અથ શ્રીહરિજન્મસમયે વસંતાગમનવર્ણન :- દ્રુતવિલંબિત :-
ઉપવને પવને ત્રિવિધી ધરી, સરસતા રસતાની બહુ કરી;
ખગ રુડાં ગરુડાદિ ગણાય છે, સુમનથી મનથી હરખાય છે.1
વન વિષે નવિ શેવતિયો દિસે, બહુ લસે હુલસે જન તે વિષે;
ઉચરતી ચરતી વળી કોકિલા, ઠીક થતી કથતી જશ શું ઇલા.2
જનમતી નમતી લતિકા બહુ, અગણિતો ગણિતો ગણિ શું કહું;
અભવ સંભવ સંધિથી રાચતી, વનટકી નટકી કિશું નાચતી.3
ભ્રમરજી મરજી મનમાં ધરી, રવ કરે વકરે મધુતા હરી;
ભજનમાં જનમાં મલકાય છે, ખચિતથી ચિત્તથી ગુણ ગાય છે.4
કમળતો મળતો ગુણ સંઘરે, વિમળતા મળતા તજીને ધરે;
અમિતમાં મિતમાં જળમાં સહી, વશિ રહે શિર હેઠું કરે નહી.5
સકળિયો કળિયો સુપલાશની, વનફુલી ન ફુલી કળિ ઘાસની;
દ્રુમલતા મળતા રિતુમાં ખિલે, પથરના થર ના કદીયે ફુલે.6
અસુરની સુરની સહુ સંપદા, પ્રસરવા સરવાર વિષે તદા;
વિદિશથી દિશથી વશિ નેહથી, અચળ થૈ ચળ થૈ ખળ ગેહથી.7
સુકવિ તો કવિતો રિતુના કરે, રચિરચી ચિર ચિત્ત વિષે ધરે;
વસુમતી સુમતી જન જે સજે, અચરના ચરના પતિને ભજે.8
ઉપજાતિ :-
વસંતમાં સંત તથા અસંત, આનંદ પામે ઉરમાં અનંત;
ભાનુ પ્રકાશે સુખ થાય ભારી, ક્રિયા જુદી સજ્જન ને શિકારી.9
ભકિત તણા અંગનું તેજ જેહ, વસંતથી ઓપ્યું વિશેષ તેહ;
તે જેમ કાંતિ જળજાત કેરી, ભાનૂ પ્રકાશે પ્રગટે ઘણેરી.10
તેવે સમે સૌ સુર વજ્રપાણિ, પ્રભુ તણો પ્રાદુરભાવ જાણી;
અજાદિ તે બેસી વિમાન આવ્યા, સુરાંગનાઓ પણ સંગ લાવ્યા.11
ગણેશ ગંગેશ રમેશ શેષ, જળેશ જક્ષેશ શશી દિનેશ;
દશે દિશાના દિગપાળ દેવ, તહાં પધાર્યા મળી તર્તખેવ.12
ત્યાં વ્યોમમાં વૃંદ વિમાન છાયાં,સુરાંગનાયે ગુણ ગીત ગાયા;
સર્વેની દષ્ટિ વૃષધામમાં છે, પ્રીતિ ઘણી શ્રીઘનશ્યામમાં છે.13
ત્યાં તેજનો પ્રાદુરભાવ ભાળી, નેહે રહ્યા નિર્જર સૌ નિહાળી;
બાહ્યાંતરે જે સ્થિત અંધકાર, તે સર્વને તત્ક્ષણ તોડનાર.14
કોટર્યક અગ્નિશશી જો પ્રકાશે, તે સર્વ ખદ્યોત સમાન ભાસે;
જે તેજ છે સચ્ચિદહર્ષરૂપ, સુશાંત ને અદ્ભૂતતા અનૂપ.15
તે તેજ તો વ્યાપ્ત દશે દિશામાં, આવી શકે કેમ બધું કહ્યામાં;
ચરાચરે અક્ષરતેજ જેમ, વ્યાપી રહ્યા અંતર બાહ્ય એમ.16
સુશ્વેત ને ઘટ્ટ અબદ્ધ શુદ્ધ, આશ્ચર્યકારી ઉચરે વિબુદ્ધ;
અપાર અષ્ટાવરણોથી પાર, વ્યાપી થયું અક્ષર એકતાર.17
દેખે મુનિ સજ્જન દેવતાઓ, દિસે નહીં વિશ્વ તથા દિશાઓ;
પ્રકાશથી અંજન દષ્ટિ પામી, સહી શકે કેમ વિમાનગામી .18
તે તેજનો મર્મ ચિત્તે વિચાર્યો, પ્રભુ તણો પ્રાદુરભાવ ધાર્યો;
સાકારનું દર્શન સદ્ય થાવા, સ્તુતિ કરી તેજ તહાં સમાવા.19
હેતે કહે સૌ સુર જોડી હાથ, અહો દયાળુ પ્રભુ દીનનાથ;
