ઉપજાતિ:-

સર્વોપરી ઉત્તમ હાથી એક, અંબાડીયે નંગ જડ્યાં અનેક;

બિરાજીયા ત્યાં ભગવત્પ્રસાદ, ત્યારે થયો ત્યાં જયશબ્દ નાદ. 1

કરે શિરે ચામર નંદકૃશ્ના,  જેને નહી આ જગકેરી તૃષ્ણા;

તથા બિરાજયા શુભ તાવદાને, પ્રભુપ્રસાદ પ્રભુ રાખી ધ્યાને. 2

હોદો ભલો હાથી તણો વિશાળ, વિરાજીયા ત્યાંજ વિહારીલાલ;

તે પાસ નારાયણસુપ્રસાદ, વિરાજીયા સર્વ તજી વિષાદ. 3

મેના રથો પાલખીમાં સુસંત, વિરાજીયા જે મુનિયો મહંત;

આચાર્યની ને નૃપપુત્ર કેરી, અસ્વારી શોભે મળીને ઘણેરી. 4

ત્રિવેણિકા સાગર પ્રાપ્ત જેમ, પ્રવેશ કીધો પુર મધ્ય  તેમ;

શ્વેતાંબરી જે જન છે અથાહ, તે જાણીયે ગંગ તણો પ્રવાહ. 5

કૃષ્ણાંબરી પોલિસના સિપાઇ, તે જાણિયે શું જમુના વહાઇ;

રકતાંબરી સંત અનંત જેહ, સરસ્વતી નીર સમાન તેહ. 6

સ્વારી તણું વર્ણન શું વખાણું, ધર્મિષ્ઠ છે ઉત્તમ તેથી જાણું;

મળ્યા હરિભકત મુનિ અપાર, શોભે ઘણા ત્યાં નૃપના સવાર. 7

હરિગીત છંદ:-

અસવાર સંગ  અપાર જનની લાર લાંબી થાય  છે,

ગુણ ગાય વાજાં વાય જય જય થાય પુરમાં જાય છે;

વાજે સુડંકા  જોધ  વંકા  ઉર  અશંકા  ધારી  છે,

અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 8

ગજ  અગ્ર પાળા શસ્ત્રવાળા દિલ  દયાળા છે  ઘણા,

બંદૂક છોડે ચાલી  જોડે માન મોડે અરિ તણાં;

બોકાની વાળી બહુ રુપાળી ભાળી ખળ ભયકારી છે,

અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 9

ગણનાથ જેવા તરુણ તેવા ઇભ એવા મન હરે,

ઉનમત્ત  અંગે શ્યામ  રંગે અતિ  ઉમંગે સંચરે;

મન મોહકારી સૂંઢ ભારી સારી તે શણગારી છે,

અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 10

ઘૂમે સુઘોડા  થૈ સજોડા  છે અછોડા  હેમના,

ઝાંઝર સુઝમકે ધરણી ધમકે ચરણ ઠમકે તેમના;

ગળ માળતી તન ઢાલની બહુ ચાલની બલિહારી છે,

અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 11

રવિઅશ્વ સારો પણ બિચારો દેખી હાર્યો દૂરથી,

નિર્ખવા   ઢૂકે ચાલ   ચૂકે માન   મૂકે ઉરથી;

મુખવાણિયે શું વખાણિયે ગતિ જાણિયે ઉરગારી છે,

અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 12

સોનેરી સાજે શુભ વિરાજે અંગ તાજે બની રહે,

સહુયે વખાણ્યા રત્ન જાણ્યા કયાંથી આણ્યા આ કહે;

રિપુ સૈન્ય  ભંજન  ગર્વગંજન  સ્વામીરંજન  કારી છે,

અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 13

વાજિંત્ર  વાજે વૃષ્ટિ  કાજે મેધ  ગાજે જે રીતે,

ભાલા સુભલકે ખડગ ઝળકે તડિત  ચળકે તે રીતે;

મળી વાટ ઘાટ ઉચાટ તજીને નિરખતાં નરનારી છે,

અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 14

છડીદાર વારંવાર જય ઉચ્ચાર ભકત લાખો કરે,

ભૂસ્વર્ગના અરિવર્ગ અધરમ  સર્ગ સુણી ઉરમાં ડરે;

શું મેઘ  જાણી  મોર  વાણી  તાણીને ઉચ્ચારી  છે,

અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 15

ગુણવંત  જ્ઞાની નિરભિમાની સંત ધ્યાની  સંચરે,

વ્રત  બૃહદ  ધારી  બ્રહ્મચારી  નિર્વિકારી  પરવરે;

