પૂર્વછાયો:-

વળી  કહું વરતાલમાં,  પ્રભુ પ્રસાદીનાં જે સ્થાન;

સુણો અભેસિંહ સ્નેહથી, હરિકૃષ્ણ કથા ધરી કાન. 1

ચોપાઈ:-

ગામ  માણજના  પાટીદાર,  નામે ગોવિંદદાસ  ઉદાર;

ધર્મવંત બીજા ધોરિભાઇ, ગામ  પીપલગ ગયા  ચાઇ. 2

તહાં તેના સગાનો નિવાસ, તેનું નામ તો શ્રીધરદાસ;

સતસંગી હતા તે તો સહી, તેણે સતસંગની વાત કહી. 3

ત્યારે ત્રણે જણા મળી સંગ, આવ્યા વરતાલે આણી ઉમંગ;

નારાયણમોલનો ઓરડો છે, તેની આગળ ચોક  રુડો છે. 4

તહાં ખુરશીયે ઘનશ્યામ,  પોતે બેઠેલા  પૂરણકામ;

જઇ ત્રણે જણા પગે લાગ્યા, છબી જોતાં જ સંશય ભાંગ્યા.5

થયાં દર્શનથી મન શાંત, તથા ભાંગી ગઇ મન ભ્રાંત;

નિશ્ચે જાણ્યા એ તો અવિનાશ, ત્યારે બોલિયા ગોવિંદદાસ.6

વસંતતિલકાવૃત:-

હે કૃષ્ણ  તીર્થ કરવા  બહુ હું ફર્યો છું, કાશી  પ્રયાગ  મથુરા  પુર  સંચર્યો છું;

દ્વારામતિ  જઈ  સ્વગેહ  વળી  વિરામ્યો, કોઈ સ્થળે મન વિષે નહિ શાંતિ પામ્યો. 7

જાત્રા કરી અધિક સંશય તો ન જાય,  કલ્યાણનો સુદઢ નિશ્ચય તો ન થાય;

કયાં જાઉં કેમ કરી મુકિત અરે પમાય ?  એવા  ઉચાટ  ઉર  માંહિ  રહે સદાય. 8

તીર્થાટનાદિ  વળી  યજ્ઞ  તણી  સમાપ્તિ, તે સર્વનું ફલ  પ્રભો  તવ  પાવપ્રાપ્તિ;

જેને તમે પ્રગટ  મૂર્તિ મળ્યા  મહેશ,  તેને કશુંય   કરવું રહિયું ન   શેષ. 9

જૈને મળે સરિત  જેહ  સમુદ્રમાંઇ,  તેને બીજે સ્થળ જવાનું રહ્યું ન  કયાંઇ;

જો આપના ચરણને જન કોઇ પામે,  એથી નથી અધિક ઉત્તમ કોઇ  ઠામે. 10

ચોપાઈ:-

એમ બોલિયા ગોવિંદભાઇ, દયા લાવો દિલે સુખદાઈ;

વર્તમાન નિયમ  મને આપો, મને આપનો આશ્રિત થાપો. 11

પછી પ્રભુયે નિયમ તેને આપ્યા, મંત્ર આપીને આશ્રિત થાપ્યા;

સતસંગી થયા ધોરીભાઇ, શ્યામે દીક્ષા દીધી સુખદાઈ. 12

વળી બોલિયા ધર્મદુલારા, પુત્ર પૌત્ર  જે થાશે તમારા;

સારાં સારાં તે કરશે કામ, રહે જેથી જગતમાં નામ. 13

કર્યું કૃષ્ણે ત્યાં એવું ચરિત્ર,  માટે તે સ્થળ પરમ પવિત્ર;

મંદિરેથી તે પૂર્વ દિશાની, હતી બારી જવા આવવાની. 14

તહાં મારગ મોટો મુકાવ્યો, કૃષ્ણે તહાં દરવાજો કરાવ્યો;

