પૂર્વછાયો:-
વળી સુણો વરતાલની, શુચિ સીમ વિષે જે સ્થાન;
જયાં જગજીવન વિચર્યા, ભયભંજન શ્રીભગવાન. 1
ચોપાઈ:-
ગામથી દિશા નૈરુતમાંય, ધના નામે તળાવ છે ત્યાંય;
હરિ ત્યાં બહુ નાહ્યા ઉમંગે, કોઇવાર રંગાયેલે અંગે. 2
એકવાર શ્રીધર્મકુમાર, માફો જોડાવી કીધો તૈયાર;
મુકતાનંદાદિ સદગુરુ જેહ, માવે માફામાં બેસાર્યા તેહ. 3
શ્રીજી પોતે તો સારથી થયા, નાવા ધના તળાવે તે ગયા;
હાંક્યો અર્જુનનો રથ જેમ, હાંક્યો સંત તણો રથ તેમ. 4
તે તળાવનું જાણવું આમ, બીજું ચંદનતળાવડી નામ;
પગી જોબને જગ્યા તે જોઇ, ઘણીવાર ત્યાં દીધી રસોઇ.5
શાવજી કૂવો છે વળી સારો, કરતા પ્રભુ ત્યાં તો ઉતારો;
પછી ત્યાંથી સજી અસવારી, આવતા વરતાલ મુરારી. 6
તેની પાસેનાં ખેતર જેહ, પ્રભુચરણ અંકિત છે એહ;
સંતમંડળ પણ ત્યાં ઉતરતાં, દીનબંધુનાં દર્શન કરતાં. 7
પધરાવ્યા લક્ષ્મીપતિ જયારે, પગી જોબન ભકતે તે વારે;
શાવજીકૂવાથી તો દક્ષિણમાં, કર્યું ખેતર ભેટ તે ક્ષણમાં. 8
પગી સાથે તે જોવાને કાજ, સંતસહિત ગયા મહારાજ;
બહુ રાજી થયા હરિ જોઇ, દીધી ત્યાં તે પગિયે રસોઇ.9
આખા ખેતરમાં પ્રભુ ફર્યા, અડવાણે પગે જ વિચર્યા;
વળી એમ બોલ્યા અવિનાશ, તમે સાંભળો જોબનદાસ. 10
અર્પ્યું ઠાકોરને આ રુપાળું, નામ આજથી ઠાકોરવાળું;
રાજી થૈ બોલ્યા સૌ તતખેવ, જય લક્ષ્મીનારાયણદેવ. 11
દિશા નૈરુત મંદિર થકી, એક વત્સાતળાવ છે નક્કી;
દુર્ગપુરે જતાં એકવાર, તહાં બેઠાજાતા ધર્મકુમાર. 12
ઘણી કેરિયો ત્યાં ભેટ આવી, નાથે સંતોને દીધી વ્હેંચાવી;
એક કર્ણાપગી તણો કૂવો, બીજો અંટોળદાસનો જૂવો. 13
ત્રીજો જંડિયો જે કહેવાય, ફાજીવાળો તે ચોથો ગણાય;
તેને બોરડીવાળો કહે છે, કૂવા સર્વે પ્રસાદીના એ છે. 14
ગંગાજળિયો કુવો છે પ્રસિદ્ધ, પ્રભુયે તેને પાવન કીધ;
ત્યાં થકી સભામંડપ જયાં છે, જગ્યા સર્વે પ્રસાદીની ત્યાં છે. 15
મંદિરેથી જે ઉત્તરભાગ, બન્યો જયાં છે નારાયણબાગ;
જુઓ જગ્યા તહાં સુધી જે છે, હરિચરણથી અંકિત એ છે.16
ગામ પટેલ આદિકે જયારે, આપી તે બાગની ભૂમિ ત્યારે;
શ્રીજીએ કહ્યું દાદાગુરૂને, કરી બાગ શોભાવો આ ભૂને. 17
પ્રભુતાનંદજી સંત જેહ, કહેવાતા દાદાગુરુ તેહ;
કૂવો ખોદાવ્યો શ્રીજીયે ત્યાંય, નાહ્યા તે જળથી હરિરાય.18
સ્નાનનું જળ તે બધું રાખ્યું, દાદાગુરુયે તે કૂપમાં નાંખ્યું;
તહાં બાગ બનાવિયો સારો, દેખી બોલિયા ધર્મદુલારો. 19
આનું નામ નારાયણબાગ, નારાયણ કૂપ જાણો આ જાગ;
બાગ તે સ્થળમાં મન ભાવ્યો, પ્રભુયે પાસે રહીને કરાવ્યો. 20
તેનાં ફળ પરમેશ્વર જમ્યા, જમતાં જનને મન ગમ્યા;
આજ મંદિર છે જેહ ઠામ, હતો તે સ્થળમાં તે આરામ. 21
