ઉપજાતિ:-

કહે ભૂમાનંદ ઘણે વહાલે, વળી મહારાજ   વિહારીલાલે;

અંબાઇદાસાખ્ય સુભકત જેહ, કોઠારી તેડ્યા નિજ પાસ તેહ. 1

ખેડા તણા તે પણ પાટિદાર,  જયારે હતા વર્ષ વયે અઢાર;

વૈરાગ્ય પામી ઘરબાર ત્યાગી, વૃત્તાલયે આવી વસ્યા સુભાગી. 2

અઢારસેં ઉપર તો અઠાશી, જયારે ભલી વિક્રમ સાલ ભાસી;

આચાર્યજી શ્રીરઘુવીરજીયે, તથા દયા કીધી બધા મુનિયે. 3

વૃત્તાલના મંદિરનો ઉદાર, ભળાવિ  દીધો કુલ કારભાર;

તે કામ તેણે નિજશીશ લીધું,  વખાણવા લાયક  તેહ  કીધું. 4

કોઠારી ત્રીજા પણ તે પ્રમાણ, જે ભીમજીભાઇ ભલા સુજાણ;

તે મૂળ તો મોઢ વણિક નાતે, રહ્યાં સદા નૈષ્ઠિક આપ જાતે. 5

તેણે ધર્યો જન્મ  શિહોરમાંય, વશી રહ્યાં ષોડશ વર્ષ ત્યાંય;

તે ઓગણીસેં ત્રણ કેરી સાલે, ત્યાગી થયા સત્વર તેહ કાળે. 6

છે ભાલ માંહિ અણિયાળી ગામ, ત્યાં વાણિયા મોઢ વસે સુઠામ;

થયા પુંજાભાઇ ભલાજ ભકત, શ્રીજી છતાં તેહ થયા વિરકત. 7

સમગ્ર પુંજી  ઘરની  લઇને,  પોતે પછી  દુર્ગપુરે જઇને;

શ્રીજીપદે અર્પણ સર્વ કીધું, ત્યાગી થવાનું પણ માંગી લીધું. 8

પ્રસન્ન થૈને વૃષવંશિ રાજ, સોંપ્યું બધું મંદિર કેરું કાજ;

જયારે પછી શ્રીજી ગયા સ્વધામ, તથાપિ શેઠે કર્યું તેહ કામ. 9

ત્યાગી થવા ભીમજીભાઇ આવ્યા, તે શેઠના શિષ્ય તહાં ઠરાવ્યા;

જયારે પુંજાશેઠ ગયા સુધામ, તેનું કરે ભીમજીભાઇ કામ. 10

તેને વળી ગ્રંથ વિચાર કાળે, બોલાવિયા પાસ વિહારીલાલે;

ચતુર્થ કોઠારી સુલક્ષ્મીદાસ, સંક્ષેપ  એનો કહું ઇતિહાસ. 11

છે જન્મભૂમિ વઢવાણ માંય, શ્રીમાળીની નાત દશા ગણાય;

પછી  થયા તે સતસંગી કેમ, કહું હવે કારણ તેનું જેમ. 12

શાલિની:-

ભીમો વોરો શેઠ સત્સંગી સારા, શીયાણીમાં વાસ તે રાખનારા;

જેને ધર્મ પ્રાણ કરતાં વહાલો, તેને પુત્ર  પ્રાપ્ત તે શેઠ લાલો. 13

લક્ષ્મીદાસે તે તણો સંગ કીધો, ત્યારે તેને નિત્ય સદ્બોધ દીધો;

શ્રીજી કેરા ત્યાં થયા તે ઉપાસી, કાયા માયાથી થયા તે ઉદાસી. 14

લક્ષ્મીદાસે ગેહથી નેહ તોડ્યો, સાચા સંતો તેહમાં નેહ જોડ્યો;

ધોલેરામાં શ્રીરઘુવીર આવ્યા, ત્યાં બે મિત્રો દર્શનાર્થે સિધાવ્યા. 15

ત્યારે તે આચાર્યને શેઠ લાલે, સોંપ્યા લક્ષ્મી સત્તરા કેરી સાલે;

રાખ્યા જાણી તેહ સત્સંગી સારા, તે તો સૌને થૈ પડ્યા પૂર્ણ પ્યારા. 16

ધોલેરાના ધામનો કારભાર, સોંપ્યો સર્વે તેહને તેહ વાર;

ત્યાં થૈ આવ્યો એક બીજો બનાવ, તે તો સર્વે સાંભળો ધારી ભાવ. 17

જૂનેદુર્ગે જે હતા કાશીરામ, કર્તા તે કોઠારી કેરું સુકામ;

થોડાં વર્ષો તે કર્યો કારભાર, આયુર્દાનો આવિયો ત્યાં જ પાર. 18

દેહ ત્યાગીને ગયા કાશિરામ,  લક્ષ્મીદાસે કિધું તેનુંય કામ;

ધોલેરાનું કામ તો મુખ્ય કર્તા, જૂનાણાના કામમાં દષ્ટિ  ધર્તા. 19

તોયે ચિત્તે માન તેણે ન આણ્યું, ભકિત માટે દેહ છે એમ જાણ્યું;

