પૂર્વછાયો:-

હવે મંદિર થકી બાહરે, વળી ગામ વિષે જેહ સ્થાન;

જે જે પ્રભુની પ્રસાદીનાં, સુણો ભૂપ થઈ સાવધાન. 01

ચોપાઈ:-

હનુમાનના  દ્વાર  બહાર,  દક્ષિણોત્તર  ઓટલા  સાર;

બહુવાર પ્રસંગને પામી, તહાં બેઠા ઉઠ્યા  બહુનામી. 2

ત્યાંથી દક્ષિણ માંહિ રહેતા, નાતે સાઠોદરા ડાહ્યા મેજાતા;

તેનું ઘર  છે પ્રસાદી  કેરું,  પદ  અંકિત  પુનિત  ઘણેરું. 3

અહીં મંદિર નવ હતું જયારે,  તહાં ઉતરતા વર્ણી ત્યારે;

વળી ત્રીકમભાઇનું ફળિયું, કૃષ્ણે વિચરીને કીધું ઉજવળિયું. 4

ત્યાંથી દક્ષિણમાં ધોરીભાઇ, ભાઇબાનાં છે ઘર સુખદાઇ;

તેના ફળિયામાં કૃષ્ણ ફર્યા છે, સંત વર્ણી સહિત વિચર્યા છે. 5

ત્યાંથી પશ્ચિમમાં પછી ધારું, ઘર શામળભાઇનું સારું;

પ્રભુયે તે કર્યું છે પાવન, તેના   ભાગ્ય ભલાં ધન્ય ધન્ય. 6

વળી અંટોળદાસનું ફળિયું, પુણ્યશાળી તે જાણો પ્રબળિયું;

વસનદાસ ને દયાળદાસ, તેનો તે ફળિયામાં નિવાસ. 7

ભાઈજી રાઇજી પાટિદાર, તેઓનાં ઘર પણ તેહ ઠાર;

મહારાજ ધરી  મન મેહેર,  વિચર્યા છે તે પ્રત્યેક  ઘેર. 8

હનુમાનના  દ્વારથી  પૂર્વે,  ઘર  છે એક  જાણે છે સર્વે;

હતો ત્યાં શવદાસનો વાડો, કૃષ્ણ નાહ્યા છે ત્યાં કોઇ દાજાડો. 9

બોચાસણના વાસી કાશીદાસ, જયારે આવતા શ્રીપ્રભુ પાસ;

શવદાસને ઘેર  ઉતરતા, જમવા હરિને ત્યાં નોતરતા. 10

શવદાસ તથા તેના ભ્રાત, નામે નારણદાસ વિખ્યાત;

બેયને ઘેર  શ્રીબહુનામી,  વિચર્યા સહજાનંદ  સ્વામી. 11

તેનું પામ્યા તરત ફળ તેહ, કહું આખ્યાન સાંભળો એહ;

એક  દિન  શવદાસ  શરીરે, મંદવાડ  વધ્યો  ધીરે ધીરે. 12

અંતકાળે લેવા જમ આવ્યા, જીવ લૈ જમપુરમાં સિધાવ્યા;

તેને જોઈ બોલ્યા ધર્મરાજ, શીદ લાવ્યા એને અહીં આજ. 13

ત્યારે કિંકરે ત્યાં વાત  કહી, એની આવરદા આવી  રહી;

લેખું પુણ્ય  ને પાપનું લેવા,  અમે લાવ્યા એને તતખેવા. 14

ધર્મરાય કહે સુણો દૂત,  પ્રભુ પ્રગટ  થયા છે અચ્યુત;

કહ્યો તેણે અહિંસાનો ધર્મ, શવદાસ સુણી લીધો મર્મ. 15

શવદાસ ગયા  સીમમાંય, જીવ  મારતો પારધી  ત્યાંય;

શવદાસે તેને સમઝાવ્યો,  પાસલામાંથી મૃગને મુકાવ્યો. 16

કોઈ વાટે જતા હતા સંત, તેણે જૈ કહ્યું જયાં ભગવંત;

