પૂર્વછાયો:-
હે નૃપ જે ઓટો કહ્યો, મોટા મંદિર પાછળ ઠાર;
સભા સજીને બિરાજતા, બહુવાર ત્યાં જગદાધાર. 1
ચોપાઈ:-
સાલ પંચોતેરા તણી જયારે, એક ઓરડામાં તેહ વારે;
નરનારાયણ પધરાવ્યા, પ્રબોધનીયે ફરી હરિ આવ્યા. 02
થયોજાતો ત્યારે સમૈયો સારો, આવ્યાજાતા હરિભકત હજારો;
ત્યારે ઓટા ઉપર હરિ બેઠા, બેઠા સંત હરિજન હેઠા. 03
બોલ્યા શ્રીમુખે શ્રીમહારાજ, સુણો હરિજન સંત સમાજ;
અમે કરતા સમૈયા જયારે, લખી પત્ર તેડાવતા ત્યારે. 04
કર્યો આજ થકી નિરધાર, કરવા સમૈયા બે આ ઠાર;
હરિનૌમી પ્રબોધિની જયારે, આંહિ આવજો સૌ જન ત્યારે. 05
સુણી હરિજન સૌ ખુશી થયા, દીનબંધુ તણી દીઠી દયા;
વસો નિવાસી તુલસીદાસ, આવ્યા શ્રીપરમેશ્વર પાસ. 06
તેના પુત્ર જે વાઘજીભાઈ, તેની ઉંમર તો લઘુતાઇ;
તેડ્યા વાંસજીભાઇયે તેને, હરિચરણે લગાડિયા એને. 07
રુપૈયો એક ભેટ મુકાવ્યો, હરિનો શિર હાથ ધરાવ્યો;
કેના પુત્ર પૂછ્યું સુખદાઈ, ત્યારે બોલિયા ગોકળભાઇ. 08
તે તો સોજિતરાના નિવાસી, પોતે પ્રગટ પ્રભુના ઉપાસી;
અહો નાથ પ્રણત પ્રતિપાળ, તુલસીભાઇનો આ છે બાળ. 09
કહે કૃષ્ણ તે તો સારો થાશે, તાતતુલ્ય તે ભકત ગણાશે;
સુણી રાજી થયા સર્વે જન, પછી સૌ ગયા આપ સદન.10
હવે સ્થાન બીજા તણી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;
મંદિરે છે પ્રદક્ષિણા જેહ, જાણો પ્રભુપદ અંકિત એહ. 11
એક માસ સુધી રુડી રીતે, ફર્યા સો સો પ્રદક્ષિણા નિત્યે;
નિજદાસને શિક્ષણ કામ, કરે એવી ક્રિયા ઘનશ્યામ. 12
નારાયણ નામનો મોલ જે છે, અતિ પરમ પ્રસાદીનો તે છે;
પ્રભુ તેમાં રહી પૂરી પ્રીતે, શિક્ષાપત્રી રચી શુભ રીતે. 13
બંગલાની ઓશરીયે બિરાજી, સૌને રંગ છાંટ્યો થઇ રાજી;
મોલ આગળ ચોક રહેલો, તે તો છે પ્રભુચરણ અંકેલો. 14
દેવાલય થકી દક્ષિણ ભાગ, જોઇ શ્રીહરિયે સારી જાગ્ય;
બોલ્યા શ્રીમુખે શ્રીહરિ ત્યાંઇ, થાશે અક્ષરભુવન આંઇ.15
મારી પ્રસાદી વસ્તુ અપાર, સ્થપાશે એહ ભુવન મોઝાર;
નર નારીયો દરશન કરશે, મારી મૂર્તિને અંતર ધરશે. 16
હરિમંડપ હાલ છે જયાંય, એક કોઠો અસલ હતો ત્યાંય;
પાસે રહીને તે કોઠો પડાવ્યો, હરિમંડપ હરિયે કરાવ્યો. 17
જગ્યા તે છે પ્રસાદિની સહી, શિક્ષાપત્રી શોધી તહાં રહી;
હરિમંડપમાં એક વાર, બિરાજયા હતા ધર્મકુમાર. 18
ત્યાં તો અવધ્યપ્રસાદજી આવ્યા, રધુવીર આવ્યા મન ભાવ્યા;
જન બેયને પૂછિયું ત્યારે, તમે દેશમાંથી આવ્યા જયારે. 19
ઉતર્યા મહીનો કીયો આરો ?, એ તો વાત તમારી ઉચ્ચારો;
કહે અવધ્યપ્રસાદ હે શામ !, હું તો ઉતર્યો બામણગામ. 20
પછી બોલિયા શ્રીરઘુવીર, ઉતર્યો હુંય પણ તેહ તીર;
મને સંકટ પડિયું અપાર, નોતી જીવ્યાની આશા લગાર. 21
