પૂર્વછાયો:-
ભાખે અભેસિંહ ભૂપતિ, સુણો વિનતિ વરણીરાય;
ઈચ્છા અધિક ઉર ઊપજી, આપ મુખથી સુણવા કથાય. 1
ચોપાઈ:-
પ્રશ્ન પૂછું તે ઉત્તર આપો, મારા મન તણો સંશય કાપો;
સંપ્રદાય આ ઉદ્ધવી કેરાં, મોટાં મંદિર તો છે ઘણેરા. 2
ધાતુ પાષાણની પ્રતિમાય, ભલી ભાસે છે મંદિર માંય;
શ્રીજીયે જ સ્વહસ્તે જે થાપી, કયાં કયાં પ્રેમીને પૂજવા આપી. 3
અનુક્રમથી કહો મને આજ, સ્થાપી પ્રથમથી કયાં મહારાજ;
બોલ્યા વર્ણી રાજી થઈ બહુ, તમે સાંભળો તે હવે કહું. 4
સ્થાપ્યા પ્રથમ તો ગઢપુર જયાંય, વાસુદેવને ઓરડામાંય;
ધર્મભકિત તેની જોડે સ્થાપ્યાં, એનાં ઐશ્વર્ય વિશ્વમાં વ્યાપ્યા. 5
એ છે ઓરડો ઉત્તર દ્વારે, તેનો મહિમા મુનિ મન ધારે;
પછી વરતાલમાં પ્રભુ આવ્યા, નરનારાયણ પધરાવ્યા. 6
અમદાવાદમાં બહુનામી, સ્થાપ્યા નર ને નારાયણ સ્વામી;
સંપ્રદાય થવા દઢ ધારી, સ્થાપિ મૂર્તિયો જન હિતકારી. 7
ભુજમાં તે પછી તતખેવ, સ્થાપ્યા નર ને નારાયણ દેવ;
વરતાલ વિષે કરી ધામ, સ્થાપ્યા લક્ષ્મીનારાયણ નામ. 8
બીજા ખંડમાં માતા-પિતાની, ત્રીજી મૂર્તિ તો સ્થાપી પોતાની;
વૃંદાવનવિહારી ખંડ ત્રીજે, જોડે રાધિકા દેવી કહીજે. 9
પોતાની છબીને કૃષ્ણ સાથે, પધરાવી છે પોતાને હાથે;
અવરતાની મૂર્તિયો ત્યાંય, પધરાવી છે મંડપ માંય. 10
મત્સ્ય કચ્છને વળી વારાહ, જન જોઈ કહે વાહવાહ;
શેષશાયી ને નરસિંહ નામ,સ્થાપી સૂર્યની મૂર્તિ તે ઠામ. 11
હનુમાન તથા ગણનાથ, સ્થાપ્યા શંકર પાર્વતીસાથ;
હતા નર ને નારાયણ જેહ, તેમાંથી નારાયણ છબી તેહ. 12
શિવાશાહ બુરાનપુરવાસી, તેને આપી બોલ્યા અવિનાશી;
કરાવો તમે મંદિર જયારે, તેમાં સ્થાપજો મૂર્તિ આ ત્યારે. 13
દેશ નીમાડમાં ધરગામ, ત્યાંના પટેલ ગોવિંદ નામ;
તેને મૂર્તિ નરની તે આપી, તેણે ત્યાંના મંદિર માંહિ સ્થાપી. 14
રાધિકાજી મદનમોહન, ધોલેરામાં કર્યા તે સ્થાપન;
વળી સ્થાપ્યા જૂનાગઢ માંય, દેવ રણછોડ ત્રીકમરાય. 15
રાધારમણ પૂરવ દિશ ખંડે, પધરાવિયા શ્રીહરિ પંડે;
વળી મૂર્તિ સિદ્ધેશ્વર તણી, ખંડ પશ્ચિમમાં શોભે ઘણી. 16
પાસે પાર્વતી ને ગણનાથ, સ્થાપ્યા છે હરિયે નિજ હાથ;
ગઢડામાં ગોપીનાથ જાણો, મધ્ય ખંડમાં તે તો પ્રમાણો. 17
ભકિત ધર્મ વાસુદેવ જેહ, સ્થાપ્યા પશ્ચિમ ખંડમાં તેહ;
વાસુદેવ હતા ઓરડામાં, સ્થાપ્યા તે લાવી તેહ સમામાં. 18
મૂર્તિ સૂર્યની સારી મંગાવી, પૂર્વ ખંડમાં તે પધરાવી;
કહી એટલી મૂર્તિ સમસ્ત, સ્થાપી શ્રીજીયે તે તો સ્વહસ્ત. 19
વળી રણછોડરાયની જેહ, મૂરતિ વરતાલમાં તેહ;
છાશીયામાં રઘુવીર હાથે, સ્થપાવી તે ધરમકુળનાથે. 20