ગંભીર મન સુસ્થીર ફળ કે નીરના આહારી છે,

અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 16

ઉપજાતિ:-

અસ્વારી સારી પુરમાં પધારી, ઉત્કંઠતા સૌ જનની વધારી;

નારી નરો સૌ લળી પાય લાગે, આશીષ આચાર્ય સમીપ માગે. 17

છે પૌત્ર સાક્ષાત પ્રભુજી કેરા, નિહાળી લોકો હરખ્યા ઘણેરા;

સંતો મહાંતો સનકાદિ જેવા, કયાંથી મળે આ કળિ માંહિ એવા. 18

માહાત્મ્ય એવું મન માંહિ જાણી, નમે પ્રજા પૂરણ પ્રેમ આણી;

કોઇ  કહે આપ ભલે પધાર્યા, અત્યંત આનંદ ઉરે વધાર્યા. 19

કૈલાસ નામે શુભ બાગ જયાં છે, સારી જગ્યા તેની સમીપ ત્યાં છે;

તૈયાર ત્યાં તંબુ ઉભા કરેલા, ત્યાં ગાદિયો ને તકિયા ધરેલા. 20

ત્યાં સર્વને મંત્રી દીધો ઉતારો, લાગ્યો સહૂના મન માંહિ સારો;

રાજી થયાં અંતર રાજમાત, દીધાં ભલાં ભોજન ભાત ભાત. 21

રુડી રીતે તે ગઇ વીતિ રાત, બીજે દિને જયાં પ્રગટ્યું પ્રભાત;

પ્રભુ તણા મંદિરની સમીપે, રચાવિયો મંડપ ત્યાં મહીપે. 22

સુવેદવાદી દ્વિજ ત્યાં પધારી, શોભા સજાવી વળી સૌથી સારી;

કરાવિયો ત્યાં શુભ પદ્મકુંડ, બેઠા દ્વિજો જાપ જપે અખંડ. 23

કોઇ  કરે પાઠ સુશાસ્ત્ર કેરા,  વર્યા દ્વિજો ત્યાં વરુણે ઘણેરા;

ઘી ખાંડ સામાન ઘણા મંગાવ્યા, પકવાન્નના ગંજ તહાં કરાવ્યા. 24

ત્રયોદશી માઘસુદી સુઆવી, તિથિ પ્રતિષ્ઠા તણી તે સુહાવી;

આચારજે મંડપમાં પધારી, કરી ક્રિયા સૌ નિગમાનુસારી. 25

દ્વિજો મળી આશીરવાદ દીધો, વેદોકત મંત્રો ભણી હોમ કીધો;

મધ્યાહ્નથી પૂર્વ મુહૂર્ત જાણી, સુણી દ્વિજોની શુભ વેદવાણી. 26

આચાર્યજીયે કરી પૂર્ણ પ્યાર, સ્વહસ્ત થાપી પ્રતિમા ઉદાર;

છે પશ્ચિમાભિમુખનું રુપાળું,  મંદિર તે તો ત્રણ શીખરાળું. 27

સુધર્મ ભકિત હરિકૃષ્ણ જેહ, સ્થાપ્યા સુમધ્યાલય માંહિ તેહ;

વળી દિશા દક્ષિણ ખંડ જયાંય, સ્થાપ્યા સુરાધાયુત કૃષ્ણ ત્યાંય. 28

સજયા  પ્રસાદીની સુશોભમાન, થાપી ભલી ઉત્તર ભાગ થાન;

વાજીંત્ર વાજે બહુ તેહ ટાણે, છોડાવી તોપો પણ તે પ્રમાણે. 29

ઉત્સાહ એવો અતિ મોંઘિબાનો, ઉત્સાહ એવોજ બધી પ્રજાનો;

શ્રીમોંઘિબા દર્શન કાજ આવ્યાં, કુમારને ત્યાં નિજ સાથ લાવ્યાં. 30

પ્રધાન આવ્યા પરિવાર  સંગ, સૌને વધ્યો અંગ ઘણો ઉમંગ;

મધ્યાલયે શ્રી ભગવત્પ્રસાદે, યામ્યાલયે તેમ પ્રભુપ્રસાદે. 31

સજયાલયે લાલ વિહારીલાલે, ઉતારી ત્યાં આરતી એહ કાળે;

આચારજીયે સ્તુતિ દેવ કેરી, ઉચ્ચારી ત્યાં પ્રીતિ ધરી ઘણેરી. 32

દોધક:-

જે જગનાયક દાયક મુકિત, જે પુરુષોત્તમ ઉત્તમ ઉકિત;

