ઉપજાતિ:-

ગુણાતીતાનંદ મુનીન્દ્ર સાથે, પ્રીતિ  કરી ગોંડળ રાજયનાથે;

સુણે કથા કૃષ્ણની તેહ  ઠામ, સંગ્રામજી  છે શુભ જેનું નામ. 1

તે તો મુનિ જીર્ણગઢે રહેતા, દૈવી જનોને ઉપદેશ દેતા;

તેડાવતા ગોંડળનાથ જયારે,  પધારતા ગોંડળ માંહિ ત્યારે. 2

વર્ણી અચિંતાખ્ય સુજાણ જેહ, તેને કદી મોકલતા જ  તેહ;

સંગ્રામજીને સુકથા  સુણાવે, સત્સંગ  કેરી દઢતા  કરાવે. 3

શ્રીમોંઘિબાએ વળી એક ટાણે, તેડ્યા ગુણાતીત ગુરુ પ્રમાણે;

પૂજા કરાવી નિજનાથ પાસ, જણાવી પોતા તણી જેહ આશ. 4

મને મુનિ  આશીરવાદ આપે, સુપુત્ર પામું મુનિને પ્રતાપે;

પતિ મુખે તે સતિયે કહાવ્યું, બોલ્યા મુનિ તે નૃપ ચિત્ત ભાવ્યું.5

સુપુત્ર થાશે ભગવત્પ્રતાપે, પ્રસન્ન થાશો પતિ પત્નિ આપે;

વિતી ગયા તે પછી બાર માસ, તે મોંઘિબાની થઈ પૂર્ણ આશ. 6

શ્રી વિક્રમાર્કે શત  ઓગણીશ, વર્ષો થયાં ઊપર એકવીશ;

શ્રીમોંઘિબા પુણ્ય  ઉદે અપાર,  જે ઇશ્વરે એક દીધો કુમાર. 7

ગુરૂ ગુણાતીત મુનીન્દ્ર જેહ, તેડાવિયા જીર્ણગઢેથી તેહ;

મુનીન્દ્ર તે ગોંડળ ગામ આવ્યા, ભૂપાળના અંતર માંહિ ભાવ્યા. 8

ભૂપે કહ્યું હે મુનિ હેત લાવો, આ પુત્રનું નામ તમે ઠરાવો;

મુનિ કહે શ્રી ભગવત્સપ્રસાદ,  તેનું રહે નામ સદૈવ યાદ. 9

તે શ્રીહરિની શુભ ગાદીયે છે, ગુરૂ અમારા પણ આજ એ છે;

મારું કહ્યું જો મન માંહિ લાવો, તો નામ રુડું ભગવત્ ધરાવો. 10

પાડયું પછી ઉત્તમ નામ  એવું, સિંહાંત ક્ષત્રિકુળ યોગ્ય જેવું;

રહ્યા ઘણા વાસર ત્યાં મુનીશ, સેવા ભલી નિત્ય સજે મહીશ. 11

વિચાર સારો ઉપજયો સતિને, પ્રેમે કહ્યો તે નિજના પતિને;

કરાવિયે ઉદ્ધવસંપ્રદાનું, સુધામ  ત્રણ્યે શિખરો  ભલાનું. 12

કરાવવા દેવ નિવાસ જેહ,  રાજા તણો ધર્મ અનાદિ એહ;

તેનું વળી ખર્ચ નભે હંમેશ,  આજીવિકા એવી કરો નરેશ. 13

થયા ભલા  ઉન્નડભૂપ  નામ,  કરાવિયું દુર્ગપુરે સુધામ;

ભલા ઝીણાભાઈ  નરેશ જેહ,  કરી ગયા જીર્ણગઢે જ  તેહ. 14

જુવો વળી જયાં ધવળાખ્ય ગામ, તહાં પુંજાભાઈ કર્યું સુધામ;

એવું ભલું મંદિર તો કરાવો, મળે ફરી કયાં થકી જોગ આવો.15

આચાર્ય સંતો સહુ સાથ લાવી, કરે પ્રતિષ્ઠા નિજહાથ આવી;

