પૂર્વછાયો:-

વળી સુણો વરતાલની,   શુચિ સીમ વિષે જે સ્થાન;

જયાં જગજીવન  વિચર્યા,  ભયભંજન  શ્રીભગવાન. 1

ચોપાઈ:-

ગામથી દિશા નૈરુતમાંય, ધના નામે તળાવ છે ત્યાંય;

હરિ  ત્યાં બહુ નાહ્યા ઉમંગે, કોઇવાર રંગાયેલે અંગે. 2

એકવાર  શ્રીધર્મકુમાર,  માફો  જોડાવી  કીધો  તૈયાર;

મુકતાનંદાદિ સદગુરુ જેહ,  માવે માફામાં બેસાર્યા તેહ. 3

શ્રીજી પોતે તો સારથી થયા, નાવા ધના તળાવે તે ગયા;

હાંક્યો અર્જુનનો રથ જેમ,  હાંક્યો   સંત  તણો  રથ તેમ. 4

તે તળાવનું જાણવું આમ,  બીજું ચંદનતળાવડી  નામ;

પગી જોબને જગ્યા તે જોઇ, ઘણીવાર ત્યાં દીધી રસોઇ.5

શાવજી  કૂવો છે  વળી સારો,  કરતા પ્રભુ ત્યાં તો ઉતારો;

પછી ત્યાંથી સજી અસવારી, આવતા વરતાલ મુરારી. 6

તેની  પાસેનાં ખેતર જેહ, પ્રભુચરણ  અંકિત છે એહ;

સંતમંડળ પણ  ત્યાં ઉતરતાં, દીનબંધુનાં દર્શન કરતાં. 7

પધરાવ્યા લક્ષ્મીપતિ જયારે, પગી જોબન ભકતે તે વારે;

શાવજીકૂવાથી તો દક્ષિણમાં,  કર્યું ખેતર ભેટ  તે ક્ષણમાં. 8

પગી સાથે તે જોવાને કાજ, સંતસહિત ગયા મહારાજ;

બહુ રાજી  થયા હરિ જોઇ, દીધી ત્યાં તે પગિયે રસોઇ.9

આખા ખેતરમાં પ્રભુ ફર્યા, અડવાણે પગે જ વિચર્યા;

વળી એમ બોલ્યા અવિનાશ, તમે સાંભળો જોબનદાસ. 10

અર્પ્યું ઠાકોરને આ રુપાળું, નામ આજથી ઠાકોરવાળું;

રાજી થૈ બોલ્યા સૌ  તતખેવ, જય લક્ષ્મીનારાયણદેવ. 11

દિશા નૈરુત મંદિર  થકી, એક  વત્સાતળાવ  છે નક્કી;

દુર્ગપુરે જતાં એકવાર,  તહાં બેઠાજાતા  ધર્મકુમાર. 12

ઘણી કેરિયો ત્યાં ભેટ આવી, નાથે સંતોને દીધી વ્હેંચાવી;

એક કર્ણાપગી તણો કૂવો, બીજો અંટોળદાસનો જૂવો. 13

ત્રીજો જંડિયો જે કહેવાય,  ફાજીવાળો તે ચોથો ગણાય;

તેને બોરડીવાળો કહે છે, કૂવા સર્વે પ્રસાદીના એ છે. 14

ગંગાજળિયો કુવો છે પ્રસિદ્ધ, પ્રભુયે તેને પાવન કીધ;

ત્યાં થકી સભામંડપ જયાં છે, જગ્યા સર્વે પ્રસાદીની ત્યાં છે. 15

મંદિરેથી જે ઉત્તરભાગ, બન્યો જયાં છે નારાયણબાગ;

જુઓ જગ્યા તહાં સુધી જે છે, હરિચરણથી અંકિત એ છે.16

ગામ પટેલ આદિકે જયારે, આપી તે બાગની ભૂમિ ત્યારે;

શ્રીજીએ કહ્યું દાદાગુરૂને,  કરી બાગ  શોભાવો આ ભૂને. 17

પ્રભુતાનંદજી  સંત  જેહ,  કહેવાતા  દાદાગુરુ  તેહ;

કૂવો ખોદાવ્યો શ્રીજીયે ત્યાંય, નાહ્યા  તે જળથી  હરિરાય.18

સ્નાનનું જળ તે બધું રાખ્યું, દાદાગુરુયે તે કૂપમાં નાંખ્યું;

તહાં બાગ બનાવિયો સારો,  દેખી બોલિયા ધર્મદુલારો. 19

આનું નામ નારાયણબાગ, નારાયણ કૂપ જાણો આ જાગ;

બાગ તે સ્થળમાં મન ભાવ્યો, પ્રભુયે પાસે રહીને કરાવ્યો. 20

તેનાં ફળ પરમેશ્વર જમ્યા, જમતાં જનને મન ગમ્યા;

