ઉપજાતિ:-
કહે ભૂમાનંદ ઘણે વહાલે, વળી મહારાજ વિહારીલાલે;
અંબાઇદાસાખ્ય સુભકત જેહ, કોઠારી તેડ્યા નિજ પાસ તેહ. 1
ખેડા તણા તે પણ પાટિદાર, જયારે હતા વર્ષ વયે અઢાર;
વૈરાગ્ય પામી ઘરબાર ત્યાગી, વૃત્તાલયે આવી વસ્યા સુભાગી. 2
અઢારસેં ઉપર તો અઠાશી, જયારે ભલી વિક્રમ સાલ ભાસી;
આચાર્યજી શ્રીરઘુવીરજીયે, તથા દયા કીધી બધા મુનિયે. 3
વૃત્તાલના મંદિરનો ઉદાર, ભળાવિ દીધો કુલ કારભાર;
તે કામ તેણે નિજશીશ લીધું, વખાણવા લાયક તેહ કીધું. 4
કોઠારી ત્રીજા પણ તે પ્રમાણ, જે ભીમજીભાઇ ભલા સુજાણ;
તે મૂળ તો મોઢ વણિક નાતે, રહ્યાં સદા નૈષ્ઠિક આપ જાતે. 5
તેણે ધર્યો જન્મ શિહોરમાંય, વશી રહ્યાં ષોડશ વર્ષ ત્યાંય;
તે ઓગણીસેં ત્રણ કેરી સાલે, ત્યાગી થયા સત્વર તેહ કાળે. 6
છે ભાલ માંહિ અણિયાળી ગામ, ત્યાં વાણિયા મોઢ વસે સુઠામ;
થયા પુંજાભાઇ ભલાજ ભકત, શ્રીજી છતાં તેહ થયા વિરકત. 7
સમગ્ર પુંજી ઘરની લઇને, પોતે પછી દુર્ગપુરે જઇને;
શ્રીજીપદે અર્પણ સર્વ કીધું, ત્યાગી થવાનું પણ માંગી લીધું. 8
પ્રસન્ન થૈને વૃષવંશિ રાજ, સોંપ્યું બધું મંદિર કેરું કાજ;
જયારે પછી શ્રીજી ગયા સ્વધામ, તથાપિ શેઠે કર્યું તેહ કામ. 9
ત્યાગી થવા ભીમજીભાઇ આવ્યા, તે શેઠના શિષ્ય તહાં ઠરાવ્યા;
જયારે પુંજાશેઠ ગયા સુધામ, તેનું કરે ભીમજીભાઇ કામ. 10
તેને વળી ગ્રંથ વિચાર કાળે, બોલાવિયા પાસ વિહારીલાલે;
ચતુર્થ કોઠારી સુલક્ષ્મીદાસ, સંક્ષેપ એનો કહું ઇતિહાસ. 11
છે જન્મભૂમિ વઢવાણ માંય, શ્રીમાળીની નાત દશા ગણાય;
પછી થયા તે સતસંગી કેમ, કહું હવે કારણ તેનું જેમ. 12
શાલિની:-
ભીમો વોરો શેઠ સત્સંગી સારા, શીયાણીમાં વાસ તે રાખનારા;
જેને ધર્મ પ્રાણ કરતાં વહાલો, તેને પુત્ર પ્રાપ્ત તે શેઠ લાલો. 13
લક્ષ્મીદાસે તે તણો સંગ કીધો, ત્યારે તેને નિત્ય સદ્બોધ દીધો;
શ્રીજી કેરા ત્યાં થયા તે ઉપાસી, કાયા માયાથી થયા તે ઉદાસી. 14
લક્ષ્મીદાસે ગેહથી નેહ તોડ્યો, સાચા સંતો તેહમાં નેહ જોડ્યો;
ધોલેરામાં શ્રીરઘુવીર આવ્યા, ત્યાં બે મિત્રો દર્શનાર્થે સિધાવ્યા. 15
ત્યારે તે આચાર્યને શેઠ લાલે, સોંપ્યા લક્ષ્મી સત્તરા કેરી સાલે;
રાખ્યા જાણી તેહ સત્સંગી સારા, તે તો સૌને થૈ પડ્યા પૂર્ણ પ્યારા. 16
ધોલેરાના ધામનો કારભાર, સોંપ્યો સર્વે તેહને તેહ વાર;
ત્યાં થૈ આવ્યો એક બીજો બનાવ, તે તો સર્વે સાંભળો ધારી ભાવ. 17
જૂનેદુર્ગે જે હતા કાશીરામ, કર્તા તે કોઠારી કેરું સુકામ;
થોડાં વર્ષો તે કર્યો કારભાર, આયુર્દાનો આવિયો ત્યાં જ પાર. 18
દેહ ત્યાગીને ગયા કાશિરામ, લક્ષ્મીદાસે કિધું તેનુંય કામ;
ધોલેરાનું કામ તો મુખ્ય કર્તા, જૂનાણાના કામમાં દષ્ટિ ધર્તા. 19
તોયે ચિત્તે માન તેણે ન આણ્યું, ભકિત માટે દેહ છે એમ જાણ્યું;
એવા લક્ષ્મીદાસને ગ્રંથકાળે, બોલાવ્યા આચાર્ય વિહારીલાલે. 20
ઉપજાતિ:-