તો મારી ઇચ્છા પરિપૂર્ણ થાય, એવું સુણીને ઉચર્યા સુરાય. 16

તમે કહી તે બહુ સારી વાત, એ કામમાં પુણ્ય દિસે અઘાત;

જઈ  ગુણાતીત મુનિ  સમીપે, કહીશ હું એમ કહ્યું મહીપે. 17

કહી મુનિને જઈ વાત જયારે, બોલ્યા મુનિ તે થઈ રાજી ત્યારે;

હે રાય વૃત્તાલય હું જઈશ, આ વાત આચારજને કહીશ. 18

એવું કહી જીર્ણગઢે સિધાવ્યા, તે વાતને માસ ઘણા વિતાવ્યા;

રાજા તથા રાણી પ્રધાન ત્યારે, લખ્યો ફરી કાગળ તેહ વારે. 19

અહો મુનિ કેમ લગાડી વાર ?, કયારે થશે મંદિર એહ ઠાર ?

ઈત્યાદિ વાકયો લખીયાં વિચારી, લખે ભલો માધવજી સુધારી. 20

ભાણેજ   હર્જીવન મંત્રી કેરો, લૈ પત્ર જેશંકરને જ પ્રેર્યો;

ઘણા સમાચાર મુખે કહાવ્યા, લૈ પત્ર તે જીરણદુર્ગ આવ્યા. 21

મુનિ ગુણાતીત સમીપ  જઈને, કહ્યા  સમાચાર સુપત્ર દૈને;

તે સ્વામીયે પત્ર લખાવી આપ્યો, આશા દઇ સર્વ ઉચાટ  કાપ્યો. 22

ત્રેવીશમી સાલ થઇ જ જયારે, ચોખો હતો ચૈતર  માસ ત્યારે;

ગુણાતીતાનંદ મુનીન્દ્ર જેહ, પોતે પધાર્યા વરતાલ તેહ. 23

જે વાત થૈ ગોંડળમધ્ય સારી, આચાર્ય પાસે સઘળી ઉચારી;

ઇચ્છા ધરે છે ઉર રાણી રાય, શ્રી ગોંડળે મંદિર મોટું થાય. 24

કરે પ્રતિષ્ઠા   ભગવત્પ્રસાદ,  તો ઉપજે અંતર માંહિ  સ્વાદ;

વસે વળી  વર્ણી તથા  સુસંત, તો કીર્તિ વ્યાપે નૃપની દિગંત. 25

કથા તથા કીર્તન નિત્ય થાય, જે સાંભળ્યાથી અઘ સર્વ જાય;

આજ્ઞા કરો તો કરીયે સુધામ, હું આજ આવ્યો અહિં એ જ કામ. 26

આચારજીએ સુણી વાણી એહ, સુણાવવા હર્ષની વાત તેહ;

બોલાવીયા શ્રેષ્ઠ મહાંત સંત, તથા ગૃહસ્થો પણ બુદ્ધિમંત. 27

શિખરિણી:-

શુકાનંદસ્વામી   પરમ   સુપવિત્રાનંદયતી, તથાઽદ્ભૂતાનંદ  પ્રમુખ  પુરુષાનંદ  સુમતી;

વિવેકી  જે વર્ણી નિગમવિદ  નારાયણ  કહું, તથા ત્યાં તેડાવ્યા બટુ સુમતિ બીજા પણ બહુ. 28

હતો તેમાં હુંય મુનિજન  મળ્યું મંડળ  તહાં, કહું કોઠારીમાં પ્રમુખ  ગણિ  ગોવર્ધન  જહાં;

હતા અંબૈદાસે વળી હસનભાઈ પણ મળ્યા, વળી કોઠારી જે હરિજન જગજજીવન ભલા. 29

હતા  લક્ષ્મીદાસે ધવલપુરના  મંદિર  તણા, તથા  કાશીરામે જીરણગઢના  ઉત્તમ  ઘણા;

