પૂર્વછાયો:-

વળી  કહું વરતાલનાં,  ગામ  બહાર  જે જે સ્થાન;

જયાં વિચર્યા કે જયાં વસ્યા, ભકિતતનુજ ભગવાન. 1

ચોપાઈ:-

ગામથી પૂર્વ દિશનું તળાવ, તેમાં નાહ્યા મનોહર માવ;

ઘણીવાર ત્યાં નટવર નાથે, જળકેળી કરી સખા સાથે. 2

હનુમાનની  દેરી  છે તીર,  તહાં બેઠા  છે શ્યામશરીર;

હનુમાન પ્રસાદીના કર્યા, તેની મૂરતિ ઉપર કર ધર્યા. 3

સમૈયાને દિને એકવાર,  આવ્યા  દર્શને લોક  અપાર;

હનુમાનને ધાબે બિરાજી, કૃષ્ણે દર્શન સૌને દીધાંજી. 4

કૂવો  કાંઠે તળાવને જેહ, પ્રભુની  છે પ્રસાદીનો  તેહ;

પ્રભુ પ્રથમ  પધાર્યા જે કાળે,  તે કૂવા થકી પશ્ચિમ  પાળે. 5

પોતે  બેઠા હતા ધરી ધ્યાન, પગી જોબન આવ્યા તે સ્થાન;

કોઈ મોટા જોગીરાજ જાણી, ગામમાં લૈ ગયા ભાવ આણી.6

તે તલાવથી ખુણે ઈશાન, એક આંબો હતો   શોભામાન;

અમદાવાદના  હરિજને,  દીધી  રસોઈ  ત્યાં એક  દને. 7

રંગદાર  રંગોળી  પુરાવી,  શામહસ્તે સેવો  પીરસાવી;

જમ્યા સંત તથા સહુ પાળા, પ્રભુ કીધી પવિત્ર રસાળા. 8

એ જ આંબે હીંડોળો બંધાવી, ઝુલ્યા છે જગજીવન આવી;

ગામથી પૂર્વમાં જ્ઞાનબાગ, પ્રસાદીનો છે એ  તો અથાગ.9

હાલ  બેઠક  છે જે જગ્યામાં, હતો આંબલો વાયુ દિશામાં;

ન ફળે એવી આંબલી જેહ,  કહેવાય છે આંબલો એહ. 10

તેની ડાળ તણી તો લંબાઈ, હતી બેઠક સુઘી છવાઈ;

તેહ ડાળે હીંડોળો બંધાવી, અક્ષરાધીશ ઝુલ્યા છે આવી. 11

સજીને ત્યાં સભા ઘણીવાર, બિરાજયા છે શ્રીધર્મકુમાર;

ચારે પાસ તે આંબલા ફરતા, ટાંગી ઝોળિયો સંત ઉતરતા. 12

ત્યાંથી ઉગમણી બે આંબલિયો, ભભકાદાર દિસતી ભલિયો;

તહાં બેસીને ભકિતનો લાલ, જમ્યા છે જગજીવન  થાળ. 13

ત્યાંથી  પૂર્વમાં રાયણ હતી, જમ્યા થાળ ત્યાં સંતના પતિ;

ત્યાંથી પૂર્વમાં એની જ ઓળે, આંબે નાથ ઝુલ્યાતા હિંડોળે. 14

જુઓ બેઠકથી પૂર્વભાગે,  હોજ બે જોતાં સુંદર  લાગે;

રુડો તેમાં ભરાવીને રંગ,  રમ્યા શ્રીહરિ સંતને સંગ. 15

હોજ  પૂર્વનો સંતને આપ્યો,તેથી પશ્ચિમે પોતાનો થાપ્યો;

અગ્નિખૂણામાં બેઠક   થકી,  આંબા બેય  રહ્યા હતા ઝુકી. 16

બાંધ્યો હીંડોળો ત્યાં બહુ સારો, તેમાં ઝુલ્યા છે ધર્મદુલારો;

ફુલડોળનો દિવસ  તે હતો,   થયો ઉત્સવ શ્રેષ્ઠ શોભતો. 17

ત્યાંથી બાવળ પશ્ચિમમાંય, માથે નોબત મૂકતા ત્યાંય;

શ્રીજી જયારે સભામાં પધારે,  તે નોબત બજાવતા ત્યારે. 18

કાં તો ઉત્સવની ધડી આવે, ચિદાનંદ નોબત  બજાવે;

આંબલા  થકી  નૈરૂત  માંય, કેદારેશ્વર  છે શિવ  ત્યાંય. 19

કૃપાનાથે કૃપા ઉર  ધરી, તેની જગ્યા પ્રસાદીની  કરી;

દિશ  બેઠકથી જે ઇશાન, કૂવો  મોઇડિયાનો તે સ્થાન. 20

કૂવો મૂળજી પટેલ કેરો, આજ પ્રખ્યાત છે તે ઘણેરો;

વસ્ત્ર રંગવાળાં ધરી અંગે,  તેમાં નાહ્યા છે નાથ ઉમંગે. 21

દક્ષિણાદો બેઠક થકી ભાળો, કુવો વિખ્યાત વેરાગીવાળો;