નદીમધ્ય હું આવિયો જયારે, લાગ્યો તરત તણાવાને ત્યારે;
કર્યું સ્મરણ મેં ત્યાં તો તમારું, એક નાવ આવ્યું મુજ સારુ. 22
મને ઝાલી લીધો કર્ણધારે, પછી મુક્યો ઉતારી આ આરે;
તેનું મેં પૂછિયું નામ ઠામ, કહે નામતણું શું છે કામ ? 23
પછી ત્યાં થકી નાવ તે ગયું, જોતાં જોતાંમાં અદરશ થયું;
હસી બોલિયા સુંદર શામ, કર્યું એ તો અમે આવી કામ. 24
સુણી બેયનાં મન મુદ પામ્યાં, ધન્ય ધન્ય કહી શિર નામ્યાં;
એહ જગ્યાનો મહિમા અપાર, ભૂપ શું કહું વારંવાર. 25
હરિમંડપ થકી ઉત્તરમાં, જ્ઞાનકૂપ છે ચોક સુંદરમાં;
તહાં સુધી હતી જે હવેલી, બેય માળની રુડી રચેલી. 26
તે હવેલીમાં સર્વ ઠેકાણે, વિચર્યા હરિ સૌ જન જાણે;
નીચે ઓરડા ત્યાં હતા બેય, બેશી તેમાં પ્રભુ જમ્યા છેય. 27
બાઈ જમનાં વસોનાં નિવાસી, પોતે પ્રગટ પ્રભુનાં ઉપાસી;
ગંગાબાઇ જેતલપુર તણાં, રુડી કરતાં રસોઈ બે જણાં. 28
અતિ હેતે આરોગતા નાથ, કોઇ સમય સખાપણ સાથ;
કૂવાથી વળી ઉત્તર ભાગ, તેર કદમસુધી હતો માગ. 29
સભામંડપ થળ અડકેલી, ત્રણ માળની હતી હવેલી;
બ્રહ્માનંદમુનિયે કરાવી, ભાળી શ્રીહરિને મન ભાવી. 30
ઉષ્ણકાળ સમા માટે એમાં, જળ હોજ કર્યા હતા તેમાં;
તે હવેલીમાં કરતા શયન, પરમેશ્વર પ્રાણજીવન. 31
હેઠે ઓરડે કડિયા હીરાજી, કરતા પ્રતિમાઓને તાજી;
મત્સ્ય કચ્છ નૃસિંહાદિ જેહ, અવતારની મૂર્તિયો તેહ. 32
નાખી ખુરશી બિરાજતા નાથ, મૂર્તિ ઉપર ફેરવે હાથ;
જોઇ તે કડિયાતણું કાજ, હૃદે રાજી થતા મહારાજ. 33
ચોકમાં જ્ઞાનકૂપ છે જેહ, મહારાજે ખોદાવ્યો છે તેહ;
ભાઇ રામદાસે નિજહાથ, નવરાવ્યા કૂપોદકે નાથ. 34
ચરણામૃત તે બધું લઇ, જ્ઞાનકૂપમાં નાખિયું જઇ;
ધન્ય ધન્ય કહું જ્ઞાનકૂપ, એ તો ઉત્તમ તીર્થ અનૂપ. 35
હરિયે દત્તપુત્રોને જયારે, બેય આચારજો કર્યા ત્યારે;
હવેલી કહી બે માળી જેહ, તેનો ઉગમણો ચોક તેહ. 36
તહાં પાટયો બે સરસ ઢળાવી, ગાદી આચાર્ય બેની ઠરાવી;
સ્થાપ્યા દક્ષિણે શ્રીરઘુવીર, સામા અવધ્યપ્રસાદજી ધીર. 37
વેદમંત્રે કરી અભિષેક, વેંચી આપીયા દેશ પ્રત્યેક;
પોતપોતાના દેશના જન, કરે આચાર્ય કેરું પૂજન. 38
માળ બેની હવેલી ઉપર, કઠોડામાં બેઠા હરિવર;
પૂજા થાય તે નજરે નિહાળે, પ્રભુ દિસે પ્રસન્ન તે કાળે. 39
એહ પૃથ્વીનો અતિ મહિમાય, કહું શું તુજ આગળ રાય;
દીક્ષા જન્મભૂમિ હરિવરની, પીપળાણાની ને જેતપરની. 40
આચાર્યોનું દીક્ષા જન્મસ્થાન, તેમ માનવું એહ નિદાન;
એક કયારા વિષે છોડ બેય,દઢ વાવેલા જેમ દિસેય. 41
એક ઉત્તરમાં વધી જાય, બિજો દક્ષિણ માંહિ ફેલાય;
મૂળ બેયનું તો એક કયારો, સમજે એમ સમજુ જે સારો. 42
