બાલચરિત્રનામ દ્વિતીયકલશ-પ્રારંભઃ

 

શાર્દૂલવિક્રીડિતવૃત્ત :-

વંદૂ  શ્રીહરિકૃષ્ણ  ધર્મસદને  જૈ  જન્મ  જેણે  ધર્યો,

કૃત્યાનો વળી  કાળિદત્ત ખળનો જેણે પરાજય કર્યો;

કીધાં બાલચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ,

માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ.

દોહા :-

હરિલીલામૃતનો   હવે,  બીજો    કળશ    રસાળ;

કહું   સુણો   શ્રોતા   સહુ,   કહે   વિહારીલાલ.2

કહે  અચિંત્યાનંદને,  અભયસિંહ  ભૂપાળ;

કથા  સુણાવો  શુભ  મને,  કરુણા  કરી  કૃપાળ.3

ધર્મ  ભકિત  ને  શ્રીહરિ,    દેહ  ધર્યા  જે  દેશ;

બાળલીલા  બહુનામીની,  વરણન  કરો  વિશેષ.4

ભાવ  ભાળી  ભૂપાળનો,  ઉચર્યા  વરણીરાજ;

સુણવા ઇચ્છો શુભ કથા, ધન્ય ભકત શિરતાજ.5

હરિચરિત્ર  સુણવા  તમે,  ચિત્ત  ધરો  છો  ચાહ;

તો  તે  કહેવા  છે  મને,  અંતરમાં  ઉત્સાહ.6

બીજા  ગ્રંરથોમાં  બહુ,  છે  જેનો  વિસ્તાર;

વિશેષ  વર્ણન  તેહનું,  નહીં  કહું  આ  ઠાર.7

અધિકપણે  હું  આજ  તો,  ઉચરીશ  અપૂર્વ  વાત;

વૃદ્ધ  જનોના  વદનથી,  સુણેલી  જે  સાક્ષાત.8

જે  જે  સ્થાને  જનમીયા,  ધર્મ  ભકિત  મહારાજ;

કહું  કથા  હું  તે  વિષે,  વિશેષ  કહેવા  કાજ.

વર્ણિરાજનાં વચન સુણી, સુરસિક સુધા સમાન;9

ભાવિક  ભૂપતિ  ભકતનું,  ચિત્ત  થયું  ગુલતાન.

જેમ  લોભીને  ધન  જડે,  જડે  અંધને  નેણ;10

તેમ  કથામૃત  પ્રાપ્તિ  તે,  દિલ  લાગી  સુખદેણ.

છીપ  સ્વાતિ  જળ  ઝીલવા,  ઉંચી  ઉછળે  જેમ;11

ઉછળે  લોહ  ચમકભણી,  થયું  ભૂપ  મન  તેમ.

શંકર  સમ  વર્ણીય  છે,  ભગીરથ  સમ  નરનાહ;12

વચ્ચે  કથાગંગા  તણો,  પ્રગટ્યો    પુનિત  પ્રવાહ.

પાવન  કૃષ્ણચરિત્ર  જળ,  ધર્મ  જ્ઞાનતટ  જાણ;13

ભેદ  ભકિત  વૈરાગ્યના,  તરંગ  પ્રૌઢ  પ્રમાણ.

આખ્યાનો હરિભકતનાં, તે લઘુ ગુરુ જળ જંત;14

કમળ  નામ  હરિજન  તણાં,  હંસરૂપ  ત્યાં  સંત.

ખળ ધીવર  આખ્યાનના,  જે  વેરી  વિકરાળ;

ખંડન   કરવા   નાંખશે,   કુતર્કરૂપી   જાળ.15

લઘુ  સંશય  તટનાં  તરુ,  ગુરુ  સંશય  ગિરિ  જેહ;

પ્રવાહ  સરિત  કથા  તણો,  તોડે  તતક્ષણ  તેહ.16

સત્સંગીજીવન  ભલો,  સાગર  ગ્રંથ  ગણાય;

સરિતાઓ  હરિચરિતની,  તેમાં  સર્વ  સમાય.17

પાવન  કરવા  પતિતને,  કરવા  કુળ  ઉદ્ધાર;

પામ્યા  ગણોદના  પતિ,  ચરિત્ર  સરિતા  સાર.18

ઉપજાતિવૃત્ત :-

કહે અચિંત્યાખ્ય સુબ્રહ્મચારી, સુણો ધરાધીશ્વર કર્ણ ધારી;19

શ્રીજી તણાં જન્મચરિત્ર જેહ, સ્નેહે કહુ હું તમપાસ તેહ.