મુકત અધીશ મુનીશ મુરારી, જે હરિકૃષ્ણ સદા  સુખકારી. 33

જે મહિધારણ વારણ ત્રાતા, દુષ્ટ વિદારણ સન્મતિ દાતા;

જે વૃષનંદન ચંદન  ધારી, જે હરિકૃષ્ણ   સદા  સુખકારી. 34

ઇશ્વરના પણ ઇશ્વર આપે, પાપ ટળે પ્રભુ આપ પ્રતાપે;

જે મધુસૂદન જે મદનારી, જે હરિકૃષ્ણ   સદા સુખકારી. 35

અક્ષરથી પર અક્ષરધામી, સ્વામી સ્વતંતર અંતરજામી;

જે અવિકારી અહો અસુરારી, જે હરિકૃષ્ણ સદા સુખકારી. 36

જે અઘખંડન મંડન ધર્મ, જે ખળદંડન કર્તૃ સુકર્મ;

નિત્ય ભજે ભવ ને ભવનારી, જે હરિકૃષ્ણ સદા સુખકારી. 37

જે અખિલેશ્વર જે અવિનાશી, જે પરમેશ્વર પૂર્ણ પ્રકાશી;

જે ભવભીતિ વિભંજન ભારી, જે હરિકૃષ્ણ સદા સુખકારી. 38

જે  ગુણગાયકના સુખરાશી,  જે ગુણદાયક ગોંડળવાસી;

આપ કરો સુસહાય અમારી, જે હરિકૃષ્ણ  સદા સુખકારી. 39

જે નટ નાગર જે બહુનામી, જે સુખસાગર જે સુખધામી;

જે જગદીશ્વર વિશ્વવિહારી, જે હરિકૃષ્ણ સદા સુખકારી. 40

ઉપજાતિ:-

સ્તુતિ કરી એવી રીતે હુલાસે, આચાર્ય બોલ્યા સહુ શિષ્ય પાસે;

શ્રીજી પધાર્યા અહિં ઝાઝીવાર, ધાર્યું હતું મંદિર એહ ઠાર. 41

શ્રીજીની ઇચ્છાથકી આ થયું છે, શ્રીમોંઘિબાનું વચને રહ્યું છે;

સંગ્રામજીયે રુચિ ધારી લીધી, તે મોંઘિબાયે પરિપૂર્ણ કીધી. 42

તે બાઇનાં ધન્ય પિતા સુમાતા, છે ધન્ય બુદ્ધિ વળી ધન્ય જ્ઞાતા;

આ કામ  કીધું પરમાર્થ કેરું, તે બાઈને પુણ્ય થશે ઘણેરું. 43

આ મંદિરે ઇશ્વરભકિત થાશે, સંતો સદા કીર્તન ગાન ગાશે;

થશે વળી જે તપ જાપ ધ્યાને, તે પુણ્યનો અંશ સુમોંઘિબાને. 44

લે રાજની ઊપજ  જેમ  રાય, આ પુણ્યની તેમ  થશે સદાય;

આ ક્ષેત્ર કેરો  મહિમા ગણાશે, જતે દિને શ્રેષ્ઠ ઘણો જણાશે. 45

જે જે સ્થળે શ્રીહરિ વિચર્યા છે, માહાત્મ્ય તેનું મુનિ ઉચ્ચર્યા છે;

જાત્રા કરે જે જન એહ ઠામે, તે તો પુરાં ચાર પદાર્થ પામે. 46

સુણો કહું તે સતસંગી સર્વ, ભલું પ્રતિષ્ઠાતણું આજ  પર્વ;

માટે હવેથી પ્રતિવર્ષ આજ, કરો ભલો ઉત્સવ દેવકાજ. 47

રાજા તણી વાર્ષિક ગાંઠધારી, જમે રમે સજ્જ કરે સવારી;

સદા કરો ઉત્સવ એવી રીત્યે, ધરો ભલા ભોગ નવીન પ્રીતે. 48

ત્રયોદશી માઘ   શુદીની જયારે, બંધાવવાં તોરણ સર્વદ્વારે;

દિવાળીથી ઉત્તમ પર્વ જાણી, ભકિત કરો અંગે ઉમંગ આણી. 49

બોલ્યા જનો આપ બતાવ્યું જેમ, થશે સદા ઉત્સવ આંહિ તેમ;

વર્ણી અચિંતાખ્ય પ્રતિ વિચારી, આચાર્ય બોલ્યા અતિ નેહ ધારી. 50

તમે કર્યો છે  શ્રમ પૂર્ણ આમાં, છો સદ્ગુરુ ઉત્તમ આ સમામાં;

