પૂર્વછાયો:-

ભાખે અભેસિંહ ભૂપતિ,  સુણો વિનતિ  વરણીરાય;

ઈચ્છા અધિક ઉર ઊપજી, આપ મુખથી સુણવા કથાય. 1

ચોપાઈ:-

પ્રશ્ન પૂછું તે ઉત્તર આપો, મારા મન  તણો સંશય  કાપો;

સંપ્રદાય આ  ઉદ્ધવી કેરાં, મોટાં મંદિર તો છે ઘણેરા. 2

ધાતુ પાષાણની પ્રતિમાય, ભલી ભાસે છે મંદિર માંય;

શ્રીજીયે જ સ્વહસ્તે જે થાપી, કયાં કયાં પ્રેમીને પૂજવા આપી. 3

અનુક્રમથી કહો મને આજ, સ્થાપી પ્રથમથી કયાં મહારાજ;

બોલ્યા વર્ણી રાજી થઈ  બહુ,  તમે સાંભળો તે હવે કહું. 4

સ્થાપ્યા પ્રથમ તો ગઢપુર જયાંય, વાસુદેવને ઓરડામાંય;

ધર્મભકિત તેની જોડે સ્થાપ્યાં, એનાં ઐશ્વર્ય વિશ્વમાં વ્યાપ્યા. 5

એ છે ઓરડો ઉત્તર દ્વારે,  તેનો મહિમા મુનિ મન  ધારે;

પછી વરતાલમાં પ્રભુ આવ્યા, નરનારાયણ પધરાવ્યા. 6

અમદાવાદમાં બહુનામી, સ્થાપ્યા નર ને નારાયણ સ્વામી;

સંપ્રદાય થવા દઢ ધારી,  સ્થાપિ મૂર્તિયો જન  હિતકારી. 7

ભુજમાં તે પછી તતખેવ,  સ્થાપ્યા નર ને નારાયણ દેવ;

વરતાલ વિષે કરી ધામ, સ્થાપ્યા લક્ષ્મીનારાયણ નામ. 8

બીજા ખંડમાં માતા-પિતાની, ત્રીજી મૂર્તિ તો સ્થાપી પોતાની;

વૃંદાવનવિહારી ખંડ  ત્રીજે, જોડે રાધિકા દેવી  કહીજે. 9

પોતાની છબીને કૃષ્ણ સાથે,  પધરાવી છે પોતાને હાથે;

અવરતાની  મૂર્તિયો  ત્યાંય,  પધરાવી  છે મંડપ  માંય. 10

મત્સ્ય  કચ્છને વળી  વારાહ, જન જોઈ કહે વાહવાહ;

શેષશાયી ને નરસિંહ નામ,સ્થાપી સૂર્યની મૂર્તિ તે ઠામ. 11

હનુમાન  તથા  ગણનાથ,  સ્થાપ્યા  શંકર  પાર્વતીસાથ;

હતા નર ને નારાયણ જેહ, તેમાંથી નારાયણ છબી તેહ. 12

શિવાશાહ બુરાનપુરવાસી, તેને આપી બોલ્યા અવિનાશી;

કરાવો તમે મંદિર જયારે, તેમાં સ્થાપજો મૂર્તિ આ ત્યારે. 13

દેશ  નીમાડમાં ધરગામ,  ત્યાંના  પટેલ  ગોવિંદ  નામ;

તેને મૂર્તિ નરની તે આપી, તેણે ત્યાંના મંદિર માંહિ સ્થાપી. 14

રાધિકાજી  મદનમોહન,  ધોલેરામાં કર્યા તે સ્થાપન;

વળી સ્થાપ્યા જૂનાગઢ માંય, દેવ રણછોડ ત્રીકમરાય. 15

રાધારમણ  પૂરવ  દિશ ખંડે,  પધરાવિયા  શ્રીહરિ  પંડે;

વળી મૂર્તિ સિદ્ધેશ્વર તણી, ખંડ પશ્ચિમમાં શોભે ઘણી. 16

પાસે પાર્વતી ને ગણનાથ,  સ્થાપ્યા છે  હરિયે નિજ  હાથ;

ગઢડામાં ગોપીનાથ જાણો, મધ્ય  ખંડમાં તે તો પ્રમાણો. 17

ભકિત ધર્મ વાસુદેવ જેહ, સ્થાપ્યા પશ્ચિમ ખંડમાં તેહ;

વાસુદેવ હતા ઓરડામાં,  સ્થાપ્યા તે લાવી તેહ સમામાં. 18

મૂર્તિ સૂર્યની સારી મંગાવી, પૂર્વ ખંડમાં તે પધરાવી;

કહી એટલી મૂર્તિ સમસ્ત, સ્થાપી શ્રીજીયે તે તો સ્વહસ્ત. 19

વળી  રણછોડરાયની  જેહ,  મૂરતિ  વરતાલમાં તેહ;

છાશીયામાં રઘુવીર હાથે,  સ્થપાવી તે ધરમકુળનાથે. 20

જે જે મૂર્તિયો પૂજવા કાજે, આપી હરિજનને મહારાજે;

