ઉપજાતિ:-
દેવોજી તો દેવ સમાન રાજા, તે ગાદિયે વર્ષ ઘણાં વિરાજયા;
અઢારસેં ને અડસઠ્ઠ સાલે, વૈકુંઠમાં વાસ કર્યો નૃપાળે. 1
પામ્યા નથુજી પછી રાજપાટ, તેનેજ દેવા સિરપાવ માટ;
મહાપ્રભુ ગોંડળમાં પધારી, કૈલાસ બાગે ઉતર્યા વિચારી. 2
જૈ ભૂપને યોગ્ય સુભેટ દીધી, ભૂપે ભલી ત્યાં બરદાશ કીધી;
સુભાગ્ય તે ગોંડળનાં વિચિત્ર, જે પાંચમીવાર કર્યું પવિત્ર. 3
ગયા પ્રભુ ગોંડળ છઠ્ઠીવાર, પ્રસંગ તે હું કહું એહ ઠાર;
એકોનશીતેર તણો દુકાળ, થશે વિચાર્યું વૃષભકિતલાલ. 4
સ્વભકતને ધાન્ય ભરી રખાવા, સ્વયં હરિ સોરઠમાં સિધાવ્યા;
ચાલ્યા પ્રભુ દૂર્ગપુરીથી જયાંય, ગયા રહ્યું ગોંડળ કોશ ત્યાંય.5
ચાલ્યા તહાંથી જ સીધા જુનાણે, તે કોઇયે ગોંડળમાં ન જાણે;
સુતાર કચ્છી જન દેવરામ, છે ગોંડળે તેનું નિવાસ ઠામ. 6
તેને ઘરે પ્રસ્તુત કાંઈ આવ્યું, વિપ્રાર્થ ત્યાં ભોજન તો કરાવ્યું;
તૈયાર થૈ શુદ્ધ રસોઈ સારી, કહે પતિ આગળ તેની નારી. 7
રસોઈ તો એવી રુડી જણાય, જમે પ્રભુ તોય પ્રસન્ન થાય;
શું જાણીયે શ્રીહરિ તો વસે કયાં?, શું જાણીયે આ સમયે હશે કયાં? 8
પુષ્પિતાગ્રા:-
અખિલ ભુવન નાથ કયાંથી આવે, નિજ જનના સુમનોરથો પુરાવે;
પ્રિ ય અતિશુભ કયાંથી ભાગ્યા એવાં, વ્રજ વસનારી ૠષિની નારી જેવાં. 9
વૃષકુળપતિ જો સમીપ હોય, લઈ જઈ ત્યાંય જમાડું થાળ તોય;
મુજ મન હરિકાજ આજ એવું, પ્રભુ ન મળે મુખ અન્ન તો ન લેવું. 10
મુજ મન દઢ જો હશે જ ભાવ, જરુર પધારી જમે મુનીન્દ્ર માવ;
ધરી મુજ મન એક ટેક એહ, પ્રભુ ન મળે તજવો જ એહ દેહ. 11
વૃષકુળપતિ જાણી એહ વાત, લઈ નિજસંગ સુસંત મૂર્તિ સાત;
અવર સકળ સંઘ છોડી દીધો, પ્રિયજન ઘેર જવા સુપંથ લીધો. 12
હરિવર જઈ દેવરામ ઘેર, દરશન દીધ કૃપા કરી સુપેર;
કહીઘરધણીનાથકયાંથીઆવ્યા,તવ પતનીમનભાવ તાણીલાવ્યા. 13
મુનિ સહ હરિ ત્યાં જમ્યા રસોઇ, નિજ જનનો અતિશ્રેષ્ઠ ભાવ જોઈ;
પછી ઘર થકી દક્ષણાદિ પાસ, પ્રભુ વિચર્યા વળી દેવરામદાસ.14
વળી કહી મુખ વાણી મેધશ્યામ, શુભ થળ આંહિ થશે સુશ્રેષ્ઠ ધામ;
જનક જનનિ સાથ મૂર્તિ મારી, અચળ થશે હરિકૃષ્ણ નામ ધારી. 15
