ઉપજાતિ:-
ગુણાતીતાનંદ મુનીન્દ્ર સાથે, પ્રીતિ કરી ગોંડળ રાજયનાથે;
સુણે કથા કૃષ્ણની તેહ ઠામ, સંગ્રામજી છે શુભ જેનું નામ. 1
તે તો મુનિ જીર્ણગઢે રહેતા, દૈવી જનોને ઉપદેશ દેતા;
તેડાવતા ગોંડળનાથ જયારે, પધારતા ગોંડળ માંહિ ત્યારે. 2
વર્ણી અચિંતાખ્ય સુજાણ જેહ, તેને કદી મોકલતા જ તેહ;
સંગ્રામજીને સુકથા સુણાવે, સત્સંગ કેરી દઢતા કરાવે. 3
શ્રીમોંઘિબાએ વળી એક ટાણે, તેડ્યા ગુણાતીત ગુરુ પ્રમાણે;
પૂજા કરાવી નિજનાથ પાસ, જણાવી પોતા તણી જેહ આશ. 4
મને મુનિ આશીરવાદ આપે, સુપુત્ર પામું મુનિને પ્રતાપે;
પતિ મુખે તે સતિયે કહાવ્યું, બોલ્યા મુનિ તે નૃપ ચિત્ત ભાવ્યું.5
સુપુત્ર થાશે ભગવત્પ્રતાપે, પ્રસન્ન થાશો પતિ પત્નિ આપે;
વિતી ગયા તે પછી બાર માસ, તે મોંઘિબાની થઈ પૂર્ણ આશ. 6
શ્રી વિક્રમાર્કે શત ઓગણીશ, વર્ષો થયાં ઊપર એકવીશ;
શ્રીમોંઘિબા પુણ્ય ઉદે અપાર, જે ઇશ્વરે એક દીધો કુમાર. 7
ગુરૂ ગુણાતીત મુનીન્દ્ર જેહ, તેડાવિયા જીર્ણગઢેથી તેહ;
મુનીન્દ્ર તે ગોંડળ ગામ આવ્યા, ભૂપાળના અંતર માંહિ ભાવ્યા. 8
ભૂપે કહ્યું હે મુનિ હેત લાવો, આ પુત્રનું નામ તમે ઠરાવો;
મુનિ કહે શ્રી ભગવત્સપ્રસાદ, તેનું રહે નામ સદૈવ યાદ. 9
તે શ્રીહરિની શુભ ગાદીયે છે, ગુરૂ અમારા પણ આજ એ છે;
મારું કહ્યું જો મન માંહિ લાવો, તો નામ રુડું ભગવત્ ધરાવો. 10
પાડયું પછી ઉત્તમ નામ એવું, સિંહાંત ક્ષત્રિકુળ યોગ્ય જેવું;
રહ્યા ઘણા વાસર ત્યાં મુનીશ, સેવા ભલી નિત્ય સજે મહીશ. 11
વિચાર સારો ઉપજયો સતિને, પ્રેમે કહ્યો તે નિજના પતિને;
કરાવિયે ઉદ્ધવસંપ્રદાનું, સુધામ ત્રણ્યે શિખરો ભલાનું. 12
કરાવવા દેવ નિવાસ જેહ, રાજા તણો ધર્મ અનાદિ એહ;
તેનું વળી ખર્ચ નભે હંમેશ, આજીવિકા એવી કરો નરેશ. 13
થયા ભલા ઉન્નડભૂપ નામ, કરાવિયું દુર્ગપુરે સુધામ;
ભલા ઝીણાભાઈ નરેશ જેહ, કરી ગયા જીર્ણગઢે જ તેહ. 14
જુવો વળી જયાં ધવળાખ્ય ગામ, તહાં પુંજાભાઈ કર્યું સુધામ;
એવું ભલું મંદિર તો કરાવો, મળે ફરી કયાં થકી જોગ આવો.15
આચાર્ય સંતો સહુ સાથ લાવી, કરે પ્રતિષ્ઠા નિજહાથ આવી;
તો મારી ઇચ્છા પરિપૂર્ણ થાય, એવું સુણીને ઉચર્યા સુરાય. 16
તમે કહી તે બહુ સારી વાત, એ કામમાં પુણ્ય દિસે અઘાત;
જઈ ગુણાતીત મુનિ સમીપે, કહીશ હું એમ કહ્યું મહીપે. 17
કહી મુનિને જઈ વાત જયારે, બોલ્યા મુનિ તે થઈ રાજી ત્યારે;
હે રાય વૃત્તાલય હું જઈશ, આ વાત આચારજને કહીશ. 18
એવું કહી જીર્ણગઢે સિધાવ્યા, તે વાતને માસ ઘણા વિતાવ્યા;
રાજા તથા રાણી પ્રધાન ત્યારે, લખ્યો ફરી કાગળ તેહ વારે. 19
અહો મુનિ કેમ લગાડી વાર ?, કયારે થશે મંદિર એહ ઠાર ?