કહું  રુડો  કૌશળ  દેશ  જેહ,  તેમાં  વળી  ઉત્તરભાગ  એહ;

અતિ ભલું એક ઇટાર ગામ, પ્રખ્યાતિ પામ્યું ધરી ધર્મધામ.20

જયાં વર્ણ ચારે સુખમાં વસે છે, લક્ષ્મી તણી ત્યાં લહરી લસે છે;

વિદ્વાન વિપ્રો બહુ ત્યાં નિવાસી, જાણે વસી આવી અહિં જ કાશી.21

સર્યૂતણે ઉત્તરને કિનારે, છે ગામ તે શોભિત ભવ્ય ભારે;

સાવર્ણિ ગોત્રી દ્વિજ વેદ સામ, શાખા કહું કૌથુમિ જેનું નામ.22

ત્યાં વિપ્ર છે સર્વરીયા સુજાણ, ત્રણે રુડાં છે પ્રવરો પ્રમાણ;

તે એક તો ભાર્ગવ નામ ભવ્ય, બીજાંય  સાવેતસ વૈતહવ્ય.23

હતા  રુડા  લક્ષ્મણશર્મા  જેહ,  તેના  સુબંસીધર  પુત્ર  તેહ;

તેના  થયા  નંદન  વેદમાન,  તેના  થયા  આત્મજ  કહ્નિયાન.24

વસ્યા હતા તે મિહદાવ ગામ, રાજા તહાંનો સુરનેત્ર નામ;

તે ભૂપની વંશ પરંપરાથી, મનાય તે પૂજય સદા પૂજયાથી.25

છે તેની પાંડે અવટંક ખાસી, તે વિપ્ર રાધાવરના ઉપાસી;

ભણે સદા શાસ્ત્ર શ્રૃતિ પુરાણ, સુયજ્ઞ યાગાદિકમાં સુજાણ.26

સુશીલ  તેના  સુત  બાલશર્મા,  શ્રીકૃષ્ણના  સેવક  શુદ્ધકર્મા;

તે વેદ ને શાસ્ત્ર વિષે પ્રવીણ, સુધર્મ ભકિત ગુણથી ન હીણ.27

બ્રહ્મા તણા તે દ્વિજ અંશ આપ, જીભે જપે શ્રીહરિ મંત્ર જાપ;

પવિત્ર આત્મા અતિ પુણ્યશાળી, શિષ્યો તણાં પાપ મુકે પ્રજાળી.28

પાળે સદાચાર વિચાર રાખે, અસત્ય ભાષા કદીયે ન ભાખે;

સદૈવ  યજ્ઞાદિક  કાર્યકારી,  સર્વે  વખાણે  જનબુદ્ધિ  સારી.29

વિદ્યા દયા શાંતિ સુશીલ લાજ, શ્રદ્ધાદિ સૌ સદ્ગુણનો સમાજ;

જેને વિષે છે જન એમ જાણે, વળી વિશેષે વિબુધો વખાણે.30

સુરત્ન રત્નાકરમાં વસે છે, દિનેશ માં દીપ્તિ સદા દિસે છે;

કારીગરીનો નિધિ વિશ્વકર્મા, સત્કર્મનો સાગર બાળશર્મા.31

ભાર્યા ભલી ભાગ્યવતી સુનામ, તે દંપતિ વાસ ઈટાર ગામ;

ત્યાં દેવશર્મા પ્રસવ્યો સુપુત્ર, જે ધર્મનો છે અવતાર અત્ર.32

શ્રી વિક્રમાદિત્યનું વર્ષ જાણો, શાસ્ત્રાંકવારેન્દુ ગણી પ્રમાણો;

પ્રબોધનીને દિન જન્મ પામ્યા, ઉત્સાહ જેથી જનમધ્ય જામ્યા.33

તોટકવૃત્ત :-

અવતાર થયો પછી ભકિત તણો, જનને મન મોદ વધ્યો જ ઘણો;34

વળી તે તણી વાત વિશેષ સહી, તમ પાસ ઉચ્ચારીશ તેહ અહીં.