ગૃહસ્થો તેડાવ્યા હરિજન ભલા તે પણ કહું, સુણી આજ્ઞા એવી સદન થકી આવ્યા જન સહુ. 30

ભલા ભોલાનાથ પ્રગટ પ્રભુનાં શાસ્ત્ર સુચવે, પુરાણો ને શાસ્ત્રો અખિલ ઇતિહાસો અનુભવે;

તહાં તે તેડાવ્યા  ભગવતપ્રસાદે નિજભણી, વળી બીજા ભકતો નિજસમીપ તેડ્યા ગુણી ગણી. 31

ઉપજાતિ:-

વસો નિવાસી જન પાટીદાર, ભાઈ  ભલા જે તુલસી ઉદાર;

ચતુર્દવે નામ  ભલા ચતુર,  જાણે ભલી જુકિત બધી જરૂર. 32

શ્રીસંજીવાડા શુભ નામ ગામ, બારોટ ત્યાંના પ્રભુદાસ નામ;

પ્રહ્લાદ જેવા પ્રભુભકત સારા, સુસ્નેહ શ્રીજીપદ ધારનારા. 33

વડોદરા પત્તનવાસી  જેહ, સુભકત   રામેશ્વરભાઈ  તેહ;

શ્રીપીજવાસી શિવલાલભાઈ, સુબુદ્ધિ  જેની જનમાં જણાઈ. 34

કહું કૃપારામ રુડા ઘણેરા, નિવાસી તે તો નડિયાદ કેરા;

બીજા કૃપાશંકર જેનું નામ, આણંદમાં જેનું નિવાસ  ઠામ. 35

બોટાદના દોશિ ભગો સુભકત, સંસારથી અંતરમાં વિરકત;

બોલાવી ઇત્યાદિક આપ પાસ, આચારજે વાત કરી પ્રકાશ. 36

રાજી થયા સૌ જન સાંભળીને, આપ્યો અભિપ્રાય સહુ મળીને;

જો થાય ત્યાં મંદિર શ્રેષ્ઠ એહ, તો જાણવું ઉત્તમ કામ તેહ. 37

આચાર્ય બોલ્યા સહુના અધીશ, ગુણાતીતાનંદ સુણો મુનીશ;

તમે જઈ મંદિર ત્યાં કરાવો, પછી  પ્રતિષ્ઠા કરવા કહાવો. 38

આવી અમે ત્યાં કરશું પ્રતિષ્ઠા, સાથે લઈ સંતજનો  વરિષ્ઠા;

પછી  મુનિ  ત્યાંથી રજા  લઇને, પોતે રહ્યા જીર્ણગઢે જઈને. 39

આસો શુદી સાતમ ત્રેવિશાની, નક્કી કરી ગોંડળમાં જવાની;

અતી રુડું મંદિર તે કરાવા, સ્વામી થયા સજ્જ તહાં સિધાવા. 40

માલિની:-

રઘુવિરચરણાખ્યો દાસ છે જેનું નામ, સુપરત કરી તેને જીર્ણદુર્ગાખ્ય ધામ;

સકળ વળી તહાંનું કામ  તેને ભળાવ્યું, નિજતન  તજવાનું તે ન તેને જણાવ્યુ. 41

ઉપજાતિ:-

સ્વશિષ્ય જે બાલમુકુંદદાસ, તેનેય રાખ્યા વળી આપ પાસ;

જે કૃષ્ણસેવા યુત દાસ નામ, વર્ણી અચિંત્યાખ્ય સુબુદ્ધિધામ. 42

ત્રણે તણાં મંડળ સાથ લૈને, રહ્યા મુનિ ગોંડળ ગામ જઇને;

પ્રધાન રાજા  મુનિયે મળીને, સંતો કહે તે પણ સાંભળીને. 43

ઠરાવીયું મંદિરનું પ્રમાણ, ઠરાવી જગ્યા મુનિયે સુજાણ;

