ઉપજાતિ:-

પચીશમી સાલ  વિષે વિચાર્યું, વૈશાખ  વૃત્તાલ  જવાનું ધાર્યું;

રાણી તથા રાજકુમાર લૈને, ચાલ્યા ધરાધીશ્વર સજ્જ  થૈને. 1

સાથે લીધા સુજ્ઞ દવે પ્રધાન, સેના સજી વાસવની સમાન;

દેવાજી પાસે હઠીસિંહ જેમ, સંગ્રામજી પાસ સદૈવ તેમ. 2

હતા અભેસિંહ  ગણોદવાળા,  સલાહકારી સુમતિ  વિશાળા;

થોડા દિને તે વરતાલ્ય આવ્યા, સારી જગોયે સહુને વસાવ્યા. 3

શ્રીલક્ષ્મીનારાયણ આદિ કેરી, મૂર્તિ ચમત્કારી દીઠી ઘણેરી;

પ્રેમે નૃપાળે કરીને પ્રણામ, અમૂલ્ય  ભેટ્યો ધરી એહ ઠામ. 4

તહાં પગે કુંવરને લગાડ્યા, ઉચાટ સર્વે મનના મટાડ્યા;

હતા જહાં શ્રીભગવત્પ્રસાદ, રાજા ગયા ત્યાં તજીને પ્રમાદ. 5

પ્રેમે કર્યા દંડવત  પ્રણામ,  બેઠા  સમીપે નૃપ  સંગરામ;

સંતો સહુને પણ શીશ નામી, રાખી નહી નમ્રપણાની ખામી. 6

સ્વપુત્રને શીખવી સારી રીત, પગે લગાડ્યા સહુને સપ્રીત;

વળી ઉચ્ચારી વિનતી અગર્વે, આશ્ચર્ય પામ્યા હરિભકત સર્વે. 7

નિવાસ કીધો નૃપ દોઢ માસ, સુણ્યો સદા જ્ઞાન તણો વિલાસ;

આચાર્ય સંતો સહુને રીઝાવ્યા, પછી સુવૃત્તાલયથી સિધાવ્યા. 8

છવીસમી વિક્રમ સાલ આવી, રાજા વસ્યા સ્વર્ગ વિષે સિધાવી;

થયા જનો સૌ અતિશે ઉદાસી, રાણી  તથા રૈયત દાસ દાસી. 9

સંગ્રામજી સાર્થક દેહ કીધો, આ લોકમાં લાભ અલભ્ય લીધો;

જે થોડું જીવે પણ ધર્મ સાધે, તો સ્વર્ગમાં આયુષ તેની વાધે. 10

જીવે ઘણું ને ન સજે સુઅર્થ, તો વર્ષ તેનાં શત જાય વ્યર્થ;

નાણું કમાવા પરદેશ જાય, બેશી રહે તો દિન  વ્યર્થ થાય.11

મનુષ્યનો જન્મ સુધર્મ કાજ, એવું કહે શાસ્ત્ર મુનિ સમાજ;

આયુષ્ય જે મોજ વિષે ગુમાવે, એ તો અલેખે નહિ અર્થ આવે.12

વિચાર કીધો વળી મોંઘિબાયે,  મને કહ્યું છે  મુજ  નાથરાયે;

કરાવજો મંદિર એહ પૂરું, ન રાખશો  તે જરીયે અધૂરું. 13

મનોર્થ પૂરો કરવો પતિનો, તે ધર્મ છે પુત્ર તથા સતિનો;

એવું વિચારી મનમાં ઠરાવ્યું,  સુકામ  તો મંદિરનું ચલાવ્યું. 14

અઠ્ઠાવિશાની શુભ સાલ આવી, પુરુ કર્યુ મંદિર તે ચણાવી;

મુહૂર્ત સારું પછી જોવરાવ્યું, મહા શુદી તેરશ દિન  આવ્યું. 15

કંકોતરી યુકિત કરી લખાવી, આચાર્ય પાસે પછી મોકલાવી;

તે તો લખી રાજકુમાર નામે, જે વાંચતાં તે ગુરુ હર્ષ પામે.16

એવું લખ્યું જે ગુરુ સદ્ય આવો, સાથે ઘણા સંત સુભકત લાવો;

