ઉપજાતિ:-
દેવાજીયે હેત વિશેષ કીધું, સૌ સંતને ભોજન મિષ્ટ દીધું;
વૃંતાક ત્યાં મિષ્ટ વિશેષ ધારી, કર્યો સુશાકોત્સવ શ્રીમુરારી. 1
શિખરિણી:-
મંગાવ્યાં તે ટાંણે વસુ મણ સુવૃંતાક હરિયે,
તથા ઘી તે તુલ્યે વસુ મણ નહી ન્યૂન જરિયે; 2
મસાલો રૂપાળો તજ લવિંગ એલાયચી તથા,
વઘાર્યું તે સારૂં સરસપણની શી કહું કથા. 3
હરિદ્રાને સાટે ધરમકુંવરે કેસર ધર્યું,
સ્વહસ્તે સંભાળી કદી નવ કરેલા સમ કર્યું; 4
જથો જાવંત્રીનો ભલી વળી ભુકી જાયફળની,
સુગંધી ફેલાઇ સકળ પુરમાં તે સકળની. 5
ઉડીને આકાશે પરિમળ પહોંચ્યો સ્વરગમાં,
પ્રશંસા તેથી થૈ સુરપતિ સુરોના વરગમાં; 6
સ્વહાથે શ્રીનાથે સુખદ પિરસ્યું સંત સહુને,
જમાડ્યા જુકિતથી ભલી વિધિ બીજા ભકત બહુને. 7
ઉપજાતિ:-
દેવોજી ત્યાં દર્શન કાજ આવ્યા, સાથે ભલા ચાર કુમાર લાવ્યા;
નાથોજી કાનોજી સુમોતિભાઈ, સંજ્ઞા બીજી ચંદ્રસિંહે ગણાઈ. 8
છે ભાણભાઇ સુચતુર્થ નામ, બેઠા પ્રભુને કરી સૌ પ્રણામ;
પૂછ્યું પ્રભુ આપ કુમાર આ છે, રાજા કહે તે સુત આપના છે. 9
ત્યાં મોતિભાઈ વળી ભાણભાઈ, બે શીશ મૂકયો કર સુખદાઇ;
આ બે કહ્યું સેવક છે અમારા, આ બે બીજા તે સુત છે તમારા. 10
તે બોલનો મર્મ પ્રભુજ જાણે, જાણે ન બીજા જન તેહ ટાણે;
જેને કહ્યું શ્રીહરિયે અમારા, તે તો થયા બે સતસંગી સારા. 11
પ્રસાદી દૈ તે સહુને જમાડ્યા, વાતો કરી મોદ ઘણા પમાડ્યા;
હેતે હરીને મન માંહિ ધાર્યા, સપુત્ર રાજા પુરમાં પધાર્યા. 12
સભા બીજે રોજ ભરાઈ જયારે, ભૂપાળ આવ્યા પ્રભુ પાસ ત્યારે;
વેરાગી આવ્યો નરનાથ યુકત, છે નામ જેનું વળી દેવમુકત.13
પાખંડી પાખંડ ચલાવતો તે, આચાર્યનો ઢોંગ ધરાવતો તે ;
નહિ ભણેલો અભિમાન ભારે, પોતા તણો પંથ નવો વધારે. 14
શ્રીજી તણા સંત જ નંદ જેમ, તે ઢોંગિના સંત જ મુકત તેમ;
શ્રીમુકત ધીમુકત શ્રીરામમુકત, વૈરાગ્યમુકત પ્રભુમુકત યુકત. 15
આવ્યા જનો જે નરપાળ સાથે, સૌને દીધું માન મુનીન્દ્ર નાથે;
પાખંડીને શબ્દ ભલા સુણાવી, બેસારિયો આસન ત્યાં નખાવી. 16
કર્તા હતા વાત કૃપાનિધાન, તે સુણતા સૌ થઇ સાવધાન;
પાખંડી બોલ્યો અભિમાન આણી, નથી તમારી સમજાતી વાણી. 17
કરે સુવાર્તા મુનિમુકત કાંઈ, તો જાણીયે કાંઈક સારમાંઈ;
બોલ્યા સુણીને મુનિમુકત સોય, પ્રભુની વાણી શ્રુતિતુલ્ય હોય. 18
બ્રહ્માદિને દુર્ગમ અર્થ એનો, શું જાણીયે પામર પ્રાણી તેનો;
એવી રીતે માર્મિક વેણ મારી, પછી રહ્યા મૌન મુનિ વિચારી. 19
ત્યાં શ્રીજીયે વાત વળી ઉચારી, પાખંડી બોલ્યો અભિમાન ધારી;
હું જે પૂછું ઉત્તર એહ આપો, સર્વે તણા સંશય આપ કાપો. 20
એવું કહીને બહુ પ્રશ્ન કીધા, તે શ્રીજીયે ઉત્તર સર્વ દીધા;
શાસ્ત્રો તણી સાક્ષી અનેક આપી, તેણે ન માન્યુ જરીયે તથાપી. 21
પાખંડી બોલ્યો પ્રભુ સામું એમ, તમે ધર્યો ધર્મ નવિન કેમ ?