કહી વળી હરિભકતને કહેજો, વરસ સુધીનું વિચારી અન્ન લેજો;
સુરપતિ મન કોપ છે કરેલો, નહિ વરસે નહિ થાય નીર રેલો. 16
પછી હરિ નિજસંઘમાં પધાર્યા, સ્વજનતણે મન હર્ષ ત્યાં વધાર્યા;
વિચરી વિચરીને સુરાષ્ટ્રમાંય, હરિજન પાસ રખાવ્યું અન્ન ત્યાંય. 17
ઉપજાતિ:-
કહું વળી ગોંડળની કથાય, રહ્યાજ બે વર્ષ નથુજી રાય;
શીત્તેરની સાલ વિષે જ તેહ, સ્વર્ગે સિધાવ્યા તજીને સ્વદેહ. 18
કાનોજી બેઠા પછી રાજપાટે, નથુજીના તે લઘુ ભ્રાત માટે;
તે સાત વર્ષે સ્વરગે સિધાવ્યા, મોતીજી ગાદીપર આપ આવ્યા. 19
શિખરિણી:-
સુકર્મી ને ધર્મી રિપુસમ અધર્મી જન તણા, કરે ચૂરાચૂરા રિપુદળન શૂરા પણ ઘણા;
પિતા માતા ભ્રાતા સમ નિજપ્રજાના સુખકરા, ભલા મોતીભાઈ નરપતિ સુક્ષત્રિકુળ ખરા. 20
સુશાણા કેજાવાણા અધિક વખણાણા જન વિષે, સુઅંગી સત્સંગી દિન નિશ ઉંમંગી મન દિસે;
દુઃખી પ્રાણી જાણી તરત અતિ આણી ઉર દયા, હરે પીડા એવા કરણ નૃપ જેવા નૃપ થયા. 21
મુનિ મુકતાનંદે પ્રથમ વયમાં તે નૃપતિને, કરાવેલી પોતે પ્રગટ પ્રભુમાં પૂર્ણ રતિને;
હતા જેઠો વિપ્ર પ્રથમ પ્રભુ જેને વર દિધો, નૃપાળે તેને તો નિજસમીપ બોલાવી જ લિધો. 22
કહ્યું જા તું ભાઈ મુજ સુગુરુ જયાં મુકત મુનિ છે,પૂછી આવો એવું મુજપ્રતિ શી આજ્ઞા ગુરુની છે;
કહી જેઠે જૈને મુનિસમીપ તે વાત સઘળી, મુનિ મુકતાનંદે સુણી શુભ દિયો ઉત્તર વળી. 23
તમે રાજા પાસે દ્વિજવર જઇ એટલું કહો, સુણો મોતી મોતી વીજળી ઝબકારે વિણી લહો;
પછી જૈને વિપ્રે નરપતિ કને એમ જ કહ્યું, સુણી શાણે રાણે સમજી લીધું જે હારદ રહ્યું. 24
જનોને જીવ્યાનું વીજળી ઝબકારા સમ ગણ્યું, પ્રભુને તેડ્યાનું વચન મુનિયે માર્મિક ભણ્યું;
લીધું એવું જાણી નરપતિ વિચાર્યું મન વળી, પ્રભુને તેડાવું પદ શિર નમાવું લળી લળી. 25
કહ્યું મંત્રી પ્રત્યે વૃષતનુજને કાગળ લખો, લખો રાધાલક્ષ્મીપતિ સુઉપમા નૂન્ય ન રખો;
સુણી મંત્રી બોલ્યો ન લખું ઉપમા તે મનુષને, ગમે તો મંત્રીના પદથકી રજા દ્યો નૃપ મને. 26
ઉપજાતિ:-
સુણી ચડી ભૂપતિ ચિત્ત રીસ, પ્રહાર કીધો નિજમંત્રી શીશ;
