ઉપજાતિ:-

કહે ભૂમાનંદ સુણો સુભકત, એકાગ્ર રાખી મન  ઇંદ્રિયુકત;

સંવાદ વર્ણીન્દ્ર નરેંદ્ર  કેરો,  જે સ્થાન  મધ્યે પ્રગટ્યો ઘણેરો. 1

તે સ્થાનનું વર્ણન  તેહ કાળે, કર્યુ મહારાજ વિહારીલાલે;

તે હું હવેથી તમને સુણાવું, સુણાવવા અંગ ઉમંગ લાવું. 2

ઉપજાતિ:- વરતાલનું વર્ણન:-

આચાર્ય બોલ્યા હરિભકત પાસ, સુણો તમે સૌ હરિકૃષ્ણદાસ;

વૃત્તાલનું વર્ણન હું કરૂં છું, મોટો મહીમા મનમાં ધરૂં છું. 3

શી વર્ણવું વૃતપુરીની શોભા, જે દેખવા દષ્ટિ દિસે સલોભા;

શ્રીલક્ષ્મીનારાયણ જયાં વસે છે, તેથી જ સર્વોત્તમ તે દિસે છે. 4

વસ્યા જહાં અક્ષરના નિવાસી, તે તુલ્યતા કોણ કહેજ કાશી;

માહાત્મ્ય  તેનું મનમાં વિચારે,  દ્વારાવતીને વળતી વિસારે. 5

નક્ષત્ર કોઇ  રવિતુલ્ય  નાવે,  મેરૂ સમો પર્વત  ના કહાવે;

ચિંતામણિથી ધન સર્વ છોટું,  સર્વેથી વૃત્તાલય તીર્થ મોટું. 6

ગંગા રહી ગોમતિને સ્વરૂપે, ભાનુસુતા દૈવત જ્ઞાનકૂપે;

સરસ્વતી ગોપિતળાવ ભાવે,  ત્રિવેણીનું તત્ત્વ ધનાતળાવે. 7

એ ચાર જે ગોમતિતીર્થ આદિ, પ્રત્યક્ષ કૃષ્ણે કરી છે પ્રસાદિ;

તેથી મહિમા અતિશ્રેષ્ઠ એનો, વિસ્તારથી ભેદ કહીશ તેનો. 8

જુવો વળી ઉત્તમ તીર્થ જેહ, તડાગ છે ટાડણ નામ તેહ;

શ્રીભકિતપુત્રે બહુ વાર સ્નાન, જેમા કર્યુ જાહ્નવિ તે સમાન. 9

ઈન્દ્રવંશા:-

શ્રીનાથનું મંદિર શોભિતું ઘણું, વેગે કરૂં વર્ણન આજ તે તણું;

પ્રાકારનું પૂરવ દ્વાર શ્રીધરે,  જોવા નિશાનાથ દિનેશ સંચરે. 10

વિઘ્નેશ સામા હનુમાન ત્યાં રહે, ભકતો તણાં સંકટ ભાંગવા ચહે;

ભૂતાદિ ચૂડેલ  ડરે જ દૂરથી, વેગેથી નાસે વળગાડ ઉરથી. 11

ઉપજાતિ:-

શ્રીભકિતપુત્રે કરુણા કરીને,  તે મૂર્તિયો સ્થાપી કરે ધરીને;

તેથી ઘણું દૈવત  તેહમાં છે, આશ્ચર્ય મોટાં બહુ એહમાં છે.12

અગ્નિખૂણે મંદિરથી દિસે છે, અખંડ નારાયણમોલ એ છે;

જહાં બીરાજી અઘના અરીયે, શિક્ષાની પત્રી રચિ શ્રીહરીયે. 13

અહો નિહાળો શુભ નિંબ એહ, જનમ્યો હશે શું વટવંસિ તેહ;