સુણી બોલિયા ધર્મકુમાર, એની આયુષનો આવ્યો પાર. 17

તજી  દેહને સ્વર્ગમાં જાશે,  જીવ  ઉગર્યાનું ફળ  થાશે;

કહે સંત અહો  પરમેશ, એવા જનને જીવાડો  વિશેષ. 18

કોણ વિશેષ જીવવા યોગ્ય તે વિષે:- ઉપજાતિવૃત્ત:-

જેને દયા છે દિલમાં અપાર, ઘણા જનોનો જન પાળનાર;

જે કામ સારાં કરશે હંમેશ, એવા જનો તો જીવજો વિશેષ.19

જેના જશો આ જગમાં ગવાય, જેને જનો સૌ ચિત્તમાં ચહાય;

કાપે સદા જે પરના કલેશ, એવા જનો તો જીવજો વિશેષ. 20

જે કોઇનું દીલ  નહિ  દુઃખાવે, કુકર્મથી અંતર લાજ  લાવે;

જેનાથી થાશે કુળમાં ઉજેશ, એવા જનો તો જીવજો વિશેષ. 21

જયાં કાંઇયે ઉત્તમ કામ થાય, ત્યાં લોક જેને સમરે સદાય;

સુકામમાં જેમ સ્મરે ગણેશ, એવા જનો તો જીવજો વિશેષ. 22

કલ્યાણ સૌનું ચિત્તમાં ચહાય, કોઈ તણા શત્રુ કદી ન થાય;

જેને અદેખાઇ દિસે ન લેશે, એવા જનો તો જીવજો વિશેષ. 23

ચોપાઈ:-

જેણે પાશથી પ્રાણી મુકાવ્યો, જેને ધર્મ અહિંસાનો ભાવ્યો;

જીવ દૈવી દિસે ઘણો સારો,  એનું આયુષ્ય  નાથ વધારો. 24

તમે સમરથ છો જગસ્વામી,  ચાહો તે કરો અંતરજામી;

સ્વામી શકિત તમારી છે ઘણી, ધણીનો કોઇયે નહિ ધણી. 25

ગિરિ શિખર ટિંટોડીને કાજ, જળ પ્રલય  કર્યો મહારાજ;

તમે તેના ઉપર  દયા આણી, જગપ્રલય  કરી પાયું પાણી. 26

સુણી વિનતિ  બોલ્યા પરમેશ, જીવશે બાર વર્ષ વિશેષ;

એમ આયુષ ઇશ્વરે આપ્યું,  કહો દૂતો તમે કેમ કાપ્યું ? 27

થશો શ્રીહરિના ગુનેગાર, મૂકી આવો શરીર મોઝાર;

પછી દૂતો લઈ ગયા ત્યાંય, શબ બાંધ્યુતું ઠાઠડીમાય. 28

જમે જીવને દેહમાં ઘાલ્યો, તેથી દેહ તેનો હાલ્યો ચાલ્યો;

ત્યારે સંબંધિયે બંધ છોડ્યા, હાથ સૌએ તે આગળ જોડ્યા. 29

સ્વપ્નવત્ શવદાસને થયું,  બધું વૃત્તાંત  સર્વને કયું;

યમરાજે કહી  હતી વાત,  તેથી જાણ્યા પ્રભુ સાક્ષાત. 30

પછી તે તો દુરગપુર ગયા,  દઢ સત્સંગી ત્યાં જઈ થયા;

ભોળા લોકે તો ભ્રમણા જાણી, તેથી માની નહિ તેની વાણી. 31

વળી વાસણ નામે સુતાર, પ્રસાદીનું છે એનું અગાર;

વાસુદેવ  નારાયણ  કેરો,  જે છે ઓરડો પુનીત ઘણેરો. 32

ગઢપુર માંહિ  તે તો પ્રમાણો, એવું વાસણનું ઘર જાણો;

ઘણીવાર સભા સજી શ્યામ,  ઘણી વાર જમ્યા તેહ  ઠામ. 33

નડીયાદના  નાગર  નામ,  ગંગારામ  ને મોહનરામ;