પ્રભુકેરી પ્રસાદીનો  છેય, મોટા  મુનિજન એમ  કહેય. 22

ભલો ગામથી ઇશાન  ભાગ, રુડો છે જહાં વિશાળબાગ;

હરિચરણથી અંકિત એ છે,  વંૃદાવન થકી ઉત્તમ જે છે. 23

લક્ષ્મીનારાયણ પધરાવ્યા,  કંકોતરિયા ત્યારે મોકલાવ્યા;

ત્યારે ગાયકવાડની વતી,  નારુપંત આવ્યા  સેનાપતી. 24

વિશાળાબાગે કીધો ઉતારો, ભાગ ભૂમિનો ભાળીને સારો;

હેતથી ત્યાં તેડાવિયા હરિ,  બાગમાં પધરામણી કરી. 25

હાલ  મોટો કૂવો છે જે ઠામ,  પધરાવિયા ત્યાં ઘનશ્યામ;

પુરા  પ્રેમ  વડે પૂજા  કરી,  હેત  દેખીને રીઝિયા  હરિ. 26

ધન્ય  ધન્ય  વિશાળાબાગ, ધન્ય  ધન્ય  તે ભૂમિનાં ભાગ્ય;

ધ્યાની ધ્યાનમાં તેને ધરે છે,  સદા તેહ સમયને સ્મરે છે.27

ભુજંગીછંદ:-

બીજા બાગમાં ઝાડનાં ઝુંડ થાય, સમો વીતતાં તેહ સુકાઈ જાય;

શુચિ બાગમાં પુણ્યનાં બીજ વાવે, ઉગી નીકળે લક્ષધા લાભ આવે. 28

ભલે હોય હેમંત કે ગ્રીષ્મ રત્ય, ફળો બારમાસી ફળે ત્યાં અમૃત્ય;

જઇ જાણીને સ્વાદ લે એહ ઠામે, ફરી જન્મ કે મૃત્યુ તે તો ન પામે. 29

ચોપાઈ:-

નરસંડા  થકી  એકવાર,  આવતા  હતા  ધર્મકુમાર;

વિશાળાબાગથી પૂર્વ ભાગે,  એક  ખેતર સુંદર  લાગે. 30

વખતો જગતો પગી  ભ્રાત, તેનું ખેતર તેહ વિખ્યાત;

તેનું નામ  ઉમૈડાવાળું,  રાયણોથી  દિસે છે રૂપાળું. 31

જીજીબા વખતા તણી માય, તે તો તે અવસર હતાં ત્યાંય;

ફળ  રાયણનાં તે સંઘરતાં,  સૂકવીને કોકડિયો  કરતાં. 32

બોલ્યાં તે પ્રભુને શિર નામી, ભલે આવીયા અંતરજામી;

કયાંથી ભેટ  કરૂં ફળ સારાં, ફળ આ  તો છે ડાંસ  દેનારાં. 33

મારા મનમાં તો છે ઘણો ભાવ, પણ શું કરું શ્રીહરિરાવ ?

એવો ભાળીને ભાવ  અપાર, બોલ્યા પ્રીતમ પ્રાણ આધાર. 34

લાવો તે તો છે ફળ બહુ સારાં, હવેથી સદા સારાં થનારાં;

હવે તેમાં નહિ  રહે ડાંસ,  દેજો લક્ષ્મીપતિને દશાંશ. 35

પછી ડોશીયે તે ફળ દીધાં, કૃપાનાથે કૃપા કરી લીધાં;

ફળ રાયણનાં થયાં મીઠાં, તે તો દષ્ટિયે  બહુ જને દીઠા. 36

એક   અવસરે શ્રી મહારાજ, રંગ ઉત્સવનું કરી કાજ;

પીપળાદે કૂવે જઇ  નાહ્યા,  તહાં સંતોએ હરિગુણ ગાયા. 37

પ્રભુ મજ્જનનું જળ લૈને, નાંખ્યું સંતોએ કૂપમાં જઈને;

તહાં વિપ્ર બે કરતાં રસોઈ, તેણે ધાર્યું પ્રભુ સામું જોઈ. 38

હોયે ઉત્તમ અન્ન જો આજ, બોલાવી જમાડું મહારાજ;

કોદરા  રોટલા  મઠ  દાળ,  જમો  કેમ  કહું ધર્મલાલ  ? 39

જાણી  અંતરજામીએ વાત, વિપ્ર પાસે ગયા  સાક્ષાત;

દાળ રોટલો માંગીને લીધો, ભાવ લાવીને બ્રાહ્મણે દીધો. 40

જમ્યા જુગતીયે જગજીવન,  માની લીઘું તે ઉત્તમ  અન્ન;

ભાવથી જ રીઝે ભગવાન, વિના ભાવે તજે પકવાન. 41

દાન કરવા વિષે :- ઉપજાતિવૃત્ત :-

છે સ્વાદ તો આદર ભાવ માંહી, ઘી ગોળ કે સાકરમાં ન કાંહી;

