ઉપજાતિ:-
પચીશમી સાલ વિષે વિચાર્યું, વૈશાખ વૃત્તાલ જવાનું ધાર્યું;
રાણી તથા રાજકુમાર લૈને, ચાલ્યા ધરાધીશ્વર સજ્જ થૈને. 1
સાથે લીધા સુજ્ઞ દવે પ્રધાન, સેના સજી વાસવની સમાન;
દેવાજી પાસે હઠીસિંહ જેમ, સંગ્રામજી પાસ સદૈવ તેમ. 2
હતા અભેસિંહ ગણોદવાળા, સલાહકારી સુમતિ વિશાળા;
થોડા દિને તે વરતાલ્ય આવ્યા, સારી જગોયે સહુને વસાવ્યા. 3
શ્રીલક્ષ્મીનારાયણ આદિ કેરી, મૂર્તિ ચમત્કારી દીઠી ઘણેરી;
પ્રેમે નૃપાળે કરીને પ્રણામ, અમૂલ્ય ભેટ્યો ધરી એહ ઠામ. 4
તહાં પગે કુંવરને લગાડ્યા, ઉચાટ સર્વે મનના મટાડ્યા;
હતા જહાં શ્રીભગવત્પ્રસાદ, રાજા ગયા ત્યાં તજીને પ્રમાદ. 5
પ્રેમે કર્યા દંડવત પ્રણામ, બેઠા સમીપે નૃપ સંગરામ;
સંતો સહુને પણ શીશ નામી, રાખી નહી નમ્રપણાની ખામી. 6
સ્વપુત્રને શીખવી સારી રીત, પગે લગાડ્યા સહુને સપ્રીત;
વળી ઉચ્ચારી વિનતી અગર્વે, આશ્ચર્ય પામ્યા હરિભકત સર્વે. 7
નિવાસ કીધો નૃપ દોઢ માસ, સુણ્યો સદા જ્ઞાન તણો વિલાસ;
આચાર્ય સંતો સહુને રીઝાવ્યા, પછી સુવૃત્તાલયથી સિધાવ્યા. 8
છવીસમી વિક્રમ સાલ આવી, રાજા વસ્યા સ્વર્ગ વિષે સિધાવી;
થયા જનો સૌ અતિશે ઉદાસી, રાણી તથા રૈયત દાસ દાસી. 9
સંગ્રામજી સાર્થક દેહ કીધો, આ લોકમાં લાભ અલભ્ય લીધો;
જે થોડું જીવે પણ ધર્મ સાધે, તો સ્વર્ગમાં આયુષ તેની વાધે. 10
જીવે ઘણું ને ન સજે સુઅર્થ, તો વર્ષ તેનાં શત જાય વ્યર્થ;
નાણું કમાવા પરદેશ જાય, બેશી રહે તો દિન વ્યર્થ થાય.11
મનુષ્યનો જન્મ સુધર્મ કાજ, એવું કહે શાસ્ત્ર મુનિ સમાજ;
આયુષ્ય જે મોજ વિષે ગુમાવે, એ તો અલેખે નહિ અર્થ આવે.12
વિચાર કીધો વળી મોંઘિબાયે, મને કહ્યું છે મુજ નાથરાયે;
કરાવજો મંદિર એહ પૂરું, ન રાખશો તે જરીયે અધૂરું. 13
મનોર્થ પૂરો કરવો પતિનો, તે ધર્મ છે પુત્ર તથા સતિનો;
એવું વિચારી મનમાં ઠરાવ્યું, સુકામ તો મંદિરનું ચલાવ્યું. 14
અઠ્ઠાવિશાની શુભ સાલ આવી, પુરુ કર્યુ મંદિર તે ચણાવી;
મુહૂર્ત સારું પછી જોવરાવ્યું, મહા શુદી તેરશ દિન આવ્યું. 15
કંકોતરી યુકિત કરી લખાવી, આચાર્ય પાસે પછી મોકલાવી;
તે તો લખી રાજકુમાર નામે, જે વાંચતાં તે ગુરુ હર્ષ પામે.16
