ઉપજાતિ:-

દેવોજી તો દેવ સમાન રાજા, તે ગાદિયે વર્ષ ઘણાં વિરાજયા;

અઢારસેં ને અડસઠ્ઠ  સાલે,  વૈકુંઠમાં વાસ  કર્યો નૃપાળે. 1

પામ્યા નથુજી પછી રાજપાટ, તેનેજ દેવા સિરપાવ માટ;

મહાપ્રભુ ગોંડળમાં પધારી, કૈલાસ   બાગે ઉતર્યા વિચારી. 2

જૈ  ભૂપને યોગ્ય સુભેટ દીધી, ભૂપે ભલી ત્યાં બરદાશ કીધી;

સુભાગ્ય  તે ગોંડળનાં વિચિત્ર, જે પાંચમીવાર કર્યું પવિત્ર. 3

ગયા  પ્રભુ ગોંડળ  છઠ્ઠીવાર, પ્રસંગ  તે હું કહું એહ  ઠાર;

એકોનશીતેર  તણો દુકાળ, થશે વિચાર્યું વૃષભકિતલાલ. 4

સ્વભકતને ધાન્ય ભરી રખાવા, સ્વયં હરિ સોરઠમાં સિધાવ્યા;

ચાલ્યા પ્રભુ દૂર્ગપુરીથી જયાંય, ગયા રહ્યું ગોંડળ કોશ ત્યાંય.5

ચાલ્યા તહાંથી જ સીધા જુનાણે, તે કોઇયે ગોંડળમાં ન જાણે;

સુતાર કચ્છી જન દેવરામ, છે ગોંડળે તેનું નિવાસ ઠામ. 6

તેને ઘરે પ્રસ્તુત કાંઈ આવ્યું, વિપ્રાર્થ ત્યાં ભોજન તો કરાવ્યું;

તૈયાર થૈ શુદ્ધ  રસોઈ  સારી, કહે પતિ આગળ તેની નારી. 7

રસોઈ  તો એવી રુડી જણાય, જમે પ્રભુ તોય  પ્રસન્ન  થાય;

શું જાણીયે શ્રીહરિ તો વસે કયાં?, શું જાણીયે આ સમયે હશે કયાં? 8

પુષ્પિતાગ્રા:-

અખિલ ભુવન નાથ કયાંથી આવે, નિજ જનના સુમનોરથો પુરાવે;

પ્રિ ય અતિશુભ કયાંથી ભાગ્યા એવાં, વ્રજ વસનારી ૠષિની નારી જેવાં. 9

વૃષકુળપતિ જો સમીપ હોય, લઈ જઈ ત્યાંય જમાડું થાળ તોય;

મુજ મન હરિકાજ આજ એવું, પ્રભુ ન મળે મુખ અન્ન તો ન લેવું. 10

મુજ મન દઢ જો હશે જ ભાવ, જરુર પધારી જમે મુનીન્દ્ર માવ;

ધરી મુજ મન એક ટેક એહ, પ્રભુ ન મળે તજવો જ એહ દેહ. 11

વૃષકુળપતિ જાણી એહ વાત, લઈ નિજસંગ સુસંત મૂર્તિ સાત;

અવર સકળ સંઘ છોડી દીધો, પ્રિયજન ઘેર જવા સુપંથ લીધો. 12

હરિવર જઈ  દેવરામ ઘેર, દરશન દીધ  કૃપા કરી સુપેર;

કહીઘરધણીનાથકયાંથીઆવ્યા,તવ પતનીમનભાવ તાણીલાવ્યા. 13

મુનિ સહ હરિ ત્યાં જમ્યા રસોઇ, નિજ જનનો અતિશ્રેષ્ઠ ભાવ જોઈ;

પછી ઘર થકી દક્ષણાદિ પાસ, પ્રભુ વિચર્યા વળી દેવરામદાસ.14

વળી કહી મુખ વાણી મેધશ્યામ, શુભ થળ આંહિ થશે સુશ્રેષ્ઠ ધામ;