સમગ્ર આ તેજ અહીં સમાવો, અનાદિ મૂર્તિ અમ દષ્ટિ આવો.20
પ્રહર્ષિણીવૃત્ત :-
હે સ્વામી ભુવન સમસ્ત ભૂપભૂપ, આત્માના પરમ પવિત્ર આત્મરૂપ;
તેજસ્વી અમિત તમેજ સર્વદા છો, માયાના તિમિરથી તો તમે જુદા છો.21
ચિત્તેથી મુનિજન ચાય ચાય ચાય, સ્નેહેથી શ્રુતિગુણ ગાય ગાય ગાય;
ભકિતથી ભવભય જાય જાય જાય, દ્રષ્ટીથી દુઃખ દુર થાય થાય થાય.22
જો જયોતિ પ્રકટિત એક રોમકેરી, તો માયા પુરુષ શકે ન તેજ હેરી;
જે મૂર્તિ નિજઉર અક્ષરે સ્મરે છે, સાક્ષીત્વે સકળ સચેતમાં ઠરે છે.23
આ જયોતિ ઉદધિ વિષે અનેક અંડ, બૂડેલાં જળગત જાણીયે અખંડ;
તે વિશ્વાંતર ગત આ સહુ અમેજ, ભાસે છે અકળિત તેજ તેજ તેજ.24
ના દિસે અવયવ ભિન્ન જે અમારા, ના દિસે દિનમણિ સોમ ભોમ તારા;
ના દિસે અવનિ મહાબ્ધિ મેરુ એ જ, ભાસે છે અકળિત તેજ તેજ તેજ.25
જો નેત્રે પટ ધરીયે કદાપિ કાળે, તો સ્વાત્મા હૃદગત એ જ તેજ ભાળે;
ભ્રાંતિમાં પડી અમને ન સૂજ કાંઇ, ભાસે છે શરણ તમારું સુખદાઇ.26
આ જયોતિ અકળિત પેખીને અપાર, ભૂલ્યા સૌ સુર નર સુજીયો ન સાર;
શી રીતે સ્તુતિ કરીયે અમે તમારી ? ના પોંચે મતિ ગતિ એ વિષે અમારી.27
હે દેવા નિજજન દીન દાસ જાણી, આ ટાણે અધિક દયા દયાળુ આણી;
આ જયોતિ સકળ તમો વિષે સમાવો, જે મૂર્તિ અજર અનાદિ તે બતાવો.28
ઈદ્રવંશા :-
સર્વે સુરોયે સ્તુતિ એવી જયાં કરી, મુકતેશ્વરે તે સ્તુતિ ચિત્તમાં ધરી;
તે તેજ સર્વે તનમાં સમાવિયું, સૌ દષ્ટિ સાકાર સ્વરૂપ આવિયું.29
જે દેવિયો દેવ મુનિ મળ્યાં તહીં, તે સર્વને ગોચર તે થયા સહી;
કેવું દીઠું રૂપ મહાપ્રભુતણું, ભાવે સુણો તે તમ આગળે ભણું.30
ગોલોકનામે સુપ્રસિદ્ધ ધામ છે, જેનું વળી અક્ષરધામ નામ છે;
જે રૂપ સાક્ષાત સદૈવ ત્યાં રહે, મૂર્તિ અનાદિ શ્રૃતિ શાસ્ત્ર સૌ કહે.31
બે છે ભુજા ને ધરી બંસિ હાથમાં, રાધા બિરાજે સજી રૂપ સાથમાં;
સર્વે સુરોએ પ્રભુ એમ દેખીયા, ભાવે અનન્યે નિજ ઇષ્ટ લેખીયા.32
વૃંદાવને જે વરદાન આપીયું, જયારે શ્રીધર્મે હરિનામ જાપીયું;
તે દંપતીયે દિલ એમ ધારીયું, તે રૂપ છે આજ અહિં પધારીયું.33
છે આપ એ અક્ષરધામના પતિ, કીધી તથાપિ કરુણા અહો અતિ;
જે પુત્રભાવે અમને જણાય છે, સર્વોપરી ઇશ્વર તે ગણાય છે.34
સર્વે સુરોને મન એમ ભાવિયા, આ તો સ્વયં અક્ષરનાથ આવિયા;
શ્રીધર્મ ભકિત મુનિયો સમેતને, તે પાળશે પૂરણ રાખી હેતને.35
એવું વિચારી સ્તુતિ દેવ ઉચ્ચરી, બે હાથ જોડી બહુ નમ્રતા ધરી;
હે રાજરાજેશ્વર ભકતરંજન, શ્રીરાધિકાનાથ નમો નિરંજન.36
પ્રમાણિકાવૃત્ત :-
નમો નમો નિરંજનં, સુરારિગર્વગંજનમ્;
નમોઽસ્તુ ભકતવલ્લભં, દિનેશ શેષદુર્લભમ્.37
નમોઽસ્તુ આદિકારણં, અનંતઅંડધારણમ્;
