પૂર્વછાયો:-

ભૂમાનંદ  મુનિ  કહે,  સુણો  સ્નેહથી  વાઘજીભાઈ;

હરિલીલામૃત  ગ્રંથની,  ઉતપતિ  કહું સુખદાઈ. 1

ચોપાઈ:-

કથા વકતા શ્રીઅચિંત્યાનંદ, જે છે વર્ણી મંડળમાં ચંદ;

શ્રોતા ભકત અભેસિંહરાય, તેની જાણવા   મૂળ કથાય. 2

કહ્યું ગોંડળનું આખ્યાન, જે છે જાણવા જોગ્ય નિદાન;

જદુવંશમાં રાજાઓ જેહ, થયા સત્સંગી મેં કહ્યા તેહ. 3

થયા ગોંડળના જે રાજાજી, જેનું નામ ભલું જ દેવાજી;

તેના ભાઈ હઠીસિંહ નામ, ભાવસિંહ  બીજા અભિરામ. 4

હઠીસિંહનો  વંશ  વખાણું,  સુત  નોંધણજી  એક  જાણું;

થયા પુત્ર તે રવોજી  તેના, મોટા પુત્ર, વખતસિંહ જેના. 5

છોટા દોલતસિંહજી જાણો, મોટાના   હરિભાઈ  પ્રમાણો;

હઠીસિંહનો વંશ વખાણ્યો, ભાવસિંહજીનો હવે જાણો. 6

ખેંગાભાઇ તથા મોડભાઇ, ત્રીજા ભગવાનજી પણ ન્યાયી;

ભાવસિંહના  તે ત્રણ  પુત્ર,  સતસંગી  સઊ  ઘરસૂત્ર. 7

ખેંગાજીના  કુંવર સુખદાઈ,  અભેસિંહ તથા  વજુભાઈ;

અભેસિંહ તણા  સુત જેહ, નામે ભગવતસિંહજી  તેહ. 8

મોડભાઈ તણા જુણોભાઈ, તેના  કુંવર કહું હરખાઈ;

રામસિંહ હરિસિંહ  નામ, તેને વાલા ઘણા  ઘનશ્યામ. 9

ભગવાનજીના પથોભાઈ,  ત્રણ  કુંવર  તેના કહું ગાઈ;

એક  અમરસિંહજી  ભણિજે, બીજા તો રત્નસિંહ ગણિજે. 10

નારસિંહજી ત્રીજાનું નામ, ત્રણે કુંવર તે સદ્ગુણ ધામ;

સુત ખેંગારજીના વિખ્યાત,  અભેસિંહ તણી સુણો વાત. 11

પૂર્વછાયો:-

લાયક  છે હાલારમાં,  એક  ગણોદ  ગુણીયલ  ગામ;

ભાદર  ભલી  ભાગીરથી,  સરિતા  વહે તે ઠામ. 12

ચોપાઈ:-

જેમાં નાહ્યા છે શ્રીમહારાજ, સાથે લઈ  સઉ સંતસમાજ;

માટે તીર્થ ગણાય  છે તેહ,  જાણે મર્મ હરિજન  જેહ. 13

વળી પુરમાં પધાર્યા છે નાથ, સંત મંડળને લઈ સાથ;

અભેસિંહજી નામ અનૂપ, ભલા તે તો ગણોદના ભૂપ. 04

જાતે જે કહ્યા  જાદવવંશી,  કોઈ  ઉત્તમ  દેવના  અંશી;

કાં તો મુકતે લીધો અવતાર, એમ ધારે દેખી નરનાર. 15

જાણે રાજાની નીતિની રીત,   પ્રભુ પ્રગટ  પદે પુરી પ્રીત;

ધરે એક પગે ઉભા ધ્યાન, મોટા મુનિવર સિદ્ધસમાન. 16

કથા શ્રવણ  કરે શુભ  રીતે, પૃથુરાય  પ્રમાણે તે પ્રીતે;

રહે અંતર જગથી ઉદાસી, જેવા જાણીયે જોગ અભ્યાસી. 17

ધન  વાવરે સત્સંગ અર્થે,  કોડી એક  ન  વાવરે વ્યર્થે;

મળ્યા  તેને ગુણાતીતાનંદ,  ઉપદેશ  કર્યો સુખકંદ. 18

ચડ્યો  સત્સંગનો  બહુ રંગ,  જેમ  સાકર  દૂધ  પ્રસંગ;

એક દિવસ શ્રી ગોપાળાનંદ, સાથે લૈને મુનિતણું વૃંદ. 19

ગયા ચાહિને ગામ ગણોદ, ઊપજયો નૃપને મન મોદ;

પધરાવીયા  દરબારમાંય, પ્રેમે પૂજી જમાડીયા  ત્યાંય. 20

પછી ચોપાટમાં સભા ભરી, સ્વામીયે પ્રભુવારતા કરી;

વાત  સ્વામીયે ભૂપને કહી, વરતાલ  ગયા છો કે નહી ? 21

ત્યારે ભૂપ  કહે કહું છુંય,  વરતાલ  ગયો  નથી  હુંય;

