પૂર્વછાયો:-
વળી કહું વરતાલમાં, પ્રભુ પ્રસાદીનાં જે સ્થાન;
સુણો અભેસિંહ સ્નેહથી, હરિકૃષ્ણ કથા ધરી કાન. 1
ચોપાઈ:-
ગામ માણજના પાટીદાર, નામે ગોવિંદદાસ ઉદાર;
ધર્મવંત બીજા ધોરિભાઇ, ગામ પીપલગ ગયા ચાઇ. 2
તહાં તેના સગાનો નિવાસ, તેનું નામ તો શ્રીધરદાસ;
સતસંગી હતા તે તો સહી, તેણે સતસંગની વાત કહી. 3
ત્યારે ત્રણે જણા મળી સંગ, આવ્યા વરતાલે આણી ઉમંગ;
નારાયણમોલનો ઓરડો છે, તેની આગળ ચોક રુડો છે. 4
તહાં ખુરશીયે ઘનશ્યામ, પોતે બેઠેલા પૂરણકામ;
જઇ ત્રણે જણા પગે લાગ્યા, છબી જોતાં જ સંશય ભાંગ્યા.5
થયાં દર્શનથી મન શાંત, તથા ભાંગી ગઇ મન ભ્રાંત;
નિશ્ચે જાણ્યા એ તો અવિનાશ, ત્યારે બોલિયા ગોવિંદદાસ.6
વસંતતિલકાવૃત:-
હે કૃષ્ણ તીર્થ કરવા બહુ હું ફર્યો છું, કાશી પ્રયાગ મથુરા પુર સંચર્યો છું;
દ્વારામતિ જઈ સ્વગેહ વળી વિરામ્યો, કોઈ સ્થળે મન વિષે નહિ શાંતિ પામ્યો. 7
જાત્રા કરી અધિક સંશય તો ન જાય, કલ્યાણનો સુદઢ નિશ્ચય તો ન થાય;
કયાં જાઉં કેમ કરી મુકિત અરે પમાય ? એવા ઉચાટ ઉર માંહિ રહે સદાય. 8
તીર્થાટનાદિ વળી યજ્ઞ તણી સમાપ્તિ, તે સર્વનું ફલ પ્રભો તવ પાવપ્રાપ્તિ;
જેને તમે પ્રગટ મૂર્તિ મળ્યા મહેશ, તેને કશુંય કરવું રહિયું ન શેષ. 9
જૈને મળે સરિત જેહ સમુદ્રમાંઇ, તેને બીજે સ્થળ જવાનું રહ્યું ન કયાંઇ;
જો આપના ચરણને જન કોઇ પામે, એથી નથી અધિક ઉત્તમ કોઇ ઠામે. 10
ચોપાઈ:-
એમ બોલિયા ગોવિંદભાઇ, દયા લાવો દિલે સુખદાઈ;
વર્તમાન નિયમ મને આપો, મને આપનો આશ્રિત થાપો. 11
પછી પ્રભુયે નિયમ તેને આપ્યા, મંત્ર આપીને આશ્રિત થાપ્યા;
સતસંગી થયા ધોરીભાઇ, શ્યામે દીક્ષા દીધી સુખદાઈ. 12
વળી બોલિયા ધર્મદુલારા, પુત્ર પૌત્ર જે થાશે તમારા;
સારાં સારાં તે કરશે કામ, રહે જેથી જગતમાં નામ. 13
કર્યું કૃષ્ણે ત્યાં એવું ચરિત્ર, માટે તે સ્થળ પરમ પવિત્ર;
મંદિરેથી તે પૂર્વ દિશાની, હતી બારી જવા આવવાની. 14
તહાં મારગ મોટો મુકાવ્યો, કૃષ્ણે તહાં દરવાજો કરાવ્યો;
ગણનાથ તથા હનુમાન, નિજ હાથે થાપ્યા એહ સ્થાન.15
દરવાજાથી ઉત્તર માંય, લીલો લીંબડો છે એક ત્યાંય;
સજી શ્યામે સભા ઘણીવાર, તહાં આપ્યા છે પરચા અપાર. 16
તહાં વાતો કરી વળી જેહ, વચનામૃત માંહિ છે તેહ;
રુડું બુરાનપુર છે નામ, ગામ સાવદા ને માલેગામ. 17
ધુળિયા ધુવા ને બરૈ જાણો, લખનોર શહેર પ્રમાણો;
ત્યાંના હરિજનનો એહ ઠાર, કર્યો પોશાગ લૈ અંગિકાર. 18
લીંબડાથી પશ્ચિમ દિશ જોઈ, સીતારામને દીધી જનોઈ;
દિશા મંદિરથી તો ઈશાન, ધર્મકુળની હવેલી તે સ્થાન. 19
તે હવેલીને મંદિર પાસે, ઘણું પાણી ભરાયું ચોમાસે;
પ્રભુ તેમાં ફર્યા એક વાર, ત્યારે વિવર પડ્યું તેહ ઠાર. 20
તેમાં નીર ગયું તે સમાઇ, ત્યારે બોલ્યા સદા સુખદાઇ;
