બાલચરિત્રનામ દ્વિતીયકલશ-પ્રારંભઃ
શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-
વંદૂ શ્રીહરિકૃષ્ણ ધર્મસદને જૈ જન્મ જેણે ધર્યો,
કૃત્યાનો વળી કાળિદત્ત ખળનો જેણે પરાજય કર્યો;
કીધાં બાલચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ,
માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ.
દોહા :-
હરિલીલામૃતનો હવે, બીજો કળશ રસાળ;
કહું સુણો શ્રોતા સહુ, કહે વિહારીલાલ.2
કહે અચિંત્યાનંદને, અભયસિંહ ભૂપાળ;
કથા સુણાવો શુભ મને, કરુણા કરી કૃપાળ.3
ધર્મ ભકિત ને શ્રીહરિ, દેહ ધર્યા જે દેશ;
બાળલીલા બહુનામીની, વરણન કરો વિશેષ.4
ભાવ ભાળી ભૂપાળનો, ઉચર્યા વરણીરાજ;
સુણવા ઇચ્છો શુભ કથા, ધન્ય ભકત શિરતાજ.5
હરિચરિત્ર સુણવા તમે, ચિત્ત ધરો છો ચાહ;
તો તે કહેવા છે મને, અંતરમાં ઉત્સાહ.6
બીજા ગ્રંરથોમાં બહુ, છે જેનો વિસ્તાર;
વિશેષ વર્ણન તેહનું, નહીં કહું આ ઠાર.7
અધિકપણે હું આજ તો, ઉચરીશ અપૂર્વ વાત;
વૃદ્ધ જનોના વદનથી, સુણેલી જે સાક્ષાત.8
જે જે સ્થાને જનમીયા, ધર્મ ભકિત મહારાજ;
કહું કથા હું તે વિષે, વિશેષ કહેવા કાજ.
વર્ણિરાજનાં વચન સુણી, સુરસિક સુધા સમાન;9
ભાવિક ભૂપતિ ભકતનું, ચિત્ત થયું ગુલતાન.
જેમ લોભીને ધન જડે, જડે અંધને નેણ;10
તેમ કથામૃત પ્રાપ્તિ તે, દિલ લાગી સુખદેણ.
છીપ સ્વાતિ જળ ઝીલવા, ઉંચી ઉછળે જેમ;11
ઉછળે લોહ ચમકભણી, થયું ભૂપ મન તેમ.
શંકર સમ વર્ણીય છે, ભગીરથ સમ નરનાહ;12
વચ્ચે કથાગંગા તણો, પ્રગટ્યો પુનિત પ્રવાહ.
પાવન કૃષ્ણચરિત્ર જળ, ધર્મ જ્ઞાનતટ જાણ;13
ભેદ ભકિત વૈરાગ્યના, તરંગ પ્રૌઢ પ્રમાણ.
આખ્યાનો હરિભકતનાં, તે લઘુ ગુરુ જળ જંત;14
કમળ નામ હરિજન તણાં, હંસરૂપ ત્યાં સંત.
ખળ ધીવર આખ્યાનના, જે વેરી વિકરાળ;
ખંડન કરવા નાંખશે, કુતર્કરૂપી જાળ.15
લઘુ સંશય તટનાં તરુ, ગુરુ સંશય ગિરિ જેહ;
પ્રવાહ સરિત કથા તણો, તોડે તતક્ષણ તેહ.16
સત્સંગીજીવન ભલો, સાગર ગ્રંથ ગણાય;
સરિતાઓ હરિચરિતની, તેમાં સર્વ સમાય.17
પાવન કરવા પતિતને, કરવા કુળ ઉદ્ધાર;
પામ્યા ગણોદના પતિ, ચરિત્ર સરિતા સાર.18
ઉપજાતિવૃત્ત :-
કહે અચિંત્યાખ્ય સુબ્રહ્મચારી, સુણો ધરાધીશ્વર કર્ણ ધારી;19
શ્રીજી તણાં જન્મચરિત્ર જેહ, સ્નેહે કહુ હું તમપાસ તેહ.