એવું લખ્યું જે ગુરુ સદ્ય આવો, સાથે ઘણા સંત સુભકત લાવો;
શ્રીધર્મ ભકિત હરિકૃષ્ણ કેરી, તે લાવજો મૂર્તિ ભલી ઘણેરી. 17
રાધા તથા કૃષ્ણની મૂર્તિ જોડે, આવો લઈને દિન કાંઈ થોડે;
મુહૂર્તથી તો દશ દિન આદી, આવો લઈને દ્વિજ વેદવાદી. 18
ભાણેજ જે મંત્રી તણા ગણાય, નામે હરીશંકર તે લખાય;
અસ્વાર સાથે શુભ એક લૈને, સુપત્રી આપી વરતાલ જઈને. 19
વંચાવી કંકોતરી જેહ વાર, આચાર્યજી રાજી થયા અપાર;
વળી થયા સર્વ પ્રસન્ન સંત, સત્સંગી સૌ રાજી થયા અનંત. 20
તૈયારી કીધી પછી ત્યાં જવાની, મૂર્તિ લીધી ત્યાં ત્રણ્ય થાપવાની;
શ્રીધર્મ ભકિત હરિકૃષ્ણ જેહ, ધાતુ તણી તો ત્રણ મૂર્તિ તેહ. 21
ૠગ્વેદવાદી ઉમરેઠ વાસી, અનન્ય જે શ્રીહરિના ઉપાસી;
શ્રીલક્ષ્મીનારાયણદેવ જયારે, સ્થાપ્યા પ્રતિષ્ઠા કરી તેહ વારે. 22
સુવેદમૂર્તિ હરિભાઈ જેહ, ક્રિયા કરાવી રહિ પાસ તેહ;
આચાર્ય બે ને વળી ગાદિ આપી, હતા હરીભાઈ સ્વયં તદાપી. 23
તેના સુપુત્ર દ્વિજ વિષ્ણુદત્ત, તેડાવિયા તે ગણિ વિપ્ર સત્ય;
સુવેદમૂર્તિ વળી વિપ્ર ઘેલો, હતો સુબે કાર્ય વિષે પહેલો. 24
તેના થયા પુત્ર હરિપ્રસાદ, જેને ઘણી શ્રૌત ક્રિયાની યાદ;
તેડાવિયા ગોંડળ લૈ જવાને, તેડાવિયા વિપ્ર વળી બીજાને. 25
સુપૂજવા લાયક લક્ષ્મીદત્ત, ગુણજ્ઞ ગંગાદત્ત વિપ્ર સત્ય;
ઇત્યાદિ લીધા દ્વિજ વેદવાદી, સાધુ લીધા અદ્ભુતાનંદ આદી. 26
લીધો મને ત્યાં પણ તેહ સંગે, તથા પવિત્રાખ્ય મુનિ ઉમંગે;
શૂન્યાતીતાનંદ મુનિ સુજાણ, સુપુરુષાનંદ મુનિ પ્રમાણ. 27
વડોદરાના મુનિ જે મહાંત, પ્રજ્ઞાનઆનંદ સ્વભાવ શાંત;
વિજ્ઞાનઆનંદ તથા પ્રભૂતા, આનંદસંજ્ઞા ગુણમાં ગુરૂતા. 28
નિષ્કામ આનંદ વિવેકી વર્ણી, કહે સહુ ઉત્તમ જેની કર્ણી;
ઇત્યાદિ જે ઉત્તમ બ્રહ્મચારી, સાથે લિધા ધર્મ પ્રવર્ત ધારી. 29
શાલિની:-
શાસ્ત્રી ભોલાનાથને સાથ લીધા, તેની સેવામાં સુવિદ્યાર્થી દીધા;
તે શાસ્ત્રી તો છે સભાજીત શાણા, ભૂમાં દેવચાર્ય તુલ્યે ગણાણા. 30
ઉપજાતિ:-
શ્રીધર્મવંશી નર નારી જેહ, હતા સુવૃત્તાલય માંહિ તેહ;
તે સર્વને તો નિજસાથ લીધા, પછી મળી સર્વ પ્રયાણ કીધાં. 31
શ્રીદેવકૃષ્ણાખ્ય ગૃહસ્થ વ્યાસ, જેનો સદા ગાંફ વિષે નિવાસ;
