ઉપજાતિ:-

સંગ્રામજી  ગોંડળ રાજયકાર, તેના થયા શ્રીપથુભા કુમાર;

રાણી હતી તે સરગે સિધાવી, કહ્યું પ્રધાને નૃપ પાસ આવી. 1

રાજા  તણી નીતિ રુડા કવિયે,  રચેલી છે  જે જસુ રામજીયે;

અષ્ટાંગ તો રાજય તણાં ગણાવ્યાં, ન હોય તો ખંડિત તે જણાવ્યાં. 2

રાજા  તથા રાણી તથા કુમાર, પ્રધાન  સેના વસતી સુમાર;

વજીર શાણો સુકવિપ્રસંગ, આઠે કહ્યાં રાજય  તણાં સુઅંગ. 3

રાણી વિના રાજય રુડું ન દિસે, શું આપ આગે ઉચરું અતીશે;

માટે વરો ઉત્તમ એક રાણી, જે રાજની નીતિ સુજાણ શાણી. 4

ઝાલા મીણાપુર તણા  પતિ છે, સુનામ  જેનું સુરતાનજી છે;

છે મોંઘિબા નામ ભલી  કુમારી, પવિત્ર ગંગાજળ તુલ્ય સારી. 5

તે સાથ ભૂપે પછી લગ્ન કીધું, સુમંત્રીનું વાયક માની લીધું;

રુડા ચુડા ગામ તણા નિવાસી, અૌદીચ નાતે સુમતિ પ્રકાશી. 6

વૈતાલીય:-

હરજીવન નામ જે હતા, અતિશાણા ધરમિષ્ઠ તે છતા;

પટરાણીની સાથ આવિયા,  નૃપ સંગ્રામ  દિલે સુભાવિયા. 7

મતિમાન  વિશેષ  જાણીયા, નિજમંત્રી પછી તો પ્રમાણીયા;

હરિભકત થયા નરેશ તે,  મુનિ કેરો  સુણી ઊપદેશ  તે. 8

શિખરિણી :-

ગુણાતીતાનંદ   પ્રગટ  પ્રભુના પૂજક  સદા, નૃપે તેડાવીને હરિ તણી  સુવાર્તા સુણી મુદા;

ગુરૂ કીધા પોતે નિયમ ધરી કંઠી પણ ધરી, સુભાવેથી ભકિત પ્રગટ  પ્રભુ કેરી બહુ કરી. 9

થયા ચારે પુત્રો હરજીવનના  તે પણ  કહું, ભલા ભકતો સારા સમજણ્ય વળી ઉત્તમ બહુ;

વડા તો જેભાઈ અવર  સુત તો માધવજી છે,ત્રીજા  તો તેમાં છે નરસિંહ  તથા કેશવજી છે.10

થયાં ભકિતવાળાં કુશળ કુંવરી ધર્મપુરીમાં, થયાં મોંઘીબાઈ હરિજન  સુ તેવાં સ્વપુરમાં;

સુરાણી ને રાજા સચિવ શુભ સુદ્ધાં ત્રણ મળી, થયાં સત્સંગી તે સરસ  પયમાં સાકર ભળી. 11

ઘણે ફેરે તેડ્યા રઘુવીરજી આચારજ તહાં, જઇ પૂજા લીધી ભગવતપ્રસાદે પણ  જહાં;

શુકાનંદાદિને પણ  નિજપુરે આદર  દઇ, પૂજયા પ્રીતે રીતે સુગુણ નિજચિત્તે ધરી લઇ. 12

વિત્યાં વર્ષો કાંઇ કુંવર પથુભા સ્વર્ગજ ગયો, રુદેમાં રાજાને વિરહ દુઃખ અગ્નિ અતિ થયો;

તજયું ખાવું પીવું સુત વીણ ન જીવું મુખ કહે, નિસાસા નાખીને રુદન  કરી નેત્રે જળ વહે. 13

