અથ શ્રીહરિજન્મસમયે વસંતાગમનવર્ણન :- દ્રુતવિલંબિત :-

ઉપવને પવને ત્રિવિધી ધરી, સરસતા  રસતાની બહુ કરી;

ખગ રુડાં ગરુડાદિ ગણાય છે, સુમનથી મનથી હરખાય છે.1

વન વિષે નવિ શેવતિયો દિસે, બહુ લસે હુલસે જન તે વિષે;

ઉચરતી ચરતી વળી કોકિલા, ઠીક થતી કથતી જશ શું ઇલા.2

જનમતી નમતી લતિકા બહુ, અગણિતો ગણિતો ગણિ શું કહું;

અભવ સંભવ સંધિથી રાચતી, વનટકી નટકી કિશું નાચતી.3

ભ્રમરજી  મરજી  મનમાં  ધરી,  રવ  કરે  વકરે  મધુતા  હરી;

ભજનમાં જનમાં મલકાય છે, ખચિતથી ચિત્તથી ગુણ ગાય છે.4

કમળતો મળતો ગુણ સંઘરે, વિમળતા મળતા તજીને ધરે;

અમિતમાં મિતમાં જળમાં સહી, વશિ રહે શિર હેઠું કરે નહી.5

સકળિયો કળિયો સુપલાશની, વનફુલી ન ફુલી કળિ ઘાસની;

દ્રુમલતા મળતા રિતુમાં ખિલે, પથરના થર ના કદીયે ફુલે.6

અસુરની સુરની સહુ સંપદા, પ્રસરવા સરવાર વિષે તદા;

વિદિશથી દિશથી વશિ નેહથી, અચળ થૈ ચળ થૈ ખળ ગેહથી.7

સુકવિ તો કવિતો રિતુના કરે, રચિરચી ચિર ચિત્ત વિષે ધરે;

વસુમતી સુમતી જન જે સજે, અચરના ચરના પતિને ભજે.8

ઉપજાતિ :-

વસંતમાં  સંત  તથા  અસંત,  આનંદ  પામે  ઉરમાં  અનંત;

ભાનુ પ્રકાશે સુખ થાય ભારી, ક્રિયા જુદી સજ્જન ને શિકારી.9

ભકિત તણા અંગનું તેજ જેહ, વસંતથી ઓપ્યું વિશેષ તેહ;

તે  જેમ  કાંતિ  જળજાત  કેરી,  ભાનૂ  પ્રકાશે  પ્રગટે  ઘણેરી.10

તેવે સમે સૌ સુર વજ્રપાણિ, પ્રભુ તણો પ્રાદુરભાવ જાણી;

અજાદિ તે બેસી વિમાન આવ્યા, સુરાંગનાઓ પણ સંગ લાવ્યા.11

ગણેશ  ગંગેશ  રમેશ  શેષ,  જળેશ  જક્ષેશ  શશી  દિનેશ;

દશે  દિશાના  દિગપાળ  દેવ,  તહાં  પધાર્યા  મળી  તર્તખેવ.12

ત્યાં વ્યોમમાં વૃંદ વિમાન છાયાં,સુરાંગનાયે ગુણ ગીત ગાયા;

સર્વેની દષ્ટિ વૃષધામમાં છે, પ્રીતિ ઘણી શ્રીઘનશ્યામમાં છે.13

ત્યાં તેજનો પ્રાદુરભાવ ભાળી, નેહે રહ્યા નિર્જર સૌ નિહાળી;

બાહ્યાંતરે  જે  સ્થિત  અંધકાર,  તે  સર્વને  તત્ક્ષણ  તોડનાર.14

કોટર્યક અગ્નિશશી જો પ્રકાશે, તે સર્વ ખદ્યોત સમાન ભાસે;