તેને કર્યો નોકરીમાંથી દૂર, કર્યો બીજો મંત્રી તહાં હજૂર. 27
કહ્યા પ્રમાણે ઉપમા લખાવી, પત્રી પ્રભુ આગળ્ય મોકલાવી;
વિવેક સાથે વિનતિ કરીને, તેડાવિયા ગોંડલમાં હરિને. 28
આવ્યા પ્રભુ પાર્ષદ સંત લૈને, મોતીજીયે ત્યાં સન્મુખ જઈને;
કર્યો હરિનો સતકાર સારો, આપ્યો ભલો તે પુરમાં ઉતારો. 29
સંતો તથા કાઠીજનો સહીત, જમ્યા રસોઇ હરિ રૂડી રીત;
અસ્વારી સાથે નરનાથ આવ્યા, અનેક વાજિંત્ર વિચિત્ર લાવ્યા. 30
કહ્યું પ્રભુને મુજ અર્થ સારો, મહાપ્રભુ રાજગૃહે પધારો;
પછી પધાર્યા દરબારમાંય, ચોપાટ છે ચારુ વિશાળ ત્યાંય. 31
પૂજા પ્રભુની કરી ત્યાં નૃપાળે, અર્ચા કરી કેસરની કપાળે;
અમૂલ્ય વસ્ત્રાભરણો ધરાવ્યાં, સુપુષ્પ ચંપાદિકનાં ચડાવ્યાં. 32
ધર્યા પ્રભુ આગળ દીપ ધૂપ, મિઠાઈ મેવા અરપ્યા અનૂપ;
સંધ્યા સમો આરતીનો વિચારી, મોતીજીયે આરતી ત્યાં ઉતારી. 33
નારાયણાખ્ય ધ્વનિ સંત કીધી, સર્વે જનોયે પણ ઝીલી લીધી;
સ્તુતિ હરિની સકળે ઉચ્ચારી, છબી લીધી અંતરમાં ઉતારી. 34
વાર્તા કરી શ્રીહરિયે બિરાજી, સુણી થયા તે જન સર્વ રાજી;
માગ્યું નૃપાળે વરદાન એવું, પ્રભુજી મારા મનમાં રહેવું. 35
તથાસ્તુ બોલી પ્રભુજી સિધાવ્યા, હતો ઉતારો તહિં સર્વ આવ્યા;
બીજે દિને લૈ જન સર્વ સંગ, નાવા પધાર્યા નદીયે શ્રીરંગ. 36
નાહ્યા હરિ ને હરિભકત સંત, થૈ તે નદી પાવન પુણ્યવંત;
તીર્થો થયાં તોય તણે તરંગે, તે કૃષ્ણ કે કૃષ્ણજન પ્રસંગે. 37
ત્યાંથી ઉતારે મુનિનાથ આવ્યા, બે ચાર દાડા રહિને સિધાવ્યા;
સુભાગ્ય તે ગોંડલનાં અપાર, જહાં પધાર્યા પ્રભુ ઝાઝીવાર. 38
મોતીજી રાજા હરિભકત કેવા, જનો કહે સૌ જનકાદિ જેવા;
જાણે થયું આરતી ટાણું જયારે, ચોપાટમાં ધુન્ય કરેજ ત્યારે. 39
જે બોલતાં ધુન્ય દિલે લજાય, તેને કરે ત્યાંથી તદા વિદાય;
શ્રીજી તણા સંત મળે સુઠામ, પ્રેમે કરે દંડવત પ્રણામ. 40
પોતે ધરેલા નિયમો ન મૂકે, માળા પૂજા ચિત્ત થકી ન ચૂકે;
શ્રી સ્વામિનારાયણ નામ લેતાં, લાજે ન સૌ લોક વચ્ચે કહેતાં. 41
અઢારસેં વર્ષ સતાણુવામાં, મોક્ષે સિધાવ્યા નૃપ તે સમામાં;
