ઉપજાતિ:-
કહે ભૂમાનંદ સુણો સુભકત, એકાગ્ર રાખી મન ઇંદ્રિયુકત;
સંવાદ વર્ણીન્દ્ર નરેંદ્ર કેરો, જે સ્થાન મધ્યે પ્રગટ્યો ઘણેરો. 1
તે સ્થાનનું વર્ણન તેહ કાળે, કર્યુ મહારાજ વિહારીલાલે;
તે હું હવેથી તમને સુણાવું, સુણાવવા અંગ ઉમંગ લાવું. 2
ઉપજાતિ:- વરતાલનું વર્ણન:-
આચાર્ય બોલ્યા હરિભકત પાસ, સુણો તમે સૌ હરિકૃષ્ણદાસ;
વૃત્તાલનું વર્ણન હું કરૂં છું, મોટો મહીમા મનમાં ધરૂં છું. 3
શી વર્ણવું વૃતપુરીની શોભા, જે દેખવા દષ્ટિ દિસે સલોભા;
શ્રીલક્ષ્મીનારાયણ જયાં વસે છે, તેથી જ સર્વોત્તમ તે દિસે છે. 4
વસ્યા જહાં અક્ષરના નિવાસી, તે તુલ્યતા કોણ કહેજ કાશી;
માહાત્મ્ય તેનું મનમાં વિચારે, દ્વારાવતીને વળતી વિસારે. 5
નક્ષત્ર કોઇ રવિતુલ્ય નાવે, મેરૂ સમો પર્વત ના કહાવે;
ચિંતામણિથી ધન સર્વ છોટું, સર્વેથી વૃત્તાલય તીર્થ મોટું. 6
ગંગા રહી ગોમતિને સ્વરૂપે, ભાનુસુતા દૈવત જ્ઞાનકૂપે;
સરસ્વતી ગોપિતળાવ ભાવે, ત્રિવેણીનું તત્ત્વ ધનાતળાવે. 7
એ ચાર જે ગોમતિતીર્થ આદિ, પ્રત્યક્ષ કૃષ્ણે કરી છે પ્રસાદિ;
તેથી મહિમા અતિશ્રેષ્ઠ એનો, વિસ્તારથી ભેદ કહીશ તેનો. 8
જુવો વળી ઉત્તમ તીર્થ જેહ, તડાગ છે ટાડણ નામ તેહ;
શ્રીભકિતપુત્રે બહુ વાર સ્નાન, જેમા કર્યુ જાહ્નવિ તે સમાન. 9
ઈન્દ્રવંશા:-
શ્રીનાથનું મંદિર શોભિતું ઘણું, વેગે કરૂં વર્ણન આજ તે તણું;
પ્રાકારનું પૂરવ દ્વાર શ્રીધરે, જોવા નિશાનાથ દિનેશ સંચરે. 10
વિઘ્નેશ સામા હનુમાન ત્યાં રહે, ભકતો તણાં સંકટ ભાંગવા ચહે;
ભૂતાદિ ચૂડેલ ડરે જ દૂરથી, વેગેથી નાસે વળગાડ ઉરથી. 11
ઉપજાતિ:-
શ્રીભકિતપુત્રે કરુણા કરીને, તે મૂર્તિયો સ્થાપી કરે ધરીને;
તેથી ઘણું દૈવત તેહમાં છે, આશ્ચર્ય મોટાં બહુ એહમાં છે.12
અગ્નિખૂણે મંદિરથી દિસે છે, અખંડ નારાયણમોલ એ છે;
જહાં બીરાજી અઘના અરીયે, શિક્ષાની પત્રી રચિ શ્રીહરીયે. 13
અહો નિહાળો શુભ નિંબ એહ, જનમ્યો હશે શું વટવંસિ તેહ;
અસંખ્ય બ્રહ્માંડ તણા નિવાસ, પ્રત્યક્ષ બેઠા પ્રભુ જેની પાસ. 14
મંદિરનું વર્ણન:-
દેવાલયે જે શિખરો દિસે છે, શું શૃંગ હિમાચલનાં જ એ છે;
ધોળી ભલી ધન્ય ધજા વિરાજે, વિદ્યુલ્લતા ચંચળતાથી લાજે. 15
ધજા ફરુકે સમશ્યાથી જેમ, બોલાવતી હોય સમીપ તેમ;
આવો અહિં સૌ જનને કહે છે, કલ્યાણ તો આજ અહિં રહે છે. 16
પૂર્વાભિ છે મંદિરદ્વાર એહ, મુખ્યત્વ તેમાં ત્રણ ખંડ તેહ;
સિંહાસનો રુક્મ તણાં વિરાજે, તે દેખી ગોલોક નિવાસ લાજે. 17
જુઓ રુડો ઉત્તરખંડ જયાંય, રુડી દિસે છે ત્રણ મૂર્તિ ત્યાંય;
