પૂર્વછાયો:-

હે નૃપ  જે ઓટો  કહ્યો, મોટા  મંદિર  પાછળ  ઠાર;

સભા  સજીને બિરાજતા,  બહુવાર ત્યાં જગદાધાર. 1

ચોપાઈ:-

સાલ પંચોતેરા તણી જયારે, એક ઓરડામાં તેહ વારે;

નરનારાયણ  પધરાવ્યા, પ્રબોધનીયે ફરી હરિ આવ્યા. 02

થયોજાતો ત્યારે સમૈયો સારો, આવ્યાજાતા હરિભકત હજારો;

ત્યારે ઓટા ઉપર હરિ બેઠા, બેઠા સંત હરિજન હેઠા. 03

બોલ્યા શ્રીમુખે શ્રીમહારાજ,  સુણો હરિજન  સંત સમાજ;

અમે કરતા સમૈયા  જયારે, લખી  પત્ર  તેડાવતા  ત્યારે. 04

કર્યો આજ થકી નિરધાર,  કરવા સમૈયા  બે આ  ઠાર;

હરિનૌમી પ્રબોધિની જયારે, આંહિ આવજો સૌ જન ત્યારે. 05

સુણી હરિજન  સૌ ખુશી થયા, દીનબંધુ તણી દીઠી દયા;

વસો નિવાસી તુલસીદાસ, આવ્યા શ્રીપરમેશ્વર પાસ. 06

તેના  પુત્ર  જે વાઘજીભાઈ,  તેની  ઉંમર  તો  લઘુતાઇ;

તેડ્યા વાંસજીભાઇયે તેને, હરિચરણે લગાડિયા એને. 07

રુપૈયો એક ભેટ મુકાવ્યો, હરિનો શિર હાથ  ધરાવ્યો;

કેના પુત્ર પૂછ્યું સુખદાઈ, ત્યારે બોલિયા ગોકળભાઇ. 08

તે તો સોજિતરાના નિવાસી, પોતે પ્રગટ પ્રભુના ઉપાસી;

અહો નાથ  પ્રણત પ્રતિપાળ, તુલસીભાઇનો આ છે બાળ. 09

કહે કૃષ્ણ તે તો સારો થાશે, તાતતુલ્ય  તે ભકત  ગણાશે;

સુણી રાજી થયા સર્વે જન, પછી સૌ ગયા આપ સદન.10

હવે સ્થાન  બીજા  તણી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;

મંદિરે છે પ્રદક્ષિણા જેહ, જાણો પ્રભુપદ અંકિત એહ. 11

એક માસ સુધી રુડી રીતે,  ફર્યા સો સો પ્રદક્ષિણા નિત્યે;

નિજદાસને શિક્ષણ  કામ,  કરે એવી  ક્રિયા  ઘનશ્યામ. 12

નારાયણ નામનો મોલ જે છે, અતિ પરમ પ્રસાદીનો તે છે;

પ્રભુ તેમાં રહી પૂરી પ્રીતે,   શિક્ષાપત્રી રચી શુભ રીતે. 13

બંગલાની ઓશરીયે બિરાજી, સૌને રંગ છાંટ્યો થઇ રાજી;

મોલ આગળ ચોક  રહેલો,  તે તો છે પ્રભુચરણ અંકેલો. 14

દેવાલય  થકી દક્ષિણ ભાગ, જોઇ  શ્રીહરિયે સારી જાગ્ય;

બોલ્યા શ્રીમુખે શ્રીહરિ ત્યાંઇ, થાશે અક્ષરભુવન આંઇ.15

મારી પ્રસાદી વસ્તુ અપાર, સ્થપાશે એહ ભુવન  મોઝાર;

નર નારીયો દરશન કરશે, મારી મૂર્તિને અંતર ધરશે. 16

હરિમંડપ હાલ  છે જયાંય, એક  કોઠો અસલ  હતો ત્યાંય;

પાસે રહીને તે કોઠો પડાવ્યો, હરિમંડપ હરિયે કરાવ્યો. 17

જગ્યા તે છે પ્રસાદિની સહી, શિક્ષાપત્રી શોધી તહાં રહી;

હરિમંડપમાં એક  વાર,  બિરાજયા  હતા  ધર્મકુમાર. 18

ત્યાં તો અવધ્યપ્રસાદજી આવ્યા, રધુવીર આવ્યા મન ભાવ્યા;

જન  બેયને પૂછિયું ત્યારે,  તમે દેશમાંથી આવ્યા જયારે. 19

ઉતર્યા મહીનો કીયો આરો ?, એ તો વાત તમારી ઉચ્ચારો;

કહે અવધ્યપ્રસાદ હે શામ  !, હું તો ઉતર્યો બામણગામ. 20

પછી  બોલિયા શ્રીરઘુવીર, ઉતર્યો હુંય પણ તેહ તીર;