જનક જનનિ સાથ મૂર્તિ મારી, અચળ થશે હરિકૃષ્ણ નામ ધારી. 15

કહી વળી હરિભકતને કહેજો, વરસ સુધીનું વિચારી અન્ન લેજો;

સુરપતિ મન કોપ છે કરેલો, નહિ વરસે નહિ થાય નીર રેલો. 16

પછી હરિ નિજસંઘમાં પધાર્યા, સ્વજનતણે મન હર્ષ ત્યાં વધાર્યા;

વિચરી વિચરીને સુરાષ્ટ્રમાંય, હરિજન પાસ રખાવ્યું અન્ન ત્યાંય. 17

ઉપજાતિ:-

કહું વળી ગોંડળની કથાય, રહ્યાજ બે વર્ષ નથુજી રાય;

શીત્તેરની સાલ વિષે જ તેહ, સ્વર્ગે સિધાવ્યા તજીને સ્વદેહ. 18

કાનોજી બેઠા પછી રાજપાટે,  નથુજીના તે લઘુ ભ્રાત  માટે;

તે સાત વર્ષે સ્વરગે સિધાવ્યા, મોતીજી ગાદીપર આપ આવ્યા. 19

શિખરિણી:-

સુકર્મી  ને ધર્મી રિપુસમ  અધર્મી  જન  તણા, કરે ચૂરાચૂરા  રિપુદળન  શૂરા  પણ  ઘણા;

પિતા માતા ભ્રાતા સમ નિજપ્રજાના સુખકરા, ભલા  મોતીભાઈ  નરપતિ  સુક્ષત્રિકુળ  ખરા. 20

સુશાણા કેજાવાણા અધિક વખણાણા જન  વિષે, સુઅંગી સત્સંગી દિન નિશ ઉંમંગી મન દિસે;

દુઃખી પ્રાણી જાણી તરત અતિ આણી ઉર દયા, હરે પીડા  એવા  કરણ  નૃપ  જેવા  નૃપ  થયા. 21

મુનિ  મુકતાનંદે પ્રથમ  વયમાં તે નૃપતિને, કરાવેલી  પોતે પ્રગટ  પ્રભુમાં પૂર્ણ રતિને;

હતા  જેઠો  વિપ્ર પ્રથમ પ્રભુ જેને વર  દિધો, નૃપાળે તેને તો નિજસમીપ બોલાવી જ  લિધો. 22

કહ્યું જા તું ભાઈ મુજ સુગુરુ જયાં મુકત મુનિ છે,પૂછી આવો એવું મુજપ્રતિ શી આજ્ઞા ગુરુની છે;

કહી  જેઠે જૈને મુનિસમીપ  તે વાત  સઘળી, મુનિ મુકતાનંદે સુણી શુભ દિયો ઉત્તર વળી. 23

તમે રાજા  પાસે દ્વિજવર  જઇ  એટલું કહો, સુણો મોતી મોતી વીજળી ઝબકારે વિણી લહો;

પછી  જૈને વિપ્રે નરપતિ  કને એમ  જ  કહ્યું, સુણી શાણે રાણે સમજી લીધું જે હારદ  રહ્યું. 24

જનોને જીવ્યાનું વીજળી ઝબકારા સમ ગણ્યું, પ્રભુને તેડ્યાનું વચન  મુનિયે માર્મિક  ભણ્યું;

લીધું એવું જાણી નરપતિ વિચાર્યું મન વળી, પ્રભુને તેડાવું પદ  શિર  નમાવું લળી  લળી. 25

કહ્યું મંત્રી  પ્રત્યે વૃષતનુજને કાગળ  લખો, લખો   રાધાલક્ષ્મીપતિ  સુઉપમા નૂન્ય ન રખો;

સુણી મંત્રી બોલ્યો ન લખું ઉપમા તે મનુષને, ગમે તો મંત્રીના  પદથકી રજા  દ્યો નૃપ  મને. 26