તહાં ધર્મશાળા દિસે જયાંય, તેમાં ઉત્તમ ઓટો છે ત્યાંય;
તહાં બેસી જમ્યા છે જીવન, તે તો જાણે છે સૌ મુનિજન. 22
નારાયણબાગની ભૂમિ જેહ, જાણો સર્વે પ્રસાદીની તેહ;
મીઠો કૂવો છે બાગ બહાર, પ્રસાદીનો સદા સુખકાર. 23
ત્યાંથી વાયુની દિશા મોઝાર, હતું ધારુ તળાવ તે ઠાર;
પંચોતેરાની સાલમાં તેહ, આપ્યું ગામ પટેલોએ એહ. 24
અગ્નિખૂણની આપી જમીન, અતિ પ્રેમ વિષે થઈ લીન;
પ્રભુયે તે કરી અંગિકાર, અનુકંપા કરીને અપાર. 25
તે તળાવ વિષે જળ કાજે, ખોદાવ્યો વિરડો મહારાજે;
કર્યો ઓટો તળાવની પાળે, સભા ત્યાં ભરતા તેહ કાળે. 26
તેથી પ્રથમ તો જયાં જ્ઞાનબાગ, સભાભરતા ભાળી ભલો ભાગ;
અગન્યાએંશીનું વર્ષ આવ્યું, ત્યારે ધારુ તળાવ ખોદાવ્યું. 27
હતું ઝાડ કદંબનું ત્યાંય, તેને થડ બેસતા જગરાય;
ચાલતું જે ખોદવાનું કામ, જોતા ત્યાં રહી સુંદરશામ. 28
પૂર્વછાયો:-
એક સમે અક્ષરપતિ, ભાઈ રામપ્રતાપ સહીત;
કદંબતળે ઉભા હતા, તેનું પ્રેમસખીયે કર્યું ગીત. 29
ચોપાઈ:-
મધ્યભાગ તળાવનો જયાંય, ઝાડ કૉઠીતણું હતું ત્યાંય;
તહાં જૈ બેસતા ઘનશ્યામ, જોતા ખોદ્યાનું ચાલે તે કામ. 30
તેહ જગ્યાનું માહાત્મ્ય જાણી, અતિ અંતરમાં મુદ આણી;
ભગવત્પ્રસાદે ભલી રીતે, એક ઓટો કરાવ્યો છે પ્રીતે. 31
દક્ષિણાદે કાંઠે આંબા બે છે, પ્રભુજીની પ્રસાદીના તે છે;
ત્યાંથી દક્ષિણમાં બીજા બેય, આંબા તે પ્રસાદી તણા છેય. 32
ગોમતી કામ ચાલતું જયારે, એક ઝૂંપડી ત્યાં કરી ત્યારે;
રહેતા તહાં માધવદાસ, તેમાં પોઢ્યા જમ્યા અવિનાશ. 33
માટે તે અતિ ઉત્તમ સ્થાન, જહાં બેઠા ઘણું ભગવાન;
જયારે આવી એકાશીની સાલ, માસ ચૈત્ર વસંત રસાળ. 34
સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા, દ્વારિકા થકી ગોમતી લાવ્યા;
સ્થિર ધારુતળાવમાં સ્થાપી, પ્રાપતી પ્રભુપદ તણી આપી.35
ત્યારે અદભૂત ઉત્સવ કીધો, ડંકો જીતનો દેશમાં દીધો;
તેહ દિવસથી ત્યાંજ હંમેશ, સજતા સભા શ્રીપરમેશ. 36
છત્રી ગોમતીથી પૂર્વે જે છે, અતિશે જ પ્રસાદીની એ છે;
ત્યાંથી ઉત્તરમાં ખીજડો છે, દશરા દિને તેને પૂજયો છે. 37
છત્રીથી તો આથમણે કિનારે, હતી રાયણો બે અતી ભારે;
તહાં પણ પ્રભુ બેસતા કયારે, કામ થાતું તળાવનું જયારે. 38
ત્યાંથી પંદર પગલાં ઉત્તરમાં, હતી કૉઠી ત્યાં તે અવસરમાં;
પ્રભુ જૈ બેસતા તેને છાંયે, પૃથ્વી કીધી પ્રસાદીની ત્યાંયે. 39
ગોમતીતણે ઉત્તર તીર, એક આંબો છે ગેર ગંભીર;
બિરાજયા છે તહાં બહુનામી, અક્ષરાતીત અંતરજામી. 40
ગોમતી થકી વાયવ્ય ભાગ, રુડો છે ત્યાં રધુવીરબાગ;
પગી જોબન આદિક તણાં, હતાં ખેતર ત્યાંકણે ઘણાં. 41
