પૂર્વછાયો:-
ભૂમાનંદ મુનિ કહે, સુણો સ્નેહથી વાઘજીભાઈ;
હરિલીલામૃત ગ્રંથની, ઉતપતિ કહું સુખદાઈ. 1
ચોપાઈ:-
કથા વકતા શ્રીઅચિંત્યાનંદ, જે છે વર્ણી મંડળમાં ચંદ;
શ્રોતા ભકત અભેસિંહરાય, તેની જાણવા મૂળ કથાય. 2
કહ્યું ગોંડળનું આખ્યાન, જે છે જાણવા જોગ્ય નિદાન;
જદુવંશમાં રાજાઓ જેહ, થયા સત્સંગી મેં કહ્યા તેહ. 3
થયા ગોંડળના જે રાજાજી, જેનું નામ ભલું જ દેવાજી;
તેના ભાઈ હઠીસિંહ નામ, ભાવસિંહ બીજા અભિરામ. 4
હઠીસિંહનો વંશ વખાણું, સુત નોંધણજી એક જાણું;
થયા પુત્ર તે રવોજી તેના, મોટા પુત્ર, વખતસિંહ જેના. 5
છોટા દોલતસિંહજી જાણો, મોટાના હરિભાઈ પ્રમાણો;
હઠીસિંહનો વંશ વખાણ્યો, ભાવસિંહજીનો હવે જાણો. 6
ખેંગાભાઇ તથા મોડભાઇ, ત્રીજા ભગવાનજી પણ ન્યાયી;
ભાવસિંહના તે ત્રણ પુત્ર, સતસંગી સઊ ઘરસૂત્ર. 7
ખેંગાજીના કુંવર સુખદાઈ, અભેસિંહ તથા વજુભાઈ;
અભેસિંહ તણા સુત જેહ, નામે ભગવતસિંહજી તેહ. 8
મોડભાઈ તણા જુણોભાઈ, તેના કુંવર કહું હરખાઈ;
રામસિંહ હરિસિંહ નામ, તેને વાલા ઘણા ઘનશ્યામ. 9
ભગવાનજીના પથોભાઈ, ત્રણ કુંવર તેના કહું ગાઈ;
એક અમરસિંહજી ભણિજે, બીજા તો રત્નસિંહ ગણિજે. 10
નારસિંહજી ત્રીજાનું નામ, ત્રણે કુંવર તે સદ્ગુણ ધામ;
સુત ખેંગારજીના વિખ્યાત, અભેસિંહ તણી સુણો વાત. 11
પૂર્વછાયો:-
લાયક છે હાલારમાં, એક ગણોદ ગુણીયલ ગામ;
ભાદર ભલી ભાગીરથી, સરિતા વહે તે ઠામ. 12
ચોપાઈ:-
જેમાં નાહ્યા છે શ્રીમહારાજ, સાથે લઈ સઉ સંતસમાજ;
માટે તીર્થ ગણાય છે તેહ, જાણે મર્મ હરિજન જેહ. 13
વળી પુરમાં પધાર્યા છે નાથ, સંત મંડળને લઈ સાથ;
અભેસિંહજી નામ અનૂપ, ભલા તે તો ગણોદના ભૂપ. 04
જાતે જે કહ્યા જાદવવંશી, કોઈ ઉત્તમ દેવના અંશી;
કાં તો મુકતે લીધો અવતાર, એમ ધારે દેખી નરનાર. 15
જાણે રાજાની નીતિની રીત, પ્રભુ પ્રગટ પદે પુરી પ્રીત;
ધરે એક પગે ઉભા ધ્યાન, મોટા મુનિવર સિદ્ધસમાન. 16
કથા શ્રવણ કરે શુભ રીતે, પૃથુરાય પ્રમાણે તે પ્રીતે;
રહે અંતર જગથી ઉદાસી, જેવા જાણીયે જોગ અભ્યાસી. 17
ધન વાવરે સત્સંગ અર્થે, કોડી એક ન વાવરે વ્યર્થે;
મળ્યા તેને ગુણાતીતાનંદ, ઉપદેશ કર્યો સુખકંદ. 18
ચડ્યો સત્સંગનો બહુ રંગ, જેમ સાકર દૂધ પ્રસંગ;
એક દિવસ શ્રી ગોપાળાનંદ, સાથે લૈને મુનિતણું વૃંદ. 19
ગયા ચાહિને ગામ ગણોદ, ઊપજયો નૃપને મન મોદ;
પધરાવીયા દરબારમાંય, પ્રેમે પૂજી જમાડીયા ત્યાંય. 20