સુસંતને સુપ્રત સર્વ કીધી, કર્યાની જગ્યા પણ ચિંધિ દીધી. 44

ભૂપાળ કેરો બહુ ભાળી ભાવ, નક્કી કર્યો મંદિરનો ઠરાવ;

રાજી થયા   ભૂપ તથા પ્રધાન, જાણ્યું ફળ્યું સંતનું વાકયદાન. 45

વૈતાલીય:-

દિન ત્યાં દસરા તણો થયો, અતિ આનંદ છવાઈને રહ્યો;

દરબાર વિષે નરેશ્વરે, મુનિ  તેડ્યા અતિમાન  આદરે. 46

કરી પૂજન  પૂર્ણ પ્રીતથી, સ્તુતિ  ઉચ્ચારી સુશિષ્ય  રીતથી;

મુનિને ચરણે સુલાગિને, પ્રભુભકિત મુખ લીધી માગિને. 47

દશમી દિન  એ રીતે ગયો,  દિન  એકાદશીનો પછી થયો;

નૃપને નૃપના  પ્રધાનને, મુનિયે વાત કહી  ધીમાનને. 48

સુણજો સહુ સાવધાન થૈ, સમઝી લ્યો શુભ જ્ઞાનવાન  થૈ;

નિરધાર નથી શરીરનો, ભરુંસો શો કદી ઓસ નીરનો. 49

વયમાં પણ વૃદ્ધ હું થયો, નજરે કાળ ઘણો વહી ગયો;

કરું હું કદી ત્યાગ દેહનો, કરશો શોક તમે ન તેહનો. 50

તન ઊપર વસ્ત્ર જેમ છે, તન આત્મા થકી ભિન્ન તેમ છે;

તનનો કદી ત્યાગ તે કરે,  પણ આત્મા  કદીયે નહિં મરે. 51

મુજનું તન તેહ  હું નહીં,  પણ હું આત્મસ્વરૂપ છું સહી;

તન હું તજી જાઉં જાહરે, કરશો શોક  નહીં જ તાહરે. 52

હરિમંદિર તો રચાવજો, શુભ સામાન બધો મંગાવજો;

વરણી મુનિ  આંહિ  જેહ છે, કરવા મંદિર કામ તેહ છે. 53

કરશે શુભ તે અહીં રહી, ચિત  ચિંતા લવ લાવશો નહીં;

મુજનો નહિ શોક રાખવો, દુઃખનો શબ્દ નહી જ દાખવો. 54

પછી હાથ પગે મુકાવિયા, જન  સૌને નિયમો રખાવિયા;

પછી દ્વાદશી દિન આવિયો, તનમાં તાવ જરા જણાવિયો. 55

તિથિ થૈ વળી જયાં ત્રયોદશી, દિન વીત્યો અરધી ગઈ નિશી;

હરિનું ધરી ધ્યાન અંતરે, વિચર્યા અક્ષરમાં સ્વતંતરે. 56

જનને મન શોક તો થયો, પણ આજ્ઞા સ્મરતાં મટી ગયો;

પછી મંદિર કેરું કામ  તે, કરવા માંડ્યું મળી તમામ  તે. 57

પૃથવી પથરા કઢાવિયા, ઉપયોગી બહુ વસ્તુ લાવિયા;

ગત વત્સર એક તો વહી, થઈ ચોવીશમી સાલ તો સહી. 58

મહિનો શુભ માઘ જે સમે,  કરીયું ખાત મુહૂર્ત તે સમે;

કરી સુપ્રત મુખ્ય તો બહુ, વરણીરાજ અચિંત્યને સહુ. 59

પુષ્પિતાગ્રા:-

હરિજન  સંગરામસિંહ  રાજા,  જદુવંશી જશસિંધુ કેરી માજા;

નિજપુર હરિનું કરાવ્યું ધામ, ગણિ મનમાં અતિ પુણ્યકેરું કામ. 60

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનંદમુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગોંડળપુરે રાજાકૃત હરિમંદિરખાતમુહૂર્તનિરૂપણનામા દશમો વિશ્રામઃ ।।10।।