શ્રીધર્મભકિત વળી વાસુદેવ, ટાળે જનોનાં દુઃખ તર્તખેવ. 18
ભલો જુવો મધ્યમખંડ ભાઈ, વિશેષ તેમાં છબી છે છવાઈ;
જયાં લક્ષ્મીનારાયણ છે ઉભાય, પાસે રુડા છે રણછોડરાય. 19
જુવો વળી દક્ષિણ ખંડધારી, રાધાજી વંૃદાવનના વિહારી;
તેની જ જોડે હરિકૃષ્ણ રાજે, શૈય્યા જુદા ખંડ વિષે જ છાજે. 20
જો મત્સ્ય માર્તંડ સુકૂર્મ રૂપ, શ્રીશેષશાયી નરસિંહ ભૂપ;
વરાહની મૂર્તિ મનોજ્ઞ ભાસે, તે મૂર્તિયો મંડપમાં પ્રકાસે. 21
જો ધર્મવંશીતણી આ હવેલી, રુડી રીતે છે રચના રચેલી;
છે ઈન્દ્રના વૈભવતુલ્ય તેમાં, સર્વે પ્રકારે સુખસાજ જેમાં. 22
હતી તહાં શીતળ નિંબ છાંય, પૂર્વે પ્રભુ ત્યાં કરતા સભાય;
તે સ્થાનમાં તે થઈ છે હવેલી, વંદે મહર્ષિ મુનિ માન મેલી. 23
જો સંતનું આશ્રમ શુદ્ધ આ છે, ભલું વિશાળાશ્રમ તુલ્ય ભાસે;
નિરન્નમુકતો સમ સાધુ સારા, યોગી વસે સાધન સાધનારા. 24
સિદ્ધાસને કોઈ કરે સમાધિ, પદ્માસને કોઈ તજે ઉપાધિ;
કોઈક ઊંચા કર બે કરીને, જપે પ્રભુ એક પગે ઠરીને. 25
કોઇ હરિના ગુણ ઉચ્ચરે છે, કોઈ જનોને ઉપદેશ દે છે;
બ્રહ્માંડ ને પિંડ થકી વિરકત, ભલા પ્રભુના જ અનન્યભકત. 26
વૈતાલીય:-
તપસી તપસા તહાં કરે, પ્રભુતા શ્રીપ્રભુની દિલે ધરે;
રસના રસ નામ લે નહીં, ધનને બંધન તે ગણે સહી. 27
દુઃખમાં દુઃખ માનીલે નહીં, સુખને તે સુખ ના ગણે સહી;
હરિ હે હરિ નામ ભાખતા, તનથી પ્રીત નથી જ રાખતા. 28
ઉપજાતિ:-
કોઇ ભણે શાબ્દિક શાસ્ત્ર શુદ્ધ, કોઈ ભણી ન્યાય બને સુબુદ્ધ;
વેદાંત નિર્ભ્રાંત ભણે ભણાવે, પુરાણ કોઈક સુણે સુણાવે. 29
કોઈ મુનિ શુદ્ધ સતાર વીણ, ઈત્યાદિ વાજિંત્ર વિષે પ્રવીણ;
વાજિંત્ર લૈ ગાન શરૂ કર્યું છે, જાણે મુનિ નારદ તુંબરુ છે. 30
ષડ્જાદિ સાતે સ્વરભેદ જાણે, ત્રિગ્રામની રીત પુરી પ્રમાણે;
છે મૂર્છનાઓ વળી એકવીશ, છ રાગ ને રાગણી જાણ ત્રીશ. 31
જો તુંબિપાત્રો લટકે ઘણેરાં, ભવાબ્ધિનાં નાવ મુમુક્ષુ કેરાં;
કાં તો અખંડામૃત આપનારાં, કમંડલું અક્ષરથી ઉતાર્યા. 32
ભલો સભામંડપ પશ્ચિમે છે, શું યજ્ઞશાળા અદભૂત એ છે;
માહાત્મ્ય તેનું કહી શું શકાય, જયાં જ્ઞાનનો જજ્ઞ અખંડ થાય. 33
રુડો હરિમંડપ નૈરુતે છે, પ્રસાદીનું સ્થાન પવિત્ર એ છે;
જહાં બીરાજી જનને પ્રબોધિ, શિક્ષાની પત્રી ઘનશ્યામ શોધિ. 34
આંહી વસે નૈષ્ઠિક વર્ણિવૃંદ, ભણે ભલા ૠગ્યજુ સામ છંદ;
ત્રિકાળ સંધ્યા વળી વૈશ્વદેવ, ગાયત્રીનો જાપ જપ્યાની ટેવ. 35
મંદિરથી ઉત્તરમાં ઉદામ, આરામ નારાયણબાગ નામ;
વિરાજિયા જયાં વૃષવંશ રાજ, સાથે લઇ સંત તણો સમાજ. 36
