પૂર્વછાયો:-
હવે મંદિર થકી બાહરે, વળી ગામ વિષે જેહ સ્થાન;
જે જે પ્રભુની પ્રસાદીનાં, સુણો ભૂપ થઈ સાવધાન. 01
ચોપાઈ:-
હનુમાનના દ્વાર બહાર, દક્ષિણોત્તર ઓટલા સાર;
બહુવાર પ્રસંગને પામી, તહાં બેઠા ઉઠ્યા બહુનામી. 2
ત્યાંથી દક્ષિણ માંહિ રહેતા, નાતે સાઠોદરા ડાહ્યા મેજાતા;
તેનું ઘર છે પ્રસાદી કેરું, પદ અંકિત પુનિત ઘણેરું. 3
અહીં મંદિર નવ હતું જયારે, તહાં ઉતરતા વર્ણી ત્યારે;
વળી ત્રીકમભાઇનું ફળિયું, કૃષ્ણે વિચરીને કીધું ઉજવળિયું. 4
ત્યાંથી દક્ષિણમાં ધોરીભાઇ, ભાઇબાનાં છે ઘર સુખદાઇ;
તેના ફળિયામાં કૃષ્ણ ફર્યા છે, સંત વર્ણી સહિત વિચર્યા છે. 5
ત્યાંથી પશ્ચિમમાં પછી ધારું, ઘર શામળભાઇનું સારું;
પ્રભુયે તે કર્યું છે પાવન, તેના ભાગ્ય ભલાં ધન્ય ધન્ય. 6
વળી અંટોળદાસનું ફળિયું, પુણ્યશાળી તે જાણો પ્રબળિયું;
વસનદાસ ને દયાળદાસ, તેનો તે ફળિયામાં નિવાસ. 7
ભાઈજી રાઇજી પાટિદાર, તેઓનાં ઘર પણ તેહ ઠાર;
મહારાજ ધરી મન મેહેર, વિચર્યા છે તે પ્રત્યેક ઘેર. 8
હનુમાનના દ્વારથી પૂર્વે, ઘર છે એક જાણે છે સર્વે;
હતો ત્યાં શવદાસનો વાડો, કૃષ્ણ નાહ્યા છે ત્યાં કોઇ દાજાડો. 9
બોચાસણના વાસી કાશીદાસ, જયારે આવતા શ્રીપ્રભુ પાસ;
શવદાસને ઘેર ઉતરતા, જમવા હરિને ત્યાં નોતરતા. 10
શવદાસ તથા તેના ભ્રાત, નામે નારણદાસ વિખ્યાત;
બેયને ઘેર શ્રીબહુનામી, વિચર્યા સહજાનંદ સ્વામી. 11
તેનું પામ્યા તરત ફળ તેહ, કહું આખ્યાન સાંભળો એહ;
એક દિન શવદાસ શરીરે, મંદવાડ વધ્યો ધીરે ધીરે. 12
અંતકાળે લેવા જમ આવ્યા, જીવ લૈ જમપુરમાં સિધાવ્યા;
તેને જોઈ બોલ્યા ધર્મરાજ, શીદ લાવ્યા એને અહીં આજ. 13
ત્યારે કિંકરે ત્યાં વાત કહી, એની આવરદા આવી રહી;
લેખું પુણ્ય ને પાપનું લેવા, અમે લાવ્યા એને તતખેવા. 14
ધર્મરાય કહે સુણો દૂત, પ્રભુ પ્રગટ થયા છે અચ્યુત;
કહ્યો તેણે અહિંસાનો ધર્મ, શવદાસ સુણી લીધો મર્મ. 15
શવદાસ ગયા સીમમાંય, જીવ મારતો પારધી ત્યાંય;
શવદાસે તેને સમઝાવ્યો, પાસલામાંથી મૃગને મુકાવ્યો. 16
કોઈ વાટે જતા હતા સંત, તેણે જૈ કહ્યું જયાં ભગવંત;
સુણી બોલિયા ધર્મકુમાર, એની આયુષનો આવ્યો પાર. 17