જે જે મૂર્તિયો પૂજવા કાજે, આપી હરિજનને મહારાજે;
હવે તે પ્રતિમાઓ ગણાવું, ભૂપ સાંભળો તમને સુણાવું. 21
રાધાકૃષ્ણની મૂર્તિયો બેય, ગંગામાને તે તો આપી છેય;
તેણે જેતલપુર નિજઘરમાં, સ્થાપી પૂજવા સહુ અવસરમાં. 22
મછીયાવ તણા દરબાર, બાપુભાઈ છે નામ ઉદાર;
તેને પૂજવા લાલજી આપ્યા, લૈને તે દરબારમાં સ્થાપ્યા. 23
હીમરાજશા સુંદરિયાણે, આપ્યા લાલજી જીવનપ્રાણે;
માણાવદર ગજેફરખાન, ઘણા સમઝુ ને સદગુણવાન. 24
કહ્યું તેણે મયારામજીને, જઈ અરજ ઉચારો શ્રીજીને;
પ્રસાદી તણી મૂરતિ લાવો, આંહિ મંદિરમાં પધરાવો. 25
ભટજીયે જઇ પ્રભુપાસ, કરી વાત તે સર્વ પ્રકાશ;
ત્યારે શ્રીજીયે લાલજી આપ્યા, લાવી માણાવદર માંહિ સ્થાપ્યા. 26
ઉના ગામના શેઠ ગણેશ, જેનો પ્રભુપર પ્રેમ વિશેષ;
આવ્યા ગઢપુરમાં તેહ જયારે, શ્રીજી આગળ ઉચર્યા ત્યારે. 27
મારે પુત્ર નથી મહારાજ, ત્યારે બોલ્યા તે રાજાધિરાજ;
નિજ વારસો જેને સોંપાય, ગણતાં તેહ પુત્ર ગણાય. 28
માત તાત સુતાદિક જાણો, ભાવ સર્વ પ્રભુ માંહિ આણો;
આપું લાલજી લૈને સિધાવો, હરિમંદિર કરી પધરાવો. 29
અતિવલ્લભ માનજો એને, સર્વ વારસો સોંપજો તેને;
શેઠ લાલજી લૈને સિધાવ્યા, હરિમંદિર કરી પધરાવ્યા. 30
સર્વ વારસો તેહને સોંપ્યો, નિજ વંશ અચળ એ તો રોપ્યો;
રેવાશંકર શ્રીધોળકાના, તે તો સત્સંગમાં નથી છાના. 31
તેણે મૂરતિયો માંગી લીધી, રાધાકૃષ્ણ તણી છબિ દીધી;
શ્રીજી ધામ ગયા પછી તેહ, સ્થાપી અવધપ્રસાદજી એહ.32
પૂર્વછાયો:-
સુરતના સતસંગીયો, જયારે આવ્યા ગઢપુર ગામ;
મૂરતિયો માંગી સ્થાપવા, કહું તે હરિજનનાં નામ. 33
ચોપાઈ:-
ભાઇચંદને લક્ષ્મીદાસ, ઇચ્છાબાઇ આવ્યાં પ્રભુ પાસ;
તેણે મૂરતિયો માગી જયારે, કૃપાનાથે કરી કૃપા ત્યારે. 34
આપી પાષાણની છબિ સારી, દેવી રાધા ને રાધાવિહારી;
અમે આપ્યા છે લાલજી જેહ, તેની જોડે જ સ્થાપજો તેહ. 35
આજ્ઞા તે સુણી શીશ ચડાવી, મૂર્તિ લૈને ગયા મનભાવી;
ગયા ધામમાં શ્યામશરીર, પછી આચાર્ય શ્રીરધુવીર. 36
નિત્યાનંદ ને ગોપાળાનંદ, એહ આદિ મળી મુનિવૃંદ;
છબિ સુરતમાં પધરાવી, સારું મંદિર એક કરાવી. 37
હરિભકત વડોદરા કેરા, ગયા ગઢપુર માંહિ ઘણેરા;
તેમાં શાસ્ત્રી શોભારામ ત્યાંના, બીજા ભકત નારુપંત નાના. 38
પ્રેમાનંદ તથા બાપુભાઈ, વૈદ રામચંદર ગયા ધાઈ;
હરિચંદ્ર ને લક્ષ્મીરામ, કાનદાસ વકીલનું નામ. 39
દયારામ તંબોળી સુભકત, પ્રભુપદમાં વિશેષ આસકત;
ઈત્યાદિક જઈને પ્રભુપાસ, કરી વિનતિ અંતર ધરી આશ. 40
આપો મૂર્તિ જો આપની એક, અમે હરખિયે ભકત અનેક;
વટપુર માંહિ સ્થાપન કરીયે, નિત્ય આરતી ધૂન્ય ઉચરીયે. 41