તેમાં અમે મંદિર છે કરાવ્યું, ભલું સુભકતો મન માંહિ ભાવ્યું;
નિહાળતાં તેની કૃતિ નવિની, સ્મૃતિ કરાવે રઘુવીરજીની. 37
ત્યાંથી વળી ઉત્તરમાં અનૂપ, છે ગોમતી તીર્થ તડાગરૂપ;
દ્વારાવતીથી અહિં એહ આવ્યાં, જે સચ્ચિદાનંદ મુનીન્દ્ર લાવ્યા. 38
જુઓ બની બેઠક પૂર્વ તીરે, લીલા કરી જયાં નરદેવ વીરે;
વસંતમાં રંગ બહુ રમ્યા છે, જ્ઞાની જનોના મનમાં ગમ્યા છે. 39
સોપાન શોભે સુઘડેલ સારાં, પવિત્ર મુકિતપદ આપનારાં;
સ્થળે સ્થળે ત્યાં બહુ તીર્થ થાન, ભાવે કરે સ્નાન સુભાગ્યવાન. 40
ગંગાથી છે નિર્મળ નીર જેમાં, પેખ્યાં ઘણાં પદ્મ પવિત્ર તેમાં;
હંસો વસે માનસરોવરે છે, તે દેખી સંદેહ દિલે ધરે છે. 41
નિરન્નમુકતો મુનિવેશ ધારી, કરે સદા સ્નાન અહીં પધારી;
નાયા જહાં અક્ષરના નિવાસી, તે તુલ્ય શું થાય પ્રયાગ કાશી. 42
સ્ત્રીયો ભરે નીર તડાગ તીરે, તેનાં પડે છે પ્રતિબિંબ નીરે;
શું નાગકન્યા મહિમા વિચારી, પાતાળમાંથી અહિયાં પધારી. 43
પાણી ભરી કાવડ કોઈ લાવે, શું તીર્થવાસી કરી તીર્થ આવે;
આ તીર્થને અન્ય તુલાથી તોલે, આ તીર્થનું પુણ્ય બહુત્વ બોલે. 44
ત્યાંથી વળી વાયુદિશા વિભાગ, રુડો દિસે છે રઘુવીર બાગ;
જહાં બિરાજી જગદીશ આપ, પુરો જણાવ્યો જનને પ્રતાપ. 45
વૈતાલીય:-
સદળી કળી વળી ફળી, ન ફળી વેત્ર લતા નહી દળી;
અકળીત કળી મળી મળી, લતિકા લુંબિ રહી લળી લળી. 46
ફળ દાડમ દાડિમી વિષે, રસદાયી રસદાર તે દિસે;
દશનાકૃતિ કૃષ્ણની હવી, કળી તેની કળી શું શકે કવિ. 47
કમળો વિમળો સ્થળો તણાં, સુદિશે ને વિદિશે દિસે ઘણાં;
કળના કળનાર શું કરે, હઠિલાની હઠિલાઈને હરે. 48
નિરખી નિરખી ઉદ્યાનને, કહું સૃષ્ટિ સ્રજ સૃષ્ટિવાનને;
અજતા અજ તારી ધન્ય છે, રચના આ રચનાથી અન્ય છે. 49
બહુ ઉદભવ ઉદ્ભીજો ધરે, ગણના ત્યાં ગણનાર શી કરે;
નજરો નજરે નિહાળતાં, ન વળે દષ્ટિ તહાંથી વાળતાં. 50
ચકવા ચકવી તહાં ઠરે, ચરવાનું ચરવા હરે ફરે;
સુર માનવ માનવા સહી, ખગજાતિ ખગ જાણવા નહીં. 51
ઉપજાતિ:-
અશોક ને અંબ કદંબ છાજે, દ્રાક્ષાલતા ને કદળી વિરાજે;
શીતાફળી જામફળી અપાર, બકુલ જંબુફળ ને અનાર. 52
નારંગી પૂંગીફળી અંજીરો છે, અખોડ એલાફળ જંબીરો છે;
બદામડી ને પનસો બહૂ છે, લવિંગ શોભામય તે સહુ છે. 53
ચંપા જુઈ ચંદનવૃક્ષ ચારુ, ગુલાબ ને જાઈ વિશેષ ધારુ;
સુકર્ણિકા પુષ્કળ પારિજાત, ભલાં દિસે પુષ્પ અનેક ભાત. 54
ભૃંગાવળી ત્યાં ભમતી ભમે છે, અનેક પુષ્પો થકી ગંધ લે છે;
જાણે લીધો શ્રી હરિનો સુવાસ, ભમે બિચારા ધરી એવી આશ. 55
વૃક્ષોપરે કુંદલતા છવાઈ, જાણે શિરે પુષ્પ પછેડી છાઈ;