ઈત્યાદિ વાકયો લખીયાં વિચારી, લખે ભલો માધવજી સુધારી. 20
ભાણેજ હર્જીવન મંત્રી કેરો, લૈ પત્ર જેશંકરને જ પ્રેર્યો;
ઘણા સમાચાર મુખે કહાવ્યા, લૈ પત્ર તે જીરણદુર્ગ આવ્યા. 21
મુનિ ગુણાતીત સમીપ જઈને, કહ્યા સમાચાર સુપત્ર દૈને;
તે સ્વામીયે પત્ર લખાવી આપ્યો, આશા દઇ સર્વ ઉચાટ કાપ્યો. 22
ત્રેવીશમી સાલ થઇ જ જયારે, ચોખો હતો ચૈતર માસ ત્યારે;
ગુણાતીતાનંદ મુનીન્દ્ર જેહ, પોતે પધાર્યા વરતાલ તેહ. 23
જે વાત થૈ ગોંડળમધ્ય સારી, આચાર્ય પાસે સઘળી ઉચારી;
ઇચ્છા ધરે છે ઉર રાણી રાય, શ્રી ગોંડળે મંદિર મોટું થાય. 24
કરે પ્રતિષ્ઠા ભગવત્પ્રસાદ, તો ઉપજે અંતર માંહિ સ્વાદ;
વસે વળી વર્ણી તથા સુસંત, તો કીર્તિ વ્યાપે નૃપની દિગંત. 25
કથા તથા કીર્તન નિત્ય થાય, જે સાંભળ્યાથી અઘ સર્વ જાય;
આજ્ઞા કરો તો કરીયે સુધામ, હું આજ આવ્યો અહિં એ જ કામ. 26
આચારજીએ સુણી વાણી એહ, સુણાવવા હર્ષની વાત તેહ;
બોલાવીયા શ્રેષ્ઠ મહાંત સંત, તથા ગૃહસ્થો પણ બુદ્ધિમંત. 27
શિખરિણી:-
શુકાનંદસ્વામી પરમ સુપવિત્રાનંદયતી, તથાઽદ્ભૂતાનંદ પ્રમુખ પુરુષાનંદ સુમતી;
વિવેકી જે વર્ણી નિગમવિદ નારાયણ કહું, તથા ત્યાં તેડાવ્યા બટુ સુમતિ બીજા પણ બહુ. 28
હતો તેમાં હુંય મુનિજન મળ્યું મંડળ તહાં, કહું કોઠારીમાં પ્રમુખ ગણિ ગોવર્ધન જહાં;
હતા અંબૈદાસે વળી હસનભાઈ પણ મળ્યા, વળી કોઠારી જે હરિજન જગજજીવન ભલા. 29
હતા લક્ષ્મીદાસે ધવલપુરના મંદિર તણા, તથા કાશીરામે જીરણગઢના ઉત્તમ ઘણા;
ગૃહસ્થો તેડાવ્યા હરિજન ભલા તે પણ કહું, સુણી આજ્ઞા એવી સદન થકી આવ્યા જન સહુ. 30
ભલા ભોલાનાથ પ્રગટ પ્રભુનાં શાસ્ત્ર સુચવે, પુરાણો ને શાસ્ત્રો અખિલ ઇતિહાસો અનુભવે;
તહાં તે તેડાવ્યા ભગવતપ્રસાદે નિજભણી, વળી બીજા ભકતો નિજસમીપ તેડ્યા ગુણી ગણી. 31
ઉપજાતિ:-
વસો નિવાસી જન પાટીદાર, ભાઈ ભલા જે તુલસી ઉદાર;
ચતુર્દવે નામ ભલા ચતુર, જાણે ભલી જુકિત બધી જરૂર. 32