નમોનમો પરાત્પરં, મુનીશ મંગલંકરમ્.38
અધર્મવંશનાશનં, સુધર્મતાપ્રકાશનમ્;
વિદારવા સુરારિને, નિમિત્ત એ જ ધારિને.39
ધર્યો મનુષ્ય દેહ છે, સુધન્ય ધર્મ ગેહ છે;
નમોઽસ્તુ પુત્ર ભકિતના, સુસેવ્ય સર્વ શકિતના.40
અનાદિ આપ એક છો, વિશેષણે અનેક છો;
તમારી દષ્ટિ થાય છે, સુસૃષ્ટિ આ સૃજાય છે.41
સ્વયંભુ વિષ્ણુ શંકરે, તમો થકી તનૂ ધરે;
નિદેશને અનુસરે, સૃજે સ્થિતિ પ્રલે કરે.42
તમેજ સર્વશીશ છો, તમેજ ઈશઇશ છો;
સુભકત કષ્ટ કાપવા, અનેક સૌખ્ય આપવા.43
દિલે ઘણી ધરી દયા, અમારી દષ્ટિયે થયા;
નમામિ સંતપાલકં, ભજામિ ભકિતબાલકમ્.44
ઉપજાતિ :-
જે નીર પૂર્વે નરમાંથી થાય, તેથીજ તે નાર કવીન્દ્ર ગાય;
આધાર બ્રહ્માંડ ધરે અનેક, તે નારનો છે સમુદાય એક.45
તેમાં સુવો છો કરીને વિરામ, વેદોકત નારાયણ આપ નામ;
તે તો તમારું શુચિ એક અંગ, પ્રત્યક્ષ દીઠા પ્રભુ આ પ્રસંગ.46
શાર્દૂલવિક્રીડિત :–
જો સ્વામી જગમધ્ય જન્મ ધરીને લીલા નવી ના કરો,
આપીને સહવાસ વાસ જનને અજ્ઞાનતા ના હરો;
શું જાણે જન વિશ્વનો અધિપતિ છે કોણ ને કયાં હશે,
કીધાથી અનુમાન થાય ભ્રમણા સૂજે ન એકે દિશે.47
ઉપજાતિવૃત્ત :-
છે કોઇ કર્તા જગનો સદાય, વિચિત્ર સૃષ્ટિ થકી સિદ્ધ થાય;
ધટાદિ પાત્રો નજરે જ જોઇ, જણાય કરનાર કુંભાર કોઇ.48
તથાપિ જેઓ ભ્રમમાં પડે છે, તે તો જનો પંથ જુદે ચડે છે;
કર્તારકેરો નિરધાર તેને, થતો નથી નાસ્તિક બુદ્ધિ જેને.49
ચરિત્ર જે જન્મ ધરી કરો છો, તેથી તમે સત્ય દિલે ઠરો છો;
સુણે સુણાવે જન તે ચરિત્ર, પામે મહા મોક્ષ થઇ પવિત્ર.50
ચરિત્રમાં નોય પ્રતીતિ જેને, કશો નહી નિશ્ચય થાય તેને;
છે કોણ કર્તા બની કેમ સૃષ્ટિ, જાણી શકે શું જન ચર્મદષ્ટિ.51
જયોતિસ્વરૂપે પ્રભુ કોઇ જાણે, સ્વાભાવિકી સૃષ્ટિ બીજા વખાણે;
કે કાળથી કર્મથી કોઇ ગાય, નિશ્ચે વિના નાસ્તિક કોઇ થાય.52
તે પાપ તેનાં કદીયે ન જાય, ભવાબ્ધિમાં તે ભટકે સદાય;
માટે પ્રભુજી અવતાર લ્યો છો, સાચું તમે જ્ઞાન તમારું દ્યો છો.53
એવા તમે દેવ દિસો દયાળ, વિશ્વેશ વિશ્વાત્મક વિશ્વપાળ;
નમો નમો મંગળ મોદકારી, નમો નમો ધાર્મિક દેહધારી.54
સ્તુતિ કરી એમ કરી પ્રમાણ, ઠરી રહ્યા સૌ સુર એ જ ઠામ;
શ્રીધર્મ ભકિત હરિરૂપ ભાળી, સ્તુતિ કરે છે તનતાપ ટાળી.55
પુષ્પિતાગ્રા :-
જનનિ જનક જુગ્મ જોડી પાણિ, વદિ વદિ મિષ્ટ વિવેકજુકત વાણી;
સ્તુતિ કરી હરિકેરી પૂર્ણ પ્રીતે, સુણ નૃપ તેહ કહીશ રૂડી રીતે.56
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશેઅચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિઆવિર્ભાવસમયેબ્રહ્માદિદેવકૃતસ્તુતિવર્ણનનામા દ્વિતીયો વિશ્રામઃ ।।2।।