તે ભાળીને ભકત ઉમંગ લાવે, શ્રીજીની મૂર્તિ સ્ફુરી ઊર આવે. 56
જે વૃક્ષ પામ્યાં પ્રભુનો પ્રસંગ, ફૂલ્યાં તહાં શબ્દ કરે સુભૃંગ;
પ્રભુ ન ભેટ્યા વનમાં વસે છે, શું તે જનોને તરુઓ હસે છે. 57
શુકાદિ પક્ષી સ્વર શુદ્ધ બોલે, શી ઉપમા શોભિત તેની તોલે;
જાણે મુનિમંડળ ઠીક ઠાઠ, પ્રેમે પઢે છે શ્રુતિ સામ પાઠ. 58
સ્વર્ગાદિનાં સૌ સુખ સ્વલ્પ જાણી, માહાત્મ્ય મોટું અહિંનું પ્રમાણી;
આશ્ચર્ય પક્ષી ઉર માંહિ લાવે, માટે બહુ મસ્તકને ધુણાવે. 59
ઊંચે સ્વરે મોર મુખે ઉચારે, તેનું કવિ કારણ એમ ધારે;
છે સ્નેહ તેને ઘનશ્યામ સંગે, માટે રટે નામ મહા ઉંમંગે. 60
વાડી વિષે હર્મ્ય દિસે વિશાળ, શું બ્રહ્મવિદ્યા તણી તે નિશાળ;
વૈકુંઠથી એક નિવાસ લાવી, જાણે મુકયો છે મહિમા ઠરાવી. 61
પુરીથી ઈશાન પ્રદેશ ભાગ, જયાં છે વિશાળાખ્ય વિશાળ બાગ;
જેના ફળો શ્રીહરિજી જમ્યા છે, વિરાજીને ત્યાં જનને ગમ્યા છે.62
પુરી થકી પૂર્વ તડાગ તીર, દેરી વિષે છે હનુમાન વીર;
જહાં મહારાજ વિરાજિયા છે, પ્રસાદીની પાવન તે જગ્યા છે. 63
મહાપ્રભુ મજ્જન ત્યાં કર્યું છે, સુતીર્થ તેથી જ તહાં ઠર્યું છે;
પવિત્ર જે પુષ્કર તીર્થરાજ, આવી વસ્યું શું અહિયાં જ આજ ! 64
જયારે સમૈયો જનનો ભરાય, ત્યારે જનો તે પુરમાં ન માય;
સમુદ્રમાં ભર્તિ ભરાય જેમ, ચારે દિશે સંઘ છવાય તેમ. 65
નાવા મળીને જનજૂથ જાય, ઊંચે સ્વરે કીર્તન તેહ ગાય;
શબ્દોથી ભૂગોળ ખગોળ ગાજે, જોવા વિમાને સુરવૃંદ છાજે. 66
જાતિ જુદી દેશ જુદા વિશેષ, ભાષા જુદી ને વળી ભિન્ન વેષ;
શું નાટકી નાટક વેષ લાવ્યા, પોતા તણા વેષ ભલા ભજાવ્યા. 67
ભાળો પુરીથી વળી પૂર્વભાગ, બન્યો બહુ સુંદર જ્ઞાનબાગ;
મુનીશ જયાં શીશ કિરીટ ધાર્યો, તે ભૂમિકાનો મહિમા વધાર્યો. 68
છે હોજ બે વિશ્વપ્રસિદ્ધ જેહ, રંગે ભરાવી હરિરાય તેહ;
હોળી રમ્યા ત્યાં જન સાથ હેતે, લીલા કરી કૃષ્ણ કૃપાનિકેતે. 69
અહીં હતો અદ્ભુત આંમલો જે, સુભાગ્યશાળી સઉથી ભલો તે;
જે નાથને જોગી જનો ન ભાળે, હેતે હિંચ્યા તે હરિ જેની ડાળે. 70
જયાં પીજવાસી શિવલાલ આવી, બહૂ રુડી બેઠક છે રચાવી;
સત્સંગના સંઘ અસંખ્ય આવે, નારી નરો મસ્તક ત્યાં નમાવે. 71
પુષ્પિતાગ્રા:-
વૃષજ ચરિત વર્ણવા વિચારી, વૃષજ સદંઘ્રિ-સરોજ ચિત્ત ધારી;
પ્રથમ કથન યોગ્ય જે વિચાર્યું, વરણન વૃત્તપુરીતણું ઉચાર્યું. 72
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમ કળશે ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે વૃત્તપુરી વર્ણનનામ પંચમો વિશ્રામઃ ।। 5 ।।