તજી દેહને સ્વર્ગમાં જાશે, જીવ ઉગર્યાનું ફળ થાશે;
કહે સંત અહો પરમેશ, એવા જનને જીવાડો વિશેષ. 18
કોણ વિશેષ જીવવા યોગ્ય તે વિષે:- ઉપજાતિવૃત્ત:-
જેને દયા છે દિલમાં અપાર, ઘણા જનોનો જન પાળનાર;
જે કામ સારાં કરશે હંમેશ, એવા જનો તો જીવજો વિશેષ.19
જેના જશો આ જગમાં ગવાય, જેને જનો સૌ ચિત્તમાં ચહાય;
કાપે સદા જે પરના કલેશ, એવા જનો તો જીવજો વિશેષ. 20
જે કોઇનું દીલ નહિ દુઃખાવે, કુકર્મથી અંતર લાજ લાવે;
જેનાથી થાશે કુળમાં ઉજેશ, એવા જનો તો જીવજો વિશેષ. 21
જયાં કાંઇયે ઉત્તમ કામ થાય, ત્યાં લોક જેને સમરે સદાય;
સુકામમાં જેમ સ્મરે ગણેશ, એવા જનો તો જીવજો વિશેષ. 22
કલ્યાણ સૌનું ચિત્તમાં ચહાય, કોઈ તણા શત્રુ કદી ન થાય;
જેને અદેખાઇ દિસે ન લેશે, એવા જનો તો જીવજો વિશેષ. 23
ચોપાઈ:-
જેણે પાશથી પ્રાણી મુકાવ્યો, જેને ધર્મ અહિંસાનો ભાવ્યો;
જીવ દૈવી દિસે ઘણો સારો, એનું આયુષ્ય નાથ વધારો. 24
તમે સમરથ છો જગસ્વામી, ચાહો તે કરો અંતરજામી;
સ્વામી શકિત તમારી છે ઘણી, ધણીનો કોઇયે નહિ ધણી. 25
ગિરિ શિખર ટિંટોડીને કાજ, જળ પ્રલય કર્યો મહારાજ;
તમે તેના ઉપર દયા આણી, જગપ્રલય કરી પાયું પાણી. 26
સુણી વિનતિ બોલ્યા પરમેશ, જીવશે બાર વર્ષ વિશેષ;
એમ આયુષ ઇશ્વરે આપ્યું, કહો દૂતો તમે કેમ કાપ્યું ? 27
થશો શ્રીહરિના ગુનેગાર, મૂકી આવો શરીર મોઝાર;
પછી દૂતો લઈ ગયા ત્યાંય, શબ બાંધ્યુતું ઠાઠડીમાય. 28
જમે જીવને દેહમાં ઘાલ્યો, તેથી દેહ તેનો હાલ્યો ચાલ્યો;
ત્યારે સંબંધિયે બંધ છોડ્યા, હાથ સૌએ તે આગળ જોડ્યા. 29
સ્વપ્નવત્ શવદાસને થયું, બધું વૃત્તાંત સર્વને કયું;
યમરાજે કહી હતી વાત, તેથી જાણ્યા પ્રભુ સાક્ષાત. 30
પછી તે તો દુરગપુર ગયા, દઢ સત્સંગી ત્યાં જઈ થયા;
ભોળા લોકે તો ભ્રમણા જાણી, તેથી માની નહિ તેની વાણી. 31
વળી વાસણ નામે સુતાર, પ્રસાદીનું છે એનું અગાર;
વાસુદેવ નારાયણ કેરો, જે છે ઓરડો પુનીત ઘણેરો. 32
ગઢપુર માંહિ તે તો પ્રમાણો, એવું વાસણનું ઘર જાણો;
ઘણીવાર સભા સજી શ્યામ, ઘણી વાર જમ્યા તેહ ઠામ. 33
નડીયાદના નાગર નામ, ગંગારામ ને મોહનરામ;
ઘેર વાસણને તે ઉતરતા, નાથને જમવા તે નોતરતા. 34