શ્રીસંજીવાડા શુભ નામ ગામ, બારોટ ત્યાંના પ્રભુદાસ નામ;
પ્રહ્લાદ જેવા પ્રભુભકત સારા, સુસ્નેહ શ્રીજીપદ ધારનારા. 33
વડોદરા પત્તનવાસી જેહ, સુભકત રામેશ્વરભાઈ તેહ;
શ્રીપીજવાસી શિવલાલભાઈ, સુબુદ્ધિ જેની જનમાં જણાઈ. 34
કહું કૃપારામ રુડા ઘણેરા, નિવાસી તે તો નડિયાદ કેરા;
બીજા કૃપાશંકર જેનું નામ, આણંદમાં જેનું નિવાસ ઠામ. 35
બોટાદના દોશિ ભગો સુભકત, સંસારથી અંતરમાં વિરકત;
બોલાવી ઇત્યાદિક આપ પાસ, આચારજે વાત કરી પ્રકાશ. 36
રાજી થયા સૌ જન સાંભળીને, આપ્યો અભિપ્રાય સહુ મળીને;
જો થાય ત્યાં મંદિર શ્રેષ્ઠ એહ, તો જાણવું ઉત્તમ કામ તેહ. 37
આચાર્ય બોલ્યા સહુના અધીશ, ગુણાતીતાનંદ સુણો મુનીશ;
તમે જઈ મંદિર ત્યાં કરાવો, પછી પ્રતિષ્ઠા કરવા કહાવો. 38
આવી અમે ત્યાં કરશું પ્રતિષ્ઠા, સાથે લઈ સંતજનો વરિષ્ઠા;
પછી મુનિ ત્યાંથી રજા લઇને, પોતે રહ્યા જીર્ણગઢે જઈને. 39
આસો શુદી સાતમ ત્રેવિશાની, નક્કી કરી ગોંડળમાં જવાની;
અતી રુડું મંદિર તે કરાવા, સ્વામી થયા સજ્જ તહાં સિધાવા. 40
માલિની:-
રઘુવિરચરણાખ્યો દાસ છે જેનું નામ, સુપરત કરી તેને જીર્ણદુર્ગાખ્ય ધામ;
સકળ વળી તહાંનું કામ તેને ભળાવ્યું, નિજતન તજવાનું તે ન તેને જણાવ્યુ. 41
ઉપજાતિ:-
સ્વશિષ્ય જે બાલમુકુંદદાસ, તેનેય રાખ્યા વળી આપ પાસ;
જે કૃષ્ણસેવા યુત દાસ નામ, વર્ણી અચિંત્યાખ્ય સુબુદ્ધિધામ. 42
ત્રણે તણાં મંડળ સાથ લૈને, રહ્યા મુનિ ગોંડળ ગામ જઇને;
પ્રધાન રાજા મુનિયે મળીને, સંતો કહે તે પણ સાંભળીને. 43
ઠરાવીયું મંદિરનું પ્રમાણ, ઠરાવી જગ્યા મુનિયે સુજાણ;
સુસંતને સુપ્રત સર્વ કીધી, કર્યાની જગ્યા પણ ચિંધિ દીધી. 44
ભૂપાળ કેરો બહુ ભાળી ભાવ, નક્કી કર્યો મંદિરનો ઠરાવ;
રાજી થયા ભૂપ તથા પ્રધાન, જાણ્યું ફળ્યું સંતનું વાકયદાન. 45
વૈતાલીય:-
દિન ત્યાં દસરા તણો થયો, અતિ આનંદ છવાઈને રહ્યો;
દરબાર વિષે નરેશ્વરે, મુનિ તેડ્યા અતિમાન આદરે. 46