સરવાર વિષે છપિયા પુર છે, દશ કોશ અવધ્ય થકી દૂર છે;

સરજુ થકી ઉત્તમ શુદ્ધ દિશે, દ્વિજ આદિ વસે જન એહ વિષે.35

ઉપજાતિવૃત્ત :-

ત્યાં કૃષ્ણશર્મા દ્વિજ છે સુજાણ, ભવાનિ તેની વનિતા પ્રમાણ;36

પવિત્ર છે શાંડિલ ગોત્ર તેનું, છે સામવેદી કુળ શુદ્ધ જેનું.

અઠાણુની કાર્તિક પૂર્ણમાસી, તેની સુતા થૈ શુભ રૂપરાશી;

સંધ્યાસમે તે શુભ જન્મ ધારી, મોટી થઇ વર્ષ જતાં કુમારી.37

જે કૃષ્ણશર્માની સુતા સુ એવી, ભલી કહે સૌ જન ભકિતદેવી;

તે સાથ ધર્મે સુવિવાહ કીધો, પ્રાચીન સંબંધ વિચારી લીધો.38

માગી લીધો તે તક ભકિતતાતે, વસ્યા છપૈયે વૃષદેવ જાતે;

જયારે વિત્યો તે પછી કાંઇ કાળ, તે પ્રમદાયે પ્રસવ્યો સુબાળ.39

જન્મ્યા  સુસંકર્ષણ  ધર્મધામ,  રુડું  ધર્યું  રામપ્રાતપ  નામ;

વળી વિત્યાં કાંઈક વર્ષ જયારે, જન્મ્યા ઘનશ્યામ જનેશ ત્યારે.40

વિસ્તાર તેનો ઉચરું વખાણી, સત્સંગનું જીવન એ જ જાણી;

જયારે થયો જન્મ મહાપ્રભુનો, ત્યારે મહામોદ વધ્યો સહુનો.41

વસંતતિલકાવૃત્ત :-

વેદો  વદે  સુપુરુષોત્તમ  નામ  જેનું, ઠેકાણું  નિત્ય  વળી  અક્ષરધામ  એનું;42

સાકાર  સત્ય  શુભ  સચ્ચિદહર્ષરૂપ,બ્રહ્માદિ  કોટિ  ભુવનેશ્વર  ભૂપભૂપ.

રથોદ્ધતાવૃત્ત :-

જે સદા ત્રિગુણીથી જુદા રહે, નિર્વિકારી નિગમાગમો કહે;43

બ્રહ્મા વિષ્ણુ શિવ આગન્યા ધરે, ઉદ્ભવ સ્થિતિ તથા પ્રલે કરે.

દિવ્યમૂર્તિ પ્રભુ દેવદેવ છે, જે અનંત અભવી અભેવ  છે;

વિશ્વકોટિ  વપુમાં  વળી  ધરે,  ઇશતા  કળી  શકે  ન  અક્ષરે.44

જે  થકી  ચતુર  વ્યૂહ  થાય  છે,  વાસુદેવ  વિગેરે  ગણાય  છે;

કેશવાદિ મૂરતિ વળી કહી, ચોવિશે સરસ થાય છે સહી.45

સૂકરાદિ  અવતાર  જે  વિભૂ,  તે  બધાયતણું  કારણ  પ્રભુ;

શ્રીનરોત્તમ પ્રમુખ નામ છે, ધ્યેય અક્ષર સુ તેનું ધામ છે.46

જે  ક્ષરાક્ષર  થકી  જુદા  સદા,  છે  સ્વતંત્ર  પરતંત્ર  ના  કદા;

શ્રીસહસ્ત્રશીરષા લખાય છે, તે વિરાટ પણ તેથી થાય છે.47

સિદ્ધિ આઠ અણિમાદિ જેહ છે, દિવ્યરૂપ પદદાસી તેહ છે;

ષડ્ભગાદિ  પણ  સેવના  કરે,  કાળ  જેની  દ્રગ  દષ્ટિથી  ડરે.48

જેહનો  હુકમ  માનિને  સદા,  મારતંડ  નભમાં  તપે  મુદા;

વાયુદેવ  વિચરે  ચરાચરે,  પૃથ્વી  પાણી  ઉપરે  તથા  તરે.49

ચોવિશે ત્રિગુણ તત્ત્વ નામ છે, સેવનાર પદ સર્વ જામ છે;

કોટિ ઇશ્વર અસંખ્ય શકિતઓ, તે કરે નવ પ્રકાર ભકિતઓ.50

મૂર્તિમાન શ્રૃતિ કીર્તિ ગાય છે, મુકતકોટિ મનમાં ચહાય છે;