ઘેર  વાસણને તે ઉતરતા, નાથને જમવા તે નોતરતા. 34

તેમની  બેન  જે રેવાબાઇ,  કરતાં રસોઇ  સરસાઇ;

ભાવથી  જમતા ભગવાન,  તેથી ઉત્તમ  છે તેહ  સ્થાન. 35

વળી જાદવ  નામે સુતાર,  જાણો તેવું જ તેનું અગાર;

નાગરાણી વડોદરા કેરાં, મોંઘીબા ત્યાં ઉતરતાં ઘણેરાં. 36

ઘણીવાર  તેણે તેહ  સ્થાન,  જમવા  તેડિયા  ભગવાન;

ગોર વનમાળીનું ઘર જે છે,  પ્રભુજીની પ્રસાદીનું તે છે. 37

પૂર્વચોક મંદિરનો છે જયાંય, તેનું અસલ  હતું ઘર  ત્યાંય;

શ્રીજીએ તેની પાસેથી લીધું,  તેને બીજું ચણાવીને દીધું. 38

તેની પુત્રી જે અવલબાઇ,  જમાડ્યા તેણે ત્યાં સુખદાઈ;

સતસંગના  સંન્યાસી  જેહ,  તેને ઘેર  ઉતરતા  તેહ. 39

ધર્મશાળા વડેઉ માતાની, પ્રસાદીની છે તે નથી છાની;

મુકતાનંદ આદિક મુનિરાય, ઘણી વાર ઉતરતા ત્યાંય. 40

રહેનાર  જે બુધેજ  ગામ,  ખોડાભાઇ હઠીભાઇ  નામ;

તેઓને ધર્મશાળા મુકામે, સારો પર્ચો દિધો ઘનશ્યામે. 41

એ જ  ધર્મશાળા  તણી  પાસ, હરીભાઇ  નરોત્તમદાસ;

તેઓનાં ઘર  ત્યાંકણે જે  છે, હરિ ચરણથી અંકિત એ છે.42

ધર્મશાળાથી દક્ષિણ  પાસ, જયાં છે કુબેરદાસ નિવાસ;

તેના ફળિયા વિષે ઘણીવાર, વિચર્યા સંતસહિત મુરાર. 43

બોચાસણથી જયારે આવેલા, ત્યારે શ્રીહરિ ત્યાં ઉતરેલા;

ત્યાં છે રણછોડદાસનું ઘર, તેમાં પણ ઉતર્યા હરિવર. 44

રંગબાઇ  તેની ઘરનારી,  તેણે સેવા  સજી ઘણી  સારી;

વિપ્ર પાસે રસોઇ કરાવી, જમાડ્યા પ્રભુને પ્રેમ લાવી. 45

રહે ત્યાં થકી પશ્ચિમ માંઇ, દલાભાઈ તથા જોરાભાઇ;

તેનું ફળિયું કર્યું છે પવિત્ર, વાલો વિચર્યા સાથે લઇ મિત્ર. 46

નારાયણગર બાવાનો મઠ, પ્રસાદીનો છે તે તો ઝપટ;

ઘણીવાર બિરાજયા છે સ્વામી, સહજાનંદ અંતરજામી. 47

ઘણીવાર જમ્યા ગિરિધારી, ઘણીવાર સભા સજી સારી;

ભાળી ગોસાઇનો ભાવ સારો, મુકતાનંદાદિ કરતા ઉતારો. 48

છ  છ  માસ સુધી કર્યો વાસ, કર્યો ત્યાં રહિ  જ્ઞાનપ્રકાશ;

નારાયણગરજી  તણા  ચેલા,  પરષોત્તમગરજી  થયેલા. 49

તેના રગનાથગર રૂપગર, સૌએ સેવ્યા સદા  હરિવર;

મઠ  છે રામચંદ્રગિરીનો,  જાણો તે પણ  છે પ્રસાદીનો. 50

પ્રભુ ત્યાં જઇ પેંડા જમ્યા છે,  રામચંદ્રગિરિને ગમ્યા છે;

મહાભકત મુળજી  સુતાર, અતિચતુર તેના પુત્ર  ચાર. 51

પુંજો બેચર ને ત્રીજો લાલો,  ચોથો અંબાઇદાસ દયાળો;