ખોટા તમે છો નથી સત્યવાદી, અમે ધર્યો ધર્મ ખરો અનાદિ. 22
બોલ્યા સુણી શ્રીજી ભવિષ્યવેત્તા, શું મર્મમાં ઉત્તર હોય દેતા;
ખોટો ખરો ધર્મ પ્રસિદ્ધ થાશે, છ માસ મધ્યે સધળું જણાશે. 23
દેવાજી ભૂપે પણ તેહ ઠાર, તેનેજ દીધો ઠપકો અપાર;
તે સાંભળી ઊઠી ગયો અધર્મી, જણાઈ આવ્યો પછી તે કુકર્મી. 24
પાપિષ્ઠ તે એક પરસ્ત્રી લૈને, નાશી ગયો વિહ્વળ ચિત્ત થૈને;
રહ્યો ન કાંઈ ઈતબાર એનો, તુટી પડયો તે પછી પંથ તેનો. 25
હવે કહું શ્રીહરિની કથાય, ત્રીજે દિને ત્યાં વૃષવંશિ રાય;
સારું અરીઠા તણું ઝાડ જોઇ, જમ્યા સ્વહસ્તે કરી ત્યાં રસોઈ. 26
અષ્ટાંગના સાધન કેરી રીત, સુસંતને શ્રીહરિ નિત્ય નિત્ય;
સ્નેહે કરી શીખવતા સદાય, એકાંતમાં સાધન તેહ થાય. 27
તે બાગમાં તો બહુ લોક આવે, તેથી જ ત્યાં શીખવતાં ન ફાવે;
બોલ્યા મહીનાથ સમીપ માવો, એકાંત જગ્યા અમને બતાવો. 28
રાયે કહ્યું શ્રીહરિની હજૂર, આંહી થકી છે અધ ગાઉ દૂર;
આશાપુરીનું શુભ સ્થાન જેહ, આ ગામથી ઉત્તર માંહી તેહ. 29
એકાંત જગ્યા અતિ એહ સારી, એવું સુણી ત્યાં વિચર્યા મુરારી;
રાજા તણા આગ્રહથી નિવાસ, કર્યો તહાં શ્રીહરિ યુગ્મ માસ. 30
તહાં રહીને નિજભકત ઘેર, જતા હતા શ્રીહરિ રૂડી પેર;
તે તો પધારે પધરામણીમાં, જયાં હોય શ્રદ્ધા ઘરના ધણીમાં. 31
ત્યાં ગોંડળી નામ નદી કિનારે, પ્રણામીનું મંદિર જેહ ઠારે;
કુંભાર કેરું ઘર તેની પાસ, રહ્યા હતા ત્યાં હરિ રાત વાસ. 32
અજો તથા જે હરભંમ નામ, તે બેયને ઘેર પધારી શ્યામ;
તેઓ તણે ઘેર જમ્યા મુરારી, તેની સુજાતિ કડીયાની ધારી. 33
મેરાઇ રત્નો વળી એક વીરો, સત્સંગમાં શોભિત જેમ હીરો;
પ્રસન્ન તેને પ્રભુજી થઇને, તેઓ તણે ઘેર જમ્યા જઇને. 34
સુજાતિ જાણો કણબી જ જેની, સુસાખ્ય તો કોટડિયાની તેની;
તેને ઘરે જૈ શુભ ભાવ જોઇ, જમ્યા પ્રભુ ત્યાં કરીને રસોઈ. 35
છે ગામમાં દેવપરું જહાંય, જોધો રહે એક સુતાર ત્યાંય;
તેને ઘરે કૃષ્ણ ઝુલ્યા હિંડોળે, સુભાગ્યશાળી નહિ તેની તોલે. 36
સુતાર જેકર્મણ નામ જેનું, છે તે પરામાં ઘરબાર તેનું;