સુણી શ્રીહરિને સ્નેહ વ્યાપ્યો, પંચ રત્નનો ગુટકો આપ્યો;
હતો વૈષ્ણવાનંદે લખેલો, ભૂમાનંદે તે રુડો રંગેલો. 42
અતિ સ્નેહસહિત અવિનાશે, ઘણું રાખેલો પોતાની પાસે;
કહ્યું લ્યો આ છે ગુટકો અનૂપ, એને સમઝજો મારું સ્વરૂપ. 43
એક સિંહાસને જઈ ધરજો, આરતી ધૂન્ય આગળ કરજો;
પછી તે સૌએ વટપુર જઈ, પધરાવ્યો સિંહાસને લઈ. 44
નિત્ય સૌ મળી દર્શન કરે, આરતી ધૂન્ય ત્યાંજ ઉચરે;
વિત્યાં કાંઇક વર્ષ જરૂર, નારુપંત ગયા દુર્ગપુર. 45
હરિને કહ્યું હે મહારાજ !, આપો ધાતુની મૂર્તિયો આજ;
નારાયણજી સુતાર બોલાવી, કૃષ્ણે મૂર્તિયો ઉભય કરાવી. 46
નારાયણજી ચતુર્ભુજવાળી, બીજી લક્ષ્મીની મૂર્તિ રૂપાળી;
નારુપંતને દૈ રૂડીપેર, કહ્યું પૂજજો પધરાવી ઘેર. 47
વળી યોગ્ય સમો આવે જયારે, પધરાવજો મંદિરે ત્યારે;
પંચરત્નના ગુટકાને ઠામ, પધરાવજો તે મુજ નામ. 48
પુરના જનો દર્શન કરશે, સૌ આશિષ તમને ઉચરશે;
નારુપંત ગયા નિજઘેર, પૂજે નિત્ય છબિ શુભપેર. 49
ગયો કાંઇ સમય ત્યારે લાવી, ગુટકો હતો ત્યાં પધરાવી;
જનો દર્શન સર્વ કરે છે, નારુપંતને આશિષ દે છે. 50
આવી છાશિયાની જયારે સાલ, ધાર્યું ધામ જવા વૃષલાલ;
મંદવાડનું બાનું જણાવ્યું, સૌને ધીરજ ધરવા સુણાવ્યું. 51
ત્યારે ખંભાતી ભકતસમાજ, આવ્યો કૃષ્ણના દર્શન કાજ;
સદાશીવ ને માધવરામ, ભાઈશંકર ને રૂપરામ. 52
લક્ષ્મીરામ ને નરભેરામ, અમથાભાઈ એકનું નામ;
ભલા કણબી તે હીરાભાઈ, મોટાં હરિજન મહાકોરબાઇ.53
ઉમૈયા ગિરજા ને દિવાળી, રામભાઈ ભલા ભાવવાળી;
ધનબાઈ તે બારોટ જાતે, બીજાં રામબા કણબીની નાતે. 54
સૌયે હેતથી નિરખિયા હરી, પૂજા ત્યાં નરભેરામે કરી;
કર્યો અર્પણ ચાંદીનો થાળ, બીજા સર્વે બોલ્યા તેહ કાળ. 55
તમે સુરતથી સાક્ષાત, પ્રભુ આવ્યા જા તા જયારે ખંભાત;
થઈ અશ્વ ઉપર અસવાર, એવો કીધો હતો ત્યાં ઉચ્ચાર. 56
મારું મંદિર આ ઠામ કરજો, એહ આજ્ઞા અંતર માંહિ ધરજો;
માટે મંદિર માંડ્યું કરાવા, પ્રતિમાઓ આપો પધરાવા. 57
એવી વિનતી સુણી વૃષલાલે, કરી કરુણા ઘણી તેહ કાળે;
આપી પોતાની પ્રતિમા તે ઠામ, શ્યામરંગે હરિકૃષ્ણ નામ. 58
નિત્યાનંદમુનિ તણે હાથ, સોંપી બોલિયા વૃષકુળનાથ;
અવકાશ પામો તમે જયારે, છબી લૈ જજો ખંભાત ત્યારે. 59
પધરાવજો મારા વચનથી, આજ્ઞા માનજો તન ને મનથી;
આજ્ઞા એ રીતે જે ફરમાવી, મુનિયે નિજમાથે ચડાવી. 60
પુષ્પિતાગ્રા:-
હરિવર નિજહાથ મૂર્તિ સ્થાપી, નિજજનને વળી સ્થાપવાજ આપી;
સુણ નૃપ મુજ પાસ પૂછી જેહ, સકળ કથા સુખથી સુણાવી તેહ. 61
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે શ્રી હરિવિચરણ સ્થાન નિરૂપણનામા વિંશો વિશ્રામઃ ।।20।।