મને સંકટ  પડિયું અપાર, નોતી જીવ્યાની આશા લગાર. 21

નદીમધ્ય હું આવિયો જયારે, લાગ્યો તરત તણાવાને ત્યારે;

કર્યું સ્મરણ મેં ત્યાં તો તમારું, એક નાવ આવ્યું મુજ સારુ. 22

મને ઝાલી લીધો કર્ણધારે, પછી મુક્યો ઉતારી આ આરે;

તેનું મેં પૂછિયું નામ ઠામ, કહે નામતણું શું છે કામ ? 23

પછી ત્યાં થકી નાવ તે ગયું, જોતાં જોતાંમાં અદરશ થયું;

હસી બોલિયા સુંદર શામ,  કર્યું એ તો અમે આવી કામ. 24

સુણી બેયનાં મન મુદ પામ્યાં, ધન્ય ધન્ય કહી શિર નામ્યાં;

એહ જગ્યાનો મહિમા અપાર, ભૂપ  શું કહું વારંવાર. 25

હરિમંડપ  થકી ઉત્તરમાં,  જ્ઞાનકૂપ  છે ચોક   સુંદરમાં;

તહાં સુધી હતી જે હવેલી, બેય માળની રુડી રચેલી. 26

તે હવેલીમાં સર્વ ઠેકાણે, વિચર્યા હરિ સૌ જન જાણે;

નીચે ઓરડા ત્યાં હતા બેય, બેશી તેમાં પ્રભુ જમ્યા છેય. 27

બાઈ જમનાં વસોનાં નિવાસી, પોતે પ્રગટ પ્રભુનાં ઉપાસી;

ગંગાબાઇ જેતલપુર તણાં, રુડી કરતાં રસોઈ  બે જણાં. 28

અતિ  હેતે આરોગતા નાથ,  કોઇ  સમય  સખાપણ સાથ;

કૂવાથી  વળી ઉત્તર  ભાગ, તેર  કદમસુધી હતો  માગ. 29

સભામંડપ  થળ  અડકેલી,  ત્રણ  માળની  હતી  હવેલી;

બ્રહ્માનંદમુનિયે કરાવી, ભાળી શ્રીહરિને મન ભાવી. 30

ઉષ્ણકાળ સમા માટે એમાં,  જળ હોજ કર્યા હતા તેમાં;

તે હવેલીમાં કરતા  શયન,  પરમેશ્વર  પ્રાણજીવન. 31

હેઠે ઓરડે કડિયા હીરાજી, કરતા પ્રતિમાઓને તાજી;

મત્સ્ય કચ્છ નૃસિંહાદિ જેહ, અવતારની મૂર્તિયો તેહ. 32

નાખી ખુરશી બિરાજતા નાથ, મૂર્તિ ઉપર ફેરવે હાથ;

જોઇ  તે કડિયાતણું કાજ,  હૃદે રાજી  થતા  મહારાજ. 33

ચોકમાં જ્ઞાનકૂપ છે જેહ, મહારાજે ખોદાવ્યો છે તેહ;

ભાઇ  રામદાસે નિજહાથ,  નવરાવ્યા  કૂપોદકે નાથ. 34

ચરણામૃત  તે બધું લઇ,  જ્ઞાનકૂપમાં નાખિયું જઇ;

ધન્ય  ધન્ય  કહું જ્ઞાનકૂપ,  એ તો  ઉત્તમ તીર્થ અનૂપ. 35

હરિયે દત્તપુત્રોને જયારે, બેય  આચારજો કર્યા ત્યારે;

હવેલી કહી  બે માળી  જેહ, તેનો  ઉગમણો ચોક  તેહ. 36

તહાં પાટયો બે સરસ ઢળાવી, ગાદી આચાર્ય બેની ઠરાવી;

સ્થાપ્યા દક્ષિણે શ્રીરઘુવીર, સામા અવધ્યપ્રસાદજી ધીર. 37

વેદમંત્રે કરી  અભિષેક,  વેંચી  આપીયા  દેશ  પ્રત્યેક;

પોતપોતાના  દેશના  જન,  કરે આચાર્ય કેરું પૂજન. 38

માળ  બેની  હવેલી  ઉપર,  કઠોડામાં બેઠા  હરિવર;

પૂજા  થાય  તે નજરે નિહાળે,  પ્રભુ દિસે પ્રસન્ન તે કાળે. 39

એહ પૃથ્વીનો અતિ મહિમાય, કહું શું તુજ  આગળ રાય;

દીક્ષા જન્મભૂમિ  હરિવરની,  પીપળાણાની ને જેતપરની. 40

આચાર્યોનું દીક્ષા જન્મસ્થાન,  તેમ માનવું એહ નિદાન;

એક  કયારા વિષે છોડ બેય,દઢ  વાવેલા જેમ  દિસેય. 41

એક  ઉત્તરમાં વધી જાય, બિજો દક્ષિણ  માંહિ ફેલાય;