કહું રુડો કૌશળ દેશ જેહ, તેમાં વળી ઉત્તરભાગ એહ;
અતિ ભલું એક ઇટાર ગામ, પ્રખ્યાતિ પામ્યું ધરી ધર્મધામ.20
જયાં વર્ણ ચારે સુખમાં વસે છે, લક્ષ્મી તણી ત્યાં લહરી લસે છે;
વિદ્વાન વિપ્રો બહુ ત્યાં નિવાસી, જાણે વસી આવી અહિં જ કાશી.21
સર્યૂતણે ઉત્તરને કિનારે, છે ગામ તે શોભિત ભવ્ય ભારે;
સાવર્ણિ ગોત્રી દ્વિજ વેદ સામ, શાખા કહું કૌથુમિ જેનું નામ.22
ત્યાં વિપ્ર છે સર્વરીયા સુજાણ, ત્રણે રુડાં છે પ્રવરો પ્રમાણ;
તે એક તો ભાર્ગવ નામ ભવ્ય, બીજાંય સાવેતસ વૈતહવ્ય.23
હતા રુડા લક્ષ્મણશર્મા જેહ, તેના સુબંસીધર પુત્ર તેહ;
તેના થયા નંદન વેદમાન, તેના થયા આત્મજ કહ્નિયાન.24
વસ્યા હતા તે મિહદાવ ગામ, રાજા તહાંનો સુરનેત્ર નામ;
તે ભૂપની વંશ પરંપરાથી, મનાય તે પૂજય સદા પૂજયાથી.25
છે તેની પાંડે અવટંક ખાસી, તે વિપ્ર રાધાવરના ઉપાસી;
ભણે સદા શાસ્ત્ર શ્રૃતિ પુરાણ, સુયજ્ઞ યાગાદિકમાં સુજાણ.26
સુશીલ તેના સુત બાલશર્મા, શ્રીકૃષ્ણના સેવક શુદ્ધકર્મા;
તે વેદ ને શાસ્ત્ર વિષે પ્રવીણ, સુધર્મ ભકિત ગુણથી ન હીણ.27
બ્રહ્મા તણા તે દ્વિજ અંશ આપ, જીભે જપે શ્રીહરિ મંત્ર જાપ;
પવિત્ર આત્મા અતિ પુણ્યશાળી, શિષ્યો તણાં પાપ મુકે પ્રજાળી.28
પાળે સદાચાર વિચાર રાખે, અસત્ય ભાષા કદીયે ન ભાખે;
સદૈવ યજ્ઞાદિક કાર્યકારી, સર્વે વખાણે જનબુદ્ધિ સારી.29
વિદ્યા દયા શાંતિ સુશીલ લાજ, શ્રદ્ધાદિ સૌ સદ્ગુણનો સમાજ;
જેને વિષે છે જન એમ જાણે, વળી વિશેષે વિબુધો વખાણે.30
સુરત્ન રત્નાકરમાં વસે છે, દિનેશ માં દીપ્તિ સદા દિસે છે;
કારીગરીનો નિધિ વિશ્વકર્મા, સત્કર્મનો સાગર બાળશર્મા.31
ભાર્યા ભલી ભાગ્યવતી સુનામ, તે દંપતિ વાસ ઈટાર ગામ;
ત્યાં દેવશર્મા પ્રસવ્યો સુપુત્ર, જે ધર્મનો છે અવતાર અત્ર.32
શ્રી વિક્રમાદિત્યનું વર્ષ જાણો, શાસ્ત્રાંકવારેન્દુ ગણી પ્રમાણો;
પ્રબોધનીને દિન જન્મ પામ્યા, ઉત્સાહ જેથી જનમધ્ય જામ્યા.33
તોટકવૃત્ત :-
અવતાર થયો પછી ભકિત તણો, જનને મન મોદ વધ્યો જ ઘણો;34
વળી તે તણી વાત વિશેષ સહી, તમ પાસ ઉચ્ચારીશ તેહ અહીં.