જે  તેજ  છે  સચ્ચિદહર્ષરૂપ,  સુશાંત  ને  અદ્ભૂતતા  અનૂપ.15

તે તેજ તો વ્યાપ્ત દશે દિશામાં, આવી શકે કેમ બધું કહ્યામાં;

ચરાચરે  અક્ષરતેજ  જેમ,  વ્યાપી  રહ્યા  અંતર  બાહ્ય  એમ.16

સુશ્વેત  ને  ઘટ્ટ  અબદ્ધ  શુદ્ધ,  આશ્ચર્યકારી  ઉચરે  વિબુદ્ધ;

અપાર  અષ્ટાવરણોથી  પાર,  વ્યાપી  થયું  અક્ષર  એકતાર.17

દેખે મુનિ સજ્જન દેવતાઓ, દિસે નહીં વિશ્વ તથા દિશાઓ;

પ્રકાશથી અંજન દષ્ટિ પામી, સહી શકે કેમ વિમાનગામી .18

તે તેજનો મર્મ ચિત્તે વિચાર્યો, પ્રભુ તણો પ્રાદુરભાવ ધાર્યો;

સાકારનું દર્શન સદ્ય થાવા, સ્તુતિ કરી તેજ તહાં સમાવા.19

હેતે કહે સૌ સુર જોડી હાથ, અહો દયાળુ પ્રભુ દીનનાથ;

સમગ્ર આ તેજ અહીં સમાવો, અનાદિ મૂર્તિ અમ દષ્ટિ આવો.20

પ્રહર્ષિણીવૃત્ત  :-

હે  સ્વામી  ભુવન  સમસ્ત  ભૂપભૂપ, આત્માના  પરમ  પવિત્ર  આત્મરૂપ;

તેજસ્વી  અમિત  તમેજ  સર્વદા  છો, માયાના  તિમિરથી  તો  તમે  જુદા  છો.21

ચિત્તેથી  મુનિજન  ચાય  ચાય  ચાય, સ્નેહેથી  શ્રુતિગુણ  ગાય  ગાય  ગાય;

ભકિતથી  ભવભય  જાય  જાય  જાય, દ્રષ્ટીથી  દુઃખ  દુર  થાય  થાય  થાય.22

જો  જયોતિ  પ્રકટિત  એક  રોમકેરી, તો  માયા  પુરુષ  શકે  ન  તેજ  હેરી;

જે  મૂર્તિ  નિજઉર  અક્ષરે  સ્મરે  છે, સાક્ષીત્વે  સકળ  સચેતમાં  ઠરે  છે.23

આ જયોતિ ઉદધિ વિષે અનેક અંડ, બૂડેલાં  જળગત  જાણીયે  અખંડ;

તે  વિશ્વાંતર  ગત  આ  સહુ  અમેજ, ભાસે  છે  અકળિત  તેજ  તેજ  તેજ.24

ના  દિસે  અવયવ  ભિન્ન  જે  અમારા, ના  દિસે  દિનમણિ  સોમ  ભોમ  તારા;

ના  દિસે  અવનિ  મહાબ્ધિ  મેરુ  એ  જ, ભાસે  છે  અકળિત  તેજ  તેજ  તેજ.25

જો  નેત્રે  પટ  ધરીયે  કદાપિ  કાળે, તો સ્વાત્મા હૃદગત  એ જ તેજ ભાળે;

ભ્રાંતિમાં  પડી  અમને  ન  સૂજ  કાંઇ, ભાસે  છે  શરણ  તમારું  સુખદાઇ.26

આ  જયોતિ  અકળિત  પેખીને  અપાર, ભૂલ્યા  સૌ  સુર  નર  સુજીયો  ન  સાર;

શી  રીતે  સ્તુતિ કરીયે  અમે  તમારી ? ના  પોંચે  મતિ  ગતિ  એ  વિષે  અમારી.27

હે  દેવા  નિજજન  દીન  દાસ  જાણી, આ ટાણે અધિક દયા દયાળુ આણી;