ગણનાથ તથા હનુમાન, નિજ હાથે થાપ્યા એહ સ્થાન.15

દરવાજાથી ઉત્તર માંય, લીલો લીંબડો છે એક  ત્યાંય;

સજી શ્યામે સભા ઘણીવાર, તહાં આપ્યા છે પરચા અપાર. 16

તહાં વાતો  કરી વળી  જેહ, વચનામૃત માંહિ છે તેહ;

રુડું બુરાનપુર  છે નામ, ગામ  સાવદા  ને માલેગામ. 17

ધુળિયા  ધુવા ને બરૈ જાણો,  લખનોર શહેર  પ્રમાણો;

ત્યાંના હરિજનનો એહ  ઠાર, કર્યો પોશાગ  લૈ અંગિકાર. 18

લીંબડાથી પશ્ચિમ  દિશ જોઈ, સીતારામને દીધી જનોઈ;

દિશા મંદિરથી તો ઈશાન,  ધર્મકુળની હવેલી તે સ્થાન. 19

તે હવેલીને મંદિર પાસે, ઘણું પાણી ભરાયું ચોમાસે;

પ્રભુ તેમાં ફર્યા એક વાર, ત્યારે વિવર પડ્યું તેહ  ઠાર. 20

તેમાં નીર ગયું તે સમાઇ, ત્યારે બોલ્યા સદા સુખદાઇ;

અમારું ચરણોદક જાણી, શેષનાગે પીધું તે તો પાણી. 21

અભેસિંહ  સુણો ધરી  પ્યાર, સભામંડપ  છે જેહ  ઠાર;

તહાં તો  એક ખેતર  હતું, સંઘને ત્યાં ઉતરવાનું થતું. 22

જૂનાગઢ  ને વડોદરા  કેરા, ઉતર્યા હતા ભકત  ઘણેરા;

તેહ  જગ્યા  વિષે બહુવાર,  જમ્યા  છે જઇ  ધર્મકુમાર. 23

તેથી પૃથ્વી પ્રસાદીની થૈ છે, ધ્યાનીના ધ્યાનમાં રહી ગૈ છે;

સભામંડપને વામ  ભાગે,  કૂવો  સંતનો  સુંદર  લાગે. 24

ત્યાંથી વાયુની દીશ મોઝાર,  એક કોઠો હતો એહ ઠાર;

લખે શુકમુનિ  શાસ્ત્રોનો લેખ, હરિ રાખતા જૈ દેખરેખ. 25

સંત કૂવાથી  પશ્ચિમમાંય, હતો  સંતનો  ભંડાર  ત્યાંય;

તેની  ઓસરીયે પ્રભુ આવી, ધર્મ ભકિતની મૂર્તિ ઓપાવી. 26

નારાયણજી જે સારા સુતાર, એહ મૂરતિના ઓપનાર;

કોઠા  પૂરવ  પશ્ચિમકેરા,  બેય  શોભિત  સરસ  ઘણેરા. 27

ધર્મશાળા બે વચ્ચે ચણાવી, ભાળી ભકતજનો મન ભાવી;

તહાં સંતની પંકિતયો થાય, પ્રભુ પોતે પીરસવા જાય. 28

મછીયાવ તણા દરબાર, બાપુભાઈ જે દિલના ઉદાર;

શેવદળ ગાડાં બે ભરી લાવ્યા, તેથી સંતોને તૃપ્ત કરાવ્યા. 29

ત્યારેપણ તેહ ધર્મશાળામાં, પ્રભુયે પીરસ્યું તે સમામાં;

ગામ ધૂવા  તથા બરૈ નામ, ત્યાંના ભકત લુવાર તે ઠામ. 30

ધર્મશાળાને પશ્ચિમ ભાગે, તેણે પૂજયા પ્રભુ અનુરાગે;