સરવાર વિષે છપિયા પુર છે, દશ કોશ અવધ્ય થકી દૂર છે;
સરજુ થકી ઉત્તમ શુદ્ધ દિશે, દ્વિજ આદિ વસે જન એહ વિષે.35
ઉપજાતિવૃત્ત :-
ત્યાં કૃષ્ણશર્મા દ્વિજ છે સુજાણ, ભવાનિ તેની વનિતા પ્રમાણ;36
પવિત્ર છે શાંડિલ ગોત્ર તેનું, છે સામવેદી કુળ શુદ્ધ જેનું.
અઠાણુની કાર્તિક પૂર્ણમાસી, તેની સુતા થૈ શુભ રૂપરાશી;
સંધ્યાસમે તે શુભ જન્મ ધારી, મોટી થઇ વર્ષ જતાં કુમારી.37
જે કૃષ્ણશર્માની સુતા સુ એવી, ભલી કહે સૌ જન ભકિતદેવી;
તે સાથ ધર્મે સુવિવાહ કીધો, પ્રાચીન સંબંધ વિચારી લીધો.38
માગી લીધો તે તક ભકિતતાતે, વસ્યા છપૈયે વૃષદેવ જાતે;
જયારે વિત્યો તે પછી કાંઇ કાળ, તે પ્રમદાયે પ્રસવ્યો સુબાળ.39
જન્મ્યા સુસંકર્ષણ ધર્મધામ, રુડું ધર્યું રામપ્રાતપ નામ;
વળી વિત્યાં કાંઈક વર્ષ જયારે, જન્મ્યા ઘનશ્યામ જનેશ ત્યારે.40
વિસ્તાર તેનો ઉચરું વખાણી, સત્સંગનું જીવન એ જ જાણી;
જયારે થયો જન્મ મહાપ્રભુનો, ત્યારે મહામોદ વધ્યો સહુનો.41
વસંતતિલકાવૃત્ત :-
વેદો વદે સુપુરુષોત્તમ નામ જેનું, ઠેકાણું નિત્ય વળી અક્ષરધામ એનું;42
સાકાર સત્ય શુભ સચ્ચિદહર્ષરૂપ,બ્રહ્માદિ કોટિ ભુવનેશ્વર ભૂપભૂપ.
રથોદ્ધતાવૃત્ત :-
જે સદા ત્રિગુણીથી જુદા રહે, નિર્વિકારી નિગમાગમો કહે;43
બ્રહ્મા વિષ્ણુ શિવ આગન્યા ધરે, ઉદ્ભવ સ્થિતિ તથા પ્રલે કરે.
દિવ્યમૂર્તિ પ્રભુ દેવદેવ છે, જે અનંત અભવી અભેવ છે;
વિશ્વકોટિ વપુમાં વળી ધરે, ઇશતા કળી શકે ન અક્ષરે.44
જે થકી ચતુર વ્યૂહ થાય છે, વાસુદેવ વિગેરે ગણાય છે;
કેશવાદિ મૂરતિ વળી કહી, ચોવિશે સરસ થાય છે સહી.45
સૂકરાદિ અવતાર જે વિભૂ, તે બધાયતણું કારણ પ્રભુ;
શ્રીનરોત્તમ પ્રમુખ નામ છે, ધ્યેય અક્ષર સુ તેનું ધામ છે.46
જે ક્ષરાક્ષર થકી જુદા સદા, છે સ્વતંત્ર પરતંત્ર ના કદા;
શ્રીસહસ્ત્રશીરષા લખાય છે, તે વિરાટ પણ તેથી થાય છે.47
સિદ્ધિ આઠ અણિમાદિ જેહ છે, દિવ્યરૂપ પદદાસી તેહ છે;
ષડ્ભગાદિ પણ સેવના કરે, કાળ જેની દ્રગ દષ્ટિથી ડરે.48
જેહનો હુકમ માનિને સદા, મારતંડ નભમાં તપે મુદા;
વાયુદેવ વિચરે ચરાચરે, પૃથ્વી પાણી ઉપરે તથા તરે.49
ચોવિશે ત્રિગુણ તત્ત્વ નામ છે, સેવનાર પદ સર્વ જામ છે;
કોટિ ઇશ્વર અસંખ્ય શકિતઓ, તે કરે નવ પ્રકાર ભકિતઓ.50