તે સંઘ સાથે ખુશીથી સિધાવ્યા, આચાર્યજી શ્રી ગઢપુર આવ્યા. 32
શાર્દૂલવિક્રીડિત:-
સિદ્ધાનંદમુનિ તથા સદગુરૂ ગોવિંદ સ્વામી વળી,
સાધુ અન્ય અનૂપમાખ્ય વરણી આનંદ ચાલ્યા મળી;
વર્ણી એક અનંતનામ કહિયે તેનેય સાથે લીધા,
ભકિતવલ્લભદાસ સાધુજનને તૈયાર ત્યાંથી કીધા. 33
સાધુ શ્રીઘનશ્યામદાસ વિચર્યા તે સંઘના સંગમાં,
સાધુ શ્રીમધુસુદનાખ્ય વિચર્યા ઉત્સાહથી અંગમાં;
કોઠારી હરિભાઇ દુર્ગપુરના સાથે લીધા સ્નેહથી,
મોનોભકત સુસંઘ સંગ વિચર્યા સંતો રીઝ્યા તેહથી. 34
દાદાખાચરના સુપુત્ર કહિયે તે બેય બોલાવિયા,
શાણા ભીમજીભાઈ ગોંડળ જવા સાથે જ સીધાવિયા;
રાધાકૃષ્ણ તણી સુજોડ પ્રતિમા ત્યાંથી પ્રસાદી તણી,
લીધી ત્યાં જઈ થાપવા સુભગ તે શોભે અતીશે ઘણી. 35
ઉપજાતિ:-
સુમંડળી ઉત્સવિયાની જેહ, સાથે લીધી દુર્ગપુરેથી તેહ;
મુખ્યે જગન્નાથજી નામ જેનું, મહાપ્રભુમાં દઢ ચિત્ત તેનું. 36
ઓઝા શ્રીમાળી દ્વિજ વેલજી છે, જેણે પ્રભુભકિત ભલી સજી છે;
સુશેઠ ગોવર્ધનદાસ નામ, વણિક બીજા વળી વીશરામ. 37
સત્સંગી સારા વળી શેઠ ફૂલો, વિચાર જેના મનમાં અમૂલો;
કલ્યાણને જીવણ નામ જેહ, કંદોઇ બે કૃષ્ણઉપાસી તેહ. 38
સુતારમાં કેશવભાઈ જીવો, તથા પુરૂષોત્તમ વંશ દીવો;
સુતાર ત્રીજા રણછોડ નામ, જેને ઘણા વલ્લભ મેઘશ્યામ. 39
હરિ તથા માવજી ને ઝવેર, પ્રભુ ભજે કાનજી રૂડીપેર;
કહું ભલા ભાવિક ભાવસાર, તે એક તો ઠાકરશી ઉદાર. 40
ખોજા સુ નારાયણ જેનું નામ, જેનું પ્રભુમાં મન અષ્ટ જામ;
ઇત્યાદિ આચારજ સાથ ચાલ્યા, તે સંઘમાં સારી રીતે મહાલ્યા. 41
બોટાદના વાસી ભલા ઘણેરા, સુપુત્ર દોશી શિવલાલ કેરા;
તે એક તો કેશવલાલ નામ, બીજા છગનલાલ સુબુદ્ધિધામ. 42
ત્રીજા ભલા જે હરિલાલભાઇ, ભકતો વિષે જેની ઘણી ભલાઇ;
મહાપ્રભુના જન શેઠ મોતી, જેણે લીધો છે સતસંગ ગોતી. 43
ભલા હકૂભાઇ સુકર્મકારી, સુપુત્ર નારાયણ નામધારી;
સુભકત ભાવિક ભલા ભવાન, પારેખ તો રામજી બુદ્ધિમાન. 44
પારેખ મોટા જન મૂળચંદ, જેઠો સુસોની પ્રિયનંદ નંદ;
મેરાઇ બોઘો પણ સંગ આવ્યા, આચાર્યજી એવી રીતે સિધાવ્યા. 45
આવે હરિભકત તણાં સુગામ, આઠે દશે કોશ કરે વિરામ;
આચાર્ય આવ્યા તણી વાત જાણી, રાજી થયાં રાજકુમાર રાણી. 46