શ્રીધર્મ ભકિત હરિકૃષ્ણ કેરી, તે લાવજો મૂર્તિ ભલી ઘણેરી. 17

રાધા તથા કૃષ્ણની મૂર્તિ જોડે, આવો લઈને દિન કાંઈ થોડે;

મુહૂર્તથી તો દશ દિન  આદી, આવો  લઈને દ્વિજ વેદવાદી. 18

ભાણેજ જે મંત્રી તણા ગણાય, નામે હરીશંકર તે લખાય;

અસ્વાર સાથે શુભ એક લૈને, સુપત્રી આપી વરતાલ જઈને. 19

વંચાવી કંકોતરી જેહ  વાર, આચાર્યજી રાજી થયા અપાર;

વળી થયા સર્વ પ્રસન્ન સંત, સત્સંગી સૌ રાજી થયા અનંત. 20

તૈયારી કીધી પછી ત્યાં જવાની, મૂર્તિ લીધી ત્યાં ત્રણ્ય થાપવાની;

શ્રીધર્મ ભકિત હરિકૃષ્ણ જેહ, ધાતુ તણી તો ત્રણ મૂર્તિ તેહ. 21

ૠગ્વેદવાદી ઉમરેઠ વાસી,  અનન્ય  જે શ્રીહરિના ઉપાસી;

શ્રીલક્ષ્મીનારાયણદેવ જયારે, સ્થાપ્યા પ્રતિષ્ઠા કરી તેહ વારે. 22

સુવેદમૂર્તિ હરિભાઈ જેહ, ક્રિયા કરાવી રહિ પાસ તેહ;

આચાર્ય બે ને વળી ગાદિ આપી, હતા હરીભાઈ સ્વયં તદાપી. 23

તેના સુપુત્ર દ્વિજ વિષ્ણુદત્ત, તેડાવિયા તે ગણિ વિપ્ર સત્ય;

સુવેદમૂર્તિ વળી વિપ્ર ઘેલો,  હતો સુબે કાર્ય વિષે પહેલો. 24

તેના થયા પુત્ર હરિપ્રસાદ, જેને ઘણી   શ્રૌત ક્રિયાની યાદ;

તેડાવિયા ગોંડળ લૈ જવાને, તેડાવિયા વિપ્ર વળી બીજાને. 25

સુપૂજવા લાયક લક્ષ્મીદત્ત, ગુણજ્ઞ ગંગાદત્ત વિપ્ર સત્ય;

ઇત્યાદિ લીધા દ્વિજ વેદવાદી, સાધુ લીધા અદ્ભુતાનંદ આદી. 26

લીધો મને ત્યાં પણ તેહ સંગે, તથા પવિત્રાખ્ય મુનિ ઉમંગે;

શૂન્યાતીતાનંદ  મુનિ સુજાણ, સુપુરુષાનંદ મુનિ પ્રમાણ. 27

વડોદરાના મુનિ  જે મહાંત,  પ્રજ્ઞાનઆનંદ સ્વભાવ શાંત;

વિજ્ઞાનઆનંદ તથા પ્રભૂતા, આનંદસંજ્ઞા ગુણમાં ગુરૂતા. 28

નિષ્કામ  આનંદ વિવેકી વર્ણી,  કહે સહુ ઉત્તમ  જેની કર્ણી;

ઇત્યાદિ જે  ઉત્તમ  બ્રહ્મચારી, સાથે લિધા ધર્મ  પ્રવર્ત ધારી. 29

શાલિની:-

શાસ્ત્રી ભોલાનાથને સાથ લીધા, તેની સેવામાં સુવિદ્યાર્થી દીધા;

તે શાસ્ત્રી તો છે સભાજીત શાણા, ભૂમાં દેવચાર્ય તુલ્યે ગણાણા. 30

ઉપજાતિ:-

શ્રીધર્મવંશી નર નારી જેહ, હતા સુવૃત્તાલય માંહિ તેહ;

તે સર્વને તો નિજસાથ લીધા, પછી મળી સર્વ પ્રયાણ કીધાં. 31

શ્રીદેવકૃષ્ણાખ્ય ગૃહસ્થ વ્યાસ, જેનો સદા ગાંફ વિષે નિવાસ;