કરી પૂજન પૂર્ણ પ્રીતથી, સ્તુતિ ઉચ્ચારી સુશિષ્ય રીતથી;
મુનિને ચરણે સુલાગિને, પ્રભુભકિત મુખ લીધી માગિને. 47
દશમી દિન એ રીતે ગયો, દિન એકાદશીનો પછી થયો;
નૃપને નૃપના પ્રધાનને, મુનિયે વાત કહી ધીમાનને. 48
સુણજો સહુ સાવધાન થૈ, સમઝી લ્યો શુભ જ્ઞાનવાન થૈ;
નિરધાર નથી શરીરનો, ભરુંસો શો કદી ઓસ નીરનો. 49
વયમાં પણ વૃદ્ધ હું થયો, નજરે કાળ ઘણો વહી ગયો;
કરું હું કદી ત્યાગ દેહનો, કરશો શોક તમે ન તેહનો. 50
તન ઊપર વસ્ત્ર જેમ છે, તન આત્મા થકી ભિન્ન તેમ છે;
તનનો કદી ત્યાગ તે કરે, પણ આત્મા કદીયે નહિં મરે. 51
મુજનું તન તેહ હું નહીં, પણ હું આત્મસ્વરૂપ છું સહી;
તન હું તજી જાઉં જાહરે, કરશો શોક નહીં જ તાહરે. 52
હરિમંદિર તો રચાવજો, શુભ સામાન બધો મંગાવજો;
વરણી મુનિ આંહિ જેહ છે, કરવા મંદિર કામ તેહ છે. 53
કરશે શુભ તે અહીં રહી, ચિત ચિંતા લવ લાવશો નહીં;
મુજનો નહિ શોક રાખવો, દુઃખનો શબ્દ નહી જ દાખવો. 54
પછી હાથ પગે મુકાવિયા, જન સૌને નિયમો રખાવિયા;
પછી દ્વાદશી દિન આવિયો, તનમાં તાવ જરા જણાવિયો. 55
તિથિ થૈ વળી જયાં ત્રયોદશી, દિન વીત્યો અરધી ગઈ નિશી;
હરિનું ધરી ધ્યાન અંતરે, વિચર્યા અક્ષરમાં સ્વતંતરે. 56
જનને મન શોક તો થયો, પણ આજ્ઞા સ્મરતાં મટી ગયો;
પછી મંદિર કેરું કામ તે, કરવા માંડ્યું મળી તમામ તે. 57
પૃથવી પથરા કઢાવિયા, ઉપયોગી બહુ વસ્તુ લાવિયા;
ગત વત્સર એક તો વહી, થઈ ચોવીશમી સાલ તો સહી. 58
મહિનો શુભ માઘ જે સમે, કરીયું ખાત મુહૂર્ત તે સમે;
કરી સુપ્રત મુખ્ય તો બહુ, વરણીરાજ અચિંત્યને સહુ. 59
પુષ્પિતાગ્રા:-
હરિજન સંગરામસિંહ રાજા, જદુવંશી જશસિંધુ કેરી માજા;
નિજપુર હરિનું કરાવ્યું ધામ, ગણિ મનમાં અતિ પુણ્યકેરું કામ. 60
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગોંડળપુરે રાજાકૃત હરિમંદિરખાતમુહૂર્તનિરૂપણનામા દશમો વિશ્રામઃ ।।10।।