હવે તે પ્રતિમાઓ ગણાવું,  ભૂપ સાંભળો તમને સુણાવું. 21

રાધાકૃષ્ણની મૂર્તિયો બેય,  ગંગામાને તે તો આપી છેય;

તેણે જેતલપુર નિજઘરમાં, સ્થાપી પૂજવા સહુ અવસરમાં. 22

મછીયાવ  તણા  દરબાર,  બાપુભાઈ  છે નામ  ઉદાર;

તેને પૂજવા લાલજી  આપ્યા, લૈને તે દરબારમાં સ્થાપ્યા. 23

હીમરાજશા સુંદરિયાણે,  આપ્યા લાલજી  જીવનપ્રાણે;

માણાવદર   ગજેફરખાન, ઘણા સમઝુ ને સદગુણવાન. 24

કહ્યું તેણે મયારામજીને, જઈ  અરજ ઉચારો  શ્રીજીને;

પ્રસાદી તણી મૂરતિ લાવો, આંહિ મંદિરમાં પધરાવો. 25

ભટજીયે જઇ  પ્રભુપાસ,  કરી  વાત  તે સર્વ પ્રકાશ;

ત્યારે શ્રીજીયે લાલજી આપ્યા, લાવી માણાવદર માંહિ સ્થાપ્યા. 26

ઉના ગામના શેઠ  ગણેશ, જેનો  પ્રભુપર પ્રેમ  વિશેષ;

આવ્યા ગઢપુરમાં તેહ જયારે, શ્રીજી આગળ ઉચર્યા ત્યારે. 27

મારે પુત્ર નથી મહારાજ, ત્યારે બોલ્યા તે રાજાધિરાજ;

નિજ  વારસો જેને સોંપાય, ગણતાં તેહ પુત્ર  ગણાય. 28

માત તાત સુતાદિક જાણો, ભાવ સર્વ પ્રભુ માંહિ આણો;

આપું લાલજી લૈને સિધાવો, હરિમંદિર કરી પધરાવો. 29

અતિવલ્લભ માનજો એને, સર્વ વારસો સોંપજો તેને;

શેઠ લાલજી લૈને સિધાવ્યા, હરિમંદિર કરી પધરાવ્યા. 30

સર્વ વારસો તેહને સોંપ્યો, નિજ વંશ અચળ એ તો રોપ્યો;

રેવાશંકર શ્રીધોળકાના, તે તો સત્સંગમાં નથી છાના. 31

તેણે મૂરતિયો માંગી લીધી, રાધાકૃષ્ણ તણી  છબિ દીધી;

શ્રીજી ધામ ગયા પછી તેહ, સ્થાપી અવધપ્રસાદજી એહ.32

પૂર્વછાયો:-

સુરતના  સતસંગીયો,  જયારે આવ્યા  ગઢપુર  ગામ;

મૂરતિયો માંગી  સ્થાપવા, કહું તે હરિજનનાં નામ. 33

ચોપાઈ:-

ભાઇચંદને લક્ષ્મીદાસ, ઇચ્છાબાઇ આવ્યાં પ્રભુ પાસ;

તેણે મૂરતિયો માગી જયારે, કૃપાનાથે કરી કૃપા ત્યારે. 34

આપી પાષાણની છબિ સારી, દેવી રાધા ને રાધાવિહારી;

અમે આપ્યા છે લાલજી જેહ, તેની જોડે જ સ્થાપજો તેહ. 35

આજ્ઞા તે સુણી શીશ ચડાવી,  મૂર્તિ લૈને ગયા મનભાવી;

ગયા  ધામમાં શ્યામશરીર,  પછી આચાર્ય શ્રીરધુવીર. 36

નિત્યાનંદ ને ગોપાળાનંદ, એહ આદિ મળી મુનિવૃંદ;

છબિ  સુરતમાં પધરાવી,  સારું મંદિર  એક  કરાવી. 37

હરિભકત  વડોદરા  કેરા,  ગયા  ગઢપુર  માંહિ  ઘણેરા;

તેમાં શાસ્ત્રી શોભારામ ત્યાંના, બીજા ભકત નારુપંત નાના. 38

પ્રેમાનંદ  તથા  બાપુભાઈ,  વૈદ  રામચંદર  ગયા  ધાઈ;

હરિચંદ્ર  ને લક્ષ્મીરામ,  કાનદાસ  વકીલનું નામ. 39

દયારામ  તંબોળી સુભકત, પ્રભુપદમાં વિશેષ આસકત;

ઈત્યાદિક જઈને પ્રભુપાસ, કરી વિનતિ અંતર ધરી આશ. 40

આપો મૂર્તિ જો આપની એક, અમે હરખિયે ભકત અનેક;

વટપુર માંહિ સ્થાપન કરીયે, નિત્ય આરતી ધૂન્ય ઉચરીયે. 41

સુણી શ્રીહરિને સ્નેહ વ્યાપ્યો, પંચ રત્નનો ગુટકો આપ્યો;