ઉપજાતિ:-

સુણી ચડી ભૂપતિ  ચિત્ત રીસ, પ્રહાર કીધો નિજમંત્રી શીશ;

તેને કર્યો નોકરીમાંથી દૂર, કર્યો બીજો મંત્રી તહાં હજૂર. 27

કહ્યા પ્રમાણે ઉપમા લખાવી, પત્રી પ્રભુ આગળ્ય મોકલાવી;

વિવેક સાથે વિનતિ કરીને,  તેડાવિયા ગોંડલમાં હરિને. 28

આવ્યા પ્રભુ પાર્ષદ સંત લૈને, મોતીજીયે ત્યાં સન્મુખ જઈને;

કર્યો હરિનો સતકાર સારો,  આપ્યો ભલો તે પુરમાં ઉતારો. 29

સંતો તથા કાઠીજનો સહીત, જમ્યા રસોઇ હરિ રૂડી રીત;

અસ્વારી સાથે નરનાથ આવ્યા, અનેક વાજિંત્ર વિચિત્ર લાવ્યા. 30

કહ્યું પ્રભુને મુજ અર્થ સારો,  મહાપ્રભુ રાજગૃહે પધારો;

પછી પધાર્યા દરબારમાંય, ચોપાટ છે ચારુ વિશાળ ત્યાંય. 31

પૂજા  પ્રભુની કરી ત્યાં નૃપાળે,  અર્ચા કરી કેસરની કપાળે;

અમૂલ્ય  વસ્ત્રાભરણો ધરાવ્યાં, સુપુષ્પ ચંપાદિકનાં ચડાવ્યાં. 32

ધર્યા પ્રભુ આગળ દીપ ધૂપ,  મિઠાઈ  મેવા અરપ્યા અનૂપ;

સંધ્યા સમો આરતીનો વિચારી, મોતીજીયે આરતી ત્યાં ઉતારી. 33

નારાયણાખ્ય ધ્વનિ સંત કીધી, સર્વે જનોયે પણ ઝીલી લીધી;

સ્તુતિ  હરિની સકળે ઉચ્ચારી, છબી લીધી અંતરમાં ઉતારી. 34

વાર્તા કરી શ્રીહરિયે બિરાજી, સુણી થયા તે જન  સર્વ રાજી;

માગ્યું નૃપાળે વરદાન એવું, પ્રભુજી મારા મનમાં રહેવું. 35

તથાસ્તુ બોલી પ્રભુજી સિધાવ્યા, હતો ઉતારો તહિં સર્વ આવ્યા;

બીજે  દિને લૈ જન  સર્વ સંગ, નાવા પધાર્યા નદીયે શ્રીરંગ. 36

નાહ્યા  હરિ ને હરિભકત સંત, થૈ તે નદી પાવન  પુણ્યવંત;

તીર્થો થયાં તોય તણે તરંગે, તે કૃષ્ણ કે કૃષ્ણજન પ્રસંગે. 37

ત્યાંથી ઉતારે મુનિનાથ આવ્યા, બે ચાર દાડા રહિને સિધાવ્યા;

સુભાગ્ય  તે ગોંડલનાં અપાર,  જહાં પધાર્યા પ્રભુ ઝાઝીવાર. 38

મોતીજી રાજા હરિભકત કેવા, જનો કહે સૌ જનકાદિ જેવા;

જાણે થયું આરતી ટાણું જયારે, ચોપાટમાં ધુન્ય  કરેજ  ત્યારે. 39

જે  બોલતાં ધુન્ય  દિલે લજાય, તેને કરે ત્યાંથી તદા  વિદાય;

શ્રીજી  તણા સંત  મળે સુઠામ,  પ્રેમે કરે દંડવત  પ્રણામ. 40

પોતે ધરેલા નિયમો ન  મૂકે,  માળા પૂજા  ચિત્ત  થકી ન  ચૂકે;