તેમની બેન જે રેવાબાઇ, કરતાં રસોઇ સરસાઇ;
ભાવથી જમતા ભગવાન, તેથી ઉત્તમ છે તેહ સ્થાન. 35
વળી જાદવ નામે સુતાર, જાણો તેવું જ તેનું અગાર;
નાગરાણી વડોદરા કેરાં, મોંઘીબા ત્યાં ઉતરતાં ઘણેરાં. 36
ઘણીવાર તેણે તેહ સ્થાન, જમવા તેડિયા ભગવાન;
ગોર વનમાળીનું ઘર જે છે, પ્રભુજીની પ્રસાદીનું તે છે. 37
પૂર્વચોક મંદિરનો છે જયાંય, તેનું અસલ હતું ઘર ત્યાંય;
શ્રીજીએ તેની પાસેથી લીધું, તેને બીજું ચણાવીને દીધું. 38
તેની પુત્રી જે અવલબાઇ, જમાડ્યા તેણે ત્યાં સુખદાઈ;
સતસંગના સંન્યાસી જેહ, તેને ઘેર ઉતરતા તેહ. 39
ધર્મશાળા વડેઉ માતાની, પ્રસાદીની છે તે નથી છાની;
મુકતાનંદ આદિક મુનિરાય, ઘણી વાર ઉતરતા ત્યાંય. 40
રહેનાર જે બુધેજ ગામ, ખોડાભાઇ હઠીભાઇ નામ;
તેઓને ધર્મશાળા મુકામે, સારો પર્ચો દિધો ઘનશ્યામે. 41
એ જ ધર્મશાળા તણી પાસ, હરીભાઇ નરોત્તમદાસ;
તેઓનાં ઘર ત્યાંકણે જે છે, હરિ ચરણથી અંકિત એ છે.42
ધર્મશાળાથી દક્ષિણ પાસ, જયાં છે કુબેરદાસ નિવાસ;
તેના ફળિયા વિષે ઘણીવાર, વિચર્યા સંતસહિત મુરાર. 43
બોચાસણથી જયારે આવેલા, ત્યારે શ્રીહરિ ત્યાં ઉતરેલા;
ત્યાં છે રણછોડદાસનું ઘર, તેમાં પણ ઉતર્યા હરિવર. 44
રંગબાઇ તેની ઘરનારી, તેણે સેવા સજી ઘણી સારી;
વિપ્ર પાસે રસોઇ કરાવી, જમાડ્યા પ્રભુને પ્રેમ લાવી. 45
રહે ત્યાં થકી પશ્ચિમ માંઇ, દલાભાઈ તથા જોરાભાઇ;
તેનું ફળિયું કર્યું છે પવિત્ર, વાલો વિચર્યા સાથે લઇ મિત્ર. 46
નારાયણગર બાવાનો મઠ, પ્રસાદીનો છે તે તો ઝપટ;
ઘણીવાર બિરાજયા છે સ્વામી, સહજાનંદ અંતરજામી. 47
ઘણીવાર જમ્યા ગિરિધારી, ઘણીવાર સભા સજી સારી;
ભાળી ગોસાઇનો ભાવ સારો, મુકતાનંદાદિ કરતા ઉતારો. 48
છ છ માસ સુધી કર્યો વાસ, કર્યો ત્યાં રહિ જ્ઞાનપ્રકાશ;
નારાયણગરજી તણા ચેલા, પરષોત્તમગરજી થયેલા. 49
તેના રગનાથગર રૂપગર, સૌએ સેવ્યા સદા હરિવર;
મઠ છે રામચંદ્રગિરીનો, જાણો તે પણ છે પ્રસાદીનો. 50
પ્રભુ ત્યાં જઇ પેંડા જમ્યા છે, રામચંદ્રગિરિને ગમ્યા છે;
મહાભકત મુળજી સુતાર, અતિચતુર તેના પુત્ર ચાર. 51
પુંજો બેચર ને ત્રીજો લાલો, ચોથો અંબાઇદાસ દયાળો;
ચારેને ધેર જે ભગવાન, કર્યા છે તે પ્રસાદીનાં સ્થાન. 52