આ જયોતિ સકળ તમો વિષે સમાવો, જે  મૂર્તિ  અજર  અનાદિ  તે  બતાવો.28

ઈદ્રવંશા :-

સર્વે સુરોયે સ્તુતિ એવી જયાં કરી, મુકતેશ્વરે તે સ્તુતિ ચિત્તમાં ધરી;

તે તેજ સર્વે તનમાં સમાવિયું, સૌ દષ્ટિ સાકાર સ્વરૂપ આવિયું.29

જે દેવિયો દેવ મુનિ મળ્યાં તહીં, તે સર્વને ગોચર તે થયા સહી;

કેવું દીઠું રૂપ મહાપ્રભુતણું, ભાવે સુણો તે તમ આગળે ભણું.30

ગોલોકનામે સુપ્રસિદ્ધ ધામ છે, જેનું વળી અક્ષરધામ નામ છે;

જે રૂપ સાક્ષાત સદૈવ ત્યાં રહે, મૂર્તિ અનાદિ શ્રૃતિ શાસ્ત્ર સૌ કહે.31

બે છે ભુજા ને ધરી બંસિ હાથમાં, રાધા બિરાજે સજી રૂપ સાથમાં;

સર્વે સુરોએ પ્રભુ એમ દેખીયા, ભાવે અનન્યે નિજ ઇષ્ટ લેખીયા.32

વૃંદાવને જે વરદાન આપીયું, જયારે શ્રીધર્મે હરિનામ જાપીયું;

તે દંપતીયે દિલ એમ ધારીયું, તે રૂપ છે આજ અહિં પધારીયું.33

છે આપ એ અક્ષરધામના પતિ, કીધી તથાપિ કરુણા અહો અતિ;

જે પુત્રભાવે અમને જણાય છે, સર્વોપરી ઇશ્વર તે ગણાય છે.34

સર્વે સુરોને મન એમ ભાવિયા, આ તો સ્વયં અક્ષરનાથ આવિયા;

શ્રીધર્મ ભકિત મુનિયો સમેતને, તે પાળશે પૂરણ રાખી હેતને.35

એવું વિચારી સ્તુતિ દેવ ઉચ્ચરી, બે હાથ જોડી બહુ નમ્રતા ધરી;

હે  રાજરાજેશ્વર  ભકતરંજન,  શ્રીરાધિકાનાથ  નમો  નિરંજન.36

પ્રમાણિકાવૃત્ત :-

નમો  નમો  નિરંજનં,  સુરારિગર્વગંજનમ્;

નમોઽસ્તુ ભકતવલ્લભં, દિનેશ શેષદુર્લભમ્.37

નમોઽસ્તુ  આદિકારણં,  અનંતઅંડધારણમ્;

નમોનમો  પરાત્પરં,  મુનીશ  મંગલંકરમ્.38

અધર્મવંશનાશનં,    સુધર્મતાપ્રકાશનમ્;

વિદારવા  સુરારિને,  નિમિત્ત  એ  જ  ધારિને.39

ધર્યો  મનુષ્ય  દેહ  છે,  સુધન્ય  ધર્મ  ગેહ  છે;

નમોઽસ્તુ પુત્ર ભકિતના, સુસેવ્ય સર્વ શકિતના.40

અનાદિ આપ એક છો, વિશેષણે અનેક છો;

તમારી દષ્ટિ થાય છે, સુસૃષ્ટિ આ સૃજાય છે.41

સ્વયંભુ  વિષ્ણુ  શંકરે,  તમો  થકી  તનૂ  ધરે;

નિદેશને  અનુસરે,  સૃજે  સ્થિતિ  પ્રલે  કરે.42

તમેજ  સર્વશીશ  છો,  તમેજ  ઈશઇશ  છો;

સુભકત કષ્ટ કાપવા, અનેક સૌખ્ય આપવા.43

દિલે  ઘણી  ધરી  દયા,  અમારી  દષ્ટિયે  થયા;