શ્રી સ્વામિનારાયણ નામ લેતાં, લાજે ન સૌ લોક વચ્ચે કહેતાં. 41

અઢારસેં વર્ષ સતાણુવામાં,  મોક્ષે સિધાવ્યા નૃપ તે સમામાં;

રાજા થયા તે પછી ભાણભાઈ, સુકીર્તિ તેની પણ તેવી છાઈ. 42

ગોપાળસ્વામી   ગુણવંત જેહ, ગુરુ કર્યા ગોંડળનાથ તેહ;

તેડાવીને તે મુનિને નૃપાળે,  વાતો સુણી તેહ  તણી ત્રિકાળે. 43

જયાં બાગ છે પીપળ પારકસ્ય, ગયા તહાં તે ગુરુ સાથ શિષ્ય;

સ્વામી કહે આંહિ હરિ જમ્યા છે, આ બાગમાં તો સઘળે ભમ્યા છે. 44

આ કૂપમાં મજ્જન  આચર્યું છે, સંધ્યાદિ સત્કર્મ અહીં કર્યું છે;

શ્રીજીની લીળા સ્મરણાર્થ કામ, દેરી કરાવો શુભ એહ ઠામ. 45

રાયે પછી દેરી રુડી રચાવી, તે માંહિ થાપ્યાં પગલાં ઘડાવી;

દેશી વિદેશી જનસંઘ આવે, તે દેરીને મસ્તક તો નમાવે. 46

લીલા પ્રભુની પછી પૂછી લે છે, તે સાંભળી અંતરમાં ધરે છે;

તે ભૂમિનાં ભાગ્ય ભલાં વખાણે, માહાત્મ્ય મોટું મન માંહિ જાણે. 47

ગોપાળસ્વામી વળી ભૂપ પાસ,  વિશેષ  કીધું વચન પ્રકાશ;

તમે હરિમંદિર  તો  કરાવો,  સુસંતને ઉતરવા  ઠરાવો. 48

સુતાર કચ્છી જન દેવરામ, નિવાસથી દક્ષિણ દીશ ઠામ;

જગ્યા હતી મંદિર ત્યાં કરાવ્યું, ભકતો તણાં અંતર માંહિ ભાવ્યું. 49

ભાણાજીયે ભાવ ભલો સજીને, આચાર્યજી  શ્રીરધુવીરજીને;

તેડાવી તેની સજી સારી સેવા, આ લોકમાં લાભ અલભ્ય લેવા. 50

ગુણાતીતાનંદ મુનીન્દ્ર પાસ, વાતો સુણી ચિત્ત  ધરી હુલાસ;

વિશુદ્ધ આત્મા મુનિનંદ જેહ, તેડાવિયા ગોંડળ માંહિ તેહ. 51

તે સાધુ શ્રી ભાગવત પ્રવીણ, કથા સુણાવી કૃત ભ્રાંતિ હીણ;

તે ભૂપતિના સુત સુખદાઈ, સંગ્રામજી ને વળી મુળુભાઇ. 52

ભલા થયા બેય  પ્રવીણ પૂરાં, ધર્મીપણા માંહિ નહીં અધૂરા;

જયાં ઓગણીસે પર વર્ષ સાત, થયાં વળી વિક્રમનાં વિખ્યાત. 53

સ્વર્ગે સિધાવ્યા શુભ ભાણા રાજા, સંગ્રામજી ગાદિ વિષે બિરાજયા;

જેણે  જનોમાં જશ  ખૂબ  લીધો,  સદૈવ સારા જન  સંગ  કીધો. 54

પુષ્પિતાગ્રા:-

જદુ કુળ હરિભકતની કથાય, ગુણ ગણિ કોઇ સુણે ભણે સુગાય;

પરમ પુનિત ચિત્ત તેનું થાશે, પ્રગટ પ્રભુ તણી ભકિત તે ચહાશે. 55

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનન્દમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગોંડળપતિ ભાણાભાઈ ભૂપાળપયર્ંત વૃત્તાંતકથનં નામા અષ્ટમો વિશ્રામ:- ।।8।।