અસંખ્ય બ્રહ્માંડ તણા નિવાસ, પ્રત્યક્ષ બેઠા પ્રભુ જેની પાસ. 14

મંદિરનું વર્ણન:-

દેવાલયે જે શિખરો દિસે છે, શું શૃંગ હિમાચલનાં જ એ છે;

ધોળી ભલી ધન્ય ધજા વિરાજે, વિદ્યુલ્લતા ચંચળતાથી લાજે. 15

ધજા ફરુકે સમશ્યાથી જેમ, બોલાવતી હોય સમીપ તેમ;

આવો અહિં સૌ જનને કહે છે, કલ્યાણ તો આજ અહિં રહે છે. 16

પૂર્વાભિ છે મંદિરદ્વાર એહ, મુખ્યત્વ તેમાં ત્રણ ખંડ તેહ;

સિંહાસનો રુક્મ તણાં વિરાજે, તે દેખી ગોલોક નિવાસ લાજે. 17

જુઓ રુડો ઉત્તરખંડ જયાંય, રુડી દિસે છે ત્રણ મૂર્તિ ત્યાંય;

શ્રીધર્મભકિત  વળી વાસુદેવ, ટાળે જનોનાં દુઃખ તર્તખેવ. 18

ભલો જુવો મધ્યમખંડ ભાઈ, વિશેષ તેમાં છબી છે છવાઈ;

જયાં લક્ષ્મીનારાયણ છે ઉભાય, પાસે રુડા છે રણછોડરાય. 19

જુવો વળી દક્ષિણ ખંડધારી, રાધાજી  વંૃદાવનના વિહારી;

તેની જ જોડે હરિકૃષ્ણ રાજે, શૈય્યા જુદા ખંડ વિષે જ છાજે. 20

જો મત્સ્ય માર્તંડ સુકૂર્મ રૂપ, શ્રીશેષશાયી નરસિંહ ભૂપ;

વરાહની મૂર્તિ મનોજ્ઞ ભાસે, તે મૂર્તિયો મંડપમાં પ્રકાસે. 21

જો ધર્મવંશીતણી આ હવેલી,  રુડી રીતે છે રચના રચેલી;

છે ઈન્દ્રના વૈભવતુલ્ય   તેમાં,  સર્વે પ્રકારે સુખસાજ  જેમાં. 22

હતી તહાં શીતળ નિંબ છાંય, પૂર્વે પ્રભુ ત્યાં કરતા સભાય;

તે સ્થાનમાં તે થઈ છે હવેલી, વંદે મહર્ષિ મુનિ માન મેલી. 23

જો સંતનું આશ્રમ શુદ્ધ આ છે, ભલું વિશાળાશ્રમ તુલ્ય ભાસે;

નિરન્નમુકતો સમ સાધુ સારા, યોગી વસે સાધન સાધનારા. 24

સિદ્ધાસને કોઈ કરે સમાધિ, પદ્માસને કોઈ તજે ઉપાધિ;

કોઈક ઊંચા કર  બે કરીને, જપે પ્રભુ એક પગે ઠરીને. 25

કોઇ હરિના ગુણ ઉચ્ચરે છે,  કોઈ જનોને ઉપદેશ દે છે;

બ્રહ્માંડ ને પિંડ થકી વિરકત, ભલા પ્રભુના જ અનન્યભકત. 26

વૈતાલીય:-

તપસી તપસા તહાં કરે, પ્રભુતા શ્રીપ્રભુની દિલે ધરે;

રસના રસ નામ લે નહીં, ધનને બંધન તે ગણે સહી. 27

દુઃખમાં દુઃખ માનીલે નહીં, સુખને તે સુખ ના ગણે સહી;

હરિ હે હરિ નામ ભાખતા, તનથી પ્રીત નથી જ રાખતા. 28

ઉપજાતિ:-

કોઇ  ભણે શાબ્દિક શાસ્ત્ર શુદ્ધ, કોઈ ભણી ન્યાય બને સુબુદ્ધ;