મૂર્તિમાન શ્રૃતિ કીર્તિ ગાય છે, મુકતકોટિ મનમાં ચહાય છે;
શેષનાગ વદનો હજારથી, કીર્તિ ગાય પરિપૂર્ણ પ્યારથી.51
ચિત્ત વાચથી અગોચરા રહે, જે પરાત્પર કવીશ્વરો કહે;
અંતરસ્થ સઉ જીવમાત્રના, સર્વદા સુખદ તો સુપાત્રના.52
ભૂમિના કણ કદી ગણિ લહે, આભના ઉડુગણો ગણિ કહે;
તોય કૃષ્ણ અવતાર તે ગણી, શું શકે જ મતિ હોય જો ઘણી.53
એમ થાય અવતાર જે ઘણા, અક્ષરેશ અવતારી તે તણા;
સર્વકારણ તણા જ કારણ, આદિકૃષ્ણ શુભનામ ધારણ.54
અંડઅંડ અધીશો અનેક છે, સર્વ ઇશઅધિનાથ એક છે;
તે કૃપાળુ કળિમાર્ગ કાપવા, આવિયા સ્વજન સૌખ્ય આપવા.55
ધર્મ ભકિત મુનિમુકત મંડળી, ઉદ્ધવાદિ લઈ આવિયા વળી;
જયાં પ્રવેશ વૃષને રુદે કર્યો, તેજપુંજ તન તેહને ઠર્યો.56
પ્રેમયુકત વૃષ દષ્ટિ જયાં કરી, ગર્ભ પ્રેમવતિયે લીધો ધરી;
જે જનોની ભવભીતિ ભંજન, પ્રેમીભકત તણું પાપગંજન.57
સચ્ચિદાદિ ગુણ જુકત જેહ છે, મુકતદેવ મુનિ સ્તુત્ય તેહ છે;
ભૂમિભાર હરનાર જે હરિ, ભકિતયે ઉદરમાં લીધા ધરી.58
રૂપ રંગ અતિ અંગઅંગમાં, ઓપિયું સખિજનો પ્રસંગમાં;
જેમ દીપમણિ કાચપાત્રમાં, તેજપુંજ પ્રસરાય રાત્રમાં.60
જેમ હેમગિરિ શ્રેષ્ઠ સૌ ગણે, તે સમાય પ્રતિબિંબ દર્પણે;
કોટિ અંડ પ્રતિરોમમાં ઠસે, તે જનિત્રિ જઠરે જુઓ વસે.61
ધન્ય ધન્ય અતિ ધર્મનારીને, રાખી લીધ ઉદરે મુરારીને;
સાધના કરી સમાધિ જો કરે, તોય મૂર્તિ મનમાં નહીં ઠરે.62
જયાં સુગર્ભ નવ માસનો થયો, તેજપુંજ તનનો વધી ગયો;
ભાળી ભકિતતન ભાળવા રહે, છે અદિતિ સતિ તુલ્ય સૌ કહે.63
ઉપજાતિ :-
સ્વરૂપવાળી નહિ અન્ય એવી, આશ્ચર્ય પામે દિવવાસી દેવી;
શું રૂપ રૂડું કહું કૌશલાનું, શુ રૂપ શ્રીદેવકની સુતાનું. 64
નિહાળીને રૂપતણું નિધાન, કોઈ કહે દેવહુતિ સમાન;
પ્રભા પ્રભાનાથ વિલોકવાને, ટકે વિશેષે દિનમાન બાને. 65
થશે પ્રભુ પ્રાદુરભાવ જાણી, અર્ચુ જઇ એમ ઉમંગ આણી;
પુષ્પાદિ સામગ્રી સમસ્ત લૈને, વસંત આવ્યો શુભ સજ્જ થૈને.66
પુષ્પિતાગ્રાવૃત્ત :-
વસુમતિપર વિસ્તર્યો વસંત, અવસર એહ સુઓપિઓ અનંત;
વિગતિ સહિત વર્ણવું વખાણી, જગપતિ જન્મ સમો પવિત્ર જાણી.67
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે ધર્મભકિત વિષેશ્રી હરિઆવિર્ભાવકથનામા પ્રથમો વિશ્રામઃ ।।1।।