ચાલ્યા સુણી રાજકુમાર સામા, વાજે વડા ઢોલ તથા દદામા;
ત્રાંસાં ત્રુઇ ને શરણાઇ સારી, વાજિંત્ર વાજે સજી જયાં સવારી. 47
સજી લીધા સૌ સરદાર સાથે, ભાલા ભલા છે શૂરવીર હાથે;
મેના રથો પાલખી હાથી ઘોડા, ઘણાક લીધા સજીને સજોડા. 48
સાથે લીધી બેરખ આરબોની, સેના ઘણી સાથ સિપાઇયોની;
પ્રધાનના પુત્ર તથા પ્રધાન, પૌત્રો વળી બુદ્ધિ તણા નિધાન. 49
તેઓ તણાં નામ હવે ગણાવું, સાથે લીધા તે સરવે સુણાવું;
છે વંશ તો પુણ્ય પવિત્ર તેનો, સત્સંગમાં રંગ અભંગ એનો. 50
વૈતાલીય:-
હરજીવન જે પ્રધાન છે, સુત ચારે સદબુદ્ધિમાન છે;
જયભાઇ વડા સહુ થકી, ત્રણના પુત્ર કહું હવે નકી. 51
સુત માધવજી તણા કહું, કરુણાશંકર સદ્ગુણી બહુ;
નરસિંહ તણા તનૂજ તે, સુજટાશંકર તો કહું જ તે. 52
સુત કેશવલાલજી તણા, ગવરીશંકર છે ભલા ઘણા;
ભગિનીસુત જે દિવાનના, શુભ જેશંકર કૂપ જ્ઞાનના. 53
હરિશંકર કાશીરામ છે, પ્રિય જેને પ્રભુ મેઘશ્યામ છે;
વળી ગોંડળવાસી જે બહુ, જન ચાલ્યા મળી મુખ્ય તે કહું. 54
હરિભકત ખવાસ નાનજી, સુત તેનો કુરજી ધીમાનજી;
વળી સાજણ તે ખવાસ છે, ઉર જેને પ્રભુની જ આશ છે. 55
દ્વિજ વલ્લભરામ નામ છે, મતિના પ્રાણજીવન્ન ધામ છે;
હરિભકત ભલા મુરારજી, વળી વીરેશ્વર છે ઉદારજી. 56
દ્વિજ એક બહુ ભલા જ છે, અંબારામ સુભકતરાજ છે;
ભલી ભકિત પ્રભુ તણી કરે, ચિત્તમાં શ્રીહરિને સદા ધરે. 57
કચરો પ્રભુરામજી કહું, કડિયા ભકત ભલા હવે લહું;
હરિભકત ભલા જ દામજી, વળી નારાયણભકત નામજી. 58
ઉપજાતિ:-
આણંદ જેઠો વિશરામ બેય, છે કાનજી રામજી ભકત તેય;
છે શેઠ તો ખીમજી ભકત સારા, પંચાણ સોની પ્રભુ સેવનારા. 59
સોની બીજા તો મુળજી પ્રમાણો, લુવાર મુખ્યે રણછોડ જાણો;
ઇત્યાદિ સત્સંગી ઘણા ઘણાય, ગણાવતાં ગ્રંથ વિશેષ થાય. 60
આચાર્યજી ગોંડળ પાસ આવ્યા, સામૈયું શ્રીરાજકુમાર લાવ્યા;
પ્રેમે કર્યું પૂજન તેહ ઠામ, સૌયે કર્યા દંડવત પ્રણામ. 61
પુષ્પિતાગ્રા:-
નૃપસુત હરિભકત ને પ્રધાન, મુદિત થયા સહુ પામી દર્શદાન;
હરિજન મનનો સુહર્ષ જોઇ, વરણન કેમ કરી શકે જ કોઇ. 62
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે આચાર્યશ્રીભગવત્પ્રસાદજી ગોંડળપુરગમનનામા એકાદશો વિશ્રામઃ ।।11।।