માથે મંડિલ મોટું બંધાવ્યું, વળી વાંકડું તે તો ધરાવ્યું. 31

કેડે ભાથો  બંધાવિયો બેશ,  ધરાવ્યો નરસિંહનો  વેશ;

છાશિયાની સાલે વરતાલ,  છેલી વારે આવ્યા વૃષલાલ. 32

હતો તે સમે કાર્તિક માસ, ઘણા દર્શને આવિયા દાસ;

વટપત્તનના   હરિજન,   વનમાળી   ને જગજીવન. 33

પ્રભુદાસ ઈશ્વર આદિ આવ્યા, તે તો સંત માટે સીધું લાવ્યા;

રુડા  લાડુ જલેબી  કરાવી,  હરિકૃષ્ણ  હાથે પીરસાવી. 34

એ જ ધર્મશાળાની મોઝાર,  પંગતિ  થઇજાતી તેહ  વાર;

પછી તે હરિભકતોયે ત્યાંય, પૂજયા પે્રમસહિત  હરિરાય.35

હેમ  માદળીયું પહેરાવ્યું,  લક્ષ્મીવરને હરિયે ધરાવ્યું;

એવી લીલા કરી બહુવાર, તેથી તે સ્થળ મહિમા અપાર. 36

ધન્ય ધન્ય તે ધર્મશાળાને, વાજાલો વિચર્યા બહુ એહ સ્થાને;

ચારસેંય અને છન્નુંવાર, ફર્યા ત્યાં પ્રભુ પંકિત  મોઝાર. 37

પૂર્વ કોઠા માંહિ મુકતાનંદ, રહેતા ઉર ધારી  આનંદ;

ઘણી વાર તહાં ઘનશ્યામ, પોતે વિચર્યા છે પૂરણકામ. 38

પૂર્વછાયો:-

એ જ ઉગમણા  બૂર્જથી, દક્ષિણાદિ  દિશે હતું દ્વાર;

ત્યાં સંતને આવતાં જતાં, અડચણ  પડી ઘણી વાર. 39

ત્યારે સંતને જવા આવવા,  વૃષનંદને કરીને વિચાર;

ત્યાં દરવાજો બીજો કર્યો, એવા કૃષ્ણ કૃપાળુ અપાર. 40

ચોપાઈ:-

દ્વાર આગળ ઓરડો જે છે, જેમાં પુસ્તક સંતોનાં રેજાછે;

તે ઠેકાણે તો  લીંબડો  હતો,  અતિસુંદર  તેહ  શોભતો. 41

તહાં કાંકરીનો હતો ગંજ, બેસતા બહુ ત્યાં ભયભંજ;

ડેલું ગાડીયોનું જયાં છે આજ, સભા ત્યાં ભરતા મહારાજ. 42

આજ કોઠાર  છે જેહ  ઠાર, હતું મેદાન ત્યાં કોઇવાર;

સભા ભરતા ભલી ભગવાન, સંત ગાતા ત્યાં સંગીત ગાન.43

દેવો આવતા બેસી વિમાન, પુષ્પવૃષ્ટિ  થતી તેહ  સ્થાન;

અહો ભાગ્ય અહો મહાભાગ્ય, એેવી જગમાં જડે નહિ જાગ્ય. 44

આજ છે અન્નની ખળી જયાંય, ત્રણ્ય ઓરડા તો હતા ત્યાંય;

રહેતા  સંત  માંદા  તે ઠાર,  જતા  જોવાને જગદાધાર. 45

ધર્મકુળની હવેલી મોઝાર, એક કૂપ  છે આજ  જે ઠાર;

હતો લીંબડો ત્યાં શુભ એક, કરી લીલા ત્યાં હરિયે અનેક.46

સભા  સજતા  તહાં ઘનશ્યામ,  પુરુષોત્તમ  પૂરણકામ;