બેય દેશમાં સતસંગ થાય, તેનું મૂળ આ સ્થાન ગણાય;
બેય દેશ તણા જન જેહ, ગણે ઉત્તમ આ સ્થાન એહ. 43
ગામ માણજના પાટીદાર, મુળજીભાઈ ભકત ઉદાર;
તેણે કરાવ્યો છે તહાં ઓટો, તેનો જાણવો મહિમા મોટો. 44
જેને સતસંગની વાત ભાવી, તે તો જાત્રા કરે અહીં આવી;
જાણે માહાત્મ્ય મનમાં સહી, તે તો આવ્યા વિના રહે નહી. 45
જ્ઞાનકૂપથી ઉત્તર માંય, એક દિન પાટ ઉપર ત્યાંય;
બિરાજયા હતા શ્રીબહુનામી, સહજાનંદ અંતજામી. 46
અન્નકૂટ તણો દિન જાણી, મળ્યા સંતોને સારંગપાણી;
રુપચોકી ઉગમણી વિશાળ, તેથી ઉત્તરમાં એક કાળ. 47
હરિભકત હીરાજી શલાટ, ઘડે હનુમાન મૂર્તિનો ઘાટ;
જોવા આવ્યા ત્યાં ધર્મદુલારો, કહ્યું ઘાટ ઘડ્યો ઘણો સારો. 48
પ્રભુ થૈને પ્રસન્ન અપાર, આપ્યો પુષ્પપ્રસાદિનો હાર;
વળી તે મૂરતીના હૃદયમાં, ચાંપ્યા ચરણ બે તેહ સમયમાં. 49
તહાં બોલિયા મસ્તક નામી, અક્ષરાનંદ આનંદસ્વામી;
નારાયણમોલ નીચેનો ભાગ, તહાં ઓરડો ઓપે અથાગ.50
પુતળાં હીરાભકતે બનાવ્યાં, તે તો તે ઓરડામાં મુકાવ્યાં;
રાસમંડળનાં પુતળાં છે, સિંહ વાધનાં રૂપ રચ્યાં છે. 51
કોઈ મંડપમાં મુકવાનાં, કોઇ મંદિરમાં ચણવાનાં;
દિસે ઘાટ ઘડ્યો ઘણો સારો, જગજીવન જોવા પધારો. 52
પછી જોવા ગયા મુનિભૂપ, જોયાં રાસમંડળ તણાં રૂપ;
કોઇના કરમાં શોભે તાલ, કોઇ પાસે છે વીણા વિશાલ. 53
કરમાં ધર્યું કોયે મૃદંગ, કોઇયે તો ઉપંગ કે ચંગ;
લીધું ભૂંગળ કોઇયે બજાવા, કોઇયે વાંસળી કૃષ્ણ રીઝાવા. 54
જોઇ રાજી થયા મહારાજ, કહ્યું સારું છે શિલ્પનું કાજ;
જોતાં ખામી કશી નથી એમાં, જીવમાત્ર નથી એક તેમાં. 55
હોય જો જીવ પુતળાં વિષે, શિલ્પી સ્રષ્ટામાં શો ભેદ દિસે;
કવિ શિખાઉ રસ લાવી જાણે, કોણ સારા કવિને વખાણે. 56
હાસ્યમૂર્તિ બ્રહ્માનંદસ્વામી, આવી બોલ્યા પગે શિર નામી;
આંહિ જો કોઈ ઈશ્વર આવે, તો આ પુતળામાં પ્રાણ લાવે. 57
માંસનાં પુતળાંને રમાડે, કેમ પથ્થરનાં ન જીવાડે;
પણ જો કરુણા ઉર આણે, એવી લીલા દેખાડે આ ટાણે. 58
એવાં સાંભળી મર્મવચન, મંદ મંદ હસ્યા ભગવન;
હતી નેતરની છડી હાથે, પુતળાંને અડાડી તે નાથે. 59
જીવતાં થઇ નાચવા લાગ્યાં, વાજાં વિવિધ પ્રકારનાં વાગ્યા;
સુણી જોવા આવ્યા ઘણા જન, થયા નિરખીને મનમાં મગન.60
એવી લીલા કરી એ ઠેકાણે, મોટા મોટા મુનિજન જાણે;
એહ સ્થાનનો મહિમા અપાર, શું વખાણું હું વારમવાર. 61
પુષ્પિતાગ્રા:-
પરમ પુનિત પૃથ્વી પૃથ્વીપાળ, પુર વરતાલ તણી ઘણી રસાળ;
પુનિત સુપુરી સાત જે ગણાય, પણ વરતાલ સમાન તે ન થાય. 62
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે શ્રીવૃત્તાલયે પ્રસાદિ સ્થાનવર્ણનનિરૂપણનામા પંચદશો વિશ્રામઃ ।।15।।