હતો  વૈષ્ણવાનંદે લખેલો,  ભૂમાનંદે તે રુડો  રંગેલો. 42

અતિ સ્નેહસહિત અવિનાશે, ઘણું રાખેલો પોતાની પાસે;

કહ્યું લ્યો આ છે ગુટકો અનૂપ, એને સમઝજો મારું સ્વરૂપ. 43

એક સિંહાસને જઈ  ધરજો, આરતી ધૂન્ય  આગળ કરજો;

પછી તે સૌએ વટપુર જઈ, પધરાવ્યો સિંહાસને લઈ. 44

નિત્ય સૌ મળી દર્શન કરે, આરતી ધૂન્ય ત્યાંજ ઉચરે;

વિત્યાં કાંઇક  વર્ષ જરૂર,  નારુપંત  ગયા  દુર્ગપુર. 45

હરિને કહ્યું હે મહારાજ  !, આપો ધાતુની મૂર્તિયો આજ;

નારાયણજી સુતાર બોલાવી, કૃષ્ણે મૂર્તિયો ઉભય કરાવી. 46

નારાયણજી ચતુર્ભુજવાળી, બીજી  લક્ષ્મીની મૂર્તિ રૂપાળી;

નારુપંતને દૈ રૂડીપેર,  કહ્યું પૂજજો પધરાવી  ઘેર. 47

વળી યોગ્ય સમો આવે જયારે,  પધરાવજો મંદિરે ત્યારે;

પંચરત્નના  ગુટકાને ઠામ,  પધરાવજો તે મુજ  નામ. 48

પુરના જનો દર્શન કરશે, સૌ આશિષ તમને ઉચરશે;

નારુપંત  ગયા  નિજઘેર,  પૂજે નિત્ય  છબિ  શુભપેર. 49

ગયો કાંઇ સમય  ત્યારે લાવી, ગુટકો હતો ત્યાં પધરાવી;

જનો  દર્શન  સર્વ કરે છે,  નારુપંતને આશિષ  દે છે. 50

આવી છાશિયાની જયારે સાલ, ધાર્યું ધામ જવા વૃષલાલ;

મંદવાડનું બાનું જણાવ્યું, સૌને ધીરજ ધરવા સુણાવ્યું. 51

ત્યારે ખંભાતી ભકતસમાજ, આવ્યો કૃષ્ણના દર્શન કાજ;

સદાશીવ  ને માધવરામ,  ભાઈશંકર  ને રૂપરામ. 52

લક્ષ્મીરામ  ને નરભેરામ,  અમથાભાઈ  એકનું નામ;

ભલા કણબી તે હીરાભાઈ, મોટાં હરિજન મહાકોરબાઇ.53

ઉમૈયા ગિરજા  ને દિવાળી, રામભાઈ  ભલા ભાવવાળી;

ધનબાઈ  તે બારોટ  જાતે,  બીજાં રામબા કણબીની નાતે. 54

સૌયે હેતથી નિરખિયા હરી,  પૂજા ત્યાં નરભેરામે કરી;

કર્યો અર્પણ ચાંદીનો થાળ,  બીજા  સર્વે બોલ્યા તેહ  કાળ. 55

તમે સુરતથી સાક્ષાત, પ્રભુ આવ્યા જા તા જયારે ખંભાત;

થઈ  અશ્વ ઉપર  અસવાર, એવો કીધો હતો ત્યાં ઉચ્ચાર. 56

મારું મંદિર આ ઠામ કરજો, એહ આજ્ઞા અંતર માંહિ ધરજો;

માટે મંદિર માંડ્યું કરાવા, પ્રતિમાઓ આપો પધરાવા. 57

એવી વિનતી સુણી વૃષલાલે, કરી કરુણા ઘણી તેહ કાળે;

આપી પોતાની પ્રતિમા તે ઠામ, શ્યામરંગે હરિકૃષ્ણ નામ. 58

નિત્યાનંદમુનિ તણે હાથ, સોંપી બોલિયા વૃષકુળનાથ;

અવકાશ પામો તમે જયારે, છબી લૈ જજો ખંભાત ત્યારે. 59

પધરાવજો મારા વચનથી, આજ્ઞા માનજો તન ને મનથી;

આજ્ઞા એ રીતે જે ફરમાવી, મુનિયે નિજમાથે ચડાવી. 60

પુષ્પિતાગ્રા:-

હરિવર નિજહાથ મૂર્તિ સ્થાપી, નિજજનને વળી સ્થાપવાજ આપી;

સુણ નૃપ મુજ પાસ પૂછી જેહ, સકળ કથા સુખથી સુણાવી તેહ. 61

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે શ્રી હરિવિચરણ સ્થાન નિરૂપણનામા વિંશો વિશ્રામઃ  ।।20।।

ઈતિ શ્રી હરિલીલામૃતે ગ્રંથોત્પત્તિ નામ પ્રથમ કલશઃ સમાપ્ત ।। 1 ।।