ચારેને ધેર જે ભગવાન, કર્યા છે તે પ્રસાદીનાં સ્થાન. 52

જમ્યા છે કોઈને ધેર હરિ, કોઇને ધેર જૈ સભા ભરી;

પગી જોબનનું ઘર  જે છે, અતિ અઘિક  પ્રસાદીનું એ  છે.53

નારાયણમોલને કહું જેવો,  મહિમા તેના ઘરનો છે  તેવો;

મેડીની ઉત્તરાદી જે બારી, તહાં બેસતાં ભવભયહારી. 54

નીચે મેદાનમાં સભા થાતી, બ્રહ્મવિદ્યાની વાતો વંચાતી;

ઘણી લીલા કરી તે ઠેકાણે, તે તો સર્વે જૂના જન જાણે. 55

સૂરજબા તથા રળિયાતબાઈ, સાંખ્યયોગી તે સારી ગણાઇ;

પગી  જોબનની  પુત્રી  બેય, મહામુકત  સહુ કો  કહેય. 56

પગી સુંદર ને પગી દલો,  ત્રીજો તો શકરો પગી ભલો;

તેઓને ધેર વિચર્યા છે હરી, કૃપાનાથ  કૃપા ઉર ધરી. 57

પગી જોબનના ઘરમાંય, ભકતભીડ થતી હતી ત્યાંય;

ત્યારે ઝાલા પગી તણે ઘેર, પોઢતા  પ્રભુ જૈ રુડીપેર. 58

વન ફરતા આવ્યા હરિ જયારે, પગી જોબનભાઈએ ત્યારે;

દેવકરણ  પગીતણે ગેહ,  જાણી  એકાંત  ઊતાર્યા તેહ. 59

જુહજી વખતો પગી જગતો, ઘેર તેડતા હરિને તે ભગતો;

વળી ઘર જે વજા પગી તણું, પ્રભુએ કર્યું પાવન ઘણું. 60

તેની   પુત્રી જે અમરબાઈ, સાંખ્યયોગી તે સારી ગણાઇ;

પગી ગુણીયલ  નામે ગણેશ,  તેને ઘેર  જતા  પરમેશ. 61

રામબાઈ તેની સુતા જેહ, સાંખ્યયોગી સારાં હતાં તેહ;

બામણોલિયા ઉજમ  પગી, ભજતા  પ્રભુને તે ઉમંગી. 62

ગંગાબાઈ જેતલપુર તણાં, વરતાલમાં આવતાં ઘણાં;

તે પગીને તે ફળિયે ઉતરતાં, મહારાજને જમવા નોતરતાં. 63

ત્રણ વિપ્રના પુત્રોને જોઇ, દીધી શ્રીહરિયે ત્યાં જનોઈ;

તેહ  બાળકનાં કહું નામ,  જોશી  ડભાણના  દયારામ. 64

બીજા  નાગર માણસા ગામ, એનું નામ તો અનોપરામ;

ત્રીજા વડથલના  વલાદરા,  નામે જાદવજી દ્વિજ  ખરા. 65

શામે દીધી જનોઈ તે જયારે, કર્યો ઉત્તમ ઉત્સવ ત્યારે;

વિપ્રકેરી  જમાડી ચોરાશી,  ધન્ય અક્ષરધામના  વાસી. 66

સમૈયો જયારે સારો ભરાતો, ત્યારે ઉતારો ઘેર ઘેર થાતો;

જમવા પ્રભુજીને નોતરતા, ઘેર ઘેર  તેથી હરિ ફરતા. 67

પુષ્પિતાગ્રા:-

પ્રભુપદ પરસ્યા વિનાનું કયાંઈ, નથી ઘર તો વરતાલગામ માંઇ;

પણ ઘર અતિમુખ્ય તે ગણાવ્યાં, સ્મૃતિ અનુસર સનેહથી સુણાવ્યાં. 68

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયનૃપસંવાદે વૃત્તાલયે શ્રીહરિ-પ્રસાદીકૃતગૃહનિરૂપણનામા સપ્તદશો વિશ્રામઃ ।।17।।