શેષનાગ  વદનો  હજારથી,  કીર્તિ  ગાય  પરિપૂર્ણ  પ્યારથી.51

ચિત્ત  વાચથી  અગોચરા  રહે,  જે  પરાત્પર  કવીશ્વરો  કહે;

અંતરસ્થ  સઉ  જીવમાત્રના,  સર્વદા  સુખદ  તો  સુપાત્રના.52

ભૂમિના કણ કદી ગણિ લહે, આભના ઉડુગણો ગણિ કહે;

તોય કૃષ્ણ અવતાર તે ગણી, શું શકે જ મતિ હોય જો ઘણી.53

એમ થાય અવતાર જે ઘણા, અક્ષરેશ અવતારી તે તણા;

સર્વકારણ  તણા  જ  કારણ,  આદિકૃષ્ણ  શુભનામ  ધારણ.54

અંડઅંડ  અધીશો  અનેક  છે,  સર્વ  ઇશઅધિનાથ  એક  છે;

તે કૃપાળુ કળિમાર્ગ કાપવા, આવિયા સ્વજન સૌખ્ય આપવા.55

ધર્મ ભકિત મુનિમુકત મંડળી, ઉદ્ધવાદિ લઈ આવિયા વળી;

જયાં  પ્રવેશ  વૃષને  રુદે  કર્યો,  તેજપુંજ  તન  તેહને  ઠર્યો.56

પ્રેમયુકત વૃષ દષ્ટિ જયાં કરી, ગર્ભ પ્રેમવતિયે લીધો ધરી;

જે જનોની ભવભીતિ ભંજન, પ્રેમીભકત તણું પાપગંજન.57

સચ્ચિદાદિ ગુણ જુકત જેહ છે, મુકતદેવ મુનિ સ્તુત્ય તેહ છે;

ભૂમિભાર હરનાર જે હરિ, ભકિતયે ઉદરમાં લીધા ધરી.58

રૂપ રંગ અતિ અંગઅંગમાં, ઓપિયું સખિજનો પ્રસંગમાં;

જેમ  દીપમણિ  કાચપાત્રમાં,  તેજપુંજ  પ્રસરાય  રાત્રમાં.60

જેમ હેમગિરિ શ્રેષ્ઠ સૌ ગણે, તે સમાય પ્રતિબિંબ દર્પણે;

કોટિ  અંડ  પ્રતિરોમમાં  ઠસે,  તે  જનિત્રિ  જઠરે  જુઓ  વસે.61

ધન્ય  ધન્ય  અતિ  ધર્મનારીને,  રાખી  લીધ  ઉદરે  મુરારીને;

સાધના કરી સમાધિ જો કરે, તોય મૂર્તિ મનમાં નહીં ઠરે.62

જયાં સુગર્ભ નવ માસનો થયો, તેજપુંજ તનનો વધી ગયો;

ભાળી ભકિતતન ભાળવા રહે, છે અદિતિ સતિ તુલ્ય સૌ કહે.63

ઉપજાતિ :-

સ્વરૂપવાળી નહિ અન્ય એવી, આશ્ચર્ય પામે દિવવાસી દેવી;

શું  રૂપ  રૂડું  કહું  કૌશલાનું,  શુ  રૂપ  શ્રીદેવકની  સુતાનું. 64

નિહાળીને  રૂપતણું  નિધાન,  કોઈ  કહે  દેવહુતિ  સમાન;

પ્રભા પ્રભાનાથ  વિલોકવાને, ટકે વિશેષે દિનમાન બાને. 65

થશે પ્રભુ પ્રાદુરભાવ જાણી, અર્ચુ જઇ એમ ઉમંગ આણી;

પુષ્પાદિ સામગ્રી સમસ્ત લૈને, વસંત આવ્યો શુભ સજ્જ થૈને.66

પુષ્પિતાગ્રાવૃત્ત :-

વસુમતિપર વિસ્તર્યો વસંત, અવસર એહ સુઓપિઓ અનંત;

વિગતિ સહિત વર્ણવું વખાણી, જગપતિ જન્મ સમો પવિત્ર જાણી.67

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે ધર્મભકિત વિષેશ્રી હરિઆવિર્ભાવકથનામા પ્રથમો વિશ્રામઃ ।।1।।