દવે હર્જીવને નૃપ મન વિષે શાંતિ જ  થવા, ગુણાતીતાનંદ પ્રમુખ મુનિ  તેડ્યા દુઃખ  જવા;

મુનિયે ત્યાં આવી સુરીત સમઝાવી બહુ કહ્યું, તથાપિ રાજાને હૃદય દુઃખ તો તેમજ રહ્યું. 14

જગત નાશવંત વિષે :- વૈતાલીય:-

નૃપ તેં દુઃખ તો બહુ સહ્યું, સુણ આ વાત ગુણાતીતે કહ્યું;

મરવું જનનો સ્વભાવ છે, જનમ્યો ત્યાંથી નક્કી ઠરાવ છે.15

અચળ સ્થિતિ તો ન  કોઈને,  કરવું શું અતિ રોઈ  રોઇને;

જગ આ જળનો પ્રવાહ છે, વહિ જાતો અતિશે અથાહ છે.16

બહુ રે બહુ કલ્પ થૈ ગયા, પણ કોઈ  નથી કોઈના થયા;

ન સગો સુત તુજ દેહનો, નહિ તું કાંઈ સપિંડ તેહનો. 17

ધરીને ધન જેમ હાથમાં, મુજનું છે કહી સર્વ સાથમાં;

પણ તે નહિ એમ  ધારવું, વિચરે સર્વ થળે વિચારવું. 18

જનનું તન માટીનો ઘડો, નથી તે કાળ અખંડ આપડો;

રજથી ઉપજયો જ મૂળમાં, વળી અંતે મળી જાય ધૂળમાં. 19

તન છે  જળ ઝાંઝવા તણું, સ્થિર તે તો ન રહે કદી ઘણું;

નહિ  મોહિત  થાવું જોઈને,  નહિ કલ્પાંત  કરો જ રોઈને. 20

જગ સ્વપ્ન સમાન જાણવું, ગણિ સાચું ઉરમાં ન આણવું;

ભવમાં પ્રભુ ભકિત સત્ય છે, સઘળી અન્ય ક્રિયા અસત્ય છે. 21

સ્વપને મળી રિદ્ધિ સિદ્ધિ તે, સ્વપનામાં પછી ખોઈ દીધી તે;

થઈ જાગ્રત જો કુટે રુવે, જન તેની વડી મૂર્ખતા જુવે. 22

ગત વિક્રમ  ભોજ  ભૂપતિ, ન  રહ્યો લંકપુરી   તણો  પતિ;

પૃથિવી પણ નાશ પામશે, શશી સૂર્યાદિ વિનાશ થૈ જશે. 23

ન રહે અજ  ઇન્દ્ર કોઇયે,  ન રહે જેહ વિરાટ જોઈયે;

બહુવાર થયા અને ગયા, સ્થિર તો કોઇ સદૈવ ના રહ્યા.24

હતી આયુષ  લક્ષ વર્ષની,  નહિ  સીમા મનના અમર્ષની;

પણ તે પળમાં વહિ ગયા, નવ જાણે જન કોઇ કયાં થયા. 25

પગ પર્વત ઠેલી  પાડતા, નભ  તારા નખથી ઉખાડતા;

કરી અંજળી સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ કયાં હતા. 26

જનની જનકાદિ જેહ  છે, તનના જન્મ  થકી જ  તેહ  છે;

તન તો અગણિત તેં ધર્યા, પણ તે સત્ય સપિંડ કયાં ઠર્યા. 27

ચતુરે ચિત્તમાં વિચારવું, સત તો આત્મસ્વરૂપ  ધારવું;

તન તત્ત્વ તણાં જ થાય છે, ઉપજે ને લય પામી જાય છે.28

જળબુદ્બુદ જેમ  ઊપજે, ક્ષણમાં આકૃતિ  તેહ   તો તજે;

તન તેમ જ થાય જાય છે, મન મિથ્યા સુત તે મનાય છે.29

રજ નીર પ્રવાહને વડે, મળી જામે વળી તે જુદી પડે;