આજ મંદિર છે જેહ ઠામ, હતો તે સ્થળમાં તે આરામ. 21

તહાં ધર્મશાળા દિસે જયાંય, તેમાં ઉત્તમ  ઓટો છે ત્યાંય;

તહાં બેસી જમ્યા છે જીવન, તે તો જાણે છે સૌ મુનિજન. 22

નારાયણબાગની ભૂમિ જેહ,  જાણો સર્વે પ્રસાદીની તેહ;

મીઠો કૂવો છે બાગ બહાર, પ્રસાદીનો સદા સુખકાર. 23

ત્યાંથી વાયુની દિશા મોઝાર,  હતું ધારુ તળાવ તે ઠાર;

પંચોતેરાની સાલમાં તેહ, આપ્યું ગામ પટેલોએ એહ. 24

અગ્નિખૂણની આપી જમીન, અતિ પ્રેમ  વિષે થઈ  લીન;

પ્રભુયે તે કરી  અંગિકાર,  અનુકંપા  કરીને અપાર. 25

તે તળાવ વિષે જળ કાજે, ખોદાવ્યો વિરડો મહારાજે;

કર્યો ઓટો  તળાવની પાળે, સભા ત્યાં ભરતા તેહ કાળે. 26

તેથી પ્રથમ તો જયાં જ્ઞાનબાગ, સભાભરતા ભાળી ભલો ભાગ;

અગન્યાએંશીનું વર્ષ આવ્યું, ત્યારે ધારુ  તળાવ ખોદાવ્યું. 27

હતું ઝાડ  કદંબનું ત્યાંય,  તેને થડ  બેસતા  જગરાય;

ચાલતું જે ખોદવાનું કામ, જોતા ત્યાં રહી સુંદરશામ. 28

પૂર્વછાયો:-

એક  સમે અક્ષરપતિ,  ભાઈ  રામપ્રતાપ  સહીત;

કદંબતળે ઉભા  હતા,  તેનું પ્રેમસખીયે કર્યું ગીત. 29

ચોપાઈ:-

મધ્યભાગ તળાવનો જયાંય, ઝાડ કૉઠીતણું હતું ત્યાંય;

તહાં જૈ  બેસતા ઘનશ્યામ,  જોતા ખોદ્યાનું ચાલે તે કામ. 30

તેહ જગ્યાનું માહાત્મ્ય જાણી, અતિ અંતરમાં મુદ આણી;

ભગવત્પ્રસાદે ભલી રીતે, એક ઓટો કરાવ્યો છે પ્રીતે. 31

દક્ષિણાદે કાંઠે આંબા બે છે, પ્રભુજીની પ્રસાદીના તે છે;

ત્યાંથી દક્ષિણમાં બીજા બેય, આંબા તે પ્રસાદી તણા છેય. 32

ગોમતી કામ ચાલતું જયારે,  એક  ઝૂંપડી ત્યાં કરી ત્યારે;

રહેતા તહાં માધવદાસ, તેમાં પોઢ્યા જમ્યા અવિનાશ. 33

માટે તે અતિ ઉત્તમ સ્થાન, જહાં બેઠા ઘણું ભગવાન;

જયારે આવી એકાશીની સાલ, માસ  ચૈત્ર વસંત  રસાળ. 34

સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા, દ્વારિકા થકી ગોમતી લાવ્યા;

સ્થિર ધારુતળાવમાં સ્થાપી, પ્રાપતી પ્રભુપદ તણી આપી.35

ત્યારે અદભૂત ઉત્સવ કીધો, ડંકો જીતનો દેશમાં દીધો;

તેહ દિવસથી ત્યાંજ હંમેશ, સજતા સભા શ્રીપરમેશ. 36

છત્રી ગોમતીથી પૂર્વે જે છે, અતિશે જ પ્રસાદીની એ છે;

ત્યાંથી ઉત્તરમાં ખીજડો છે, દશરા દિને તેને પૂજયો છે. 37

છત્રીથી તો આથમણે કિનારે, હતી રાયણો બે અતી ભારે;

તહાં પણ પ્રભુ બેસતા કયારે, કામ થાતું તળાવનું જયારે. 38

ત્યાંથી પંદર પગલાં ઉત્તરમાં, હતી કૉઠી ત્યાં તે અવસરમાં;

પ્રભુ જૈ બેસતા તેને છાંયે, પૃથ્વી કીધી પ્રસાદીની ત્યાંયે. 39

ગોમતીતણે ઉત્તર તીર,  એક  આંબો  છે ગેર  ગંભીર;

બિરાજયા છે તહાં બહુનામી, અક્ષરાતીત અંતરજામી. 40

ગોમતી થકી વાયવ્ય ભાગ, રુડો છે ત્યાં રધુવીરબાગ;