વેદાંત  નિર્ભ્રાંત ભણે ભણાવે, પુરાણ કોઈક  સુણે સુણાવે. 29

કોઈ મુનિ શુદ્ધ સતાર વીણ, ઈત્યાદિ વાજિંત્ર વિષે પ્રવીણ;

વાજિંત્ર  લૈ ગાન  શરૂ  કર્યું છે, જાણે મુનિ  નારદ તુંબરુ છે. 30

ષડ્જાદિ સાતે સ્વરભેદ જાણે, ત્રિગ્રામની રીત પુરી પ્રમાણે;

છે મૂર્છનાઓ વળી એકવીશ, છ રાગ ને રાગણી  જાણ ત્રીશ. 31

જો તુંબિપાત્રો લટકે ઘણેરાં, ભવાબ્ધિનાં નાવ મુમુક્ષુ કેરાં;

કાં તો અખંડામૃત આપનારાં, કમંડલું અક્ષરથી ઉતાર્યા. 32

ભલો સભામંડપ પશ્ચિમે છે, શું યજ્ઞશાળા  અદભૂત એ છે;

માહાત્મ્ય તેનું કહી શું શકાય, જયાં જ્ઞાનનો જજ્ઞ અખંડ થાય. 33

રુડો હરિમંડપ નૈરુતે છે,  પ્રસાદીનું સ્થાન  પવિત્ર એ છે;

જહાં બીરાજી જનને પ્રબોધિ, શિક્ષાની પત્રી ઘનશ્યામ શોધિ. 34

આંહી વસે નૈષ્ઠિક વર્ણિવૃંદ, ભણે ભલા ૠગ્યજુ સામ છંદ;

ત્રિકાળ સંધ્યા વળી વૈશ્વદેવ, ગાયત્રીનો જાપ જપ્યાની ટેવ. 35

મંદિરથી ઉત્તરમાં ઉદામ, આરામ  નારાયણબાગ  નામ;

વિરાજિયા જયાં વૃષવંશ રાજ, સાથે લઇ સંત તણો સમાજ. 36

તેમાં અમે મંદિર છે કરાવ્યું, ભલું સુભકતો મન માંહિ ભાવ્યું;

નિહાળતાં તેની કૃતિ નવિની,  સ્મૃતિ  કરાવે રઘુવીરજીની. 37

ત્યાંથી વળી ઉત્તરમાં અનૂપ, છે ગોમતી તીર્થ તડાગરૂપ;

દ્વારાવતીથી અહિં એહ આવ્યાં, જે સચ્ચિદાનંદ મુનીન્દ્ર લાવ્યા. 38

જુઓ બની બેઠક  પૂર્વ તીરે,  લીલા કરી જયાં નરદેવ વીરે;

વસંતમાં રંગ બહુ રમ્યા છે, જ્ઞાની જનોના મનમાં ગમ્યા છે. 39

સોપાન  શોભે સુઘડેલ  સારાં, પવિત્ર મુકિતપદ આપનારાં;

સ્થળે સ્થળે ત્યાં બહુ તીર્થ થાન, ભાવે કરે સ્નાન સુભાગ્યવાન. 40

ગંગાથી છે નિર્મળ નીર જેમાં, પેખ્યાં ઘણાં પદ્મ પવિત્ર તેમાં;

હંસો વસે માનસરોવરે છે, તે દેખી સંદેહ દિલે ધરે છે. 41

નિરન્નમુકતો મુનિવેશ  ધારી, કરે સદા સ્નાન અહીં પધારી;

નાયા જહાં અક્ષરના નિવાસી, તે તુલ્ય શું થાય પ્રયાગ કાશી. 42

સ્ત્રીયો ભરે નીર તડાગ  તીરે,  તેનાં પડે છે પ્રતિબિંબ  નીરે;

