ઉપજાતિ:-
સંગ્રામજી ગોંડળ રાજયકાર, તેના થયા શ્રીપથુભા કુમાર;
રાણી હતી તે સરગે સિધાવી, કહ્યું પ્રધાને નૃપ પાસ આવી. 1
રાજા તણી નીતિ રુડા કવિયે, રચેલી છે જે જસુ રામજીયે;
અષ્ટાંગ તો રાજય તણાં ગણાવ્યાં, ન હોય તો ખંડિત તે જણાવ્યાં. 2
રાજા તથા રાણી તથા કુમાર, પ્રધાન સેના વસતી સુમાર;
વજીર શાણો સુકવિપ્રસંગ, આઠે કહ્યાં રાજય તણાં સુઅંગ. 3
રાણી વિના રાજય રુડું ન દિસે, શું આપ આગે ઉચરું અતીશે;
માટે વરો ઉત્તમ એક રાણી, જે રાજની નીતિ સુજાણ શાણી. 4
ઝાલા મીણાપુર તણા પતિ છે, સુનામ જેનું સુરતાનજી છે;
છે મોંઘિબા નામ ભલી કુમારી, પવિત્ર ગંગાજળ તુલ્ય સારી. 5
તે સાથ ભૂપે પછી લગ્ન કીધું, સુમંત્રીનું વાયક માની લીધું;
રુડા ચુડા ગામ તણા નિવાસી, અૌદીચ નાતે સુમતિ પ્રકાશી. 6
વૈતાલીય:-
હરજીવન નામ જે હતા, અતિશાણા ધરમિષ્ઠ તે છતા;
પટરાણીની સાથ આવિયા, નૃપ સંગ્રામ દિલે સુભાવિયા. 7
મતિમાન વિશેષ જાણીયા, નિજમંત્રી પછી તો પ્રમાણીયા;
હરિભકત થયા નરેશ તે, મુનિ કેરો સુણી ઊપદેશ તે. 8
શિખરિણી :-
ગુણાતીતાનંદ પ્રગટ પ્રભુના પૂજક સદા, નૃપે તેડાવીને હરિ તણી સુવાર્તા સુણી મુદા;
ગુરૂ કીધા પોતે નિયમ ધરી કંઠી પણ ધરી, સુભાવેથી ભકિત પ્રગટ પ્રભુ કેરી બહુ કરી. 9
થયા ચારે પુત્રો હરજીવનના તે પણ કહું, ભલા ભકતો સારા સમજણ્ય વળી ઉત્તમ બહુ;
વડા તો જેભાઈ અવર સુત તો માધવજી છે,ત્રીજા તો તેમાં છે નરસિંહ તથા કેશવજી છે.10
થયાં ભકિતવાળાં કુશળ કુંવરી ધર્મપુરીમાં, થયાં મોંઘીબાઈ હરિજન સુ તેવાં સ્વપુરમાં;
સુરાણી ને રાજા સચિવ શુભ સુદ્ધાં ત્રણ મળી, થયાં સત્સંગી તે સરસ પયમાં સાકર ભળી. 11
ઘણે ફેરે તેડ્યા રઘુવીરજી આચારજ તહાં, જઇ પૂજા લીધી ભગવતપ્રસાદે પણ જહાં;
શુકાનંદાદિને પણ નિજપુરે આદર દઇ, પૂજયા પ્રીતે રીતે સુગુણ નિજચિત્તે ધરી લઇ. 12
વિત્યાં વર્ષો કાંઇ કુંવર પથુભા સ્વર્ગજ ગયો, રુદેમાં રાજાને વિરહ દુઃખ અગ્નિ અતિ થયો;
તજયું ખાવું પીવું સુત વીણ ન જીવું મુખ કહે, નિસાસા નાખીને રુદન કરી નેત્રે જળ વહે. 13
દવે હર્જીવને નૃપ મન વિષે શાંતિ જ થવા, ગુણાતીતાનંદ પ્રમુખ મુનિ તેડ્યા દુઃખ જવા;
મુનિયે ત્યાં આવી સુરીત સમઝાવી બહુ કહ્યું, તથાપિ રાજાને હૃદય દુઃખ તો તેમજ રહ્યું. 14
જગત નાશવંત વિષે :- વૈતાલીય:-
નૃપ તેં દુઃખ તો બહુ સહ્યું, સુણ આ વાત ગુણાતીતે કહ્યું;
મરવું જનનો સ્વભાવ છે, જનમ્યો ત્યાંથી નક્કી ઠરાવ છે.15
અચળ સ્થિતિ તો ન કોઈને, કરવું શું અતિ રોઈ રોઇને;
જગ આ જળનો પ્રવાહ છે, વહિ જાતો અતિશે અથાહ છે.16
બહુ રે બહુ કલ્પ થૈ ગયા, પણ કોઈ નથી કોઈના થયા;
ન સગો સુત તુજ દેહનો, નહિ તું કાંઈ સપિંડ તેહનો. 17
ધરીને ધન જેમ હાથમાં, મુજનું છે કહી સર્વ સાથમાં;
પણ તે નહિ એમ ધારવું, વિચરે સર્વ થળે વિચારવું. 18
જનનું તન માટીનો ઘડો, નથી તે કાળ અખંડ આપડો;
રજથી ઉપજયો જ મૂળમાં, વળી અંતે મળી જાય ધૂળમાં. 19