સુણીને સ્વામી બોલિયા એમ, એવી ભૂલ કરી તમે કેમ ? 22

શિક્ષાપત્રી તો વાંચો છો નિત્ય, તેનો અર્થ વિચાર્યો ન ચિત્ત;

સતસંગી જે જન કહેવાય, તે તો દ્વારિકા તીરથે જાય. 23

તે તો દ્વારિકાના દેવ  જેહ, વરતાલે આવી વશ્યા તેહ;

તહાં ગોમતીમાં કરી સ્નાન, છાપો લેવી કહે ભગવાન. 24

છાપો  બીજે લેવાનું જ  કયાંઈ, નથી સત્સંગના ગ્રંથમાંઈ;

નિજ  બે છબી પોતાને હાથે,  પધરાવી ત્યાં વૃષકુળનાથે. 25

છબી પોતાની મંદિરમાંઈ, પધરાવી નથી બીજે કયાંઈ;

રામનવમી પ્રબોધની જેહ, એવા શ્રેષ્ઠ સમૈયા બે તેહ. 26

વર્ષોવર્ષ આવીને સદાય,  કરતા  હરિ  વરતાલમાંય;

ઉદ્ધવી  સંપ્રદાયના  જેહ,  વરતાલે કરે તીર્થ તેહ. 27

અતિ ઉગ્ર માહાત્મ્ય છે એવું, નથી તીરથ વરતાલ  જેવું;

માટે સર્વ કુટુંબ  સહિત,  કરો  જાત્રા  જઇ  રુડી  રીત. 28

અભેસિંહે ધાર્યું એહ કાળ, જાત્રા કરવા જાવું વરતાલ;

સજી સંઘને થયા તૈયાર,  સાથે સંચર્યા બહુ નર  નાર. 29

એક  રાણી રુડાં કસલિબા,  બીજી રાણીનું નામ  અજીબા;

રામબા  કુંવરીતણું નામ,  સાથે સંચર્યા જાત્રાને કામ. 30

ભલા ભગવતસિંહ  કુમાર, તાતતુલ્ય  તે ભકત ઉદાર;

સિંહના સુત સિંહ જ થાય, તેવો દાખલો સત્ય  દેખાય. 31

ભકત ભગવતસિંહ ગણાયા, બાળાપણ થકી બહુ વખણાયા;

સારા  તે સુતને લીધા  સાથે,  વરતાલ  જતાં નરનાથે. 32

જુણોભાઈ  હરિભકત  જેહ,  થયા  તૈયાર  જાત્રાયે તેહ;

કેશાબા તેની  રાણી  પવિત્ર,  રામસિંહ હરિસિંહ  પુત્ર. 33

અભેસિંહે લીધાં સહુ સંગે, ચાલી  રૈયત કોઈ  ઉમંગે;

ભૂપે સારી સજી અસવારી, અસ્ત્ર શસ્ત્ર લીધાં અંગે ધારી. 34

ઘણા હણહણે ચંચળ ધોડા, રથ પાળા ને ઊંટ સજોડા;

જાણે જીતવા  શત્રુ કુસંગ,  ભૂપે સેના  સજી  ચતુરંગ. 35

એમ  કરતા મુકામ  મુકામ,  આવ્યા ભૂપતિ વરતાલ  ધામ;

ત્યારે રઘુવીરજી મહારાજે, સારી બરદાશ કરવા કાજે. 36

દાસ ગોવરધન  તેડ્યા પાસ, બીજા કોઠારી અંબાઈદાસ;

કહ્યું સારો ઉતારો જ દેજો, તમે હાજર બે જણ રહેજો. 37

લખ્યું છે શિક્ષાપત્રીમાં એવું, દેવું માન જેને ઘટે જેવું;

માટે જો તે વચન ન લોપાય, શ્રીજી મહારાજ રાજી તો થાય.38

એવું સાંભળી બોલ્યા કોઠારી, અમે માનશું આજ્ઞા તમારી;

પણ બાઈયો આવી છે જેહ, ઉતરી છે હવેલીમાં તેહ. 39

હવેલીમાં અમે ન  જવાય, માટે શી રીતે બરદાશ થાય  ?

ભલા ભકત છે શામળભાઈ, જાય છે તે તો હવેલી માંઈ.40

એ છે ઈન્દ્રિયજીત અતિશે, સનકાદિક સરખા તે દિસે;

માટે તેને સમીપ બોલાવો,  હવેલીતણું કામ  ભળાવો. 41

દરબાર  તણે જ  ઉતારે,  કામે જાવું પડે વારે વારે;

જોશી ઉમરેઠના વિષ્ણુરામ, તમે તેને સોંપો તેહ કામ. 42

અમે રાખશું પૂરો  તપાસ,  સારી  રીતે થશે બરદાશ;

રઘુવીરજીને વાત  ભાવી,  કહી  બે જણનેય  બોલાવી. 43

સુણી પામિયા સર્વ હુલાસ, સૌની સારી કરી બરદાશ;