રાજા થયા તે પછી ભાણભાઈ, સુકીર્તિ તેની પણ તેવી છાઈ. 42
ગોપાળસ્વામી ગુણવંત જેહ, ગુરુ કર્યા ગોંડળનાથ તેહ;
તેડાવીને તે મુનિને નૃપાળે, વાતો સુણી તેહ તણી ત્રિકાળે. 43
જયાં બાગ છે પીપળ પારકસ્ય, ગયા તહાં તે ગુરુ સાથ શિષ્ય;
સ્વામી કહે આંહિ હરિ જમ્યા છે, આ બાગમાં તો સઘળે ભમ્યા છે. 44
આ કૂપમાં મજ્જન આચર્યું છે, સંધ્યાદિ સત્કર્મ અહીં કર્યું છે;
શ્રીજીની લીળા સ્મરણાર્થ કામ, દેરી કરાવો શુભ એહ ઠામ. 45
રાયે પછી દેરી રુડી રચાવી, તે માંહિ થાપ્યાં પગલાં ઘડાવી;
દેશી વિદેશી જનસંઘ આવે, તે દેરીને મસ્તક તો નમાવે. 46
લીલા પ્રભુની પછી પૂછી લે છે, તે સાંભળી અંતરમાં ધરે છે;
તે ભૂમિનાં ભાગ્ય ભલાં વખાણે, માહાત્મ્ય મોટું મન માંહિ જાણે. 47
ગોપાળસ્વામી વળી ભૂપ પાસ, વિશેષ કીધું વચન પ્રકાશ;
તમે હરિમંદિર તો કરાવો, સુસંતને ઉતરવા ઠરાવો. 48
સુતાર કચ્છી જન દેવરામ, નિવાસથી દક્ષિણ દીશ ઠામ;
જગ્યા હતી મંદિર ત્યાં કરાવ્યું, ભકતો તણાં અંતર માંહિ ભાવ્યું. 49
ભાણાજીયે ભાવ ભલો સજીને, આચાર્યજી શ્રીરધુવીરજીને;
તેડાવી તેની સજી સારી સેવા, આ લોકમાં લાભ અલભ્ય લેવા. 50
ગુણાતીતાનંદ મુનીન્દ્ર પાસ, વાતો સુણી ચિત્ત ધરી હુલાસ;
વિશુદ્ધ આત્મા મુનિનંદ જેહ, તેડાવિયા ગોંડળ માંહિ તેહ. 51
તે સાધુ શ્રી ભાગવત પ્રવીણ, કથા સુણાવી કૃત ભ્રાંતિ હીણ;
તે ભૂપતિના સુત સુખદાઈ, સંગ્રામજી ને વળી મુળુભાઇ. 52
ભલા થયા બેય પ્રવીણ પૂરાં, ધર્મીપણા માંહિ નહીં અધૂરા;
જયાં ઓગણીસે પર વર્ષ સાત, થયાં વળી વિક્રમનાં વિખ્યાત. 53
સ્વર્ગે સિધાવ્યા શુભ ભાણા રાજા, સંગ્રામજી ગાદિ વિષે બિરાજયા;
જેણે જનોમાં જશ ખૂબ લીધો, સદૈવ સારા જન સંગ કીધો. 54
પુષ્પિતાગ્રા:-
જદુ કુળ હરિભકતની કથાય, ગુણ ગણિ કોઇ સુણે ભણે સુગાય;
પરમ પુનિત ચિત્ત તેનું થાશે, પ્રગટ પ્રભુ તણી ભકિત તે ચહાશે. 55
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનન્દમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગોંડળપતિ ભાણાભાઈ ભૂપાળપયર્ંત વૃત્તાંતકથનં નામા અષ્ટમો વિશ્રામ:- ।।8।।