તન છે જળ ઝાંઝવા તણું, સ્થિર તે તો ન રહે કદી ઘણું;
નહિ મોહિત થાવું જોઈને, નહિ કલ્પાંત કરો જ રોઈને. 20
જગ સ્વપ્ન સમાન જાણવું, ગણિ સાચું ઉરમાં ન આણવું;
ભવમાં પ્રભુ ભકિત સત્ય છે, સઘળી અન્ય ક્રિયા અસત્ય છે. 21
સ્વપને મળી રિદ્ધિ સિદ્ધિ તે, સ્વપનામાં પછી ખોઈ દીધી તે;
થઈ જાગ્રત જો કુટે રુવે, જન તેની વડી મૂર્ખતા જુવે. 22
ગત વિક્રમ ભોજ ભૂપતિ, ન રહ્યો લંકપુરી તણો પતિ;
પૃથિવી પણ નાશ પામશે, શશી સૂર્યાદિ વિનાશ થૈ જશે. 23
ન રહે અજ ઇન્દ્ર કોઇયે, ન રહે જેહ વિરાટ જોઈયે;
બહુવાર થયા અને ગયા, સ્થિર તો કોઇ સદૈવ ના રહ્યા.24
હતી આયુષ લક્ષ વર્ષની, નહિ સીમા મનના અમર્ષની;
પણ તે પળમાં વહિ ગયા, નવ જાણે જન કોઇ કયાં થયા. 25
પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા;
કરી અંજળી સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ કયાં હતા. 26
જનની જનકાદિ જેહ છે, તનના જન્મ થકી જ તેહ છે;
તન તો અગણિત તેં ધર્યા, પણ તે સત્ય સપિંડ કયાં ઠર્યા. 27
ચતુરે ચિત્તમાં વિચારવું, સત તો આત્મસ્વરૂપ ધારવું;
તન તત્ત્વ તણાં જ થાય છે, ઉપજે ને લય પામી જાય છે.28
જળબુદ્બુદ જેમ ઊપજે, ક્ષણમાં આકૃતિ તેહ તો તજે;
તન તેમ જ થાય જાય છે, મન મિથ્યા સુત તે મનાય છે.29
રજ નીર પ્રવાહને વડે, મળી જામે વળી તે જુદી પડે;
સુત ને જનકાદિ તે રીતે, મળી જામે વળી જોગ તે વિતે. 30
જગમાં જન ભૂમિ ઊપરે, પળમાં તો બહુ ઊપજે મરે;
તવિ ઉપર ધાણિ ફૂટતી, બહુ દિસે તનુ તેમ છૂટતી. 31
ફુલવાડી વિષે જણાય છે, ફૂલડાં નિત્ય નવાં ફુલાય છે;
કળિયો ખિલીને ખરી પડે, પછી તે તો નહિં દષ્ટિયે ચડે. 32
નભ ઇન્દ્રધનુષ દેખીયે, પળ વીત્યા પછી તે ન પેખીયે;
વળી વાદળ કેરિ છાંયડી, પળમાં જાય ટકે નહીં ઘડી. 33
નિજનું તન એવું જોઇને, શિદ રોવું પછી અન્ય કોઈને;
વર પાછળ જેમ જાન છે, નિજ કાયા પછી સૌ નિદાન છે.34
જન ઉદ્ભવ નાશ થાય છે, રુચિ જેવી પ્રભુની જણાય છે;
પ્રભુની રુચિમાં ખુશી થવું, પ્રભુ સામું નહિ વેર બાંધવું. 35
ફલ કર્મનું આપશે હરિ, નહિ ઓછું અદકું કરે જરી;
જન જો મઠને જ વાવશે, શુભ ચોખા પછી કયાંથી ચાવશે. 36
તન ઉદ્ભવ પૂર્વ કયાં હતું, વળી અંતે નહિ તે રહે છતું;
વચલે વખતે જણાય છે, સપના તુલ્ય અદર્શ થાય છે. 37
ઘટ ને કથરોટ કોડિયાં, મૃત્તિકાનાં ઘડિ નામ જોડિયાં;
ફુટતાં સહુ નામ તે ટળે, પરિણામે મૃતિકા વિષે મળે. 38
તનની ગતિ એવી જાણવી, સ્થિરતાની નહિ આશ આણવી;
જનનાં તન આ અનિત્ય છે, અસલી એ જ અનાદિ રીત છે.39
શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું પણ મૃત્યુ થાય છે;
વળી કોઈક ગર્ભથી ગળે, પણ નક્કી કશી રીત ના મળે. 40
જગ સર્વ ચવેણું કાળનું, નહિ તેને દુઃખ વૃદ્ધ બાળનું;
મુખ ભક્ષણ સર્વનું કરે, દિલમાં લેશ નહીં દયા ધરે. 41
અવની નભ બેય જાણવાં, પડ ઘંટી સમ તે પ્રમાણવાં;