જમના  બાઇએ એકવાર, શેલડી  સુધારી કરી  પ્યાર. 47

ભ્રાતપુત્ર ચતુર દવે નામ, મોકલી તે સાથે તેહ ઠામ;

ભલો ભાવ તે ભકતનો ભાળી, જમ્યા શેલડી ત્યાં વનમાળી. 48

ખડકી હવેલીની છે જયાંય, બીજો લીંબડો પણ હતો ત્યાંય;

સભા  ત્યાં સજતા કદી  શ્યામ,  પુરુષોત્તમ  પૂરણકામ. 49

હવેલીની જગ્યા પાસે નક્કી, ચુનો પીલવાની હતી ચક્કી;

આવી બેસતા ત્યાં ઘનશ્યામ,  જોતા જે  ચાલતું તેહ  કામ. 50

પદ અંકિત એ સ્થળ એથી, ધરે ધ્યાનમાં મુનિજન  તેથી;

પૂર્વ ચોક જે મંદિર કેરો, પ્રસાદીનો છે તે તો ઘણેરો. 51

તહાં પૂરી હતી  દીપમાળ, જોઇ  રાજી થતા  વૃષલાલ;

સ્થાપ્યા લક્ષ્મીનારાયણ જયારે, યજ્ઞકુંડ કર્યો હતો ત્યારે. 52

મોટો યજ્ઞ કર્યો મુનિનાથે, હૂતદ્રવ્ય હોમ્યાં નિજહાથે;

એવી લીલા કરી એહ ઠામ, કોટિ જીવ ઉદ્ધારવા કામ. 53

સુણો ભૂપ  કહે બ્રહ્મચારી, કથા મેં કહી છે સુખકારી;

જગ્યા જે જે છે મંદિર પાસ, જયાં જયાં બેઠા ફર્યા અવિનાશ. 54

મેં તો સંક્ષેપમાં વાત કહી, હશે બીજી ઘણી બાકી રહી;

જન  જાત્રાયે આવે નિદાન, તેણે જાણવાં એટલાં સ્થાન. 55

તે તે સ્થળની લીલાને સંભારી, નમે પ્રેમ સહિત નરનારી;

જે જે જગ્યામાં જૈ ન  શકાય, તેને વંદન દૂરથી થાય. 56

જેમ  જન દેવદર્શન  કરે, અંગોઅંગ  અંતરમાં ન  ધરે;

તે તો  દર્શન  નવ  કહેવાય,  લેશમાત્ર  તેનું ફળ  થાય. 57

તેમ જાત્રાયે જે સ્થળ જાવું, ત્યાંના સ્થાનથી જાણીતા થાવું;

પૂછી કારણ ત્યાં નમે જયારે, થાય જાત્રા તો પૂરણ ત્યારે. 58

નહીં તો પશુ તીર્થમાં જાય, તેનું ફળ તેને કાંઈક થાય;

પણ જાણ્યા થકી ફળ જેવું, અણજાણ્યાને નવ થાય એવું. 59

કહ્યાં સ્થાન તે તો તીર્થ અંગ, માટે જાણવાં આણી ઉમંગ;

હવે ગામ  વિષે જે જે  સ્થાન, ભાવે બેઠા ફર્યા ભગવાન.60

કથા  તે તમને હું કહીશ,  સુણજો ધરી સ્નેહ  મહીશ;

ઘેર ઘેર ફર્યા ઘનશ્યામ, સ્થાન મુખ્યનાં લૈશ હું નામ. 61

પુષ્પિતાગ્રા:-

સુણ નૃપ શુભ પામીને પ્રસંગ, પુર વરતાલ તણાં સુતીર્થ અંગ;

વૃષસુત કૃત જે પ્રસાદી સ્થાન, વરણન તેહ કરું હવે નિદાન. 62

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયે લક્ષ્મીનારાયણ – મંદિરસમીપ પ્રસાદીસ્થાન નિરૂપણનામા ષોડશો વિશ્રામઃ ।।16।।