અમારું ચરણોદક જાણી, શેષનાગે પીધું તે તો પાણી. 21
અભેસિંહ સુણો ધરી પ્યાર, સભામંડપ છે જેહ ઠાર;
તહાં તો એક ખેતર હતું, સંઘને ત્યાં ઉતરવાનું થતું. 22
જૂનાગઢ ને વડોદરા કેરા, ઉતર્યા હતા ભકત ઘણેરા;
તેહ જગ્યા વિષે બહુવાર, જમ્યા છે જઇ ધર્મકુમાર. 23
તેથી પૃથ્વી પ્રસાદીની થૈ છે, ધ્યાનીના ધ્યાનમાં રહી ગૈ છે;
સભામંડપને વામ ભાગે, કૂવો સંતનો સુંદર લાગે. 24
ત્યાંથી વાયુની દીશ મોઝાર, એક કોઠો હતો એહ ઠાર;
લખે શુકમુનિ શાસ્ત્રોનો લેખ, હરિ રાખતા જૈ દેખરેખ. 25
સંત કૂવાથી પશ્ચિમમાંય, હતો સંતનો ભંડાર ત્યાંય;
તેની ઓસરીયે પ્રભુ આવી, ધર્મ ભકિતની મૂર્તિ ઓપાવી. 26
નારાયણજી જે સારા સુતાર, એહ મૂરતિના ઓપનાર;
કોઠા પૂરવ પશ્ચિમકેરા, બેય શોભિત સરસ ઘણેરા. 27
ધર્મશાળા બે વચ્ચે ચણાવી, ભાળી ભકતજનો મન ભાવી;
તહાં સંતની પંકિતયો થાય, પ્રભુ પોતે પીરસવા જાય. 28
મછીયાવ તણા દરબાર, બાપુભાઈ જે દિલના ઉદાર;
શેવદળ ગાડાં બે ભરી લાવ્યા, તેથી સંતોને તૃપ્ત કરાવ્યા. 29
ત્યારેપણ તેહ ધર્મશાળામાં, પ્રભુયે પીરસ્યું તે સમામાં;
ગામ ધૂવા તથા બરૈ નામ, ત્યાંના ભકત લુવાર તે ઠામ. 30
ધર્મશાળાને પશ્ચિમ ભાગે, તેણે પૂજયા પ્રભુ અનુરાગે;
માથે મંડિલ મોટું બંધાવ્યું, વળી વાંકડું તે તો ધરાવ્યું. 31
કેડે ભાથો બંધાવિયો બેશ, ધરાવ્યો નરસિંહનો વેશ;
છાશિયાની સાલે વરતાલ, છેલી વારે આવ્યા વૃષલાલ. 32
હતો તે સમે કાર્તિક માસ, ઘણા દર્શને આવિયા દાસ;
વટપત્તનના હરિજન, વનમાળી ને જગજીવન. 33
પ્રભુદાસ ઈશ્વર આદિ આવ્યા, તે તો સંત માટે સીધું લાવ્યા;
રુડા લાડુ જલેબી કરાવી, હરિકૃષ્ણ હાથે પીરસાવી. 34
એ જ ધર્મશાળાની મોઝાર, પંગતિ થઇજાતી તેહ વાર;
પછી તે હરિભકતોયે ત્યાંય, પૂજયા પે્રમસહિત હરિરાય.35
હેમ માદળીયું પહેરાવ્યું, લક્ષ્મીવરને હરિયે ધરાવ્યું;
એવી લીલા કરી બહુવાર, તેથી તે સ્થળ મહિમા અપાર. 36
ધન્ય ધન્ય તે ધર્મશાળાને, વાજાલો વિચર્યા બહુ એહ સ્થાને;
ચારસેંય અને છન્નુંવાર, ફર્યા ત્યાં પ્રભુ પંકિત મોઝાર. 37
પૂર્વ કોઠા માંહિ મુકતાનંદ, રહેતા ઉર ધારી આનંદ;
ઘણી વાર તહાં ઘનશ્યામ, પોતે વિચર્યા છે પૂરણકામ. 38
પૂર્વછાયો:-
એ જ ઉગમણા બૂર્જથી, દક્ષિણાદિ દિશે હતું દ્વાર;
ત્યાં સંતને આવતાં જતાં, અડચણ પડી ઘણી વાર. 39
ત્યારે સંતને જવા આવવા, વૃષનંદને કરીને વિચાર;
ત્યાં દરવાજો બીજો કર્યો, એવા કૃષ્ણ કૃપાળુ અપાર. 40
ચોપાઈ:-
દ્વાર આગળ ઓરડો જે છે, જેમાં પુસ્તક સંતોનાં રેજાછે;
તે ઠેકાણે તો લીંબડો હતો, અતિસુંદર તેહ શોભતો. 41
તહાં કાંકરીનો હતો ગંજ, બેસતા બહુ ત્યાં ભયભંજ;
ડેલું ગાડીયોનું જયાં છે આજ, સભા ત્યાં ભરતા મહારાજ. 42