મૂળ બેયનું તો એક કયારો, સમજે એમ સમજુ જે સારો. 42

બેય  દેશમાં સતસંગ  થાય, તેનું મૂળ આ  સ્થાન ગણાય;

બેય દેશ તણા જન જેહ, ગણે ઉત્તમ આ સ્થાન એહ. 43

ગામ  માણજના  પાટીદાર,  મુળજીભાઈ  ભકત  ઉદાર;

તેણે કરાવ્યો છે તહાં ઓટો, તેનો જાણવો મહિમા મોટો. 44

જેને સતસંગની વાત ભાવી, તે તો જાત્રા કરે અહીં આવી;

જાણે માહાત્મ્ય મનમાં સહી, તે તો આવ્યા વિના રહે નહી. 45

જ્ઞાનકૂપથી  ઉત્તર  માંય,  એક  દિન  પાટ  ઉપર  ત્યાંય;

બિરાજયા  હતા  શ્રીબહુનામી,  સહજાનંદ  અંતજામી. 46

અન્નકૂટ તણો દિન જાણી, મળ્યા સંતોને સારંગપાણી;

રુપચોકી ઉગમણી  વિશાળ, તેથી ઉત્તરમાં એક કાળ. 47

હરિભકત હીરાજી શલાટ, ઘડે હનુમાન મૂર્તિનો ઘાટ;

જોવા આવ્યા ત્યાં ધર્મદુલારો, કહ્યું ઘાટ ઘડ્યો ઘણો સારો. 48

પ્રભુ થૈને પ્રસન્ન અપાર, આપ્યો પુષ્પપ્રસાદિનો હાર;

વળી તે મૂરતીના હૃદયમાં, ચાંપ્યા ચરણ બે તેહ સમયમાં. 49

તહાં બોલિયા મસ્તક નામી, અક્ષરાનંદ આનંદસ્વામી;

નારાયણમોલ નીચેનો ભાગ, તહાં ઓરડો ઓપે અથાગ.50

પુતળાં હીરાભકતે બનાવ્યાં, તે તો તે ઓરડામાં મુકાવ્યાં;

રાસમંડળનાં પુતળાં છે,  સિંહ વાધનાં રૂપ  રચ્યાં છે. 51

કોઈ  મંડપમાં મુકવાનાં,  કોઇ  મંદિરમાં ચણવાનાં;

દિસે ઘાટ ઘડ્યો ઘણો સારો, જગજીવન જોવા પધારો. 52

પછી જોવા ગયા    મુનિભૂપ, જોયાં રાસમંડળ તણાં રૂપ;

કોઇના કરમાં શોભે તાલ,  કોઇ પાસે છે  વીણા વિશાલ. 53

કરમાં ધર્યું કોયે મૃદંગ,  કોઇયે તો  ઉપંગ  કે ચંગ;

લીધું ભૂંગળ કોઇયે બજાવા, કોઇયે વાંસળી કૃષ્ણ રીઝાવા. 54

જોઇ રાજી થયા મહારાજ, કહ્યું સારું છે શિલ્પનું કાજ;

જોતાં ખામી કશી નથી એમાં, જીવમાત્ર  નથી એક તેમાં. 55

હોય જો જીવ પુતળાં વિષે, શિલ્પી સ્રષ્ટામાં શો ભેદ દિસે;

કવિ શિખાઉ રસ લાવી જાણે, કોણ સારા કવિને વખાણે. 56

હાસ્યમૂર્તિ બ્રહ્માનંદસ્વામી, આવી બોલ્યા પગે શિર નામી;

આંહિ જો કોઈ ઈશ્વર આવે, તો આ પુતળામાં પ્રાણ લાવે. 57

માંસનાં પુતળાંને રમાડે,  કેમ  પથ્થરનાં ન  જીવાડે;

પણ જો કરુણા ઉર આણે, એવી  લીલા દેખાડે આ ટાણે. 58

એવાં સાંભળી  મર્મવચન,  મંદ  મંદ  હસ્યા  ભગવન;

હતી  નેતરની  છડી  હાથે,  પુતળાંને અડાડી  તે નાથે. 59

જીવતાં થઇ નાચવા લાગ્યાં, વાજાં વિવિધ પ્રકારનાં વાગ્યા;

સુણી જોવા આવ્યા ઘણા જન, થયા નિરખીને મનમાં મગન.60

એવી લીલા કરી એ ઠેકાણે,  મોટા મોટા મુનિજન જાણે;

એહ સ્થાનનો મહિમા અપાર, શું વખાણું હું વારમવાર. 61

પુષ્પિતાગ્રા:-

પરમ પુનિત પૃથ્વી પૃથ્વીપાળ, પુર વરતાલ તણી ઘણી રસાળ;

પુનિત સુપુરી સાત જે ગણાય, પણ વરતાલ સમાન તે ન થાય. 62

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે શ્રીવૃત્તાલયે પ્રસાદિ સ્થાનવર્ણનનિરૂપણનામા પંચદશો વિશ્રામઃ  ।।15।।