ભૂપ મંદિર માંહિ  પધાર્યા, આપી સારો ઉતારો ઉતાર્યા. 44

કર્યા દર્શન દેવનાં પ્રિતે, સભામાં ગયા કુંવર સહિતે;

શોભે ભૂપનો તો સાદો વેષ,  ધર્યા ભૂષણ કુંવરે વિશેષ. 45

રધુવીરજીને લાગ્યા પાય,  ઉર  માંહિ  ઉમંગ ન  માય;

દિસે કેવા  મુનિમાં નરેશ,  મુનિમંડળમાં મિથિલેશ. 46

હરિ ચરિતની ચરચા કીધી, પછી આજ્ઞા તે સર્વની લીધી;

ગોમતીમાં જઈ કર્યું સ્નાન, દીધાં બ્રાહ્મણને બહુ દાન. 47

જ્ઞાનબાગે ગયા ગુણવૃંદ,  જયાં છે વર્ણી શ્રીઅચિંત્યાનંદ;

રૂડી જગ્યા પ્રસાદીની જોઈ, રુદે રાજી થયા સહુ કોઈ. 48

પૂર્વછાયો:-

વર્ણી સમીપે સંચરી,  પ્રેમે કર્યો નરેશે પ્રણામ;

ત્યારે તે જાગ્યા  ધ્યાનથી, મહા નૈષ્ઠિક જે નિષ્કામ. 49

ચોપાઈ:-

વળી રાજાયે કીધો પ્રણામ, ત્યારે બોલાવિયા લઈ નામ;

વળી વર્ણીયે આશીષ દીધી, પછી  ભગવતવારતા કીધી. 50

પછી બોલ્યા અભેસિંહ ભૂપ,  સુણો વર્ણી સદા સુખરૂપ;

મને સ્વામીશ્રી ગોપાળાનંદ,  મળ્યા સાથે લઈ મુનિવૃંદ. 51

વરતાલનો મહિમા વખાણ્યો, અમે સાંભળી અંતરે આણ્યો;

સાથે લૈને કુટુંબ સમાજ, વરતાલે આવ્યા અમે આજ. 52

વરતાલ તણો મહિમાય, વળી  છે સુણવાની  ઇચ્છાય;

દયાસિંધુ દયા દીલ ધરો, મહિમા આંહી કેરો ઉચ્ચરો. 53

સુણી બોલિયા વરણીરાય, સુણો વરતાલનો મહિમાય;

ગુરુશ્રી ગોપાળાનંદજી  છે,  જેનાં ઈશ્વર દર્શન  ઇચ્છે. 54

તેણે મહિમા કહ્યો મુજપાસ, તે હું આજ કહું સહુલ્લાસ;

બ્રહ્મા ઉચ્ચરે છે મુખ  ચારે, શેષ  ઉચ્ચરે વદન  હજારે. 55

મહિમા તણો પાર ન પામે, નેતિ નેતિ કહીને વિરામે;

વાલો અક્ષર ધામના વાસી, વિચર્યા છે જહાં અવિનાશી. 56

ગામમાંઈ  તથા સીમમાંઈ, નથી રમણરેતી વિના કયાંઈ;

ઝાડે ઝાડે તથા  ઘેર  ઘેર,  વિચર્યા છે પ્રભુ રુડી  પેર. 57

વરતાલે કરી લીલા જેવી, બીજે કયાંઈ  કરી નથી એવી;

ધર્યો મણિમય મુગટ માથે, લીધી હેતથી મોરલી હાથે. 58

હરિ ઝુલ્યા છે સરસ હિંડોળે, રંગ ખેલ કર્યો ફુલદોળે;

સમૈયા ઘણા વરતાલે કીધા, પરચા ઘણા લોકને દીધા. 59

ઘણીવાર બોલ્યા ઘનશ્યામ, મને વાલું છે વરતાલ  ધામ;

દ્વારિકાપતિ રણછોડરાય,  વસ્યા આવીને વરતાલ માંય. 60

એક ત્રાજવે તીર્થ હજારે, બીજા ત્રાજવે વરતાલ ધારે;

ધામ વૈકુંઠ આદિ ધરાય, તોય વરતાલ તુલ્ય ન થાય. 61

બ્રહ્મા ભવ સનકાદિક જેવા, તીર્થ કરવાને આવે છે તેવા;

આવે પુરુષપ્રધાનસંયુકત,  આવે અક્ષરધામના  મુકત. 62

ધરી આવે તે તો દિવ્ય દેહ,  જન  દેખે સમાધિસ્થ જેહ;

હસ્તિ પગલામાં સૌનાં સમાય, તીર્થ વરતાલ તેમ ગણાય.63

પુષ્પિતાગ્રા:-

વૃતપુર મહિમા કહ્યો ન જાય, કદી મુખ શેષ સહસ્ર કલ્પ ગાય;

વૃષસુતતણી મુખ્ય ગાદિ જયાં છે, ત્રિભુવન તત્ત્વ અનેક તીર્થ ત્યાં છે. 64

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયતીર્થ માહાત્મ્યકથન નામા ત્રયોદશો વિશ્રામઃ ।।13।।