડી ગુરુઓ પસ્તાવવા, પડી પાપીના પેટમાં ફાળ જાણે આવ્યો કાળ…ઉત્સવ
કંઇક જાણે હવે નાશી કયાં જશું, ઝંપલાઉં જાણે દવઝાળ કે પેસું પાતાળ…ઉત્સવ 67
નટવર તણી મૂર્તિ નિહાળીને, દૈવીને દિલે ઉપજયું વહાલ થયા છે નિહાલ…ઉત્સવ
શોભે ભગવત ભકિતના ભુવનમાં, પરમાત્મા પ્રણતપ્રતિપાળ વિહારી જો લાલ…ઉત્સવ 68
પુષ્પિતાગ્રાવૃત્ત :-
પ્રભુભવ થકી હે નરેશ આમ, મુદમય ઉત્સવ થાય ઠામઠામ;
હરખ હરખ વિશ્વમાં જણાય, જયજયકાર મુનીન્દ્ર દેવ ગાય.69
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશેઅચિંત્યાનંદવર્ણીન્દ્ર – અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-
જન્મોત્સવવર્ણનનામા તૃતીયો વિશ્રામઃ ।।3।।