તેને ઘરે શ્રીપ્રભુજી પધાર્યા, હૈયા વિષે હર્ષ ઘણા વધાર્યા. 37
નદી ભલી ઉત્તરમાંથી આવે, પ્રવાહ તો દક્ષિણમાં સિધાવે;
વસેલ છે પશ્ચિમ તીર ગામ, ગુણી ભલું ગોંડળ જેનું નામ. 38
તેને કિનારે પણ ઠામ ઠામ, કરેલ છે મજ્જન મેઘશ્યામ;
છે નામ નારાયણહૃદ જયાંય, છે હાથિયો પથ્થર એક ત્યાંય. 39
નાવા ગયા શ્રીહરિ ઝાઝી વાર, માહાત્મ્ય એનું ગણીયે અપાર;
ત્યાંથી વળી દક્ષિણ ભાગમાંય, જનો કહે ખળખળિયો સુ ત્યાંય. 40
મહાપ્રભુ મજ્જન ત્યાં કર્યું છે, સંધ્યાદિ નિત્યાર્ચન આચર્યું છે;
ત્યાંથી વળી દક્ષિણ ભાગ લાગ, છે શ્રીહરિ મંદિરનો સુબાગ. 41
સંગ્રામજી ભૂપ થયા સુજાણ, દેવાર્થ તેણેજ દીધો પ્રમાણ;
ત્યાં છે ભલો જે નદીનો કિનારો, નાયેલ છે ત્યાં વૃષનો દુલારો. 42
બહુ સ્થળો પાવન તો કર્યા છે, સ્મૃતિ પ્રમાણે અહિં ઊચર્યા છે;
વિશેષ તો સ્થાન કથાપ્રસંગે, કહીશ તે હું અદકે ઉમંગે. 43
શ્રીગોડ ત્યાં બ્રાહ્મણ એક જેઠો, તે બુદ્ધિમાં તો જન સૌથી હેઠો;
તથાપિ સત્સંગી ઘણોજ સારો, દેવાજીને તે દિલ પૂર્ણ પ્યારો. 44
શ્રીજીતણે કાજ તપાસી જોઈ, રસાળી તે તો કરતો રસોઈ;
તેને પૂછયું શ્રી પ્રભુયે પ્રભાતે, સત્સંગી છે કોણ તમારી નાતે ? 45
વિપ્રે કહ્યું કષ્ટ ઘણું સહું છું, શ્રીગોડમધ્યે હરિભકત હું છું;
શ્રીજી કહે સિંહ ઘણા ન હોય, અરણ્યમાં એક જ હોય કોય. 46
વિપ્રે કહ્યું જે કહું વાત સાચી, છે મારી બુદ્ધિ પ્રભુ છેક કાચી;
કોઈ કરે વાદ વિવાદ આવી, તો તેહને હું ન શકું હઠાવી. 47
એવું સુણી અંતર ધારી લીધું, દયા કરીને વરદાન દીધું;
સરસ્વતી તુજ મુખે વસાશે, વિવાદ મધ્યે તુજ જીત થાશે. 48
પછી થયો ભાષણકારી કેવો, પૂરો મહાપંડિત હોય જેવો;
છ શાસ્ત્રવેત્તા કદી કોય હોય, તે વિપ્રને જીતી શકે ન તોય. 49
જે જેઠિયો નામથી ઓળખાતો, જેઠો મહારાજ પછી ગણાતો;
ઘણા ઘણાને જઇ બોધ દીધા, સારા જનોને સતસંગી કીધા. 50
એવા પ્રભુના પરચા અપાર, પ્રખ્યાત છે ભૂતળ ઠારઠાર;
તથાપિ જે આસુર સંપદાના, તેણે પ્રભુને પ્રભુજી ન માન્યા. 51