કણ તુલ્ય જીવો જણાય છે, વળી ઓરાય વળી દળાય છે.42
સગરાખ્ય નરેશના છતા, સુત તો સાઠ હજાર જે હતા;
સઘળા મૃત એક કાળમાં, ઉગર્યા કોઇ ન કાળ ઝાળમાં. 43
વિકરાળ જ કાળ ઝાળ છે, સઘળે વ્યાપિ રહી વિશાળ છે;
જન દેવ અદેવ જોઈયે, પણ અંતે ઉગરે ન કોઇયે. 44
નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતાં દિલ દુઃખ થાય છે;
મમતા મનમાં ન હોય તો, દિલમાં દુઃખ ધરે ન કોઇ તો. 45
સુત જન્મ સમે સુજોષીયે, ગ્રહ જોયા હરિભટ્ટ હોંશિયે;
ગ્રહનું ફળ જાણીયું અરે, મુખ જોતાં સુત કે પિતા મરે. 46
પછી તે દ્વિજ કાશિયે જઈ, લીધ સન્યાસ ઉદાસ તો થઈ;
સુત ષોડશ વર્ષનો થયો, રમવા બાલક મંડળે ગયો? 47
રમતાં દડી વાગી ડોશીને, દિધિ ગાળો રમનાર જોષીને;
કહ્યું કે ઉનમત્ત તૂં થયો, પણ જૈ જો તુજ બાપ કયાં ગયો. 48
ન રહ્યું સુણી ચિત્ત ધારણે, સુત ચાલ્યો પિતુ શોધ કારણે;
જનની કલ્પાંત જયાં કર્યો, સુતની સાથ પડોશી સંચર્યો. 49
શત પંચક કોશ જયાં ગયા, રજની વાસ સુગામમાં રહ્યા;
ઉતર્યા ભય ભ્રાંતિ ટાળિને, મઠ સન્યાસી તણો નિહાળિને. 50
સુત કોગળિયું જ આવિયું, મન સન્યાસી તણું ડરાવિયું;
લઠ લૈ જતિ તેહ ઊઠિયો, જણ બે શીશ વિશેષ રૂઠિયો. 51
મઠ બાહિર મારી કાઢિયો, સુખથી વાશિ કમાડ પોઢિયો;
પછી તે સુત ત્યાં ગયો મરી, નહિ સંન્યાસી દયા દિલે ધરી. 52
જળ રે જળ બોલતો મુવો, નહિ પાસે નદી કે નહી કુવો;
જતિયે નહિ નીર આપિયું, મન કીધું અતિ ક્રુર પાપિયું. 53
નભમાં રવિ દેવ ઊગિયો, દ્વિજ રોવા અતિશે જ લાગિયો;
મળિને જનજૂથ પૂછિયું, પછી વૃત્તાંત દ્વિજેન્દ્ર ભાખિયું. 54
નિજ પુત્રનું નામ સાંભળ્યું, જતિનું ધૈર્ય બધું પછી ટળ્યું;
કુટિ છાતિ વિશેષ રોઈને, જન આશ્ચર્ય ધરે જ જોઈને. 55
નિજનો ન ગણ્યો જ જયાં સુધી, દિલમાં દુઃખ થયું ન ત્યાં સુધી;
નિજનો સુત જયાંથી જાણીયો, પ્રજળ્યો પૂર્ણ પિડાથી પ્રાણીયો. 56
મમતા મનમાંથી જો તજે, સુખ શાંતિ જન તો સદા સજે;
મમતા દૂઃખ કેરું મૂલ છે, મમતામાં જ સહસ્ત્ર શૂલ છે.57
નૃપ વાત બીજી કહું વળી, કરજો ચિત્ત વિચાર સાંભળી;
કદી ભૂષણ કોઇનું ભલું, ધરવા માગી લીધા થકી મળ્યું. 58
પછી પાછું જરૂર માંગશે, સમઝુને નહિ દુઃખ લાગશે;
પ્રભુયે સુત ઊછીનો દીધો, વળી પાછો મરજી થકી લીધો. 59
દિલમાં નહિ દુઃખ આંણવું, પરનું દ્રવ્ય હતું પ્રમાણવું;
હતું જેહનું તેહને ગયું, નથી તે કાંઈ અયોગ્ય તો થયું. 60
ઉપદેશ સુ એ રીતે કર્યો, મુનિયે શોક નરેશનો હર્યો;
મુનિના વચનો વિચારીને, સુખ પામ્યા નૃપ ધૈર્ય ધારીને. 61
પુષ્પિતાગ્રા:-
નૃપસુત ગત મૃત્યુની ગતિને, કૃત ઉપદેશ મુનીશ ભૂપતિને;
સુણી જન મન માંહિ જો વિચારે, ધીરજ ધરે વળી શોક સૌ વિસારે. 62
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમ કલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે રાજકુમારમરણેગુણાતીતાનંદ સ્વામીકૃત ધૈર્યોપદેશનામા નવમો વિશ્રામઃ ।।9।।