શું નાગકન્યા મહિમા વિચારી, પાતાળમાંથી અહિયાં પધારી. 43

પાણી ભરી કાવડ કોઈ લાવે, શું તીર્થવાસી કરી તીર્થ આવે;

આ તીર્થને અન્ય તુલાથી તોલે, આ તીર્થનું પુણ્ય બહુત્વ બોલે. 44

ત્યાંથી વળી વાયુદિશા વિભાગ, રુડો દિસે છે રઘુવીર બાગ;

જહાં બિરાજી જગદીશ આપ, પુરો જણાવ્યો જનને પ્રતાપ. 45

વૈતાલીય:-

સદળી કળી વળી   ફળી, ન  ફળી વેત્ર લતા નહી દળી;

અકળીત કળી મળી મળી, લતિકા લુંબિ રહી લળી લળી. 46

ફળ દાડમ દાડિમી વિષે, રસદાયી   રસદાર તે દિસે;

દશનાકૃતિ  કૃષ્ણની હવી, કળી તેની કળી શું શકે કવિ. 47

કમળો વિમળો સ્થળો તણાં, સુદિશે ને વિદિશે દિસે ઘણાં;

કળના  કળનાર  શું કરે,  હઠિલાની  હઠિલાઈને હરે. 48

નિરખી નિરખી ઉદ્યાનને, કહું સૃષ્ટિ સ્રજ સૃષ્ટિવાનને;

અજતા અજ તારી ધન્ય છે, રચના આ રચનાથી અન્ય છે. 49

બહુ ઉદભવ ઉદ્ભીજો ધરે, ગણના ત્યાં ગણનાર શી કરે;

નજરો નજરે નિહાળતાં,   ન વળે દષ્ટિ   તહાંથી વાળતાં. 50

ચકવા  ચકવી  તહાં ઠરે,  ચરવાનું ચરવા  હરે ફરે;

સુર માનવ માનવા   સહી, ખગજાતિ ખગ જાણવા નહીં. 51

ઉપજાતિ:-

અશોક ને અંબ કદંબ છાજે, દ્રાક્ષાલતા ને કદળી વિરાજે;

શીતાફળી જામફળી અપાર, બકુલ જંબુફળ ને અનાર. 52

નારંગી પૂંગીફળી અંજીરો છે, અખોડ એલાફળ જંબીરો છે;

બદામડી ને પનસો     બહૂ છે, લવિંગ શોભામય  તે સહુ છે. 53

ચંપા જુઈ  ચંદનવૃક્ષ ચારુ, ગુલાબ ને જાઈ વિશેષ ધારુ;

સુકર્ણિકા પુષ્કળ પારિજાત, ભલાં દિસે પુષ્પ અનેક ભાત. 54

ભૃંગાવળી ત્યાં ભમતી ભમે છે, અનેક પુષ્પો થકી ગંધ લે છે;

જાણે લીધો શ્રી હરિનો સુવાસ, ભમે બિચારા ધરી એવી આશ. 55

વૃક્ષોપરે કુંદલતા  છવાઈ, જાણે શિરે પુષ્પ  પછેડી  છાઈ;

તે ભાળીને ભકત ઉમંગ લાવે, શ્રીજીની મૂર્તિ સ્ફુરી ઊર આવે. 56

જે વૃક્ષ  પામ્યાં પ્રભુનો પ્રસંગ, ફૂલ્યાં તહાં શબ્દ કરે સુભૃંગ;

પ્રભુ ન ભેટ્યા વનમાં વસે છે, શું તે જનોને તરુઓ હસે છે. 57

શુકાદિ પક્ષી સ્વર શુદ્ધ બોલે, શી ઉપમા શોભિત તેની તોલે;

જાણે મુનિમંડળ ઠીક ઠાઠ, પ્રેમે પઢે છે શ્રુતિ સામ પાઠ. 58

સ્વર્ગાદિનાં સૌ સુખ સ્વલ્પ જાણી, માહાત્મ્ય મોટું અહિંનું પ્રમાણી;