મહાપ્રભુ ગોંડળમાં બિરાજી, કર્યા જનોને બહુ રાજી રાજી;
દેવાજી ભૂપાળ થયા કૃતાર્થ, સાધી લીધા સર્વપ્રકાર સ્વાર્થ. 52
પછી પ્રભુ ત્યાંથી થયા વિદાય, તેથી થયા દિલ ઉદાસી રાય;
તેને દિલે સાંતવના કરાવે, મુક્યું મુનિ મંડળ એક માવે. 53
વળી હઠીભાઈ કરી સુપ્યાર, તેડાવિયા ત્યાં હરિ ચોથી વાર;
પોતા તણા ત્યાં દરબારમાંય, આપ્યો ઉતારો નિજવાસ જયાંય. 54
સંતો તથા પાર્ષદ વર્ણી સાથ, જમ્યા તહાં શ્રીવૃષવંશ નાથ;
છે પશ્ચિમાભિમુખ ગોખ ત્યાંય, બીરાજીયા શ્રીહરિ તેહ માંય. 55
સંતે સજી પશ્ચિમમાં સભાય, સૌને પ્રભુ સન્મુખ ત્યાં જણાય;
મેડી વિષે રાજજનો ભરાયા, તેને પ્રભુ સન્મુખ ત્યાં જણાયા. 56
પ્રશ્નો જનો બેય દિશે પૂછે છે, બન્ને મુખે ઉત્તર કૃષ્ણ દે છે;
કળા હરિની ન કળેજ કોય, આશ્ચર્ય બ્રહ્માદિકનેય હોય. 57
કહે પ્રભુજી હઠીસિંહ પાસ, ક્ષત્રિ કરે પુત્રી તણો વિનાશ;
તે ચાલતો બંધ તમે કરાવો, સાંખે નહી ઇશ અધર્મ આવો. 58
પુત્રી હણ્યાનું અતિ પાપ મોટું, ખરૂં કહું છું નહિ લેશ ખોટું;
ગરીબ શર્ણાગત બાળ જેહ, તેને હણે તો નહિ ક્ષત્રિ તેહ. 59
ક્ષત્રિ વિષે જાદવ વંશ શ્રેષ્ઠ, તેને ન શોભે અતિ કામ નેષ્ટ;
અમારી જો વાત નહિં મનાય, મનાવશે કોઈ બલિષ્ઠ રાય. 60
બોલ્યા હઠીસિંહજી જોડી પાણિ, માની અમે નાથ તમારી વાણી;
બીજા ભરેલા બહુ સ્વાભિમાને, તે તો કદી વાત ધરે ન કાને. 61
શ્રીજી કહે આપ કહ્યું ખરું છે, સાધુપણું આજ અમે ધર્યું છે;
માટે નહીં શસ્ત્ર કરે ધરાય, અન્ય પ્રકારે જ થશે ઉપાય. 62
પછી પ્રભુ ગોંડળથી પધાર્યા, ઘણા જનોના મન અર્થ સાર્યા;
સંકલ્પ જે શ્રીહરિ ચિત્ત કીધ, કાળે કરી તેહ થયો સુસિદ્ધ. 63
પુષ્પિતાગ્રા:-
જદુકુળ જનને સુબોધ દૈને, નિજ સતસંગી કર્યા ઘણાક જઇને;
હરિજન થઈને સુતા ન મારી, ધરમસુતે અબળા ઘણી ઉગારી. 64
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનન્દમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે ગોંડળપુરે શ્રીહરિદેવાજી નૃપતિપ્રતિ કન્યારક્ષણોપદેશકરણનામ સપ્તમો વિશ્રામઃ ।।7।।