તે સંઘ સાથે ખુશીથી સિધાવ્યા, આચાર્યજી શ્રી ગઢપુર આવ્યા. 32

શાર્દૂલવિક્રીડિત:-

સિદ્ધાનંદમુનિ  તથા  સદગુરૂ  ગોવિંદ  સ્વામી  વળી,

સાધુ અન્ય  અનૂપમાખ્ય   વરણી આનંદ ચાલ્યા મળી;

વર્ણી એક  અનંતનામ  કહિયે તેનેય  સાથે લીધા,

ભકિતવલ્લભદાસ   સાધુજનને તૈયાર ત્યાંથી કીધા. 33

સાધુ શ્રીઘનશ્યામદાસ  વિચર્યા તે સંઘના  સંગમાં,

સાધુ શ્રીમધુસુદનાખ્ય  વિચર્યા ઉત્સાહથી  અંગમાં;

કોઠારી  હરિભાઇ  દુર્ગપુરના  સાથે લીધા  સ્નેહથી,

મોનોભકત સુસંઘ  સંગ વિચર્યા સંતો રીઝ્યા તેહથી. 34

દાદાખાચરના  સુપુત્ર  કહિયે તે બેય  બોલાવિયા,

શાણા ભીમજીભાઈ ગોંડળ જવા સાથે જ  સીધાવિયા;

રાધાકૃષ્ણ તણી સુજોડ પ્રતિમા ત્યાંથી પ્રસાદી તણી,

લીધી ત્યાં જઈ  થાપવા સુભગ  તે શોભે અતીશે ઘણી. 35

ઉપજાતિ:-

સુમંડળી ઉત્સવિયાની જેહ, સાથે લીધી દુર્ગપુરેથી તેહ;

મુખ્યે જગન્નાથજી નામ  જેનું, મહાપ્રભુમાં દઢ  ચિત્ત  તેનું. 36

ઓઝા શ્રીમાળી દ્વિજ વેલજી છે, જેણે પ્રભુભકિત ભલી સજી છે;

સુશેઠ ગોવર્ધનદાસ નામ, વણિક બીજા વળી વીશરામ. 37

સત્સંગી સારા વળી શેઠ ફૂલો, વિચાર જેના મનમાં અમૂલો;

કલ્યાણને જીવણ નામ જેહ, કંદોઇ બે કૃષ્ણઉપાસી તેહ. 38

સુતારમાં કેશવભાઈ જીવો, તથા પુરૂષોત્તમ વંશ  દીવો;

સુતાર ત્રીજા રણછોડ નામ, જેને ઘણા વલ્લભ મેઘશ્યામ. 39

હરિ તથા  માવજી ને ઝવેર, પ્રભુ ભજે કાનજી  રૂડીપેર;

કહું ભલા ભાવિક ભાવસાર,  તે એક  તો ઠાકરશી ઉદાર. 40

ખોજા સુ નારાયણ જેનું નામ, જેનું પ્રભુમાં મન અષ્ટ જામ;

ઇત્યાદિ આચારજ સાથ ચાલ્યા, તે સંઘમાં સારી રીતે મહાલ્યા. 41

બોટાદના વાસી ભલા ઘણેરા, સુપુત્ર દોશી શિવલાલ  કેરા;

તે એક તો કેશવલાલ નામ, બીજા છગનલાલ સુબુદ્ધિધામ. 42

ત્રીજા ભલા જે હરિલાલભાઇ, ભકતો વિષે જેની ઘણી ભલાઇ;

મહાપ્રભુના જન  શેઠ મોતી, જેણે  લીધો છે સતસંગ ગોતી. 43

ભલા  હકૂભાઇ સુકર્મકારી, સુપુત્ર  નારાયણ  નામધારી;

સુભકત ભાવિક ભલા ભવાન, પારેખ તો રામજી બુદ્ધિમાન. 44

પારેખ મોટા જન મૂળચંદ, જેઠો સુસોની પ્રિયનંદ  નંદ;

મેરાઇ બોઘો પણ સંગ આવ્યા, આચાર્યજી એવી રીતે સિધાવ્યા. 45

આવે હરિભકત  તણાં સુગામ,  આઠે દશે કોશ કરે વિરામ;