પછી ચોપાટમાં સભા ભરી, સ્વામીયે પ્રભુવારતા કરી;
વાત સ્વામીયે ભૂપને કહી, વરતાલ ગયા છો કે નહી ? 21
ત્યારે ભૂપ કહે કહું છુંય, વરતાલ ગયો નથી હુંય;
સુણીને સ્વામી બોલિયા એમ, એવી ભૂલ કરી તમે કેમ ? 22
શિક્ષાપત્રી તો વાંચો છો નિત્ય, તેનો અર્થ વિચાર્યો ન ચિત્ત;
સતસંગી જે જન કહેવાય, તે તો દ્વારિકા તીરથે જાય. 23
તે તો દ્વારિકાના દેવ જેહ, વરતાલે આવી વશ્યા તેહ;
તહાં ગોમતીમાં કરી સ્નાન, છાપો લેવી કહે ભગવાન. 24
છાપો બીજે લેવાનું જ કયાંઈ, નથી સત્સંગના ગ્રંથમાંઈ;
નિજ બે છબી પોતાને હાથે, પધરાવી ત્યાં વૃષકુળનાથે. 25
છબી પોતાની મંદિરમાંઈ, પધરાવી નથી બીજે કયાંઈ;
રામનવમી પ્રબોધની જેહ, એવા શ્રેષ્ઠ સમૈયા બે તેહ. 26
વર્ષોવર્ષ આવીને સદાય, કરતા હરિ વરતાલમાંય;
ઉદ્ધવી સંપ્રદાયના જેહ, વરતાલે કરે તીર્થ તેહ. 27
અતિ ઉગ્ર માહાત્મ્ય છે એવું, નથી તીરથ વરતાલ જેવું;
માટે સર્વ કુટુંબ સહિત, કરો જાત્રા જઇ રુડી રીત. 28
અભેસિંહે ધાર્યું એહ કાળ, જાત્રા કરવા જાવું વરતાલ;
સજી સંઘને થયા તૈયાર, સાથે સંચર્યા બહુ નર નાર. 29
એક રાણી રુડાં કસલિબા, બીજી રાણીનું નામ અજીબા;
રામબા કુંવરીતણું નામ, સાથે સંચર્યા જાત્રાને કામ. 30
ભલા ભગવતસિંહ કુમાર, તાતતુલ્ય તે ભકત ઉદાર;
સિંહના સુત સિંહ જ થાય, તેવો દાખલો સત્ય દેખાય. 31
ભકત ભગવતસિંહ ગણાયા, બાળાપણ થકી બહુ વખણાયા;
સારા તે સુતને લીધા સાથે, વરતાલ જતાં નરનાથે. 32
જુણોભાઈ હરિભકત જેહ, થયા તૈયાર જાત્રાયે તેહ;
કેશાબા તેની રાણી પવિત્ર, રામસિંહ હરિસિંહ પુત્ર. 33
અભેસિંહે લીધાં સહુ સંગે, ચાલી રૈયત કોઈ ઉમંગે;
ભૂપે સારી સજી અસવારી, અસ્ત્ર શસ્ત્ર લીધાં અંગે ધારી. 34
ઘણા હણહણે ચંચળ ધોડા, રથ પાળા ને ઊંટ સજોડા;
જાણે જીતવા શત્રુ કુસંગ, ભૂપે સેના સજી ચતુરંગ. 35
એમ કરતા મુકામ મુકામ, આવ્યા ભૂપતિ વરતાલ ધામ;
ત્યારે રઘુવીરજી મહારાજે, સારી બરદાશ કરવા કાજે. 36
દાસ ગોવરધન તેડ્યા પાસ, બીજા કોઠારી અંબાઈદાસ;
કહ્યું સારો ઉતારો જ દેજો, તમે હાજર બે જણ રહેજો. 37
લખ્યું છે શિક્ષાપત્રીમાં એવું, દેવું માન જેને ઘટે જેવું;
માટે જો તે વચન ન લોપાય, શ્રીજી મહારાજ રાજી તો થાય.38
એવું સાંભળી બોલ્યા કોઠારી, અમે માનશું આજ્ઞા તમારી;
પણ બાઈયો આવી છે જેહ, ઉતરી છે હવેલીમાં તેહ. 39
હવેલીમાં અમે ન જવાય, માટે શી રીતે બરદાશ થાય ?