એવા લક્ષ્મીદાસને ગ્રંથકાળે, બોલાવ્યા આચાર્ય વિહારીલાલે. 20

ઉપજાતિ:-

છે પાંચમા મંત્રી સુભકત જીવો, જે વૈશ્ય શ્રીમાળી વિષે સુદીવો;

ગઢાળીમાં જન્મ ધરી રહેલો, જેના પિતા સજજન શેઠ ઘેલો. 21

સંસારમાંથી થઇને વિયોગી, રહ્યાં મુનિમાં થઇ સાંખ્યજોગી;

તે વારતા તો કહિ મેં ઉમંગે, કહું બીજી વાત કથાપ્રસંગે. 22

ભાઇ  ભલા શ્રીરઘુવીરકેરા,  ગોપાળજી નામ  ગુણી ઘણેરા;

તેને કહ્યું પૂર્ણ કૃપા કરીને, શ્રીજી  સ્વયં દુર્ગપુરે ઠરીને. 23

રહો  તમે જૈ સરવાર દેશ,  તમો વડે કાર્ય થશે વિશેષ;

સંબંધિયોની કરી પૂરી આશ, સંભાળજો ગામ  તથા ગરાસ. 24

આજ્ઞા હરિની મન માની લૈને, રહ્યા પછી તે સરવાર જઇને;

સંભાળિયા ગામ તથા ગરાસ, સંબંધિ સૌની કરી પૂરી આશ. 25

વૈતાલીય:-

ગત  સંવત  ઓગણીશસેં,  ઉપરી  વર્ષ સુસોળમું દિસે;

શુભ ત્યાં સુધી કામ ત્યાં તણું, કરતાં કામ વધી પડ્યું ઘણું. 26

પછી તેની સહાયતા વિષે, રઘુવીરે નિરધારી તે દિશે;

ગુણ અંતર માંહિ આણિયો, જન જીવો અતિ યોગ્ય જાણિયો. 27

કરુણા કરી મોકલ્યો તહાં,  જન  જીવે જશ મેળવ્યો જહાં;

સ્વજનો વૃષવંશિના ઘણા, જશ બોલે જીભથી જિવા તણા. 28

વૃષવંશિ વિહારીલાલજી, રચવા ગ્રંથ ભલો વિશાળજી;

નિજચિત્ત વિચાર આણિયા, પૂછવા લાયક પાંચ જાણિયા. 29

પૂછી વાત  પ્રધાન  પાંચને, મન  જાણે ખૂબ ખોંચખાંચને;

કહી તેહ  બધી કથા ગણી, હરિભકતે કરી જેહ માગણી. 30

સુણી કામ નવીન ગ્રંથનું, હિતકારી પ્રભુભકિત પંથનું;

હૃદયે જન  રાજી તે થયા, કર  જોડી પ્રતિઉત્તરો  કહ્યા. 31

કરુણાનિધિ છો  કૃપા કરો,  અતિસારો ગુરુ ગ્રંથ આદરો;

રચવા શુભ  ગ્રંથ  આ  મતે, ધર્માચાર્ય તણુંજ કામ  તે. 32

હરિના જન વૃદ્ધ જયાં વસે, જન જો ત્યાં તમપાસથી જસે;

લખી વાત  અપૂર્વ લાવશે,  હરિલીલાની જનો લખાવશે. 33

શુભમાં કદી કાંઇ દ્રવ્યનો, વ્યય જો થાય ગણાય સવ્યનો;

અપસવ્ય  કહે ન  કોઇયે,  જબરા  ગ્રંથ  જરૂર  જોઇએ. 34

તટ તીરથના  બનાવવા, અથવા  ગ્રંથ  નવા  રચાવવા;

હરિ કે મુનિકાજ વાવરે, ધન તે ધન્ય મુનીન્દ્ર ઉચ્ચરે. 35

ઉચર્યા સુણીને વિહારીજી, શુભ છે ધન્ય  મતિ તમારીજી;

ગુણિતા ગણિ જાણી ગ્રંથની, અતિ જેથી શુભ પુષ્ટિ પંથની. 36

પણ સૌ મળી એટલું કરો, સઘળું કાર્ય બીજું તમે ધરો;

મનવૃત્તિ અખંડ જો ધરું, શુભ તો ગ્રંથ અપૂર્વ આદરું. 37

સુણી મંત્રી કહે સુણો તમે,  કરિયે કામ  ત્રિપેઢીથી અમે;

કરશું વળી એ  જ  રીતથી,  સુખથી   ગ્રંથ રચો સપ્રીતથી. 38

સુણી રાજી વિહારીજી થયા, રચિયો ગ્રંથ દિલે ધરી દયા;

શુભ  વર્ણન  ગ્રંથમાં ધર્યુ,  સહુ પેલું વરતાલનું કર્યુ. 39

સુણજો મન શાંતના સજી, કહું છું તે વળી ભાઇ વાઘજી;

વરણી  નૃપનો સમાગમ,  વરતાલે જ  થયો કહું ત્યમ. 40

પુષ્પિતાગ્રા:-

કહી શુભ ઉતપત્તિ ગ્રંથકેરી, શ્રવણ કર્યાથી સુશાંતિ દે ઘણેરી;

વરણન વરતાલ કેરું થાશે, પરમ પવિત્ર સુગ્રંથ જયાં રચાશે. 41

ઈતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગ્રંથોત્પત્તિકથનનામ ચતુર્થો વિશ્રામઃ ।। 4 ।।