સુત ને જનકાદિ તે રીતે, મળી જામે વળી જોગ  તે વિતે. 30

જગમાં જન ભૂમિ ઊપરે, પળમાં તો બહુ ઊપજે મરે;

તવિ  ઉપર  ધાણિ  ફૂટતી,  બહુ દિસે તનુ તેમ  છૂટતી. 31

ફુલવાડી વિષે જણાય  છે,  ફૂલડાં નિત્ય  નવાં ફુલાય છે;

કળિયો ખિલીને ખરી પડે, પછી તે તો નહિં દષ્ટિયે ચડે. 32

નભ ઇન્દ્રધનુષ  દેખીયે,  પળ વીત્યા પછી તે ન  પેખીયે;

વળી વાદળ કેરિ છાંયડી, પળમાં જાય ટકે નહીં ઘડી. 33

નિજનું તન એવું જોઇને, શિદ રોવું પછી અન્ય  કોઈને;

વર  પાછળ જેમ જાન છે, નિજ કાયા પછી સૌ નિદાન છે.34

જન ઉદ્ભવ નાશ થાય છે, રુચિ જેવી પ્રભુની જણાય છે;

પ્રભુની રુચિમાં ખુશી થવું,  પ્રભુ સામું નહિ વેર બાંધવું. 35

ફલ કર્મનું આપશે હરિ, નહિ ઓછું અદકું કરે જરી;

જન જો મઠને જ વાવશે, શુભ ચોખા પછી કયાંથી ચાવશે. 36

તન ઉદ્ભવ પૂર્વ કયાં હતું, વળી અંતે નહિ  તે રહે છતું;

વચલે વખતે જણાય છે, સપના તુલ્ય અદર્શ થાય છે. 37

ઘટ ને કથરોટ કોડિયાં, મૃત્તિકાનાં ઘડિ નામ જોડિયાં;

ફુટતાં સહુ નામ તે ટળે, પરિણામે મૃતિકા વિષે મળે. 38

તનની ગતિ એવી જાણવી, સ્થિરતાની નહિ આશ આણવી;

જનનાં તન આ અનિત્ય છે, અસલી એ જ અનાદિ રીત છે.39

શિશુ જાય જુવાન  જાય  છે,  ઘરડાનું પણ મૃત્યુ થાય  છે;

વળી કોઈક ગર્ભથી ગળે, પણ નક્કી કશી રીત ના મળે. 40

જગ   સર્વ ચવેણું કાળનું, નહિ તેને દુઃખ વૃદ્ધ બાળનું;

મુખ ભક્ષણ  સર્વનું કરે,  દિલમાં લેશ  નહીં દયા  ધરે. 41

અવની નભ બેય જાણવાં, પડ ઘંટી સમ તે પ્રમાણવાં;

કણ તુલ્ય જીવો જણાય છે, વળી ઓરાય વળી દળાય છે.42

સગરાખ્ય નરેશના છતા, સુત તો સાઠ હજાર જે હતા;

સઘળા મૃત  એક  કાળમાં, ઉગર્યા કોઇ  ન  કાળ ઝાળમાં. 43

વિકરાળ જ કાળ ઝાળ છે, સઘળે વ્યાપિ રહી વિશાળ છે;

જન  દેવ  અદેવ  જોઈયે,  પણ  અંતે ઉગરે ન  કોઇયે. 44

નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતાં દિલ દુઃખ થાય છે;

મમતા મનમાં ન હોય તો, દિલમાં દુઃખ ધરે ન કોઇ તો. 45

સુત જન્મ સમે સુજોષીયે, ગ્રહ જોયા હરિભટ્ટ હોંશિયે;

ગ્રહનું ફળ જાણીયું અરે, મુખ જોતાં સુત કે પિતા મરે. 46

પછી તે દ્વિજ કાશિયે જઈ, લીધ સન્યાસ ઉદાસ તો થઈ;