પગી જોબન આદિક તણાં, હતાં ખેતર ત્યાંકણે ઘણાં. 41

વૃષનંદન ત્યાં વિચર્યા છે, બધા ખેતરમાં તે ફર્યા છે;

બાગથી જે આથમણો છે કૂવો, ત્યાંથી પૂર્વદિશા જઈ જુઓ. 42

હતો આંબો ત્યાં એક રૂપાળો, ગેર ગંભીર વિસ્તારવાળો;

તહાં વર્યાળી બાઇયે આવી, હિંદુસ્તાનની રસોઇ બનાવી. 43

જમ્યા ભાવસહિત ભગવંત,  જમાડ્યા વળી સર્વે સુસંત;

પોંક બાજરી આદિક કેરો, જમ્યા બાગમાં હરિ બહુ ફેરો. 44

ગોમતીથી ઈશાનમાં જુવો, પગી સુંદરનો ત્યાં છે કૂવો;

જઇ નાહ્યા છે શ્રીહરિ ત્યાંય, રંગખેલ કરી ગામમાંય. 45

એહ આદિક અગણિત સ્થાન, વિચર્યા છે અહિં ભગવાન;

જે જે મારી સ્મૃતિ વિષે આવ્યાં, મુખ્ય મુખ્ય મેં તમને સુણાવ્યાં. 46

યાત્રાળુના ધર્મ વિષે:- ઉપજાતિવૃત્ત:-

જયાં જયાં ફર્યા કૃષ્ણ કૃપાળુ નાથ, જયાં જયાં ફર્યા સંત મહાંત સાથ;

તે સ્થાન  તો ઉત્તમ  તીર્થ થાય, પવિત્ર તે તીર્થ વિષે થવાય.47

રજે જળે થાય પવિત્ર તન,  માહાત્મ્યથી થાય  પવિત્ર મન;

જે તીર્થયાત્રા કરવા જ  જાવું, માહાત્મ્ય  તેનું સુણવા ચહાવું. 48

માહાત્મ્ય મધ્યે શુભ હોય જ્ઞાન, અનિત્યને નિત્ય તણું નિદાન;

તે જ્ઞાનથી તો પ્રભુભકિત ભાવે, વૈરાગ્ય તો અંતર માંહિ આવે.49

તો વાસના અંતરમાંથી તૂટે, તેથી જ ભારે ભવબંધ છૂટે;

તીર્થે જઇ જ્ઞાન લીધું ન લેશ,  તો ગંગમાં ગર્દભનો પ્રવેશ. 50

જો તીર્થ માટે ઘર છોડી ચાલે,  તો બ્રહ્મચર્યાદિક  વ્રત  પાળે;

જો તે ન  પાળે ફળ તો ન  પામે, તીર્થે કરે તે દઢ પાપ જામે. 51

જે અન્યક્ષેત્રે કૃત પાપ હોય,  તે તીર્થ કીધાથી રહે ન કોય;

જો તીર્થમાં પાપ કદી કરાય, તે કોઈ  કાળે નહિ રે છુટાય. 52

તીર્થે જઈને પરઅન્ન ખાય, તેને જ  તે તીર્થનું પુણ્ય જાય;

તીર્થે જવું ત્યાં જમી એકવારે, ભોંયે પથારી કરવી જ  ત્યારે. 53

તીર્થે જવું ત્યાં સુણવી કથાય,  જવા ન  દેવી ઘડિયે વૃથાય;

જઇ  વળી તીરથ ભૂમિમાંઈ, ધંધો બીજો તો કરવો ન  કાંઈ.54

જગ્યા પ્રસાદી  વીણ જેહ હોય, જવું ન જોવા શુભ હોય તોય;

નટાદિના ખેલ તહાં ન જોવા, જો તીર્થ જઈયે નિજપાપ ખોવા. 55

તીર્થે જવું સદ્ગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને;

ત્યાં મોજ  કે શોખ  કરે જઇને,  તે આવશે પાપ પુરું લઈને. 56

તીર્થે જઈને નહિ જ્ઞાન પામ્યો, તેણે બધો કાળ વૃથા જ વામ્યો;

પ્રભુતણું જ્ઞાન તહાં પમાય, ત્યારે જ જાત્રા પરિપૂર્ણ થાય. 57

પુષ્પિતાગ્રા:-

સુણ નરપતિ વાત પૂછી જેહ, મુજ મતિ તુલ્ય કહી વિચારી તેહ;

ગણિગણિ તુજને કહ્યાં નિદાન, પુર વરતાલ તણાં પ્રસાદી સ્થાન.58

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયે સીમ્નિશ્રીહરિ-વિચરણસ્થાનનિરૂપણનામા એકોનવિંશો વિશ્રામઃ ।।19।।