જમ્યા છે કોઈને ધેર હરિ, કોઇને ધેર જૈ સભા ભરી;
પગી જોબનનું ઘર જે છે, અતિ અઘિક પ્રસાદીનું એ છે.53
નારાયણમોલને કહું જેવો, મહિમા તેના ઘરનો છે તેવો;
મેડીની ઉત્તરાદી જે બારી, તહાં બેસતાં ભવભયહારી. 54
નીચે મેદાનમાં સભા થાતી, બ્રહ્મવિદ્યાની વાતો વંચાતી;
ઘણી લીલા કરી તે ઠેકાણે, તે તો સર્વે જૂના જન જાણે. 55
સૂરજબા તથા રળિયાતબાઈ, સાંખ્યયોગી તે સારી ગણાઇ;
પગી જોબનની પુત્રી બેય, મહામુકત સહુ કો કહેય. 56
પગી સુંદર ને પગી દલો, ત્રીજો તો શકરો પગી ભલો;
તેઓને ધેર વિચર્યા છે હરી, કૃપાનાથ કૃપા ઉર ધરી. 57
પગી જોબનના ઘરમાંય, ભકતભીડ થતી હતી ત્યાંય;
ત્યારે ઝાલા પગી તણે ઘેર, પોઢતા પ્રભુ જૈ રુડીપેર. 58
વન ફરતા આવ્યા હરિ જયારે, પગી જોબનભાઈએ ત્યારે;
દેવકરણ પગીતણે ગેહ, જાણી એકાંત ઊતાર્યા તેહ. 59
જુહજી વખતો પગી જગતો, ઘેર તેડતા હરિને તે ભગતો;
વળી ઘર જે વજા પગી તણું, પ્રભુએ કર્યું પાવન ઘણું. 60
તેની પુત્રી જે અમરબાઈ, સાંખ્યયોગી તે સારી ગણાઇ;
પગી ગુણીયલ નામે ગણેશ, તેને ઘેર જતા પરમેશ. 61
રામબાઈ તેની સુતા જેહ, સાંખ્યયોગી સારાં હતાં તેહ;
બામણોલિયા ઉજમ પગી, ભજતા પ્રભુને તે ઉમંગી. 62
ગંગાબાઈ જેતલપુર તણાં, વરતાલમાં આવતાં ઘણાં;
તે પગીને તે ફળિયે ઉતરતાં, મહારાજને જમવા નોતરતાં. 63
ત્રણ વિપ્રના પુત્રોને જોઇ, દીધી શ્રીહરિયે ત્યાં જનોઈ;
તેહ બાળકનાં કહું નામ, જોશી ડભાણના દયારામ. 64
બીજા નાગર માણસા ગામ, એનું નામ તો અનોપરામ;
ત્રીજા વડથલના વલાદરા, નામે જાદવજી દ્વિજ ખરા. 65
શામે દીધી જનોઈ તે જયારે, કર્યો ઉત્તમ ઉત્સવ ત્યારે;
વિપ્રકેરી જમાડી ચોરાશી, ધન્ય અક્ષરધામના વાસી. 66
સમૈયો જયારે સારો ભરાતો, ત્યારે ઉતારો ઘેર ઘેર થાતો;
જમવા પ્રભુજીને નોતરતા, ઘેર ઘેર તેથી હરિ ફરતા. 67
પુષ્પિતાગ્રા:-
પ્રભુપદ પરસ્યા વિનાનું કયાંઈ, નથી ઘર તો વરતાલગામ માંઇ;
પણ ઘર અતિમુખ્ય તે ગણાવ્યાં, સ્મૃતિ અનુસર સનેહથી સુણાવ્યાં. 68
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયનૃપસંવાદે વૃત્તાલયે શ્રીહરિ-પ્રસાદીકૃતગૃહનિરૂપણનામા સપ્તદશો વિશ્રામઃ ।।17।।