નમામિ  સંતપાલકં,  ભજામિ  ભકિતબાલકમ્.44

ઉપજાતિ :-

જે નીર પૂર્વે નરમાંથી થાય, તેથીજ તે નાર કવીન્દ્ર ગાય;

આધાર બ્રહ્માંડ ધરે અનેક, તે નારનો છે સમુદાય એક.45

તેમાં સુવો છો કરીને વિરામ, વેદોકત નારાયણ આપ નામ;

તે તો તમારું શુચિ એક અંગ, પ્રત્યક્ષ દીઠા પ્રભુ આ પ્રસંગ.46

શાર્દૂલવિક્રીડિત :

જો  સ્વામી  જગમધ્ય  જન્મ  ધરીને  લીલા  નવી  ના  કરો,

આપીને  સહવાસ  વાસ  જનને  અજ્ઞાનતા  ના  હરો;

શું  જાણે  જન  વિશ્વનો  અધિપતિ  છે  કોણ  ને  કયાં  હશે,

કીધાથી  અનુમાન  થાય  ભ્રમણા  સૂજે  ન  એકે  દિશે.47

ઉપજાતિવૃત્ત :-

છે કોઇ કર્તા જગનો સદાય, વિચિત્ર સૃષ્ટિ થકી સિદ્ધ થાય;

ધટાદિ પાત્રો નજરે જ જોઇ, જણાય કરનાર કુંભાર કોઇ.48

તથાપિ જેઓ ભ્રમમાં પડે છે, તે તો જનો પંથ જુદે ચડે છે;

કર્તારકેરો  નિરધાર  તેને,  થતો  નથી  નાસ્તિક  બુદ્ધિ  જેને.49

ચરિત્ર જે જન્મ ધરી કરો છો, તેથી તમે સત્ય દિલે ઠરો છો;

સુણે સુણાવે જન તે ચરિત્ર, પામે મહા મોક્ષ થઇ પવિત્ર.50

ચરિત્રમાં નોય પ્રતીતિ જેને, કશો નહી નિશ્ચય થાય તેને;

છે કોણ કર્તા બની કેમ સૃષ્ટિ, જાણી શકે શું જન ચર્મદષ્ટિ.51

જયોતિસ્વરૂપે પ્રભુ કોઇ જાણે, સ્વાભાવિકી સૃષ્ટિ બીજા વખાણે;

કે કાળથી કર્મથી કોઇ ગાય, નિશ્ચે વિના નાસ્તિક કોઇ થાય.52

તે પાપ તેનાં કદીયે ન જાય, ભવાબ્ધિમાં તે ભટકે સદાય;

માટે પ્રભુજી અવતાર લ્યો છો, સાચું તમે જ્ઞાન તમારું દ્યો છો.53

એવા તમે દેવ દિસો દયાળ, વિશ્વેશ વિશ્વાત્મક વિશ્વપાળ;

નમો નમો મંગળ મોદકારી, નમો નમો ધાર્મિક દેહધારી.54

સ્તુતિ કરી એમ કરી પ્રમાણ, ઠરી રહ્યા સૌ સુર એ જ ઠામ;

શ્રીધર્મ ભકિત હરિરૂપ ભાળી, સ્તુતિ કરે છે  તનતાપ ટાળી.55

પુષ્પિતાગ્રા :-

જનનિ જનક જુગ્મ જોડી પાણિ, વદિ વદિ મિષ્ટ વિવેકજુકત વાણી;

સ્તુતિ કરી હરિકેરી પૂર્ણ પ્રીતે, સુણ નૃપ તેહ કહીશ રૂડી રીતે.56

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશેઅચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિઆવિર્ભાવસમયેબ્રહ્માદિદેવકૃતસ્તુતિવર્ણનનામા દ્વિતીયો વિશ્રામઃ ।।2।।