દે સુખડી જયાં શુળીયે ચડાવે, મીઠી છતાં તે જરીયે ન ભાવે. 42

પ્રેમે કરીને જળ કોઈ પાય, મિષ્ટાન્નથી સ્વાદ ઘણો જણાય;

અભાવથી જો જન દૂધ આપે, તે દૂધમાં સ્વાદ કશો ન વ્યાપે. 43

માગ્યા વિના દે પય તે પ્રમાણો, માગી લીધું તે જળતુલ્ય જાણો;

અત્યાગ્રહે ખેંચી લીધું નિદાન, તે જાણવું શોણિતની સમાન.44

જે ભાવથી દાન ભલું કરાય, તે દાનનું તો ફળ શ્નેષ્ઠ થાય;

આપે અભાવે વળી લોકલાજે, તે દાન તો નિષ્ફળતા જ કાજે. 45

જે દાન દે કામ  કશું કરાવી, દે દાન  દે વસ્તુ સડેલી લાવી;

કે દાન દૈ આપ ફુલાઇ ગાજે, તે દાન તો નિષ્ફળતા જ કાજે. 46

ચોપાઈ:-

હવે સાંભળો સુજ્ઞ રાજન, પ્રસાદીનાં કહું સ્થાન અન્ય;

એક  સોનારકૂઇ છે સારી, પ્રસાદીની  કરી છે મુરારી. 47

વળી ત્યાં છે રુડા વડ બેય, જાણો તેહ  પ્રસાદીના છેય;

ઉમરેઠથી  આવતા  જયારે,  વડ  હેઠે ઉતરતા  ત્યારે. 48

એ જ કૂઇતણું જળ પીતા, તેથી જાણવી પરમ પુનિતા;

ત્યાંથી ઉત્તરે ગોપીતળાવ, તેમાં નાહ્યા મનોહર માવ. 49

પૌંવા દૂધ સંતોને જમાડ્યા,  વળી રાત્રિયે રાસ રમાડ્યા;

એવી લીલા કરી છે અમૂલ્ય,  તેથી તે તો વૃંદાવનતુલ્ય. 50

રુડી સોનારકૂઇ જે કહી, ત્યાંથી દક્ષિણમાં જુઓ સહી;

ખરી માતા છે ત્યાં ખોડિયાર, તહાં વિચર્યા છે ધર્મકુમાર. 51

રંગ  ઉત્સવ  ગામમાં કરી, ધોડે બેસી પધારીયા  હરિ;

પગી જોબન આદિક મિત્ર,  હતા સાથે તે પરમ  પવિત્ર. 52

છાંટ્યો જૈ ખોડિયારને રંગ, કર્યું રંગમાં રસબસ અંગ;

તેથી ભકત થઈ તે તો દેવી,  તેની વાત  સુણો કહું કેવી. 53

કોઈ ભીલ્લે જઇ બાધા લીધી, પશુ હણવાની માનતા કીધી;

તેને સ્વપ્નમાં દેવી દેખાઈ, કહ્યું ભકત થઇ  હું તો ભાઇ.54

હવે હિંસા કરે મુજ પાસ, તેનું કાઢીશ હું સત્યાનાશ;

ઇચ્છા એવી દેવી તણી જોઇ, તહાં હિંસા કરે નહિ  કોઈ.55

રસ્તે આવે  જતાં જોળ્ય  ગામ,  સરોવર શુભ ટાડણ નામ;

તેમાં સંત  સખા લઇ સાથ,  ઘણી વાર નાહ્યા મુનિનાથ. 56

તેનો પશ્ચિમનો જે કિનારો,  મધ્યભાગ  કિનારાનો સારો;

ધર્મકુળ તણો પ્રથમ  મેળાપ, કર્યો તે સ્થળમાં પ્રભુ આપ. 57

ધર્મકુળના પુરુષ અને નાર, ગયાં આવ્યાં દેશે ઘણીવાર;

કોઈવાર મળ્યા લોયાગામે, કદી તો કારિયાણીને ઠામે. 58

મળ્યા  દુર્ગપુરે કોઈ  વાર,  જુદા  મેળાપના  છે પ્રકાર;

પણ પ્રથમ મેળાપ જે થયો, તે તો ટાડણને તીર કહ્યો. 59

માટે તે સ્થળ માહાત્મ્ય મોટું, નથી પુષ્કરરાજથી છોટું;

પંપાસરોવર તો શા હિસાબે ?, માનસરોવરને પણ દાબે. 60

પુષ્પિતાગ્રા:-

હરિ વિચરણ ભૂમિ હોય જેહ, પરમ પવિત્ર ગણે મુનીન્દ્ર તેહ;

જપ તપ વ્રત દાન ત્યાં કરાય, ફળ અવિનાશી અનંત તેનું થાય. 61

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયનૃપસંવાદે વૃત્તાલયે સીમ્નિશ્રીહરિ-વિચરણસ્થાનનિરૂપણનામા અષ્ટાદશો વિશ્રામઃ ।।18।।