ગુણાતીતે દીધી મહાંતતાઇ, શોભાવી તે તો સહુથી  સવાઇ. 51

શ્રીજી છતાંના બટુ વાસુદેવ,  કરે જુનાણે પ્રતિમાની સેવ;

તેના ઇશાનંદ સુશિષ્ય જેહ, આંહીજ રાખો ગુરુશિષ્ય તેહ. 52

તમે જુનાણે પ્રભુવાત ભાખો, પ્રસન્ન થાશે સતસંગ આખો;

આજ્ઞા સુણીને શિર ધારી લીધી, કહ્યા પ્રમાણે સ્થિતિ સર્વ કીધી. 53

શ્રીમોંઘિબાયે ભલી ભેટ લાવી, પ્રેમે પ્રભુ આગળ્ય તે ધરાવી;

વસ્ત્રો તથા ભૂષણનો ન પાર, મોતી હિરા હેમ તણા સુહાર. 54

આવ્યા હતા કોઈક રાય રાણા, આવ્યા હતા જે સરદાર શાણા;

સૌયે પ્રભુ આગળ ભેટ ધારી, તેનાં કહું નામ હવે વિચારી. 55

રાજા અભેસિંહજી લોધિકાના, બીજા અભેસિંહ ગણોદમાના;

તથા જુણોભાઈ તહાં નિવાસી, તથા પથોભાઇ પ્રભુ ઉપાસી. 56

નરેશ શ્રીમાધવસિંહ નામ, જેનો સદા મેંગણીમાં મુકામ;

તેણે ભલી ભેંટ ધનાદિ ધારી, સારો સમો તે ચિતમાં વિચારી. 57

પંચાલયે વાસ સુદાજીભાઇ, છે મોતિભાઈ પણ ત્યાં સદાઈ;

ભાણોજી  વાગુદડમાં વસે છે,  મદાર માંખાવડમાં દિસે છે. 58

બાવો તથા જે અમરો સુનામ, જેનું સદા દુર્ગપુરે સુધામ;

શ્રીગાંફના વ્યાસ સુબુદ્ધિમાન, છે દેવકૃષ્ણાખ્ય  વિવેકવાન. 59

બોટાદના જે હરિભકત આવ્યા, ઈત્યાદિ સર્વે ભલી ભેટ લાવ્યા;

તે દેવની આગળ્ય ત્યાં ધરાવી, ભારે ભલો અંતર ભાવ લાવી. 60

શ્રીમોંઘિબાયે ધરી ભાવ ત્યાંય, આચાર્ય તેડ્યા દરબારમાંય;

પૂજા કુમારે ભલીપેર કીધી, ભાવે ભલી ભેટ અમૂલ્ય દીધી. 61

સંતોની પૂજા કરી સારી રીતે, ઓઢાડિયાં વસ્ત્ર પવિત્ર પ્રીતે;

મંદિરનું ખર્ચ નભે સદાય, જીવાઇ એવી કરી આપી ત્યાંય. 62

તે દિવસે રાજકુમાર માયે, ચોરાશી કીધી ભલી ભાત ત્યાંયે;

દેશી વિદેશી દ્વિજને જમાડ્યા, સંતોષ સંતો સહુને પમાડ્યા. 63

જમાડીયા સૌ હરિભકત પાળા, જમ્યા જનો સૌ દરબારવાળા;

કુમાર હસ્તે બહુ દાન દીધાં, વિદ્વદ્ દ્વિજોનાં સનમાન કીધાં. 64

પછીથી ચાલી પધરામણીયો, સત્સંગીને ધેર થઇ  ઘણીયો;

સ્વગેહ  તેડ્યા પ્રથમ  પ્રધાને, સન્માન  કીધું શુભ ભેટ  દાને. 65

પછી મહારાજ કરી મહેર, પધારીયા સૌ  જન ઘેર  ઘેર;

આનંદ સૌના ઉરમાં વધાર્યા, પછી  સહુ ગોંડળથી પધાર્યા. 66

જયાં જામરાજા તણી રાજધાની, ત્યાં સંચર્યા સજ્જન સુખદાની;

પછી કર્યો જીર્ણગઢે પ્રવાસ, આવી કર્યો આ વરતાલ વાસ.67

પુષ્પિતાગ્રા:-

ભગવતગુરુ ગોંડળે પધારી, પ્રભુ મૂરતી શુભ થાપી મોક્ષકારી;

વરણન કરી તે કથા સુણાવી, સુણી સતસંગી સમસ્ત ચિત્ત ભાવી. 68

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે ગોંડળપુરે મૂર્તિપ્રતિષ્ઠાપનકથાનિરૂપણનામા દ્વાદશો વિશ્રામઃ ।। 12।।