આજ કોઠાર છે જેહ ઠાર, હતું મેદાન ત્યાં કોઇવાર;
સભા ભરતા ભલી ભગવાન, સંત ગાતા ત્યાં સંગીત ગાન.43
દેવો આવતા બેસી વિમાન, પુષ્પવૃષ્ટિ થતી તેહ સ્થાન;
અહો ભાગ્ય અહો મહાભાગ્ય, એેવી જગમાં જડે નહિ જાગ્ય. 44
આજ છે અન્નની ખળી જયાંય, ત્રણ્ય ઓરડા તો હતા ત્યાંય;
રહેતા સંત માંદા તે ઠાર, જતા જોવાને જગદાધાર. 45
ધર્મકુળની હવેલી મોઝાર, એક કૂપ છે આજ જે ઠાર;
હતો લીંબડો ત્યાં શુભ એક, કરી લીલા ત્યાં હરિયે અનેક.46
સભા સજતા તહાં ઘનશ્યામ, પુરુષોત્તમ પૂરણકામ;
જમના બાઇએ એકવાર, શેલડી સુધારી કરી પ્યાર. 47
ભ્રાતપુત્ર ચતુર દવે નામ, મોકલી તે સાથે તેહ ઠામ;
ભલો ભાવ તે ભકતનો ભાળી, જમ્યા શેલડી ત્યાં વનમાળી. 48
ખડકી હવેલીની છે જયાંય, બીજો લીંબડો પણ હતો ત્યાંય;
સભા ત્યાં સજતા કદી શ્યામ, પુરુષોત્તમ પૂરણકામ. 49
હવેલીની જગ્યા પાસે નક્કી, ચુનો પીલવાની હતી ચક્કી;
આવી બેસતા ત્યાં ઘનશ્યામ, જોતા જે ચાલતું તેહ કામ. 50
પદ અંકિત એ સ્થળ એથી, ધરે ધ્યાનમાં મુનિજન તેથી;
પૂર્વ ચોક જે મંદિર કેરો, પ્રસાદીનો છે તે તો ઘણેરો. 51
તહાં પૂરી હતી દીપમાળ, જોઇ રાજી થતા વૃષલાલ;
સ્થાપ્યા લક્ષ્મીનારાયણ જયારે, યજ્ઞકુંડ કર્યો હતો ત્યારે. 52
મોટો યજ્ઞ કર્યો મુનિનાથે, હૂતદ્રવ્ય હોમ્યાં નિજહાથે;
એવી લીલા કરી એહ ઠામ, કોટિ જીવ ઉદ્ધારવા કામ. 53
સુણો ભૂપ કહે બ્રહ્મચારી, કથા મેં કહી છે સુખકારી;
જગ્યા જે જે છે મંદિર પાસ, જયાં જયાં બેઠા ફર્યા અવિનાશ. 54
મેં તો સંક્ષેપમાં વાત કહી, હશે બીજી ઘણી બાકી રહી;
જન જાત્રાયે આવે નિદાન, તેણે જાણવાં એટલાં સ્થાન. 55
તે તે સ્થળની લીલાને સંભારી, નમે પ્રેમ સહિત નરનારી;
જે જે જગ્યામાં જૈ ન શકાય, તેને વંદન દૂરથી થાય. 56
જેમ જન દેવદર્શન કરે, અંગોઅંગ અંતરમાં ન ધરે;
તે તો દર્શન નવ કહેવાય, લેશમાત્ર તેનું ફળ થાય. 57
તેમ જાત્રાયે જે સ્થળ જાવું, ત્યાંના સ્થાનથી જાણીતા થાવું;
પૂછી કારણ ત્યાં નમે જયારે, થાય જાત્રા તો પૂરણ ત્યારે. 58
નહીં તો પશુ તીર્થમાં જાય, તેનું ફળ તેને કાંઈક થાય;
પણ જાણ્યા થકી ફળ જેવું, અણજાણ્યાને નવ થાય એવું. 59
કહ્યાં સ્થાન તે તો તીર્થ અંગ, માટે જાણવાં આણી ઉમંગ;
હવે ગામ વિષે જે જે સ્થાન, ભાવે બેઠા ફર્યા ભગવાન.60
કથા તે તમને હું કહીશ, સુણજો ધરી સ્નેહ મહીશ;
ઘેર ઘેર ફર્યા ઘનશ્યામ, સ્થાન મુખ્યનાં લૈશ હું નામ. 61
પુષ્પિતાગ્રા:-
સુણ નૃપ શુભ પામીને પ્રસંગ, પુર વરતાલ તણાં સુતીર્થ અંગ;
વૃષસુત કૃત જે પ્રસાદી સ્થાન, વરણન તેહ કરું હવે નિદાન. 62
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયે લક્ષ્મીનારાયણ – મંદિરસમીપ પ્રસાદીસ્થાન નિરૂપણનામા ષોડશો વિશ્રામઃ ।।16।।