છે પાંચમા મંત્રી સુભકત જીવો, જે વૈશ્ય શ્રીમાળી વિષે સુદીવો;
ગઢાળીમાં જન્મ ધરી રહેલો, જેના પિતા સજજન શેઠ ઘેલો. 21
સંસારમાંથી થઇને વિયોગી, રહ્યાં મુનિમાં થઇ સાંખ્યજોગી;
તે વારતા તો કહિ મેં ઉમંગે, કહું બીજી વાત કથાપ્રસંગે. 22
ભાઇ ભલા શ્રીરઘુવીરકેરા, ગોપાળજી નામ ગુણી ઘણેરા;
તેને કહ્યું પૂર્ણ કૃપા કરીને, શ્રીજી સ્વયં દુર્ગપુરે ઠરીને. 23
રહો તમે જૈ સરવાર દેશ, તમો વડે કાર્ય થશે વિશેષ;
સંબંધિયોની કરી પૂરી આશ, સંભાળજો ગામ તથા ગરાસ. 24
આજ્ઞા હરિની મન માની લૈને, રહ્યા પછી તે સરવાર જઇને;
સંભાળિયા ગામ તથા ગરાસ, સંબંધિ સૌની કરી પૂરી આશ. 25
વૈતાલીય:-
ગત સંવત ઓગણીશસેં, ઉપરી વર્ષ સુસોળમું દિસે;
શુભ ત્યાં સુધી કામ ત્યાં તણું, કરતાં કામ વધી પડ્યું ઘણું. 26
પછી તેની સહાયતા વિષે, રઘુવીરે નિરધારી તે દિશે;
ગુણ અંતર માંહિ આણિયો, જન જીવો અતિ યોગ્ય જાણિયો. 27
કરુણા કરી મોકલ્યો તહાં, જન જીવે જશ મેળવ્યો જહાં;
સ્વજનો વૃષવંશિના ઘણા, જશ બોલે જીભથી જિવા તણા. 28
વૃષવંશિ વિહારીલાલજી, રચવા ગ્રંથ ભલો વિશાળજી;
નિજચિત્ત વિચાર આણિયા, પૂછવા લાયક પાંચ જાણિયા. 29
પૂછી વાત પ્રધાન પાંચને, મન જાણે ખૂબ ખોંચખાંચને;
કહી તેહ બધી કથા ગણી, હરિભકતે કરી જેહ માગણી. 30
સુણી કામ નવીન ગ્રંથનું, હિતકારી પ્રભુભકિત પંથનું;
હૃદયે જન રાજી તે થયા, કર જોડી પ્રતિઉત્તરો કહ્યા. 31
કરુણાનિધિ છો કૃપા કરો, અતિસારો ગુરુ ગ્રંથ આદરો;
રચવા શુભ ગ્રંથ આ મતે, ધર્માચાર્ય તણુંજ કામ તે. 32
હરિના જન વૃદ્ધ જયાં વસે, જન જો ત્યાં તમપાસથી જસે;
લખી વાત અપૂર્વ લાવશે, હરિલીલાની જનો લખાવશે. 33
શુભમાં કદી કાંઇ દ્રવ્યનો, વ્યય જો થાય ગણાય સવ્યનો;
અપસવ્ય કહે ન કોઇયે, જબરા ગ્રંથ જરૂર જોઇએ. 34
તટ તીરથના બનાવવા, અથવા ગ્રંથ નવા રચાવવા;
હરિ કે મુનિકાજ વાવરે, ધન તે ધન્ય મુનીન્દ્ર ઉચ્ચરે. 35
ઉચર્યા સુણીને વિહારીજી, શુભ છે ધન્ય મતિ તમારીજી;
ગુણિતા ગણિ જાણી ગ્રંથની, અતિ જેથી શુભ પુષ્ટિ પંથની. 36
પણ સૌ મળી એટલું કરો, સઘળું કાર્ય બીજું તમે ધરો;
મનવૃત્તિ અખંડ જો ધરું, શુભ તો ગ્રંથ અપૂર્વ આદરું. 37
સુણી મંત્રી કહે સુણો તમે, કરિયે કામ ત્રિપેઢીથી અમે;
કરશું વળી એ જ રીતથી, સુખથી ગ્રંથ રચો સપ્રીતથી. 38
સુણી રાજી વિહારીજી થયા, રચિયો ગ્રંથ દિલે ધરી દયા;
શુભ વર્ણન ગ્રંથમાં ધર્યુ, સહુ પેલું વરતાલનું કર્યુ. 39
સુણજો મન શાંતના સજી, કહું છું તે વળી ભાઇ વાઘજી;
વરણી નૃપનો સમાગમ, વરતાલે જ થયો કહું ત્યમ. 40
પુષ્પિતાગ્રા:-
કહી શુભ ઉતપત્તિ ગ્રંથકેરી, શ્રવણ કર્યાથી સુશાંતિ દે ઘણેરી;
વરણન વરતાલ કેરું થાશે, પરમ પવિત્ર સુગ્રંથ જયાં રચાશે. 41
ઈતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગ્રંથોત્પત્તિકથનનામ ચતુર્થો વિશ્રામઃ ।। 4 ।।