ભલા ભકત છે શામળભાઈ, જાય છે તે તો હવેલી માંઈ.40
એ છે ઈન્દ્રિયજીત અતિશે, સનકાદિક સરખા તે દિસે;
માટે તેને સમીપ બોલાવો, હવેલીતણું કામ ભળાવો. 41
દરબાર તણે જ ઉતારે, કામે જાવું પડે વારે વારે;
જોશી ઉમરેઠના વિષ્ણુરામ, તમે તેને સોંપો તેહ કામ. 42
અમે રાખશું પૂરો તપાસ, સારી રીતે થશે બરદાશ;
રઘુવીરજીને વાત ભાવી, કહી બે જણનેય બોલાવી. 43
સુણી પામિયા સર્વ હુલાસ, સૌની સારી કરી બરદાશ;
ભૂપ મંદિર માંહિ પધાર્યા, આપી સારો ઉતારો ઉતાર્યા. 44
કર્યા દર્શન દેવનાં પ્રિતે, સભામાં ગયા કુંવર સહિતે;
શોભે ભૂપનો તો સાદો વેષ, ધર્યા ભૂષણ કુંવરે વિશેષ. 45
રધુવીરજીને લાગ્યા પાય, ઉર માંહિ ઉમંગ ન માય;
દિસે કેવા મુનિમાં નરેશ, મુનિમંડળમાં મિથિલેશ. 46
હરિ ચરિતની ચરચા કીધી, પછી આજ્ઞા તે સર્વની લીધી;
ગોમતીમાં જઈ કર્યું સ્નાન, દીધાં બ્રાહ્મણને બહુ દાન. 47
જ્ઞાનબાગે ગયા ગુણવૃંદ, જયાં છે વર્ણી શ્રીઅચિંત્યાનંદ;
રૂડી જગ્યા પ્રસાદીની જોઈ, રુદે રાજી થયા સહુ કોઈ. 48
પૂર્વછાયો:-
વર્ણી સમીપે સંચરી, પ્રેમે કર્યો નરેશે પ્રણામ;
ત્યારે તે જાગ્યા ધ્યાનથી, મહા નૈષ્ઠિક જે નિષ્કામ. 49
ચોપાઈ:-
વળી રાજાયે કીધો પ્રણામ, ત્યારે બોલાવિયા લઈ નામ;
વળી વર્ણીયે આશીષ દીધી, પછી ભગવતવારતા કીધી. 50
પછી બોલ્યા અભેસિંહ ભૂપ, સુણો વર્ણી સદા સુખરૂપ;
મને સ્વામીશ્રી ગોપાળાનંદ, મળ્યા સાથે લઈ મુનિવૃંદ. 51
વરતાલનો મહિમા વખાણ્યો, અમે સાંભળી અંતરે આણ્યો;
સાથે લૈને કુટુંબ સમાજ, વરતાલે આવ્યા અમે આજ. 52
વરતાલ તણો મહિમાય, વળી છે સુણવાની ઇચ્છાય;
દયાસિંધુ દયા દીલ ધરો, મહિમા આંહી કેરો ઉચ્ચરો. 53
સુણી બોલિયા વરણીરાય, સુણો વરતાલનો મહિમાય;
ગુરુશ્રી ગોપાળાનંદજી છે, જેનાં ઈશ્વર દર્શન ઇચ્છે. 54
તેણે મહિમા કહ્યો મુજપાસ, તે હું આજ કહું સહુલ્લાસ;
બ્રહ્મા ઉચ્ચરે છે મુખ ચારે, શેષ ઉચ્ચરે વદન હજારે. 55
મહિમા તણો પાર ન પામે, નેતિ નેતિ કહીને વિરામે;
વાલો અક્ષર ધામના વાસી, વિચર્યા છે જહાં અવિનાશી. 56
ગામમાંઈ તથા સીમમાંઈ, નથી રમણરેતી વિના કયાંઈ;
ઝાડે ઝાડે તથા ઘેર ઘેર, વિચર્યા છે પ્રભુ રુડી પેર. 57
વરતાલે કરી લીલા જેવી, બીજે કયાંઈ કરી નથી એવી;
ધર્યો મણિમય મુગટ માથે, લીધી હેતથી મોરલી હાથે. 58
હરિ ઝુલ્યા છે સરસ હિંડોળે, રંગ ખેલ કર્યો ફુલદોળે;
સમૈયા ઘણા વરતાલે કીધા, પરચા ઘણા લોકને દીધા. 59
ઘણીવાર બોલ્યા ઘનશ્યામ, મને વાલું છે વરતાલ ધામ;
દ્વારિકાપતિ રણછોડરાય, વસ્યા આવીને વરતાલ માંય. 60
એક ત્રાજવે તીર્થ હજારે, બીજા ત્રાજવે વરતાલ ધારે;
ધામ વૈકુંઠ આદિ ધરાય, તોય વરતાલ તુલ્ય ન થાય. 61
બ્રહ્મા ભવ સનકાદિક જેવા, તીર્થ કરવાને આવે છે તેવા;
આવે પુરુષપ્રધાનસંયુકત, આવે અક્ષરધામના મુકત. 62
ધરી આવે તે તો દિવ્ય દેહ, જન દેખે સમાધિસ્થ જેહ;
હસ્તિ પગલામાં સૌનાં સમાય, તીર્થ વરતાલ તેમ ગણાય.63
પુષ્પિતાગ્રા:-
વૃતપુર મહિમા કહ્યો ન જાય, કદી મુખ શેષ સહસ્ર કલ્પ ગાય;
વૃષસુતતણી મુખ્ય ગાદિ જયાં છે, ત્રિભુવન તત્ત્વ અનેક તીર્થ ત્યાં છે. 64
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયતીર્થ માહાત્મ્યકથન નામા ત્રયોદશો વિશ્રામઃ ।।13।।