વૃષનંદન ત્યાં વિચર્યા છે, બધા ખેતરમાં તે ફર્યા છે;
બાગથી જે આથમણો છે કૂવો, ત્યાંથી પૂર્વદિશા જઈ જુઓ. 42
હતો આંબો ત્યાં એક રૂપાળો, ગેર ગંભીર વિસ્તારવાળો;
તહાં વર્યાળી બાઇયે આવી, હિંદુસ્તાનની રસોઇ બનાવી. 43
જમ્યા ભાવસહિત ભગવંત, જમાડ્યા વળી સર્વે સુસંત;
પોંક બાજરી આદિક કેરો, જમ્યા બાગમાં હરિ બહુ ફેરો. 44
ગોમતીથી ઈશાનમાં જુવો, પગી સુંદરનો ત્યાં છે કૂવો;
જઇ નાહ્યા છે શ્રીહરિ ત્યાંય, રંગખેલ કરી ગામમાંય. 45
એહ આદિક અગણિત સ્થાન, વિચર્યા છે અહિં ભગવાન;
જે જે મારી સ્મૃતિ વિષે આવ્યાં, મુખ્ય મુખ્ય મેં તમને સુણાવ્યાં. 46
યાત્રાળુના ધર્મ વિષે:- ઉપજાતિવૃત્ત:-
જયાં જયાં ફર્યા કૃષ્ણ કૃપાળુ નાથ, જયાં જયાં ફર્યા સંત મહાંત સાથ;
તે સ્થાન તો ઉત્તમ તીર્થ થાય, પવિત્ર તે તીર્થ વિષે થવાય.47
રજે જળે થાય પવિત્ર તન, માહાત્મ્યથી થાય પવિત્ર મન;
જે તીર્થયાત્રા કરવા જ જાવું, માહાત્મ્ય તેનું સુણવા ચહાવું. 48
માહાત્મ્ય મધ્યે શુભ હોય જ્ઞાન, અનિત્યને નિત્ય તણું નિદાન;
તે જ્ઞાનથી તો પ્રભુભકિત ભાવે, વૈરાગ્ય તો અંતર માંહિ આવે.49
તો વાસના અંતરમાંથી તૂટે, તેથી જ ભારે ભવબંધ છૂટે;
તીર્થે જઇ જ્ઞાન લીધું ન લેશ, તો ગંગમાં ગર્દભનો પ્રવેશ. 50
જો તીર્થ માટે ઘર છોડી ચાલે, તો બ્રહ્મચર્યાદિક વ્રત પાળે;
જો તે ન પાળે ફળ તો ન પામે, તીર્થે કરે તે દઢ પાપ જામે. 51
જે અન્યક્ષેત્રે કૃત પાપ હોય, તે તીર્થ કીધાથી રહે ન કોય;
જો તીર્થમાં પાપ કદી કરાય, તે કોઈ કાળે નહિ રે છુટાય. 52
તીર્થે જઈને પરઅન્ન ખાય, તેને જ તે તીર્થનું પુણ્ય જાય;
તીર્થે જવું ત્યાં જમી એકવારે, ભોંયે પથારી કરવી જ ત્યારે. 53
તીર્થે જવું ત્યાં સુણવી કથાય, જવા ન દેવી ઘડિયે વૃથાય;
જઇ વળી તીરથ ભૂમિમાંઈ, ધંધો બીજો તો કરવો ન કાંઈ.54
જગ્યા પ્રસાદી વીણ જેહ હોય, જવું ન જોવા શુભ હોય તોય;
નટાદિના ખેલ તહાં ન જોવા, જો તીર્થ જઈયે નિજપાપ ખોવા. 55
તીર્થે જવું સદ્ગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને;
ત્યાં મોજ કે શોખ કરે જઇને, તે આવશે પાપ પુરું લઈને. 56
તીર્થે જઈને નહિ જ્ઞાન પામ્યો, તેણે બધો કાળ વૃથા જ વામ્યો;
પ્રભુતણું જ્ઞાન તહાં પમાય, ત્યારે જ જાત્રા પરિપૂર્ણ થાય. 57
પુષ્પિતાગ્રા:-
સુણ નરપતિ વાત પૂછી જેહ, મુજ મતિ તુલ્ય કહી વિચારી તેહ;
ગણિગણિ તુજને કહ્યાં નિદાન, પુર વરતાલ તણાં પ્રસાદી સ્થાન.58
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયે સીમ્નિશ્રીહરિ-વિચરણસ્થાનનિરૂપણનામા એકોનવિંશો વિશ્રામઃ ।।19।।