આચાર્ય આવ્યા તણી વાત જાણી, રાજી થયાં રાજકુમાર રાણી. 46

ચાલ્યા સુણી રાજકુમાર સામા, વાજે વડા ઢોલ તથા દદામા;

ત્રાંસાં ત્રુઇ ને શરણાઇ સારી, વાજિંત્ર વાજે સજી જયાં સવારી. 47

સજી લીધા સૌ સરદાર સાથે, ભાલા ભલા છે શૂરવીર  હાથે;

મેના રથો પાલખી હાથી ઘોડા, ઘણાક લીધા સજીને સજોડા. 48

સાથે લીધી બેરખ આરબોની, સેના ઘણી સાથ સિપાઇયોની;

પ્રધાનના પુત્ર તથા પ્રધાન, પૌત્રો વળી બુદ્ધિ તણા નિધાન. 49

તેઓ તણાં નામ હવે ગણાવું, સાથે લીધા તે સરવે સુણાવું;

છે વંશ તો પુણ્ય પવિત્ર તેનો, સત્સંગમાં રંગ અભંગ એનો. 50

વૈતાલીય:-

હરજીવન જે પ્રધાન છે, સુત ચારે સદબુદ્ધિમાન છે;

જયભાઇ વડા સહુ થકી, ત્રણના પુત્ર કહું હવે નકી. 51

સુત માધવજી તણા કહું, કરુણાશંકર સદ્ગુણી બહુ;

નરસિંહ તણા  તનૂજ તે, સુજટાશંકર તો  કહું જ  તે. 52

સુત કેશવલાલજી તણા, ગવરીશંકર છે ભલા ઘણા;

ભગિનીસુત જે દિવાનના, શુભ જેશંકર કૂપ જ્ઞાનના. 53

હરિશંકર કાશીરામ છે, પ્રિય જેને પ્રભુ મેઘશ્યામ છે;

વળી ગોંડળવાસી જે બહુ, જન ચાલ્યા મળી મુખ્ય તે કહું. 54

હરિભકત ખવાસ નાનજી, સુત તેનો કુરજી ધીમાનજી;

વળી સાજણ તે ખવાસ છે, ઉર જેને પ્રભુની જ આશ છે. 55

દ્વિજ વલ્લભરામ નામ છે, મતિના પ્રાણજીવન્ન ધામ છે;

હરિભકત  ભલા મુરારજી, વળી વીરેશ્વર છે ઉદારજી. 56

દ્વિજ એક બહુ ભલા જ  છે, અંબારામ  સુભકતરાજ  છે;

ભલી ભકિત પ્રભુ તણી કરે, ચિત્તમાં શ્રીહરિને સદા ધરે. 57

કચરો પ્રભુરામજી કહું, કડિયા ભકત  ભલા હવે લહું;

હરિભકત ભલા જ દામજી, વળી નારાયણભકત નામજી. 58

ઉપજાતિ:-

આણંદ  જેઠો  વિશરામ  બેય, છે  કાનજી રામજી  ભકત તેય;

છે શેઠ તો ખીમજી ભકત સારા, પંચાણ સોની પ્રભુ સેવનારા. 59

સોની બીજા તો મુળજી પ્રમાણો, લુવાર મુખ્યે રણછોડ જાણો;

ઇત્યાદિ સત્સંગી ઘણા ઘણાય, ગણાવતાં ગ્રંથ વિશેષ થાય. 60

આચાર્યજી ગોંડળ પાસ આવ્યા, સામૈયું શ્રીરાજકુમાર લાવ્યા;

પ્રેમે કર્યું પૂજન  તેહ  ઠામ,  સૌયે કર્યા દંડવત  પ્રણામ. 61

પુષ્પિતાગ્રા:-

નૃપસુત હરિભકત ને પ્રધાન, મુદિત થયા સહુ પામી દર્શદાન;

હરિજન  મનનો સુહર્ષ જોઇ, વરણન  કેમ  કરી શકે જ  કોઇ. 62

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે આચાર્યશ્રીભગવત્પ્રસાદજી ગોંડળપુરગમનનામા એકાદશો વિશ્રામઃ ।।11।।