સુત  ષોડશ  વર્ષનો  થયો,  રમવા  બાલક  મંડળે ગયો? 47

રમતાં દડી વાગી ડોશીને, દિધિ ગાળો રમનાર જોષીને;

કહ્યું કે ઉનમત્ત તૂં થયો, પણ જૈ જો તુજ બાપ કયાં ગયો. 48

ન રહ્યું સુણી ચિત્ત ધારણે, સુત ચાલ્યો પિતુ શોધ કારણે;

જનની કલ્પાંત  જયાં કર્યો, સુતની સાથ પડોશી સંચર્યો. 49

શત પંચક કોશ જયાં ગયા, રજની વાસ સુગામમાં રહ્યા;

ઉતર્યા ભય ભ્રાંતિ ટાળિને, મઠ સન્યાસી તણો નિહાળિને. 50

સુત કોગળિયું જ આવિયું, મન  સન્યાસી તણું ડરાવિયું;

લઠ લૈ જતિ  તેહ ઊઠિયો, જણ બે શીશ વિશેષ રૂઠિયો. 51

મઠ બાહિર મારી કાઢિયો, સુખથી વાશિ કમાડ પોઢિયો;

પછી તે સુત ત્યાં ગયો મરી, નહિ સંન્યાસી દયા દિલે ધરી. 52

જળ રે જળ બોલતો મુવો, નહિ પાસે નદી કે નહી કુવો;

જતિયે નહિ  નીર આપિયું,  મન  કીધું અતિ ક્રુર પાપિયું. 53

નભમાં રવિ દેવ ઊગિયો, દ્વિજ રોવા અતિશે જ લાગિયો;

મળિને જનજૂથ પૂછિયું,  પછી વૃત્તાંત દ્વિજેન્દ્ર ભાખિયું. 54

નિજ  પુત્રનું નામ  સાંભળ્યું,  જતિનું ધૈર્ય બધું પછી  ટળ્યું;

કુટિ છાતિ વિશેષ રોઈને, જન આશ્ચર્ય ધરે જ જોઈને. 55

નિજનો ન ગણ્યો જ જયાં સુધી, દિલમાં દુઃખ થયું ન ત્યાં સુધી;

નિજનો સુત જયાંથી જાણીયો, પ્રજળ્યો પૂર્ણ પિડાથી પ્રાણીયો. 56

મમતા મનમાંથી જો તજે, સુખ શાંતિ જન તો સદા સજે;

મમતા   દૂઃખ  કેરું મૂલ છે, મમતામાં જ  સહસ્ત્ર શૂલ  છે.57

નૃપ વાત  બીજી કહું વળી, કરજો ચિત્ત વિચાર સાંભળી;

કદી ભૂષણ કોઇનું ભલું,  ધરવા માગી લીધા થકી મળ્યું. 58

પછી પાછું જરૂર માંગશે, સમઝુને નહિ દુઃખ લાગશે;

પ્રભુયે સુત ઊછીનો દીધો, વળી પાછો મરજી થકી લીધો. 59

દિલમાં નહિ દુઃખ આંણવું, પરનું દ્રવ્ય હતું પ્રમાણવું;

હતું જેહનું તેહને ગયું, નથી તે કાંઈ અયોગ્ય તો થયું. 60

ઉપદેશ સુ એ રીતે કર્યો, મુનિયે શોક નરેશનો હર્યો;

મુનિના વચનો  વિચારીને, સુખ  પામ્યા નૃપ ધૈર્ય ધારીને. 61

પુષ્પિતાગ્રા:-

નૃપસુત  ગત મૃત્યુની ગતિને,  કૃત  ઉપદેશ મુનીશ ભૂપતિને;

સુણી જન મન માંહિ જો વિચારે, ધીરજ ધરે વળી શોક સૌ વિસારે. 62

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમ કલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે રાજકુમારમરણેગુણાતીતાનંદ સ્વામીકૃત ધૈર્યોપદેશનામા  નવમો વિશ્રામઃ ।।9।।