આશ્ચર્ય પક્ષી ઉર માંહિ લાવે, માટે બહુ મસ્તકને ધુણાવે. 59

ઊંચે સ્વરે મોર મુખે ઉચારે, તેનું કવિ  કારણ એમ ધારે;

છે સ્નેહ તેને ઘનશ્યામ સંગે, માટે રટે નામ મહા ઉંમંગે. 60

વાડી વિષે હર્મ્ય દિસે વિશાળ, શું બ્રહ્મવિદ્યા તણી તે નિશાળ;

વૈકુંઠથી એક નિવાસ લાવી, જાણે મુકયો છે મહિમા  ઠરાવી. 61

પુરીથી ઈશાન પ્રદેશ ભાગ, જયાં છે વિશાળાખ્ય વિશાળ બાગ;

જેના ફળો શ્રીહરિજી જમ્યા છે, વિરાજીને ત્યાં જનને ગમ્યા છે.62

પુરી થકી પૂર્વ તડાગ તીર, દેરી વિષે છે હનુમાન વીર;

જહાં મહારાજ વિરાજિયા છે, પ્રસાદીની પાવન તે જગ્યા છે. 63

મહાપ્રભુ મજ્જન ત્યાં કર્યું છે, સુતીર્થ તેથી જ  તહાં ઠર્યું છે;

પવિત્ર જે પુષ્કર તીર્થરાજ, આવી વસ્યું શું અહિયાં જ આજ ! 64

જયારે સમૈયો જનનો ભરાય, ત્યારે જનો તે પુરમાં ન માય;

સમુદ્રમાં ભર્તિ ભરાય જેમ, ચારે દિશે સંઘ છવાય તેમ. 65

નાવા મળીને જનજૂથ જાય, ઊંચે સ્વરે કીર્તન તેહ ગાય;

શબ્દોથી ભૂગોળ ખગોળ ગાજે, જોવા વિમાને સુરવૃંદ છાજે. 66

જાતિ જુદી દેશ જુદા વિશેષ, ભાષા જુદી ને વળી ભિન્ન વેષ;

શું નાટકી નાટક વેષ લાવ્યા, પોતા તણા વેષ ભલા ભજાવ્યા. 67

ભાળો પુરીથી વળી પૂર્વભાગ, બન્યો  બહુ સુંદર જ્ઞાનબાગ;

મુનીશ જયાં શીશ કિરીટ ધાર્યો, તે ભૂમિકાનો મહિમા વધાર્યો. 68

છે હોજ બે વિશ્વપ્રસિદ્ધ   જેહ, રંગે ભરાવી હરિરાય તેહ;

હોળી રમ્યા ત્યાં જન સાથ હેતે, લીલા કરી  કૃષ્ણ કૃપાનિકેતે. 69

અહીં હતો અદ્ભુત આંમલો જે, સુભાગ્યશાળી સઉથી ભલો તે;

જે નાથને જોગી જનો ન ભાળે, હેતે હિંચ્યા તે હરિ જેની ડાળે. 70

જયાં પીજવાસી શિવલાલ આવી, બહૂ રુડી બેઠક છે રચાવી;

સત્સંગના સંઘ અસંખ્ય આવે, નારી નરો મસ્તક ત્યાં નમાવે. 71

પુષ્પિતાગ્રા:-

વૃષજ ચરિત વર્ણવા વિચારી, વૃષજ સદંઘ્રિ-સરોજ ચિત્ત ધારી;

પ્રથમ  કથન  યોગ્ય જે વિચાર્યું,  વરણન વૃત્તપુરીતણું ઉચાર્યું. 72

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમ કળશે ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે વૃત્તપુરી વર્ણનનામ પંચમો વિશ્રામઃ ।। 5 ।।